#Article 1: નરસિંહ મહેતા (219 words)


નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.

તેમના લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઈ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.

નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર, વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું. નરસૈયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.




#Article 2: કનૈયાલાલ મુનશી (438 words)


કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.

તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપી બાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.

૧૯૦૦માં નાની ઉંમરે તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા. ૧૯૨૪માં અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. ૧૯૨૬માં તેમણે લીલાવતી શેઠ સાથે પુન:લગ્ન કર્યા હતા. લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.

૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.

સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો.

૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું.

કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.

તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે:

નવલકથાઓ

નાટકો

અન્ય

શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી.

૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી.




#Article 3: ગુજરાતનો નાથ (209 words)


ગુજરાતનો નાથ એ કનૈયાલાલ મુનશી લિખિત ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથા છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૧૮માં પ્રગટ થઇ હતી. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે. મુનશી કૃત ચાર નવલકથાઓની શ્રેણીમાંની આ ત્રીજી નવલકથા છે. પહેલી જય સોમનાથ, બીજી પાટણની પ્રભુતા અને ચોથી રાજાધિરાજ છે.

આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, બતાવ્યા છે. જેમ કે, મિનલદેવી અને કાશ્મિરા, એક શાંત અને મુત્સદી તો બીજી સુંદર અને બહાદુર સાથે ચાલાક પણ. તેમા મુંજાલ મંત્રી અને રાજા કર્ણદેવ જેવા પાત્રો પણ છે. કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર 'કાક' નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને 'મંજરી', કે જેના પ્રેમમાં કાક પડે છે, સિવાયના બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે. કથા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના શરૂઆતના શાસનકાળ દરમ્યાનની છે. જેમાં કાક અનેક સાહસોમાંથી પસાર થતો તે સમયના જુદા-જુદા મહત્વના પાત્રોના સંપર્કમાં આવતો આપણને તે સમયના ઇતિહાસની સફર કરાવે છે. કાક એક બ્રાહ્મણ હોવા છતાં એક સારો લડવૈયો અને ચતુર માણસ હતો. પરંતુ તેને સંસ્કૃત આવડતું નહી. આ વાત મંજરીને ગમતી નહી. આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની એક વાચકને જકડી રાખવાની પ્રતિભા છતી થાય છે.

કાક ભટ્ટ અને મંજરીને પ્રેમતાંતણે બાંધવા, कैलासमिव दुर्घषम् कालाग्निमिव दुःसहम् | સંસ્કૃત વાક્ય વારંવાર વપરાયેલું છે.

આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રીટા કોઠારી અને એમના પતિ અભિજિત કોઠારીએ 'ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત' (૨૦૧૮) નામે કર્યો છે.




#Article 4: રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત) (1338 words)


રાષ્ટ્રીય પ્રતિજ્ઞા એ પ્રજાસત્તાક ભારત પ્રત્યેની નિષ્ઠા દર્શાવતી પ્રતિજ્ઞા છે. સામાન્ય રીતે સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાએ બંધારણનો ભાગ નથી.

રાષ્ટ્રીય પ્રતિજ્ઞાની રચના મૂળ તેલેગુ ભાષામાં ઈ.સ. ૧૯૬૨માં પી.વી.સુબ્બારાવ દ્વારા કરવામાં આવી હતી. તેનું સર્વપ્રથમ પઠન ૧૯૬૩માં વિશાખાપટ્ટનમની એક શાળામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રમશ: અન્ય રાજ્યોમાં પણ તેના પઠનની શરૂઆત થઈ હતી.

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્રની રચના તેલેગુ ભાષાના ઉલ્લેખનીય લેખક તેમજ બ્યુરોક્રેટ (નોકરશાહ) પૈદીમરી વેંકટા સુબ્બારાવ દ્વારા ૧૯૬૨માં વિશાખાપટ્ટનમ ખાતેના તેમના જીલ્લા કોષાલય અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તેમણે પોતાની રચના તત્કાલીન વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેનેટ્ટી વિશ્વનંદમ તથા શિક્ષણ મંત્રી પી.વી.જી. રાજુને પ્રસ્તુત કરી હતી. ૧૯૬૩થી દરેક રાજ્યોની શાળાઓમાં પ્રતિજ્ઞા પત્રના પઠનની ક્રમશ: શરૂઆત થઈ હતી. જોકે પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવતા પ્રતિજ્ઞા પત્રમાં તેના રચયિતાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આથી તેઓ રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગાનના રચયિતા જેટલા જાણીતા નથી. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના દસ્તાવેજોમાં પ્રતિજ્ઞા પત્રના રચયિતા તરીકે પી.વી.સુબ્બારાવનો ઉલ્લેખ જોવા મળે છે. 

India is my country. All Indians are my Brothers and Sisters. 
I love my country and I am proud of its rich and varied heritage. 
I shall always strive to be worthy of it. 
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. 
To my country and my people, I pledge my devotion. 
In their well being and prosperity alone, lies my happiness.

૧. આસામી 
ভাৰত মোৰ দেশ। 
সকলো ভাৰতীয় মোৰ ভাই-ভনী। 
মই মোৰ দেশক ভাল পাওঁ‌। 
ইয়াৰ চহকী আৰু বৈচিত্ৰ্যপূৰ্ণ সংস্কৃতিক লৈ মই গৌৰৱান্বিত। 
মই সদায় ইয়াৰ সুযোগ্য অধিকাৰী হ'বলৈ যত্ন কৰি যাম। 
মই মোৰ মা, দেউতা, শিক্ষাগুৰু আৰু বয়োজ্যেষ্ঠসকলক শ্ৰদ্ধা আৰু সন্মানসহকাৰে ব্যৱহাৰ কৰিম। 
মই মোৰ দেশ আৰু দেশবাসীৰ প্ৰতি সত্যনিষ্ঠাৰে প্ৰতিজ্ঞাবদ্ধ। 
তেখেতলোকৰ কল্যাণ আৰু সমৃদ্ধিতেই মই সুখী। 

૨. બંગાળી
ভারত আমার দেশ।
সব ভারতবাসী আমার ভাই বোন।
আমি আমার দেশ কে ভালোবাসি।
আমার দেশের বিবিধ সংস্কৃতিতে আমি গর্বিত।
আমি,  আমার দেশের সুযোগ্য অধিকারী হওয়ার জন্য সদা প্রচেষ্টায় থাকবো। 
আমি নিজের মা, বাবা, শিক্ষক এবং গুরুজনদের সদা সম্মান করবো। এবং বিনীত থাকবো। 
আমি আমার দেশ ও দেশবাসীদের প্রতি সত্যনিষ্ঠার প্রতিজ্ঞাবদ্ধ হলাম। এঁদের কল্যাণ এবং সমৃদ্ধি তেই আমার সুখ বিলীন। 

૩. ગુજરાતી 
ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને 
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. 
હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ 
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. 
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. 
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. 

૪. હિંદી 
भारत मेरा देश है। 
सब भारतवासी मेरे भाई-बहन है। 
मैं अपने देश से प्रेम करता/करती हूं। 
इसकी समृद्ध एवं विविध संस्कृति पर मुझे गर्व है। 
मैं सदा इसका सुयोग्य अधिकारी बनने का प्रयत्न करता रहूँगा/करती रहूँगी। 
मैं अपने माता-पिता, शिक्षको एवं गुरुजनो का सम्मान करूँगा/करूँगी और प्रत्येक के साथ विनीत रहूँगा/रहूँगी। 
मैं अपने देश और देशवाशियों के प्रति सत्यनिष्ठा की प्रतिज्ञा करता/करती हूँ। 
इनके कल्याण एवं समृद्धि में ही मेरा सुख निहित है। 

૫. કન્નડ 
ಭಾರತ ನನ್ನ ತಾಯಿನಾಡು. 
ಎಲ್ಲಾ ಭಾರತೀಯರು ನನ್ನ ಸಹೋದರರು ಮತ್ತು ಸಹೋದರಿಯರು. 
ನಾನು ನನ್ನ ದೇಶವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಮತ್ತು ನನ್ನ ದೇಶದ ಶ್ರೀಮಂತ ಮತ್ತು ವಿವಿಧ ಪರಂಪರೆಯ ಬಗ್ಗೆ ಹೆಮ್ಮೆಪಡುತ್ತೇನೆ. 
ನಾನು ಯಾವಾಗಲೂ ಅದಕ್ಕೋಸ್ಕರ ಶ್ರಮಿಸುತ್ತೇನೆ. 
ನನ್ನ ಪೋಷಕರಿಗೆ, ಶಿಕ್ಷಕರಿಗೆ ಮತ್ತು ಎಲ್ಲಾ ಹಿರಿಯರರಿಗೆ ಗೌರವಿಸುತ್ತೇನೆ ಮತ್ತು ಎಲ್ಲರೊಂದಿಗೆ ಸೌಜನ್ಯದಿಂದ ವರ್ತಿಸುತ್ತೇನೆ. 
ನನ್ನ ದೇಶ ಮತ್ತು ಜನರಿಗೆ, ನನ್ನ ಬದ್ಧತೆಯ ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತೇನೆ. 
ಅವರ ಯೋಗಕ್ಷೇಮದ ಮತ್ತು ಅಭ್ಯುದಯದಲ್ಲಿ ನನ್ನ ಸಂತೋಷ ನೆಲೆಸಿದೆ. 

૬. Kokborok 
Barot chini ha. 
Tei barot hani jotto borok rog ani takhuk tei bukhuk.  
Ang ani hano hamjakgo tei ang bini rangchak hai tei juda-juda Hukumu no twii kungchukgo. 
Ang o hani chuknaisa borok wng manna bagwi chaitok phwlai mang tongnai.
Ang ani ma-pha, ano phwrwngnai rog, tei ani okra-chakra rogno borom rwi mang tongnai tei jotto bai'no kaham tongmung tongnai. 
Ani ha tei ani borok rogni bagwi,
O ha hamkwraini lamao phasing thang tongtun.
Borog ni Hamkwrai'o no ani tongthok hwnwi ang swmai thango.

૭. મલયાલમ 
ഭാരതം എന്റെ നാടാണ്.
എല്ലാ ഭാരതീയരും എന്റെ സഹോദരീസഹോദരന്മാരാണ്‌. 
ഞാൻ എന്റെ രാജ്യത്തെ സ്നേഹിക്കുന്നു. 
സമ്പന്നവും വൈവിദ്ധ്യപൂർണവുമായ അതിന്റെ പരമ്പരാഗതസമ്പത്തിൽ ഞാൻ അഭിമാനിക്കുന്നു. 
ആ സമ്പത്തിന് അർഹനാകുവാൻ ഞാൻ എപ്പോഴും ശ്രമിക്കുന്നതാണ്. 
ഞാൻ എന്റെ മാതാപിതാക്കളെയും ഗുരുജനങ്ങളെയും മുതിർന്നവരെയും ആദരിക്കുകയും - 
എല്ലാവരോടും വിനയപൂർവം പെരുമാറുകയും ചെയ്യും. 
ഞാൻ എന്റെ നാടിനോടും എന്റെ നാട്ടുകാരോടും സേവാനിരതനായിരുക്കുമെന്ന് പ്രതിജ്ഞ ചെയ്യുന്നു. 
എന്റെ നാടിന്റെയും നാട്ടുകാരുടെയും ക്ഷേമത്തിലും അഭിവൃദ്ധിയിലുമാണ് എന്റെ ആനന്ദം. 

૮. મરાઠી (मराठी)
भारत माझा देश आहे. 
सारे भारतीय माझे बांधव आहेत. 
माझ्या देशावर माझे प्रेम आहे. 
माझ्या देशातल्या समृद्ध आणि 
विविधतेने नटलेल्या परंपरांचा मला अभिमान आहे. 
त्या परंपरांचा पाईक होण्याची पात्रता 
माझ्या अंगी यावी म्हणून मी सदैव प्रयत्न करीन. 
मी माझ्या पालकांचा, गुरुजनांचा 
आणि वडीलधार्‍या माणसांचा मान ठेवीन 
आणि प्रत्येकाशी सौजन्याने वागेन. 
माझा देश आणि माझे देशबांधव 
यांच्याशी निष्ठा राखण्याची 
मी प्रतिज्ञा करीत आहे. 
त्यांचे कल्याण आणि 
त्यांची समृद्धी ह्यांतच माझे 
सौख्य सामावले आहे. 

૯. નેપાળી (नेपाली)
भारत मेरो देश हो । 
सबै भारतवासी मेरा दाजुभाई तथा दिदीबहिनी हुन् । 
म आफ्नो देशलाई माया गर्छु । 
यसको समृध्द र विविध संस्कृतिमा मलाई गर्व छ । 
म सधै यसको सुयोग्य अधिकारी बन्ने प्रयत्न गरिरहने छु । 
म आफ्नो आमा बुवा, शिक्षक एवं गुरुजनहरुलाई सम्मान गर्नेछु र प्रत्येक संग विनित रहन्छु । 
म आफ्नो देश र देशवासीहरु प्रति सत्यनिष्ठाको प्रतिज्ञा गर्दछु । 
यिनको कल्याण र समृद्धिमा नै मेरो सुख निहित छ ।

૧૦. ઉડિયા
ଭାରତ ମୋର ଦେଶ ।
ଆମେ ସଵୁ ଭାରତୀୟ ଭାଇ ଓ ଭଉଣୀ ।
ମୁଁ ମୋ ଦେଶକୁ ଭଲ ପାଏ ।
ଏହାର ସମୃଦ୍ଧି ଏବଂ ବିବିଧ ସଂସ୍କୃତି ପାଇଁ ମୋତେ ଗର୍ଵ ଲାଗେ ।
ମୁଁ ସଵୁଵେଳେ ଏହାର ସୁଯୋଗ୍ୟ ଅଧୀକାରୀ ରହିଵାକୁ ଚେଷ୍ଟା କରିବି ।
ମୁଁ ମୋର ମାତା ପିତା, ଶିକ୍ଷକ ଏବଂ ଗୁରୁଜନ ମାନଙ୍କୁ ସମ୍ମାନ ଜଣାଇଵି ଓ ସମସ୍ତଙ୍କ ସହିତ ସୌଜନ୍ୟଶୀଳ ରହିବି ।
ମୁଁ ମୋର ଦେଶ ଓ ଦେଶବାସୀଙ୍କ ପ୍ରତି ସତ୍ୟନିଷ୍ଠ ରହିବାକୁ ପ୍ରତିଞ୍ଗା କରୁଛି।
ସେମାନଙ୍କ କଲ୍ୟାଣ ଓ ସମୃଦ୍ଧିରେ ମୋର ସୁଖ ନିହିତ ।

૧૧. સંસ્કૃત 
भारतं मम देशोऽयं भारतीयाश्च बान्धवाः। 
परानुरक्तिरस्मिन्‌ मे देशेऽस्ति मम सर्वदा ॥ १॥ 
समृद्धा विविधाश्चास्य या देशस्य परम्पराः। 
सन्ति ताः प्रति मे नित्यमभिमानोन्नतं शिरः ॥ २॥ 
प्रयतिष्ये सदा चाहमासादयितुमर्हताम्‌ । 
येन तासां भविष्यामि श्रद्धायुक्तः पदानुगः ॥ ३॥ 
संमानयेयं पितरौ वयोज्येष्ठान्‌ गुरूंस्तथा। 
सौजन्येनैव वर्तेय तथा सर्वैरहं सदा ॥ ४॥ 
स्वकीयेन हि देशेन स्वदेशीयैश्च बान्धवैः। 
एकान्तनिष्ठमाचारं प्रतिजाने हि सर्वथा ॥ ५॥ 
एतेषामेव कल्याणे समुत्कर्षे तथैव च । 
नूनं विनिहितं सर्वं सौख्यमात्यन्तिकं मम ॥६॥ 

૧૨. તમિલ 
இந்தியா எனது தாய் நாடு. 
இந்தியர்கள் அனைவரும் எனது உடன் பிறப்புக்கள் . 
எனது நாட்டை பெரிதும் நேசிக்கிறேன். 
இந்நாட்டின் பழம்பெருமைக்காகவும் ,பண்முக மரபு சிறப்பிற்காகவும் நான் பெருமிதம் அடைகிறேன். 
இந்நாட்டின் பெருமைக்குத் தகுந்து விளங்கிட என்றும் பாடுபடுவேன். 
என்னுடைய பெற்றோர், ஆசிரியர்கள்,  எனக்கு வயதில் மூத்தோர் அனைவரையும் மதிப்பேன். 
எல்லோரிடமும் அன்பும் மரியாதையும் காட்டுவேன் 
என் நாட்டிற்கும் என் மக்களுக்கும் உழைத்திட முனைந்து நிற்பேன் 
அவர்கள் நலமும் வளமும் பெறுவதிலே தான் என்றும் மகிழ்ச்சி காண்பேன். 
வாழ்க நமது மணித்திரு நாடு. 

૧૩. તેલેગુ 
భారతదేశము నా మాతృభూమి. 
భారతీయులందరు నా సహోదరులు, నా సహొదరణీలు. 
నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన, నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. 
దీనికి అర్హత పొందుటకై సర్వదా నేను కృషి చేయుదును. 
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును. 
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును. 
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. 
వారి శ్రేయస్సు, అభివృద్ధులే నా ఆనందమునకు మూలము. 

૧૪. ઉર્દૂ (see to the right side below)

بھارت میرا ملک ہے۔
سبھی بھارتی میرے بھائی بہن ہیں۔
میں اپنے ملک سے محبت کرتا/ کرتی ہوں۔
اس کی باوقار اور مختلف النوع ثقافت پر مجھے ناز ہے۔ 
میں ہمیشہ اس کے شایانِ شان بننے کی کوشش کرتا/کرتی رہوں گا/گی۔
میں اپنے والدین، اساتذہ اور سبھی معمرین کی عزت کروں گا/ گی اور ہر ایک کے ساتھ نرمی برتوں گا/ گی۔
میں اپنے وطن اور اہلِ وطن کے ساتھ نیک نیتی کا حلف لیتا / لیتی ہوں۔
ان کی بھلائی اور خوش حالی ہی میں میری خوشی ہے۔ 
جے ہند۔

૧૫.મૈથિલી
भारत हमर देश थिक। हम सब भारतवासी भाई बहिन छी। हमर देश अपन प्राणहुँ स प्रिय अछि। हम भारतक आ विविध संस्कृति पर गर्व करैत छी। हम भारतक सुयोग्य अधिकारी हैबाक सदा प्रयत्न करब। हम अपन माता पिता शिक्षक और गुरु जनक आदर करब आ सबहक संग शिष्टताक व्यवहार करब । अपना देश आ देशवासीक प्रति हम अपन निष्ठाक प्रतिज्ञा करैत छी । हुनक कल्याण और सुखसमृद्धि टा में हमारा सुख निहित अछि ।

સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં તેમજ વિધાનસભાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે

 




#Article 5: ગુજરાત (2946 words)


ગુજરાત () () ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.  

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.  ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે. 

ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે. 

ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે.

ગુજરાતનાં માં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલીટીન સીટીમાં થાય છે.

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય, બરડા અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, કચ્છનું  નાનું રણ, કચ્છનું  મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે.

સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે. 

ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.

૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું, પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી હતી. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ગુજરાતના ૧૬મ મુખ્યમંત્રી બન્યા.

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. 

ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે. કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.

રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે.  આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું  જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.  

ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઈ.) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ મિશ્ર પ્રવાહની યુનિવર્સિટીઓ, ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો અને એક આયુર્વેદ વિશ્વવિદ્યાલય આવેલાં છે.

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.

વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ  ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી હતી. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે સ્થાપવામાં આવી હતી. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી. સાબરમતી નદીના કાંઠે, પાલજ ખાતે તેનું આધુનિક બાંધકામ કરવામાં આવ્યું અને ૮ જુલાઈ, ૨૦૧૫થી કાયમી ધોરણે સંસ્થાનું સંપૂર્ણ કામકાજ ત્યાં ખસેડવામાં આવ્યું.

સેપ્ટ યુનિવર્સિટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન  ટેક્નોલોજી, પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી, લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ) અને નિરમા યુનીવર્સીટી જેવાં પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો પણ આવેલાં છે.

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે. 

આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા  માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.

ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.

ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય, માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ  દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.

ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે..

ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.

ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન  કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

સ્થાનિક પરિવહન

ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી .

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે.




#Article 6: મહાત્મા ગાંધી (3018 words)


મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય  અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા. 

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ(જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ(જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ(જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ(જન્મ સન ૧૯૦૦).

તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે તેમણે પ્રવેશ લીધો. જો કે ત્યાં તેઓ ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેઓ બૅરીસ્ટર બને તેવી તેમના કુંટુંબીઓની ઇચ્છા હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આથી તેમણે ઇંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી.

 
દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક  ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા.(એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય ભારતીયની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 

ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netalની  વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યું તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઈને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઈ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતનપરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેક્ટિસની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પિટિશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા, પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયા અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઈને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની  સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલા ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધા. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઈ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનો પ્રયત્ન કર્યો ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતાંં ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું, જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઈ સુધારો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસબર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઈને  દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે. 

દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hinduનો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય વચ્ચે પત્રવ્યવહાર નિયમિત ચાલુ રહ્યો. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે.  ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાંં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.

દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ભારત આવ્યા બાદ અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે  બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય તો રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ  જાતનો  વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં  બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા  કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં  જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ એક નાના લાકડા ના ચરખા થી ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી.  બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર,  બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર સરકારે દ્રોહનો ખટલો ચલાવ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. 

ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે.  બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા  અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા.

૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોને તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકીય પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહીં ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. 

તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. ગાંધીની દાંડીકુચ એક  જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી.  બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને  નિરાશા સિવાય કશું જ ન મળ્યું, કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદ થી જ સૌથી મહત્વની સફળ સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને  ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં પોતાના ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.)  અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજિક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શુદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયો પરના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ  કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ  સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ ચુકવવાની તક દરેક ને મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું.

૧૯૩૯ માં જર્મન નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. ફાસીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુદ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુદ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુદ્ધ લડવા તૈયાર હતા.  બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને તે સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે નિર્ણયાત્મક (અંગ્રેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુદ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯ ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા.

હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિધ્ધાંત (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો.

ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષા ભાવથી સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ  કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો.




#Article 7: ગરબા (891 words)


ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.

નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.

ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્‌ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.

નાદ અને નર્તન આદિમાનવના આંતરિક આવેગ અને ઉર્મિઓની અભિવ્યક્તિ છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.

ગરબાને તાલરાસકનાં પ્રકાર તરીકે સ્વીકારતાં શ્રી ગોવર્ધન પંચાલ લખે છે કે, ’ઐતરૈય આરણ્યક પરંપરાના અનુસંધાનરૂપે તાલરાસક તાલ વગાડીને થતો કોઈ નર્તન પ્રકાર ઉષાના સમયમાં પ્રચલિત હોવાનું સમજાય છે. ઉષાનું લાસ્ય તાલરાસક કે ગરબા જેવો કોઈ પ્રકાર તો નહીં હોય ને ? ઈ.સ.ની ૧૩મી સદીના શારદાતનય રાસક ને લાસક પણ કહે છે ને એ રાસક કે લાસક લાસ્ય સાથે સામ્ય ધરાવે છે અથવા તો જો બન્ને સ્વીકારીએ તો ઉષાના લાસ્યને ગરબા જેવા નર્તન પ્રકાર સાથે જોડી શકાય, કારણ કે ઉપર કહેલી ઐતરૈય આરણ્યકની પ્રણાલિકા સ્ત્રીઓના તાલરાસક જેવા પ્રકારનો ઉલ્લેખ તો કરે છે. આમ જોતાં ગરબા જેવા કોઈ પ્રકારની નર્તન પ્રણાલિકા ગુજરાતમાં જ પ્રથમ ઉષા દ્વારા પ્રચારમાં આવી હોય એમ દેખાય છે.’

ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.

ગરબાનાં બે પ્રકાર છે:

લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટે છે. આ નર્તનમાં સહિયારા સમાનવેગ, સમાન અંગભંગ, સમાનગતી, સમાનસ્ફૂર્તિ, હાથની તાળી અને હાથના હિલ્લોળની સાથે લયબદ્ધતા અને તાલબદ્ધતા હોવી જરૂરી છે. પ્રાચીન ગરબામાં ગીત, લય, સૂર અને તાલની મિલાવટ હોય છે. માત્ર તાલીઓના તાલ આપી સંગીતપૂર્વક પગના ઠેકા સાથે સ્ત્રીઓ-સ્ત્રીઓ, પુરુષો-પુરુષો કે સ્ત્રીઓ-પુરુષો ગોળાકારે સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાલીરાસક કે મંડલરાસક કહેવાય છે. જે હલ્લીસકનૃત્તનો એક પ્રકાર છે. ’અભિનય દર્પણ’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને શીખવ્યું અને દ્વારકાની ગોપીઓ એ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું. આ રીતે પરંપરાગત રીતે લાસ્યનૃત્ય લોકજીવનમાં પ્રતિષ્ઠિત બન્યું. એક અનુમાન પ્રમાણે શ્રી કૃષ્ણના હલ્લીસકનૃત્તના પદગતિ અને હલનચલનમાં ઉષાએ હાથતાળીનું નર્તન ઉમેર્યું તેમજ પુરુષોને તેમાંથી દૂર કર્યા કારણ એકલી સ્ત્રીઓ હશે તો લાસ્ય સવિશેષ લલિત, લાવણ્યમય અને સૌદર્યયુક્ત પ્રસ્તુત થશે. તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકાર તાલી રાસના મુખ્ય અંગો ગણી શકાય.

ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી (ન હોય તો પણ ચાલે). નર્તન ગોળાકારે પૂર્ણ હોય છે. બબ્બે, ચાર ચારની ગુંથણી કે અર્ધવર્તુળમાં રચાતાં રચાતાં ગોળાકાર થાય છે. આ લોકનર્તન ગોળાકારનું સ્વરૂપ જાળવી રાખતાં રાખતાં તેની પ્રવેશ અને પ્રસ્થાનની રચનાઓ અનેકવિધ તાલ, શબ્દો અને તેમાંથી ઊઠતા વિચારો દ્વારા સર્જતું રહે છે. આવું પ્રવેશ અને પ્રસ્થાનનું નાવિન્ય વિશ્વનાં લોકનર્તનમાં અનન્ય છે. પ્રાચીન ગરબામાં હાથતાળી નર્તન મુખ્ય છે. આ ઉપરાંત માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે. તાલીરાસમાં ગવાતા વૃંદગીતોમાં, ગરબે ઘૂમતી વખતે, એકનું એક ગીત પ્રથમ વિલંબિત પછી મધ્ય અને ત્યાર પછી દ્રુતલયમાં સામાન્ય રીતે લેવાય છે.

પ્રાચીન લોકકૃતિ, લોકગીત અથવા દયારામ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં થાય છે. વિષયવસ્તુ વિશેષતઃ ભક્તિપ્રધાન હોય છે. શક્તિની આરાધના, શ્રી કૃષ્ણની લીલાઓ તેમજ લોકજીવનને સ્પર્શતા વિષયોના સાધારણ લોકસમુદાય સહજતાથી ગાઈ શકે તેવા ગેયતા પ્રધાન લોકઢાળના વૃંદગીતો જ હોય છે. મહાકાળી, અંબા, બહુચર, ચાચર, આશાપુરા વગેરે અસંખ્ય દેવીઓનું સ્મરણ કરીને ગરબો ગવાય છે.

ઈ.સ. ૧૭૨૧માં ભાણદાસજીએ રચેલી ગરબી;

અને ઈ.સ. ૧૭૮૦માં વલ્લભ મેવાડાએ રચેલો ગરબો;

આ પહેલાંનું, આ વિશેનું, અન્ય સાહિત્ય હજુ મળેલું નથી. વલ્લભ મેવાડો પ્રાચીન ગરબાઓના પર્યાયરૂપ ગણાય છે. તેના ગરબા (ગરબારૂપે લખાણ)નું કેન્દ્ર માતાની પ્રગટ ભક્તિ છે. મા તું પાવાની પટરાણી.. એ તેનો અતિપ્રસિદ્ધ પ્રાચીન ગરબો છે.આ ઉપરાંત કડીના સાંકળેશ્વર, જુનાગઢના દીવાન રણછોડજી, શામળ, પ્રેમાનંદ, દયારામ, પ્રીતમ વગેરે સર્જકોએ ગુજરાતીમાં ગરબા અને ગરબીઓ આપ્યા છે.ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે. પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં.

મુખ્યત્વે લોકસંગીત જેના તાલોમાં એકતાલ, દાદરા, દીપચંદી, કેરવા, ઘુમાળીને હીંચ વિશેષ લેવાય છે. ત્રણ-ચાર માત્રાના પણ લોકતાલો હોય છે. રાગોમાં સારંગ, ઝીંઝોટી, બાગેશ્રી, માંડ, કાફી, કાલીંગડા, દેશ, ગારા, ખમાજ વગેરેની છાયા હોય છે. રાગની સંપૂર્ણતા નહિવત્‌ હોય છે. આ પ્રકારના પ્રાચીન ગરબાને અનુરૂપ સાદા લોકતાલ, લોકરાગ, લોકઢાળ હોય છે. અને એવાં જ સાદા લોકવાદ્યો હોય છે.

ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે. કેટલાયે કવિઓ અને સંગીતકારોએ આધુનિક ગરબાઓ પણ રચ્યા છે. આ અનેક કલાકારોમાં અવિનાશ વ્યાસનું પ્રદાન વિશેષ છે.




#Article 8: અમદાવાદ (889 words)


અમદાવાદ () ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.

એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. 

સોલંકી વંશનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.

ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.

બાદશાહ અહમદશાહ ઈચ્છતો હતો કે જે વ્યક્તિઓએ કોઈપણ દિવસ બપોરની નમાજ ન પાડી હોય તેવા લોકો દ્રારા શહેર આબાદ બને તે માટે અહમદાબાદની સ્થાપના કરવી. ચાર વ્યક્તિઓએ ઈ.સ. ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી જે ચાર વ્યક્તિઓમાં બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ, મલિક અહમદ અને અહમદ કાઝીનો સમાવેશ થાય છે.

અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.

દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું. 

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી છે જેનાથી શહેરની રોનક બદલાઇ છે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.

અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.

શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે.

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે. તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.

૧૯મી મે ૨૦૧૬ના દિવસે બપોરે ૪૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાવાની સાથે અમદાવાદમાં તાપમાનનો છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો. છેલ્લે ૧૭મી મે ૧૯૧૬ના દિવસે ૪૭.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું. 




#Article 9: મીરાંબાઈ (661 words)


મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

મીરાંબાઈનો  જન્મ  સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.  તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, મારા પતિ કોણ હશે? તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.

નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.

મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.

પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધિ પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળયા. આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં મળે છે,

ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે, 

નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ.
મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.

ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની.

ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ, નામ નહીં છોડું.

કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.

મીરાંબાઈએ ચાર ગ્રંથોની  રચના કરી હતી:

આ સિવાય મીરાબાઈના ગીતોનું  સંકલન 'મીરાબાઈ  કી  પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.

મીરાંની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહી. તે કૃષ્ણના રૂપની દીવાની હતી.

શું કરવું છે મારે, શું રે કરવું છે ?
હીરા માણેકને મારે, શું રે કરવું ?
મોતી ની માળા રાણા, શું રે કરવી છે?
તુલસી ની માળા લઈને પ્રભુ ને ભજવું છે રે.

   




#Article 10: મુંબઈ (4789 words)


મુંબઈ
(મરાઠી: मुंबई); પહેલા  બોમ્બે, તરીકે જાણીતું શહેર ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. મુખ્ય શહેરની વસ્તી અંદાજે ૧ કરોડ ૧૪ લાખ જેટલી છે., જ્યારે શહેરને અડીને આવેલા ઉપનગરો જેવા કે નવી મુંબઈ અને થાણેની કુલ મળીને મુંબઈની વસ્તી 19 મિલિયન(1 કરોડ 90 લાખ) થાય છે. જેને કારણે તે સયુંકત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ મુજબ વિશ્વનું  ચોથા નંબરનું સૌથી સોથી મોટું અર્બન અગ્લૉમરેશન ધરાવતું શહેર છે. જીડીપીની દૃષ્ટિએ તે વિશ્વનું ૩૮મું સૌથી મોટું શહેર  છે. મુંબઈ ભારતના કોંકણ(કે પશ્ચિમ) કિનારે આવેલું છે, જે કુદરતી બંદર ધરાવે છે. ભારતના દરિયાઈ કાર્ગોના અડધા ભાગની હેરફેર મુંબઈના બંદરેથી થાય છે. 

મુંબઈ, ભારતનું આર્થિક અને મનોરંજનનું કેન્દ્ર છે, તે ભારતના જીડીપી માં ૫ ટકાનું યોગદાન આપે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક ઉત્પાદનના ૨૫%, દરિયાઈ વેપારના ૪૦% , અને ભારતીય અર્થતંત્રના નાણાકીય વહેવારોમાં ૭૦ ટકાનું યોગદાન મુંબઈ આપે છે. મુંબઈમાં મહત્વની નાણાકીય સંસ્થાઓના વડા મથક આવેલા છે જેમ કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, [મુંબઈ શેર બજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને ઘણી ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના હેડક્વાર્ટર મુંબઈમાં આવેલા છે. તેમજ બોલીવુડ તરીકે જાણીતો હિન્દી ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગ પણ આ જ શહેરમાં સ્થાયી થયો છે. મુંબઈમાં જીવનધોરણનું પ્રમાણ ભારતના અન્ય રાજ્યો કરતાંં ઉંચું હોવાથી ભારતભરમાંથી લોકો પ્રગતિની તક શોધતા મુંબઈ આવે છે, જેને કારણે મુંબઈ વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓનું કેન્દ્ર બન્યું છે.

મુંબઈ નામ ઈપોનીમ(સ્થાન કે સંસ્થાને પોતાનું નામ આપનાર)  અને  વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ) મુજબ મુંબા અથવા મહા અંબા, હિંદુ ધર્મ ધર્મના દેવી મુંબાદેવી અને આઈ જેનો અર્થ મરાઠીમાં “માતા“ થાય છે તેના મિશ્રણ પરથી ઉદભવ્યું છે.મુંબઈનું પહેલા જાણીતું નામબોમ્બે હતું, જેનો ઉદભવ 16મી સદીમાં પોર્ટુગીઝો આ વિસ્તારમાં આવ્યા ત્યારે થયો હતો. તેઓ આ પ્રદેશને વિવિધ નામે બોલાવતા હતા, અંતે તેમણે બોમ્બેમ લખવાનું શરૂ કર્યું,  જે હજૂ પણ પોર્ટુગીઝ ભાષામાં વપરાય છે. ૧૭મી સદીમાં આ પ્રદેશનો કબ્જો બ્રિટિશરોએ લઈ લેતા તેના નામનું અંગ્રેજીકરણ થયું અને તે બોમ્બે બન્યું. જો કે સ્થાનિક મરાઠી અને ગુજરાતી રહેવાસીઓ તેને મુંબઈ અથવા મંબાઈ, હિંદી , ઉર્દૂ  અને પર્શિયન  ભાષામાં તેને બાંમ્બાઈ કહેવાતું રહ્યું હતું. કેટલોક સમય મુંબઈ તેના જૂના નામે જેમ કે કાકામુચી અને ગાલાજુનકજા તરીકે પણ જાણીતું હતું.૧૯૯૬માં તેના મરાઠી ઉચ્ચાર મુજબ શહેરનું નામ સત્તાવાર રીતે બદલીને મુંબઈ કરવામાં આવ્યું. 

અંગ્રેજી નામ બોમ્બેના ઉદભવ વિશે પ્રચલિત વાત એ છે કે તે પોર્ટુગીઝ ભાષાના એક શબ્દ જેનો અર્થ થાય છે કે “સારો કિનારો” તેમાથી આવ્યું છે. આ એ હકિકત પર આધારીત છે જેમાં પોર્ટુગીઝમાં બોમનો અર્થ “સારો” થાય છે જ્યારે અંગ્રેજી ભાષાનો “બે” શબ્દ પોર્ટુગીઝ ભાષાના baía(જુના સ્પેલિંગમાં bahia) સાથે સામ્ય ધરાવે છે. સામાન્ય રીતે પોર્ટુગીઝ ભાષામાં “સારો કિનારા“ માટે બોબોહિઅ હોવું જોઈએ નહીં કે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું બોંમબાહિઈ. જો કે ૧૬મી સદીની પોર્ટુગીઝ ભાષામાં બાઈમશબ્દનો અર્થ “નાનો કિનારો“ થાય છે. 

અન્ય સ્ત્રોત મુજબ આ શબ્દની ઉત્પતિ માટે અન્ય પોર્ટુગીઝ શબ્દ બોમ્બેઈમને જવાબદાર ગણાવે છે. જોસે પેટ્રો માચાડોસ Dicionário Onomástico Etimológico da Língua Portuguesa( “નામ અધ્યયન અને વ્યુત્પત્તિ શાસ્ત્ર અંગેના પોર્ટુગીઝ શબ્દકોશ”માં  આ સ્થળનો ઉલ્લેખ મળે છે, જેને આ શહેરનો સૌપ્રથમ ઉલ્લેખ ગણી શકાય. 1516માં બેનામાજાંબુ અને ટેના-માઈમંબુ , હિન્દુ દેવી મુંબા દેવીના નામ પરથી મરાઠી ભાષામાં આ સ્થળનું નામ પડ્યુ હતું તેના તરફ નિર્દેશ કરે છે. તે જ સદીમાં તેની જોડણીબોંબેયન(૧૫૨૫) અને ત્યાર બાદ મોબાઈમ(૧૫૬૩) થઈ. જ્યારે શબ્દનું છેલ્લુ સ્વરૂપ બોમ્બેઈમ 16મી સદીમાં જાણવા મળે છે. આ ઉલ્લેખ ગાસ્પર કોરિયાએ લેન્ડાસ ડી ઇન્ડિયા( “લિજેન્ડ ઓફ ઇન્ડિયા“).જે.પી.માચાડો બોંબાહિઈ અંગેની પુર્વધારણાઓને ફગાવી દે છે અને કહે છે કે પોર્ટુગીઝ રેકોર્ડ મુજબ આ સ્થળે એક કિનારો હોવાનો ઉલ્લેખ કરે છે જેના કારણે એંગ્રેજીમાં એવું માની લેવામાં આવે છે કે આ નામ (બાહીયા“બે“) એ પોર્ટુગીઝ ટોપોનીઈમનો એક ભાગ છે જેના કારણે બોમ્બેનું અંગ્રેજી રૂપાંતર પોર્ટુગીઝ ભાષામાંથી અપનાવવામાં આવ્યું છે. 

ઉત્તર મુંબઈમાં આવેલા કાંદિવાલી પાસે મળેલા પ્રાચીન અવશેષો મુજબ આ ટાપુ પાષાણયુગ થી વસવાટ ધરાવતો હતો.  અહીં માનવીય વસવાટના દસ્તાવેજી પુરાવાઓ  ઈસવીસન પુર્વે ૨૫૦ની સાલમાં લઈ જાય છે. ત્યારે આ પ્રદેશને હેપ્ટાનેશિયા(પ્ટોલેમી  - પ્રાચીન ગ્રીક ): સાત ટાપુઓનું ઝુમખું તરીકે ઓળખવામાં આવતો હતો. ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીમાં બુદ્ધ ધર્મ પાળનાર સમ્રાટ અશોક ના મૌર્ય  સામ્રાજ્યનો હિસ્સો હતું.  પહેલાની થોડી સદી દરમિયાન ભારતીય-શકો, પશ્ચિમી સતરાપ્શ  અને સતવાહન  વચ્ચે મુંબઈ પર અંકુશને લઈને વિવાદ થયો. સિલહારા વંશ ના હિન્દુ શાસકો૧૩૪૩ સુધી, એટલે કે જ્યાં સુધી આ ટાપુઓને ગુજરાત  સાથે જોડવામાં ન આવ્યા ત્યાં સુધી તેમણે અહીં રાજ કર્યું. દ્વીપસમૂહના જુના બાંધકામની વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ  અને બાણગંગા કુંડ કેવાલકેશ્વર મંદિર આ યુગ દરમિયાન બંધાયા હતા. 

૧૫૩૪માં, પોર્ટુગીઝોએ આ ટાપુઓનો કબજો ગુજરાતના બહાદુર શાહ પાસેથી લઈ લીધો. ૧૬૬૧માં પોર્ટુગીઝોએ આ ટાપુનો કબજો ઈંગ્લેન્ડના ચાર્લ્સ બીજાને કેથરીન ડી બારાગિઝા સાથેના લગ્નને કારણે દહેજ  તરીકે આપ્યો. ૧૬૬૮માં આ ટાપુઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાર્ષિક ૧૦ પાઉન્ડને ભાડે લીઝ પર આપવામાં આવ્યો.  કંપનીને ટાપુના પૂર્વીય કિનારે કુદરતી બંદર મળ્યુ, જે ઉપખંડમાં માલની હેરફેર માટેના પ્રથમ બંદરની રચના માટે ઉત્તમ હતું.  ૧૬૬૧માં તેની વસતિ ઝડપથી વધીને ૧૦,૦૦૦ થઈ, ૧૬૭૫માં આ સંખ્યા વધીને ૬0,000 થઈ અને ૧૬૮૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેનું વડું મથક સૂરતથી મુંબઈ ખસેડ્યું. ક્રમે ક્રમે મુંબઈ તે વખતની બોમ્બે પ્રેસિડેન્સીનું વડું મથક બની ગયું.

૧૮૧૭ બાદ, શહેરનો ઘાટ બદલવામાં આવ્યો, બાંધકામ ઈજનેરી દ્વારા દ્વીપસમૂહના ટાપુઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યા. આ યોજનાહોર્નબે વેલાર્ડ તરીકે જાણીતી છે, જેનો અંત ૧૮૪૫માં આવ્યો. આને કારણે મુંબઈનો કુલ વિસ્તાર ૪૩૮ ચો. કિમી થયો. ૧૮૫૩માં ભારતની પ્રથમ પેસેન્જર રેલવે લાઈન અહીં નાખવામાં આવી, જે મુંબઈને થાણે સાથે જોડતી હતી. અમેરીકન ગૃહ યુદ્ધ  દરમિયાન(૧૮૬૧-૧૮૬૫), મુંબઈ વિશ્વનું મોટું કપાસ વેપાર કેન્દ્ર બન્યું. જેને કારણે અર્થતંત્રને સારો એવો લાભ થયો અને શહેરની પ્રતિષ્ઠા પણ વધી.

૧૮૬૯માં સુએઝ નહેર  શરૂ થઈ જેને કરાણે અરબી સમુદ્ર માં બોમ્બે એક મહત્વનું બંદર બન્યું.ત્યાર બાદના 30 વર્ષમાં મુંબઈએ ઘણી પ્રગતિ સાધી અને આંતરમાળખાકિય સવલતોમાં વધારો કરવામાં આવ્યો. આ દરમિયાન શહેરમાં ઘણી નવી સંસ્થાઓનું બાંધકામ થયું. ૧૯૦૬માં મુંબઈની વસ્તી ૧૦ લાખના આંકડાને પાર કરી ગઈ, જેને કારણે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં તેનું સ્થાન કોલકાતા પછી બીજું આવ્યું. બોમ્બે પ્રેસિડેન્સી ના પાટનગરને કારણે  તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ નું મોટું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધી દ્વારા ૧૯૪૨માં શરૂ કરાયેલું ભારત છોડો આંદોલન મુંબઈમાંથી જ શરૂ થયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી બાદ, મુંબઈ બોમ્બે સ્ટેટ નું પાટનગર બન્યું. ૧૯૫૦માં ઉત્તર તરફના વધુ કેટલાક ટાપુઓ તરફ પણ શહેરનો વધારો થયો. અહીં પણ વસ્તીએ વસવાટ શરૂ કર્યો હતો.

૧૯૫૫ બાદ, બોમ્બે સ્ટેટના ભાષાવાર ટુકડા કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના કરવામાં આવી. તે સમયે એવી માંગણી કરવામાં આવી હતી કે મુંબઈને સ્વાયત્ત શહેર બનાવવામાં આવે. મુંબઈ નાગરિક સમિતિ એ જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિઓની આગેવાનીવાળી સમિતિ હતી જેનો ઉદ્દેશ મુંબઈને સ્વાયત્ત શહેરનો દરજ્જો તે તો. જો કે, સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન એ આ ખ્યાલનો વિરોધ કર્યો અને મુંબઈને મહારાષ્ટ્રના પાટનગર તરીકે ઘોષિત કરી દીધું. આ વિરોધ પ્રદર્શનોને કારણે પોલીસે કરેલા ફાયરિંગમાં ૧૦૫ લોકોના મોત થયા હતા. આ બાદ  ૧ મે, 1960ના રોજ મુંબઈ સાથે મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ૧૯૯૬માં, આ શહેરનું નામ મહારાષ્ટ્રની શિવસેના સરકારે બોમ્બેને બદલે મુંબઈ તાજેતરમાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના સભ્યો દ્વારા ૨૦૦૮માં મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીયો પર રાજકીય હેતુપર્વક  હુમલા થયા છે. શહેરનો એક છેડેથી બીજા છેડા સુધીનો વિસ્તાર 603 ચોરસ કીલોમીટર છે. (233 ચોરકીમી.)

શહેરની નજીક જ સંજય ગાંધી નેશનલ પાર્ક  ()આવેલુ છે, જે શહેરનો છઠ્ઠા ભાગનો વિસ્તાર રોકે છે. અહીં નોંધવું જોઈએ કે લાખો લોકોની પાસે હોવા છતાં તેમજ તે પ્રજાતિની નિકંદન નીકળી જવાની અણી પર હોવા છતાં બિલાડી પ્રજાતિના પ્રાણીઓ જેવા કે દિપડા  ()અને ચિત્તા હજી પણ નેશનલ પાર્કની અંદર રહે છે. 

ભાત્સા ડેમ ()સિવાય, છ મોટા સરોવરો આ શહેરને પાણી પુરૂ પાડે છે જેમ કે, વિહાર (), વૈતરણા (), ઉપરવાસનું વૈતરણા, તુલસી (), તાન્સા અને પવાઈ (). મુંબઈ શહેરની સરહદમાં જ આવતા બોરિવલ્લી નેશનલ પાર્ક ()ની અંદર જ તુલસી () અને વિહાર સરોવર આવેલા છે. પવાઈ સરોવર પણ શહેરની હદમાં આવે છે જેના પાણીનો ઉપયોગ ઉદ્યોગો માટે થાય છે. ત્રણ નાની નદીઓ જેવી કે , દહીસર, પોઈનસાર(અથવા પોઈસાર) અને ઓહિવારા(અથવા ઓશિવારા) પણ આ જ પાર્કમાંથી ઉદભવ પામે છે. આ ઉપરાંત કુખ્યાત મીઠી નદી () તુલસી સરોવરમાંથી નિકળે છે અને વિહાર અને પવાઈ સરોવરનું પાણી તેમાં ભળે છે. શહેરના દરિયાકાંઠે ઘણી બધી ક્રીક  ()અને કિનારા આવ્યા છે. આ ટાપુના પુર્વ તરફ મોટાપ્રમાણમાં મેંગ્રોવ ()ના વૃક્ષો છે તેમજ ભેજવાળી પોચી જમીન  ()પણ બાયોડાઈવર્સિટીને સમુદ્ધ બનાવે છે. પશ્ચિમ કિનારો મોટાભાગે રેતીવાળો અને ખડકાળ છે. 

દરિયાની નજીક હોવાને કારણે શહેરની જમીન રેતાળ છે. ઉપનગરોમાં જમીનનું પડ કાંપવાળું અને ચીકળું છે. આ પ્રદેશમાં ભૂમિતળેના ખડકો કાળા ડેક્કન  ()બેસાલ્ટ ફ્લોના બનેલા છે અને તેના એસીડ અને પાયા ()ના વિવિધ ભોગો ક્રિટેશસ  ()અને આદિનૂતનમ () યુગનો ઈશારો કરે છે.મુંબઈ ધરતીકંપની રીતે સક્રિય ક્ષેત્ર પર બેઠેલું છે. તેની આસપાસના ભાગોમાં ત્રણ ફોલ્ટ લાઈનો છે. આ વિસ્તારને ત્રીજા ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેનો મતલબ એમ થયો કે રીક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવી શકે છે. 

ટ્રોપિકલ ()(ઉષ્ણકટિબંધ) ઝોનમાં આવતું હોવાથી તેમજ અરેબિયન સાગર () નજીક હોવાથી મુંબઈની આબોહવા મુખ્યત્વે બે ઋતુઓમાં વહેંચાયેલી છે. એક ભેજવાળી અને બીજી સુકી ઋતુ.ભેજવાળી ઋતુ માર્ચ અને ઓક્ટોબર વચ્ચે હોય છે, આ દરમિયાન ભેજનું પ્રમાણ ઉંચુ હોય છે અને તાપમાનનું પ્રમાણ સરેરાશ કરતા વધુ હોય છે.જુન અને સપ્ટેમ્બર સુધી વરસાદની ઋતુ હોય છે, આ દરમિયાન શહેરમાં ધોધમાર વરસાદ ત્રાટકે છે, આજ ભાગમાં શહેરનો વાર્ષિક વરસાદ વરસે છે.સૌથી વધુ વાર્ષિક વરસાદ 1954માં નોંધાયો હતો.એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ () 26 જુલાઈ, 2005ના રોજ નોંધાયો હતો.સુકી ઋતુ નવેમ્બરથી ફ્રેબ્રુઆરી દરમિયાન હોય છે, આ ઋતુમાં ભેજપનું પ્રમાણ મધ્યમ હોય છે અને વાતાવરણ ગરમથી ઠંડી તરફ જાય છે. જાન્યુઆરી અને ફ્રેબ્રુઆરી પડતી ઠંડી માટે ઉત્તરના ઠંડા પવનો જવાબદાર હોય છે.

વાર્ષિક તાપમાનની સૌથી ઉચ્ચથી નીચી કક્ષા.વિક્રમ જનક રીતે ઉચું તપામાન અને નીચું તાપમાન 22 જાન્યુઆરી, 1962માં નોંધાયું હતું. જો કે, સૌથી ઓછું તાપમાન બે હવામાનખાતાની કચેરીઓ દ્વારા નોંધાયું હતું. 8 ફેબ્રુઆરી, 2008ના રોજ શહેરની હદમાં આવતી કાનહેરી ગુફા ()ઓની નજીક આવેલી હવામાન કચેરીએ નોંધ્યું હતું. 

જીડીપી મુજબ મુંબઈ વિશ્વનું 38મું સૌથી મોટું શહેર () છે. જ્યારે ભારતનું તે સૌથી મોટું શહેર છે જેને દેશની આર્થિક રાજધાની પણ કહેવાય છે.ભારત માટે તે આવકનું મોટું કેન્દ્ર છે. ફેક્ટરીની રોજગારીમાં તેનું પ્રદાન 10 %, કુલ આવક વેરા ()માં 40 %, જકાત વેરા ()(કસ્ટમ)માં 60 %, કેન્દ્રીય આબકારી કર ()માં 20 %, વિદેશ વેપાર () અને કોર્પોરેટ ટેક્સ ()માં 40 % છે. મુંબઈની માથાદીઠ આવક, જે રાષ્ટ્રીય સરેરાશથી ત્રણ ગણી વધું છે.ઘણા ભારતીય કોર્પોરેશન(જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (), એલઆઈસી (), તાતા જૂથ (), ગોદરેજ  ()અને રિલાયન્સ ()) અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 ()માં સ્થાન ધરાવતી કંપનીઓ મુંબઈ સ્થિત છે. ઘણી વિદેશી બેંકો અને નાણાકીય સંસ્થાઓની શાખાઓ મુંબઈમાં છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર(મુંબઈ)એ સૌથી પ્રતિષ્ઠ સ્થળોમાંથી એક છે. 1980 સુધી, મુંબઈમાં મોટાભાગે ટેક્ષટાઈલ મિલ અને દરિયાઈબંદરનો વ્યાપ વધુ હતો, પરંતુ ત્યાર બાદ સ્થાનિક અર્થતંત્રમાં વધુ વિવિધતા આવવા લાગી. આ બાદ મુંબઈમાં એન્જિનિયરિંગ, ડાયમંડ પોલિશિંગ, હેલ્થકેર, અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉદ્યોગો વિક્સ્યાં.ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર () મુંબઈમાં આવેલું છે. ભારતના મોટાભાગના સ્પેશિયલાઈઝ, ટેક્નિકલ ઉદ્યોગો પાસે આધુનિક આંતરમાળખાકિય સુવિધાઓ અને કુશળ માનવ બળ છે. મુંબઈમાં નાણાકીય સંસ્થાઓના ઉદય બાદ એરોસ્પેશ, ઓપ્ટિકલ એન્જિનિયરિંગ, મેડિકલ રીસર્ચ, કમ્પ્યુટર અને બધા જ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ, તેમજ વહાણ બાંધકામ, ઉર્જા અને રીન્યુએબલ એનર્જી અંગેના વિવિધ ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે.

શહેરના કુલ માનવબળમાં સરકારી અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો સારો એવો હિસ્સો છે. આ ઉપરાંત મુંબઈમાં મોટાપ્રમાણમાં બિનકુશળ અને ઓછી કુશળતા ધરાવતા લોકોની વિશાળ સંખ્યા છે. જેઓ મોટાભાગે ટેક્સી ચલાવીને, કે ફેરિયા તરીકે કામ કરીને રોજગારી કમાય છે. જ્યારે કેટલાક મિકેનિક તરીકે તો કેટલાક બ્લુ કોલર () વ્યવસાયમાં સંકળાયેલા છે. બંદર અને જહાજ ઉદ્યોગમાં પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કેટલાય લોકોને રોજગારી આપે છે.મધ્ય મુંબઈમાં આવેલી ધારાવી ()માં મોટાપ્રમાણમાં રીસાયક્લિંગ ઉદ્યોગ વિકસ્યો છે. અંહી શહેરના નકામા કચરાને રીસાયકલ કરવામાં આવે છે. આ જિલ્લામાં એક રૃમ ધરાતવી ફેક્ટરીઓની સંખ્યા 15,000 જેટલી છે.

મુંબઈમાં મીડિયા ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. ભારતના મોટાભાગના ટેલિવિઝન અને સેટેલાઈટ નેટવર્ક, તેમજ મોટા પ્રકાશન ગૃહો મુંબઈમાં વડું મથક ધરાવે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર બોલીવુડ  વર્ષ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે. બોલીવુડનું નામ બોમ્બે અને હોલીવુડને ભેગું કરીને પૉર્ટ્મૅન્ટો () દ્વારા બનાવવામાં આવ્યું છે. મરાઠી  ટેલિવિઝન () અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ પણ મુંબઈમાં સ્થિત છે.

૧૯૯૧ બાદ ઉદારીકરણને કારણે મુંબઈની સાથે સાથે સમગ્ર ભારતમાં પણ અર્થતંત્રમાં તેજી જોવાઈ હતી. ૯૦ ના મધ્યમાં નાણાકીય,  આઈટી, નિકાસ, સેવા અને આઉટસોર્સિંગમાં તેજી જોવાઈ હતી.  મુંબઈના મધ્યમ વર્ગને આ તેજીની ઘણી અસર થઈ, જેથી તે ગ્રાહકીય તેજી લાવવામાંમુખ્ય પરિબળ બન્યું. મુંબઈકરની આવક વધતા તેઓને ખરીદશક્તિ પણ વધી જેથી ગ્રાહકોની ખર્ચવાની તાકાત પણ વધી.વિશ્વમાં વેપાર કેન્દ્રોની અનુક્રમણિકા (), 2008માં મુંબઈનું સ્થાન 48મું છે. એપ્રિલ 2008માં, ફોર્બ્સ  ()મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા “અબજોપતિઓ માટેના ટોચના 10 શહેરો”માં મુંબઈને સાતમું સ્થાન આપવામાં આવ્યું હતું. 
મુંબઈ, જેમાં ટાપુ શહેર અને ઉપનગરોનો સમાવેશ થાય છે તેનું સંચાલન બ્રૃહદમુંબઈ મહાનગરપાલિકા(બીએમસી) (જે પહેલા બોમ્બે મહાનગરપાલિકા તરીકે જાણીતી હતી) દ્વારા થાય છે. બધી સત્તા મ્યુનિસિપલ કમિશનર () પાસે હોય છે, જે આઈએએસ અધિકારી  ()હોય છે, જેમની નિમણૂંક રાજ્ય સરકાર ()કરે છે. મહાનગરપાલિકામાં 227 જેટલા કાઉન્સિલરો(નગર સેવકો) હોય છે જેવો વિવિધ 24 જેટલા મ્યુનિસિપલ વોર્ડ ()નું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત પાંચ નિયુક્ત કરાયેલા કાઉન્સિલરો હોય છે,  અંહી મેયર ()ની પણ નિમણૂંક થાય છે. મેટ્રોપોલિટન શહેર મુંબઈની બધા જ પ્રકારની નાગરિકી અને આંતરમાળખાકીય સવલતો પર બીએમસીનો કાબુ હોય છે. વહીવટ માટે દરેક વોર્ડમાં મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરાય છે. નગરસેવકોની ચૂંટણીમાં ઘણા બધા પક્ષો પોતાના ઉમેદવારો ઉભા કરે છે.મુંબઈ મેટ્રોપોલિટન રીઝન(પ્રદેશ) ()માં સાત મહાનગરપાલિકા અને 13 મ્યુનિસિપલ કાઉન્સિલનો સમાવેશ થાય છે. બીએમસીમાં સાત જેટલી મહાનગરપાલિકાઓને પણ સામેલ કરવામાં આવી છે જેમાં થાણે (), કલ્યાણ-ડોમ્બિવલી (), નવી મુંબઈ (), મીરા- ભાયંદર (), ભિવંડી-નિઝામપૂર () અને ઉલ્હાસનગર ()નો સમાવેશ થાય છે.બ્રૃહદ મુંબઈ મહારાષ્ટ્રના બે જિલ્લાઓનું નિર્માણ કરે છે. આ બન્ને જિલ્લાઓનું અધિકાર જિલ્લા કલેક્ટર () હસ્તક હોય છે. કલેક્ટરે મુખ્યત્વે વિવિધ પ્રકારની સંપતિઓનો રેકોર્ડ રાખવાનું  તેમજ કેન્દ્ર સરકાર  ()માટે મહેસુલ ઉઘરાવવાનું અને રાષ્ટ્રીય ચૂંટણીઓની દેખરેખ રાખવાનું છે.

મુંબઈ પોલીસ ()ના વડા પોલીસ કમિશનર () હોય છે જેઓ આઈપીએસ  ()અધિકારી હોય છે. મુંબઈ પોલીસ રાજ્યના ગૃહ વિભાગના હાથ નીચે કામ કરે છે. શહેર સાત પોલીસ અને 17 ટ્રાફિક પોલીસ વિભાગમાં વહેંચાયેલું છે. દરેકની આગેવાની નાયબ પોલીસ કમિશનર કરે છે. ટ્રાફિક પોલીસ મુંબઈ પોલીસના હાથ નીચેની સ્વાયત્ત બોડી છે. મુંબઈ ફાયર બ્રિગેડ  ()વિભાગની આગેવાની ચીફ ફાયર ઓફિસર કરે છે જેમના હાથ નીચે ચાર નાયબ ચીફ ફાયર ઓફિસર અને છ વિભાગીય અધિકારીઓ હોય છે. 

મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટ  ()આવેલી છે બોમ્બે હાઈકોર્ટનો  ક્ષેત્રાધિકાર, મહારાષ્ટ્ર, ગોવા (), અને કેન્દ્રશાસિત પ્રદેશો  ()દમણ અને દિવ (), અને દાદરા અને નગર હવેલી  ()સુધી છે. મુંબઈમાં બે નીચલી અદાલતો પણ છે, નાગરીકી બાબતો માટે સ્મોલ કોઝ કોર્ટ () અને ગુનાઓ માટેની સેશન્સ કોર્ટ ().મુંબઈમાં આતંકવાદી પ્રવતિઓ ચલાવતા લોકો માટે વિશેષ ટાડા(ટેરરીસ્ટ એન્ડ  ડિસ્રપ્ટિવ એક્ટીવીટી)કોર્ટ છે. 

લોકસભા () માટે મુંબઈમાંથી છ સાંસદોની ચૂંટણી થાય છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા  ()માટે 34 ધારાસભ્યો ચૂંટાય છે.મુંબઈની આગેવાની મેયર શુભા રાઉલ (), મ્યુનિસિપલ કમિશનર () જયરાજ ફાટક (), અને શેરીફ  ()ઈન્દુ શાહની () કરે છે. 

  ()દક્ષિણ એશિયા ()નું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. મુંબઈની વાહનવ્યવહાર વ્યવસ્થામાં મુંબઈ ઉપનગરીય રેલવે સેવા (), બેસ્ટ (), બસ, ટેક્સી, ઓટોરીક્ષા (), ફેરી, અને એરોપ્લેનનો સમાવેશ થાય છે.મેટ્રો અને મોનોરેલવેનું હાલમાં બાંધકામ ચાલું છે.

મુંબઈ બે રેલવે વિભાગનું વડું મથક છે. એક મધ્ય રેલવે(સીઆર) જેનું વડું મથક છત્રપતિ શિવાજી ટર્મિનલ ()માં છે અને બીજૂં પશ્ચિમ રેલવે (ડબલ્યુઆર)જેનું વડું મથક ચર્ચગેટ  ()નજીક છે. શહેરના વાહનવ્યવહારની કરોડરજ્જુ મુંબઈ ઉપનગરીય રેલવે સેવા છે, આ સેવા ત્રણ અલગ અલગ નેટવર્ક દ્વારા ઉત્તરથી દક્ષિણ દિશામાં ચાલે છે. 
મુંબઈ મેટ્રો  ()ટ્રેન,  અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રેલવે સિસ્ટમનું હાલમાં બાંધકામ ચાલુ છે. 2011 તેનું કામ પૂરૂ થશે ત્યારે તે  વર્સોવા, અંધેરી થી ઘાટકોપર સુધી જશે.  જ્યારે મુંબઈ મોનોરેલ () શરૂ થશે ત્યારે તે જેકોબ સર્કલથી વડાલા વચ્ચે દોડશેમુંબઈ દેશના અન્ય ભોગ સાથે ભારતીય રેલવે  ()દ્વારા જોડાયેલું છે. આ ટ્રેનો છત્રપતિ શિવાજી ટર્મિનલ, દાદર (), લોકમાન્ય તિલક ટર્મિનલ (), મુંબઈ સેન્ટ્રલ (), બાંદ્રા ટર્મિનલ () અને અંધેરીથી ઉપડે છે. મુંબઈની ઉપનગરીય રેલવે સેવા દ્વારા રોજના 6.3 મિલિયન(60 લાખ 30 હજાર) લોકો પ્રવાસ કરે છે. 

બેસ્ટ દ્વારા ચલાવવામાં આવતી બસો મોટાભાગના શહેરની સાથે સાથે નવી મુંબઈ () અને થાણે ()ને પણ આવરી લે છે. આ બસોનો ઉપયોગ ટુકાં અંતરથી લઈને લાંબા અંતરની મુસાફરી માટે થાય છે. જ્યારે લાંબા અંતર માટે ટ્રેન સેવાઓ સસ્તી પડે છે.  બેસ્ટ કુલ 3,408 બસ ચલાવે છે,  જે દ્વારા વિવિધ 340 રૂટો દ્વારા 4.5 મિલિયન(40 લાખ 50 હજાર) પેસેન્જરોને તેમના લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. બેસ્ટના બસના કાફલામાં સિંગલ ડેકર, ડબલ ડેકર,  વેસ્ટિબ્યૂલ, લો ફ્લોર, વિકલાંગોને તકલીફ ન પડે તેવી, એર કન્ડિશન્ડ અને યુરો ત્રણ () ધોરણોવાળી તેમજ સીએનજી દ્વારા ચાલતી બસોનો સમાવેશ થાય છે.એમએસઆરટીસી  ()મુંબઈને મહારાષ્ટ્ર અને ભારતના અન્ય વિસ્તારોને બસ સેવા દ્વારા જોડે છે. મુંબઈમાં આવેલા પ્રવાસના સ્થળો ()નું દર્શન કરાવતી મુંબઈ દર્શનએ પ્રવાસી બસ સર્વિસ છે. સમગ્ર મુંબઈમાં બીઆરટીએસની અલગ લાઈન બનાવવામાં આવશે જેનું બાંધકામ ૨૦૦૯માં શરુ થયું છે. 

કાળા અને પીળા કલરની અને મીટર ધરાવતી ટેક્સી () મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં દેખાય છે.મુંબઈના ઉપનગરોમાં ઓટોરીક્ષાની સેવા છે. લોકોની મંનપસંદ સેવા ઓટોરીક્ષા છે, આ રીક્ષાઓ સીએનજી પર ચાલે છે. પોતાના મંઝીલ સુધી પહોંચવા માટે આ ત્રણ પૈડાની સેવા ઘણી ઝડપી છે. આ ઉપરાંત તે ઘણી સસ્તી સેવા છે, રીક્ષામાં ત્રણ યાત્રીઓ બેસી શકે છે. 

મુંબઈનું છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ  ()શહેરનું મુખ્ય વિમાનસંચાલનનું કેન્દ્ર છે. આ દક્ષિણ એશિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જુહૂ એરોડ્રામ  ()ભારતનું સૌથી પહેલું વિમાનીમથક હતું.હાલમાં તેનો ઉપયોગ ફ્લાઈંગ કલબ અને હેલીપોર્ટ માટે થાયછે. પ્રસ્તાવિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ  ()જે કોપરા પનવેલ વિસ્તારમાં બંધાવાનું છે. આ એરપોર્ટને કેન્દ્ર સરકાર પરવાનગી આપી દીધી છે. આ એરપોર્ટ બનવાથી હાલના એરપોર્ટની વ્યવસ્તતામાં ઘટાડો થશે. ભારતના ઘરેલુ પેસેન્જરનો ૨૫% અને  દેશના કુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જરનો ૩૮% ટ્રાફિક મુંબઈ વહન કરે છે. 

મુંબઈની વિશેષ પ્રકારની સ્થાનિક ભૂગોળને કારણે તે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કુદરતી બંદર છે.  આ બંદર દેશના કુલ પેસેન્જર ટ્રાફિકના 50 % ટકા અને તેના જેટલો જ કાર્ગો ટ્રાફિક પણ વહન કરે છે. ઉપરાંત ભારતીય નૌકાદળ ()નું મહત્વનું મથક પણ અંહી આવ્યું છે, જે પશ્ચિમી નૌકા કમાન્ડનું વડૂં મથક છે.અંહી ઉપલબ્ધ ફેરી સર્વિસને કારણે પણ લોકોને ટાપુ પર અને અન્ય બીચ પર જવાનું સસ્તું પડે છે.

બીએમસી () શહેરને પીવાનું પાણી પૂરુ પાડે છે. જે મોટાભાગે તુલસી અને વિહાર સરોવર તેમજ કેટલાક અન્ય સરોવરમાંથી આવે છે. આ પાણીને ભાંડુપ () ખાતે શુદ્ધ કરવામાં આવે છે, જે એશિયાનો સૌથી મોટો શુદ્ધીકરણ પ્લાન્ટ છે. ભારતની સૌપ્રથમ ભૂગર્ભ પાણીની પાઈપલાઈન પણ મુંબઈમાં બાંધવામાં આવશે.આ ઉપરાંત, બીએમસી શહેરના રોડના રખરખાવ અને કચરાના એકત્રીકરણ માટે જવાબદાર છે. મુંબઈમાં દરરોજનો આશરે 7,800 મેટ્રીક ટન જેટલો કચરો ઉત્તર પશ્ચિમમાં આવેલા ગોરાઈ ()માં, ઉત્તરપુર્વમાં આવેલા મુલુંડ  ()અને પુર્વમાં દેઓનાર ()ના ગ્રાઉન્ડમાં ડમ્પ કરવામાં આવે છે. Sewage treatment is carried out at Worli () and Bandra (), and disposed off by two independent marine outfalls of  and  at Bandra and Worli respectively. ત્રીજો આઉટફ્લોનું મલાડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. 

મુંબઈમાં વીજળીના પુરવઠાની વેંચણી બેસ્ટ () દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઉપનગરોમાં રીલાયન્સ એનર્જી (), તાતા પાવર  ()અને મહાવિતરણ ()(મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી ડિસ્ટ્રીબ્યુશન કું.લી) જેવી કંપનીઓ આ વ્યવસ્થા સંભાળે છે. મોટાભાગની વીજળીનું ઉત્પાદન પાણી દ્વારા અને પરમાણૂ દ્વારા કરવામાં આવે છે.  તેની ઉત્પાદન ક્ષમતા કરતા તેની ખપત વધુ ઝડપે વધી રહી છે. મુંબઈમાં સૌથી મોટી ટેલિફોન સર્વિસ આપનાર કંપની કેન્દ્ર સરકાર હસ્તકની એમટીએનએલ () છે. જેની પાસે 2000ની સાલ સુધી ફિક્સ લાઈન અને સેલ્યુલર સર્વિસ પુરી પાડવાનો ઈજારો હતો. આ કંપની મોબાઈલ અને  ડબલ્યુએલએલ () સેવા પણ આપે છે. મુંબઈમાં સેલફોનનું ક્ષેત્ર વ્યાપક છે. અંહીના મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ, વોડાફોન એસ્સાર (), એરટેલ (), એમટીએનએલ, બીપીએલ ગ્રુપ (),રીલાયન્સ કમ્યૂનિકેશન (), આઈડિયા સેલ્યુલર () અને તાતા ઈન્ડિકોમ  ()છે. શહેરમાં જીએસએમ અને સીડીએમએ  એમ બન્ને પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણોની સંખ્યા વધી રહી છે. આ ક્ષેત્રમાં એમટીએનએલ અને તાતા () મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ છે.

મુંબઈમાં જે ધર્મના લોકો રહે છે તેમાં હિંદુ  ()ઓ (67.39%), મુસ્લિમ ()ઓ (18.56%), બૌદ્ધ ધર્મી ()ઓ (5.22%), જૈન ()ઓ (3.99%) અને ખ્રિસ્તી ()ઓ (3.72%), શીખ ()ઓ અને  પારસી ()ઓ જે વસ્તીનો બાકીનો હિસ્સો પૂરો કરે છે..ભાષાવાર મુજબ વસ્તી જોઈએ તો મહારાષ્ટ્રીયન () (53%), ગુજરાતીઓ () (22%), ઉત્તર ભારતીયો () (17%), તમિળો () (3%), સિંધી () (3%), તુલુવાસ ()/કન્નાડીગાઝ () (2%) અને અન્ય.ભારતના વિવિધ છેડેથી લોકો આવતા હોવાથી અહીં વિવિધ પ્રકારની સંસ્કૃતિનું મિશ્રણ જોઈ શકાય છે.શહેરમાં રહેલી વ્યાપારની તકોને કારણે વિદેશી નાગરીકો પણ આ શહેર તરફ આકર્ષાય છે. 

અન્ય ભારતીય મહાનગરો ()ની જેમ મુંબઈમાં પણ  લોકોની સારી એવી સંખ્યા છે. મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા મરાઠી () છે જે વ્યાપક પણે બોલાય છે. અન્ય બોલાતી ભાષાઓમાં હિન્દી (), ગુજરાતી () અને અંગ્રેજી મુખ્ય છે. હિન્દીની રોજબરોજની કામગીરીમાં બોલાતો પ્રકાર મુંબૈયા () તરીકે પ્રખ્યાત છે જેમાં મરાઠી, હિન્દુ, ભારતીય અંગ્રેજી () અને અન્ય શોધાયેલા શબ્દોનું મિશ્રણ હોય છે. આ ભાષા મુંબઈની ગલીઓમાં બોલાય છે. અંગ્રેજી ભાષાનો વ્યાપક પણે ઉપયોગ થાય છે. વાઈટ કોલર () જોબ(મોટા પગારની નોકરી કરતા) કરતા લોકોની આ મુખ્ય ભાષા છે. 

વિકાસશીલ  ()દેશોના ઝડપથી ઉભરી રહેલા શહેરોમાં શહેરીકરણને કારણે જે સમસ્યાઓ ઉભી થાય છે તેવી જ સમસ્યાઓ મુંબઈમાં પણ છે, જેમ કે વ્યાપક પ્રમાણમાં ગરીબી, બેરોજગારી, આરોગ્ય, અને મોટાભાગના લોકો માટે નબળી કક્ષાનું શૈક્ષણિક ધોરણ અને સિવિક સેવાઓ.  મુંબઈમાં રહેઠાણોની કિંમત ઘણી વધુ હોય છે, જેને કારણે લોકો સાંકડી જગ્યાઓ અને પ્રમાણમાં મોંઘા મકાનોમાં રહે છે. જે મોટાભાગે તેમના કામ કરવાના સ્થળથી દુર હોય છે. આ કારણે તેમને ઓફિસ સુધી જવા માટે લાંબુ અંતર રોડ દ્વારા કે ટ્રેન દ્વારા કાપવું પડે છે.  2001ની વસ્તી ગણતરી મુજબ, મુંબઈના 54.1 % લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.1991 થી 2001ના દશકા દરમિયાન મહારાષ્ટ્ર ()ની બહારથી જે લોકો મુંબઈમાં આવ્યા તેઓની સંખ્યા 1.12 મિલિયન( 10 લાખ 12 હજાર) છે. જે મુંબઈની વસ્તીના કુલ વધારાના 54.8 % છે. 2004ના વર્ષમાં મુંબઈમાં અપરાધના 27,577 જેટલા બનાવો નોંધાયા છે.જે 2001માં નોંધાયેલા 30,991 ગુનાઓ કરતા 11 % ઓછા છે.શહેરની મુખ્ય જેલ આર્થર રોડ જેલ () છે.

મુંબઈમાં રહેતા લોકોને મુંબઈકર  ()કહેવાય છે. મુંબઈવાસીઓ.તેમના કામ કરવાના સ્થળે જલ્દી જઈ શકે તે માટે ઘણા લોકો રેલવે સ્ટેશનની પાસે જ રહે છે. કારણ કે પ્રવાસમાં ઘણો બધા સમય વ્યય થાય છે. ભારતના લોકો  તીખી અને મસાલેદાર વસ્તુઓ આરોગે છે. મુંબઈમાં પણ સમુદ્ધ રાંઘણકળા છે. પરંતુ અંહી અન્ય ભારત કરતા ઓછા તીખા અને મસાલેદાર વ્યંજનો હોય છે. અંહીની કેટલીક ખાવાલાયક ચીજવસ્તુઓની યાદીમાં ધનશાક,ખીચડી, બોમ્બાઈ બટાટા ભાજી, કામાગ કાકરી, સોલાચી કઢી, મિનિ વેલા કરીઅને કરીબોમ્બે ડક ()નો સમાવેશ થાય છે.રોડની આજૂબાજૂમાં સ્થાનિક વાનગીઓ જેવી વાડાપાંઉ (), પાણીપૂરી (), પાવભાજી અને ભેલપૂરી () પ્રખ્યાત છે.શહેરમાં ઘણી નાની રેસ્ટૉરૉં પણ છે(જે ને ઉડીપી  રેસ્ટૉરૉં પણ કહે છે.) જે દક્ષિણ ભારતીય અને પંજાબી વાનગીઓ પીરસે છે. શહેરમાં  રેસ્ટૉરૉંનો એક અલગ પ્રકાર પણ છે જેને ઈરાની  રેસ્ટૉરૉં કહે છે. આ  રેસ્ટૉરૉંમાં એક પરંપરાગત મેનુ હોય છે જેની સાથે પ્રખ્યાત ઈરાની ચા અથવા ચાઈ આપવામાં આવે છે.

ભારતીય સિનેમા ()નું જન્મસ્થળ મુંબઈ છે. દાદાસાહેબ ફાળકે ()એ 20મી સદીમાં મુંગી ફિલ્મોનું નિર્માણ કર્યું ત્યાર બાદ મરાઠી ટોકી ()ની પણ શરૃઆત થઈ. સૌથી જૂની ફિલ્મો પ્રદર્શિત થઈ તે 20મી સદીમાં બની હતી. મુંબઈમાં મોટાપ્રમાણમાં પણ થિયેટર છે, જેમાં વિશ્વનું સૌથી મોટું આઈમેક્સ () ડોમ થિયેટરનો સમાવેશ થાય છે. જેમાં બોલીવુડ, મરાઠી, અને હોલીવુડ ()ની ફિલ્મો પ્રદર્શિત થાય છે. વર્ષ દરમિયાન ઘણા ફિલ્મ ફેસ્ટીવલ આયોજીત કરવામાં આવે છે. મોટાભાગના વ્યવસાયી નાટ્ય મંડળો બ્રિટીશ રાજ દરમિયાન બન્યા હતા, તેઓ 1950ના દાયકામાં લુપ્ત થયા, આ બાદ મુંબઈમાં અનોખી “નાટ્ય ચળવળ“ ચાલી જેમાં  મરાઠી, હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં નાટકો બનતા હતા.

સમકાલિન કળા સરકારી નાણાં દ્વારા ચાલતી કળા સંસ્થાઓ અને અંગત વ્યવસાયી ગેલેરીઓમાં પ્રદર્શિત થતી રહે છે.સરકારી નાણા દ્વારા ચાલતી આર્ટ ગેલેરીઓમાં જહાંગીર આર્ટ ગેલેરી () અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ()નો સમાવેશ થાય છે. 1833માં એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે ()ની સ્થાપના થઈ હતી, જે શહેરનું સૌથી જૂનુ જાહેર પુસ્તકાલય  ()છે.દક્ષિણ મુંબઈ ()માં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય ()(પહેલા પ્રિન્સ વેલ્સ મ્યુઝીયમ તરીકે જાણીતું હતું.) જાણીતું મ્યુઝીયમ છે. ગેટવે ઓફ ઇન્ડિયા ()ની નજીક આવેલા આ મ્યુઝીયમમાં ભારતીય ઇતિહાસની પ્રાચીન વસ્તુઓને પ્રદર્શીત કરવામાં આવી છે. મુંબઈમાં પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય આવે છે જેને જીજામાતા ઉધાન () કહેવાય છે. તેની સરહદ પર બગીચો અને બંદર આવેલું છે. 

મુંબઈમાં બે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ  ()આવેલી છે, એક છત્રપતિ શિવાજી ટર્મિનલ () અને એલિફન્ટાની ગુફાઓ ().શહેરના અન્ય જાણીતા સ્થળો નરીમાન પોઈન્ટ (), ગિરગામ ચોપાટી (), જૂહૂ બીચ ()અને મરીન ડ્રાઈવ () છે. થીમ પાર્કએસેલ વર્લ્ડ  ()પણ ઘણો પ્રખ્યાત છે, જે ગોરાઈ સમુદ્ર કિનારાથી નજીક છે. એશિયાનો સૌથી મોટો થીમ વોટર પાર્ક, વોટર કિંગ્ડમ પણ મુંબઈમાં આવેલો છે. 

મુંબઈના રહેવાસીઓ ભારે ધામધૂમપૂર્વક પશ્ચિમિ () અને ભારતીય તહેવારો ()ની ઉજવણી કરે છે. મુંબઈમાં પ્રખ્યાત તહેવારોમાં દિવાળી (), હોળી (), ઈદ (), ક્રિસમસ (), નવરાત્રી (), ગુડ ફ્રાઈડે (), દશેરા (), મોહરમ (), ગણેશ ચતૂર્થી (), દુર્ગા પુજા () અને મહાશિવરાત્રી ()નો સમાવેશ થાય છે. સંગીત, નૃત્ય, નાટ્ય અને ફિલ્મ જેવા વિવિધ ક્ષેત્રને સાંકળી લેતો એક ફેસ્ટીવલ યોજાય છે જેને કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ  ()કહે છે. જેમાં વિવિધ લોકો પોતાની કળાનું પ્રદર્શન કરે છે.બે અઠવાડીયા સુધી ચાલતો મેળો બાંદ્રા ફેર ()તરીકે ઓળખાય છે જેમાં બધા જ ધર્મના લોકો ભાગ લે છે. સંગીત સમારોહ પર આધારિત બાણગંગા ફેસ્ટિવલ બે દિવસ સુધી ચાલે છે. જેનું આયોજન મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવેલપ્મન્ટ કોર્પોરેશન દ્વારા મુંબઈમાં આવેલા ઐતિહાસિક બાણગંગા () કૂડ પાસે કરવામાં આવે છે. એલિફન્ટા ફેસ્ટિવલ જેનું આયોજન ફ્રેબ્રુઆરી મહિનામાં એલિફન્ટા ટાપુઓ () પર થાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ક્લાસિકલ ભારતીય નૃત્ય અને સંગીતના કલાકારો અંહી ઉમટી પડે છે. 

મુંબઈને નીચેના કેટલાક શહેરો સાથે સિસ્ટર સીટી  () સમજૂતીઓ છે.

મુંબઈમાં ઘણા બધા અખબારો (), પ્રકાશનો, અને ટેલિવિઝન અને રેડીયો સ્ટેશન આવેલા છે. જે અંગ્રેજી ભાષાના જાણીતા અખબારો મુંબઈ ખાતેથી પ્રકાશિત અને વેચાય છે તેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (), મિડ-ડે (), હિન્દુસ્તાન ટાઈમ્સ (), ડીએનએ (), અને ઈન્ડિયન એક્સપ્રેસ ()નો સમાવેશ થાય છે.મરાઠી ભાષાના અખબારોમાંલોકસત્તા (), લોકમત () અને મહારાષ્ટ્ર ટાઈમ્સ ()નો સમાવેશ થાય છે.અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ અખબારો પ્રગટ થાય છે. મુંબઈમાંથી એશિયાનું સૌથી જૂના અખબાર બોમ્બે સમાચાર () પ્રગટ થાય છે, ગુજરાતી ભાષાનું આ દૈનિક 1822થી નિયમિત પણે પ્રગટ થાય છે. મરાઠી ભાષાનું પહેલુ અખબાર બોમ્બે દર્પણ -ની શરૂઆત મુંબઈમાં 1831માં બાલાશાસ્ત્રી જાંભેકરે કરી હતી.લોકપ્રિય સામાયિકોમાં મરાઠીમાં સાપ્તાહિક સકાલ, લોકપ્રભા, અને અંગ્રેજીમાં ઇન્ડિયા ટુડે () અને આઉટલુકનો સમાવેશ થાય છે.

મુંબઈમાં કેટલીયભારતીય () અને વિદેશી ચેનલો જોવાય છે. મુંબઈવાસીઓ કેબલ દ્વારા 100થી વધુ ચેનલો જોઈ શકે છે, આ ચેનલોના કાર્યક્રમ મુંબઈમાં વસતા વિવિધ પ્રદેશોના લોકો ()ના મનોરંજન માટે પ્રસારીત કરવામાં આવે છે. મહાનગરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા કોર્પોરેશનનું પણ મથક છે. અંહી મોટી સમાચાર ચેનલો અને પ્રિન્ટ પબ્લિકેશનોનીવિશાળ હાજરી છે.રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શન  ()બે પ્રાદેશિક ચેનલ મફત પૂરી પાડે છે. જ્યારે ત્રણ મોટા કેબલ નેટવર્ક અન્ય લોકોને સેવા આપે છે.  મુંબઈમાં ઈએસપીએન (), સ્ટાર સ્પોર્ટસ (), ઝી મરાઠી (), ઈટીવી મરાઠી (), ડીડી સહ્યાદ્રી, મી મરાઠી, ઝી ટોકીઝ, ઝી ટીવી (), સ્ટાર પ્લસ () અને અન્ય સમાચાર ચેનલો જેવી કે સ્ટાર માઝા લોકપ્રિય છે. મુંબઈ અને મહારાષ્ટ્રના દર્શકોને સમર્પિત હોય તેવી મરાઠી સમાચાર ચેનલોમાં સ્ટાર માઝા (), ઝી 24 તાસ  ()અને સહારા સમય મુંબઈ છે. સેટેલાઈટ ટેલિવિઝન(ડીટીએચ)  ()સેવા તેની મોંઘી કિંમતને લીધે હજૂ સુધી બધા જ લોકો સુધી પહોંચી શકી નથી અંહી જે લોકપ્રિય ડીટીએસ સેવા છે તેમાં ડીસ ટીવી  ()અને ટાટા સ્કાય ()નો સમાવેશ થાય છે. મુંબઈમાં 12 રેડિયો સ્ટેશન છે જેમાંથી 9 સ્ટેશનો એફએમ () બેન્ડ પર પ્રસારિત થાય છે. અને ત્રણ ઓલ ઇન્ડિયા રેડિયો () સ્ટેશન એએમ () બેન્ડ પર પ્રસારીત થાય છે. મુંબઈમાં કમર્શિયલ રેડિયો  ()પ્રોવાઈડર્સ જેમ કે વર્લ્ડ સ્પેશ (), સાઈરસ () અને એક્સએમ () લોકપ્રિય છે. કન્ડિશનલ એક્સેસ સિસ્ટમ(સીએએસ)નો કેન્દ્ર સરકાર  ()દ્વારા 2006થી અમલ કરાવવામાં આવી રહ્યો છે પરંતુ ડાઈરેક્ટ ટુ હોમ(ડીટીએચ) () સેવાની તીવ્ર સ્પર્ધાને કારણે જોઈએ તેટલા પ્રમાણમાં સીએએસ પ્રચલિત થયું નથી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલીવુડ  ()મુંબઈમાં સ્થિત છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ વર્ષે 800 જેટલી ફિલ્મો બનાવે છે જે હોલીવુડ ()ની સરખામણીમાં બે ગણી છે. આમાંથી બોલીવુડ જ 150 જેટલી ફિલ્મો બનાવે છે. ગોરેગાંવમાં આવેલા ફિલ્મ સ્ટુડીયો જેમાં ફિલ્મ સીટી ()નો પણ સમાવેશ થાય છે તેમાં ઘણી બધી ફિલ્મો માટેના સેટ્સ ઉપલબ્ધ છે. મરાઠી ફિલ્મ ઉદ્યોગ ()પણ મુંબઈમાં આવેલો છે. 2009ના વર્ષ માટેનો શ્રેષ્ઠ ચલચિત્ર () માટેનો એકેડેમી એવોર્ડ () મેળવનાર ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર () પણ મુંબઈના કેટલાક ભાગોમાં શુટ કરાઈ છે. તેની કથા પણ મુંબઈની ઝૂંપડપટ્ટીને લગતી છે.

મુંબઈમાં આવેલી શાળાઓ મ્યુનિસિપલ સ્કુલ (બીએમસી દ્વારા સંચાલિત) અથવા ખાનગી શાળાઓ(ટ્રસ્ટ અથવા અંગત ધોરણે ચલાવાતી) હોય છે. જેમાં કેટલાક કેસોમાં તેઓ સરકાર તરફથી સહાય મેળવે છે. આ શાળઆઓ, મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ(એમએસબીએસએચએસઈ) (), ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન(સીઆઈએસસીઈ) () અનેસેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડ્રી એજ્યુકેજ્શન બોર્ડ  ()સાથે જોડાયેલી હોય છે. મોટાભાગે શિક્ષણનું માધ્યમ મરાઠી અથવા અંગ્રેજી હોય છે. સરકારી શાળાઓમાં ઘણી બધી સુવિધાઓનો અભાવ હોય છે પરંતુ ખાનગી શાળાઓમાં ન જઈ શકતા ગરીબ લોકો માટે આ જ એક માત્ર વિકલ્પ હોય છે વધુ સારી સુવિધાઓને કારણે મોટાભાગના લોકો ખાનગી શાળાઓ જ પસંદ કરે છે. 

મુંબઈમાં ભારતની ટોચની બે સંશોધન સંસ્થાઓ આવેલી છે. ધ ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટ રિસર્ચ (ટીઆઈએફઆર ())અને ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર(બીએઆરસી ()).બીએઆરસી 40 મેગા વોટ પરમાણુ સંશોધન રિએક્ટર સાઈરસ () ચલાવે છે, જે ટ્રોમબે  ()ખાતે આવેલું છે.

મુંબઈમાં (અને દેશમાં) સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. ક્રિકેટ રમતા લોકોની સરખામણીમાં સ્ટેડિયમની ઓછી સંખ્યાને કારણે ક્રિકેટનું રૂપાંતરિત સ્વરૂપ ()(જેને મોટભાગે ગલી ક્રિકેટ કહેવાય છે) જેમાં વિવિધ પ્રકારના નિયમો હોય છે તે ગમે ત્યાં રમી શકાય છે જેમ કે પાર્કીગ લોટ, બગીચા કે પછી ચાલીઓમાં. મુંબઈમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા ()(બીસીસીઆઈ)નું વડું મથક આવેલું છે. ભારતની સૌથી વધુ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફી રણજી ટ્રોફી ()માં મુંબઈ ક્રિકેટ ટીમ ()મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. મુંબઈ ટીમ સૌથી વધુ સફળતા મેળવનાર ટીમ પણ છે. આ ઉપરાંત, ઈન્ડિયન પ્રિમિયર લીગ ()માં મુંબઈ ઈન્ડિયન્સ  ()અને ઈન્ડિયન ક્રિકેટ લીગ ()માં મુંબઈ ચેમ્પસ ()ની ટીમો મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. શહેરમાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનો આવેલા છે. વાનખેડે સ્ટેડિયમ () અનેબ્રેબ્રોન સ્ટેડીયમ ().વાનખેડે સ્ટેડીયમ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ()ની યજમાની મેળવવાનું છે. હાલમાં વર્લ્ડ કપના આયોજનને લઈને સ્ટેડિયમનું વિસ્તૃતિકરણ અને રીનોવેશન થાય છે.મુંબઈમાંથી જે પ્રતિષ્ઠિત ક્રિકેટરો થયા છે તેમાં સચિન તેંડુલકર (), સૂનિલ ગવાસ્કર (), અને સંદીપ પાટીલ ()નો સમાવેશ થાય છે. 

શહેરમાં ફૂટબોલ બીજી લોકપ્રિય રમત છે. મુંબઈમાં ટેલિવિઝન પર સૌથી વધુ જોવાયેલી ઈવેન્ટમાં ફીફા વર્લ્ડ કપ ()નો સમાવેશ થાય છે. ભારતની રાષ્ટ્રીય રમત ફિલ્ડ હોકી () ક્રિકેટની સરખામણીમાં તેની મહત્તા ખઈ બેસી છે. પ્રિમિયર હોકી લીગ(પીએચએલ) ()માં જે થોડી ટીમો ભાગ લઈ રહેલી છે તેમાંથી મહારાષ્ટ્ર તરફથી મુંબઈ સ્થિત મરાઠા વોરિયર્સ  ()ભાગ લે છે. મુંબઈમાં ચેસ પણ ઘણી લોકપ્રિય રમત છે. મુંબઈમાં અન્ય રમતો રમાય છે તેમાં ટેનિસ, સ્કવોશ, બિલિયર્ડ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ગોલ્ફનો સમાવેશ થાય છે. બહૂ ઓછા ભારતીય શહેરોમાં રમાતી રગ્બી યુનિયન () પણ મુંબઈમાં રમાય છે. દર વર્ષે ફ્રેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ () ખાતે ડર્બી () રેસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ ફોર્મુલા વન () રેસિંગ લોકપ્રિય બની છે. અનેફોર્સ ઇન્ડિયા  ()નામની એફવન ટીમ પણ મુંબઈમાં 2008માં રજૂ કરવામાં આવી હતી. માર્ચ 2004માં, એફવન પાવરબોટ વર્લ્ડ ચેમ્પિયનશીપ  ()અંતર્ગત મુંબઈ ગ્રાન્ડ પ્રીક્સનું આયોજન કરવામાં આવ્યું છે. વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો પણ શાળાઓ અને કોલેજોમાં લોકપ્રિય છે. 




#Article 11: કાશ્મીર (939 words)


કાશ્મીર (કાશ્મીરી : કોશૂર) ભારતીય ઉપખંડનો એક ભાગ છે જેના ભાગોં પર ભારત નુ અધિપત્ય છે. ભારતીય કાશ્મીર જમ્મૂ અને કાશ્મીર પ્રદેશનો એક ખંડ છે. પાકિસ્તાન તેના પર ભારતનો અધિકાર નથી માનતુ તેને પોતાનુ બનાવી લેવા માગે છે. કાશ્મીર એક મુસ્લિમ બહુલ પ્રદેશ છે. આજે તે આતંકવાદ નું મુખ્ય કેન્દ્ર છે. તેની મુખ્ય ભાષા કાશ્મીરી છે.

જમ્મુ અને કાશ્મીર ના બાકી બે ખંડ છે જમ્મૂ અને કાશ્મીર ખીણ. પાકિસ્તાન શાસિત રાજ્યના બે બીજા ખંડ છે : શુમાલી પ્રદેશ અને કહેવાતુ આઝાદ કાશ્મીર. ચીનના શાસન નીચે લદાખનો અક્સાઈ ચિન પ્રદેશ આવે છે. રાજનૈતિક વિવાદોને કારણે ઘણીવાર આખા જમ્મુ કાશ્મીર રાજ્યને લોકો (ખાસ કરીને વિદેશમાં) કાશ્મીર કહે છે. કાશ્મીરનો મુખ્યભાગ કાશ્મીર ખીણ છે. તે ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેનો કુદરતી સૌંદર્ય માટે દુનિયાભર માં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે.

આ સુંદર ભૂભાગ મુખ્યત્વે ઝેલમ નદીના ઘાટીમાં આવેલો છે. ભારતીય કાશ્મીર ઘાટીમાં ૬ જિલ્લા છે: શ્રીનગર, બડ઼ગ઼ામ, અનંતનાગ, પુલવામા, બારામુલા અને કુપવાડ઼ા કાશ્મીર હિમાલયના પર્વતીય ક્ષેત્રનો ભાગ છે. જમ્મુ ખંડથી અને પાકિસ્તાનથી તેને પીર-પાંજાલ પર્વત-શ્રેણી અલગ કરે છે. અહીં ઘણા સુંદર સરોવર છે, જેમ કે ડલ/દાલ, વુલર અને નગીન. અહીંનુ હવામાન ગરમીમાં ખુશનૂમા અને ઠંડીમાં બર્ફીલુ હોય છે. આ પ્રદેશને ધરતીનુ સ્વર્ગ કહેવાય છે. એક નહીં કેટલાય કવિઓએ વારંવાર કહયુ છે કે :

શ્રીનગર જમ્મૂ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની છે. આ શહેર અને તેના આસ-પાસ ના ક્ષેત્ર એક જ઼માના મા દુનિયા ના સૌથી ખ઼ૂબસૂરત પર્યટન સ્થળ તરીકે જાણીતા હતા -- જેમકે દાલ સરોવર, શાલિમાર અને નિશાત બાઘ, ગુલમર્ગ, પહલગ઼ામ, ચશ્માશાહી, આદિ. અહી હિન્દી સિનેમા ની ઘણી ફ઼િલ્મોં નુ શૂટિંગ થતુ હતુ. એવુ માનવામાં આવેછે કે શ્રીનગર ની હજ઼રત બલ મસ્જિદ માં  હજરત મુહમ્મદ ની દાઢ઼ી નો એક વાળ રાખવામાં આવ્યો છે . શ્રીનગર માં શંકરાચાર્ય પર્વત છે. જ્યાં હિંદુ ધર્મસુધારક અને અદ્વૈત વેદાંત ના પ્રતિપાદક આદિ શંકરાચાર્ય સર્વજ્ઞાનપીઠ ના આસન પર વિરાજમાન થયા હતા. દાલ સરોવર  અને ઝેલમ નદી (સંસ્કૃત : વિતસ્તા, કશ્મીરી : વ્યથ) માં પરીવહન માટે, ફરવા તેમજ ખરીદારી કરવા માટે  શિકારા નામની ખાસ હોડીઓ વપરાય છે. કમળ ના ફૂલોથી સુશોભીત આ દાલ સરોવર પર હોડીઓમાં બનાવેલા ખાસ ઘર હોય છે જે હાઉસબોટ કહેવાય છે. ઇતિહાસકાર માને છે કે  શ્રીનગરને મૌર્ય સમ્રાટ અશોક દ્વારા વસાવાયુ હતુ.

શ્રીનગર થી નજીક મા એક પ્રાચિન માર્તણ્ડ (સૂર્ય) મંદિર છે.અને  કુઔર અનેર અનંતનાગ જ઼િલ્લામાં  શિવને સમર્પીત અમરનાથ ની ગુફા છે. જ્યાં હજારો તીથયાત્રીઓ જાયછે. શ્રીનગર થી ૩૦ કિલોમીટર દૂર મુસ્લિમ સૂફ઼ી સંત શેખ઼ નૂરુદ્દિન વલી ની દરગાહ ચરાર-એ-શરીફ઼ છે. જેને કેટલાક વર્ષ પહેલા ઇસ્લામી આતંકવાદિયોં એ સળગાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ તેનુ સમારકામ કરવામાં આવ્યુ છે.

પ્રાચીનકાળમાં  કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ પડેલ છે. એવુ માનવામા આવેછે કે અહીં ભગવાન શિવ ની પત્ની દેવી સતી નિવાસ કરતી હતી, અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ નાગ પણ રહેતો હતો, જેને વૈદીક ઋષિ કશ્યપ અને દેવી સતીએ મળીને હરાવ્યો હતો તથા મોટાભાગનુ પાણી ઝેલમ નદી ના રસ્તે વહાવી દીધુ હતુ. આ પ્રમાણે આ જગ્યા નુ નામ સતીસર થી કાશ્મીર પડ્યુ. આના થી તર્કસંગત પ્રસંગ એ પણ છે કે આનુ વાસ્તવિક નામ કશ્યપમર (અથવા કચબાનુ સરોવર) હતુ. આથી કાશ્મીર નામ પડ્યુ.

કાશ્મીર નો સરસ પ્રાચીન ઇતિહાસ કલ્હણ (અને ત્યાર બાદ ના અન્ય લેખકોં) ના ગ્રંથ રાજતરંગિણી થી મળેછે. પ્રાચીન કાળમા અહીં હિંદુ આર્ય રાજાઓં નુ રાજ હતુ.

મૌર્ય સમ્રાટ અશોક અને કુષાણ સમ્રાટ કનિષ્ક ના સમયમાં કાશ્મીર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિ નુ મુખ્ય કેન્દ્ર બની ગયુ. પૂર્વ-મધ્યયુગ મા અહીંના ચક્રવર્તી સમ્રાટ લલિતાદિત્ય એ એક વિશાલ સામ્રાજ્ય ક઼ાયમ કરી લીધુ હતુ. કાશ્મીર સંસ્કૃત વિદ્યા નુ વિખ્યાત કેન્દ્ર હતુ. પર ખુબજ ગર્વ છે. વાદી-એ-કશ્મીર પોતાના ચિનાર ના વ્રુક્ષો, કશ્મીરી સફરજન, કેસર (જ઼ાફ઼રાન, જેને સંસ્કૃત માં કાશ્મીરમ્ પણ કહેવાય છે), પશ્ચિમના ઊન અને  શૉલોં પર કરેલ કારીગરી, ગલીચોં અને દેસી ચાય (કાઢો) માટે દુનિયા ભર માં મશહૂર છે.અહીંના સંતૂર પણ ખુબજ પ્રસિદ્ધ છે. આતંકવાદ થી ખરેખર આબધા ની અને કશ્મીરિયોં ની સુખ શાંતિ છિનવાઇ ગઇ છે. કશ્મીરી વ્યંજન ભારતભરમા ખુબજ લિજ્જ્તદાર મનાય છે. નોંધ લેવા જેવુ છેકે કે મોટાભાગના કશ્મીરી પંડિત માંસ ખાય છે. કશ્મીરી પંડિતોંના માંસાહારી વ્યંજન જેવાકે નેની (બકરાના માંસનુ) ક઼લિયા, નેની રોગ઼ન જોશ, નેની યખ઼િયન (યખ઼ની), મચ્છ (મછલી), વગેરે. કશ્મીરી પંડિતોંના શાકાહારી વ્યંજન જેવાકે ચમની ક઼લિયા, વેથ ચમન, દમ ઓલુવ (આલૂ દમ), રાજ઼્મા ગોઆગ્જી, ચોએક વંગન (બૈંગન),વગેરે. કશ્મીરી મુસલમાનોંના (માંસાહારી) વ્યંજન જેવાકે વિવિધ જાતના કબાબ અને કોફ્તા, રિશ્તાબા, ગોશ્તાબા, વગેરે. પરંપરાગત કશ્મીરી દાવત ને વાજ઼વાન કહેવાયછે. એવુ કહેવાય છે કે દરેક કશ્મીરી ની ઇચ્છા હોય છે કે જીવનમા ઓછામા ઓછુ ,એક વખત, પોતાન મિત્રો માટે તેઓ વાજ઼વાન પરોસે. બધુમળીને કહીએ તો કશ્મીર હિંદુ અને  મુસ્લિમ સંસ્કૃતિયોં નુ અનોખુ મિશ્રણ છે.

 ભારત ની સ્વતંત્રતા ના સમયે હિંદુ રાજા હરિસિંહ અહિંના શાસક હતા. શેખ઼ અબ્દુલ્લા ના નેતૃત્વમાંં મુસ્લિમ કોન્ફરન્સ (ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ) એ સમયે કશ્મીર ની મુખ્ય રાજનૈતિક પાર્ટી હતી. કશ્મીરી પંડિત, શેખ઼ અબ્દુલ્લા અને રાજ્ય ના વધુ મુસ્લિમો કશ્મીર નો ભારતમાંં જ વિલય થાય તેમ ઇચ્છતા હતા પણ પાકિસ્તાનથી તે સહન ના થયુંં કે કોઈ મુસ્લિમ-બહુમત પ્રાન્ત ભારતમાંં રહે (આનાથી એમના બે-રાષ્ટ્રના સિદ્ધાન્તને ઠેસ પહોંંચતી હતી) જેથી 1947-48 માં પાકિસ્તાનેે  કબીલાઓ અને તેમની પોતાની સેના પાસે કશ્મીરમાં આક્રમણ કરાવડાયું અને ઘણો વિસ્તાર કબ્જે કરી લીધો. તે સમયના વડાપ્રધાનજવાહરલાલ નેહરુએ મોહમ્મદ અલી જિન્નાને આવિવાદ નો જનમત-સંગ્રહ થી દુર કરવા નો પ્રસ્તાવ કર્યો, જેને જિન્નાએ એ વખતે ઠુકરાવી દીધો કેમકે તેમને પોતાની સૈનિક કાર્યવાહી પર પુરો ભરોસો હતો.

 મહારાજા એ  શેખ઼ અબ્દુલ્લા સાથે સહમતિથી ભારતમાં અમુક શરતો સાથે કાશ્મીર નો વીલય કરી દીધો. એથી ભારતિય સેનાએ રાજ્યનો ઘણો વિસ્તાર બચાવી લીધો. અને આ વિવાદને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ ગયા.
 તો સંયુક્તરાષ્ટ્ર મહાસભાએ બે સંકલ્પ પારિત કર્યા : 

 શાંતિ સ્થપાય તે બાદ બંન્ને દેશો કશ્મીરના ભવિષ્યનું નિર્ધારણ ત્યાંની જનતાની મરજી પ્રમાણે કરે. (ત્યારબાદ કહેવામાં આવ્યુ કે જનમત-સંગ્રહથી). 

પાકિસ્તાન ની પ્રવૃતિ ઓ ને કારણે આ સંકલ્પને હાલસુધીમાં લાગુ નથી કરી શકાયો.

લગભગ બધા કશ્મીરી પંડિતોં ને આતંકવાદિયોં એ ખીણની બાહર ધકેલી દીધા છે,અને તે શરણાર્થી શિબીરમાં રહે છે.

   




#Article 12: દયારામ (199 words)


દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.

દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.

તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.

વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.

દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:




#Article 13: લાહોર (139 words)


લાહોર (પંજાબી ભાષા: لہور, ઉર્દૂ ભાષા: لاہور) પાકિસ્તાન દેશમાં આવેલું બીજું સૌથી મોટું શહેર છે (કરાચી પછી). પાકિસ્તાન-ભારતની સીમા નજીકનું આ શહેર પંજાબનું મુખ્ય મથક છે. લાહોર ઐતિહાસિક પંજાબ ક્ષેત્રનું અહમ સંસ્કૃતિક કેંદ્ર છે અને આ દુનિયામાં સૌથી મોટું પંજાબી શહેર છે. લાહોર પર હિંદુ શાહીઓ, ગઝનાવીઓ, ઘુરિદો અને દિલ્હી સલ્તનતનું શાસન રહ્યું હતું. મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લાહોર પોતાના ચરમ પર હતું જ્યારે લાહોર પાંચ સાલ સુધી મુઘલ સામ્રાજ્યની રાજધાની હતી. બાદમાં આ રણજીતસિંહના શીખ સામ્રાજ્યની રાજધાની હતી. 

લાહોર પાકિસ્તાનના સૌથી ઉદાર અને સર્વદેશી શહેરોમાંનું એક છે. પાકિસ્તાન દેશની સંસ્કૃતિ પર તેની ઘણી અસર દેખાય છે. લાહોર પાકિસ્તાનનું પ્રકાશન ઉદ્યોગ અને સાહિત્યિક દ્રશ્યનું કેન્દ્ર છે, આની સાથે આ પાકિસ્તાનનું તાલીમી કેન્દ્ર પણ છે.

દંતકથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે લાહોર શહેરની સ્થાપના શ્રી રામના પુત્ર લવ એ કરી હતી. લાહોરનો કિલ્લોમાં લવનું એક નાનું મંદિર આવેલું છે.




#Article 14: બિહાર (879 words)


બિહાર ભારત નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની પટના છે. 

બિહાર ની ઉત્તરી સીમા પર નેપાળ, પશ્ચિમી સીમા પર ઉત્તર પ્રદેશ અને દક્ષિણી સીમા પર ઝારખંડ છે.

બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે.

બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ. મૌર્ય સામ્રાજ્ય ના રાજા અશોક પાટલિપુત્રથી શાસન કરતા હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ નો જન્મ બિહાર માં થયો હતો.

પ્રાચીન કાળમાં મગધનું સામ્રાજ્ય દેશના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. અહીંથી મૌર્ય વંશ, ગુપ્ત વંશ તથા અન્ય રાજવંશોએ દેશના અધિકતમ ભાગ પર રાજ કર્યું. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી ફેલાયું હતું. મૌર્ય વંશનું શાસન ૩૨૫ ઇસ પૂર્વથી ૧૮૫ ઇસ પૂર્વ સુધી રહ્યું. છઠી અને પાંચમી સદી ઇસ પૂર્વમાં અહીં બૌદ્ધ તથા જૈન ધર્મોંનો ઉદ્ભવ થયો. અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને એમણે પોતાના પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મ પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યો હતો. એને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના એક ઘાટ પરથી વિદાય કર્યો હતો, જે મહેન્દ્ર ઘાટ નામથી આજે પણ ઓળખાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ ચીન તથા જાપાન સુધી પહોંચી ગયો.

બારમી સદીમાં બખતિયાર ખિલજીએ બિહાર પર અધિપત્ય જમાવ્યું. એ પછી મગધ દેશની વહિવટી રાજધાની ન રહી. જ્યારે શેરશાહ સૂરીએ, સોળમી સદીમાં દિલ્હીના મુગલ બાદશાહ હુમાંયુને હરાવી દિલ્હીની સત્તા પર કબજો કર્યો ત્યારે બિહારનું નામ પુનઃ પ્રકાશમાં આવ્યું, પણ વધુ સમય સુધી નહીં રહ્યું. અકબરે બિહાર પર કબજો કરી બિહારનું બંગાળમાં વિલિનીકરણ કર્યું. એ પછી બિહારની સત્તાની બાગડોર બંગાળના નવાબો પાસે જ રહી.

ઈ. સ. ૧૮૫૭ના પ્રથમ સિપાહી વિપ્લવમાં બિહારના બાબુ કુંવર સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈ.સ. ૧૯૧૨માં બંગાળ વિભાજનના ફળસ્વરૂપ બિહાર નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ. ૧૯૩૫માં ઑડિશાને આનાથી અલગ કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બિહારના ચંપારણના ઉત્થાન (વિદ્રોહ) એ, અંગ્રેજોની વિરુદ્ધ ક્રાંતિ ફેલાવવાવાળી અગ્રગણ્ય ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી બિહારનું એક વધુ વિભાજન થયું અને ઈ.સ. ૨૦૦૦માં ઝારખંડ રાજ્ય આનાથી અલગ કરી દેવામાં આવ્યું.

ઝારખંડ અલગ થઈ ગયાં બાદ બિહારની ભૂમિ મુખ્યતઃ મેદાની છે. ગંગા નદી રાજ્યની લગભગ વચ્ચોવચ વહે છે. ઉત્તર બિહાર કોશી, ગંડક, સોન (શોણ) અને તેની સહાયક નદીઓનું સમતળ મેદાન છે.

બિહાર ની ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી (નેપાળ) છે તથા દક્ષિણમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ (જેનો ભાગ હવે ઝારખંડ છે). ઉત્તરથી ઘણી નદીઓ તથા જલધારાઓ બિહારમાં થઈ પ્રવાહિત થાય છે અને ગંગામાં વિસર્જિત થઈ જાય છે. આ નદીઓમાં, વર્ષાઋતુમાં પૂર એક મોટી સમસ્યા છે.

રાજ્યનું સરાસરી તાપમાન ગ્રીષ્મ ઋતુમાં ૩૫ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા શિયાળામાં ૫ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહે છે. શિયાળાની ઋતુ નવેમ્બરથી મધ્ય ફેબ્રુઆરી સુધી રહે છે. એપ્રિલમાં ગ્રીષ્મ ઋતુ આરંભ થેઈ જાય છે જે જુલાઈના મધ્ય સુધી ચાલે છે. જુલાઈ - ઓગસ્ટમાં વર્ષા ઋતુનું આગમન થાય છે જેની સમાપ્તિ ઓક્ટોબર માં થવાથી ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે.

ઉત્તરમાં ભૂમિ પ્રાયઃ સર્વત્ર કૃષિયોગ્ય છે. અહીં અનાજ, ઘઉં, દલહન, મક્કા (મકાઈ), તિલહન (તલ) તથા અમુક ફળોની ખેતી કરવામાં આવે છે.

બિહારની સંસ્કૃતિ મૈથિલ, મગહી (મગધી), ભોજપુરી તથા અંગ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. નગરો તથા ગામોની સંસ્કૃતિમાં અધિક ફરક નથી. નગરોના લોકો પણ પારંપરિક રીતિ રિવાજોનું પાલન કરે છે. પ્રમુખ પર્વોં માં દશેરા, દિવાળી, હોળી, મુહર્રમ, ઈદ તથા ક્રિસમસ છે. શિખોના દસમા ગુરુ ગોવિન્દ સિંહજીનો જન્મ સ્થાન હોવાથી પટનામાં તેમની જયંતી પર ભારે શ્રદ્ધાર્પણ જોવા મળે છે.

જાતિવાદ બિહાર ની રાજનીતિ તથા સામાન્ય જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. પાછલા અમુક વર્ષોંમાં આનું વિરાટ રૂપ સામે આવ્યું હતું. વર્તમાનમાં ઘણી હદ સુધી આ ભેદભાવ ઓછો થઈગયો છે. આ જાતિવાદના કાળક્રમની એક ખ઼ાસ દેન છે - પોતાનું ઉપનામ બદલવું. જાતિવાદના દોરમાં ઘણાં લોકોએ પોતાના નામથી જાતિ સ્પષ્ટ ન થઈ શકે એ માટે પોતાના બાળકોના ઉપનામ બદલી એક સંસ્કૃત નામ રાખવાની શરૂઆત કરી. આના ફળ સ્વરૂપે ઘણાં લોકોનું વાસ્તવિક ઉપનામ શર્મા, મિશ્ર, વર્મા, ઝા, સિન્હા, શ્રીવાસ્તવ, રાય ઇત્યાદિથી બદલી પ્રકાશ, સુમન, પ્રભાકર, રંજન, ભારતી ઇત્યાદિ થઈ ગયું.

ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ અધિક છે. ફિલ્મોના સંગીતને પણ બહુ જ પસંદ કરાય છે. મુખ્ય ધારા હિન્દી ફિલ્મો સિવાય ભોજપુરીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. મૈથિલી તથા અન્ય સ્થાનીય સિનેમા પણ લોકપ્રિય છે. અંગ્રેજી ફિલ્મો નગરોમાં જ જોઈ શકાય છે.

લગ્ન વિવાહ દરમ્યાન જ પ્રદેશની સાંસ્કૃતિક પ્રચુરતા સ્પષ્ટ થાય છે. લગ્નમાં જાન તથા જશ્ન ની સીમા સમુદાય તથા તેમની આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. લોકગીતો ના ગાયનનું પ્રચલન લગભગ બધાં સમુદાયમાં છે. આધુનિક તથા પ્રાચીન ફિલ્મ સંગીત પણ આ સમારોહમાં સંભળાય છે. લગ્ન દરમ્યાન શરણાઈ વાદન સામાન્ય વાત છે. આ વાદ્યયંત્રને લોકપ્રિય બનાવવામાં બિસ્મિલ્લાહ ખાનનું નામ સર્વોપરી છે, તેમનો જન્મ બિહારમાં જ થયો હતો.

બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે.

ક્રિકેટ ભારતની અન્ય અનેક જગ્યાની જેમજ અહીં પણ સર્વાધિક લોકપ્રિય છે. આ સિવાય ફુટબૉલ, હૉકી, ટેનિસ અને ગોલ્ફ પણ પસન્દ કરવામાં આવે છે. બિહારનો અધિકાંશ ભાગ ગ્રામીણ હોવાથી પારંપરિક ભારતીય રમતો, જેમકે કબડ્ડી, ગુલ્લીડંડા, ગોટી(ગુલ્લી કે કંચી) ખૂબ લોકપ્રિય છે.

દેશના સૌથી પછાત ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એક બિહારના લોકોનો મુખ્ય આયસ્રોત કૃષિ છે. આના સિવાય અસંગઠિત વ્યાપાર, સરકારી નોકરીઓ તથા નાના ઉદ્યોગ ધંધા પણ આવકના સ્રોત છે. પાછલા અમુક દશકોમાં બેરોજગારી વધવાથી આપરાધિક મામલોમાં વૃદ્ધિ થેઈ છે અને જબરદસ્તી પૈસાવસૂલી (જિસે સ્થાનીય રૂપથી રંગદારી કહે છે), અપહરણ તથા લૂટ જેવા ધંધા પણ લોકોની કમાઈનુ સાધન બની ગયેલ છે.

એક સમયે બિહાર શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંનું એક માનવામાં આવતું હતું. પાછલા અમુક દિવસોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રાજનીતિ તથા અકર્મણ્યતાના પ્રવેશ કરવાથી શિક્ષણના સ્તરમાં ભારે પછડાટ આવી છે.




#Article 15: મુકેશ (368 words)


મુકેશ (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગષ્ટ ૧૯૭૬) ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે. તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં રજનીગંધા (૧૯૭૩) ફિલ્મનું કઈ બાર યું હી દેખા હૈ.. ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મળેલ છે. મુકેશ અભિનેતા રાજકપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દતના અવાજ તરીકે પ્રખ્યાત હતા.

મુકેશનો જન્મ દિલ્હી ખાતે હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેઓ ઇજનેર પિતા જોરાવર ચંદ માથુર અને માતા ચંદ્રાણી માથુરના દસ સંતાનો પૈકી એક (છઠ્ઠા) હતા. તેઓએ તેમની બહેન સુંદર પિયારીના સંગીત શિક્ષક પાસેથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. દસમા ધોરણથી તેઓ અભ્યાસ છોડી પબ્લિક વર્ક્સ વિભાગની નોકરીમાં જોડાયા.આ દરમિયાન જ તેમણે પોતાની ગાયન ક્ષમતા અને સંગીત વાદ્યો પર કૌશલ્ય હસ્તગત કર્યું.

મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ દિલ જલતા હૈ તો જલને દે જેમાં મોતીલાલ એ કામ કર્યું હતુ.

મુકેશે એક અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૪૧માં રજૂ થયેલી ફિલ્મ નિર્દોષથી કરી. આ ફિલ્મમાં નલિની જયવંત મુખ્ય અભિનેત્રી હતાં. તેમની બીજી ફિલ્મ અદબ અર્જ (૧૯૪૩) હતી. ૧૯૫૩માં રાજકપૂરને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ આહમાં મહેમાન ભૂમિકા ભજવી હતી. આ જ વર્ષે આવેલી ફિલ્મ માશૂકામાં તેમણે મુખ્ય અભિનેતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની મુખ્ય અભિનેત્રી સુરૈયા હતી. ફિલ્મ અનુરાગ (૧૯૫૬) માં તેઓ મુખ્ય અભિનેતા ઉપરાંત સહ નિર્માતા અને સંગીતકાર પણ હતા. ૧૯૫૧માં આવેલી ફિલ્મ મલ્હારના નિર્માતા પણ મુકેશ જ હતા. 

મુકેશના લગ્ન સરલા ત્રિવેદી સાથે થયા હતાં. સરલાના પિતા રાયચંદ ત્રિવેદી આ લગ્નની વિરુદ્ધમાં હતાં. ૨૨ જુલાઇ ૧૯૪૬ના રોજ કાંદિવલી (મુંબઈ)ના એક મંદિરમાં તેઓએ અભિનેતા મોતીલાલના સહયોગથી લગ્ન કરી લીધા હતા. તેમના પરિવારમાં રીટા, નિતિન (ગાયક), નલિની, મોહનીશ અને નમ્રતા એમ પાંચ સંતાનો હતા. અભિનેતા નીલ નિતિન મુકેશ એ તેમનો પૌત્ર છે.

૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. 

વિજેતા




#Article 16: શ્રી યોગેશ્વરજી (168 words)


શ્રી યોગેશ્વરજી એક વિરલ સંત સાહિત્યકાર હતા. તેઓ  અમદાવાદ જિલ્લાના  ધોળકા તાલુકાના સરોડા ગામે જન્મ્યા હતા. માત્ર નવ વરસની નાની ઉંમરે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું હતુ. તે પછી તેમને મુંબઇ ખાતે આવેલા એક અનાથાશ્રમમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. કોલેજના અભ્યાસ બાદ તેમણે ઇશ્વરની શોધમાં હિમાલય તરફ પ્રયાણ કર્યું. બે દાયકાની એકાંતિક સાધના પછી તેમણે જનસમુદાયમાં વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષામાં તેમણે એકસોથીય વધુ ગ્રંથો લખ્યા. તેમની પદ્ય રચનાઓમાં સરળ ગીતા (ભગવદ ગીતાનો ગુજરાતી અનુવાદ), શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામ, રામચરિતમાનસ વિગેરેના કાવ્યાનુવાદ મુખ્ય છે. આરતી, આલાપ, અનંત સૂર, બિંદુ, તર્પણ, દ્યુતિ, સાંઈસંગીત, હિમાલય અમારો વિગેરે તેમના પ્રસિધ્ધ કાવ્યસંગ્રહો છે. ગાંધી ગૌરવ એ મહાત્મા ગાંધીજી પરનું તેમનું મહાકાવ્ય છે. તેમણે અનેક ભજનો, સ્તુતિઓ અને આરતીઓની પણ રચના કરી છે. 
અગિયારસોથી વધુ પૃષ્ઠો ધરાવતી પ્રકાશના પંથે નામે તેમની આત્મકથા અધ્યાત્મ માર્ગના જીજ્ઞાસુઓને અમૂલ્ય માર્ગદર્શન પુરુ પાડે છે. તેમના આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. હિમાલયના પત્રો નામે તેમનો પત્રસંગ્રહ પણ પ્રસિધ્ધ થયો છે. રમણ મહર્ષિના જીવન અને કાર્ય પરનો તેમનો દળદાર ગ્રંથ પણ જીજ્ઞાસુઓમાં લોકપ્રિય થયો છે.




#Article 17: નરેન્દ્ર મોદી (1567 words)


નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે  થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.

તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે.

નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને  ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.

નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે. 

આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી.  મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.

તેમણે ૧૯૮૭માં ભાજપમાં  જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.

ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને કન્યાકુમારી થી કાશ્મીર (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી  હતી.

શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને  તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા. હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા. મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે  આ વાતની  પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા  કરવામાં આવી હતી. 

૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી. ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.

આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં  મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ ધાર્મિક ફ્રિડમ એક્ટ હેઠળ ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો. 

એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી.

મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો. મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો. જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો. 

મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે. આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે, રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, સુજલામ-સુફલામ, જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે. 

મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી. ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય; અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા.

નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, ...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે.  તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ ઘણી ખરાબ રહી છે.

મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.

૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા.

નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી. તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને  મતોના તફાવતથી હરાવ્યા હતા. એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.

તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.




#Article 18: ગુજરાતી લોકો (1515 words)


પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે.

ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ  પટેલ, મોહનદાસ ગાંધી,શ્યામજી કૃષ્ણ વર્મા ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી વિક્રમ સારાભાઈ ,સુનીતા વિલિયમ્સ ,ધીરુભાઈ અંબાણી ,તથા ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.

ગુજરાતી લોકો ભારતીય ઉપખંડનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં રહે છે.  ઘણા ગુજરાતીઓ ભારતનાં અન્ય રાજ્યો જેવાકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ તેમજ રાજધાની દિલ્હી ઉપરાન્ત  કેન્દ્ર શાસિત દમણ અને દીવ, દાદરા નગર હવેલીમાં પણ વસવાટ કરે છે. વધુમાં ગુજરાતી ભાષા કચ્છી પ્રજા દ્વારા તેમજ પારસી લોકો - જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે - દ્વારા પણ બોલવામાં આવે છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર, જ્યારે વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. ગુજરાતના લોકો મુખ્યત્વે હિંદુ (હિંદુ, શીખ, જૈન, બુદ્ધ - ૯૪%) ધર્મ પાળે છે. ભારતનાં બીજા શહેરોમાં પણ ઘણા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે.

હિજરતી ગુજરાતી પ્રજા નોંધપાત્ર રીતે સમગ્ર વિશ્વમાં વસે છે.  યુ.કે.માં અંગ્રેજી પૂર્વ આફ્રિકી એશિયાઈ કોમ એ દેશનિકાલ થયેલ સૌથી મોટી ગુજરાતી વસ્તી છે. અન્ય ગુજરાતીઓની મોટી વસ્તી દક્ષિણ અને પુર્વ આફ્રિકા માં રહે છે (ખાસ કરીને કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, મડાગાસ્કર, મોઝામ્બીક- આ ભૂતપૂર્વ પોર્ટુગીઝ શાષિત કોલોનીની આઝાદી પછી ગુજરાતીઓ નોંધપાત્ર સંખ્યામાં પોર્ટુગલ સ્થાયી થયાં.) અને દક્ષિણ-પૂર્વ એશિયા (મ્યાનમાર, મલેશિયા). ઘણા ગુજરાતીઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા  પણ રહે છે.

યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે 

યુ.કે.માં લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે.

In terms of ancestry, the majority of Gujaratis share similar genes with the rest of the northern Indian populations, but show a significant relationship with central Eurasian groups. 

A 2004 Stanford study conducted with a wide sampling from India, found that over 33% of genetic markers in Gujarat were of West Asian origin, the third highest amongst the sampled group of South Asians with Punjabis at 42%, Sindhis at 41% and Kashmiris at 30%. 

Haplogroup U7 is found only in Iran, the Near East,Afghanistan, India, and Pakistan; with extremely low frequencies in neighboring countries Turkmenistan, Kazakhstan, Uzbekistan, and Iraq. Its frequency peaks at over 12% in Gujarat, 9% in Punjab, 6% in Pakistan, 6% in Afghanistan and 9% in Iran. Elsewhere in India, its frequency is very low (0.00% to 0.90%). Outside of the Near East, Iran, Afghanistan, Pakistan, and the Northwestern Indian states, Haplogroup U7 is non-existent. Expansion times and haplotype diversities for the Indian and Near and Middle Eastern U7 mtDNAs are strikingly similar. The possible homeland of this haplogroup likely spans the coverage of Iran to Western India. From there its frequency declines steeply both to the east and to the west. If the origin were in Iran rather than in India, then its equally high frequency as well as diversity in Gujarat favors a scenario whereby U7 has been introduced to the coastal Gujarat either very early, or by multiple founders.

Some preliminary conclusions from these varying tests support some of the highest degrees of west Eurasian mtDNAs found in India, with a particular close relationship between Iran and Gujarat, supporting a theory of trade contact and migrations out of Iran into Gujarat.

ખાસ કરીને બહુમતી ધરાવતા હિંદુ અને જૈન ગુજરાતીઓ શાકાહારી છે. ગુજરાતીઓ પણ પારંપરીક ભારતીય ભોજન-શૈલીને અનુસરે છે. તેમાં ભાત, દાળ, રોટલી, શાક, છાસ અને મિઠાઇનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ દ્વારા રોટલી વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ચપાતી, ભાખરી, પુરી, થેપલા, ઢેબરા, માલપુડા, પુરણ-પોળી (વેડમી), ઘારી, ખાખરા, વગેરે. પણ ગુજરાતી ભોજનમાં ફરસાણનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં ખમણ, ઢોકળાં, પાણીપુરી, ઢોકળી, દાળ-ઢોકળી, ઊંધીયુ, ફાફડા, ચેવડો, સમોસા, પાપડી, મુઠીયા, ગાંઠીયા, ભજીયા, બટાકાવડા, પાતરા, ભુસું, સેવ-મમરા વગેરેનો સમાવેશ થાય છે.

ખીચડી - કે જે ચોખા અને તુવેર દાળનાં મિશ્રણ નું પકવાન છે, તેને થોડા મસાલા અને ધી સાથે પ્રેશર-કુકરમાં રાંધવામાં આવે છે, જે ગુજરાતી થાળીની પ્રસિધ્ધ વાનગી છે અને સામાન્ય રીતે દરેક ગુજરાતી ઘરોમાં બને છે. ખીચડી દાળ, કઢી, દહી, અથાણું, વિવિધ શાક, પાપડ અને દાણાંદાર દેશી ઘી, વગેરે સાથે ખાઈ શકાય છે. તે ઉપરાંત કાઠીયાવાડની જાડી કઢી અને મોળા દાળભાત પણ ઘણા પ્રખ્યાત છે. કેટલીક વાનગીઓતો ગુજરાતની ખાસીયત છે, જેમંકે વાટી દાળના ખમણ, પાટુડી, ખીચું, ઘારી, લોચો, ઉંધીયું, ઉંબાળીયું, વગેરે. આસો માસની પુનમે દુધ-પૌઆ ખાંડ ઉમેરીને ખાય તો ફાગણની પૂનમે ખજૂર-ધાણી-ચણા ખાય. જમ્યા પછી ગુજરાતીઓ મુખવાસ અથવા પાન ખાય છે. આ ઉપરાંત 
લાપસી: કે જે ઘઉં ના ફાડાં ની ગોળ અને ઘી મિશ્રિત એકદમ સરળ અને ખુબજ સ્વાદિષ્ટ વાનગી પણ એટલી જ મહત્વની છે. કાઠિયાવાડ માં ઘરે કોઈ મહત્ત્વ ની વ્યક્તિ આવે કે કોઈ શુભ પ્રસંગે લાપસી ના આંધણ મુકવાનું પણ કહેવામાં આવે છે. 

કેટલીક માંસાહારી વાનગીઓ જોઇએ તો તેમાં ઘાંચીઓ દ્વારા બનાવાતું તપેલું અથવા દાલગોશ્ત જે બકરાનાં મટનમાંથી બનાંવાય છે, તે ઉપરાંત પારસીઓ દ્વારા બનાવાતું ઇંડાનું કાચું, સફેદ માછલી અને ડબ્બા ગોસ ગુજરાતમાં અને બહાર પણ ઘણા પ્રસિદ્ધ છે.

ઘીનો ઉપયોગ રસોઇમાં છુટથી થાય છે. ઉદાહરણ તરીકે ભાતમાં, ખીચડીમાં તથા રોટલી પર. ભોજન ચટાકેદાર ફરસાણ વગર અધુરૂં માનવામાં આવે છે. તરલા દલાલ લિખીત ગુજરાતી વાનગીઓનું પુસ્તક તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જ. ગુજરાતીઓ ખાસ કરીને રસોઇમાં સીંગતેલ નો ઉપયોગ કરે છે. જોકે, જે ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે તેઓ ભોજન બનાવવામાં ત્યાં ઉપલબ્ધ સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરે છે. પરંપરાગત રીતે મસાલા બનાવવા(ખાંડવા) માટે પત્થર કે લોઢાના બનેલ ખલ-દસ્તાનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ, લોકો બ્લેન્ડર અથવા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી મસાલા બનાવે છે. દરેક વ્યક્તિ મસાલા અલગ રીતે બનાવે છે, તેથી સ્વાદ પણ દરેક ઘરમાં અલગ હોય છે. ઉત્તર ગુજરાતના લોકો રસોઇમાં ખાંડેલું સૂકું લાલ મરચું વાપરે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો તેમની રસોઈમાં લીલાં મરચાં અને કોથમીર વધારે પસંદ કરે છે. ગુજરાતી જૈનો (અને ઘણા હિન્દુઓ) તેમની રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે ગુજરાતી ભોજનની અંતે મુખવાસ અથવા પાન ખવાય છે. ગુજરાતનાં ઘણા ભાગોમાં, બપોરના ભોજનમાં છાસ લેવામાં આવે છે. રાત્રી ભોજન પછી દૂધ અથવા સોડા પીવાનુ ચલણ પણ હવે વધતું જાય છે. ગુજરાતી પરિવારો શરદ પુર્ણિમાની રાત ચંદ્ર પ્રકાશમાં દુધ-પૌંવા આરોગીને ઉજવે છે. 

ગુજરાતી ભોજનમાં ઘણી બધી વાનગીઓ આરોગવાનો લ્હાવો લેવા જેવો છે. ગુજરાતીઓ ખાવાના શોખીન માનવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદ અને સુરતના લોકો.

ભારતીય ઘરેણા જેવા કે મંગળસુત્ર, હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વિંટી, વિંટલા, કંદોરો જેવા તમામ ધરેણાઓ ગુજરાતીઓ પહેરે છે. ખાસ કરીને ઘરેણાં ૨૨ કેરેટ સોનાં ના બનેલા હોય છે. લગ્ન દરમ્યાન એક ગુજરાતી દુલ્હન ઘણાં બધા ઘરેણાં પહેરતી હોય છે, જે સામાન્ય હિંદુ લગ્ન મા આમ વાત છે. પુરૂષો ખાસ કરીનેં ચેન અનેં વિંટી પહેરતા હોય છે. 

વર્ષો પહેલા પરણિત ગુજરાતી સ્ત્રી માથે લાલ કંકુ નો ચાંદલો કરતી પણ આધુનિક સમયમાં તે ફેશનમાં ન હોવાથી તેનો પ્રસંગો સિવાય કયારેક ઉપયોગ થતો નથી, આજે સ્ટીકર બિંદીનો ઉપયોગ થાય છે જે અલગ અલગ આકાર અને રંગો માં મળે છે. પ્રસંગો અનુસાર પુરૂષો અને સ્ત્રીઓનાં પહેરવેશમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે પુરૂષો પેન્ટ અને શર્ટ, જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, સ્કર્ટ, જીન્સ, ટી-શર્ટ, કુર્તા, સલવાર કમીઝ વગેરે પહેરે છે. આમ જોવા જઇએ તો પારંપરીક પહેરવેશમાં પુરૂષો ધોતી અને ઉપર કુર્તા પહેરતા હોય છે. સ્ત્રીઓ પ્રસંગો અનુસાર વિવિધ પેટર્ન અનેં કિંમતની સાડી પહેરે છે. ગુજરાતનું એક પ્રસિધ્ધ પહેરવેશ ધોતી ગાંધીજી દ્વારા પ્રસિધ્ધ થયેલું છે.

અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ

્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ

ક ખ ગ ઘ ઙ
ચ છ જ ઝ ઞ
ટ ઠ ડ ઢ ણ
ત થ દ ધ ન
પ ફ બ ભ મ
ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ

૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯

લ્યુડોવિકો દી વર્થેમા(Ludovico di Varthema) (15 મી સદી) જેવા પ્રારંભિક યુરોપીયન પ્રવાસીએ ગુજરાત પ્રવાસ કરી ગુજરાત લોકો વિશે લખ્યું હતું. તેણે નોંધ્યું છે કે જૈન ધર્મની ગુજરાતમાં મજબૂત હાજરી હતી.

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઇ.સ. ૧૦૦૦માં જોવા મળે છે. ત્યાર થી અત્યાર સુધી ગુજરાથી સાહિત્યમાં અનેક ઘણો વિકાસ થયો છે. હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ ભટ્ટ, શામળ ભટ્ટ, દયારામ, દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોષી, સુરેશ જોષી, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી 'દર્શક' અને રાજેન્દ્ર શાહ ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકારો છે.

કવિ કાન્ત અને કલાપી ગુજરાત ના વિખ્યાત કવિઓ છે.

ગુજરાત વિદ્યા સભા, ગુજરાત સાહિત્ય સભા, અને ગુજરાતી સાહિત્ય પરિષદ એ  અમદાવાદ સ્થિત સાહિત્ય સંસ્થાઓ છે કે જે ગુજરાતી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે સરસ્વતીચંદ્ર એ ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત સીમાચિહ્નરૂપ નવલિકા છે. લેખકો જેવા કે સુરેશ દલાલ, જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા, હરકિશન મહેતા, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, વિનોદ ભટ્ટ, કાન્તિ ભટ્ટ, મકરંદ દવે, અને વર્ષા અડાલજાએ ગુજરાતી વિચારકો પર પ્રભાવ પાડ્યો હતો.

ગુજરાતી થિયેટર ભવાઇનું ઘણો ઋણી છે. ભવાઇ એ સંગીતમય નાટકનો એક પ્રકાર છે. કેતન મહેતા અને સંજય લીલા ભણસાલીએ ભવાઇનો કલાત્મક ઉપયોગ ફિલ્મો જેવી કે ભવની ભવાઇ, ઓહ ડાર્લિંગ ! યે હૈ ઇન્ડિયા અને હમ દિલ દે ચુકે સનમમાં કરવાની શોધ કરી. ડાયરો (મહેફિલ) એ ગાયન અને માનવ સ્વભાવ પર અસર કરે તેવી વાતચીત કે ચર્ચાને સાંકળે છે.

ગુજરાતી સિનેમા ઉદ્યોગમાં અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, સ્નેહલતા, રાગીણી,  મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, અરૂણા ઇરાની અને અસરાની તથા હાલમાં હિતેન કુમાર, આનંદી, હિતુ કનોડિયા, શૈલેન્દ્ર ઠાકોર વગેરે જાણીતા કલાકારો છે.




#Article 19: હિંદી ભાષા (549 words)


હિંદી (દેવનાગરી: ,  :  Hindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્ભવ  હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ નો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.

હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.

ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિંદી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિંદી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતાં જુદી છે).

હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.

હિંદી ભાષાની બોલીઓમાં મુખ્ય બોલીઓ નીચે મુજબ છે - 

અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, 
ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે

હિંદી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાળી, ઉડિયા, પંજાબી, રોમાની, મરાઠી જેવી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે.

૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)- સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ.
૫૦૦ બી. સી. - બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત).
૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત).

૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ
૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ
૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ.

૪૦૦ - કાલીદાસે વિક્રમોર્વશીયમ્ અપભ્રંશમાં લખી.
૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ.
૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) દોહાકોશ લખી.

૭૭૯ - ઉદયોતન સુરીની કુવલયમલમાં અપભ્રંશનો પ્રયોગ
૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી
૯૯૩ - દેવસેનની શવકચર (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક)
૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપિનો પહેલું સ્વરૂપ
૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી

૧૨૮૩ - આમિર ખ઼ુસરોની પહેલી તથા મુકરિસ માં હિન્દવી શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ
૧૩૭૦ - હંસવાલી દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત
૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓ
૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ
૧૪૫૦ - રામાનન્દની સાથે સગુણ ભક્તીની શુરુઆત
૧૫૮૦ - કાલમિતુલ હાકાયત્ બુર્હનુદ્દિન જનમ દ્વારા
૧૫૮૫ - નવલદાસે ભક્તામલ લખી.
૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા અર્ધ કથાનક્ લખી.
૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન આદિ ગ્રન્થ બહાર પાડયું
૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે રામચરિત માનસ ની રચના કરી.
૧૬૨૩ - જાટમલે ગોરા બાદલ કી કથા લખી.
૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ રીતિ થી કાવ્યની શરૂઆત કરી
૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત.

૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી
૧૮૨૬ - ઉદન્ત માર્તણ્ડ હિંદીનું પહેલુ સાપ્તાહિક
૧૮૩૭ - ઓમ્ જય જગદીશ ના રચયિતા પુલ્લોરીનો જન્મ
૧૯૫૦ - હિંદી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત
૨૦૦૦- - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ




#Article 20: લતા મંગેશકર (145 words)


ભારત રત્ન લતા મંગેશકર (જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમ તો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીતમાં સૌથી મોટું ગણાય છે.

લતાજી એ ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં,

જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે.

લતા મંગેશકરનો જન્મ ઈંદોર, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે, એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજીનું બાળપણ નુ નામ હેમા નામ હતુ. તેમના માતા - પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું.




#Article 21: આશા ભોંસલે (109 words)


આશા ભોંસલે () (જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાંગલી, મહારાષ્ટ્ર, ભારત.) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.

સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે.




#Article 22: સચિન તેંડુલકર (6406 words)


સચિન રમેશ તેંડુલકર (મુંબઈ ખાતે, જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩) એ ભારતીય ક્રિકેટર છે જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તે ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ૨૦૦૨માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા. તેંડુલકર એ વર્તમાન પેઢીના એક માત્ર ખેલાડી છે જેમને બ્રેડમેન ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે ઘણીવાર લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના નામથી પણ ઓળખાય છે. સચિન તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી ૨૦૧૧ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે.. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

તેંડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધવાનારો ખેલાડી છે અને બન્ને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારવાવાળો પ્રથમ ખેલાડી છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે.

૨૦ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેંડુલકરે 30,000 રન પુરા કર્યાં. ૧૭ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાના બ્રાયન લારા ના વિક્રમને પાર કર્યો ત્યારે તે આ પ્રકારની રમતમાં ૧૨૦૦૦ રન પૂર્ણ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં ૧૧૦૦૦ રન પાર કરનાર ત્રીજો બેટ્સમેન અને પ્રથમ ભારતીય છે. આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કરનારા તેઓ પ્રથમ ખેલાડી હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક ૧૦૦૦૦ રનના સિમાચિહ્નનને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૫૦ રનના આંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના વિક્રમને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે ૧૦ ટેસ્ટ શતકો નોંધાવવાના ૭૦ વર્ષથી વધુ જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના વિક્રમની બરોબરી કરી હતી. તેંડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

ડિસેમ્બર ૨૦૧૨માં તેંડુલકરે આંતર્રાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોમાંથી ઓક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ લીધી, અને એજ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી, જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે ૧૬ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો. તેંડુલકર તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૬૬૪ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યો અને કુલ ૩૪,૩૫૭ રન કર્યા.

તેંડુલકરનો જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩ના રોજ બોમ્બે (હાલના મુંબઈ) ખાતે રાજાપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.  એવા તેમના પિતા રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર હતા અને તેમણે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું. તેંડુલકરના મોટા ભાઈ અજીતે તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત સચિનને નીતિન નામે એક ભાઈ અને સવિતાઇ નામે એક બહેન હતા.તેમણે સાહિત્ય સહવાસ સહકારી હાઉસિંગ સોસાયટી, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ માં પોતાના શરૂઆતના વર્ષો ગાળ્યા.તેમણે જહોન મેકએનોરે ને આદર્શ ગણી ટેનિસમાં રૂચિ દેખાડી હતી.

તેંડુલકર શારદાશ્રમ વિદ્યામંદિર માં (હાઇસ્કૂલ) અભ્યાસ કરતા હતા, જ્યાં તેમણે કોચ અને ગુરૂ રમાકાન્ત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાળા ના દિવસો દરમિયાન તેમણે ઝડપી ગોલંદાજ ની તાલિમ લેવા માટે એમઆરએફ પેસ ફાઉન્ડેશન માં જોડાયા હતા,પરંતુ 3૫૫ ટેસ્ટ વિકેટો નો વિક્રમ ધરાવનારા ડેનિસ લિલી પર તેઓ અસર ઉપજાવી શક્યા ન હતા અને લિલી એ તેમને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

તેંડુલકર જ્યારે યુવા વય ના હતા ત્યારે તેઓ નેટ્સ માં કલાકો સુધી પ્રેક્ટિસ કરતા. જો એ થાકી જાય તો આચરેકર એક રૂપિયા નો સિક્કો સ્ટમ્પ ના ટોચ પર મુકતા, અને જે ગોલંદાજ તેંડુલકર ને આઉટ કરે તેને તે સિક્કો મળતો. જો તેડુંલકર આઉટ થયા વગર બધા જ રાઉન્ડ પાસ કરે તો તે સિક્કો કોચ તેને આપતા. તેડુંલકર તેવા જીતેલા ૧૩ સિક્કાને પોતાની કીમતી સંપત્તિ માને છે.

શાળા માં તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળક તરીકે નામના ધરાવતા હતા. મુંબઇ ના વર્તુળો માં તેઓ વાતચીત નો એક સામાન્ય મુદ્દો બની ગયા હતા. લોકો અગાઉ થી એવું માનતા કે ભવિષ્ય માં તેઓ મહાન ખેલાડી બનશે. વર્ષ ૧૯૮૮ તેંડુલકર માટે અસામાન્ય રહ્યું હતું. જેમાં તેમણે રમેલી દરેક ઇનિંગ્સ માં સદી ફટકારી હતી. ૧૯૮૮ માં લોર્ડ હેરિસ શીલ્ડ ઇન્ટર-સ્કૂલ મેચ માં નોંધાયેલી ૬૬૪ રન ની અખંડિત ભાગીદારી માં તેંડુલકર અને તેમના મિત્ર અને ટીમ ના સાથી વિનોદ કામ્બલી સંકળાયેલા હતા. કામ્બલી એ પણ ભારતીય ટીમનું પ્રતિનીધિત્વ કર્યુ હતું. આ આક્રમક જોડીએ એક બોલર ને રડાવી દીધો હતો અને વિરોધી ટીમ ને રમત બંધ કરવા પર મજબૂર બનાવી દીધી હતી. તેંડુલકરે તે ઇનિંગ્સ માં 3૨૬* તેમજ તે ટુર્નામેન્ટ માં એક હજાર ઉપર રન કર્યાં હતા. ૨૦૦૬ સુધી આ ભાગીદારી ક્રિકેટ ના કોઇ પણ સ્વરૂપ ની સૌથી મોટી હતી. ભારત ના હૈદરાબાદ ખાતે યોજાયેલી એક મેચ માં અંડર-૨૩ ની જોડી એ આ વિક્રમ તોડ્યો હતો.

તેઓ જ્યારે ૧૪ વર્ષ ના હતા ત્યારે ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે તેમના પોતાના અલ્ટ્રા લાઇટ પેડ્સ ની એક જોડી તેને આપી હતી. આ ઘટના ના ૨૦ વર્ષ પછી ગાવસ્કર નો ૩૪ ટેસ્ટ સદીઓ ફટકારવા નો વિશ્વ વિક્રમ તોડ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તે મારા માટે સૌથી મોટી પ્રોત્સાહક પળ હતી. 
૧૯૯૫ માં સચિન તેંડુલકર પિડીયાટ્રિશીયન અને ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા ની દિકરી અંજલી ને (જન્મ ૧૦ નવેમ્બર, ૧૯૬૭) પરણ્યા હતા. તેઓના બે બાળકો છે, સારા (જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૯૭)અને અર્જુન (જન્મ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૯૯).

તેંડુલકર તેમના સાસુ અન્નાબેન મહેતા સાથે જોડાયેલા મુંબઇ સ્થિત એનજીઓ અપનાલય દ્વારા દર વર્ષે ૨૦૦ અસંસ્કૃત બાળકોને સ્પોન્સર કરે છે.

ડીસેમ્બર ૧૧, ૧૯૮૮, ના રોજ માત્ર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ ના તેંડુલકરે પોતાની પ્રથમ ગુજરાત સામેની બોમ્બે ની મેચ માં અણનમ ૧00 રન બનાવ્યા, જેણે તેને પ્રથમ શ્રેણી ના સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર બનાવ્યો. જેના પછી તેમણે તેમની પ્રથમ દેઓધર એન્ડ દુલીપ ટ્રોફી માં પણ સદી ફટકારી.. મુંબઈ ના કેપ્ટન દિલીપ વેન્ગસરકારે તેને નેટ માં કપિલ દેવ સાથે રમતા જોઈ ને સિલેક્ટ કર્યો. ,અને બોમ્બે ના સૌથી વધારે રન સાથે શ્રેણી સમાપ્ત કરી. તેણે ઈરાની ટ્રોફી ફાઈનલ માં અદ્વિતીય સદી ફટકારી હતી, અને તે પછી ના વર્ષે ફક્ત એક પ્રથમ શ્રેણી ની સીઝન પછી પાકિસ્તાન ટુર માટે ચૂંટાયો હતો.

તેમણે કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય.

૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા.

તેંડુલકરે તેમની પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૮૯ માં 16 વરસ ની ઉંમરે પાકિસ્તાન સામે કરાચીમાં રમી હતી. આ જ મેચ માં ક્રિકેટ માં પ્રવેશ કરનારા વકાર યુનિસ ની બોલિંગ માં તેઓ ૧૫ રન બનાવી આઉટ થયા હતા,પરંતુ પાકિસ્તાન ના બોલિંગ આક્રમણ દરમિયાન તેમના શરીર પર કરવા માં આવેલા પ્રહારો વિરૂદ્ધ નોંધપાત્ર રીતે પોતાની જાતને સંભાળી હતી. સીઆલકોટ ની ફાઈનલ મેચ માં એક બાઉન્સર બોલ તેમના નાક પર વાગતા તેમને નાક માંથી લોહી નીકળ્યું હતું છતાં તેમને સારવાર લેવાની ના પાડી ને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. પેશાવર માં ૨૦ ઓવર ની પ્રદર્શન રમત માં, તેંડુલકરે ૧૮ બોલ માં ૫૩ રન ફટકાર્યા જેમાં અબ્દુલ કાદિર ની એક ઓવર પણ સામેલ છે જેમાં તેમણે ૨૮ રન ફટકાર્યા. જેના પર પાછળ થી ભારતીય કેપ્ટન ક્રીસ શ્રીકાંત નું કેહવું હતું કે આ અત્યાર સુધી ની સર્વોત્તમ શ્રેણી માં ની એક છે. બધા માં, તેમણે ટેસ્ટ શ્રેણી માં ૨૧૫ રન ૩૫.૮૩ ની એવરેજ થી કર્યા, અને એક પણ રન કર્યા વગર એક માત્ર એક દિવસીય આંતરરાષ્ટ્રીય માં થી આઉટ થયી ગયા.

આ શ્રેણી પછી તેમણે ન્યુઝીલેન્ડ માં ૮૮ ની બીજી ટેસ્ટ શ્રેણી સાથે ૨૯.૨૫ ની એવરેજ થી ૧૧૭ રન ફટકાર્યા. તેમાં તે બે એક દિવસીય મેચ રમ્યા જે માંથી એક માં તે એક પણ રન કર્યા વગર ડીસમીસ થઇ ગયા અને બીજા માં 36 રન કર્યા હતા. તેમની તે પછી ની ૧૯૯૦ ની ઇંગ્લેન્ડ ટુર માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ૧૧૯* રન મારી ને તે બીજા સૌથી યુવાન ક્રિકેટર બની ગયા.વિઝડને તે શ્રેણી માટે જણાવ્યું બહુ પરિપક્વતા નું એક અનુંસાસિત પ્રદર્શન અને લખ્યું: તેંડુલકરે ૧૯૯૧-૧૯૯૨ ની ઓસ્ટ્રેલિયા ની ટુર વખતે વધુ વિકાસ કર્યો જયારે તેણે સિડની માં પર્થ ની બાઉન્સિંગ પીચ પર અજોડ 148 ફટકાર્યા. આ સમયે મર્વ હ્યુજીસે  કહ્યું હતું કે આ નાનો છોકરડો તારા કરતા વધુ રન બનાવશે, એબી.

૧૯૯૪-૧૯૯૯ ના વર્ષો દરમિયાન તેંડુલકર નો દેખાવ તેના શારિરીક વિકાસ ની સાથે ઝડપથી વિકાસ પામતો હતો. ૧૯૯૪ માં હિંદુઓ ના તહેવાર હોળી ના દિવસે તેંડુલકરને ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઇનિંગ્સ ની શરૂઆત કરવાનું કહેવા માં આવ્યું. તેમણે ફક્ત ૪૯ બોલમાં ૮૨ રન બનાવ્યા. તેમણે શ્રીલંકા ના કોલમ્બો ખાતે ઓસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બર ૯, ૧૯૯૪ ના રોજ પ્રથમ વનડે સદી નોંધાવી હતી. તેમણે ૭૯ વનડે મેચો બાદ સદી નોંધાવી હતી.

૧૯૯૬ માં પાકિસ્તાન સામે શારજાહ માં ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન એક દુર્બળ વખત માંથી પસાર થઇ રહ્યા હતા. તેંડુલકર અને નવજોત સિંઘ સિદ્ધુએ સદીઓ ફટકારી બીજી વિકેટ માટે વિક્રમજનક ભાગીદારી નોંધાવી હતી. આઉટ થયા બાદ, તેંડુલકરે અઝરુદ્દીનને બેટિંગ અંગે દ્વિધા માં પડેલો જોયો. તેંડુલકરે અઝરુદ્દીન ને બેટિંગ માટે પ્રોત્સાહન આપ્યું અને અઝરુદ્દીને ફક્ત ૧૦ બોલમાં જ ૨૯ રન ફટકારી દીધા. તેને પગલે ભારતે પ્રથમ વખત ૩૦૦ થી વધુનો સ્કોર બનાવ્યો. આ મેચમાં ભારતે જીત મેળવી હતી.

૧૯૯૬ ના ક્રિકેટ વિશ્વ કપ માં બે સદીઓ અને ટોચ ની બેટિંગ સરેરાશ સાથે તેંડુલકરે ટુર્નામેન્ટ માં સૌથી વધુ રન બનાવ્યા અને ક્રિકેટ વિશ્વ માં તેમની વૃદ્ધિ સતત થતી રહી. તે વિશ્વકપ ની ઓછી જાણીતી સેમિફાઇનલ માં સારો દેખાવ કરનારા તે એકમાત્ર બેટ્સમેન હતા. જ્યારે તેંડુલકર ની વિકેટ પડી ત્યારબાદ બધા જ ખેલાડીઓ ના પતન ની શરૂઆત થઇ ગઇ અને પરિણામે ભારતે હારનો સામનો કરવો પડ્યો અને તેને પગલે પ્રેક્ષકોએ હુરિયો બોલાવી વિરોધ નોંધાવ્યો.

૧૯૯૮ માં ઓસ્ટ્રેલિયા ના પ્રવાસ દરમિયાન તેંડુલકરે સતત 3 સદી ફટકારતા બેટિંગ વિશ્વના ટોચ ના સ્થાન ના સમયગાળા ની તે શરૂઆત હતી. ઓસ્ટ્રેલિયા ના સ્પીનરો શેન વોર્ન અને ગેવિન રોબર્ટ્સન સામે આક્રમક વલણ અપનાવવા ના અગાઉથી કરાયેલા આયોજન તેની એક ઓળખ છે, જેમની સામે તેઓ હંમેશા ઉંચા ફટકા મારતા. આ આયોજન કામ કરી જતા ભારતે ઓસ્ટ્રેલિયા ને હરાવી દીધું. આ ટેસ્ટ મેચ ની સફળતા બાદ શારજાહ ખાતે તેમણે બે ઝમકદાર ઇનિંગ્સ રમી, જેમાં તેમણે જીતવી જ પડે તેવી મેચો માં સતત બે સદીઓ નોંધાવી અને ફાઇનલ મેચ માં ઓસ્ટ્રેલિયા સામે ફરી શેન વોર્ન ને માનસિક રીતે હતાશ બનાવી દીધો. આ શ્રેણી બાદ વોર્ને શોકાતુર મજાક કરી હતી કે તેને ભારતીય દેવતાના ભયંકર સપના આવે છે. તેનો તે શ્રેણી માં બોલ સાથે પણ સારો રોલ રહ્યો હતો, જેણે એક દિવસીય મેચ માં 5 વિકેટ ધોઈ કાઢી હતી. ઓસ્ટ્રેલિયા ની પાસે જીતવા માટે ૩૧0 રન નો ટાર્ગેટ હતો અને 3૧ ઓવર માં ૨૦૩ રન અને 3 વિકેટ સાથે આરામ થી રમી રહ્યું હતું તે પછી તેંડુલકરે માત્ર ૧૦ ઓવર માં ૩૨ જ રન આપી ને માઈકલ બેવન, સ્ટીવ વો, ડેરેન લેહમેન, ટોમ મૂડી અને ડેમીઅન માર્ટીન ની વિકેટ લઇ ને મેચ ભારત તરફ વાળી દીધી. 

તેંડુલકરે ઢાકા ખાતે આઇસીસી 1998 ની ક્વોટર ફાઇનલમાં ફક્ત ૧૨૮ બોલ માં ૧૪૧ રન ફટકાર્યા બાદ ઓસ્ટ્રેલિયા ની ચાર વિકેટ ઝડપી એકલે હાથે મેચ જીતાડી સેમિફાઇનલમાં ભારત ના પ્રવેશ નો માર્ગ સરળ કર્યો હતો.

૧૯૯૯ માં પાકિસ્તાન જ્યારે ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે સચિનને પીઠ ના દુખાવાનો પ્રશ્ન ઉભો થયો. આ મેચ માં સચિને સદી મારી હોવા છતાં ભારતે ચેપોક ખાતે ની એ ઐતિહાસિક મેચ ગુમાવી દીધી હતી. ૧૯૯૯ ના ક્રિકેટ વિશ્વ કપના મધ્ય ભાગ માં તેંડુલકર ના પિતા પ્રોફેસર રમેશ તેડુંલકર નું મૃત્યું થયું ત્યારે વધુ ખરાબ પરિસ્થિતી નું નિર્માણ થયું. તેંડુલકર ઝીમ્બાવે સામે ની મેચ છોડી ને પિતા ના અંતિમ સંસ્કાર કરવા માટે પાછો ભારત આવી ગયો. આમ છતાં તેમણે બ્રિસ્ટલ ખાતે કેન્યા સામે ની પછી ની મેચ માં સદી (૧૦૧ બોલ માં અણનમ ૧૪0) ફટકારી આક્રમકતા સાથે પરત ફર્યા. તેમને આ સદી પોતાના પિતા ને અર્પણ કરી.

ભારતીય ક્રિકેટ ટીમ ના કપ્તાન તરીકે ના તેંડુલકર ના બે સમયગાળા બહુ સફળ રહ્યા ન હતા. ૧૯૯૬ માં જ્યારે તેંડુલકર ને કપ્તાનપદ સંભાળ્યું ત્યારે તેના પ્રત્યે ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી. આમ છતાં ૧૯૯૭ થી ટીમનો દેખાવ ખૂબ નબળો રહ્યો. તે સમયે અઝરુદ્દીને કહ્યું હતું કે નહીં જીતેગા! છોટે કી નસીબ મેં જીત નહી હે! , જેનું ગુજરાતી થાય છે: તે નહી જીતે! નાના ના નસીબ માં જીત નથી.

તેંડુલકરે તેના બીજા કાર્યકાળ દરમિયાન અઝરૂદ્દિન ના સ્થાને કપ્તાન પદ સંભાળ્યું જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા ના પ્રવાસે ગયું હતું. ભારત ને નવા વિશ્વવિજેતાઓ એ ૩-0 થી મક્કમ માત આપી હતી. છતાં તેંડુલકર દરેક વખત ની જેમ તેના બેસ્ટ પ્રદર્શન પર હતો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડસ રમતોમાં ની કોઈ એક માં જીત્યો હતો. ભારત માં દક્ષિણ આફ્રિકા સામે ૦-૨ થી બીજી ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ તેંડુલકરે કપ્તાન પદે થી રાજીનામું આપ્યું અને સૌરવ ગાંગુલીએ ૨૦૦૦ માં કપ્તાન પદ સંભાળ્યું.

તેંડુલકર ભારતીય ટીમની વ્યૂહાત્કમ પ્રક્રિયાઓ ના એક મહત્વ ના ભાગ હતા. તેઓ ને ઘણી વાર કપ્તાન સાથે વ્યૂહો ઘડતા અને ચર્ચા કરતા જોવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડે જાહેર માં કબૂલ્યું હતું કે તેંડુલકરે ઇરફાન પઠાણ ને ઉપર ના ક્રમે બેટિંગ માં મોકલવા ના કરેલા સૂચન નો અમલ કામચલાઉ રીતે થયો હોવા છતાં તે ટીમ ના ભવિષ્ય માટે તાત્કાલિક અસર ઉપજાવનારો રહ્યો હતો.

તેંડુલકર નો ટેસ્ટ ક્રિકેટ માં સારો દેખાવ ૨૦૦૧ અને ૨૦૦૨ માં બેટ અને બોલ વડે કેટલીક મહત્વ ની ભૂમિકાઓ સાથે સતત ચાલુ રહ્યો. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે૨૦૦૧ માં રમાયેલી જાણીતી કોલકાતા ટેસ્ટ ના અંતિમ દિવસે ત્રણ વિકેટ ઝડપી હતી. તેંડુલકરે મેથ્યુ હેડન અને એડમ ગિલક્રીસ્ટ ની ચાવીરૂપ વિકેટો ઝડપી, જેમણે અગાઉ ની ટેસ્ટ માં સદી ફટકારી હતી.

તેંડુલકરે 2003 ના ક્રિકેટ વિશ્વ કપ માં ૧૧ મેચ માં ૬૭૩ રન બનાવ્યા અને તેને સહારે ભારત ફાઇનલ સુધી પહોંચ્યું. ઓસ્ટ્રેલિયા એ ૧૯૯૯ માં જીતેલી ટ્રોફીનું પુનરાવર્તન કર્યુ અને તેંડુલકર ને મેન ઓફ ધી ટુર્નામેન્ટ એવોર્ડ થી નવાજવા માં આવ્યો. ૨૦૦૩/0૪ માં ભારતની તૈયાર શ્રેણી ની ઓસ્ટ્રેલીયા ની સફર માં છેલ્લી ટેસ્ટ શ્રેણી માં સિડની માં તેંડુલકરે ૨૪૧* રન ફટકારી ને પોતાનું સ્થાન જમાવી દીધું જેણે ભારત ને અણનમ સ્થિતિ માં લાવી દીધા. બીજી ઇનિંગ્સ માં પણ તેમણે અણનમ ૫0 રન નોંધાવ્યા અને આગામી શ્રેણી માં મુલતાન ખાતે પાકિસ્તાન વિરૂદ્ધ અણનમ ૧૯૪ રન ફટકાર્યા. તેંડુલકર જ્યારે બેવડી સદી સુધી પહોંચવા ની તૈયારી માં હતા ત્યારે રાહુલ દ્રવિડે દાવ પૂરો થયાની જાહેરાત કરતા ૧૯૪ રન ની ઇનિંગ્સ વિવાદિત રહી હતી. તે દિવસે સાંજે પ્રેસ સાથે ની મુલાકાત માં પાકિસ્તાન સામે ની બેવડી સદી ૨૦૦ રન મિસ કરવા ના પ્રશ્ન સામે જણાવ્યું કે તે દાવ પુરા થયા ની જાહેરાતે તેણે અચંબા માં મૂકી દીધેલો અને તે ઘણો નિરાશ થયો હતો. ઘણા પૂર્વ ક્રિકેટરો ના કહેવા પ્રમાણે દ્રવિડ ની ઘોષણા યોગ્ય ઘોષણા હતી. મીડિયા ના કેહવા પ્રમાણે ઘોષણા જાણીતી રીતે સૌરવ ગાંગુલી દ્રારા કરવામાં આવી હતી, અને ગાંગુલીએ પાછળ થી પોતે તેમ પણ કહ્યું હતું કે તે એક ભૂલ હતી. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને કોચ જ્હોન રાઇટે જ્યારે ટીમ ના વિજય પછી આ બાબત આંતરિક મામલો હોવાનું જણાવ્યા બાદ આ વિવાદ નો અંત આવ્યો હતો.

તેંડુલકર ધરખમ ફોર્મ માં હોવા છતાંટેનીસ એલ્બો ની ઇજા ને કારણે વર્ષ ની મોટા ભાગ ની મેચ માં તેઓ ટીમ ની બહાર રહ્યા હતા અને ૨૦૦૪ માં ઓસ્ટ્રેલિયા ભારત ના પ્રવાસે આવ્યું ત્યારે છેલ્લી બે ટેસ્ટ માં તેમનું પુનરાગમન થયું હતું. મુંબઇ માં મળેલા વિજય માં તેમણે મોટો ફાળો આપ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયા તે શ્રેણી ૨-1 થી જીતી ગયું હતું.

૧0 ડિસેમ્બર, ૨00૫ ના રોજ ફીરોઝ શાહ કોટલા ખાતે તેંડુલકરે શ્રીલંકા સામે વિક્રમસર્જક 3૫મી ટેસ્ટ સદી નોંધાવી હતી. 6 ફેબ્રુઆરી, ૨00૬ ના રોજ તેમણે પાકિસ્તાન સામે 3૯મી વનડે સદી નોંધાવી હતી. તે પછી તેમણે ૧૧ ફેબ્રુઅરી, ૨૦૦૬, ના દિવસે પાકિસ્તાન સામે ની એક બીજી એક દિવસીય અંતરરાષ્ટ્રીયમાં રન-અ-બોલ ૪૨, અને પછી લાહોર માં 95 શત્રુતાપુર્વક જેણે 13 ફેબ્રુઅરી, ૨00૬ એ ભારત ના વિજય ની સ્થાપના કરી. 

૧૯ માર્ચ, 2006 ના રોજ સ્થાનિક ગ્રાઉન્ડ વાનખેડે પર ઇંગ્લેન્ડ સામે ની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવ માં સચિને નોંધાવેલા ૨૧ બોલમાં ૧ રનને કારણે પ્રેક્ષકો ના એક ટોળા એ સચિન નો હુરિયો બોલાવ્યો હતો. આ પ્રકાર નો તિરસ્કાર સચિને પ્રથમ વાર અનુભવ્યો હતો. તેંડુલકર એક પણ અર્ધ શતક માર્યા વગર ત્રણ ટેસ્ટ શ્રેણી પતાવા ના હતા અને તેમના ખભા ના ઓપરેશન ની ખબર બહાર પડી જેણે તેમની ક્રિકેટ ની લાંબી જિંદગી પર સવાલ ઉઠાવ્યો. તેંડુલકર ના ઘાયલ ખભા પર શસ્ત્રક્રિયા કરવા માં આવી. જૂલાઇ ૨૦૦૬ માં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ(બીસીસીઆઇ) એવી જાહેરાત કરી હતી કે સુધારણા કાર્યક્રમ બાદ સચિન તેની ખભા ની ઇજા માંથી બહાર આવી ગયો છે અને પંસદગી માટે પ્રાપ્ય છે અને અંતે આગામી શ્રેણી માટે તેની પસંદગી થઇ હતી.

મલેશિયા માં યોજાયેલા ડીએલએફ કપ માં તેંડુલકર નું પુનરાગમન થયું અને સારો દેખાવ કરનારા તેઓ એકમાત્ર ભારતીય બેટ્સમેન હતા. પુનરાગમન બાદ ની પ્રથમ મેચ માં ૧૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે તેંડુલકરે ૪0મી વનડે સદી ફટકારીને તેના ટીકાકારો ને જડબાતોડ જવાબ આપ્યો હતો. સચિને અણનમ ૧૪૧ રન નોંધાવ્યા હોવા છતાં વરસાદ ને કારણે અટવાયેલી મેચ વેસ્ટ ઇન્ડિઝ ડકવર્થ-લુઇસ પદ્ધતિ ને આધારે જીતી ગયું.

૨૦૦૭ ના ક્રિકેટ વિશ્વ કપ ની તૈયારીઓ દરમિયાન ગ્રેગ ચેપલે તેંડુલકર ના અભિગમ વિષે ટીકા કરી હતી. અહેવાલ મુજબ ચેપલ એવું માનતા હતા કે તેંડુલકર નીચેના ક્રમે સારો દેખાવ કરી શકે છે, જ્યારે અન્ય લોકોના મતે તે ઓપનીંગ બેટ્સમેન તરીકે સારી કામગીરી કરે છે, જે ક્રમે તેઓ મોટે ભાગે રમતા આવ્યા છે. ચેપલ એવું પણ માનતા કે તેંડુલકર ની સતત નિષ્ફળતા ટીમ ની તકો પર અસર કરી રહી છે. બહુ ઓછી જોવા મળે તેવી ઘટના માં તેંડુલકરે ચેપલ ની વાત નો એવું કહેતા જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી ના કોઇ પણ કોચે તેના અભિગમ સામે વાંધો ઉઠાવ્યો નથી. ૭ એપ્રિલ, ૨૦૦૭ ના રોજ બીસીસીઆઇ એ તેંડુલકર ને માધ્યમો સામે કરેલી ટિપ્પણી માટે નો ખુલાસો માગતી નોટિસ આપી હતી.

વેસ્ટ ઇન્ડિઝ ખાતે યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપ ૨00૭ માં તેંડુલકર અને રાહુલ દ્રવિડ ની આગેવા ની હેઠળ ની ભારતીય ક્રિકેટ ટીમ નો દેખાવ સામાન્ય સ્તરનો રહ્યો. ગ્રેગ ચેપલ દ્વારા દબાણપૂર્વક નીચેના ક્રમે બેટિંગ માં મોકલાતા તેંડુલકરે (બાંગ્લાદેશ સામે) ૭, (બર્મુડા સામે) અણનમ ૫૭ અને (શ્રીલંકા સામે) 0 રન નોંધાવ્યા હતા. તેના પરિણામે ભારતીય ટીમ ના પછી ના કોચ ગ્રેગ ચેપલ ના ભાઈ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન ઇયાન ચેપલે મુંબઇ ના મિડ ડે સમાચારપત્ર માં તેંડુલકર ને નિવૃત્તિ જાહેર કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ બાંગ્લાદેશ સામે ની શ્રેણી માં તેંડુલકર ઓપનીંગ બેટિંગ માં પરત ફર્યા અને મેન ઓફ ધી સિરીઝ બન્યા. દક્ષિણ આફ્રિકા સામે ફ્યુચર કપ દરમિયાન તેમણે સતત બે વાર ૯૦ થી વધુ રન માર્યા. તેઓ સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડી હતા અને તેમને મેન ઓફ ધી સિરીઝ તરીકે નવાજવા માં આવ્યા.

૨૮ જૂલાઇ, ૨૦૦૭ ના રોજ નોટિંગહામ ટેસ્ટના બીજા દિવસે તેંડુલકર ૧૧000 ટેસ્ટ રન પૂર્ણ કરનારા ત્રીજા બેટ્સમેન બન્યા. તે પછી ની ઇંગ્લેન્ડ સામે ની સળંગ એક દિવસીય શ્રેણી માં તેંડુલકર ૫3.૪૨ ની એવરેજ સાથે ભારત તરફ થી પ્રમુખ રન સ્કોરર રહ્યા હતા. ઓક્ટોબર ૨૦૦૭ માં ઓસ્ટ્રેલિયા સામે ની વનડે સિરીઝ માં તેંડુલકર કુલ ૨૭૮ રન સાથે સૌથી વધુ રન નોંધાવનાર બેટ્સમેન હતા.

૨00૭ માં તેંડુલકર સાત વખત ૯૦ થી 100 રનના ગાળા માં આઉટ થયા, જેમાં ત્રણ વખત ૯૯ રન નો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો એ એવું સૂચન કર્યું હતું કે તેની કારકિર્દી ના આ તબક્કા માં તે સદી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેંડુલકર તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માં 23 વખત ૯0 થી ૧00 રન ના ગાળા માં આઉટ થયા છે. ૮ નવેમ્બર, ૨00૭ ના રોજ તેઓ મોહાલી ખાતે પાકિસ્તાન સામે વનડેમાં ઉમર ગુલ ની બોલિંગ માં કામરાન અકમલ ના હાથે ૯૯ રન ના સ્કોરે કેચ આઉટ થયા હતા. ચોથી વનડે માં તેઓ ઉમર ગુલ ની બોલિંગ માં ૯૭ રન ના (૧૧૬ ચોગ્ગા સાથે ૧૦૨ બોલ માં) સ્કોરે બોલ્ડ આઉટ થયા હતા અને ૨00૭ માં વનડે માં બીજી વાર સદી કરવા માં નિષ્ફળ નિવડ્યા હતા.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ૨00૭-0૮ માં ચાર ટેસ્ટ ની બીજી ઇનીંગ માં સદંતર નિષ્ફળતા છતાં ૪૯૩ રન સાથે શ્રેણી માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ને અસામાન્ય દેખાવ કર્યો. સચિન મેલબોર્ન માં મીલીગ્રામ માં પહેલી ટેસ્ટ ની પહેલી પરી માં ૬૨ રનબનાવ્યા,પણ રોક નથી ચાલી સકતી એક ભારે 33૭ રન ઓસ્ટ્રેલીયા ને માટે નથી જીતી સકતા. સિડની ખાતે રમાયેલી વિવાદાસ્પદ ટેસ્ટમાં સચિને અણનમ ૧૫૪ રન નોંધાવ્યા હતા અને ભારત મેચ હારી ગયું હતું. આ એસસીજી ના ગ્રાઉન્ડ પરની તેની ત્રીજી સદી હતી અને તેને પગલે ગ્રાઉન્ડ પરની તેની સરેરાશ ૨૨૧.33 હતી. પર્થ માં વાકા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ માં સચિને ઝમકદાર ઇનીંગ માં ૭૧ રન નોંધાવી ભારત ના પ્રથમ દાવ ના સ્કોર 330 રન માં મહત્વ નો ફાળો આપ્યો. તેમને એલબીડબ્લ્યૂ દ્વારા આઉટ આપવા માં આવ્યા હતા અને પાછળ થી આ નિર્ણય પર પ્રશ્નો ઉઠ્યા હતા. ભારત ને વાચા માં એક ઐતિહાસિક જીત લખી હતી.એડીલેડ ,જો કે એક આકર્ષિત માં સમાપ્ત માં ચૌથી ટેસ્ટ માં તેઓએ પહેલી પારી માં ૧૫૩ રન બનાવ્યા વી.વી.એસ.લક્ષ્મણ ની સાથે એક મહત્વપૂર્ણ ૧૨૬ રન સાથે પાંચવી વિકેટ ના માટે લક્ષ્મણ ૧૫૬ થી ૨૮૨ ના સ્કોર પર ભારતનું નેતૃત્વ કરવા માટે ના સુરક્ષિત ખેલાડી હતા. તેમણે પ્લેયર ઓફ મેચ એવોર્ડ મેળવ્યો.

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાસાથે ની કોમનવેલ્થ બેન્ક ત્રિકોણીય શ્રુંખલામાં તેંડુલકર વનડે માં ૧૬000 રન નોંધાવનારો પ્રથમ અને એક માત્ર ખેલાડી બન્યો. ૫ ફેબ્રુઆરી, ૨00૮ ના રોજ બ્રિસ્બેન ખાતે શ્રીલંકા વિરૂદ્ધ તેમણે આ સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું. તે સીબી ના સારી રીતે ૧0,3૫,૪૪,અને 3૨ ના સ્કોર શ્રુંખલાનું નિશાન સાધવા નું ચાલુ કરી દીધું હતું,પણ તે મોટા સ્કોર માં ચાલુ થાય છે પરિવર્તિત નથી કરી સકતો. શ્રુંખલા ના મધ્ય ભાગ માં તેમના દેખાવ ખરાબ થવા લાગ્યો, પરંતુ હોબાર્ટ ખાતે શ્રીલંકા સામે ની જીતવી જ પડે તેવી મેચ માં 54 બોલમાં 63 રન નોંધાવી મજબૂત પુનરાગમન કર્યું. તેને પહેલી સીરીઝ માં ૧૨0 બોલ માં ૧૧૭ રન બનાવ્યા અને બીજી ફાઈનલ માં ૯૧ રન

ત્રણ ટેસ્ટ સીરીઝ ફરિ થી સાઉથ આફ્રિકા ના ઘર પર તેંડુલકરે પહેલી ઈનિંગ્સ માં ૦ રન કર્યા. ત્યાર બાદ ની બાકી સીરીઝ એમને ખોઈ, તે સીરીઝ ૧-૧ સાથે બરાબર રહી. 

૨00૮ ના મધ્યમાં શ્રીલંકા માં ત્રણ ટેસ્ટ સીરીઝ પહેલા બ્રાયન લારા નો ટેસ્ટ ક્રિકેટ મા ૧૧૯૩૫ રન ના વિક્રમ થી ઉપર જવા માટે સચિન ને ફક્ત ૧૭૭ રનની જરૂર હતી. ભલે, ફક્ત ૯૫ રન ના સ્કોર પર તે બધા 6 દાવ માં અસફળ રહ્યા. ભારત ૧-૨ થી હારી ગયુ.

શ્રીલંકા ની સામે એક દિવસીય શ્રુંખલા માં તેંડુલકર ચોટ ના કારણે સાઈડલાઈન થઇ ગયો હતો. તેમ છતાં, ભારત પછી ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ દરમિયાન તેઓ ફિટનેસ અને જોશ માં આવી ગયા, બીજી ટેસ્ટ માં ૮૮ રન કરવા પહેલા, તેણે પહેલી ટેસ્ટ મેચ માં ૧૩ અને ૪૯ રન કર્યા, આ પ્રકારે ટેસ્ટ ના સોથી વધારે સંખ્યા માટે બ્રાયન લારા આયોજિત રેકોર્ડ તોડ્યો. તેમણે ૧૨000 રન પુરા કર્યા જયારે 61 રને પહોચેલા. સચીન તેંદુલકર એ ત્રીજી ટેસ્ટ માં ૫૦ અને ૧૦૯ ચોથી ટેસ્ટ માં રન કર્યા હતા, જેના ફળ સ્વરૂપ ભારત ૨-0 થી બોર્ડેર - ગાવસ્કર શ્રુંખલા જીતી ગયું હતું.

ઇંગ્લેન્ડ સામે ની ઘરેલું ૭ ઓડીઆઇસ સીરીઝ માંથી ચોટ ના કારણે તેંડુલકર ફરી થી પહેલી ત્રણ ઓડીઆઇસ માંથી બહાર થઇ ગયો, પણ તેણે ચોથી ઓડીઆઇ માં ૧૧ અને પાંચવી માં ૫0 રન બનાવ્યા, મુંબઈ હુમલા ના કારણે ઓડીઆઇ સીરીઝ્સ રદ થતા પહેલા, ભારત માટે સ્કોરલાઈન ૫-0 હતો.

ડીસેમ્બર ૨00૮ માં ઇંગ્લેન્ડ ૨ મેચ ની ટેસ્ટ સીરીઝ માટે પાછો આવ્યું, અને ચેન્નઈ માં પહેલી ટેસ્ટ માં, જીત માટે ૩૮૭ રન નો પીછો કરતા, તેંડુલકરે યુવરાજ સિંગ પાંચવી ન તૂટેલી વિકેટ સાથે ૧૬૩ માં અણનમ ૧૦૩ રન બનાવ્યા. આ તેની ચોથી મેચ માં ત્રીજો શતક હતો, અને જીત ના પરિણામ માં પહેલો. આ તેની ૧૯૯૯ ની ચેન્નાઈ ટેસ્ટ માં પાકિસ્તાન સામે ૨૭૧ સ્કોર નો પીછો કરતા તેનો યોગદાન હતો, સચિને સખ્ત પીઠ ના દુખાવા સાથે ૧૩૬ રન બનાવ્યા અને લક્ષ્ય થી માત્ર ૧૭ રન દુર આઉટ થયો, દોરી જતા તૂટી પડ્યો અને ૧૨ રન થી હારી ગયું. તેણે પોતાનો આ શતક મુંબઈ હુમલા ના પીડિતો ને અર્પણ કર્યું. બીજી ટેસ્ટ ની બંને ઇનિંગ્સમાં તેંડુલકર નિષ્ફળ રહ્યો, ભારત ૧-0 થી સીરીઝ જીતી ગયું.

૨00૯ ની શરૂઆત માં, મુંબઈ હુમલા અને પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ના કારણે પાકિસ્તાન સીરીઝ રદ થતા, ભારતે શ્રીલંકા નું ૫ ઓડીઆઇ માટે પુનરાવર્તન કર્યું. પહેલી 3 ઓડીઆઇ માં ત્રણ સમયે ખોટો એલબીડબ્લ્યુ આઉટ અપાતા સચિને ૫,૬ અને ૭ રન બનાવ્યા. ત્યાર પછી તે ફરીથી ધાયલ થયો હતો.

ભારતનું ત્યાર પછી નું કાર્ય ન્યુ ઝીલેન્ડ સામે ની સીરીઝ હતું. તે સતત 3 ટેસ્ટ અને 5 ઓડીઆઇ સાથે ચાલુ રહ્યું.
તેંડુલકરે પહેલી મેચ માં ૨0 સાથે અને ત્યાર પછી બીજી મેચ માં 61 રન સાથે ઓડીઆઇ સીરીઝ માં શરૂઆત કરી. પછી તેણે ત્રીજી ઓડીઆઇ માં અણનમ ૧૬3 રન બનાવ્યા, પેટ ના મચકોડે તેણે રીટાયર હર્ટ માટે મજબુર કર્યો અને ઇનિંગ્સ પૂર્ણ થઇ. ભારતે ૩૯૨ બનાવ્યા અને સહેલાઇ થી જીતી ગયુ. સચિન ચોટ ના કારણે પાછલી બે ઓડીઆઇ માંથી બહાર હતો પણ એક ધોવાએલી રમત સાથે ભારત 3-૧ થી સીરીઝ જીતી ગયું. 
તેંડુલકરે પહેલી ટેસ્ટ માં ૧૬0 રન બનાવ્યા, તેનો ૪૨ મો શતક, અને ભારત જીતી ગયું. તેણે બીજી ટેસ્ટ માં ૪૯ અને ૬૪ અને ત્રીજી ટેસ્ટ માં ૬૨ અને ૯ રન બનાવ્યા, જેમાં છેલ્લા દિવસ માં વરસાદે ભારત ને જીતતા અટકાવ્યો હતો.ભારત ૧-0 થી સીરીઝ જીત્યું.

તેંડુલકરે પોતાની જાત ને વેસ્ટ ઇન્ડીઝ ના પ્રવાસ ની ઓડીઆઇ માંથી આરામ આપ્યો, પણ સપ્ટેમ્બર ની શરૂઆત માં શ્રીલંકા, ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે ના કોમ્પેક કપ(ત્રિકોણીય સીરીઝ) માટે પાછો આવ્યો હતો. તેણે ફાઈનલ માં ૧૩૮ રન બનાવવા થી પહેલે લીગ મેચો માં ૪૬ અને ૨૭ રન બનાવ્યા. આ તેંડુલકર નું ઓડીઆઇ ફાઈનલ માં ૬ઠું શતક હતું અને ફાઈનલ્સ માં તેનું ત્રીજો અનુક્રમિત ૫0 ની ઉપર સ્કોર હતો. જયારે તેંડુલકરે ઓડીઆઇ ફાઈનલ માં શતક બનાવ્યો છે તેવી ૬ વખત ભારત જીત્યો છે.

તેંડુલકર સાઉથ આફ્રિકા માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માં માત્ર એક ઇનિંગ્સ રમ્યો, પાકિસ્તાન સામે ૮ રન બનાવ્યા અને ભારત હારી ગયું. ઓસ્ટ્રેલીયા સામે ની પછી ની મેચ ધોવાઇ ગઈ અને વિન્ડીઝ સામે ની ત્રીજી મેચ માં તે ફૂડ પોઈઝનીંગ ના કારણે બહાર રહ્યો હતો,વિન્ડીઝ દ્રારા હાર અને તેમના ગ્રુપ માં ત્રીજો પૂર્ણ કર્યા બાદ ભારત બાકાત થઇ ગયું હતું.
 

ઓસ્ટ્રેલીયા ઓક્ટોમ્બર માં ૭ મેચો ની ઓડીઆઇ માટે ભારત આવ્યુ, અને તેંડુલકરે પહેલી ચાર રમતોમાં ૧૪,૪,3૨ અને ૪0 રન બનાવ્યા. 

પાંચવી મેચ માં,સીરીઝ બરોબરી સાથે ઓસ્ટ્રેલીયાએ ૫0 ઓવરમાં 3૫0/૪ નો સ્કોર બનાવ્યો. તેંડુલકરે ૧૪૧ બોલ માં ૧૭૫ રન સાથે તેની ૪૫મી ઓડીઆઇ શતક બનાવ્યો. માત્ર જયારે તે લાગ્યું કે તે ભારત ને મોટા વિજઈ જુમલા ની દિશા માં વાળશે, તે નવા પ્રવેશીત ક્લીન્ટ મેક્કેયના સીધા થી સોર્ટ ફાઈન લેગ ના પગ દ્રારા સંચાલિત સમાચાર મળ્યા, ભારત ને ચાર વિકેટ્સ સાથે ૧૮ બોલ માં ૧૯ રનની જરૂર હતી. ભારતીય પૂછડિયા ભાંગી પડયા અને તેઓ 3 રન દ્રારા હારી ગયા, 3૪૭ માં બધા આઉટ થઈ ગયા. 

આ મેચ દરમ્યાન, તેંડુલકર ૧૭000 ઓડીઆઇ રન બનાવનાર પહેલો ખેલાડી પણ બન્યો,અને ઓસ્ટ્રેલીયા સામે તેનો અંગત શ્રેષ્ઠ હાંસિલ કર્યું, ત્રીજા સૌથી મોટા સ્કોર ની હાર તરીકે. તેણે તેને પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સ માંથી એક ગણાવી પણ કહ્યું કે તે વધારે સારી થઇ સકી હોત જો ભારત મેચ જીત્યું હોત.

૨૦૦૮ માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઉદઘાટન માં તેંડુલકર તેના ઘરેલું પક્ષ મુંબઈ ઇન્ડિઅન્સ માટે પ્રતિક ખિલાડી અને કેપ્ટન બન્યો હતો. એક પ્રતિક ખેલાડી તરીકે, તે ટીમ માં બીજા ક્રમ ના સૌથી વધારે ભુગતાન ખિલાડી સનથ જયસુરીયા કરતા ૧૫% વધારે ૧,૧૨૧,૨૫0 ડોલર રકમ માટે સહી કરી હતી.

તેંડુલકરે વર્ચસ્વ છેદયું છે: તે બેટિંગ, બોલિંગ અને થ્રો તેના જમણા હાથ થી પણ લેખન તેના ડાબા હાથ સાથે કરે છે. તેઓ પ્રેક્ટિસ દરમિયાન નિયમિત રીતે ડાબા હાથ થી થ્રો કરવા ની પ્રેક્ટિસ કરે છે. ક્રિકઇન્ફો ના કોલમિસ્ટ સમ્બિટ બાલે તેમને તેના સમય ના સૌથી તંદુરસ્ત બેટ્સમેન ગણાવ્યા હતા. તેમની બેટીંગ સંપૂર્ણ સમતોલ છે અને તે દરમિયાન તેઓ વધારા ની હલચલ કે અયોગ્ય ફટકો ન લગાવી સારી રીતે રમી શકે છે. તેણે ધીમી અને નીચી વિકેટ્સ ની ઓછી પસંદગી દેખાડી અને,સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ની સખ્ત, ઉછાળવાળી પીચ ઉપર ઘણા શતક બનાવ્યા. તેઓ સ્ક્વેર ની ઉપર થી બોલને પંચ શૈલી થી મારવા માટે વિખ્યાત છે. તેઓ કોઇ પણ ખામી વગરના સીધા શોટ મારવા માટે પણ જાણીતા છે, જેને તાજેતર માં જ ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે એએફપી માં લખેલા એક અહેવાલ માં જણાવ્યું હતું કે સચિન તેંડુલકર જેવી ઉમદા તકનીક સાથે ની આક્રમકતા ધરાવતા ખેલાડી વિષેની કલ્પના ક્રિકેટ જગત ના ઇતિહાસ માં કરવી ખૂબ અઘરી છે.

સર ડોનાલ્ડ બ્રેડમેન, હમેશા ઘણા પાસે થી મહાન બેટ્સમેન ગણાતા આવ્યા છે,તેંદુલકર તેમના જેવી સમાન બેટિંગ છટા ધરાવે છે. બ્રેડમેન ના જીવનચરિત્ર માં લખવા માં આવ્યું છે કે બ્રેડમેન ને તેંડુલકર ની તકનીકો, ફટકાઓ ની પસંદગી અને ટકી ને રમવા ની અદા હંમેશા પોતાની બેટિંગ યાદ કરાવે છે અને તેઓ તેમના પત્ની ને કહેતા કે મારી યુવા વયની રમત જોવા માટે તેંડુલકર ની આજની રમત જો. બ્રેડમેન ની પત્ની, જેસ્સી એ સ્વીકાર કર્યો કે તેઓ સમાન દેખાય છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચે તેનો અભિપ્રાય આપ્યો કે સચિન તેના ફૂટવર્ક ના કારણે તેની શરૂઆતી ઇનિંગ્સ માં સોર્ટ બોલ પર સંવેદનશીલ થઇ ગયો હતો. બુચાનન એવું પણ માનતા હતા કે તેંડુલકર ડાબા હાથે થતી ઝડપી બોલિંગ સામે ન રમી શકવા ની નબળાઇ ધરાવે છે. ૨૦૦૪ થી થયેલી સંખ્યાબંધ ઇજાઓને કારણે તેના પર અસર થઇ હતી. ત્યાર થી તેંડુલકર ની બેટિંગ માં આક્રમકતા ના અભાવ જોવા મળે છે. તેની બેટિંગ ની શૈલી માં આવેલા પરિવર્તન માટે તેણે નીચેના કારણો આગળ ધર્યા હતા. (૧) કોઇ પણ બેટ્સમેન તેની લાંબી કારકિર્દી દરમિયાન એક સરખી શૈલી થી બેટિંગ કરી શકે નહીં અને (૨) હવે તે ટીમ નો વરિષ્ઠ ખેલાડી હોવા થી તેના પર વધુ જવાબદારીઓ છે. તેની કારકિર્દી ના શરૂઆત ના સમયગાળા માં તે વધુ આક્રમક બેટ્સમેન હતા અને સારી સરેરાશે સદીઓ ફટકારતા. ઓસ્ટ્રેલિયા ના ટીમ ના પૂર્વ ખેલાડી ઇયાન ચેપલે તાજેતર માં એવી ટિપ્પણી કરી હતી કે એક ખેલાડી તરીકે સચિન જ્યારે યુવા વય માં હતો તેની સરખામણી એ હાલ માં કઇં જ નથી. આમ છતાં, ૨૦૦૮ માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે કેટલીક ઉમદા ઇનીંગ રમી ને તેની આક્રમક પ્રતિભા છતી કરી હતી અને તેની યુવાવય ની રમત ની યાદ અપાવી હતી.

તેંડુલકર મુખ્ય બોલર ન હોવા છતાં એક સરખી સરળતા થી મધ્યમ ગતિએ, લેગ સ્પિન અને ઓફ સ્પિન બોલિંગ કરી શકે છે. મોટે ભાગે સામે ની ટીમ ના બે બેટ્સમેનો બહુ લાંબા સમય થી પિચ પર સ્થિર થઇ ગયા હોય ત્યારે સચિન બોલિંગ નાખે છે, કેમકે તે ભાગીદારી તોડનાર ઉપયોગી બોલર ગણાય છે. બોલિંગ દ્વારા તેણે ભારતને એકથી વધુ વખત વિજય અપાવ્યો છે. તેણે ટેસ્ટ મેચમાં 44 વિકેટ્સ લીધી અને ઓડીઆઇ માં ભારત માટે સૌથી વધારે વિકેટ્સ લેનારનો 9મો ક્રમ ધરાવે છે.

સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય વનડે માં રન બનાવનાર ધુંવાધાર બેટ્સમેન છે. સચિન ના હાલ ના ટેસ્ટ ના કુલ રન થી તેણે બ્રાયન લારા ના ૧૧,૯૫૩ રન ના વિક્રમ ને ૨00૮ માં ઓસ્ટ્રેલિયા ના ભારત પ્રવાસ સમયે મોહાલિ ખાતે ની બીજી ટેસ્ટ માં વટાવી દીધો હતો. સચિને આ વિક્રમ તોડ્યો તે દિવસ ને તેની ૧૯ વર્ષ ની કારકિર્દી ની સૌથી મોટી સિદ્ધી ગણાવી હતી. તે ટેસ્ટ અને ઓડીઆઈ બને માં સૌથી વધારે શતકો નો વિક્રમ પણ ધરાવે છે. સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે ભારતીય ક્રિકેટ પર ઉંડી અસર ઉપજાવી છે અને એક સમયે તો તેણે ટીમના મોટા ભાગ ના વિજય માં પાયા ની ભૂમિકાઓ ભજવી છે. ભારત જેવા ક્રિકેટ-પ્રિય દેશ માં રમતગમત ક્ષેત્રે અસરકારક પ્રદાન બદલ તેણે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવા માં આવ્યા છે. ૧૯૯૭ માં તેઓ વિઝડન ક્રિકેટર ઓફ ધી યર તરીકે પસંદ થયા હતા અને વિઝડન ૧00 ની યાદી માં ક્રિકેટ જગત ના સર્વ સમય માટે બીજા ક્રમ ના વનડે અને ટેસ્ટ ક્રિકેટ ના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સ્થાન મેળવ્યું.

તેંડુલકરે ક્રિકેટ વિશ્વ કપ માં પણ સતત સારો દેખાવ કર્યો. તેંડુલકર ક્રિકેટ વિશ્વ કપ, ૨૦૦૩ અને ક્રિકેટ વિશ્વ કપ, ૧૯૯૬ માં સર્વોચ્ચ રન કરનાર ખેલાડી હતા. તેંડુલકરે ઓડીઆઈ માં ૭ વખત ૧000 રન એક વર્ષ માં કર્યા, અને ૧૯૯૮ માં તેણે ૧૮૯૪ રન કર્યા, તેણે એક દિવસીય આંતરરાષ્ટ્રીયમાં એક વર્ષ માં કોઈ પણ ખિલાડી દ્રારા બનાવેલા રનોની સંખ્યા નો રેકોર્ડ આરામ થી બનાવ્યો. તેંડુલકર એવા ખેલાડીઓ ની યાદી માં સ્થાન ધરાવે છે જેઓ ૧૯૮૦ ના દાયકા થી આજ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા હોય.

તે ટેસ્ટ મેચો માં ૧૧ વખત મેન ઓફ ધી મેચ અને 4 વખત મેન ઓફ ધી સીરીઝ રહી ચુક્યો છે, તેમાંથી બે વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં ઓસ્ટ્રેલિયા સામે. આ દેખાવ થી તેમને ઓસ્ટ્રેલિયા ના ઘણા ક્રિકેટરો અને પ્રસંશકો તરફ થી આદર મળ્યો હતો. સમાન રીતે તે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો માં ૬0 વખત મેન ઓફ ધી મેચ અને ૧૪ વખત મેન ઓફ ધી સીરીઝ રહી ચુક્યો છે.

જાન્યુઆરી ૨૦૦૮ માં બ્રિટન ના વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને એવું સૂચન કર્યું હતું કે સચિન ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રદાન બદલ માનદ નાઇટહૂડ થી નવાજવા જોઇએ. તે ટાઈમ સામાયિક માં તેની કળા નો મહાન જીવિત હિમાયતી તરીકે ઉલ્લેખિત થયો હતો.

સપ્ટેમ્બર ૨૦૦૭ માં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર શેન વોર્ને ૫0 મહાન ક્રિકેટેર જેઓ તેના સમય દરમ્યાન રમ્યા હતા તેની યાદી છાપી, તેમાં તેંડુલકરે નંબર 1લુ સ્થાન સુનિશ્ચિત કર્યું. મહાન ભારતીય ટેસ્ટ બેટ્સમેન માંથી એક સુનીલ ગાવસ્કરે, સચિન ને  બેટિંગ સંપૂર્ણતા ની એકદમ નજીક હોવું તરીકે ગણાવ્યો. શેન વોર્ને દશક પહેલા ઉલ્લેખ્યું હતું કે, હું સચિન ને માત્ર વિકેટ ની અંદર દોરતો અને છગ્ગા ઉપર થી મને ચુપ કરતા દુ:સ્વપ્ન સાથે રાત્રે પથારી માં જઈશ. તે અણનમ હતો. હું નથી વિચારતો કે, ડોન બ્રેડમેન સિવાય, કોઈ પણ સચિન તેંડુલકર જેવા સમાન કક્ષા માં હોય. તે એક માત્ર અદભુત ખિલાડી છે. તેને વિવિધ ક્રિકેટર્સ દ્રારા ઘણી કદર પ્રાપ્ત કર્યા, વસીમ અક્રમ સહીત જેણે કહ્યું કે સચિન જેવા ક્રિકેટર્સ જીવન સમય માં એક વખત આવે છે અને હું પ્રોત્સાહિત છું કે તે મારા સમય માં રમ્યો.વિવ રિચાર્ડ્સ જેણે કહ્યું કે  તે 99.95 પ્રતિશત સંપૂર્ણ છે. હું તેને જોવા માટે ભુગતાન કરીશ.બ્રાયન લારા જેણે કહ્યું કે તમે મહાન પ્રતિભાશાળી જાણો છો જયારે તમે તેને જુઓ છો. અને મને કહેવા દો કે સચિન સ્પષ્ટ મહાન પ્રતિભાશાળી છે. અને બેરી રિચાર્ડ્સ જેણે કહ્યું કે સચિન ક્રિકેટ નો ભગવાન છે. ભૂતપૂર્વ ન્યુ ઝીલેન્ડ નો ઓલ-રાઉંડર રીચાર્ડ હેડલી મને છે કે સચિન તેંડુલકર ક્યારે પણ થયેલો મહાન બેટ્સમેન છે જે રમત નો ગ્રેસ છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ ભુતકાળ માં કહ્યું કે બ્રેડમેન પછી નો તેંડુલકર ઇતિહાસ માં મહાન ક્રિકેટર થશે. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકા ના મહાન એલેન ડોનાલ્ડે તેંડુલકર ને મહાન બેટ્સમેન ગણાવ્યો જેની સામે તેણે ક્યારે પણ બોલિંગ કરી હોય. વર્તમાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીગ પણ મને છે કે તેંડુલકર મહાન બેટ્સમેન છે જેમની સાથે અથવા સામે તે રમ્યો.. સર ડોન બ્રેડમેને પણ કહ્યું કે તે જયારે સચિન ને બેટિંગ કરતા જુએ છે ત્યારે તેમાં તેમને પોતાની જાત દેખાય છે. ભૂતપૂર્વ પાકિસ્તાન કેપ્ટન અને બેટિંગ દંતકથા હનીફ મોહમ્મદે સચિન તેંડુલકરને ઉપખંડ ના ક્રિકેટિંગ રત્ન તરીકે ની અવધિ આપી, અને કહ્યું કે આ ભારતીય જમોણી બેટ્સમેન આવનારા વરસોમાં ઘણા બધા રેકોર્ડ્સ ટૂટવા નો નિમિત છે.

૨00૧ માં ભારત ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ ની બીજી ટેસ્ટ મેચ માં મેચ રેફરિ માઇક ડેનિસે ચાર ભારતીય ખેલાડીઓ ને અતિશય અપિલ કરવા બદલ તેમજ કપ્તાન સૌરવ ગાંગુલી ને ટીમ ને નિયંત્રણ માં ન રાખવા બદલ દંડ કર્યો હતો. તેંડુલકર ને બોલ સાથે ચેડા કરવા બદલ એક મેચ માટે બહાર કરવા માં આવ્યા હતા. ટેલિવીઝન ના કેમેરા ની તસવીરો એવું સૂચવતી હતી કે તેંડુલકર પોર્ટ એલિઝાબેથ ના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ દરમિયાન ક્રિકેટ બોલ ની સિલાઇ ને દૂર કરવા માં સામેલ હોઇ શકે. તેનાથી બોલ ની સ્થિતી માં ફેરફાર કરી શકાય છે. મેચ રેફરિ માઇક ડેનિસે બોલ સાથે ચેડા કરવાના આરોપો ના દોષી ગણાવ્યા અને એક ટેસ્ટ મેચ નો પ્રતિબંધ લાદી દીધો. જાતિવાદ ના આરોપ સાથે નો બનાવ કાબુ બહાર હતો, અને માઇક ડેનીસ ને ત્રીજી ટેસ્ટ મેચ ની જગ્યા એ પ્રવેશ દ્રારા તેને સુમસાન બનાવ્યો. ઉંડી તપાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ મેચ ને રદ થયેલી જાહેર કરી અને તેંડુલકર નો પર નો પ્રતિબંધ ઉઠાવી લીધો. તેંડુલકર પર બોલ સાથે ચેડા કરવા બદલ મુકવામાં આવેલો આરોપ અને અતિશય અપિલ કરવા બદલ સેહવાગ પર મુકવા માં આવેલા પ્રતિબંધ સામે ભારતીય જનતા અને ભારતીય સંસદ માં પણ વિરોધ ના વંટોળ ઉઠ્યા.

ડોન બ્રેડમેન ના ટેસ્ટ ક્રિકેટ માં ૨૯ શતક ના વિક્રમ ની સચિન તેંડુલકર ની બરોબરી ના ઉત્સવ માં, ફેરારી ઓટોમોટીવ એ તેના સિલ્વરસ્ટોન માં બ્રિટીશ ગ્રાન્ડ પ્રિક્ષ (જુલાઈ ૨૩, ૨૦૦૨) પર તેના ચરિયાણ ક્ષેત્ર પર દંતકથા સમાન એફ1 રેસર માઈકલ સ્ચુમાકર દ્રારા ફેરારી ૩૬૦ મોડેના સ્વીકાર કરવા માટે સચિન તેંડુલકરને આમંત્રણ આપ્યું. ૪ સપ્ટેમ્બર, ૨00૨ ના રોજ ભારત ના નાણાપ્રધાન જશવંતસિંઘે સચિન ને એવું કહેતા એક પત્ર લખ્યો હતો કે સરકાર તેની સિદ્ધી ને બિરદાવવા માટે તેની કાર પર લાદવા માં આવેલી કસ્ટમ ડ્યૂટી ને ઉઠાવી લેશે. આમ છતાં એ સમય ના નિયમો મુજબ ફક્ત ઇનામ તરીકે મળેલી વસ્તુઓ પર ની કસ્ટમ ડ્યૂટી માંથી છૂટ મળી શકે, ભેટ તરીકે મળેલી વસ્તુઓ પર નહીં. પછી થી ભારત માં કસ્ટમ ડુટી(રૂ.૧.૧૩ કરોડ અથવા રૂ.૭૫ લાખ ની કાર મુલ્ય પર ૧૨0%)ચૂકવ્યા વિના ફેરારી ખરીદવા ની પરવાનગી આપવા માં આવી. જૂલાઇ ૨00૩ માં જ્યારે કસ્ટમ ની છૂટ ની જાહેરાત કરવા માં આવી ત્યારે આ છૂટ સામે રાજકીય અને સામાજિક વિરોધ ઉભો થયો અને દિલ્હી હાઇકોર્ટ માં જાહેરહિત ની અરજી દાખલ કરવામાં આવી. આ વિવાદ ઘેરો બનતા સચિને કસ્ટમ ડ્યૂટી ચૂકવવાનો આગ્રહ કર્યો અને અંતે ફેરારી અંગે ના વિવાદ નો અંત આવ્યો. સચિન તેની ફેરારી મોડેના લઇ ને મુબંઇ માં રાત્રી ના સમયે ફરવા નીકળતા જોવા મળે છે.

ક્રિકેટ વિશ્વ માં સચિન ના પ્રવેશ ને ભારત ના ભૂતપુર્વ અગ્રણી ખેલાડીઓ અને તેને રમતો જોનારા લોકોએ ખૂબ વખાણ્યો હતો. તેની બીજી મચ માં પહેલું અર્ધ શતક અને ૧૭ વર્ષની ઉમરે તેનો પહેલો શતક, તેંડુલકર ના સતત સારો દેખાવ તેને આખા વિશ્વ માં ઘણા પ્રસંશક કમાવી આપ્યા, જેમાં ઓસ્ટ્રેલિયન લોકોનો પણ સમાવેશ, જ્યાં તેંડુલકરે સતત શતક કર્યા હતા. સચિન ના પ્રસંશકો દ્વારા એક ખૂબ જાણીતી કહેવત બોલવામાં આવે છે કે, ક્રિકેટ મારો ધર્મ છે અને સચિન મારો ભગવાન છે. ક્રિકઈન્ફો એ તેની પ્રોફાઈલ માં ઉલ્લેખ કર્યો કે ...તેંડુલકર અવશેષ, અંતર દ્રારા, દુનિયા માં સૌથી વધારે પૂજાયેલો ક્રિકેટર છે. 

મુંબઇ માં તેના ઘર ખાતે, તેંડુલકર ના પ્રસંશકો ની ભીડ ઘણી હોવાથી તે સામાન્ય જીવન જીવવા માટે અસમર્થ છે. ઇયાન ચેપલે જણાવ્યું હતું કે તેણે અલગ પ્રકાર ની શૈલી થી જીવવા નું દબાણ છે અને તેણે વિગ પહેરી ને બહાર જવું પડે અને ફક્ત રાત ના સમયે જ ફીલ્મ જોવા જઇ શકે. ટીમ શેરીડેન ને આપેલા એક ઇન્ટર્વ્યૂ માં સચિને કબૂલ્યું હતું કે તે મુબંઇ ની શેરીઓ માં રાત ના સમયે શાંત ડ્રાઇવ કરવા જાય છે જ્યારે તે થોડી શાંતિ અને નિરવતા ને માણી શકે છે.

સચિન નો એક અત્યંત દિલી પ્રસંશક છે, તે છે સુધીર કુમાર ચૌધરી. સુધીર કુમાર ચૌધરી સચિન નો અને ભારતીય ક્રિકેટ ટીમ નો પ્રસિદ્ધ અત્યંત દિલી પ્રસંશક છે. તેણે પોતાના શરીર ને ભારતીય ઝંડા ના રંગથી રંગયુ અને તેની પીઠ પર તેંડુલકર નું નામ લખ્યું અને દરેક ઘરેલું રમત ની મુલાકાત લીધી. બધી ઘરેલું રમત ની જીવન પર્યાપ્ત નિશ્ચિત ટીકીટ મંજુર કરવા માટે ભૂતપૂર્વ બીસીસીઆઈ ના પ્રમુખ શરદ પવાર સામે તે પોતાનો રંગેલો શરીર બતાવવા માટે નગ્ન થયો હતો. તે સચિન ને દર વર્ષે ૧000 લીચીસ મોકલતો અને ક્રિકેટર્સ પાસે થી આભાર તરીકે ટીકીટસ અને ભેટ પ્રાપ્ત કરતો. તે બધી ભારતીય ઘરેલું રમત માં નજરે ચડ્યો અને તેને પોતે સચિન દ્રારા પ્રોત્સાહન અને ટીકીટ પ્રાપ્ત કર્યું.

સચિન ની જંગી લોકપ્રિયતા ને પગલે ભૂતકાળ માં તેને સંખ્યાબંધ ઔદ્યોગિક સોદાઓ પણ કર્યા છે. હાલ માં સમગ્ર વિશ્વ ના ક્રિકેટરો ની સરખામણી એ સૌથી વધુ સ્પોન્સરશીપ ધરાવતો ખેલાડી છે. સચિન ૧૯૯૫ માં વર્લ્ડટેલ સાથે પાંચ વર્ષ માટે રૂ.30 કરોડ રૂપિયા નો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સોદો કર્યો ત્યારે તે ક્રિકેટ ના ઔદ્યોગિક સોદા ઓ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી ગણાતા. ૨00૧ માં તેનો વર્લ્ડટેલ સાથે પછીનો કરાર ૫ વર્ષ માટે ૮0 કરોડ ના મૂલ્ય નો હતો. ૨00૬ માં તેમણે સાત્ચી અને સાત્ચી ના આઈકોનિક્ષ સાથે 3 વર્ષ માટે ૧૮0 કરોડ નો કરાર કર્યો. તેઓ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા ક્રિકેટર છે.

પ્રસિધી નો ઉપયોગ કરતા, તેંડુલકરે બે રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી :તેંડુલકર'સ (કોલાબા, મુંબઈ) અને (મુલુંડ, મુંબઈ). સચિન આ રેસ્ટોરેન્ટ્સ માં માર્સ રેસ્ટોરેન્ટ ના સંજય નારંગ સાથે ભાગીદારી ધરાવે છે. તેમણે બેંગલોર ખાતે સચિન્સ નામ ની નવી રેસ્ટોરેન્ટ ની પણ શરૂઆત કરી છે.

૨00૭ માં તેંડુલકરે એસ ડ્રાઇવ એન્ડ સચ બ્રાન્ડ હેઠળ હેલ્થકેર અને ફિટનેસ પ્રોડક્ટ્સ ની રજૂ કરવા ફ્યુચર ગ્રુપ અને મણીપાલ ગ્રુપ સાથે સંયુક્ત સાહસ ની રચના ની પણ જાહેરાત કરી હતી. વર્જિન કોમિક્સ ની એક કોમિક્સ બુકમાં સચિન ને સુપર હીરો તરીકે પણ વર્ણવવા માં આવ્યા હતા.

સચિન તેંડુલકરે આ બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સ કરેલ છે જે આ પ્રમાણે છે 

સચિન તેંડુલકર પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. સચિન તેંડુલકર ની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરતા કેટલાક પુસ્તકો ના નામ નીચે મુજબ છે:




#Article 23: વડોદરા (851 words)


વડોદરા() એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા વડોદરા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. 

વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વધ્યું. 

ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું. 

વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.

વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. વિશ્વામિત્રી નદી ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ, દક્ષિણે ભરૂચ તથા નર્મદા,પશ્ચિમે આણંદ તથા ખેડા જિલ્લાઓ આવેલા છે. વડોદરા જિલ્લાની પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે. જો કે વડોદરા જિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને નવો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે. 

વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે.

વડોદરા શહેરનું ગુજરાત રાજ્યમાં ઘણુ મહત્વનું સ્થાન છે. ૧૯૬૦ના દશકાની શરૂઆત સુધી, વડોદરા શહેરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ગણના થતી હતી. સૌપ્રથમ આધુનિક ફેક્ટરી(એલૅમ્બીક ફાર્માસ્યૂટિકલ્સ)ની સ્થાપના વડોદરામાં ૧૯૦૭માં કરવામાં આવી હતી અને ત્યાર બાદ સારાભાઈ કેમિકલ્સ, અને જ્યોતિ જેવી કંપનીઓ ૧૯૪૦ માં આવી હતી. ૧૯૬૨ સુધીમાં અહિયાં ૨૮૮ રોજગારી ફેક્ટરીઓ ધમધમતી હતી, જેમાં ૨૭,૫૧૭ કામદારો કામ કરતા હતા. આ સમયગાળા દરમિયાન, મુખ્ય ઔદ્યોગિક જૂથોમાં રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ, સુતરાઉ કાપડ અને મશીન ટૂલ્સ હતા. ૧૯૦૮ માં સયાજીરાવ ત્રીજા દ્વારા સ્થાપિત બેન્ક ઓફ ધ બરોડાનો પણ આ ઔદ્યોગિક વૃદ્ધિ માં મહત્વનો ફાળો હતો.

૧૯૬૨ માં, ગુજરાત રિફાઈનરી અને ભારતીય ઓઇલ કોર્પોરેશન લિમિટેડના વડોદરા નજીકના કોયલી ગામ ખાતે સ્થાપના સાથે વડોદરા માં ઔદ્યોગિક પ્રવૃત્તિ માં અચાનક તેજી જોવા મળી. કાચો માલ ની ઉપલબ્ધતા, પ્રોડક્ટ માગ, સરકાર અને ખાનગી સાહસિકો દ્વારા માનવ, નાણાકીય અને સંસાધનો ના કુશળ સુયોજન જેવા પરિબળો એ વડોદરાને ભારતના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્રો માં એક બનાવવામાં ફાળો આપ્યો છે.

અંકલેશ્વર માં તેલ ગેસની શોધએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મોટો ભાગ ભજવ્યો હતો.વડોદરા પ્રદેશ આ ઔદ્યોગિકરણ પ્રક્રિયામાં સૌથી મોટું લાભાર્થી રહ્યુ હતુ. ગુજરાત રિફાઈનરીનુ પ્રથમ તબક્કા ઉત્પાદન ૧૯૬૫ માં શરૂ થયુ હતુ. રિફાઈનરીના મૂળભૂત ઉદ્યોગ હોવાથી, રિફાઈનરીનુ પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મોરચા પર મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ હતું.

વડોદરા માં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (જી.એસ.એફ.સી), ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (આઇ.પી.સી.એલ., હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માલિકીની ), ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એ.સી.એલ) જેવા વિવિધ મોટા પાયે ઉદ્યોગો ગુજરાત રિફાઈનરીની સાન્નિધ્ય માં આવેલ છે જે તેમના તમામ બળતણ અને કાચા માલના માટે રિફાઈનરી પર આધાર રાખે છે. અન્ય મોટા પાયાના જાહેર ક્ષેત્રના એકમોમાં હેવી વોટર પ્રોજેક્ટ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જી.આઇ.પી.સી.એલ), ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓ.એન.જી.સી) અને ગેસ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (જી.એ.આઇ.એલ) નો સમાવેશ થાય છે. આ જાહેર ક્ષેત્રના સાહસો ઉપરાત , અન્ય મોટા પાયેના સાહસો ખાનગી ક્ષેત્રમાં આવેલ છે જેમ કે, બોમ્બાર્ડીયર ટ્રાન્સપોર્ટેશન, એક કેનેડીયન કંપની જેની સાવલી સાઇટ માં દિલ્હી મેટ્રોનુ ઉત્પાદન થાય છે. જનરલ મોટર્સ, ALSTOM, એબીબી,સિમેન્સ્, ફિલિપ્સ, પેનાસોનિક, ફૅગ(FAG), સ્ટર્લીંગ બાયોટેક, સન ફાર્માસ્યૂટિકલ્સ અને Areva ટી એન્ડ ડી, બોમ્બાર્ડીયર, અને GAGL (ગુજરાત ઓટોમોટિવ ગીયર્સ લિમિટેડ) જેવા ઘણા ઉત્પાદન એકમો વડોદરા માં સ્થાપિત છે. વધુમાં વડોદરાની આસપાસમાં ઘણી ગ્લાસ ઉત્પાદન કંપનીઓ પણ સ્થાપિત છે, જેમ કે, Haldyn ગ્લાસ, HNG ફ્લોટ ગ્લાસ લિમિટેડ, પિરામલ ગ્લાસ અને ગુજરાત ગ્લાસ વગેરે. 

કોઇ પ્રદેશમાં વિશાળ ઔદ્યોગિક એકમો ની સ્થાપના આપમેળે ઘણા નાના સાહસો અસ્તિત્વમાં લઈ આવે છે. વડોદરા શહેર છે અને આસપાસના વિસ્તારોમાં પણ આ પ્રમાણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આજે ધમધમે છે. વડોદરાના ઔદ્યોગિકરણથી માત્ર વડોદરા નહી પણ આખા ગુજરાત અને ભારતના અન્ય ઉદ્યોગો આકર્ષાયા છે.

'નોલેજ સિટી', કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઇંડ્સ્ટ્રીના નજરાણા સાથે, વડોદરા ધીમે ધીમે આઇટી અને અન્ય વિકાસ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં હબ બની રહ્યુ છે.




#Article 24: આમિર ખાન (1112 words)


આમિર ખાન  (, , ; આમિર હુસૈન ખાન નો 14 માર્ચ 1965ના રોજ જન્મ થયો હતો) એક ભારતીય ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે.  ખાનો સંખ્યાબંધ વિવેચનાત્મક અને વ્યાપારીક રીતે સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની જાતને હિન્દી સિનેમાના એક આગળ પડતા અભિનેતા તરીકે સ્થાપિત કરી છે.  તેઓ આમિર ખાન પ્રોડક્શન્સના સ્થાપક અને માલિક પણ છે. 

તેમના કાકા નાસિર હુસૈનની ફિલ્મ યાદો કી બારાત  (1973)માં એક બાળ કલાકાર તરીકે પોતાની કારકીર્દિનો પ્રારંભ કરનાર, ખાને તે પછીના 11 વર્ષો બાદ હોલી  ફિલ્મ (1984)થી પોતાની વ્યાવસાયિક કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો.   તેમના પિતરાઇ ભાઈ મન્સુર ખાનની ફિલ્મ કયામત સે કયામત તક  (1988)માં તેમને પ્રથમ વખત વ્યાપારી સફળતા પ્રાપ્ત થઇ હતી, જેના માટે તેમણે ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબૂ પુરસ્કાર પણ જીત્યો હતો.   1980 અને 1990ના દાયકાના અગાઉના સાત નામાંકનો દરમિયાન, ખાને ભારે કમાણી કરનાર રાજા હિન્દુસ્તાની  (1996)માં ભૂમિકા બદલ તેમનો પ્રથમ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર મેળવ્યો હતો. 

ખાન બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલ, મુંબઇ, ભારતમાં, મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા, જે ઘણા દાયકાઓથી ભારતીય મોશન પિક્ચર ઉદ્યોગમાં છે.   તેમના પિતા, તાહિર હુસૈન, ફિલ્મ નિર્માતા હતા, જ્યારે તેમના મૃત્યુ પામેલા કાકા, નાસિર હુસૈન, ફિલ્મ નિર્માતા તેમજ દિગ્દર્શક અને અભિનેતા હતા. તેઓ મુસ્લિમ વિદ્વાન અને રાજકારણી મૌલાના અબ્દુલ કલામ આઝાદના વંશજ છે અને રાજ્ય સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો.નજમા હેપ્તુલ્લાહના બીજા પિતરાઇ છે.

ખાને પોતાની ફિલ્મ કારકીર્દિનો પ્રારંભ હોમ પ્રોડક્શનમાં નાસિર હુસૈન દ્વારા બનાવવામાં આવેલી યાદોં કી બારાત  (1973) અને મદહોશ  (1974)માં બાળ કલાકાર તરીકે કર્યો હતો.  11 વર્ષો બાદ તેમણે પુખ્ત વયે સૌપ્રથમ વખત કેતન મહેતાની હોલી  (1984) ફિલ્મમાં અભિનય કર્યો હતો, જે ભૂમિકાને બહુ ધ્યાનમાં લેવાઇ ન હતી. 

ખાને 1988ની ફિલ્મ કયામત સે કયામત તક માં પ્રથમ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, જેનું દિગ્દર્શન તેના પિતરાઇ ભાઈ અને નાસિર હુસૈનના પુત્ર મન્સુર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું.  આ ફિલ્મ પ્રગતિશીલ વ્યાપારી સફળતા હતી, અને ખાનની આગવા અભિનેતા તરીકેની કારકીર્દિની અસરકારક રજૂઆત હતી.  વિશિષ્ટ પ્રકારના 'ચોકલેટ હીરો' જેવા દેખાવને લીધે તેઓ કિશોર વયના પ્રતિક તરીકે જાણતા બન્યા હતા.  વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ રાખ માં પણ તેમણે અભિનય કર્યો હતો, જેના માટે તેમને સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર માટે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.  ત્યાર બાદ, 1980ના અંતમાં અને 1990ના પ્રારંભમાં તેમણે વિવિધ ફિલ્મોમાં દેખા દીધી હતી : દિલ  (1990), જે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી, દિલ હૈ કી માનતા નહી  (1991), જો જિતા વોહી સિકંદર  (1992), હમ હે રાહી પ્યાર કે  (1993) (જેના માટે તેમણે પટકથા પણ લખી હતી), અને રંગીલા  (1995).  આમાંની મોટા ભાગની ફિલ્મો વિવેચનાત્મક રીતે અને વ્યાપારી રીતે સફળ થઇ હતી.  અન્ય સફળતાઓમાં અંદાજ અપના અપના નો સમાવેશ થાય છે, જેમાં સહ અભિનેતા સલમાન ખાન હતા.  તેની રજૂઆત સમયે ફિલ્મની ટીકાકારો દ્વારા તેની તરફેણ કરવામાં આવી ન હતી, પરંતુ વર્ષો વીતતા તેણે આદર ભાવ પ્રાપ્ત કર્યો હતો. 

ખાને વર્ષમાં ફક્ત એક અથવા બે ફિલ્મોમાં અભિનય કરવાનું જ ચાલુ રાખ્યું હતું, જે હિન્દી સિનેમાની મુખ્ય વિચારધારા ધરાવતા અભિનેતામાં અસાધારણ લક્ષણ હતું.  1996માં ધર્મેશ દર્શન દ્વારા દિગ્દર્શીત વ્યાપારીક બ્લોકબસ્ટર ફિલ્મ રાજા હિન્દુસ્તાની  રૂપે એક માત્ર ફિલ્મ રજૂ થઇ હતી, જેમાં તેમણે કરિશ્મા કપૂર સાથે જોડી બનાવી હતી.  આ ફિલ્મે અગાઉના સાત નામાંકન બાદ તેમને તેમનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અપાવ્યો હતો અને આ ફિલ્મ તે વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ હતી, તેમજ 1990ના દાયકાની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી.  આ સમયે ખાનની કારકીર્દિ એવા તબક્કે હતી જેમાં વધારો થવાનો અવકાશ ન હતો અને તે પછીના થોડા વર્ષો સુધી જે ફિલ્મો આવી તેને સામાન્ય સફળતા પ્રાપ્ત થઇ હતી.  1997માં, તેમણે ફિલ્મ ઇશ્ક માં અજય દેવગણ સાથે સહ અભિનય કર્યો હતો અને જુહી ચાવલા સાથે જોડી બનાવી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી.  1998માં, ખાને સાધારણ સફળતા પ્રાપ્ત કરેલી ફિલ્મ ગુલામ માં દેખા દીધી હતી, જેના માટે તેમણે પ્લેબેક સીંગીંગ પણ કર્યું હતું.  જોહ્ન મેથ્યુ મેટહનની સરફરોશ  (1999) ખાનની વર્ષ 1999ની પ્રથમ રજૂઆત હતી, જેણે બોક્સ ઓફિસ પર સરેરાશથી વધુ સફળતા પ્રાપ્ત કરી હતી. સમીક્ષકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી અને ખાનની ભૂમિકાને પ્રમાણિક અને ભ્રષ્ટાચાર વિનાના પોલીસ અધિકારી કે જે સરહદી આતંકવાદ સામે લડાઇમાં વ્યસ્ત હતા તેવી દર્શાવવામાં આવી હતી અને ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, આવી જ ભૂમિકા તેમણે દીપા મહેતાની આર્ટ હાઉસ ફિલ્મ અર્થ માં બજાવી હતી.  નવી સહસ્ત્રાબ્દીમાં તેમની પ્રથમ રજૂઆત મેલા  હતી, જેમાં તેમણે તેમના સગા ભાઈ ફૈઝલ ખાન સાથે ભૂમિકા બજાવી હતી, જે બોક્સ ઓફિસ અને વિવેચનાત્મક દ્રષ્ટિએ બોમ્બ સાબિત થઇ હતી. 

લગાન માં મળેલી સફળતા તે વર્ષના પાછળના ભાગમાં આવેલી ફિલ્મ  દિલ ચાહતા હૈ  સુધી સતત રહી હતી, જેમાં ખાને અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન સાથે સહ અભિનય કર્યો હતો, તેમજ પ્રિતી ઝીન્ટાએ તેમની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન તે સમયમાં નવા આવેલા ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું હતું.  સમીક્ષકોના મતે, ફિલ્મે ભારતીય શહેરી યુવાનોને આજના સમયમાં ખરેખર છે તેવા દર્શાવીને તમામ નવા આયામો તોડ્યા હતા.  તેમાં જે પાત્રો દર્શાવવામાં આવ્યા હતા તે આધુનિક, વિવેકી અને સર્વદેશી હતા.  આ ફિલ્મે સાધારણ સારી કામગીરી બજાવી હતી અને મોટે ભાગે તમામ શહેરોમાં સફળ થઇ હતી. ખાને ત્યાર બાદ અંગત સમસ્યાઓ દર્શાવીને ચાર વર્ષનો વિરામ લીધો હતો અને 2005માં કેતન મહેતાની   ફિલ્મમાં વાસ્તવિક જીવનના હિન્દી લશ્કરી સિપાઇ અને શહીદની મુખ્ય ભૂમિકા બજાવીને 2005માં પુનરાગમન કર્યું હતું, જેણે 1857ના ભારતીય બળવા અથવા 'ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ'માં ચિનગારી ચાંપી હતી.  

રાકેશ ઓમપ્રકાશ મેહરાની પુરસ્કાર જીતેલી ફિલ્મ રંગ દે બસંતી , ખાનની 2006ની સૌપ્રથમ રજૂઆત હતી.  તેમની ભૂમિકાને વિવેચનાત્મક રીતે વખાણવામાં આવી હતી, જેણે તેમને શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મફેર ક્રિટીક્સ પુરસ્કાર જીતાડી આપ્યો હતો અને વિવિધ શ્રેષ્ઠ અભિનેતા  માટેના નામાંકન પ્રાપ્ત થયા હતા.  આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી, અને તેની પસંદગી ઓસ્કરમાં ભારતના સત્તાવાર પ્રવેશ  તરીકે થઇ હતી.  ફિલ્મને નોમિનીની ટૂંકી યાદીમાં સ્થાન આપવામાં ન આવ્યું હોવા છતાં, તેણે બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકે ઇંગ્લેંડમાં બાફ્ટા પુરસ્કારોમાં નામાંકન પ્રાપ્ત કર્યું હતું.  તેના પછીની ફિલ્મ, ફના  (2006)માં પણ ખાનના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી, અને તે ફિલ્મ 2006ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ સાબિત થઇ હતી. 

આમીર ખાન  પહેલીવાર ટીવી ના પડદે  6 મે 2012 ના રોજ આવીયો . સામજિક ઘટના ને આધારિત એક વાર્તાલાપ કાર્યક્રમ   સત્ય મેવ જયતે  થી શરૂઆત કરી અને આ કાર્યક્રમ   ખૂબજ લોકપ્રિય થયો હતો . કાર્યક્રમ  નું પ્રસારણ સ્ટાર પ્લસ પર કરવામાં આવ્યું હતું . 

કયામત સે કયામત તક ના વર્ષો દરમિયાન ખાન રીના દત્તાને પરણ્યા હતા.   તેમને જુનેદ નામનો પુત્ર અને ઇરા નામની પુત્રી એમ બે બાળકો હતા.  રીનાએ લગાન ના નિર્માતા તરીકે કામ કર્યું ત્યારે સંક્ષિપ્ત રીતે ખાનની કારકીર્દિ સાથે સંકળાયેલી હતી.  ડિસેમ્બર 2002માં, ખાને છૂટાછેડાની અરજી કરી હતી અને 15 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો હતો અને રીનાએ તેમના બન્ને બાળકોનો હવાલો લીધો હતો.  28 ડિસેમ્બર, 2005ના રોજ, લગાન ના ફિલ્માંકન દરમિયાન આશુતોષ ગોવારિકરની સહાયક દિગ્દર્શક કિરણ રાવ સાથે તેણે લગ્ન કર્યા હતા.આમિર ખાનની ઊંચાઇ 5.5 ફૂટ છે. અનેક વખત નામાંકિત થવા છતાં, ભારતીય ફિલ્મ પુરસ્કારોમાં વિશ્વસનિયતાનો અભાવ હોય છે તેવું માનતા હોવાથી ખાન કોઇ પણ ભારતીય ફિલ્મ પુરસ્કાર સમારંભોમાં હાજર રહ્યા નથી. 2007માં, ખાન તેમના નાના ભાઈ ફૈઝલ માટે તેમના પિતા તાહીર હુસૈન સામે પાલન લડાઇ હારી ગયા હતા. 




#Article 25: શાહરૂખ ખાન (476 words)


શાહરૂખ ખાન (હિન્દી: शाहरुख़ ख़ान, ઉર્દૂ: شاہ) (જન્મ 2 નવેમ્બર ૧૯૬૫), જેને ઘણી વખત ભારતમાં શાહ રુખ ખાન તરીકે સંબોધવામાં આવે છે, તે અભિનેતા અને હિંદી ફિલ્મો (બોલીવુડ)નો અગ્રણી સ્ટાર તેમજ ફિલ્મ નિર્માતા અને ટેલિવીઝન પ્રસ્તુતક છે.

શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે. 

શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (૧૯૯૫), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮), ચક દે ઇન્ડિયા (૨૦૦૭) અને ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ (૨૦૦૧), કલ હો ના હો (૨૦૦૩), વીર-ઝારા (૨૦૦૪) અને કભી અલવિદા ના કહેના (૨૦૦૬) વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા.  

ખાને જ્યારે જુહી ચાવલા () અને ડાયરેક્ટર અઝીઝ મિરઝા () સાથે મળીને 1999માં ડ્રીમ્ઝ અલિમીટેડ () નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી ત્યારે તેઓ એક નિર્માતા તરીકે ઉભરી આવ્યા હતા. પ્રથમ બે ફિલ્મોનું તેમણે નિર્માણ કર્યું હતું અને તેમાં અભિનય પણ કર્યો હતોઃ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની () (2000) અને અસોકા () (2001) જે બોક્સ ઓફિસ પણ નિષ્ફળ ગઇ હતી.જોકે, નિર્માતા અને સ્ટાર તરીકે ત્રીજી ફિલ્મ, ચલતે ચલતે () (2003)બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી.   

૨૦૦૮માં રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ બીસીસીઆઇ ()ના નેજા હેઠળ આઇપીએલ () ક્રિકેટ () લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ()ની માલિક બની હતી. 

૨૦૦૭માં લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ ()ની ત્રીજી શ્રેણીના યજમાન તરીકે અમિતાભ બચ્ચન ()ને સ્થાને ખાન આવ્યા હતા, આ ગેઇમ શો હુ વોન્ટસ ટુ બી મિલીયનોર?  ()નું ભારતીય સ્વરૂપ હતું.  અગાઉના હોસ્ટે આ શોનું પાંચ વર્ષો સુધી 2000-05 સંચાલન કર્યું હતું.  22 જાન્યુઆરી 2007ના રોજ કોન બનેગા કરોડપતિ નવા હોસ્ટ ખાન સાથે પ્રસારિત થયું હતું અને બાદમાં 19 એપ્રિલ 2007ના રોજ તેનો અંત આવ્યો હતો. 

ખાને ૨૫ એપ્રિલ ૨૦૦૮ના રોજ ગેમ શો ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?  ()નું હોસ્ટીંગ કરવાનું શરૂ કર્યું હતું, આ શો આર યુ સ્માર્ટર ધેન ફિફ્થ ગ્રેડર?  ()નું ભારતીય. સ્વરૂપ હતું, જેનો છેલ્લો એપિસોડ 27 જુલાઇ 2008ના રોજ ખાસ મહેમાન તરીકે લાલુ પ્રસાદ યાદવ () સાથે પ્રસારિત થયો હતો. 

યજમાન તરીકે [ફેરફાર કરો સ્રોત]

શીર્ષક વર્ષ સર્જક (ઓ) નોંધો સંદર્ભ.

કૌન બનેગા કરોડપતિ 2007 સિદ્ધાર્થ બસુએ સિઝન 3

ગેમ શો [171]

ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ? 2008 સિદ્ધાર્થ બસુએ ગેમ શો [173]

ઇન્ડિયન પ્રીમિયર લીગ એવોર્ડ્સ 2010 સિનેયુગ દૂરદર્શન ખાસ [176]

સહારા ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2010 2010 સિનેયુગ દૂરદર્શન ખાસ [177]

 
 

 




#Article 26: અવિનાશ વ્યાસ (435 words)


અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા જેમણે ૧૯૦ કરતાં વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમને ભારત સરકાર તરફથી ૧૯૭૦માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અર્પણ થયો હતો.

અવિનાશ વ્યાસનો જન્મ ગુજરાતમાં ૨૧ જુલાઇ ૧૯૧૨ના રોજ થયો હતો. તેમણે તેમની પ્રારંભિક સંગીત તાલીમ ઉસ્તાદ અલ્લાઉદિન ખાન પાસે લીધી હતી. તેમની કારકિર્દીની શરૂઆત HMV સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઇ હતી જ્યાં અવિનાશ વ્યાસે તેમની પ્રથમ ગ્રામોફોન રેકર્ડ ૧૯૪૦માં બહાર પાડી હતી અને ચલચિત્ર ઉદ્યોગમાં ગુજરાતી ચલચિત્ર મહાસતી અનસુયા સાથે ૧૯૪૩માં પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ અલ્લા રખાં સાથે બેલડી બનાવીને કરી હતી. તેના પછીના વર્ષે તેમના બે ચલચિત્રો કૃષ્ણ ભક્ત બોદાણા અને લહેરી બદમાશ સફળ ન રહ્યા હતા. તેમનું પ્રથમ મોટું સફળ ચલચિત્ર ૧૯૪૮માં ગુણસુંદરી હતું, જે ગુજરાતી અને હિંદી બંને ભાષામાં દ્વિભાષી ચલચિત્ર હતું.

તેમણે ૧૯૦ હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા, તેમને સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે. તેમણે તેમના સમયના મોટાભાગના મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું હતું. તેમણે કમાર જલાલાબાદી, ઇન્દિવર, ભરત વ્યાસ અને રાજા મહેંદી અલી ખાન જેવા ગીતકારો સાથે બેલડી બનાવીને ગીતો લખ્યા હતા. ગીતા દત્ત તેમના માનીતા ગીતકાર હતા અને તેણીએ બંગાળી હોવા છતાં ગુજરાતી ચલચિત્રોમાં વધુ ગીતો ગાયા હતા.

અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું છે. કવિ પ્રદીપજીના ખૂબ પ્રખ્યાત ગીત પીંજરે કે પંછી રે, તેરા દર્દ ના જાને કોઇ ને તેમણે સ્વરબ્દ્ધ કરેલુ. તેમને કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.

તેમને વાર્ષિક ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે મળ્યા હતા, જે એક કિર્તીમાન છે. ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમીએ તેમને ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો અને ૧૯૭૦માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી પુરસ્કાર એનાયત થયો હતો. તેમની કેટલીક યાદગાર રચનાઓ ૨૯ માર્ચ ૨૦૧૨ના રોજ સંગ્રહ તરીકે અવિનાશ વ્યાસ - અ મ્યુઝિકલ જર્ની તરીકે બહાર પડ્યું હતું. તેમનું અવસાન ૨૦ ઓગસ્ટ ૧૯૮૪ના રોજ ૭૨ વર્ષની ઉંમરે, તેમના છેલ્લા ચલચિત્ર ભક્ત ગોરા કુંભારની રજૂઆતના ત્રણ વર્ષ પછી થયું હતું.




#Article 27: અમિતાભ બચ્ચન (3465 words)


અમિતાભ બચ્ચન ( ,એક ભારતીય ફિલ્મ અભિનેતા છે . તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો), તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે. 

બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક  જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક  અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા  અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર  તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા. 

બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી  સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા  અને અભિષેક બચ્ચન  છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. 

ઉત્તરપ્રદેશ માં અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ (હાલમાં પાકિસ્તાન માં સ્થિત શહેર) ફૈસલાબાદ ના શીખ  પરિવારના હતા.બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ  પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે ક્યારેય લોપ ન પામતો પ્રકાશતેમની અટક શ્રીવાસ્તવ  છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ  બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે. 

અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે, બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.તેમણે અલ્હાબાદ ની જનના પ્રબોધિની () અને બોય્ઝ હાઇસ્કૂલ માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ ની શેરવૂડ કોલેજ માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. વીસીમાં બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.તે મણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.

તેમણે ત્રણ જૂન ૧૯૭૩ના રોજ અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી વિધિ મુજબ લગ્ન કર્યા.તેમને બે બાળકો છેઃ પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક બચ્ચન 

આનંદમાં  

બચ્ચને ૧૯૬૯માં ખ્વાજા અબ્બાસ એહમદ  દ્વારા નિર્દેશિત સાત ક્રાંતિકારીઓની વાત કહેતી ફિલ્મ સાત હિંદુસ્તાની  દ્વારા ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, તેમાં ઉત્પલ દત્ત , મધુ () અને જલાલ આગા () પણ હતા.ફિલ્મને નાણાકીય સફળતા મળી ન હતી, પણ બચ્ચનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પ્રથમ  રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક () મળ્યો હતો.

વિવેચકોની ટીકાની સાથે વેપારી સફળતાઆનંદમાં તેમણે તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના  સાથે કામ કર્યું હતું.બચ્ચનની ડોક્ટરની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અમિતાભે ૧૯૭૧માં પરવાના માં નવીન નિશ્ચલ , યોગીતા બાલી અને ઓમપ્રકાશ સાથે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જે ખલનાયક તરીકેની તેમની ભૂમિકાનું ચિત્રણ કરતી હતી. તેના પછી તેમની કેટલીક ફિલ્મો આવી પણ તેને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી, તેમાં ૧૯૭૧માં આવેલી રેશ્મા ઓર શેરા નો પણ સમાવેશ થાય છે.આ સમય દરમિયાન તેમણે ગુડ્ડી માં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમની ભાવિ પત્ની જયા ભાદુરી   ધર્મેન્દ્ર સામે હતી.પોતાના ઘેઘૂર અવાજ માટે જાણીતા બચ્ચને કારકિર્દીના પ્રારંભમાં બાવરચી ફિલ્મમાં પાત્રપરિચય કરાવ્યો હતો. ૧૯૭૨માં બચ્ચને રોડ એકશન કોમેડી ફિલ્મ બોમ્બે ટુ ગોવા () કરી હતી, જેનું દિગ્દર્શન એસ. રામનાથને  કર્યું હતું.તેમણે અરૂણા ઇરાની (), મેહમૂદ , અનવર અલી  અને નાસીરહુસૈન  સાથે હીરો તરીકેની ભૂમિકા ભજવી હતી.

બચ્ચનની કારકિર્દી માટે 1973નું વર્ષ સીમાચિન્હ સમાન સાબિત થયું હતું, દિગ્દર્શક પ્રકાશ મેહરા એ તેમને ફિલ્મ ઝંઝીર  (૧૯૭૩)માં ઇન્સ્પેક્ટર વિજય ખન્નાની ભૂમિકા માટે મુખ્ય ભૂમિકામાં કરારબદ્ધ કર્યા હતા.આ ફિલ્મ તેમણે અગાઉ ભજવેલી રોમેન્ટિકલી થીમ્ડ ફિલ્મ કરતાં એકદમ વિપરીત હતી. આ ફિલ્મે અમિતાભને એક નવી ઓળખ આપી હતી - ધ એન્ગ્રી યંગમેન  બોલીવૂડનો એકશન હીરો, તેના પછીની ફિલ્મો તેને આ જ ઓળખના આધારે મળી હતી. બોક્સઓફિસ પર સફળતા મળી હોય તેવી તેમની હીરો તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી અને તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. ૧૯૭૩ના વર્ષમાં તેમણે જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા અને આ સમય દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઝંઝીર ઉપરાંત અભિમાનમાં પણ તેમણે કામ કર્યું હતું, જે તેમના લગ્નના એક મહિના પછી પ્રદર્શિત થઈ હતી.પછી બચ્ચને ઋષિકેશ મુખરજી  દ્વારા નિર્દેશિત અને બ્રિજેશ ચેટરજી દ્વારા લિખિત સામાજિક ફિલ્મ નમકહરામ ()માં વિક્રમની ભૂમિકા ભજવી હતી, જેનો મુખ્ય આધાર મિત્રતા હતો.રાજેશ ખન્ના  અને રેખા  સાથેની તેમની સહાયક ભૂમિકાની પ્રશંસા થઈ હતી અને તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો.

બચ્ચને ૧૯૭૪માં વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ રોટી કપડા ઔર મકાન માં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવતા પહેલાં કુંવારા બાપ  અને દોસ્ત  જેવી કેટલીક ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.મનોજ કુમાર  દ્વારા લિખીત અને દિગ્દર્શિત આ ફિલ્મ નાણાકીય અને લાગણીશીલ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ પ્રામાણિક્તા જાળવી રાખવાનો સંદેશ પૂરો પાડે છે. આ ફિલ્મે વ્યાવસાયિક સફળતા મેળવી હતી તેમજ વિવેચકોએ પણ તેના વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં અમિતાભની સાથે મનોજ કુમાર, શશી કપૂર અને ઝીન્નત અમાન હતા.બચ્ચને 6ઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૪માં રજૂ થયેલી ફિલ્મ મજબૂર માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે હોલિવૂડ ની જ્યોર્જ કેનેડી અભિનિત ફિલ્મ ઝીગઝેગની રિમેક હતી.૧૯૭૫માં તેની આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સામાન્ય સફળતા મળી હતી. આ વર્ષે તેણે કોમેડી ચૂપકે ચૂપકે , ક્રાઇમ ડ્રામા ફરાર થી લઇને રોમેન્ટિક ડ્રામા મિલિ જેવી વૈવિધ્યપૂર્ણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.જોકે ૧૯૭૫માં તે બે એવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની ગણાય છે.તેમણે યશ ચોપરા () દિગ્દર્શિત દિવાર માં શશી કપૂર , નિરુપા રોય  અને નીતુ સિંહ  સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમણે ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે નોમિનેશન મેળવ્યું હતું.૧૯૭૫માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યંત સફળતા મેળવી હતી અને તે રેન્કિંગમાં ચાર નંબર પર રહી હતી. ઇન્ડિયાટાઇમ્સ મુવીઝ દિવારને ટોપ ૨૫ મસ્ટ સી બોલિવૂડ ફિલ્મસમાં સ્થાન આપે છે.૧૯૭૫ની ૧૫મી ઓગસ્ટે રજૂ થયેલી ફિલ્મ શોલે એ ફુગાવા ને ધ્યાનમાં લેતાં ૬૦ મિલિયન અમેરિકન ડોલરને સમકક્ષ રૂ. ૨,૩૬,૪૫,૦૦,૦૦૦ કમાણી કરી હતી. આ ફિલ્મે ભારતમાં હરહંમેશ સૌથી વધુ જોવાતી ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું.બચ્ચને આ ફિલ્મમાં જયદેવનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં ધર્મેન્દ્ર , હેમા માલિની , સંજીવ કુમાર , જયા બચ્ચન () અને અમજદ ખાન સહિત ઉદ્યોગના ટોચના કલાકારોએ પણ અભિનય કર્યો હતો. ૧૯૯૯માં બીબીસી  ઇન્ડિયાએ આ ફિલ્મને “ફિલ્મ ઓફ ધ મિલેનિયમ” અને દિવારની જેમ તેને પણ ઇન્ડિયાટાઇમ્સ ()  મુવીઝ દ્વારા ટોપ ૨૫ મસ્ટ સી બોલીવૂડ ફિલ્મ્સ તરીકે જાહેર કરાઇ હતી.આ જ વર્ષે ૫૦મા વાર્ષિક ફિલ્મફેર એવોર્ડ ()ના જજોએ તેને ફિલ્મફેર બેસ્ટ ફિલ્મ ઓફ ૫૦ યર્સ ()ના સન્માનથી નવાજી હતી.

બોક્સ ઓફિસ પર શોલે જેવી ફિલ્મોને સફળતા સાંપડ્યા પછી બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં તેમની સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી અને ૧૯૭૬થી ૧૯૮૪ દરમિયાન તેમણે ઘણા બધા ફિલ્મફેર પારિતોષિકમાં શ્રેષ્ઠ અભિનેતા ()ના પારિતોષિક અને નામાંકનો મેળવ્યા હતા. શોલે જેવી ફિલ્મોએ તેમને બોલિવૂડના એક્શન હીરો તરીકે પ્રસ્થાપિત કર્યા હતા, બચ્ચને કભી કભી () (૧૯૭૬) જેવી ફિલ્મમાં રોમેન્ટિક ભૂમિકા અને અમર અકબર એન્થોની ()માં (૧૯૭૭) કોમિક ટાઇમિંગની ભૂમિકા કરીને પોતે વૈવિધ્યસભર ભૂમિકા સફળતાપૂર્વક ભજવી શકે છે તે પુરવાર કર્યુ હતું અને કારકિર્દીના પ્રારંભમાં પણ તેમણે ચુપકે-ચુપકે () (૧૯૭૫) જેવી કોમેડી ફિલ્મ કરી હતી.૧૯૭૬માં યશ ચોપરા ()એ ફરીથી તેમને બીજી ફિલ્મ કભી કભી માટે કરારબદ્ધ કર્યા હતા. બચ્ચને તેમાં યુવા કવિ અમિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી, જે પૂજા નામની સુંદર યુવતીના પ્રેમમાં પડે છે, પૂજાની ભૂમિકા અભિનેત્રી રાખી ગુલઝારે () ભજવી હતી.અમિતાભ બચ્ચને અગાઉ કરેલી એકશન ફિલ્મો કરતાં આ ભૂમિકા લાગણીશીલ સંવાદો અને નાજુક માવજતના લીધે એકદમ અલગ તરી આવતી હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળવાની સાથે તેમને ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેતા તરીકેના પારિતોષિકમાં નામાંકન પણ મળ્યું હતું. તેમને ૧૯૭૭માં અમર અકબર એન્થોની માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો, તેમાં તેમની સાથે વિનોદ ખન્ના () અને ઋષિ કપૂર () હતા. બચ્ચને તેમાં એન્થની ગોન્ઝાલ્વીસની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૮નું વર્ષ બચ્ચનની કારકિર્દીનું સૌથી સફળ વર્ષ નીવડ્યું હતું. તેમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ચારેય ફિલ્મો ભારતમાં તે વર્ષની અત્યંત સફળ ફિલ્મો હતી.તેમણે ફરીથી બેવડી ભૂમિકા ભજવાનું શરૂ કરતાં કસ્મેવાદે ()માં અમિત અને શંકર તથા ડોન ()માં અંડરવર્લ્ડ ગેંગના ડોન તરીકેની તથા તેના જ હમશક્લ વિજયની ભૂમિકા ભજવી હતી.તેમના અભિનયે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પારિતોષિક અપાવ્યો હતો અને ત્રિશુલ () તથા મુકદ્દર કા સિકંદર ()માં તેમના અભિનયના વિવેચકોએ પણ વખાણ કર્યા હતા, બંને ફિલ્મોએ તેમના શ્રેષ્ઠ અભિનેતાના નામાંકન અપાવ્યા હતા.ફિલ્મક્ષેત્રે એક કલાકાર તરીકે તેમની અપ્રિતમ સફળતાને જોઈને ફ્રેન્ચ ડિરેક્ટર ફ્રાન્કોઇસ ટ્રોફોટે તેમને વન મેન ઇન્ડસ્ટ્રી ()નું બિરુદ આપ્યું હતું.

૧૯૬૯માં પ્રથમ વખત અમિતાભે તેમની ફિલ્મ મિ. નટવરલાલ ()માં પાર્શ્વગાયક તરીકે અવાજ આપ્યો હતો, તેમાં તેમની હીરોઇન રેખા () હતી.આ ફિલ્મમાં તેમની ભૂમિકાએ ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકેનું નામાંકન અપાવ્યું હતું અને શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયકનો ફિલ્મફેર પારિતોષિક () પણ અપાવ્યો હતો.૧૯૬૯માં તેમને ફરીથી કાલા પત્થર () (૧૯૬૯) માટે શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન મળ્યું હતું. તેના પછી તેમને ફરીથી ૧૯૮૦માં રાજ ખોસલા ()એ દિગ્દર્શિત ફિલ્મ દોસ્તાના () માટે નામાંકન મળ્યું હતું, જેમા તેમની સામે શત્રુઘ્નસિંહા () અને ઝીનત અમાન () હતા.દોસ્તાના ૧૯૮૦માં સૌથી વધારે આવક રળનારી ફિલ્મ સાબિત થઈ હતી. ૧૯૮૧માં તેમણે યશ ચોપરાની મેલોડ્રામા ફિલ્મ સિલસિલા ()માં તેમની પત્ની જયા તથા કહેવાતી પ્રેમિકા રેખા () સાથે ભૂમિકા ભજવી હતી.આ સમયગાળામાં તેમની અન્ય ફિલ્મોમાં રામ બલરામ () (૧૯૮૦), શાન () (૧૯૮૦), લાવારિસ () (૧૯૮૧) અને શક્તિ () (૧૯૮૨)નો સમાવેશ થાય છે, શક્તિમાં તેમણે લેજન્ડરી અભિનેતા દિલીપકુમાર ()ને બરોબરની ટક્કર આપી હતી.

૧૯૮૨માં કૂલી () ફિલ્મના શૂટિંગ વખતે બચ્ચનને સહ અભિનેતા પુનીત ઇસ્સર () સાથે ફાઇટિંગ સીન કરતી વખતે આંતરડામાં ગંભીર ઇજા થઈ હતી.બચ્ચન ફિલ્મમાં પોતાના સ્ટન્ટ જાતે કરતા હતા અને એક દ્રશ્યમાં તેમણે ટેબલ પર પડીને જમીન પર પડવાનું હતું. આમ છતાં તે ટેબલ તરફ પડ્યા ત્યારે ટેબલની ધાર તેમના પેટમાં ઘૂસી જતા તેમની અંદરના ભાગમાં ઇજા થઈ હતી અને ઘણું બધુ લોહી વહી ગયું હતું. તેમણે તાકીદે સ્પ્લેનેક્ટોમી કરાવવી પડી હતી અને હોસ્પિટલમાં ઘણા મહિનાઓ સુધી ગંભીર રીતે બીમાર રહ્યા હતા તથા મૃત્યુની નજીક પહોંચી ગયા હતા. લોકોએ તેમના જીવન માટે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં જઈને પ્રાર્થનાઓ કરી હતી, તેમજ તેમના અંગોનું દાન આપવાની ઓફર કરી હતી. તેઓ જે હોસ્પિટલમાં સારવાર લેતા હતા તેની બહાર તેમના શુભેચ્છકોની લાંબી લાઈન લાગેલી રહેતી હતી.
તેમને સાજા થતા ઘણા મહિના લાગી ગયા હતા અને લગભગ એક વર્ષના સમયગાળા પછી તેમણે ફરી અભિનય શરૂ કર્યો હતો. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી અને બચ્ચનના અકસ્માતની થયેલી જબરજસ્ત પબ્લિસિટીના લીધે તેને બોક્સઓફિસ પર જબરજસ્ત સફળતા મળી હતી.

બચ્ચનના અકસ્માતના બદલે દિગ્દર્શક મનમોહન દેસાઈ ()એ કૂલી () ફિલ્મનો અંત બદલી નાખવાની ફરજ પડી હતી.અગાઉના પાત્રાંકન મુજબ બચ્ચન અંતે મૃત્યુ પામતો હતો, પરંતુ પછી કથાનકમાં ફેરફાર કરીને તે પાત્રને અંતે જીવંત રખાયું હતું. દેસાઈએ કહ્યું હતું કે જે વ્યક્તિ વાસ્તિવક જીવનમાં મૃત્યુને નજીક પહોંચી ગયો હોય તેને સ્ક્રીન પર મરતો બતાવવો એકદમ અયોગ્ય બાબત હોત. આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી ત્યારે બચ્ચનને જે ફાઇટ દૃશ્યમાં ઈજા થઈ હતી તે દૃશ્ય સ્ક્રીન પર થોડો સમય થંભાવી દેવામાં આવે છે અને પછી સ્ક્રીન પર લીટી આવે છે કે આ શોટ વખતે અભિનેતાને ઇજા થઈ હતી અને આ રીતે અકસ્માતને પબ્લિસિટી આપવામાં આવી હતી.

તેમને પાછળથી માયસ્થેનિયા ગ્રેવિસનું નિદાન કરાયું હતું.  ()તેમની માંદગીના લીધે તેઓ માનસિક અને શારીરિક રીતે નબળા પડી જતા ફિલ્મો છોડી રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો હતો. આ સમયે તેઓ નિરાશાવાદી બની ગયા હતા કે તેમને નવી ફિલ્મ હવે કેવી રીતે મળશે તેની ચિંતા સતાવતી હતી. લગભગ દરેક ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તે નકારાત્મક નિવેદન કરતાં કહે છે કે યે ફિલ્મ તો ફ્લોપ હોગી (ધીસ ફિલ્મ વિલ ફ્લોપ)

૧૯૮૪માં અમિતાભે અભિનયમાં ટૂંક સમયનો વિરામ લઈને લાંબા સમયના કૌટુંબિક મિત્ર રાજીવ ગાંધી ()ને ટેકો આપવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો.તે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન  એચ. એન. બહુગુણા () સામે અલ્હાબાદની લોકસભા બેઠક પરથી લડ્યા અને સામન્ય ચૂંટણીના ઇતિહાસ માં 68.2 ટકાનું જંગી માર્જિન કહી શકાય તેટલી ટકાવારીથી જીત્યા હતા.તેમની રાજકીય કારકિર્દી ટૂંકી નીવડી હતી અને તેમણે ત્રણ વર્ષ બાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. બચ્ચન અને તેમના ભાઈ બોફોર્સ કૌભાંડ ()માં સંડોવાયેલા હોવાના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું, એવો એક અખબારે દાવો કર્યો હતો, જેને બચ્ચન બંધુઓ કોર્ટમાં ઘસડી ગયા હતા.બચ્ચન બોફોર્સ કૌભાંડમાં નિર્દોષ પુરવાર થયો હતો.

તેમના જૂના મિત્ર અમરસિંહે  તેમને નાણાકીય કટોકટીમાં મદદ કરી હતી, તેમની કંપની એબીસીએલ નિષ્ફળ જતા આ કટોકટી સર્જાઈ હતી. તેના પછી બચ્ચને અમરસિંહના રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાનું શરૂ કર્યું.જયા બચ્ચન સમાજવાદી પક્ષ ()માં જોડાયા અને રાજ્યસભા માં સભ્ય બન્યા.બચ્ચને જાહેરખબરો અને રાજકીય પ્રચારોમાં સમાજવાદી પક્ષની તરફેણ કરવાની ચાલુ રાખી. આ પ્રવૃત્તિના લીધે તેમણે મુશ્કેલીમાં મૂકાવવું પડ્યું અને ભારતીય કોર્ટોમાં ખોટા દોવાનો સામનો કરવો પડ્યો, જેમાં તેમણે પોતે ખેડૂત હોવાના કરેલા નિવેદનના સમર્થનમાં રજૂ કરેલા કાનૂની પત્રોનો સમાવેશ થાય છે.

બચ્ચન તેમની કારકિર્દીમાં ટોચ પર હતા ત્યારે તેમના પર સ્ટારડસ્ટ () અને બીજા કેટલાક ફિલ્મ મેગેઝિનોએ 15 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.પોતાના બચાવમાં બચ્ચને દાવો કર્યો હતો કે તેમણે 1989ના અંત સુધી તેમની ફિલ્મના સેટ પર પ્રેસને ફરકવા દેવાની મનાઈ ફરમાવી દીધી હતી.

બચ્ચન 1988માં ફિલ્મોમાં પાછો ફર્યો હતો અને શહેનશાહ માં શીર્ષક ભૂમિકા નીભાવી હતી, આ ફિલ્મ બચ્ચનની પુનરાગમન ફિલ્મ હોવાથી તેને બોક્સોફિસ પર સફળતા મળી હતી.સફળ પુનરાગમન પછી બચ્ચનની બીજી ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ જતા તેમનો સ્ટાર પાવર ઘસાવવા માંડ્યો હતો. 1991માં આવેલી હિટ ફિલ્મ હમ () પછી જૂનો ટ્રેન્ડ શરૂ થશે તેમ લાગ્યું હતું, પણ આ બાબત પણ અલ્પજીવી નીવડી હતી અને બોક્સઓફિસ પર તેમની નિષ્ફળતાનો દોર જારી રહ્યો હતો. હિટ ફિલ્મોના અભાવ છતાં પણ બચ્ચનને 1990માં આવેલી ફિલ્મ અગ્નિપથ ()માં માફિયા ડોનની ભૂમિકા બદલ બીજો રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક  મળ્યો હતો.આ વર્ષ પછી બચ્ચન થોડા સમય સુધી સ્ક્રીન પર દેખાયા ન હતા. 1992માં ખુદાગવાહ  ફિલ્મ પ્રદર્શિત થયા પછી બચ્ચને પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. 1994માં તેમની બહુ પાછી ઠેલાયેલી ફિલ્મ ઇન્સાનિયત  રિલીઝ થઈ હતી, પણ તેને બોક્સઓફિસ પર નિષ્ફળતા સાંપડી હતી.

બચ્ચન તેમની કામચલાઉ નિવૃત્તિના સમયગાળા દરમિયાન નિર્માતા બન્યા હતા અને અમિતાભ બચ્ચને કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરી હતી. 1996મા સ્થપાયેલી એ.બી.સી.એલ.નું વિઝન 2000 સુધીમાં મનોરંજન ક્ષેત્રે 10 અબજ રૂપિયા(25 કરોડ અમેરિકન ડોલર)ની કંપની બનવાનું હતું. એબીસીએલની વ્યૂહરચના ભારતના મનોરંજન ઉદ્યોગ માટે પ્રોડક્ટ્સ અને સર્વિસ પૂરી પાડવાનું હતું. તેની કામગીરી મુખ્યપ્રવાહની કમર્શિયલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ, ઓડિયો કેસેટ અને વિડીયો ડિસ્ક, ટેલીવિઝન સોફ્ટવેરનું નિર્માણ અને માર્કેટિંગ સોફ્ટવેર, સેલીબ્રીટી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું હતું. કંપનીને 1996માં લોન્ચ કરવામાં આવ્યા પછી ટૂંક સમયમાં જ કંપનીએ પ્રથમ ફિલ્મ બનાવી હતી.તેરે મેરે સપને) બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, પંરતુ તેણે અર્શદ વારસી  તથા હાલની દક્ષિણની ફિલ્મોની સ્ટાર સિમરન () જેવી અભિનેત્રીઓને લોન્ચિંગ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.એબીસીએલે કેટલીક બીજી ફિલ્મોનું નિર્માણ કર્યું, પણ તેને સફળતા ન મળી

બચ્ચને 1997માં તેની ફિલ્મ મૃત્યુદાતા  તેની કંપનીના નેજા હેઠળ બનાવી ફરીથી પુનરાગમન કર્યું. મૃત્યુદાતામાં બચ્ચનની અગાઉની એકશન હીરો તરીકેની ઇમેજનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થયો હોવા છતાં તેને નાણાકીય અને વિવેચન બંને રીતે નિષ્ફળતા સાંપડી હતી.એબીસીએલે 1996ની મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધા ની મુખ્ય આયોજક હતી, બેંગલોર ()માં તેનું આયોજન થયું હતું, પરંતુ તેમાં તેણે લાખો રૂપિયા ગુમાવ્યા હતા.આમ મિસ વર્લ્ડના આયોજનના ફિયાસ્કા અને તેના પછી તેના પરિણામે એબીસીએલ અને જુદી-જુદી કંપનીઓ કાનૂની દાવપેચમાં સપડાઈ હતી. આ ઉપરાંત એબીસીએલે તેના ટોપ લેવલના મેનેજરોને વધારે પડતો પગાર આપ્યો હતો અને તેના લીધે તે 1997માં નાણાકીય  રીતે અને કામકાજની રીતે પડી ભાંગી હતી. કંપનીને છેવટે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ બોર્ડે માંદી કંપની જાહેર કરી હતી. બોમ્બે હાઇકોર્ટે એપ્રિલ 1999માં બચ્ચનને તેના મુંબઈ સ્થિત બંગલો () પ્રતીક્ષા અને બીજા બે ફ્લેટ કેનેરા બેન્ક ની બાકી નીકળતી લોન વસૂલ થાય નહીં ત્યાં સુધી વેચી શકતા અટકાવ્યો હતો.બચ્ચને વિનંતિ કરી હતી કે તેઓ તેમની કંપની માટે ભંડોળ ઊભું કરવા સહારા ઇન્ડિયા ફાઇનાન્સ પાસે બંગલો ગીરો મૂકવા માગે છે.

બચ્ચને તેની કારકિર્દીને પુર્નજીવિત કરવાનો પ્રયાસ કર્યો અને તેની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં () (1998)ને સરેરાશ સફળતા મળી અને ફિલ્મ સૂર્યવંશમ () (1999)ને હકારાત્મક રીવ્યુ મળ્યા. પણ બીજી ફિલ્મો જેવી કે લાલ બાદશાહ () (1999) અને હિંદુસ્તાન કી કસમ  (1999) બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.

મે 2007માં તેમની બે ફિલ્મો ચીની કમ () અને મલ્ટીસ્ટાર ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા () પ્રદર્શિત થઈ હતી.શૂટઆઉટ એટ લોખંડવાલાએ બોક્સઓફિસ પર સારી કામગીરી બજાવી હતી અને તેને ભારતમાં હિટ જાહેર કરાઈ હતી, તેની સરખામણીએ ચીની કમનો પ્રારંભ ધીમો રહ્યો હતો અને તેને સરેરાશ હિટ ફિલ્મ જાહેર કરાઈ હતી.

ઓગસ્ટ 2007માં તેમની સૌથી મોટી હિટ ફિલ્મ શોલે () (1975)ની રિમેક () રામ ગોપાલ વર્મા કી આગ () ફિલ્મે બોક્સઓફિસ પર ધબડકો કર્યો હતો અને વિવેચકોએ આ ફિલ્મની આકરી ટીકા કરી હતી.

તેમની પ્રથમ અંગ્રેજી ભાષાની ફિલ્મ ઋતુપર્ણો ઘોષ ()ની ધ લાસ્ટ લીયર ()નું પ્રીમિયર નવ સપ્ટેમ્બર 2007ના રોજ 2007 ટોરોન્ટોમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભ ()માં થયું હતું.આ ફિલ્મમાં તેમની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને બ્લેક પછીનો શ્રેષ્ઠ અભિનય ગણાવ્યો હતો.
બચ્ચને પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શાંતારામ ()માં સહાયક ભૂમિકા ભજવી હતી. મીરા નાયર () દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હોલીવૂડ ()નો સ્ટાર જોની ડેપ () મુખ્ય ભૂમિકામાં હતો.આ ફિલ્મ ફેબ્રુઆરી 2008માં પ્રદર્શિત થવાની હતી, પરંતુ લેખકોની હડતાળના કારણે તેનું પ્રદર્શન સપ્ટેમ્બર 2008માં પાછુ ઠેલાયું હતું.

ભૂતનાથ ()માં બચ્ચને ભૂત () તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે નવ મે 2008ના રોજ પ્રદર્શિત થઈ હતી.સરકાર રાજ () જૂન 2008માં પ્રદર્શિત થી હતી અને તે 2005ની ફિલ્મ સરકાર ()ની સીકવલ હતી.સરકાર રાજને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. 

ભારતમાં મુંબઈ () ખાતે 8 ડિસેમ્બર 2008માં યોજાયેલી બીજી લાઇવ અર્થ () ઇવેન્ટ લાઇવ અર્થ ઇન્ડિયા 2008 ()માં બચ્ચન જોન બોન જોવી () સાથે સહ યજમાન હતા.

નવેમ્બર 2005માં અમિતાભ બચ્ચન લીલાવતી હોસ્પિટલમાં આઇસીયુમાં  ()દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર સ્મોલ ઇન્ટેસ્ટાઇનના  ()ડાઇવર્ટિક્યુલિટિસનું  ()નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બચ્ચને તેના થોડા દિવસો પહેલાં પેટમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ તેનું નિદાન થયું હતું. તેઓ સાજા થતા હતા તેના થોડા સમયગાળા દરમિયાન તેમના મોટાભાગના પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયા હતા, તેમાં તેઓ જેનું હોસ્ટિંગ કરતા હતા તે ટેલીવિઝન ગેમ શો  કૌન બનેગા કરોડપતિ ()નો પણ સમાવેશ થાય છે. અમિતાભ માર્ચ 2006માં કામ પર પાછા ફર્યા.

બચ્ચન તેના ઘેરા અને ઘાટિલા અવાજ માટે જાણીતો છેબચ્ચને તેમના ઘાટીલા અવાજ દ્વારા પાત્રપરિચય આપ્યો છે, પાર્શ્વગાયકી () પણ કરી છે અને ઘણા બધા કાર્યક્રમોમાં પ્રેઝન્ટર પણ રહ્યા છે. પ્રતિષ્ઠિત ફિલ્મ દિગ્દર્શક સત્યજીત રે  ()પણ બચ્ચનના અવાજથી પ્રભાવિત હતા. તેમને તેમની ફિલ્મ શતરંજ કે ખિલાડીમાં () બચ્ચનને આપવા યોગ્ય ભૂમિકા ન લાગતા તેના અવાજનો ઉપયોગ કોમેન્ટ્રી આપવા કર્યો હતો. ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલાં બચ્ચને ઓલ ઇન્ડિયા રેડિયોમાં () ઉદઘોષક તરીકેની ભૂમિકા માટે અરજી કરી હતી, પણ તે નકારી કાઢવામાં આવી હતી. 

તેમણે પણ નીચેની ફિલ્મો માટે કામ પર અવાજ થાય: 

બાલિકા બધું (1975)

તેરે મેરે સપને (1996)

લગાન (2001)

પરિણીતા (2005)

જોધા અકબર (2008)

સ્વામી (2007) [77]

જોર લગા  કે ... હૈયા ! (2009)

કહાની (2012)

ક્રિશ 3 (2013)

મહાભારત (2013)

કોચડૈયાન  (હિન્દી આવૃત્તિ) (2014)

ઉત્તરપ્રદેશમાં 2007માં () યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બચ્ચને મુલાયમસિંહ યાદવની ()સરકાર માટે પ્રયાસ કર્યો હતો. છતાં પણ તેનો સમાજવાદી () પક્ષ હારી ગયો હતો અને માયાવતી () સત્તામાં આવી હતી. 

જૂન 2007માં ફૈઝાબાદની () કોર્ટે આદેશ આપ્યો હતો કે તેમણે જમીનવિહોણા દલિત  ()ખેતમજૂરો તરીકે ગણાવી ગેરકાયદેસર રીતે કૃષિ જમીન ખરીદી હતી.તેના લીધે તેવી અટકળો હતી કે છેતરપિંડીના કેસની તપાસ થશે, કારણ કે તેમણે ખેડૂત તરીકે દાવો કર્યો હતો. આ કૌભાંડ બહાર આવ્યા પછી 19 જુલાઈ 2007માં બચ્ચને ઉત્તરપ્રદેશમાં () બારાબંકી અને પુણેમાં સંપાદિત કરેલી જમીન પાછી આપી દીધી હતી.  ()તેમણે મહારાષ્ટ્રના () મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખને આ જમીન દાનમાં આપવા લખ્યુ હતું, જે પુણેમાં ગેરકાયદેસર રીતે કબ્જે કરવામાં આવી હતી. આમ છતાં લખનૌ કોર્ટે જમીન દાનમાં આપવા સામે મનાઇહુકમ આપતા જણાવ્યું હતું કે જમીનની યથાવત સ્થિતિ જાળવામાં આવે. 

બચ્ચને 12 ઓક્ટોબર 2007ના રોજ બારાબંકી જિલ્લાના દૌલતપુરની જમીન પરનો દાવો જતો કર્યો હતો. 11 ડિસેમ્બર 2007ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ () બેન્ચે બારાબંકી જિલ્લાની સરકારી જમીનની ખોટી રીતે ફાળવણીના કેસમાં બચ્ચનને ક્લિન ચીટ આપી હતી. લખનૌ બેન્ચના સિંગલ જજે જણાવ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ આચરી હોવાનો પુરાવા મળ્યા નથી. 

બારાબંકી કેસમાં હકારાત્મક ચુકાદો મલ્યા પછી અમિતાભ બચ્ચને મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતું કે તે પુણે જિલ્લામાંં મવાલ તાલુકાની જમીન આપવાની ઇચ્છા ધરાવતા નથી.

 
જાન્યુઆરી 2008માં રાજકીય રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના () વડા રાજ ઠાકરેએ  ()અમિતાભ બચ્ચનને લક્ષ્યાંક બનાવી કહ્યું હતું કે તેમને મહારાષ્ટ્રને બદલે પોતાના વતન તરફ વધારે ઝુકાવ છે. અમિતાભે તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના  ()નામે મહારાષ્ટ્રના બદલે ઉત્તરપ્રદેશમાં બારાબંકી () ખાતે ગર્લ્સ સ્કૂલ શરૂ કરી તેની સામે અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રસાર માધ્યમોના અહેવાલો મુજબ એક સમયના અમિતાભના પ્રશંસક રાજ ઠાકરેએ અભિષેક  ()અને ઐશ્વર્યાના લગ્નમાં તેમને આમંત્રણ ન આપતા બચ્ચન પર આ પ્રહારો કર્યા હતા. બીજી બાજુ બચ્ચને તેમના કાકા બાલ ઠાકરે અને ભત્રીજા ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું હતું. 

રાજના આક્ષેપોના જવાબ આપતા બચ્ચનની પત્ની અને સમાજવાદી પક્ષની સાંસદ જયા બચ્ચને જણાવ્યું હતું કે બચ્ચન મુંબઈમાં પણ શાળા શરૂ કરવા ઇચ્છુક છે, પણ એમએનએસના નેતા તેના માટે જમીન તો ફાળવે. તેણે પ્રસાર માધ્યમોમાં જણાવ્યું હતું કે,મેં સાંભળ્યું છે કે રાજ ઠાકરે મુંબઈ અને કોહિનૂર મિલ્સમાં જંગી મિલકતનો માલિક છે.જો તેઓ જમીન ફાળવવા તૈયાર હોય તો અમે ઐશ્વર્યા રાયના નામે સ્કૂલ શરૂ કરવા તૈયાર છે. આમ છતાં અમિતાભ આ મુદ્દે ટીકા કરવાથી દૂર રહ્યો હતો. 

બાલ ઠાકરેએ આ આક્ષેપોનો પ્રતિકાર કરતાં જણાવ્યું હતું કે,  અમિતાભ સ્પષ્ટવક્તા છે અને તેને મહારાષ્ટ્ર પ્રત્યે અત્યંત પ્રેમ છે અને તેનો પુરાવો તેણે ઘણા પ્રસંગોએ આપ્યો છે.બચ્ચને વારંવાર જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને મુંબઈએ મને ઘણું સન્માન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આજે પોતે જે છે તે લોકોના પ્રેમના લીધે છે. મુંબઈની પ્રજા હંમેશા કલાકારોને માન આપતી આવી છે. તેથી તેમની સામે આ પ્રકારના આક્ષેપો મૂકવા એકદમ મૂર્ખામીભરી બાબત છે. અમિતાભ ગ્લોબલ સુપરસ્ટાર છે.સમગ્ર વિશ્વના લોકો તેને સન્માન આપે છેકોઈ વ્યક્તિ આ બાબત ભૂલી શકે નહીં. અમિતાભે મૂર્ખામીભર્યા આક્ષેપો અવગણવા જોઈએ અને અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

રાજ ઠાકરેની ટિપ્પણીના લગભગ મહિના પછી 23 માર્ચ 2008ના રોજ અમિતાભે ટેબ્લોઈડને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો પર ધ્યાન આપીને હું તેમને તેઓ ઇચ્છે છે તેવું મહત્વ આપી શકું નહીં.28 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમીની () પત્રકાર પરિષદમાં બચ્ચનને આ પ્રકારની બાબત અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ સ્થળે જીવવું કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે.તેણે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેના પર રાજની ટિપ્પણીની કોઈ અસર થઈ નથી




#Article 28: શ્રીનિવાસ રામાનુજન (121 words)


શ્રીનિવાસ ઐયંગર રામાનુજન (; ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે.

૨૨ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ તેમની ૧૨૫મી જન્મતિથિ ઉજવવામાં આવી હતી.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨માં રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.




#Article 29: અખા ભગત (195 words)


અખા રહિયાદાસ સોની (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન અખાના ઓરડા તરીકે ઓળખાય છે.

જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

દોષનિવારક અંગવર્ગ

ગુણગ્રાહક અંગવર્ગ

સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

ફલપ્રતિપાદક અંગવર્ગ




#Article 30: વિક્રમ સારાભાઈ (496 words)


ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગષ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તેઓ ના પિતા ગણાય છે.

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે.

૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક થઈ હતી. અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે. 

ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી. 

ભારતના પ્રથમ રોકેટ લોન્ચિગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું.

દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે. અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે પ્રસિદ્ધ આઇ.આઇ.એમ. અને એન.આઇ.ડી ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.




#Article 31: ઐશ્વર્યા રાય (1965 words)


 ઐશ્વર્યા રાય-બચ્ચન  અથવા  ઐશ્વર્યા બચ્ચન   (જન્મનું નામઃ  ઐશ્વર્યા રાય,  તુલુ (જન્મઃ ૧ નવેમ્બર ૧૯૭૩) એક ભારતીય  અભિનેત્રી અને ભૂતપૂર્વ  મિસ વર્લ્ડ છે.અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય, તેના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા શ્રેય, પાંચ ભાષાઓ, મુખ્યત્વે હિન્દી, તમિલ અને ઇંગલિશ માં 40 ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મણિરત્નમની તમીલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)થી ફિલ્મ કારકિર્દી શરૂ કરનાર ઐશ્વર્યા રાયની સૌપ્રથમ વ્યાવસાયિક સફળ ફિલ્મ તામિલ ફિલ્મ જિન્સ (ઇ. સ. ૧૯૯૮) હતી, આ ફિલ્મે તેને  ફિલ્મફેર (દક્ષિણ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો હતો.સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (ઇ. સ. ૧૯૯૯)થી તે બોલીવુડના ધ્યાનમાં આવી હતી.ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અદાકારીને પગલે તેણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડજીત્યો હતો.૨૦૦૨માં તેણે ભણસાલીની આગામી ફિલ્મ દેવદાસમાં કામ કર્યું હતું, જેમાં તેણે ફિલ્મફેરમાં બીજી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. ઇ. સ. ૨૦૦૩થી ઇ. સ. ૨૦૦૫ દરમિયાન તેની કારકિર્દીમાં નબળા તબક્કા બાદ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ 2 માં (ઇ. સ. ૨૦૦૬) કામ કર્યું હતું, જે તેની સૌથી મોટી વ્યાવસાયિક સફળ ફિલ્મ બની હતી.ઐશ્વર્યાએ ત્યાર બાદ ગુરુ' (ઇ. સ. ૨૦૦૭) અને જોધા અક્બર (ઇ. સ. ૨૦૦૮) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ રહી હતી અને તેની ભૂમિકાની સરાહના પણ થઇ હતી.આમ, રાયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી અભિનેત્રીઓમાં તેનું સ્થાન જમાવ્યું છે.

તેની કારકિર્દી દરમિયાન રાયે અંગ્રેજીમાં આંતરરાષ્ટ્રીય પ્રોડક્શનની બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ  (ઇ. સ. ૨૦૦૩), મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસ (ઇ. સ. ૨૦૦૫), ધ લાસ્ટ લીજન () (ઇ. સ. ૨૦૦૭) અને ધ પિંક પેન્થર 2 (ઇ. સ. ૨૦૦૯) સહિત હિન્દી (), અંગ્રેજી (), તામિલ અને બંગાળીમાં ૪૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મેંગલોર માં કૃષ્ણરાજ રાય અને વૃંદા રાયના ઘરે ઐશ્વર્યાનો જન્મ થયો હતો. તેનો પરિવાર મેંગલોરના બંટ સમાજ નો છે. તેને એક મોટો ભાઈ છે, જેનું નામ આદિત્ય રાય છે અને તે નૌકાદળમાં કામ કરે છે તથા તેણે ઐશ્વર્યાની ફિલ્મ દિલ કા રિશ્તા (ઇ. સ. ૨૦૦૩)નો કો-પ્રોડ્યુસર પણ હતો. ઐશ્વર્યા નાની હતી ત્યારે તેના માતા-પિતા મુંબઇ આવીને વસ્યા, જ્યાં તેણે સાંતાક્રૂઝ માં આર્ય વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો. ઐશ્વર્યાએ એચએસસીનો અભ્યાસ એક વર્ષ ચર્ચગેટ ()ની જય હિંદ કોલેજ ()માં અને ત્યાર બાદ માટુંગાની રુપારેલ કોલેજ માં પૂરો કર્યો હતો. શાળામાં તે હોંશિયાર હતી અને તેણે આર્કિટેક્ટ બનવાનો નિર્ણય કર્યો હતો અને આર્કિટેક્ચરમાં અભ્યાસ શરૂ કર્યો. તે માતૃભાષા તુલુ (), તેમજ હિન્દી (), અંગ્રેજી (), મરાઠી () અને તમીલ () સહિત કેટલીક ભાષા જાણે છે.તેણે આર્કિટેક્ચર ()માં અભ્યાસ શરૂ કર્યો હતો.

આર્કિટેક્ચરના અભ્યાસની સાથે સાથે તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું હતું. ઇ. સ. ૧૯૯૪માં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં તેણે સુસ્મિતા સેન  પછી બીજુ સ્થાન મેળવ્યું હતું અને મિસ ઇન્ડિયા વર્લ્ડ 'નો તાજ જીત્યો હતો.તે મિસ વર્લ્ડ બની તે જ વર્ષે તેણે મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ જીત્યો હતોતેણે સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી અભ્યાસ છોડી દીધો અને મિસ વર્લ્ડના તાજ  ધારણ કર્યો હોવાથી એક વર્ષનો સમય લંડન માં પસાર કર્યોરાયે તેની કારકિર્દીની શરૂઆત પ્રોફેશનલ મોડેલ તરીકે કરી હતી અને પછી તેણે અભિનેત્રી તરીકે ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું હતું. 

રાયે મણિરત્નમ ની તમીલ  ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)માં મોહનલાલ (), સામે હીરોઈન તરીકે ચમકીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ.તે જ વર્ષે રાયે બોબી દેઓલ  સાથેની ફિલ્મ ઔર પ્યાર હો ગયા  દ્વારા બોલીવુડ () ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. જોકે, તેની ત્રીજી ફિલ્મ એસ. શંકર ની તમીલ ફિલ્મ જિન્સ (૧૯૯૮) મહત્વની રહી હતી. આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી હતી. તેણે ઐશ્વર્યાને દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો. રાયને બેવડી ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બે વર્ષે પૂરી થઈ હતી.

સંજય લીલા ભણસાલી ની 1999માં આવેલી હમ દિલ દે ચુકે સનમ  ફિલ્મ ઐશ્વર્યા માટે બોલીવુડની સફળ હિટ ફિલ્મ  સાબિત થઈ હતી. આ ફિલ્મને વિવેચકોએ પણ વખાણી હતી. ઐશ્વર્યાને તેના માટે પ્રથમ વખત ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.તે જ વર્ષે સુભાષ ઘાઈની તાલ  ફિલ્મમાં પણ તેણે કામ કર્યુ હતુ અને તેને જબરજસ્ત સફળતા મળી હતી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ફિલ્મના વખાણ થયા હતા અને તેમાં પણ અમેરિકા માં તો આ ફિલ્મે નોંધપાત્ર સફળતા મેળવતા વેરાયટી ની બોક્સ ઓફિસની યાદીમાં ટોચની ૨૦ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું. આ ફિલ્મમાં અભિનય બદલ રાય ફિલ્મફેર એવોર્ડ માટેની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેના દાવેદારોમાં સ્થાન પામી હતી. વિવેચકોએ બંને ફિલ્મમાં ઐશ્વર્યાના કામના વખાણ કર્યા હતા. રાયે ૨૦૦૦માં બે હિટ ફિલ્મ મોહબ્બતે  અને જોશ ()માં સહાયક ભૂમિકા ભજવી હતી. પછીના વર્ષે રાયની તામિલ ફિલ્મ કન્ડુકોન્ડૈન કન્ડુકોન્ડૈન ()માં પણ તેની અદાકારીના વખાણ થયા હતા.
સંજય લીલા ભણસાલીએ ૨૦૦૨માં બનાવેલી ભવ્ય ફિલ્મ દેવદાસ માં શાહરૂખ ખાન  અને માધુરી દીક્ષિત ની સાથે રાય પણ હતી.આ ફિલ્મએ સમગ્ર વિશ્વમાં પથરાયેલા બોલીવુડના પ્રશંસકોમાં આકર્ષણ પેદા કર્યું હતું, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ()માં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.આ જ સમયે પશ્ચિમનું ધ્યાન પણ ભારતની આ અભિનેત્રી પર પડ્યું હતું અને તેને હોલિવૂડ ()ના પ્રોજેક્ટમાં કામ કરવાનું આમંત્રણ મળ્યું હતું.દેવદાસે ભારત  અને વિદેશમાં જબરજસ્ત સફળતા મેળવતા વર્ષની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બનવાની સિદ્ધિ મેળવી હતી. આ ફિલ્મએ રાયને બીજી વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ  અપાવ્યો હતો.

રાયે ૨૦૦૩માં વિવેચકોની પ્રશંસા અને વ્યવસાયી સફળતા મેળવનારી ફિલ્મ બંગાળી ફિલ્મ ચોખેર બાલી ()માં કામ કર્યુ હતુ, આ ફિલ્મ રવિન્દ્રનાથ ટાગોર ની નવલકથા પરથી તે જ નામે બનાવવામાં આવી હતી.
જો કે ચોખેર બાલી પછી તેની બધી ફિલ્મોમાં ખાકી(૨૦૦૪)ને જ બોક્સઓફિસ પર સફળતા મળી હતી. શબ્દ, કુછ ના કહો (), ક્યુ...!ને સરિયામ નિષ્ફળતા મળી હતી.આ ઉપરાંત હો ગયા ના  અને રેઇનકોટ ()ની સાથે તેની આંતરરાષ્ટ્રીય ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ (), મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ ()ને પણ નિષ્ફળતા મળી હતી.

રાય ૨૦૦૨થી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નિયમિત રીતે હાજર રહી છે. ૨૦૦૩ના વર્ષમાં તો તે કાન્સની જ્યુરીની સભ્ય હતી.તે જ મહિને તેની પ્રથમ વિદેશી ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ  પ્રદર્શિત થઈ હતી.આ ફિલ્મ જેન ઓસ્ટિનની ક્લાસિક નોવેલ પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ નું ભારતીય રૂપાંતરણ હતી.તેના પછીની તેની વિદેશી ફિલ્મ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ () હતી, જે બોક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી.  ઐશ્વર્યાને થોડા સમય પૂરતી બોક્સ ઓફિસ પર સતત નિષ્ફળતા સાંપડી હતી. આ દરમિયાન મેલબોર્ન માં ૨૦૦૬ની કોમનવેલ્થ ગેમ્સ ની સમાપનવિધિમાં ભારતીય કળાનું પ્રદર્શન કરવા માટે તે હાજર રહી હતી. નવી દિલ્હી માં યોજાનારી ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સ ()ના ભાગરૂપે ભારતીય કલાકારોએ મેલબોર્નમા સમાપનવિધિમાં પ્રદર્શન કર્યું હતું.વિદેશી ફિલ્મોમાં અભિનય કરવા દરમિયાન ભારતીય ફિલ્મ બન્ટી ઓર બબલી માં ઐશ્વર્યાના “કજરા રે” ગીત પરના સાત મિનીટના નૃત્યને જબરજસ્ત લોકપ્રિયતા મળી હતી. 

૨૦૦૬માં તેની બે ફિલ્મો પ્રદર્શિત થઈ હતીઃ ઉમરાવ જાન () અને ધૂમ 2 ()ઉમરાવ જાનને ભારતમાં સરિયામ નિષ્ફળતા મળી હતી, પણ ૨૦૦૪ની હિટ ફિલ્મ ધૂમ ()ની સીક્વલે બધાનું ધ્યાન ઐશ્વર્યા તરફ ખેંચ્યું હતું. આ ફિલ્મ વર્ષની જબરજસ્ત હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને ૨૦૦૭માં ઓમ શાંતિ ઓમ () આવી ત્યાં સુધી સૌથી વધુ કમાણી(ફુગાવા સાથે એડ્જસ્ટ કર્યા વગર) કરતી ફિલ્મ હતી.આ ફિલ્મમાં તેણે ઋત્વિક રોશન ()ને આપેલા ચુંબનના દ્રશ્યને લઈને જબરજસ્ત વિવાદ સર્જાયો હતો.છતાં પણ તેની ભૂમિકા બદલ ઘણા બધા એવોર્ડ માટેની શ્રેષ્ઠ અભિનેત્રીના દાવેદારોમાં તેને સ્થાન મળ્યું હતું, તેમાં ફિલ્મફેરનો પણ સમાવેશ થાય છે. 
મણિરત્નમ ની ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ગુરુ નું ટોરોન્ટો માં પ્રીમિયર કરાયું હતું.આ ફિલ્મ ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ()ના જીવન પર આધારિત હતી અને વિશ્લેષકોએ તેને વખાણી હતી અને બોક્સ ઓફિસ પર પણ તેણે સારો દેખાવ કર્યો હતો. પ્રોવોક્ડ () ફિલ્મ સર્કલ ઓફ લાઇટ પુસ્તક પર આધારિત હતી. ભારત અને યુકેમાં છ એપ્રિલ ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મમાં તેણે વાસ્તવિક જીવનના પાત્રની ભૂમિકા ભજવી હતી. આ આત્મકથાનક ફિલ્મમાં તેણે વાસ્તવિક જીવનમાં ઘરેલું હિંસાનો ભોગ બનતી કિરણજીત આહલુવાલિયાની ભૂમિકા અદા કરી હતી.એપ્રિલ ૨૦૦૭ના અંતે તેની પ્રથમ અમેરિકન ફિલ્મ ધ લાસ્ટ લીજન () આવી હતી. રશિયા અને હોલેન્ડમાં તથા પછી ઉત્તર અમેરિકાના થિયેટરોમાં ઓગસ્ટ ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.૨૦૦૮માં તેણે ઋત્વિક રોશનસાથે ઐતિહાસિક વિષય પર આશુતોષ ગોવારીકર ()ની ફિલ્મ જોધા અકબર કરી હતી. આ ફિલ્મમાં તેણે મુઘલ () સામ્રાજ્યના પ્રણેતા અકબર ()ની પત્ની જોધા બાઇ ની ભૂમિકા ભજવી હતી. અકબરની ભૂમિકા ઋત્વિકે ભજવી હતી. આ ઉપરાંત સરકાર રાજમાં તેણે પતિ અભિષેક બચ્ચન  અને સસરા અમિતાભ બચ્ચન  સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેણે મહારાષ્ટ્ર ()ના ગ્રામીણ વિસ્તારમાં નવો વીજ પ્લાન્ટ નાખવા માગતી અગ્રણી વીજ કંપનીના સીઇઓ ()ની ભૂમિકા ભજવી હતી.

રાયે તામિલ ફિલ્મ ઉદ્યોગ ()માં પાછા ફરતા રજનીકાંત () સાથે અંધિરન () ફિલ્મ કરી. તેનું નિર્દેશન એસ. શંકરે () કર્યું હતું. આજ તક () ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેણે આ ફિલ્મ માટે રૂ. છ કરોડ લીધા હોવાનું કહ્યું હતું. આમ તે ભારત ()ની સૌથી વધુ રકમ લેતી અભિનેત્રી બની ગઈ હતી.આ ઉપરાંત તે વિક્રમ  સાથે મણિરત્નમ ની આગામી ફિલ્મ અશોકવનમ () કરવાની હોવાનું મનાય છે, જે જોડે-જોડે હિન્દીમાં રાવણ ના શીર્ષક હેઠળ  બનવાની છે અને અભિષેક બચ્ચન () તેમાં મુખ્ય ભૂમિકામાં છે.તેણે તાજેતરમાં સંજય લીલા ભણસાલી ()ની આગામી ફિલ્મ સાઇન કરી છે. તેમા તેની સામે ઋત્વિક રોશન (),  છે. વિપુલ શાહ ()ની આગામી ફિલ્મમાં તે અક્ષયકુમાર () સામે ચમકવાની છે. ફરહાન અખ્તર () દ્વારા બનાવવામાં આવનારી અને અભિનય દેવ દ્વારા નિર્દેશિત ફિલ્મ તથા વિશાલ ભારદ્વાજ () દ્વારા દિગ્દર્શિત આગામી સાહસમાં પણ તે કામ કરશે.

રાયને ૨૦૦૯માં ભારતીય સિનેમામાં કરેલા પ્રદાન બદલ પદ્મશ્રી () પારિતોષિક આપવામાં આવ્યો હતો૨૦૦૯માં જ વર્ષે રાયે ફ્રાન્સના બીજા નંબરના એવોર્ડ ઓર્ડર ઓફ ફ્રાન્સ (), ઓર્ડર ડેસ આર્ટ એટ ડેસ લેટર ()ને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો, કારણ કે તેના પિતા ગંભીર માંદગીથી પીડાઈ રહ્યા હતા અને તેની ઇચ્છા હતી કે તેનું સમગ્ર કુટુંબ એવોર્ડ સમારંભમાં હાજર રહે.અમિતાભ બચ્ચન (), નંદિતા દાસ (), શાહરૂખ ખાન () પછી ઓર્ડર ઓફ ફ્રાન્સ () માટે પસંદ થનારી તે ફક્ત ચોથી ભારતીય અભિનયકાર હતી.

૨૦૦૩માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની જ્યુરી મેમ્બર બનનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી.તેણે ૨૦૦૪માં ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર  સિયાચીન () ગ્લેસિયરની મુલાકાત લીધી હતી. એનડીટીવી ()ના પર દર્શાવાતા જય જવાનના નવા વર્ષ ()ના સ્પેશિયલ એપિસોડ માટે તેણે જવાનોનો () જુસ્સો વધારવા આ મુલાકાત લીધી હતી. રાય ૨૦૦૫માં પલ્સ પોલિયો ()ની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. ભારત સરકારે () ૧૯૯૪થી ભારત માંથી  પોલિયો  નાબૂદી માટે પલ્સ પોલિયોનું અભિયાન શરૂ કરેલું છે.. 

તેણે ૨૦૦૮માં તેના કુટુંબ () સાથે ઉત્તર પ્રદેશ ()ના દૌલતપુર ગામમાં અનાથ બાળકીઓ માટેની જ શાળાનો શિલાન્યાસ કર્યો હતો.આ શાળા બચ્ચન કુટુંબ દ્વારા બનાવવામાં આવશે અને તે ઐશ્વર્યાના નામે હશે.  ૨૦૦૮ના ઉનાળામાં ઐશ્વર્યા તેના પતિ અને સસરા તથા પ્રીટિ ઝિન્ટા (), શિલ્પા શેટ્ટી (), રિતેશ દેશમુખ (), માધુરી દીક્ષિત () સાથે અનફર્ગેટેબલ વર્લ્ડ ટુરમાં જોડાઈ હતી. આ પ્રવાસના પ્રથમ તબક્કામાં અમેરિકા, કેનેડા, લંડન અને ટ્રિનિદાદ આવરી લેવાયા હતાઆ પ્રવાસનો બીજો તબક્કો ૨૦૦૮ના વર્ષના અંતે યોજાય તેવી શક્યતા છે. આ કોન્સર્ટનું આયોજન અમિતાભની કંપની એબી કોર્પ લિમિટેડે વિઝક્રાફ્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગમાં કર્યું છે.

 () તેના પતિ અભિષેક બચ્ચન () સાથે આઇફા એવોર્ડ 

ઐશ્વર્યા રાયે અગાઉ બોલીવુડના અભિનેતા સલમાન ખાન () અને વિવેક ઓબેરોય () સાથે લાગણીના સંબંધોથી જોડાઇ હતી.પરંતુ તેણે પછી તેનાથી ત્રણ વર્ષ નાના ભારતીય અભિનેતા અભિષેક બચ્ચન () સાથે લગ્ન કર્યા છે. તેમના સંબંધો અંગે ઘણી બધી અટકળો પછી અભિષેક બચ્ચન સાથે તેની સગાઈની જાહેરાત ૧૪ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ થઈ હતી. અમિતાભ બચ્ચને પછી આ જાહેરાતને સમર્થન આપ્યું હતું. રાયે ૨૦ એપ્રિલ, ૨૦૦૭ના રોજ દક્ષિણ ભારત ()ના બન્ટ () સમાજની પરંપરા મુજબની હિન્દુ વિધિથી બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. રાય પોતે બન્ટ સમાજની છે.પછી ઉત્તર ભારતીય () અને બંગાળી () બંને વિધિઓ પણ કરવામાં આવી હતી. મુંબઈ ()માં જુહુ () ખાતે પ્રતીક્ષામાં બચ્ચનના નિવાસ્થાને યોજાયેલા ખાનગી સમારંભમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારંભ ફક્ત બચ્ચન કુટુંબ અને રાયના કુટુંબીઓ તથા મિત્રો પૂરતો જ મર્યાદિત હોવા છતાં પ્રસારમાધ્યમોના થયેલા સમાવેશે તેને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનાવી દીધો હતો.

રાય ભારતીય સિનેમાનો વિશ્વસ્તરે સૌથી લોકપ્રિય ચહેરો છે. ટાઇમે () ૨૦૦૪માં ઐશ્વર્યાની વિશ્વની “સૌથી વધુ ૧૦૦ પ્રભાવક વ્યક્તિઓમાં”ની એક તરીકે પસંદગી કરી હતી. તે ૨૦૦૩માં ટાઇમ મેગેઝિનની એશિયા આવૃતિના કવરપૃષ્ઠ પર ચમકી હતી.ઐશ્વર્યાના પ્રોફાઇલને બીજી જાન્યુઆરી ૨૦૦૫માં 60 મિનીટ ()માં દર્શાવાઇ હતી. હજારો વેબસાઇટ, ઇન્ટરનેટ પોલ્સ અને જુલિયા રોબર્ટ્સે તેને વિશ્વની સૌથી વધુ સુંદર મહિલા ગણાવી હતી.ઓક્ટોબર 2004માં લંડન ()ના માદામ તુસો ()ના વેક્સ મ્યુઝિયમ ()માં તેના મીણના પૂતળાને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું.આ પ્રકારનું સન્માન મેળવનારી તે છઠ્ઠી ભારતીય અને બોલીવુડમાં તેના સસરા અમિતાભ બચ્ચન () પછી બીજા નંબરની કલાકાર બની હતી.

૨૦૦૫માં તે એન્ડી મેકડોવેલ (), ઇવા લોન્ગોરિયા () અને પેનેલોપ ક્રુઝ ()ની સાથે લોરિયલ ()ની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની હતી.તે જ વર્ષે નેધરલેન્ડ ()માં એક ખાસ ટ્યૂલિપ ()ને ઐશ્વર્યા રાયનું નામ આપવામાં આવ્યું હતું.રાય ડેવિડ લેટરમેન ()ના લેટ શોમાં આવનારી પ્રથમ ભારતીય બની હતી અને ઓપ્રાહ ()ના વીમેન અક્રોસ ધ ગ્લોબ સેગમેન્ટમાં આવનારી બોલીવુડ ()ની પ્રથમ કલાકાર બની હતી. ૨૦૦૫માં હાર્પર્સ એન્ડ ક્વિન ()ની  વિશ્વની ૧૦ સૌંદર્યવાન મહિલાઓની યાદી પાડી હતી, તેમાં તેને નવમું સ્થાન મળ્યું હતું.




#Article 32: કાજોલ (1375 words)


કાજોલ દેવગણ, મુખર્જી (જન્મ: ૫ ઓગસ્ટ ૧૯૭૫), કાજોલ ના નામે જાણીતી ભારતીય ચલચિત્રોમાં અભિનય ભજવતી એક અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિંદી ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકેના પાત્રની ભુમિકા ભજવી છે.

કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેમની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. અભિનેતા અજય દેવગણ સાથે કાજોલ ના લગ્ન થયા છે.

કાજોલે ૧૯૯૨ની બેખુદી ફિલ્મથી અભિન્યની શરુઆત કરી હતી. ૧૯૯૩ની બાઝીગર ફિલ્મ સાથે તેને સફળતા મળી હતી. તેણીએ શાહરૂખખાન સાથે જોડી જમાવી હતી. આ જોડીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), કુછ કુછ હોતા હૈ(૧૯૯૮), ક્ભી ખુશી ક્ભી ગમ(૨૦૦૧) અને માઇ નેમ ઇઝ ખાન(૨૦૧૦) જેવી સફળ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. આ ચારેય ફિલ્મોમાં અભિનય માટે કાજોલ ને ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. કભી ખુશી કભી ગમના નિર્માણ બાદ તેણે ફિલ્મ અભિનયમાંથી પાંચ વર્ષ માટે વિરામ લીધો હતો. તેણે કુણાલ કોહલીની ફના ફિલ્મ સાથે ૨૦૦૬માં અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું, અને તે ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર મળ્યો હતો. પાંચ વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતીને તે પોતાના મરહૂમ માસી નૂતન સાથે સૌથી વધુ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતવાનો વિક્રમ ધરાવે છે. ૨૦૧૧માં ભારત સરકારે તેણીને ફિલ્મ ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતા.

કાજોલના પિતા હ્રદયરોગનો હુમલો આવતાં એપ્રિલ ૧૦, ૨૦૦૮ના રોજ સ્વર્ગવાસી થયા. તેમની અંતિમક્રિયા તે જ દિવસે રાખવામાં આવી અને અનેક બોલિવુડ હસ્તીઓએ હાજરી આપી.

કાજોલે પોતાની પંચગીની ખાતેની સેંટ. જોસેફ શાળા છોડી અને ૧૭ વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમની પ્રથમ ફિલ્મ ૧૯૯૨માં આવેલી બેખૂદી હતી જે એક નિષ્ફળ ફિલ્મ હતી. ૧૯૯૩માં દિગ્દર્શક જોડી અબ્બાસ-મસ્તાનની બાઝીગર ફિલ્મથી તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયાં; જે તેમની બીજી ફિલ્મ હતી. ફિલ્મમાં તેમના સહકલાકાર શાહરૂખ ખાન હતા જેમની સાથે આગળ જતાં કાજોલે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની જોડીએ આપેલ તમામ ફિલ્મો સફળ પૂરવાર થઈ.

૧૯૯૪નાં વર્ષની તેમની પ્રથમ ફિલ્મ ઉધાર કી ઝીંદગી નિષ્ફળ રહી હતી. પણ ફિલ્મમાં તેમના અભિનયને કારણે તેમને બીએફજેએ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. તેમની આગામી ફિલ્મ યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત યે દિલ્લગી હતી. આ ફિલ્મમાં તેમના સપના, એક મજબૂત મનોબળવાળી કલ્પનાશીલ છોકરી જે પોતાના માબાપને છોડીને મોટા શહેરમાં પોતાના ભવિષ્ય માટે જાય છે; તરીકેના અભિનય માટે તેમને પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન થયું.

૧૯૯૫નાં વર્ષમાં કાજોલે ભારતની તે વર્ષની સૌથી સફળ બે ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની પ્રથમ ફિલ્મ રાકેશ રોશનની કરન અર્જુન હતી. ફિલ્મ જે પુનર્જન્મ સાથે સંકળાયેલ હતી તેણે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરી. જોકે તેમની તે વર્ષની આગામી ત્રણ ફિલ્મો નિષ્ફળ રહી, પરંતુ આદિત્ય ચોપરાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માત્ર તે વર્ષની જ સૌથી સફળ ફિલ્મ નહોતી પરંતુ હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું. ૨૦૦૮માં તે ફિલ્મ મુંબઈના ફિલ્મ થિયેટરોમાં તેના ૧૨મા વર્ષમાં પ્રવેશી અને તેણે ૧૦ અબજ રૂપિયાની કમાણી કરી. જે બોલીવુડના ઈતિહાસમાં સૌથી વધુ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ ખૂબ જ મોટી સફળતા મેળવી હતી અને તે દસ ફિલ્મફેર એવોર્ડ જીતી. કાજોલનું યુવા એનઆરઆઈ તરીકેનું પાત્ર જે શાહરૂખ ખાનના પ્રેમમાં પડે છે તેની ખૂબ જ સરાહના થઈ અને તેના માટે કાજોલને પ્રથમ વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૨૦૦૫માં ઈન્ડિયાટાઈમ્સે તેને ૨૫ જોવા જેવી ફિલ્મોમાં સ્થાન આપ્યું અને તેને તે પ્રકારની ફિલ્મો માટે ચીલો ચાતરનાર ગણાવી. તે જ વર્ષે રેડિફ દ્વારા પાછળથી કરવામાં આવતી સમીક્ષામાં જણાવ્યું કે આદિત્ય ચોપરાએ બુદ્ધિપૂર્વક સિમરનના પાત્ર માટે કાજોલને પસંદ કરેલ, શરૂઆતની વધુ પડતી વિનયી અને આનાકાની કરતી સિમરન કરતાં કાજોલે સાચા જીવન જેવી જીંદાદિલી અને ભોળપણ ભરેલ અભિનય આપ્યો. અહિં પડદા પર જમાવટ ધરાવતી જોડી જે દંતકથા સમાન છે તેનો ઉલ્લેખ કરવો જ રહ્યો.

૧૯૯૬માં કાજોલની બમ્બઈ કા બાબુ નામે એક જ ફિલ્મ જાહેર થઈ. જેમાં તેણી સૈફ અલી ખાન વિરુદ્ધ હતી અને તે નિષ્ફળ ફિલ્મ રહી હતી. ૧૯૯૭માં કાજોલ ગુપ્ત નામની ફિલ્મમાં ચમકી જેમાં સાથી કલાકાર તરીકે બોબી દેઓલ અને મનીષા કોઈરાલા હતા. ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી. તે સિવાય, તેણીનો અભિનય બોલીવુડની મહિલા અભિનેત્રીઓ માટે નોંધપાત્ર ઘટના હતા, તેણી નકારાત્મક પાત્ર માટેનો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કલાકાર હતી. તે વર્ષે તેણીની આગામી ફિલ્મ હમેશા હતી. કરન અર્જુનની જેમ તેમાં પણ પુનર્જન્મની કથા હતી પણ તે નિષ્ફળ સાબિત થઈ હતી. તેની આગામી ફિલ્મ મીન્સારા કનાવૂ હતી જે તેણીની પ્રથમ તામિલ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે કાજોલને તેમનો દક્ષિણના ફિલ્મફેર પુરસ્કારનો એકમાત્ર ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર (દક્ષિણ) મળ્યો. તે વર્ષની તેણીની આખરી ફિલ્મ ઈશ્ક નામની ભાવનાત્મક ફિલ્મ હતી. તે ફિલ્મમાં તેણે તેના ત્યારના ભાવિ પતિ અજય દેવગણ સાથે જોડી જમાવી હતી. તે સફળ ફિલ્મ રહી હતી.

કાજોલને વધુ સફળતા ૧૯૯૮ દરમિયાન મળી, કારણ કે તે વર્ષની સૌથી સફળ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં હતી. તે શરૂઆતમાં સલમાન ખાન સાથે રમૂજી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં ચમકી. આ ફિલ્મ તે વર્ષની ચોથી સૌથી સફળ ફિલ્મ હતી. તેની આગલી ફિલ્મ સંજય દત્ત સાથેની દુશ્મન હતી અને તે મધ્યમ સફળ રહી હતી. તે ફિલ્મમાં બેવડી ભૂમિકામાં હતી અને આ માટે તેણીને પ્રથમ શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો સ્ટાર સ્ક્રિન પુરસ્કાર મળ્યો. તેની ત્યારપછીની ફિલ્મ અજય દેવગણ સાથેની પ્રેમકથા પ્યાર તો હોના હી થા હતી, જે તે વર્ષની બીજા ક્રમની સૌથી સફળ ફિલ્મ હતી. જોકે તે વર્ષની સૌથી સફળ ફિલ્મ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ કુછ કુછ હોતા હૈ હતી, જેમાં તેણી શાહરૂખ ખાન સાથે હતી અને તે ફિલ્મ ભારત અને વિદેશમાં સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી. તેણીએ અંજલી નામની એક કોલેજની યુવા વિદ્યાર્થિનીનો પાઠ ભજવ્યો જે પોતાના સૌથી નજીકના મિત્રને છૂપી રીતે પ્રેમ કરે છે, ઘણા વર્ષોથી વિખૂટા પડી ગયા બાદ તેના મિત્રની પત્નીના અવસાન બાદ તેમનો ફરીથી મેળાપ થાય છે. આ માટે તેણીનો બીજો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

૧૯૯૯માં કાજોલની પ્રથમ ફિલ્મ દિલ ક્યા કરે હતી. તેણે નંદીતા રાય નામના સહાયક પાત્રનો ભાગ ભજવ્યો હતો જેનાં ઘણા વખાણ થયાં હતાં. તેણીની બીજી ફિલ્મ હમ આપ કે દિલ મેં રહેતે હૈં સફળ રહી હતી. તેમાં તેણીએ અનિલ કપુર સાથે કામ કર્યું હતું, જેના માટે તેને ફરી એક વાર ફિલ્મફેર પુરસ્કારમાં નામાંકન મળ્યું હતું.

૨૦૦૦નું વર્ષ તેણીને માટે નિષ્ફળ રહ્યું હતું. રાજુ ચાચા તેણીની એકમાત્ર ફિલ્મ નિષ્ફળ રહી હતી.

કાજોલની માત્ર બે ફિલ્મ ૨૦૦૧માં જાહેર થઈ. કુછ ખટ્ટી કુછ મીઠીમાં તેણે બેવડી ભૂમિકા ભજવી હતી જે નિષ્ફળ રહી હતી. જોકે તેણીએ સફળતા કરન જોહર દિગ્દર્શિત ફિલ્મ કભી ખુશી કભી ગમ દ્વારા પાછી મેળવી હતી. તે ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હતી અને વિદેશમાં ૨૦૦૬ સુધી તેણે સૌથી વધુ કમાણીનો વિક્રમ સ્થાપિત કર્યો હતો. કાજોલનું પાત્ર અંજલી દિલ્હી ખાતે ચાંદની ચોકમાં વસતી એક પંજાબી યુવતીનું હતું, જે પૈસાપાત્ર રાહુલના પ્રેમમાં પડે છે જે પાત્ર શાહરુખ ખાન દ્વારા ભજવાયું હતું. તેણીના અભિનયના પ્રતાપે તેને ઘણા પુરસ્કારો મળ્યા. તેમાં તેણીનો ત્રીજો ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર અને બીજો સ્ટાર સ્ક્રિન શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર સામેલ છે. વિવેચક તરણ આદર્શે લખ્યું કે, કાજોલ પરંપરાગત રીતે ચાંદની ચોકમાં વસતા લોકોના પાત્રમાં સર્વોચ્ચ છે. તેણીની પંજાબી બોલીએ ખૂબ જ પ્રસંશા મેળવી. ધ હિન્દુ જણાવે છે કે  wrote, Kajol -- in only her second appearance this year, the first one being in a double role in ``Kajol ... steals the thunder from under very high noses indeed. With her precise timing and subtle lingering expression, she is a delight all the way. This was Kajol's last collaboration with Khan until they would be cast again by Johar as a lead pair in early 2010.

Following the success of Kabhi Khushi Kabhie Gham, Kajol took a sabbatical from full-time acting for five years. She gave birth to her daughter Nysa in 2003.
She made a successful comeback in 2006 with Kunal Kohli's drama Fanaa, one of the highest grossing films of the year. Portraying a blind Kashmiri girl who falls in love with a Kashmiri terrorist (played by Aamir Khan) in the film, she won her fourth Filmfare Best Actress Award.

U, Me aur Hum, which released on 11 April 2008, marked her husband Ajay Devgan's directorial debut.  For her performance in the film, she received her tenth Filmfare Best Actress Award nomination. Raja Sen wrote in his review, ... Kajol ... can span through happy-breezy with her eyes closed, and so the first half doesn't even pose her a challenge, but when Alzheimer's strikes Piya and she begins to forget all that matters in her life, Kajol raises the bar strikingly high.

૨૦૦૬માં બોલિવુડના મહાન કલાકારોના નામ હેઠળ ચાર લઘુ મૂર્તિઓ રજૂ કરાઈ જેમાં પ્રિયંકા ચોપરા, ઋત્વિક રોશન અને શાહરૂખ ખાન  સાથે ચોથી મૂર્તિ કાજોલની હતી.

તેણીને ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ કર્મવીર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જે એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે છે જે પોતાના વ્યવસાયથી અલગ અને આગળ પડીને સમાજીક સમસ્યાઓના નિવારણ માટે કાર્ય કરે છે.




#Article 33: રાની મુખર્જી (193 words)


રાની મુખર્જી (જન્મ ૨૧ માર્ચ, ૧૯૭૮), એક ભારતીય અભિનેત્રી છે. તે બૉલીવૂડ ફિલ્મો માં કામ કરે છે. રાની મુખર્જી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવાર માંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દીગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી, તેની પિત્રાઇ બહેન છે.

તેણે પ્રથમ કામ ફિલ્મ રાજા કી આયેગી બારાત (૧૯૯૬) માં કર્યું હતું. તે ફિલ્મ સફળ નહોતી થઇ. પણ તેની બીજી અને ત્રીજી ફિલ્મ ગુલામ અને ૧૯૯૮ ની મેગા હીટ કુછ કુછ હોતા હૈ રાની માટે ઘણી સારી સાબિત થઇ. તેના કુછ કુછ હોતા હૈ ના અભિનય માટે તેને ઉપભુમિકા માં શ્રેષ્ઠ અભિનેત્રી નો ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો. 

કેટલીક ઠીક-ઠીક ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને ફરી ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો. આ વખતે વિવેચકની પસંદી શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ૨૦૦ર ની ફિલ્મ સાથીયા માટે. છેલ્લે રાનીને તેની ૨૦૦૪ની ફિલ્મ હમ તુમ માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. 

આ સિવાય રાનીએ ચલતે ચલતે (૨૦૦૩) અને ૨૦૦૪ ના પાછલા ભાગમાં આવેલ બ્લૉક-બસ્ટર, વીર-ઝારા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ બ્લૅક છે, તેમાં રાનીએ એક બહેરી-અંધ છોકરી ની ભુમિકા અદા કરી છે જેને ઘણા વિવેચકોએ તથા શ્રોતાઓએ વખાણી છે.

રાની મુખર્જી શાહરૂખ ખાન સાથે દુનિયાભર માં ફરેલ સ્ટેજ-શો પ્રવાસ, ટેમ્પટેશન્સ ૨૦૦૪ નો ભાગ હતી.




#Article 34: સીદીસૈયદની જાળી (429 words)


સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.

રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે. સીદી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન છે. જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે.

આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી. તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું.

સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. સીદી સઈદનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો. 

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ(સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારના મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાક ગામ અપાયાં હતાં.

સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતાં તે તેના નામે જ પ્રચલિત બની.

વર્ષ ૧૯૦૦માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી.

અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.




#Article 35: ભૂમિતિ (150 words)


ભૂમિતિ ( સંસ્કૃત માં ભૂ = જમીન (અથવા સપાટી) અને મિતિ = માપ (અથવા માપવું) ) ગણિતની એક શાખા છે. ભૂમિતિના વિષયમાં જુદા-જુદા આકારોનું વિશ્લેષણ થાય છે. દુનિયામાં જોવા મળતા આકારો ના મુખ્ય ત્રણ પ્રકાર છે. સુરેખ, સમતલ અને ઘન. આ વર્ગીકરણ તેમના પરિમાણના આધારે થયેલું છે. તેઓ અનુક્રમે ૧, ૨ અને ૩ પરિમાણ ધરાવે છે.

ભૂમિતિના વિષયમાં મુખ્યતઃ પ્રમેયો સાબિત કરવામાં આવે છે. પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. ભૂમિતિની મુખ્ય પૂર્વધારણાઓ આ મુજબ છે:

પૂર્વધારણાઓ પછી વ્યાખ્યાઓ આવે છે. સામાન્ય રીતે ભૂમિતિના જુદાજુદા આકારોનું વિવરણ વ્યાખ્યાઓ દ્વારા અપાય છે. કેટલીક પ્રારંભિક વ્યાખ્યાઓ આ મુજબ છે:

ભૂમિતિ તથા ગણિતની અન્ય શાખાઓનું કામ મુખ્યત્વે પ્રમેયો દ્વારા થાય છે. પ્રમેયમાં એક વિધાન સાબિત કરવામાં આવે છે. પ્રમેય સાબિત કરવા માટે વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ તથા પહેલા સાબિત થઇ ચુકેલાં પ્રમેયોને ઉપયોગમાં લઇ શકાય છે. કેટલાક જાણીતાં પ્રમેયો આ પ્રમાણે છે.




#Article 36: સુરત (1040 words)


સુરત(), દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર, અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.

સુર્યપુર  નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યારબાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણપ્રદેશથી લાટ તરફ વિસ્તર્યું હતું, પણ તે ફક્ત દમણની આસપાસનાં મહાળ ક્ષેત્ર પૂરતું સીમિત હતું. તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યારબાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું.

૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલ કાળમાં ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયુ હતું. ભૌગોલિક રીતે સુરત શહેર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતા યાત્રીઓ માટે અહીનાં બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહી વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપવા તે સમયે નાણાવટ નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું. જેમાં શાહી ટંકશાળ પણ હતી, આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચી દિવાલ (કોટ) બાંધવામાં આવી, જેનું નામ શેહરે પનાહ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો નાના કોટ તરીકે પણ ઓળખતાં હતાં. સમય જતાં શહેરનું વિસ્તરણ થયું અને તે શેહેરે પનાહની બહાર નીકળી ગયું. સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો. જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને આલમ પનાહ નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો મોટા કોટ તરીકે ઓળખતાં હતાં.

૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં આરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને બ્રિટીશરો મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ હેક્ટર સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશ્યથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી.

હાલના ગાંધીસ્મૃતિ ભવનની સામેનાં ભાગમાં ફ્રેન્ચોએ સુરતનું પહેલુ ચર્ચ બાંધ્યુ. ડચ પ્રજાએ હાલનાં ડચ ગાર્ડનની સામે કોઠી બાંધી, જે સુરતની પહેલી વહીવટી કચેરી બની. પોર્ટુગીઝોએ આઇ.પી. મીશન સ્કુલની સામે કોઠી બાંધી, જે હાલ પારસીની વાડી તરીકે ઓળખાય છે અને બ્રિટીશરો એ પહેલું છાપખાનું, કન્યાશાળા તેમજ કુમાર શાળા બંધાવી, જે આઇ.પી. મીશન સંકુલ તરીકે ઓળખાય છે. આ ગાળા દરમ્યાન શીવાજીનાં આક્રમણો સુરત પર વધ્યાં હતાં અને તેણે અનેક વખત સુરત તેમજ નાણાંવટને લૂંટ્યું હતું. સમય જતાં લૂંટફાટ, કુદરતી આપત્તિઓને કારણે હવે સુરતની જગ્યા ધીરે-ધીરે મુંબઇ લેવા માંડ્યુ હતુ. છતાં આ સમય દરમ્યાન અહીંના સ્થાનિક વેપારીઓ તેમજ પ્રજાએ સુરતની જાહોજલાલી ટકાવવા પૂરતાં પ્રયત્નો કર્યા. જેમાં શેઠ ગોપીચંદ (કે જેમણે ગોપીપુરા અને ગોપીતળાવ વિક્સાવ્યા) અને માણેકજી વાડિયા (કે જેમણે સુરતનાં અને મુંબઇનાં જહાજવાડામાં અનેક ઐતિહાસિક જહાજો બનાવ્યાં હતાં) તથા તેમના કુટુંબે બ્રિટીશરો વતી ઇજિપ્ત પાસે નેપોલીયનની સામે અને અમેરીકાનાં સ્વાતંત્ર વિગ્રહમાં લડત આપી હતી.

ભારતની સ્વતંત્રતા પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ.સ.૧૯૮૦નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટૂંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી અને તેના કારણે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ એસ.આર.રાવનાં આગમન બાદ સુરતની કાયાપલટ થઇ ગઇ. સુરતને આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર ગણવામાં આવે છે.

ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.

બીજીવાર ૭ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ ૪૦ વર્ષો સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે, જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે. ૨૦૦૮માં સુરત શહેરનો જી.ડી.પી. વિકાસ દર સૌથી વધારે ૧૧.૫% હતો. આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.

સુરતનું આંતરિક હવાઇ મથક ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં રોજ ખુલ્લું મુકવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરુ કરાયેલ છે. 

સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.

સુરત તાપી નદીનાં કિનારે વસેલું એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધોના કારણે હાલનું બંદર ખૂબ જ નાનું થઈ ગયું છે, જે હજીરા પાસે આવેલ છે. સુરતની આસપાસ તાપી જિલ્લો,ભરૂચ જિલ્લો,વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લા આવેલાં છે, જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.




#Article 37: લંડન (205 words)


લંડન ()  ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને બ્રિટીશ એશિયન તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.

લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને કુલ ૧,૫૮૩ ચોરસ કિલોમીટર (૬૧૧ ચો માઈલ)ના વિસ્તારમાં પથરાયેલું છે.
થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે. 

ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (૦૨૦) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટર વેને તય કરવામાં આવી છે.

લંડનમાં ભારતની જેમ જ અને બાકીના યુરોપના દેશોથી વિપરિત એવું રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવાનું ચલણ છે. લંડનની જાહેર યાતાયાત સેવાઓ ટ્રાન્સપોર્ટ ફોર લંડન પૂરી પાડે છે, જેમાં ભૂગર્ભિય રેલ્વે, સ્તરિય રેલ્વે, બસ અને ટ્રામ સેવાઓનો સમાવેશ થાય છે.




#Article 38: જાપાન (754 words)


જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો દ્વિપદેશ છે. જાપાનની રાજધાની ટોક્યો છે.

જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપના સમૂહથી બનેલો દેશ છે. આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્રકિનારા, એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. જાપાનના પડોશી દેશો ચીન, કોરિયા અને રશિયા છે. જાપાનવાસીઓ પોતાના દેશને નિપ્પોન (Nippon) પણ કહે છે, જેનો અર્થ ઊગતા સૂર્યનો દેશ થાય છે. યોકોહામા, ઓસાકા અને ક્યોટો જાપાનના પ્રસિદ્ધ શહેરો છે.

જાપાની લોકવાર્તાઓ અનુસાર વિશ્વ ના નિર્માતાએ સૂર્ય દેવી તથા ચન્દ્ર દેવીની પણ રચના કરી. ત્યારબાદ, તેમનો પૌત્ર ક્યૂશૂ દ્વીપ પર આવ્યો અને પછી તેમના સંતાનો હોંશૂ દ્વીપ પર ફેલાઈ ગયા.

જાપાનનું પ્રથમ લેખિત પ્રમાણ ઈ. સ. ૫૭ ના એક ચીની લેખમાંથી મળે છે. તેમાં એક એવા રાજનીતિજ્ઞના ચીન પ્રવાસનું વર્ણન છે જે પૂર્વના કોઈ દ્વીપથી આવ્યો હતો. ધીમે-ધીમે બન્ને દેશો વચ્ચે રાજનૈતિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. તે સમયે જાપાનીઓ એક બહુદૈવિક ધર્મનું પાલન કરતાં હતા. 
છઠ્ઠી સદીમાં ચીનમાં થઈન બૌદ્ધ ધર્મ જાપાન પહોંચ્યો. ત્યાર બાદ જૂના ધર્મને શિંતો નામ આપવામાં આવ્યું, જેનો શાબ્દિક અર્થ છે - દેવતાઓનો પંથ. ચીનથી લોકો, લિપિ તથા મંદિરોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉપયોગની જેમ જ બૌદ્ધ ધર્મનું આગમન થયું.

શિંતો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મરે તો તેની પછીનો શાસકે પોતાની રાજધાની પહેલાથી કોઇ અલગ જગ્યાએ બનાવવાની હોય. બૌદ્ધ ધર્મના આગમન પછી આ માન્યતા ત્યાગી દેવામાં આવી. ઈ.સ. ૭૧૦ માં રાજાએ નૉરા નામના એક શહેરમાં પોતાની સ્થાયી રાજધાની બનાવી. શતાબ્દીના અંત સુધીમાં તેને હાઇરા નામના શહેરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જેને પછી ક્યોતો નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૯૧૦ માં જાપાની શાસક ફુજીવારાએ પોતાની જાતને જાપાનની રાજનૈતિક શક્તિથી અલગ કરી નાખી. ત્યારથી જાપાનનો શાસક રાજનૈતિક રૂપથી જાપાનથી અલગ રહ્યો. આ તેના સમકાલીન ભારતીય, યુરોપિયન અને ઇસ્લામિક ક્ષેત્રોથી એકદમ અલગ હતું, જ્યાં સત્તાનો પ્રમુખ જ શક્તિનો પ્રમુખ હતો. આ વંશનું શાસન ૧૧મી સદીના અંત સુધી રહ્યું. કેટલાંક લોકોની નજરમાં આ સમય જાપાની સભ્યતાનો સુવર્ણકાળ ગણાય છે. ચીન સાથેનો સંપર્ક ક્ષીણ થતો ગયો અને જાપાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનમાં અનેક પેગોડાઓ નું નિર્માણ થયું હતું. લગભગ બધા જાપાની પેગોડામાં વિષમ સંખ્યામાં માળ હતા.

મધ્યયુગમાં જાપાનમાં સામંતવાદનો જન્મ થયો. જાપાની સામંતોને સમુરાઇ કહેવામાં આવતા. જાપાની સામંતોએ કોરિયા પર બે વાર ચડાઈ કરી, પરંતુ તેમને કોરિયા અને ચીનના મિંગ શાસકોએ હરાવી દીધા. ૧૬મી સદીમાં યુરોપના પોર્ટુગીઝ વ્યાપારીઓ અને મિશનરીઓએ જાપાનમાં પાશ્ચાત્ય વિશ્વ સાથે સાંસ્કૃતિક તાલમેલની શરૂઆત કરી.

૧૮૫૪માં પહેલી વાર જાપાને પાશ્ચાત્ય દેશો સાથે વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા. પોતાની વધતી ઔદ્યોગિક ક્ષમતાના સંચાલન માટે જાપાનને પ્રાકૃતિક સંસાધનો ની જરૂર પડી જેના માટે તેણે ૧૮૯૪-૯૫માં ચીન તથા ૧૯૦૪-૦૫માં રશિયા પર ચડાઈ કરી. જાપાને રશિયા-જાપાન યુદ્ધમાં રશિયાને હરાવી દીધું. આવું પહેલી વાર થયું જ્યારે કોઇ એશિયાઈ રાષ્ટ્રએ કોઇ યુરોપિયન શક્તિ પર વિજય મેળવ્યો હોય. જાપાને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધરી રાષ્ટ્રોનો સાથ આપ્યો પણ ૧૯૪૫માં અમેરિકા દ્વારા હિરોશિમા તથા નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ફેંકવાની સાથે જ જાપાને આત્મસમર્પણ કરી દીધું.

ત્યાર પછીથી જાપાને પોતાની જાતને એક આર્થિક શક્તિના રૂપમાં સુદૃઢ કરી અને હાલમાં બધા ટેક્નોલોજિકલ ક્ષેત્રોમાં તેનું નામ અગ્રણી રાષ્ટ્રોમાં ગણાય છે.

જાપાન અનેક દ્વીપોનો બનેલો દેશ છે. જાપાન લગભગ ૬૮૦૦ દ્વીપોનો બનેલો છે. આમાંથી ફક્ત ૩૪૦ દ્વીપ ૧ ચોરસ કિલોમીટરથી મોટા છે. જાપાનને ચાર મોટા દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. આ ચાર દ્વીપ છે: હોક્કાઇદો, હોન્શૂ, શિકોકુ અને ક્યૂશૂ. જાપાનના ભૂપૃષ્ઠનો ૭૬.૨% ભાગ પહાડોથી ઘેરાયેલો હોવાથી અહીં કૃષિપાત્ર જમીન માત્ર ૧૩.૪% છે, ૩.૫% વિસ્તારમાં પાણી છે અને ૪.૬% જમીન આવાસીય ઉપયોગમાં છે. જાપાન ખોરાકની બાબતમાં આત્મનિર્ભર નથી. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવા છતાં તેણે પોતાની જરૂરિયાતની ૨૮% માછલીઓ બહારથી આયાત કરવી પડે છે.

આમ તો એમ ક્યાંય નથી લખ્યું પણ જાપાનની રાજનૈતિક સત્તાનો પ્રમુખ રાજા હોય છે. તેની શક્તિઓ સીમિત છે. જાપાનના બંધારણ અનુસાર રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. બંધારણ મુજબ જાપાનની સ્વતંત્રતાની કમાન જાપાનની જનતાના હાથમાં છે.

સૈનિક રૂપથી અમેરિકા પર નિર્ભર જાપાનના સંબંધ અમેરિકા સાથે સામાન્ય છે.

જાપાનનું વર્તમાન બંધારણ તેને બીજા દેશો પર સૈનિક-અભિયાન કે ચડાઈ કરવાની ના પાડે છે.

એક અનુમાન મુજબ જાપાનમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. પરંતુ જાપાનનું અર્થતંત્ર સ્થિર નથી. અહીંના લોકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ 50,000 અમેરિકન ડૉલર છે જે ખૂબ અધિક છે.

જાપાન પાછલા કેટલાક દસકાઓમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી થઈ ગયું છે.

કેટલાક લોકો જાપાનની સંસ્કૃતિને ચીનની સંસ્કૃતિનું જ વિસ્તરણ સમજે છે. જાપાની લોકોએ કેટલીયે વિદ્યાઓમાં ચીનની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે. બૌદ્ધ ધર્મ અહીં ચીની તથા કોરિયન ભિક્ષુઓના માધ્યમથી પહોંચ્યો. જાપાનની સંસ્કૃતિની સૌથી ખાસ વાત એ છે કે અહીંના લોકો પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ રાખે છે. માર્ચ મહિનો ઉત્સવોનો મહિનો હોય છે.

જાપાનની ૮૪% જનતા શિન્તો તથા બૌદ્ધ ધર્મ નું અનુસરણ કરે છે .અહીંનો જુનો ધર્મ શિન્તો છે, જેનો શાબ્દિક અર્થ 'દેવતાઓનો પંથ' થાય છે.

લગભગ ૯૯% જનતા જાપાની ભાષા બોલે છે.

પોતાની જાપાન યાત્રા બાદ નિશિકાંત ઠાકુર લખે છે:




#Article 39: કાંકરિયા તળાવ (529 words)


કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે. 

કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ  પુરાણી  વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે કુતુબ-હૌજ અથવા હૌજ-એ-કુતુબ નામે જાણીતું હતું.તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી, ૧૭૮૧માં નગીનાવાડી સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા. એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી ૧૮૭૨માં કલેક્ટર બોરાડેઇલે સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરીસ્થીતિમાં રહેવા પામી હતી. એ જ અરસામાં (૧૮૭૨માં) રાયપુર દરવાજાથી તળાવ સુધીનો ૬૬૦૦ ફીટની લંબાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.

રૂ. ૩૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૨૫ તારીખે યોજવામાં આવ્યો હતો.કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે  પ્રસંગ  યોજાયો હતો જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો જેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું.ઉપરાંત કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનુ પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને તેની   ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.

૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે.તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે, જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતું. બાલવાટિકામાં અરીસા-ઘર, બોટ-હાઉસ અને પ્લે હાઉસ છે.

કિડ્ઝ સીટી નાના બાળકો માટે રચાયેલ વિશ્વ છે. ૪,૨૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિસ્તારમાં ૧૮ પ્રવૃત્તિ કેન્દ્રો છે.તેમાં બેંક,અગ્નિશામક હાઉસ,રેડિયો સ્ટેશન,પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે.

અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે.હાલમાં આ ટ્રેન તળાવની ફરતે ના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ ૧૫૦ (૩૬ પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ ટ્રેન રજુ કરાયાના ૧૧ માસમાં લગભગ દસ લાખ  મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ  ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક  ટ્રેન શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે.




#Article 40: મહાભારત (1663 words)


મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, એવી માન્યતા છે. જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા (ભગવાને ગાયેલું ગીત એવી માન્યતા ) કહે છે. મહર્ષિ વેદ વ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી તેથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.

સૂર્ય સિદ્ધાન્ત ગ્રંથ પ્રમાણે કળિયુગના આરંભ ઇ. સ. પૂર્વ 3102, 18 ફેબ્રુઆરીએ અડધી રાત્રે (00:00) થયો હતો.કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું. એટલે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું, એવી માન્યતા છે. 

મહાભારતનો સમય આર્યભટ્ટના આર્યભાટ્ટીયામ પ્રમાણે

षष्ट्यव्दानां षष्टिर्यदा व्यतीतास्त्रयश्च युगपादा:।

त्र्यधीका विंशतिरव्दास्तदेह मम जन्मनोडतीता:।

સ્વયં વ્યાસજી આ ગ્રંથ માટે એમ લખે છે કે,

યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્

એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઈ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ 'મહાભારત' તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: જે (વાત) અહીં (મહાભારતમાં) છે તે તમને સંસારમાં કોઈને કોઈ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે.

મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણો વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.

કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલાં એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઈ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મૂક્યા છે. આ શ્લોક સમજતાં-લખતાં ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.

આ મહાકાવ્યની શરૂઆત એક નાની રચના 'જયગ્રંથ'થી થઈ છે. જો કે તેની કોઈ નિશ્ચિત તિથિ ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથિ નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં મતભેદો છે.

આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુંં વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધના સમય પહેલાંં ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.

શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફથી લડતો હતો તેને રામાયણના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઈ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે. 

આર્યભટ્ટના મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વેમાં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઈ.

મોટાભાગના પૌરાણિક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઈ)ના વિકાસ થયા પહેલાંં તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.

મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુરના રાજ્ય માટે બે વંશજો - કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુનો વિસ્તાર આજના ગંગાથી ઉત્તર-યમુનાની આસપાસનો દોઆબના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુવંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઈમાં સત્યની હાનિ થઈ હતી. કળિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.

મહાભારતની કથામાં એકસાથે ઘણી બધી કથાઓ વણાયેલી છે, જેમાંની મુખ્ય કથાઓ નીચે મુજબ છે:

કર્ણની કથા: કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિરનો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલાંં તેને મળેલાં વરદાનની પરખ કરવાં સૂર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમાંં મૂકી નદીમાંં તરતો મૂકી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીકે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો જેને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલા કોઈ પણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નહીં, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી) કપટથી ભિક્ષુક બની તેના કવચ અને કુંડળ દાનમાં માગી લીધા હતા નહિંતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને હરાવવો ઘણું અઘરું થઈ પડ્યું હોત.

ભીષ્મની કથા: જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુંં હતું, કારણકે, તેમના પિતા શાંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શાંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.

ભીમની કથા: જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામીભક્તિના કારણે ઓળખાતા હતા.

યુધિષ્ઠિરની કથા: યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યા નહોતા અને માત્ર એક જ વખત કૃષ્ણના કારણે તેમણે જુઠ્ઠું બોલવું પડ્યું હતું.

ભારત દેશના સ્થાપક ભરતના વંશજ શાંતનુ હસ્તિનાપુરમાં રાજય કરતા હોય છે અને તેમને ગંગાથી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતાંં શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.

ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતીને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસેથી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલીન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્યમાં રાજ્યનો હિસ્સો માંગે નહીંં આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.

સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞાથી બંધાયેલ ભીષ્મ તેની સાથે લગ્ન કરી શકતા નથી.

ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.

સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતાંં અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુરનો રાજા બને છે.

પાંડુને બે પત્ની હતી - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન)ના રાજાની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.

કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઈ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલાંં સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.

પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યુ પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.

હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુઃશાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.

આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપગ્રંથ હરિવંશ પણ છે જેને મહાભારતની પૂરવણી ગણવામાં આવે છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે.

મહાભારતના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકેનો દરજ્જો પામેલા છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:

કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રહ્માંડને લગતી ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શીખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.

૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજૂઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯માં પહેલી વાર એના પર ફિલ્મ બની જે પીટર બ્રુકે બનાવી હતી.

સંજ્ઞાસૂચિ

નોંધ

ઇંડોનેશિયા અને અન્ય દેશોમાં પણ મહાભારતનુ સ્થાનિક સંસ્કરણ છે. ઇંડોનેશિયામાં આ કાવી ભાષામાં છે.

કિસરી મોહન ગાંગુલીએ અનુવાદ કરેલું મહાભારત (સૌ પ્રથમ અંગ્રેજી અનુવાદ, જે આજે પણ સંદર્ભ સાહિત્ય તરિકે ગણતરીમાં લેવાય છે)

મહાભારત વિષયક અન્ય લેખો 

ચિત્રપટ




#Article 41: ભાવનગર જિલ્લો (196 words)


ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.

બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું, જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા.

ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા.

ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે. 

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાવનગર જિલ્લાની કુલ વસ્તી ૨૩,૮૮,૨૯૧ વ્યક્તિઓની હતી. જે જમૈકા દેશની વસ્તી અથવા અમેરિકાના કેન્સાસ રાજ્યની વસ્તી બરાબર છે. ભાવનગર ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દ્રષ્ટિએ ૧૩૩મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા  છે. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીનો વસ્તી વધારાનો દર ૧૬.૫૩% રહ્યો હતો. ભાવનગરનો સ્ત્રી પુરુષ દર ૯૩૧ છે અને સાક્ષરતા દર ૭૬.૮૪% છે. ભાવનગર જિલ્લામાં ૭૮૩ વસ્તી ધરાવતા ગામ અને ૧૦ વસ્તી ન ધરાવતા ગામ આવેલા છે. ભાવનગર જિલ્લો ગુજરાતના કુલ વિસ્તારના ૫.૧૧ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. અને જિલ્લાની વસતી ઘનતા દર ચોરસ કિમિ દીઠ ૨૮૭ માણસો છે.

ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જૂના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે.




#Article 42: ભાવનગર (330 words)


ભાવનગર ( ) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.

સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલેનવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યું.

હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે.

ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા  કૃષ્ણકુમારસિંહજી હતા. ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.

૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.

૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.




#Article 43: ગૌરીશંકર તળાવ (291 words)


ગૌરીશંકર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ તળાવનું બાંધકામ ૧૮૭૧માં શરૂ કરવામાં આવ્યું જે ૧૮૭૨માં પુર્ણ થયું હતુ. 

આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે. આ તળાવને કીનારે થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલા છે. તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે. આ તળાવમાં ન્હાવાની, કપડા ધોવાની કે માછીમારી કરવાની મનાઈ રજવાડાના વખતથી અમલમાં છે.

કૈલાશ વાટીકા કે બાલ વાટીકા એ ગૌરીશંકર તળાવની બાજુમાં બાળકોને માટે રમત ગમત માટેનું ઉદ્યાન છે.

થાપનાથ મહાદેવ એ ગૌરીશંકર તળાવના કિનારે આવેલું ભગવાન શંકરનું  મંદિર છે.  શ્રાવણ મહીનાના દરેક સોમવારે થાપનાથ મહાદેવના પરીસરમાં લોક-મેળો ભરાય છે.

માળનાથની ડુંગરમાળામાંથી માલેશ્રી નદીના અનેક ફાંટા નિકળે છે. ગૌરીશંકર તળાવના બાંધકામની સાથે જ માલેશ્રી નદીના આવા એક વરતેજ ગામ તરફ વહેતા વહેણને ભીકડા ગામ પાસે રોકીને નહેર દ્વારા આ તળાવ તરફ વાળવામાં આવ્યું છે. ભાવનગરના દિર્ઘદ્રષ્ટા રાજવીઓ એ એવી વ્યવસ્થા કરાવી છે કે ગૌરીશંકર તળાવ ભરાઇ જાય એટલે નહેરમા પાણી આવતું અટકાવી શકાય જેથી ભાવનગર શહેર પર ક્યારેય પુરની આફતના આવે. જો ભુલેચુકે પણ વહેણ બદલવાનું રહી જાય તો પણ વધારાનું પાણી વૅસ્ટ વીયર દ્વારા કંસારાના નાળા વાટે શહેર પર આફત બન્યા વગર દરિયામાં વહી જાય તેવું પણ આયોજન અહીંયા છે.

ગૌરીશંકર તળાવના એકદમ દક્ષીણ ભાગ પર આવેલા બંધને વેસ્ટ વિઅર કહે છે. તળાવ ભરાઇ જાય ત્યારે તેમાંથી છલકાતું પાણી કાળવી બીડ, સુભાષનગર, આનંદનગર વગેરે વિસ્તારમાંથી પસાર થતા અને કંસારાના નાળા તરીકે ઓળખાતા નાળા દ્વારા દરીયા તરફ વાળવામાં આવેલ છે. આ નાળા પર નવા બંદર રોડ, સુભાષનગર, સરદારનગર અને તળાજા રોડ એમ ચાર જગ્યાએ પુલ બાંધવામાં આવ્યા છે.




#Article 44: એશિયાઇ સિંહ (463 words)


એશિયાઇ સિંહ એ બિલાડી વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ મોટી બિલાડી ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

જેમાંથી એક કે બે બચ્ચાઓ પુખ્ત વયના થાય છે. પુખ્ત વયના નર નું વજન 190 કિલોગ્રામ અને તેમની લંબાઈ 180- 205 સેન્ટિમીટર સુધી હોય શકે છે, જયારે માદા નું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160- 185 સેન્ટિમીટર સુધી હોય શકે છે. આ પ્રાણી નું વજન વધુ હોવાથી થોડા સમય માટે તે 80 કિલોમીટર પ્રતિ કલાક ની ગતિ સુધી દોડી શકે છે. ઘણી પ્રાચીન સભ્યતાઓ ના અવશેષો માં સિંહના ચિત્રો મળી આવ્યા હોવાને કારણે એવું માની શકાય છે કે આ જાતિ હજારો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. નર સિંહ ના ગળા ની આસપાસ લાંબા વાળ જોવા મળે છે જેને કેશવાળી કહેવામાં આવે છે, જયારે માદા સિંહ માં આ વાળ જોવા મળતા નથી.  

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે.
સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

સિંહ બિલાડી પ્રજાતિ નું એક માત્ર જંગલી પ્રાણી છે જે જૂથ માં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને બચ્ચા નો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવર નો શિકાર કરવો વધુ પસંદ કરે છે જેમકે શિયાળ, હરણ, કાળીયાર, સાબર વગેરે. સિંહ ની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે. 

ઇ.સ. ૨૦૨૦ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૬૭૪ છે.

ઇ.સ. ૨૦૧૫ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૫૨૩ હતી.

આ વસતી નીચે મુજબનાં જિલ્લાનાં વિસ્તારમાં ફેલાયેલી છે.




#Article 45: કચ્છ જિલ્લો (1170 words)


કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.

કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના પૂર્વ ભાગ તથા ઉત્તર ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા એમ ૪ જિલ્લા સાથે અને ઉત્તરમાં રાજસ્થાન સાથે રાજ્ય સીમા ધરાવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે.

કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે:

ગુજરાત વિધાનસભાની અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ ૬ (છ) બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

કચ્છની મુખ્ય ભાષા કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહિં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.

મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલીન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.

૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, વિશ્વનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે એશિયાનાં શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે. 

ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેનાથી અલ્લાહ બંધનું ર્સજન થતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતાં અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો જેમાં ૧૮,૦૦૦ ઉપરાંતના લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘર નાશ પામ્યા હતાં અને જાનમાલ સાથે અબજો રૂપિયાનું  નુકસાન થયેલ હતુ.

કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃધ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર.

કચ્છના જોવાલાયક સ્થળોની ટૂંકી યાદી નીચે મુજબ છે.

કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ - ખનીજો ધરાવે છે. જેમાં લિગ્નાઇટ, બોકસાઇટ, ચુનો, બેન્ટોનાઇટ, જીપ્સમ જેવી ખનીજ સંપતિ, દરીયાઇ સંપતિ, પશુપાલન સંપતિ, ખેતીવાડી સંપતિ, ઇત્યાદીની સમાવેશ થાય છે. જિલ્લામાં ખનીજ સંપતિ વિપુલ જથ્થામાં ઉપલબ્ધ છે. જે ઔધોગિક દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય જમા પાસુ છે. નવી ઔદ્યોગિક નીતિમાં મધ્યમ અને મોટા કદના એકમો અન્ય નવા પ્રતિષ્ઠીત અને પ્રથમ સ્થપાતા ઉદ્યોગો તથા ઇલેકટ્રોનિકસ ઉદ્યોગો અંગેની નવી યોજનાઓ તથા અન્ય સવલનો અને લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. ગાંધીધામ, કંડલા વગેરે શહેરોમાં શિપિંગ ઉદ્યોગ વિકસ્યો છે. ગાંધીધામમાં ઉદ્યોગો માટે ફ્રીટ્રેડ ઝોન આવેલ છે, જે કંડલા ફ્રીટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાતું રહેલ છે અને નવી નીતિ અનુસાર હવે તેને કંડલા સ્પેશીયલ ઇકોનોમી ઝોન તરીકે પીછાનવામાં આવે છે. બંદરોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. ઉપરાંત કચ્છમાં પાનધ્રો, માતાના મઢ, ઉંમરસર ખાતે લિગ્નાઇટ વગેરે ખાણો આવેલી હોવાથી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પોષણ મળે છે. બન્ની વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મુખ્ય છે. બન્ની નસલની ભેંસને સરકાર દ્વારા માન્યતા મળી છે. ઉપરાંત ખેતી, પ્રવાસન વગેરે ઉદ્યોગો પણ કચ્છમાં વિકસ્યા છે.

જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે. ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે. જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે. જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે.

ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે. જે પૈકી ૪૦૬ કી.મી. જે ગુજરાત નો સૌથી લાંબો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રા, જખૌ, તુણા અને કંડલા છે. તેમાં કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે. આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે. માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજોની ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી બાંધવાનું કામ શરુ થયુ છે. આવનારા સમયમાં કચ્છ ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

કચ્છ જિલ્લામાં ૩૧ માર્ચ ૧૯૯૯ની સ્થિતિએ કુલ પ૮૦૬ કી.મી.ની લંબાઇ ધરાવતા પાકા રસ્તા હતા. કચ્છ જિલ્લાના ૮૮૪ વસવાટી ગામો સામે પાકા રસ્તે જોડાયેલા ૮૪૭ ગામો તથા કાચા જોડાયેલા ૩૭ ગામો છે. રસ્તાઓ અંગેની નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, મુખ્ય માર્ગના વર્ગીકરણ સહીતની વિગતો નીચે મુજબ છે.

કચ્છ જિલ્લામાં બ્રોડગેજ તેમજ મીટર ગેજ લાઇનો આવેલ છે. પાલનપુરથી ભુજ જતી મીટરગેજ રેલ્વેલાઇનના ર૬ર કીમી અને મુંબઇથી ભુજ થતી બ્રોડગેજલાઇનના ૧ર૩ કી.મી. કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લામાં રપ મીટર ગેજ તથા પ બ્રોડગેજના રેલ્વે સ્ટેશન આવેલ છે અને જિલ્લાના ૧૦ તાલુકામાથી પાંચ તાલુકા ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાને આવરી લે છે. હાલમાં જ નલીયા સુધી બ્રોડગેઝ રેલ્વે લાઇનને સૈધ્ધાંતીક મંજુરી મળેલ છે. 

જિલ્લામાં ઔઘોગિક વસાહતા, રસ્તાઓ રેલ્વે વિમાનીસેવાઓ, બંદરોના વિકાસ વિજળી, પાણી તથા સંદેશાવ્યવહારની મહત્વની આંતરમાળખાકીય સેવાઓ ઉપલબ્ધ કરીને, વિકાસને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ છે.

છેલ્લા દાયકા દરમ્યાન મુન્દ્રા પાસે અદાણીપોર્ટનો ખૂબ જ વિકાસ થયો છે, એ જ રીતે લખપત તાલુકામાંથી સાંધી સિમેન્ટ પણ જિલ્લાનું મોટું ઔઘોગિક એકમ બનેલ છે. રાજય સરકારનું સાહસ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લીમીટેડ પણ મહત્વનું ઔઘોગિક એકમ છે. બંદરો અને ઉઘોગોના વિકાસ સાથે જિલ્લામાં વાહન વ્યવહારમાં ઉતરોતર વધારો થયેલછે. 

ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના રોજ આવેલ વિનાશક  ભુકંપની સૌથી વધારે ખરાબ અસર કચ્છ જિલ્લા પર થઇ હતી. ૬.૯ રિકટર સ્કેલના આ ભુકંપમાં જિલ્લામાં મોટા પ્રમાણમાં જાનહાની અને સંપતિને નુકસાન થયુ હતું. જિલ્લાના ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને રાપર તાલુકાઓમાં વિશેષ નુકસાન થયુ. સમગ્ર જિલ્લાના ૯૪૯ ગામોમાંથી ૮૯૦ ગામો અસરગ્રસ્ત થયા હતા. કુલ થઈને ૧૮,૦૦૦ ઉપરાંત માનવ મૃત્યુ થયા હતા. ૧,૪૬,૦૪૧ જેટલા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જયારે ર,૭૮,૦પર મકાનો અંશતઃ નાશ પામ્યા હતા, ભુકંપ બાદ તુરંત જ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી મોટા પ્રમાણમાં બચાવ રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પુનર્વસનની તબકકાવાર કામગીરી હાથ ધરાઈ, જેના પરીણામ સ્વરુપે જિલ્લામાં મોટા પ્રમાણમાં પુનઃનિર્માણ પણ થયુ અને સાથોસાથ જિલ્લાના પુર્નવસન અને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહનની યોજનાઓ અમલમાં મુકાતા જિલ્લાના ઔઘોગિક વિકાસને બળ મળ્યું છે.




#Article 46: ભુજ (162 words)


ભુજ () ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાનું વહીવટી મથક છે.

ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામેલ છે) જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.

ભુજની સરેરાશ ઉંચાઇ ૧૧૦ મીટર છે. શહેરની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે, જેના પર ભુજિયો કિલ્લો આવેલો છે, જે ભુજ શહેર અને માધાપરને જુદા પાડે છે. શહેરના મુખ્ય તળાવોમાં હમીરસર તળાવનો સમાવેશ થાય છે.

ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાસિક સાથે જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત અને રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળો સાથે જોડાયેલું છે.

નવા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના, અમદાવાદ અને વડોદરાની ટ્રેન સેવા ઉપલબ્ધ છે.

અઠવાડિયાની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઈને જોડે છે.




#Article 47: સોમનાથ (985 words)


સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું.

ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને ચંદ્ર તારો ક્ષય થાવ એવો શ્રાપ આપ્યો. આથી કરીને દિન-પ્રતિદિન ચંદ્રની પ્રભા (તેજ- પ્રભાવ) ઘટવા લાગ્યું અને ચંદ્ર આખરે નિસ્તેજ થઇ ગયા. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભા' પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી.તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે.

મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

૧૦૨૪ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહિ, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઇ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાંની નીચે તેમને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને [અપમાનિત કરીને] મસ્જીદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.

૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો.  સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો.  મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.




#Article 48: નર્મદા નદી (299 words)


નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક  નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે.  ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે. 

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર  છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વીજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો હતા. મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલને બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.




#Article 49: હોમી ભાભા (148 words)


હોમી જહાંગીર ભાભા (ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં, ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮માં તેમણે અટૉમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.

તેમનું મૃત્યુ ૧૯૬૬ માઉન્ટ બ્લાન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું હતું.

ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.




#Article 50: અંજાર (279 words)


અંજાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું શહેર તેમજ તાલુકા મથક છે. તે કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. આ શહેર તેના સૂડી અને ચાકુ માટે પ્રસિદ્ધ છે.

અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.

૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષિક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું.

૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર ભયાનક રીતે અસરગ્રસ્ત થયું હતું.

રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા. તે અનુક્રમે ગંગાનાકું, દેવાળિયા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું અને વરસામેડી નાકું તરીકે ઓળખાય છે. શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે. શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે. વારંવાર આવેલા ભૂકંપોના કારણે શહેરની પ્રાચીન નગર રચનાના માત્ર અવશેષો જ બચ્યાં છે. 'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે.




#Article 51: માંડવી (કચ્છ) (180 words)


માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે.

માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી (દાબેલી) માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

માંડવી એક બંદર છે અને  સ્થાન પર રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. માંડવી જિલ્લા મુખ્ય મથક ભુજથી લગભગ ૬૦ કિ.મી ના અંતરે અને અમદાવાદ થી ૪૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે.

માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ.સ. ૧૫૮૦માં કરી હતી.

માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે.

અહીંનો સુંદર સાગર કિનારો, ૨૦ જેટલી પવનચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. બ્રિટીશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ પણ જોવાલાયક છે. ક્રાંતિ તીર્થ (શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક), માંડવી પોર્ટ, માંડવીનો કિલ્લો, વહાણવટા ઉદ્યોગ, બાંધણી ઉદ્યોગ જેવા અનેક સ્થળો જોવાલાયક છે.




#Article 52: બેંગલોર (761 words)


બેંગ્લોર, બેંગલોર અથવા બેંગલુરુ () કર્ણાટક રાજ્યનું પાટનગર છે. બેંગ્લોર ૫૦ લાખની વસ્તી વાળું ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે.

સ્વત્રંત્રતા પછી બેંગ્લોર ભારતના મહત્વના ઔદ્યોગીક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. બેંગ્લોર હિન્દુસ્તાન ઍરોનૉટીક્સ લિમીટેડ-HAL,  ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો-ISRO),  ભારત ઇલેક્ટ્રોનીક્સ લિમીટેડ (BEL) જેવી સંસ્થાઓનું ઘર છે. છેલ્લા દાયકામાં, બેંગ્લોર ભારતની સિલિકૉન વેલીને નામે દેશ-વિદેશમાં જાણિતું થયું છે અને ભારતનાં તેમજ વિશ્વનાં ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા દાયકામાં, ભારતની છબીને વિશ્વમાં એક પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે ગણાવવામાં બેંગ્લોરનું યોગદાન મહત્વનું છે.

ભારતીય વાયુદળ, મદ્રાસ ઈન્જીનીયરીંગ તથા સેન્ટ્રલ મીલીટરી પોલીસનું પ્રશીક્ષણ કેન્દ્ર પણ બેંગ્લોરમાં આવેલું છે.

દરીયાની સપાટીથી ૯૨૦ મીટર ઊંચાઈ પર હોવાને કારણે દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું બેંગ્લોર શહેર બારેમાસ ખુશનુમા હવામાન ઘરાવે છે. શિયાળામાં તાપમાન ૨૪ ડિગ્રી અને ઉનાળા માં ૩૫ ડિગ્રી હોય છે. 

૧૫૩૭માં બેંગ્લોરની સ્થાપના કેમ્પે ગોવડા (૧૫૧૦ - ૧૫૭૦) એ કરી હોવાનું મનાય છે. પુરાણ કાળમાં તેનો ઉલ્લેખ 'કલ્યાણપુરી' અથવા  'કલ્યાણનગર' તરીકે છે. મૌર્ય શાસક ચંદ્રગુપ્ત મૌર્ય રાજપાટ ત્યાગી, બેંગ્લોરની દક્ષીણ પશ્ચીમે આવેલા શ્રવણબેલગોડામાં જૈન ધર્મનો અંગીકાર કર્યો. બ્રીટીશ રાજ્ય કાળમાં બ્રીટીશરો આ શહેર ને બેંગ્લોર નામ આપ્યું. 

ગંગા કાળમાં સૌ પ્રથમ બેંગલુરુ નામના પ્રદેશનો ઉલ્લેખ થયો છે - જે આજના કોડીગેહલ્લિ (હેબ્બલ પાસે) નજીક હલેબેંગલુરુ ગામ મનાય છે. એમ મનાય છે કે કેમ્પે ગોવડા (પહેલા)એ  ૧૫૩૭માં જ્યારે નવી રાજધાનિ સ્થાપી ત્યારે તેનું નામ તેમનાં પત્ની તથા માતાના વતન હલેબેંગલુરુ પરથી બેંગલુરુ પાડ્યું. 

બીજા મત પ્રમાણે, બેંગ્લોરનું નામ બેંડા કાલુ એટલે Boiled beans પરથી પડ્યું હશે. એક કથા પ્રમાણે, જ્યારે દશમી સદીમાં વિજયનગરના રાજા વીરબલ્લ એક વાર જંગલમાં માર્ગ ભૂલ્યા ત્યારે એક વૃધ્ધાએ તેમને બાફેલા ચણા (?) ખાવા આપ્યા. આ ઘટના પછી રાજાએ તે જગ્યાનું નામ બેંડા કાલુરુ એટલે કે the city of boiled beans પાડ્યું.

૧૬૩૮માં બીજાપુરના સુલતાન આદિલ શાહ પાસેથી મરાઠા શાસક શાહજી ભોંસલે‌એ બેંગ્લોર ઉપર કબજો કર્યો. ૫૦ વર્ષના મરાઠી શાસન પછી ૧૬૮૬માં બેંગ્લોર મોગલ શાસન હેઠળ આવ્યું. આશરે ૧૬૮૯માં મોગલોએ મૈસૂરના રાજા ચીક્કદેવરાયને દાનમાં (leased?) આપ્યું. ચીક્કદેવરાયે, બેંગ્લોર કિલ્લાને દક્ષિણમાં વિસ્તાર્યો અને કિલ્લામાં વેંકટરમણ મંદિરની સ્થાપના કરી. આ ગ્રેનાઈટના કિલ્લાને હૈદરઅલીએ ૧૭૫૯માં મજબુત કર્યો. ૧૭૯૯માં બ્રિટિશર લૉર્ડ કૉર્નવૉલીસની આગેવાની હેઠળ ટીપુ સુલતાનને  હરાવી, બેંગ્લોર કબજે કર્યું.

૧૮૯૮માં બેંગ્લોરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાને નિવારવા ઘણાં મંદિરો બંધાવવામાં આવ્યા હતાં. આ મંદિરો મરંમ્મા એટલે પ્લેગ મંદિર કહેવાય છે. એમ કહેવાય છે કે પ્લેગને કારણે બેંગ્લોરની આરોગ્યસેવાઓ તથા સ્વચ્છતા સુઘારવાના પગલાં લેવામાં આવ્યાં. શહેરને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું તથા પ્લેગ ઑફિસરની પણ નિમણૂંક થઈ. શહેરમાં ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી અને સ્વચ્છ મકાનો બાંધવામાટે કાયદા બનાવવામાં આવ્યા. ઇ.સ. ૧૯૦૦માં જ્યોર્જ નાથેનીયલ કર્ઝને વિક્ટોરીયા હોસ્પીટલનું ઉદ્ગાટન કર્યું. બેંગ્લોરમાં આ સમયે રેલ્વેલાઈન પણ નાખવામાં આવી.

આ સમય દરમ્યાન બેંગ્લોરનો વિકાસ પણ થયો. બસવનગુડી (બસવેશ્વર મંદિર કે નંદી મંદિરના નામે) તથા મલ્લેશ્વરમ (કાડુ મલ્લેશ્વર મંદિરના નામે) વિસ્તારો સ્થાપવામા આવ્યા. ૧૯૨૧-૧૯૩૧માં કળશીપાલ્યા તથા ગાંધીનગરનો વિસ્તાર થયો. ૧૯૪૮માં જયનગરનું નિર્માણ કરવામા આવ્યું.

બેંગ્લોરના સૈન્ય સંસ્થાઓને કારણે ઘણા રસ્તાઓના નામ સૈન્યને લગતા છે જેમકે - આર્ટીલરી રોડ, બ્રીગેડ રોડ, ઇન્ફન્ટ્રી રોડ, કૅવૅલરી રોડ, વગેરે. સાઊથ પરેડ રોડ જે હવે મહાત્મા ગાંધી રોડ તરીકે પ્રખ્યાત છે. બેંગ્લોર કૅન્ટૉનમેન્ટનો વહીવટ એક રૅસીડ્ન્ટ અધીકારીને હસ્તક હતો અને તેના નિવાસસ્થાન પાસેના રસ્તાનું નામ રેસીડન્સી રોડ પડ્યું.

બેંગ્લોર કર્ણાટક રાજ્યનું સૌથી મોટું તથા કોસ્મોપોલિટન શહેર છે. કર્નાટક રાજ્યની કન્નડ ભાષા અહીં વપરાય છે. અહીંના લોકો બહુભાષિય છે. અહીં તમીળ, તેલુગુ ભાષાઓ પણ બોલાય છે. અંગ્રેજી પણ લોકો બોલે તથા સમજી શકે છે. Information Technology ના કારણે  વિવિઘ પ્રાંત થી વસેલા લોકો ને કારણે અંગ્રેજી તથા હિન્દી પણ પ્રચલીત છે. 

બેંગ્લોરમાં ૫૧% લોકો ભારતના વિવિધ ભાગ માથી આવીને વસેલા છે - આ ચીલો બ્રીટીશ કાળ થી ચાલ્યો આવે છે. બ્રિગેડ રૉડ નજીક બ્રીટીશ સમયના ભારતીય સૈનિકોની યાદમાં લખાયલાતમીળ ભાષાના શીલાલેખ આ વાતની શાક્ષી પૂરે છે.

બેંગ્લોરમાં ભારતની અનેક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે - ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ,  ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મૅનૅજમૅંટ (IIM, બેંગ્લોર),  નેશનલ લૉ સ્કુલ,  ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇનફૉર્મેશન ટૅકનૉલૉજી, નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ એન્ડ ન્યુરો સાયન્સ, રાષ્ટ્રીય વિધ્યાલય કૉલૅજ ઓફ ઇન્જીનિયરીંગ, U.V.C.E, P.E.S ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૅકનોલોજી, M.S. રામૈયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૅકનૉલૉજી અને બી.એમ.એસ કોલેજ ઓફ એન્જીનિયરિંગ, બેંગ્લોર મૅડિકલ કોલેજ, અને સૅન્ટ જૉન્સ મેડિકલ કોલેજ.

બેંગ્લોરમાં ભારતની અનેક પ્રખ્યાત શાળાઓ પણ છે - બીશપ કૉટન હાઇસ્કુલ, નૅશનલ પબ્લીક સ્કુલ, સૅન્ટ જૉસૅફ યુરૉપિયન સ્કુલ, સૅન્ટ જૉસૅફ  ઇન્ડીયન સ્કુલ, સૅન્ટ જ્રમૈન હાઇસ્કુલ, MES , બાલ્ડવિન અને ફ્રાંક એન્થોની  પબ્લીક સ્કુલ વગેરે નો સમાવેશ થાય છે.

બેંગ્લોરમાં વિશ્વવિખ્યાત સંસ્થાઓ આવેલી છે. બેંગ્લોરના ઝડપી વિકાસમાં આ સંસ્થાઓનો ફાળો મહત્વનો છે. વિશ્વમાં બહુ ઓછા શહેરો આ ઉપલબ્ઘી ઘરાવે છે. 

પાકિસ્તાન તથા ચીનથી અંતરના કારણે ભારત સરકારે બેંગ્લોરમાં સંરક્ષણ તથા વિકાસ માટેની મહત્વનાં ઉઘ્યોગોમાં ભારે રોકાણ કર્યું. પરીણામે બેંગ્લોર એન્જીનીયરો તથા વૈજ્ઞાનિક તજજ્ઞો માટે આકર્ષણ બન્ચું જેને કારણે બેંગ્લોર, ઈન્ફૉર્મૅશન 
ટેક્નોલોજીમાંં ઝડપભેર આગળ વધી શક્યું. બેંગ્લોરના આકર્ષક બાગ-બગીચાઓ અને અદ્યતન કાચના બહુમાળી મકાનોને કારણે ન્યુઝ વીકે બેંગ્લોરને વિશ્વનાં ૧૨ Capitals of Style શહેરોમાં ગણાવ્યું છે.




#Article 53: સુનામી (1444 words)


મહાસાગર ()માં જ્યારે પાણીના મુળમાં પરિવર્તન આવે છે જેથી મોટા મોટા મોજા  ()ઉછળે છે. પાણીની અંદર કે બહાર જંગી હલચલ (), ભૂકંપ (), જ્વાલામુખી સક્રિય થવો (), તેમજ પાણીની અંદર વિસ્ફોટ થવો (), જમીન ઘસી પડવી (), પાણીની અંદર ભૂકંપ () થવો કે પછી મોટી ઉલ્કા ત્રાટકવી  ()કે પછી પરમાણુ શસ્ત્રો ()નો ઉપયોગને કારણે સુનામી ઉદભવે છે.  પાણીની શક્તિ અને તેના જથ્થાને કારણે સુનામીની અસરો ભયંકર બની જાય છે. 

ગ્રીક ()ના ઇતિહાસકાર થુસાડિડેસે  ()સૌપ્રથમ વખત સુનામીને દરિયામાં થતા ભૂંકપ સાથે સાંકળી હતી. પરંતુ ખરેખર સુનામીના પ્રકાર વિશે 20મી સુધી બહુ આછો પાતળો ખ્યાલ હતો. હાલમાં પણ સુનામી અંગે સંશોધનકાર્ય ચાલી રહ્યું છે. 

પહેલાના ઘણા ભૂસ્તરશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્રીઓ અને સમુદ્રવિજ્ઞાનીઓ,  ધરતીકંપ સંબંધિત દરિયાઈ મોજા- હવે આને આપણે સુનામી તરીકે ઓળખીયે છે. 

ઘણા હવામાની () વંટોળ ()ની સ્થિતિ ડીપ ડિપ્રેશન ()ને કારણે ચક્રાવાત () કે વાવાઝોડા ()માં પલટાઈ જાય છે જેથી તોફાનો ઉઠે  ()છે જે દરિયાના ભરતીઓટની સ્થિતિ કરતા ઘણા ઉંચા હોય છે. આનું કારણ ડિપ્રેશનના કેન્દ્રમાં હવાનું ઓછું દબાણ () જવાબદાર હોય છે આ તોફાનો ઉઠે () છે જે દરિયાકિનારે પહોંચે છે જેને સુનામી સાથે સરખાવાય છે, આ વંટોળ જમીનના મોટા વિસ્તારોમાં પહોંચીને વિસ્તારને જળબંબાકાર કરી દે છે. આ સુનામી નથી. આ પ્રકારના સ્ટોર્મ બર્મા ()(મ્યાનમાર) ()માં મે 2008માં ઉછળ્યા હતા. 

સુનામીનો શબ્દ જાપાનીઝ અર્થમાંથી ઉદભવ્યો છે.  બંદર () (ત્યસુ, ) and મોજા () (નામી, ).  [a.જાપ.સુનામી, સુનામી, બંદર+ નામી મોજા- ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનેરીબહુવચન માટે કોઈ પણ તેને અંગ્રેજીની સામાન્ય પ્રકેટીશ મુજબ વાપરી શકે છે અથવા એસપ્રત્યેય લગાડી દે, અથવા જાપાનીઝ શબ્દપ્રયોગ મુજબ ઉચ્ચાર કરી શકે. જાપાનના ઇતિહાસ ()માં સુનામી બહુ સામાન્ય છે. જાપાનમાં અત્યાર સુધીમાં 195 ઘટનાઓ નોંધાઈ છે. 

સુનામીને ઘણી વખત ભરતીના મોજા () તરીકે ઓળખવામાં આવે છે. આ વાત હવે વિજ્ઞાનની દ્રષ્ટીએ ખોટી પડી છે. નવા સંશોધન મુજબ ભરતીઓટ સાથે સુનામીને કશું જ લાગતું વળગતું નથી. આનું કારણ એ છે કે સુનામી દરમિયાન દરિયાઈ મોજાની ઉંચા ઉછળે છે જેથી લોકો તેને સુનામી જ ગણી લે છે. સુનામી અને ભરતી બન્ને પાણીના મોજા ઉત્પન કરે છે, પરંતુ સુનામીના કેસમાં પાણીની અંદરની હલચલ ઘણી જ મોટી માત્રામાં હોય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે તે ભરતી જેવું લાગે છે. જો કે, ભરતીઓટના અર્થમાં મળતાપણું 
પી= ન્યુટન પર ચોરસ મીટરે ઓવરલેઈંગ દબાણ. ()

જી= ગૂરૂત્વાકર્ષણને લીધે વેગ ()= 9.8 એમ/એસ 2 અને 
એચ=વોટર કોલમમાં પાણીની ઉંચાઈ મીટરમાં

 
અથવા લગભગ 5.7 મિલિયન ટન પર ચોરસ મીટર 

દાખલા તરીકે,  જ્યાં સુનામીના અગ્રણી મોજા  ટ્રૉફ હોય, ત્યારે સુનામી મોજા આવે તેના પહેલા દરિયાકિનારે પાણી ઘટવા લાગે છે. જો દરિયાઈ સીબેડનો ઢાળ છીછરો હોય તો આ ઘટાડો ઘણા મીટર્સ સુધીનો હોઈ શકે છે. જોખમ હોવા છંતા આ વાતથી અજાણ લોકો  ઉત્સુક્તાને કારણે તેમજ દરિયાકિનારે જ રહે છે અને ખુલ્લી પડેલી જગ્યામાંથી માછલીઓ વિણવા લાગે છે. 26 ડિસેમ્બર 2004ના હિંદ મહાસાગરના સુનામી દરમિયાન પાણી ખેંચાયું હતું અને લોકો આનું કારણ તપાસવા માટે ખુલ્લા વિસ્તારમાં ઘસી ગયા હતા.લેવાયેલા ફોટોગ્રાફ મુજબ સામાન્ય રીતે પાણીમાં રહેતા વિસ્તારમાં લોકો ઉભા દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં દરિયાના મોજા આવી રહેલા જોઈ શકાય છે.બીચ પરના મોટાભાગના લોકો ભાગી શકવામાં નિષ્ફળ રહ્યા હતા અને મોતને ભેટ્યા હતા.

જે પ્રાંતોને સુનામીનો વધુ ખતરો છે તેઓએ સુનામી ચેતવણી સિસ્ટમ ()નો ઉપયોગ કરી શકે જે દ્વારા સુનામી ત્રાટકે તે પહેલા સામાન્ય લોકોને ચેતવણી આપીને સલામત સ્થળે ખસેડી શકાય.અમેરિકાના પશ્ચિમ કિનારે, જે પેસિફિક મહાસાગરમાંથી ઉભા થતા સુનામી જોખમ તરફ ઢળેલો છે ત્યાં લોકોને સુનામી વખતે કયા રસ્તાનો ઉપયોગ કરવો તેના ચિન્હો મુકવામાં આવ્યા છે. 

હોનોલુલુમાં સુનામી ચેતવણી સિસ્ટમ લગાવવામાં આવી છે.પેસિફિક મહાસાગરમાં ભુસ્તરને લઈને થતી બધી જ પ્રવૃતિ પર આ સિસ્ટમ નજર રાખે છે.  મૅગ્નિટયૂડ અને અન્ય માહિતી દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાય છે. અંહી એ વાત નોંધવી જોઈએ કે, પેસિફિક મહાસાગરમાં સક્રિયપણે ભૂસ્તર પ્રવૃતિઓ થઈ રહી છે, પરંતુ બધા જ ભૂકંપ સુનામી ઉત્પન્ન કરતા નથી. અને આ માટે કમ્પ્યુટરની મદદ લેવાયછે. જે દ્વારા પેસિફિક મહાસાગર કે આજુબાજુની જગ્યાઓ પર થતા ભૂકંપનું યોગ્ય વિશ્લેષ્ણ કરવામાં આવે છે જે દ્વારા સુનામીની શક્યતાઓ તપાસવામાં આવે છે. ત્યાર બાદ જ સુનામીની જાહેરાત કરાય છે. 

હિંદ મહાસાગરમાં આવેલા સુનામીની સીધી અસર હેઠળ દરેક દેશોની કેન્દ્ર સરકાર સુનામી અંગે ગંભીર બની છે. જેથી સુનામીની ચેતવણી જાહેર કરતા પહેલા કેન્દ્ર સરકારો અને  યુનાઈટેડ નેશન્સની ડીઝાસ્ટર મિટિગેશન કમિટી દ્વારા વસ્તુ સ્થિતિને ચકાસવામાં આવે છે. હાલમાં હિંદ મહાસાગરમાં સુનામી વોર્નિંગ સિસ્ટમ ઈન્સોટલ કરવામાં આવી છે. 

સુનામી આવવાની આગાહી કમ્પ્યુટર મોડેલ () કરી શકે છે. નિરિક્ષણ દ્વારા ખબર પડી છે કે કમ્પ્યુટર દ્વારા સુનામી ઉત્પન્ન થાય છે તેની ગણતરીની મિનિટોમાં જ કમ્પ્યુટર સુનામીની ચેતવણી જાહેર કરે  છે. બોટમ પ્રેશર સેન્સર્સને દરિયાના તળે ચાલી રહેલી ભુસ્તરીય પ્રવૃતિઓની મળેલી માહીતી અને રિડિંગને આધારે સેન્સર્સ માહીતી પ્રસારીત કરે છે. આ ઉપરાંત સીફ્લોર(બાથમેથી ()) અને દરિયાકાંઠાની જમીન(ટોપોગ્રાફી ()) પણ મહત્વના પરિબળ છે. આના દ્વારા આવી રહેલા સુનામીના મોજાની વિશાળતા અને તેની ઉંચાઈનો અંદાજ લગાવી શકાય છે. પેસિફિક મહાસાગર સાથે સંકળાયેલા દરેક દેશો સુનામી ચેતવણી સિસ્ટમ સાથે સંકળાયેલા છે. અને આ દેશો સુનામીની અસરથી બચાવવા માટે લોકોને દરિયાકાંઠો ખાલી કરાવવાની અન્ય તાલીમ સમયસર આપતા રહે છે. જાપાનમાં આ પ્રકારની તાલિમ,  કેન્દ્ર સરકાર, સ્થાનીક સત્તામંડળો, કટોકટીની સર્વિસ અને સામાન્ય જનતા માટે ફરજિયાત છે. 

કેટલાક પ્રાણીશાસ્ત્રીઓ માની રહ્યા છે કે પ્રાણીઓ આ પ્રકારની સંજ્ઞા જલ્દી સમજી જાય છે. તેઓ ભૂકંપને રેલેગ મોજા () કે સુનામીની ને સમય પહેલા જ સમજી લે છે. કેટલાક પ્રાણીઓને કુદરતી આપત્તિઓ સમજવાની શક્તિ હોય છે. જો તેઓને સતત નિરિક્ષણમાં રાખવામાં આવે તો તેઓ ભૂકંપ, સુનામી સહીતની વિપત્તિઓની વહેલી ચેતવણી આપી શકે છે. જો કે, પુરાવા વિવાદાસ્પદ છે અને વિજ્ઞાનની રીતે પુરવાર થયા નથી.કેટલાક બિન ચકાસાયેલા દાવા મુજબ લિસ્બન ભૂકંપ પહેલા પ્રાણીઓ વ્યાકુળ બન્યા હતા અને નીચેથી ઉંચી જગ્યાએ જતા રહ્યા હતા.તેમજ આજ વિસ્તારના કેટલાક પ્રાણીઓ ઉંચેથી નીચે આવ્યા હતા.આ પ્રકારની વાત 2004ના હિંદ મહાસાગરના ભૂકંપ  ()વખતે શ્રીલંકા ()ના મિડીયા દ્વારા નોંધવામાં આવી છે. એ શક્ય છે કે કેટલાક ચોક્કસ પ્રાણીઓ(દા.ત. હાથી) જેઓ દરિયાકાંઠે ફરતા હોય તેઓએ સુનામીનો અવાજ સાંભળ્યો હોઈ શકે છે. હાથીઓ અંગે પ્રતિક્રિયા આપતા અવાજ આવતો હોય ત્યાંથી દુર જતા રહે છે. તો બીજી બાજુ કેટલાક માણસો આ ઘટનાની તપાસ કરવા માટે દરિયામાં ઉતરે છે અને અંતે મોતને ભેટે છે. 

સુનામીને રોકવું અશક્ય છે.જો કે, સુનામી જ્યા વારંવાર આવે છે તેવા દેશોમાં ભૂકંપ એન્જિનિયરિંગ () દ્વારા દરિયાકાંઠે સુનામીની અસર ઓછી કરવાના પ્રયાસો કરાયા છે. વધુ વસ્તી ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં જાપાને 4.5 મીટર(13.5 ફુટ) ઉંચી સુનામી દિવાલ  ()બનાવવાની યોજના શરૂ કરી દીધી છે. તો કેટલાક વિસ્તારોમાં ફ્લડગેટ અને ચેનલ બનાવવામાં આવી છે જે દ્વારા સુનામીના પાણીને અન્યત્ર વાળી શકાય.જો કે, તેની અસરકારકતા અંગે પ્રશ્ન ઉભા જ છે. કારણ કે સુનામીના મોજા આ અવરોધકો કરતા ક્યાંય ઉંચા હોય છે. દાખલા તરીકે. 12 જુલાઈ 1993માં થયેલા ભૂકંપની બેથી પાંચ મીનીટમાં જ ઓકુશીરી હોકાઈડો સુનામી ()  હોકાઈડો () ઓકુશીરી ટાપુ  ()પર સુનામીના મોજા ત્રાટક્યા હતા. આ મોજાની ઉંચાઈ 30 મીટર(100 ફુટ) મપાઈ હતી. ઉંચાઈ મુજબ મોજા 10 માળની ઈમારત જેટલા ઉંચા હતા. દરિયાકાંઠાનું શહેર એઓને () સુનામી દિવાલ દ્વારા ઘેરાયેલું છે, પરંતુ મોજાઓએ આ દિવાલને વટાવીને અંદરના વિસ્તારમાં ઘુસી આવ્યા હતા અને લાકડાની દરેક વસ્તુનો નાશ કરી દીધો હતો. દિવાલ કદાચ મોજાની તીવ્રતા તેમજ તેની ઉંચાઈ ઘટાડી શકે પરંતુ મોટું નુકશાન અને લોકોના જીવ બચાવી શકે નહીં. 

સુનામીની અસરોને કુદરતી ઉપાયો જેવા કે વૃક્ષો કે દરિયાઈ પટ્ટી દ્વારા ઘટાડી શકાય છે. 2004ના હિંદ મહાસાગર સુનામીના રસ્તામાં આવતા કેટલાક વિસ્તારો બચી ગયા હતા. કારણ કે સુનામીની ઉર્જા આ વિસ્તારોમાં આવેલા નાળિયેર () કે મેંગ્રોવ ()ના વૃક્ષોએ ખેંચી લીધી હતી. એક અસરકારક ઉદાહરણમાંસ ભારતમાં આવેલા તામિલનાડુ ()ના નેલુવેદાપાથી  ()ગામમાં ઘણું ઓછું નુકશાન થયું હતું અને માત્ર થોડાક લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ માટે કારણ એ હતું કે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ()માં સ્થાન મેળવવા માટે આ વિસ્તારમાં 80,244 જેટલા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા જેથી મોજાઓની શક્તિ તુટી ગઈ હતી અને જાનહાની ઓછી થઈ હતી. આથી પર્યાવરણવાદીઓ સુનામીના જોખમનો સામનો કરી રહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાની સલાહ આપી રહ્યા છે. ઉપયોગમાં આવી શકે તેવા વિકસિત વૃક્ષો થવામાં કેટલોક સમય લાગી શકે છે, પરંતુ વૃક્ષોની વાવણી ઘણી સસ્તી થાય છે અને લાંબાગાળાની હોય છે. જે કુત્રિમ અવરોધો દ્વારા સુનામીના નુકશાનને ઘટાડવાના પ્રયાસ છે તેના કરતા વધુ સારી છે. 

ઐતિહાસિક પરિમાણમાં જોઈએ તો સુનામીની ઘટના બહુ અસામાન્ય નથી. ગત સદી દરમિયાન કુલ 25 જેટલી સુનામી ઘટનાઓ નોંધાઈ છે. જેમાંની ઘણી ઘટનાઓ એશિયા-પેસિફિક વિસ્તાર અને ખાસ કરીને જાપાનમાં નોંધાઈ છે.2004માં બોક્સિંગ ડે સુનામી ()ને કારણે 350,000 લોકોના મોત થયા હતા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

ઈસ.પુર્વે 426 પહેલા () ગ્રીક  ()ઇતિહાસવિદ્ થુસાયડીડેશે () પોતાના પુસ્તક પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ () પુસ્તકમાં સુનામીના કારણોની તપાસ કરી છે. અને ચોક્કસ દલીલ કરી છે કે આનું કારણ દરિયાઈ ભૂકંપ જ છે. જેથી તેઓ કુદરતી વિજ્ઞાન ()ના ઇતિહાસમાં પહેલા વ્યકિત બન્યા જેઓ ભૂકંપ અને મોજાને કારણ અને અસરના સંદર્ભમાં એકબીજા સાથે સાંકળ્યા. 

મારા મતે આનું કારણ ભૂકંપમાં શોધવું જોઈએ.દરિયામાં પહેલા પાણી શોષાઈ જાય છે અને ત્યાર બાદ તે બેગણી શક્તિથી પાછું ફરે છે અને વિસ્તારમાં પાણીની રેલમછેલ કરી દે છે. હું માનું છું કે આ ઘટના ભૂકંપ વગર શક્ય બની ન શકે. 

એલેકઝાન્ટ્રીયા ()ને તબાહ કરી દેનાર 365માં આવેલા સુનામી ()બાદ રોમન  ()ઇતિહાસકાર એમેનુસ મારસેલ્યુઅસ () (રેસ ગેસ્ટે 26.10.15-19)એ સુનામીની નમુનારૂપ ઘટનાક્રમ વર્ણવ્યો છે. જેમાં પ્રારંભનો ભૂકંપ, અને દરિયાની પ્રતિક્રિયા અને વિશાળ કદના મોજાનું ચોક્કસ વર્ણન આપવામાં આવ્યું છે. 

વધુ જુઓઃ તસ્વીરો અને વિડોય, 2004 હિંદ મહાસાગરનો ભૂકંપ ()




#Article 54: ધરતીકંપ (2744 words)


ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી ()નાં પડો ()માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો ()નું પરિણામ છે.સીઝમોમીટર () કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા () નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ ()માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે  જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા મેરકલ્લી સ્કેલ () પર માપવામાં આવે છે. 

ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) () દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી () પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે. 

એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો () ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના () હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ () થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ () કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) () કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) () કહેવામાં આવે છે. 

ટેકટોનિક ધરતીકંપો આ પૃથ્વી પર ગમે ત્યાં થઈ શકે છે. જયાં પણ ભંગાણના  સ્તર () ઊંચા થઈ શકે કે તૂટી શકે એટલી માત્રામાં સ્થતિસ્થાપક ઊર્જા સંગ્રહાઈ હોય ત્યાં આ ધરતીકંપો સર્જાતા હોય છે. પૃથ્વીની સૌથી વધુ સપાટી જેનાથી રચાઈ છે તે પરાવર્તી () પ્લેટ અથવા કેન્દ્રગામી () પ્રકારની પ્લેટ છે. જો ઘર્ષણ વધારતી હોય તેવી કોઈ અનિયમિતતા અથવા ખરબચડાપણું () ન હોય તો આ પ્લેટો (પોપડાઓ) એકબીજા પર સહેલાઈથી અને ધરતીકંપના તરંગો ઉપજાવ્યા વિના () સરે છે. પરંતુ મોટા ભાગના પોપડાઓના છેડા આવું ખરબચડાપણું ધરાવતા હોય છે અને તેથી અથડાવું-સરકવું જેવી ઘટના () ઘટે છે.આવી રીતે જો પૃથ્વીના બે આંતર પોપડાઓના છેડા એકબીજામાં અટવાઈ જાય તો બે પોપડાઓના સતત હલનચલનથી તણાવ વધે છે અને તેથી પોપડાઓના એ છેડા પર ખાસ્સા પ્રમાણમાં ઊર્જા ઊભી થાય છે.જયાં સુધી છેડા પરનું ખરબચડાપણું તૂટી ન જાય ત્યાં સુધી તણાવ વધતો રહે છે અને પછી અચાનક છેડાનો અટવાઈ ગયેલો ભાગ છૂટીને ઊંચો થઈને બીજા સ્તર પર સરકે છે અને અત્યાર સુધી સંગ્રહાયેલી ઊર્જા છૂટી પડે છે. આ જે ઊર્જા મુકત થાય છે તે કેટલાક મૂળભૂત તત્ત્વો () ધરતીકંપ સર્જતા તરંગો (), પોપડાઓના છેડા પરના ઘર્ષણથી પેદા થયેલી ગરમીના રૂપમાં છૂટા પડે છે જેનાથી ઘણી વાર પથ્થર/પહાડ પણ તૂટી જાય છે અને આમ ધરતીકંપ આવે છે. ધીમે ધીમે મોટું કદ લઈ રહેલા આ તણાવ અને ઘર્ષણ ઘણી વાર અચાનક ધરતીકંપમાં પરિણમતા નથી, જેને સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત (ઈલેસ્ટીક-રીબાઉન્ડ થીયરી) () કહે છે. ધરતીકંપની કુલ ઊર્જામાંથી માત્ર 10 ટકા કે તેથી પણ ઓછી ઊર્જા સિઝમીક એનર્જી તરીકે છૂટી પડે છે તેવું અનુમાન છે.ધરતીકંપની મોટા ભાગની ઊર્જા પોપડાઓમાં ભંગાણ () પેદા કરવામાં વપરાઈ જાય છે અથવા તો પછી ઘર્ષણથી પેદા થતી ગરમીમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ, ધરતીકંપો પૃથ્વીની સંભવિત સ્થિતિસ્થાપક ઊર્જામાં ઘટાડો કરે છે અને તેના તાપમાનમાં વધારો કરે છે. જો કે આ બદલાવો, પૃથ્વીના પતાળમાં રહેલી અઢળક ગરમીની સરખામણીમાં નહિવત્ છે. 

ભંગાણના ત્રણ મુખ્ય પ્રકાર છે જે ધરતીકંપ સર્જી શકે છેઃ સામાન્ય, વિરોધી (દબાણ) અને અથડામણ-સરવું.સામાન્ય અને વિરોધી ભંગાણ એ ડૂબવા-સરવાના ઉદાહરણ છે, જેમાં પોપડા નીચેની () દિશામાં ધસે છે. તેમના આ હલનચલનમાં ઊભી ગતિવિધિ થાય છે.જયાં પૃથ્વીનો પોપડો વિસ્તૃત () થયેલો હોય, જેમ કે અપસારી (વિરોધી) સીમાઓ, ત્યાં સામાન્ય ભંગાણ થઈ શકે છે. જયાં પૃથ્વીનો પોપડો સંકોચાયેલો () હોય, જેમ કે કેન્દ્રગામી સીમાઓ- આવા વિસ્તારોમાં વિરોધી ભંગાણ થઈ શકે છે.જયારે પૃથ્વીના પોપડાઓની બે બાજુઓ એકબીજાની પાછળ સમાંતરે સરતી હોય ત્યારે અથડામણ-સરવું પ્રકારનું ભંગાણ આ કરાડ પોપડાઓમાં થાય છે; આ પ્રકારના અથડામણ-સરવું પ્રકારના ભંગાણમાં વિશેષ રૂપે સીમાઓ બદલાતી હોય છે.  પૃથ્વીના પોપડાઓના ઉપર-નીચે અને આજુ-બાજુ થતા હલનચલન એમ બંને પ્રકારની ગતિવિધિઓ ઘણા ધરતીકંપોના મૂળમાં જોવા મળી છે; જેને ત્રાંસમાં સરવું કહેવામાં આવે છે.

જયારે કોઈ એક ખંડીય શિલાવરણમાં પૃથ્વીના પોપડાઓની સીમાઓ આવેલી હોય ત્યારે ઊભી થતી વિકૃતિ પોપડાની પોતાની સીમા કરતાં પણ વધુ મોટા વિસ્તારમાં ફેલાય છે.સન આન્દ્રેઝ ફોલ્ટ ()ના ખંડીય પરાવર્તનના કિસ્સામાં, ફોલ્ટના વિસ્તાર (દા.ત. બિગ બેન્ડ ક્ષેત્ર)માં મુખ્ય અનિયમિતતાઓ અને સર્જાયેલા વધારાના ભાગના કારણે અનેક ધરતીકંપો થયા, જે પોપડાની સરહદોથી ઘણા દૂર હતા. નોર્થરીજ ધરતીકંપ ()માં આ પ્રકારના વિસ્તારમાં આંધળા ધસારાની બાબત કારણભૂત હતી. પોપડાઓની કેન્દ્રગામી ત્રાંસી ગતિનું બીજું ઉદાહરણ ઝેગ્રોસ () પર્વતમાળાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી અરેબિયન () અને યુરેશિયન પ્લેટ ()ની સરહદો વચ્ચે થતી અતિશય ત્રાંસી કેન્દ્રગામી ગતિનું છે. આ પોપડાની સીમા સાથે જોડાયેલો વધારાનો કે ઊંચો થયેલો ભાગ છેવટે એક હડસેલા સાથે છૂટો પડે છે અને સીમાની દક્ષિણપશ્ચિમના વિશાળ વિસ્તારને બરાબર કાટખૂણે ઘર્ષણમાં આવે છે. આ એકદમ સ્પષ્ટ અથડાવાની-સરવાની ક્રિયા છે જે તાજા ભંગાણની સાથોસાથ અને લગભગ પોપડાની સીમાને લગોલગ થાય છે.ધરતીકંપની કેન્દ્રીય હિલચાલ () થકી આ નિદર્શિત થાય છે.

પાડોશી પ્લેટ સાથેના ઘર્ષણ અને કચરો ભેગો થવાથી અથવા દૂર (દા.ત. બરફ ઓગળવો) થવાના કારણે તમામ ટેકટોનિક પ્લેટોમાં આંતરિક તણાવ હોય છે.  આ તણાવ એટલો થઈ શકે છે કે જેના કારણે હાલના સ્તરોમાં ભંગાણ પડે અને પરિણામે આંતરસ્તરીય ધરતીકંપ () સર્જાય.

મોટા ભાગના ટેકટોનિક ધરતીકંપો પૃથ્વીના પેટાળમાં અમુક કિલોમીટર ઊંડે આવેલા અગ્નિના વલય પરથી ઉદ્ભવતા હોય છે. 70 કિ.મી.થી ઓછા ઊંડાણે કેન્દ્રબિંદું ધરાવતા ધરતીકંપોને છીછરા-કેન્દ્રવાળા ધરતીકંપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જયારે 70થી 300 કિ.મી.નું કેન્દ્રીય ઊંડાણ ધરાવતા ધરતીકંપોને મધ્યમ-કેન્દ્રવાળા અથવા તો મધ્યમ કક્ષાના ધરતીકંપો તરીકે ઓળખવામાં આવે છે. એવા સબડકશન ક્ષેત્રો (), જયાં જૂનાં અને ઠંડા દરિયાઈ પોપડાઓ (), બીજી ટેકટોનિક પ્લેટની નીચે સરતા હોય છે, ત્યાં ઘણા વધારે ઊંડાણ ધરાવતા (300થી 700 કિ.મી. ઊંડાણે) તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો () સર્જાઈ શકે છે. સબડકશનના આવા ભૂકંપની રીતે સક્રિય એવા વિસ્તારોને વાદતી-બેનીઓફ ક્ષેત્રો () તરીકે ઓળખવામાં આવે છે. તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો એટલા ઊંડાણે ઉદ્ભવે છે જયાં પોપડાનું શિલાવરણ () ઊંચા તાપમાન અને દબાણને કારણે બરડ રહેતું નથી. જયારે ઓવિલિયન () માળખું, સ્પાઈનેલ () માળખામાં તબક્કાવાર રૂપાંતરિત () થતું હોય ત્યારે તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો સર્જાવાની સંભાવના ઊભી થાય છે.

જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે. આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જવાળામુખી ()માં લાવા ()ના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે, ઉ.દા.  () જવાળામુખી. 

મોટા ભાગના ધરતીકંપ એકબીજા સાથે સ્થળ અને સમય સંદર્ભે સંબંધિત હોય છે અને કોઈક શ્રેણીનો ભાગ હોય છે. 

ધરતીકંપના મુખ્ય આંચકા પછી આવતાં આંચકાઓને અનુવર્તી આંચકાઓ કહેવામાં આવે છે, જે એક પ્રકારના ધરતીકંપ જ છે. ધરતીકંપનો મુખ્ય આંચકો આવ્યો હોય તે જ વિસ્તારમાં આ અનુવર્તી આંચકાઓ આવતા હોય છે પરંતુ હંમેશાં ઓછી તીવ્રતા ધરાવતા હોય છે. જો આ અનુવર્તી આંચકો, ધરતીકંપના મુખ્ય આંચકા કરતાં વધુ તીવ્રતાવાળો હોય તો એ આંચકાને ધરતીકંપનો મુખ્ય આંચકો ગણવામાં આવે છે અને તેની પહેલાં ગણાતા મુખ્ય આંચકાને પ્રથમ આંચકા () તરીકે ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે.વિસ્થાપિત ભંગાણ સ્તર () ધરતીકંપના મુખ્ય આંચકાની અસરો સાથે ગોઠવાય તે દરમ્યાન તેની આજુબાજુના પોપડામાં અનુવર્તી આંચકાઓ આવતા હોય છે. 

ચોક્કસ વિસ્તારમાં કોઈક ટૂંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબદ્ધ ધરતીકંપો () આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની આ હારમાળા, ધરતીકંપના અનુવર્તી આંચકા () કરતાં જુદી છે; આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી, કારણ કે એક પણ આંચકો બીજા કરતાં નોંધનીય કહેવાય તેટલી વધુ તીવ્રતા ધરાવતો હોતો નથી. આવી ધરતીકંપોની હારમાળાનું એક ઉદાહરણ 2004માં યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન ()માં આવેલ ધરતીકંપો ગણાવી શકાય. 

ઘણીવાર ધરતીકંપોનું વાવાઝોડું () કહી શકાય તેવી રીતે ઘણા ધરતીકંપો આવે છે, દરેક ધરતીકંપ તેની પહેલાંના કંપોના કારણે કે તેમના કારણે સર્જાયેલા તણાવને હળવા કરવા માટે આવતો હોય છે. ધરતીકંપના અનુવર્તી આંચકા ()ની જેમ છતાં ભંગાણના અડોઅડના ભાગે અનુભવાતા આ ધરતીકંપો ઘણી વખત વર્ષોના સમયગાળામાં પથરાયેલા જોઈ શકાય છે; અને તેમાંના કેટલાક પછી આવેલા ધરતીકંપો પહેલાં અનુભવાયેલા ધરતીકંપ જેટલી જ તીવ્રતાવાળા કે તેટલું જ નુકસાન પહોંચાડે છે. 20મી સદીમાં તુર્કીમાં આવેલ ઉત્તર એનાટોલિયન ભંગાણ (ફોલ્ટ) () પર ત્રાટકેલા લગભગ ડઝનેક જેટલા ધરતીકંપોમાં આવી ભાત જોવા મળી હતી અને મધ્ય પૂર્વમાં આવેલા જૂના અનિયમિત, મોટા ધરતીકંપો માટે તેમના પરથી ધારણા બાંધવામાં આવી હતી. 

અમેરિકાના કેલિફોર્નિયા () અને અલાસ્કા () તેમ જ ગુએટમાલા () જેવા વિશ્વના અનેક સ્થળોએ લગભગ સતત નાના ધરતીકંપો આવતા રહ્યા છે.ચીલે (), પેરુ (), ઈન્ડોનેશિયા (), ઈરાન (), પાકિસ્તાન (), પોર્ટુગલ ()માં આવેલ એઝોર્સ (), તુર્કી (), ન્યૂઝીલેન્ ()ડ, ગ્રીસ (), ઈટાલી અને જાપાન- ધરતીકંપ લગભગ ગમે ત્યાં આવી શકે- ન્યૂ યોર્ક શહેર (), લંડન () અને ઓસ્ટ્રેલિયા પણ બાકાત નહીં. મોટા ધરતીકંપો લાંબા ગાળો આવે છે, આવર્તનની ઝડપ () સાપેક્ષે જોઈએ તો એક ચોક્કસ સમયગાળામાં આવેલ 4ની તીવ્રતાવાળા ધરતીકંપોની સંખ્યા, ૫ની તીવ્રતાવાળા ધરતીકંપ કરતાં દસ ગણી વધારે છે.  (ધરતીકંપની ઓછી સંભાવના ધરાવતા) યુનાઈટેડ કિંગડમમાં, આવેલા ધરતીકંપોના આવર્તનોની સામાન્ય ગણતરી આ મુજબ હતી- 

વિશ્વના મોટા ભાગના ધરતીકંપો (90%, સૌથી મોટા ધરતીકંપોમાંથી 81%) 40,000 કિ.મી. લાંબી, ઘોડા આકારની સરકમ-પૅસિફિક સિઝમિક પટ્ટી ()માં આવે છે, જે પૅસિફિક રિંગ ઓફ ફાયર () તરીકે પણ જાણીતી છે. પૅસિફિક પ્લેટ ()ના મોટા ભાગના હિસ્સા આ રિંગથી બંધાયા છે.હિમાલય પર્વતમાળા () જેવી કેટલીક બીજી પ્લેટની સરહદો પર પણ ભારે ધરતીકંપો સર્જાવાની શકયતા હોય છે.ધરતીકંપ માનવસર્જિત કારણોથી પણ આવી શકે છે જેમ કે નદી પર ખૂબ મોટા બંધ () બાંધવા, મોટી ઈમારતો () બાંધવી, પાતાળ કૂવા ()ઓ ખોદવા અને તેમાં દ્રવ્ય દાખલ કરવું, કોલસાની ખાણો () ખોદવી અને તેલના કૂવા ખોદવાથી () ધરતીકંપની શકયતા વધે છે.

ધરતીકંપનું ઊંચું જોખમ ધરાવતા વિસ્તારોમાં વસેલા અને સતત વિકસતા મેકિસકો શહેર (), ટોકયો () કે તહેરાન () જેવાં મહાનગરો () માટે ધરતીકંપ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અહીં માત્ર એક ધરતીકંપમાં 30 લાખ લોકોનો જીવ જઈ શકે તેમ છે. 

ધરતીકંપની અનેક અસરો/પરિણામો હોય છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે-

ધ્રુજારી અને જમીનમાં ફાટ પડવી એ ધરતીકંપની મુખ્ય અસરો છે અને તેના કારણે ઈમારતો અને તેના જેવા અન્ય માળખાઓને વત્તા કે ઓછા અંશે સૈદ્વાંતિક રીતે નુકસાન પહોંચે છે. ધરતીકંપની અસરો સ્થાનિક ધોરણે કેટલી તીવ્રતા ધારણ કરે છે તેનો આધાર ઘણી બાબતો પર રહે છે, જેમ કે ધરતીકંપની તીવ્રતા (), ભૂકંપબિંદુ ()થી સ્થળનું અંતર, અને ધરતીકંપના તરંગને વધુ જોરથી કે ઘટાડીને પ્રસારતી () સ્થળની ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂરચનાકીય પરિસ્થિતિ.જમીનની ધ્રુજારી જમીનના વેગ () પરથી માપવામાં આવે છે.

ચોક્કસ પ્રકારના સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરચનાકીય અને ભૂ-આકૃતિક પરિમાણોના કારણે, ધરતીકંપ ઓછી-તીવ્રતાવાળો હોય તો પણ, ધરતીકંપના તરંગોને ઝીલી જમીનની સપાટી પર ખાસ્સી ધ્રુજારી પહોંચાડે તેવું બની શકે. આ અસરને સ્થાનિક કે સ્થળ પરથી થતો વધુ પ્રસાર કહેવામાં આવે છે. આ કિસ્સામાં ધરતીકંપ ()ના તરંગો ઊંડી, સખત જમીનમાંથી, ઉપરની ઢીલી જમીન સુધી પ્રસરે છે અને ત્યારે ત્યાંની ભૌગોલિક અને ભૌમિતિક સંરચના મુજબ ધરતીકંપના કંપનો વધતી કે ઓછી માત્રામાં ત્યાં કેન્દ્રિત થવાથી આવું બનતું હોય છે.

ભંગાણ (ફોલ્ટ)ના રસ્તામાં જમીનની સપાટી પર પડેલી ફાટ જોઈ શકાય તેવી અને ઘણી વાર જમીનના બે સ્તરોને જુદા કરતી નાખતી હોય છે. મોટા ધરતીકંપોમાં આવી ફાટ અમુક મીટર સુધીની હોઈ શકે છે.બંધ (), પુલ અને અણુશકિત મથકો () જેવાં વિશાળ ઈજનેરી માળખાઓ માટે જમીનમાં પડતી ફાટ મોટું જોખમ ઊભું કરે છે. તેથી અત્યારે હાલના ભંગાણ રેખાના નકશા અને જે-તે માળખાના આયુષ્ય દરમ્યાન કોઈ જમીન ફાટવાની શકયતા છે કે કેમ તે કાળજીપૂર્વક તપાસવું ખૂબ અગત્યનું બને છે.

ધરતીકંપની જેમ જ, ભૂસ્ખલન એવું ભૂસ્તરીય સંકટ છે જે વિશ્વના ગમે તે સ્થળે ઘટી શકે છે. જબરજસ્ત તોફાનો, ધરતીકંપ, જવાળામુખી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ એ તમામ જમીનના ઢોળાવને અસ્થિર બનાવે છે.તત્કાળ બચાવની કામગીરી ચાલતી હોય ત્યારે પણ ભૂસ્ખલનનું જોખમ રહે છે. 

ધરતીકંપ પછી વીજળીની લાઈનો () તૂટવાથી કે ગેસ લાઈન તૂટવાથી આગ () લાગી શકે છે. પાણીના જોડાણો તૂટી જવાથી અને દબાણ ઘટી ગયું હોવાથી, એક વાર આગ લાગે પછી તેને ફેલાતી અટકાવવી ખૂબ મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, 1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ ()માં, ધરતીકંપથી જેટલી જાનહાનિ થઈ તેનાથી વધુ જાનહાનિ આગના કારણે થઈ હતી.

ધ્રુજારીને કારણે માટીના પાણીથી સંતૃપ્ત થયેલા દાણાદાર () કણો (રેતી જેવા) ક્ષણિક સમય માટે પોતાની શકિત ગુમાવે છે અને ઘન ()માંથી પ્રવાહી () રૂપમાં બદલાય છે. આમ ધરતીકંપ થાય ત્યારે માટી પીઘળે () છે.માટી પીઘળવાથી ઈમારતો અથવા પુલ જેવા સખત માળખાઓ આવી પોચી બનેલી જમીનમાં નમી પડે છે કે અંદર ધસી જાય છે. ધરતીકંપની આ એક ભયંકર અસર ગણી શકાય.ઉદાહરણ તરીકે, 1964ના અલાસ્કાના ધરતીકંપ () વખતે માટી ઓગળવાને કારણે ઘણી ઈમારતો જમીનમાં ઊતરી ગઈ હતી, અને પછી પોતાની પર જ પડીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

સમુદ્રમાં  ખૂબ મોટા કદના પાણીની ગતિવિધિમાં આવેલા કોઈ ઓચિંતા, અણધાર્યા બદલાવથી ખૂબ ઊંચાં, લાંબી તરંગ-લંબાઈ ધરાવતા, ખૂબ મોટાં મોજાં ઉદ્ભવે છે જેને ત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા મહાસમુદ્રમાં આવા ત્સુનામી મોજાંઓની ટોચ 100 કિ.મી.ને વટાવી જાય છે અને મોજાં વચ્ચેનો સમયગાળો પાંચ મિનિટથી લઈને એક કલાક સુધીનો હોઈ શકે છે. આવાં ત્સુનામી પાણીના ઊંડાણ મુજબ દર કલાકે 600-800 કિ.મી.ની ઝડપે અંતર કાપે છે. ધરતીકંપના પરિણામે કે પછી દરિયામાં થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલાં મોટાં મોજાં ગણતરીની ક્ષણોમાં કાંઠાના વિસ્તારોમાં ફરી વળે છે.ત્સુનામી ખુલ્લા સમુદ્રમાં હજારો કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જે ધરતીકંપના પરિણામે તે સર્જાયાં હોય તેના કલાકો પછી દૂર દૂરના કિનારાઓ પર તારાજી સર્જે છે. 

સામાન્ય રીતે, રિકટર સ્કેલ પર ૭.૫થી ઓછી તીવ્રતા દર્શાવતા ધરતીકંપોથી ત્સુનામી સર્જાતાં નથી. જો કે, તે સિવાયના કિસ્સાઓમાં પણ ત્સુનામી સર્જાયાનું નોંધાયું છે, છતાં સૌથી વિનાશક ત્સુનામી 7.5 કરતાં વધુ તીવ્રતા ધરાવતા ધરતીકંપોથી સર્જાય છે.

ત્સુનામી સામાન્ય ભરતીઓટના મોજાંઓ કરતાં જુદા હોય છે. સામાન્ય મોજાંમાં પાણી જેમ ગોળ ગોળ વહે છે તેની જગ્યાએ ત્સુનામીમાં પાણી સીધેસીધું વહે છે. ધરતીકંપ કારણે દરિયામાં થયેલા ભૂસ્ખલનથી પણ ત્સુનામી પેદા થઈ શકે છે. 

ઊભરાઈને જમીન પર વહી આવતા પાણીના કોઈ પણ જથ્થાને પૂર કહેવાય.  એમએસએન (MSN) એન્કાર્ટા () શબ્દકોશ. 2006-12-28 ()ના કરાયેલો સુધારો  જયારે પાત્ર જેમ કે નદી કે તળાવમાંનું પાણીનું કદ તેની ક્ષમતા કરતાં વધી જાય અને તેથી તેમાંનું કેટલુંક પાણી તેના સામાન્ય કિનારા છોડી બહાર વહી જાય છે ત્યારે સામાન્ય રીતે પૂર આવ્યું કહેવાય. છતાં, જો ધરતીકંપથી બંધને નુકસાન પહોંચે તેવા કિસ્સામાં પૂર ધરતીકંપની આડઅસર પણ હોઈ શકે છે.ધરતીકંપના કારણે બંધની નદીઓના કિનારા ધસી પડી શકે છે, જે પછીથી તૂટી પડવાના કારણે પૂર આવી શકે છે.

ઉસોઈ બંધ () તરીકે જાણીતો એકવાર ધરતીકંપને કારણે રચાયેલો ભૂસ્ખલન બંધ (), જો ભવિષ્યમાં કોઈ ધરતીકંપના કારણે તૂટે તો તજીકિસ્તાન ()ના સારેઝ તળાવ ()ના તળપ્રદેશમાં ભારે વિનાશક એવું પૂર આવી શકે છે.એક અંદાજ મુજબ આ પૂરથી લગભગ ૫૦ લાખ લોકોને અસર પહોંચે તેમ છે. 

ધરતીકંપો રોગ (), મૂળભૂત જરૂરિયાતોનો અભાવ, જાનહાનિ, વીમાના ઊંચા હપ્તાઓ, જાહેર મિલકતને નુકસાન, રસ્તા અને પુલને નુકસાન, ઈમારતો જમીનદોસ્ત થવી અથવા તેનો પાયો હલી જવો જે તેને ભવિષ્યના ધરતીકંપ વખતે નુકસાન માટે વધુ સંવેદનશીલ બનાવે વગેરે જેવી અનેક બાબતોમાં પરિણમી શકે છે. ધરતીકંપથી પ્રેરાઈને જવાળામુખી ફાટે અને તેના કારણે પાકને સારું એવું નુકસાન થાય તેવું પણ શકય છે, જેમ કે ઉનાળા વિનાનું વર્ષ () (1816). 

ધરતીકંપની સૌથી નોંધનીય, માનવીય અસર એ માનવ જાનહાનિ છે એ બાબતે મોટા ભાગના લોકો સહમત છે. 

ધરતીકંપને અનુકૂળ ઈજનેરીકામ (), ધરતીકંપનો સામનો કરવાની સજ્જતા (), ધરતીકંપ સાપેક્ષે ઘરની સલામતી (), સિઝમિક રીટ્રોફિટ () (વિશેષ ઝડપ કરનાર સામગ્રી અને તકનિકો), ધરતીકંપને લગતાં જોખમો (), ધરતીકંપને લગતી ગતિવિધિઓ ઘટાડવી () અને ધરતીકંપનું અનુમાન () જેવી પ્રક્રિયાઓ દ્વારા આજે સંભવિત ધરતીકંપના વિસ્તારોને ગંભીર નુકસાનથી બચાવવા માટેના અને તેમને ધરતીકંપનો સામનો કરવા માટે તૈયાર કરવાના રસ્તાઓ મોજૂદ છે. 

નોર્સ પુરાણકથા ()માં ધરતીકંપોને ઈશ્વર અને લોકી () વચ્ચેના લોહિયાળ સંઘર્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જયારે તોફાન અને લડાઈ-ઝઘડાના ઈશ્વર () લોકીએ સૌંદર્ય અને પ્રકાશના ઈશ્વર બાલ્દ્ર ()ને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તેમને માથા પર વિષ ટપકાવતા એક ઝેરી સાપ સાથે ગુફામાં પૂરી દેવાની સજા થઈ.તેમના માથા પર ટપકતું વિષ ઝીલવા માટે લોકીની પત્ની સિજ્ઞાન () વાટકો લઈને સાથે ઊભી રહી. પણ જયારે તેને વાટકો ખાલી કરવા માટે ત્યાંથી ખસવું પડતું ત્યારે વિષના ટપકાં લોકીના મુખ પર પડતા. ત્યારે લોકી પોતાનું માથું ઝાટકો મારીને ખંખેરતા અને પોતાનાં બંધનો ઝાટકતા જેના કારણે પૃથ્વી પર ધ્રુજારી પેદા થતી.

ગ્રીક પુરાણકથા ()માં, પોસિડોન () ઈશ્વર છે જે ધરતીકંપો ઊભા કરતા હતા. જયારે પણ તે ખરાબ મૂડમાં હોય ત્યારે તે પોતાના ત્રિશૂળ ()થી જમીન પર ઘા કરતા, જેના કારણે આ અને બીજી અન્ય આપત્તિઓ સર્જાતી.તે વેરથી પ્રેરાઈને અને લોકોને સજા ફટકારવા, તેમનામાં ભય પેદા કરવા માટે પણ ધરતીકંપોનો ઉપયોગ કરતા.

આધુનિક લોકપ્રિય સંસ્કૃતિ ()માં, ધરતીકંપોને મોટાં, મહાન શહેરોને, જેમ કે 1995માં કોબે () અથવા 1906માં સાન ફ્રાન્સિસકો ()ને જમીનદોસ્ત કરતી નાખતી ઘટતા તરીકે દર્શાવવામાં આવે છે. કાલ્પનિક ધરતીકંપો અચાનક અને કોઈ પણ ચેતવણી વિના ત્રાટકે છે. આ કારણોસર ધરતીકંપની વાર્તાઓ સામાન્ય રીતે દુર્ઘટનાથી શરૂ થાય છે અને તેના તાત્કાલિક પ્રત્યાઘાતો તેના કેન્દ્રમાં રહે છે. શોર્ટ વોક ટુ ડે લાઈટ () (1972), ધ રૅગેડ એજ () (1968) અથવા (1998) આવી વાર્તાનાં ઉદાહરણ છે. હેઈનરીક વોન કલેઈસ્ટની કલાસિક નવલિકા ધ અર્થકવેક ઈન ચીલે ()નું ઉદહારણ નોંધવાલાયક છે. આ નવલિકામાં 1647માં દેવાલય (સાન્તીઆગો)ના વિનાશનું વિવરણ કરવામાં આવ્યું છે.હારુકી મુરાકમી ()ના આફટર ધ કવેક નામના ટૂંકી કાલ્પનિક વાર્તાઓના સંગ્રહમાં 1995ના કોબેના ધરતીકંપની પરિણામી અસરોને રજૂ કરવામાં આવી છે. 

વાર્તાઓમાં સૌથી લોકપ્રિય એવો એક ધરતીકંપ એ એક દિવસ કેલિફોર્નિયા ()ના સાન આન્દ્રેઝ ફોલ્ટ () પર આવતો બિગ વન (સૌથી મોટો) કાલ્પનિક ભૂકંપ છે, જેને અન્ય નવલકથાઓ ઉપરાંત રિકટર 10 () (1996) અને ગુડબાય કેલિફોર્નિયા () (1977) નામની નવલકથાઓમાં ચિતરવામાં આવ્યો છે. અ કમ્પેરેટિવ સિઝમોલોજી નામની જેકોબ એમ. એપ્પેલની વ્યાપક રીતે સંકલિત ટૂંકી વાર્તામાં એક વિશ્વાસુ કલાકાર, એક વૃદ્ધાને નજીકના ભવિષ્યમાં એક ધરતીકંપ આવશે જ તેવી ખાતરી કરાવે છે.જિમ શિપાર્ડ ()ના લાઈક યુ હેડ અન્ડરસ્ટેન્ડ, એનીવે નામના વાર્તાસંગ્રહમાંની પ્લેઝર બોટીંગ ઈન લિટુયા બેય નામની એક વાર્તામાં બિગ વન (સૌથી મોટો ભૂકંપ) ભયાનક તારાજી કરતી ત્સુનામી પણ સર્જે છે. 




#Article 55: ભૌતિકશાસ્ત્ર (548 words)


ભૌતિક શાસ્ત્ર () એ એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન છે કે જેમાં નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રીક શબ્દ φυσικός (ફીઝિકોસ= કુદરતી), જેનું મૂળ φύσις (ફીઝિસ = કુદરત છે, પરથી ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) શબ્દ ઉતરી આવ્યો છે. આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે.

ભૌતિક શાસ્ત્ર એક વિશાળ શાખા છે. ભૌતિક શાસ્ત્રની વ્યાખ્યા કરવી અઘરી છે. અમુક વિદ્વાનોં ના મતાનુસાર આ ઊર્જા વિષયક વિજ્ઞાન છે અને આમાં ઊર્જા નું રૂપાંતરણ તથા પદાર્થ વચ્ચેનાં સંબંધોં નીં ચર્ચા કરવામાં આવે છે. તેના દ્વારા પ્રાકૃત જગત અને તેની આંતરીક ક્રિયાઓં નો અભ્યાસ કરવામાં આવે છે. આકાશ (space), સમય (time), ગતિ, પદાર્થ, વિદ્યુત, પ્રકાશ, ઊષ્મા તથા ધ્વનિ વગેરે અનેક વિષય તેમની સીમામાં આવે છે. આ વિજ્ઞાનનો એક મુખ્ય વિભાગ છે. તેનાં સિદ્ધાંત સમગ્ર વિજ્ઞાન માં માન્ય છે અને વિજ્ઞાન ની દરેક શાખાને લાગુ પડે છે. તેનું ક્ષેત્ર વિસ્તૃત છે અને તેની સીમા નિર્ધારિત કરવી અતિ કઠિન છે. બધા વૈજ્ઞાનિક વિષય વધતે ઓછે અંશે આની અંતર્ગત આવે છે. વિજ્ઞાન ની અન્ય શાખાઓ કાં તો સીધીજ ભૌતિક શાસ્ત્ર પર આધારિત છે, અથવા તેમની હકિકતોને આના મૂલ સિદ્ધાંતોં સાથે સંયોજીત કરવાનો પ્રયત્ન કરાય છે.

ભૌતિક શાસ્ત્રનું મહત્વ એ માટે પણ છે કે, તકનિકિ (Technology) તથા એન્જીનીયરીંગ નું જન્મદાત્રી હોવાને કારણે તે આ યુગના સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે પ્રેરક છે. બહુ જ પહેલા આને દર્શન શાસ્ત્રનો વિભાગ ગણીને નેચરલ ફિલૉસોફી (Natural Philosophy) તરીકે ઓળખાવાતું હતું, પરંતુ ઇ.સ. ૧૮૭૦ ના સમય આસપાસ ભૌતિક શાસ્ત્ર તરીકે ઓળખાતું થયુ. ધીરે ધીરે આ વિજ્ઞાન પ્રગતિ પામતું ગયુ અને અત્યારે તો તેની પ્રગતિની તિવ્ર ઝડપ જોઇને, અગ્રગણ્ય ભૌતિક વિજ્ઞાનીઓને પણ આશ્ચર્ય થાય છે. ધીરે ધીરે આમાંથી અનેક મહત્વપૂર્ણ શાખાઓની ઉત્પત્તિ થઇ, જેમકે રસાયણિક ભૌતિકી (Chemical Physics), ખગોળીય ભૌતિકી (Astrophysics), જીવભૌતિકી (Biophysics), ભૂભૌતિકી (Geophysics), આણ્વિક ભૌતિકી (Nuclear Physics), અવકાશ ભૌતિકી (Space Physics) વિગેરે.

ભૌતિક શાસ્ત્ર નો મુખ્ય સિદ્ધાંત ઊર્જા સંરક્ષણ (Conservation of Energy) છે. જે મુજબ કોઇ પણ દ્રવ્યસમુદાય ની ઊર્જા નું પ્રમાણ સ્થિર હોય છે. સમુદાય ની આંતરિક ક્રિયાઓ દ્વારા આ પ્રમાણ વધવાનું કે ઘટવાનું શક્ય નથી. ઊર્જા નાં અનેક રૂપ હોય છે અને તેનું રૂપાંતરણ થઇ શકે છે, પરંતુ તેમનાં પ્રમાણમાં કોઇ પ્રકાર નું પરિવર્તન શક્ય નથી. આઇસ્ટાઇન ના સાપેક્ષવાદનાં સિદ્ધાંત અનુસાર દ્રવ્યમાન (mass) પણ ઉર્જામાં રૂપાંતરીત થઇ શકે છે. આ રીતે ઊર્જા સંરક્ષણ અને દ્રવ્યમાન સંરક્ષણ બન્ને સિદ્ધાંતો નો સમન્વય થઇ જાય છે, અને આ સિદ્ધાંત વડે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર એક બીજા સાથે સંકળાય છે.

ભૌતિકી ને મોટે ભાગે બે ભાગોમાં વહેંચી શકાય છે. ઈ.સ. ૧૯૦૦થી પહેલાં જે ભૌતિક જ્ઞાન અર્જિત કરવામાં આવ્યું હતું અને તે સંબંધી જે નિયમ તથા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યાં હતાં, તેમનો સમાવેશ પ્રાચીન ભૌતિકમાં કરવામાં આવ્યો. તે સમયની વિચારધારાના પ્રેરણાસ્ત્રોત ગૅલિલીયો (૧૫૬૪-૧૬૪૨) તથા ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) હતાં. શાસ્ત્રીય ભૌતિકને મુખ્યત: યાંત્રિકી (Mechanics), ધ્વાનિકી (Acoustics), ઊષ્મા (Heat), વિદ્યુચ્ચુંબકત્વ અને પ્રકાશિકી (Optics)માં વિભાજિત કરવામાં આવે છે. આ શાખાઓ ઇંજીનિયરિંગ તથા શિલ્પ-વિજ્ઞાનની આધારશિલાઓ છે અને ભૌતિકની પ્રારંભિક શિક્ષા આનાથી જ શરૂ કરવામાં આવે છે.

ઈ.સ.૧૯૦૦ પછી અનેક ક્રાંતિકારી તથ્ય જ્ઞાત થયા, જેમને પ્રાચીન ભૌતિકીના સાંચામાં બેસાડવા કઠિન છે. આ નવા તથ્યોનું અધ્યયન કરવા અને તેમની ગૂંચવણોને ઉકેલવા ભૌતિકની જે શાખાની ઉત્પત્તિ થઈ, તેને આધુનિક ભૌતિકી કહે છે. આધુનિક ભૌતિકીનું દ્રવ્યસંરચના સાથે સીધો સંબંધ છે. અણુ, પરમાણુ, કેંદ્રક (ન્યુક્લીયસ) (nucleus) તથા મૂળભૂત કણ આના મુખ્ય વિષયો છે. ભૌતિકની આ નવીન શાખાને વૈજ્ઞાનિક વિચારધારા એ નવીન અને ક્રાંતિકારી વળાંક આપ્યો છે, તથા આનાથી સમાજવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયા છે.




#Article 56: રાજ્ય સભા (168 words)


રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી.




#Article 57: ભારતના વડાપ્રધાન (391 words)


ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.

૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા, જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે.

રાજીવ ગાંધીના પાંચ વર્ષ પછી તેમના જ સાથી વી. પી. સિંહે જનતા દળના નેતા તરીકે નેશનલ ફ્રન્ટ ગઠબંધનની મદદથી ૧૯૮૯માં સરકાર બનાવી. નવેમ્બર ૧૯૯૦માં ચંદ્ર શેખર ૬ મહિના માટે વડા પ્રધાન બન્યા અને જૂન ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ સત્તા પર પરત ફર્યો. રાવની પાંચ વર્ષની મુદ્દત પછી ચાર ટૂંકાગાળાના વડા પ્રધાનો સત્તા પર આવ્યા, જેમાં ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી (૧૩ દિવસ માટે), યુનાઇટેડ ફ્રંટના એચ. ડી. દેવગૌડા, આઇ. કે. ગુજરાલ તેમજ ૧૯૯૮-૯૯માં વાજપેયી (૧૯ મહિના માટે)નો સમાવેશ થાય છે. ૧૯૯૯માં ત્રીજી વખત વાજપેયી વડા પ્રધાન બન્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાંચ વર્ષ સત્તા પર રહ્યો, જે આમ કરવાવાળી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી. વાજપેયી પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરી અને મનમોહન સિંહ બે મુદ્દત માટે ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ ગઠબંધનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં એનડીએ સત્તા પર આવ્યો. ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે.




#Article 58: સૂર્યમંડળ (5354 words)


સૂર્યમંડળ માં સૂર્ય તેમજ ગુરૂત્વાકર્ષણના નિયમને આધિન કેટલાક અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ પદાર્થોનો ઉદ્ભવ અંદાજે 4.6 અબજ વર્ષો પહેલાં સૂક્ષ્મ કણોથી બનેલાં મોટાં વાદળોનાં તૂટી પડવાને કારણે થયો છે. આ તમામ અવકાશી પદાર્થોનો સમૂહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ સૂર્યમંડળ પરિવારના લગભગ 8 જેટલા ગ્રહોની પરિભ્રમણ કક્ષા ગોળાકાર હોય છે. આ પ્રકારના ગ્રહોની સપાટી સમતળ હોય છે, જેને કાન્તિવૃત્ત કહેવામાં આવે છે. અંદરની બાજુના ચાર નાના ગ્રહોઃ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહો ખડકો અને ધાતુઓના બનેલા હોય છે અને સપાટીની દ્રષ્ટિએ ઠોસ હોય છે. બહારની બાજુના ચાર ગ્રહોઃ આ ગ્રહોમાં ગુરૂ,શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનનો સમાવેશ થાય છે. આ ગ્રહોને ગેસના ગોળાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમ વાયુના બનેલા હોય છે તેમજ તેઓ પાર્થિવ ગ્રહો કરતા વિશાળ કદના હોય છે. 

સૂર્યમંડળને નાના અવકાશી પદાર્થોથી બનેલા બે અન્ય પ્રાંતોનું પણ ઘર માનવામાં આવે છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે તારાઓના સમૂહનો એક પટ્ટો પથરાયેલો હોય છે જેમાં રહેલા અવકાશી પદાર્થો પાર્થિવ ગ્રહો જેવા જ હોય છે. આ ગ્રહો પણ ધાતુ તેમજ ખડકોના બનેલા હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાથી આગળ ટ્રાન્સ નેપ્ચ્યુનિયન અવકાશી પદાર્થોનો સમૂહ આવેલો છે. આ તમામ પદાર્થો મુખ્યત્વે ઠંડા પદાર્થો જેવા કે પાણી, બરફ, એમોનિયા અને મિથેન જેવા પદાર્થોના બનેલા છે. આ પ્રદેશોમાં પાંચ સ્વતંત્ર અવકાશી પદાર્થો જેવા કે સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ આવેલા છે. આ પદાર્થોનું ઘનત્વ ખૂબ જ વધારે હોય છે તેમજ તેમનું ગુરૂત્વાકષર્ણ બળ પણ વધારે હોય છે. એટલે જ તેમને વામન કદના વિશાળ તારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે પ્રદેશોમાં હજારોની સંખ્યામાં નાના અવકાશી તત્વો ઉપરાંત નાના અવકાશી પદાર્થોની વસતી પણ રહેલી છે. જેમાં કોમેટ્સ, સેન્ટાર્સ અને અંતિરક્ષની રજકણોનો સમાવેશ થાય છે. આ પદાર્થો બંને પ્રદેશોની વચ્ચે મુક્તપણે અવર-જવર કરતાં હોય છે. 

સૂર્ય પવનોમાં આયન અને વીજાણુઓની સરખી સંખ્યા ધરાવતો વાયુ ધરાવે છે. આ વાયુ તારાઓની વચ્ચેના રહેલા માધ્યમમાં એક પરપોટાનું નિર્માણ કરે છે જેને હિલિઓસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિસ્તરણ સમતળ સપાટી સુધી થાય છે. પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ લાંબાગાળાના ધૂમકેતુના સ્રોત તરીકેની ભૂમિકા ભજવે છે. આ વાદળ હિલોસ્ફિયર કરતાં હજારો ગણું દૂર હોઇ શકે છે. છ ગ્રહો અને ત્રણ દ્વાર્ફ ગ્રહોની ફરતે કુદરતી ઉપગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. સામાન્યતઃ તેમને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ચંદ્ર બાદ તમામ ચાર બહારના ગ્રહો અવકાશી રજકણ અને અન્ય પદાર્થોથી બનેલી રિંગથી ઢંકાયેલા હોય છે.

હજારો વર્ષો સુધી માનવજાતિમાં કેટલાક અપવાદોને બાદ કરતાં સૂર્યર્મંડળના અસ્તિત્વનો કોઇને ખ્યાલ નહોતો. તેઓ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને તે બ્રહ્માંડની મધ્યમાં આવેલી છે. તેમજ અવકાશમાં વિહરતા પવિત્ર પદાર્થોથી તે નિરપવાદપણે અલગ છે.  જોકે ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ અને ગ્રીકના તત્વચિંતક એરિસ્ટ્રેશસ ઓફ સામોસે સૂર્યકેન્દ્રી બ્રહ્માંડ અંગેનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ નિકોલસ કોપરનિકસ ગાણિતિક દ્રષ્ટિએ સૂર્યકેન્દ્રી વ્યવસ્થાનું ભાવિ ભાખનાર પ્રથમ વૈજ્ઞાનિક હતો.  સત્તરમી સદીના તેના અનુગામીઓ ગેલિલિયો ગેલિલી,જ્હોન્સ કેપલર અને આઇસેક ન્યૂટન આ બધાએ ભૌતિકશાસ્ત્ર અંગેની સમજ ઊભી કરી હતી જેના કારણે ધીમે-ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેમજ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવી જ રીતે અન્ય ગ્રહો પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તાજેતરના સમયમાં ટેલિસ્કોપમાં આવેલાં પરિવતર્નો અને માનવરહિત અવકાશયાનના ઉપયોગ મારફતે ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા ખડકો અને ક્રેટર્સ જેવા ભૂસ્તરશાસ્ત્રને લગતા પદાર્થોના અભ્યાસ અને સંશોધન સક્ષમ બન્યાં છે. આ ઉપરાંત ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા વાદળો, રજકણનાં તોફાનો અને આઇસ કેપ્સ જેવા મોસમગત સંશોધનો પણ સરળ બન્યાં છે.

સૂર્યમંડળનો મુખ્ય ઘટક સૂર્ય છે. સૂર્યમંડળનો જી2 પ્રકારનો આ  મંડળના 99.86 ટકા જેટલા ભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેમના ઉપર ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભુત્વ ધરાવે છે.  સૂર્યની ભ્રમણકક્ષાના ચાર મુખ્ય અંગો છે. ગેસના ગોળાઓ બાકીના 99 ટકા પદાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પણ ગુરૂ અને શનિનું પ્રદાન 90 ટકા જેટલું રહેલું છે. 

સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા વિશાળ કદના પદાર્થો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેલા છે. જેને કાન્તિવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે.  ગ્રહો કાન્તિવૃત્તની ખૂબ જ નજીક આવેલા હોય છે જ્યારે ધૂમકેતુઓ અને ક્વાઇપર પટ્ટે તેના કરતાં નોંધપાત્ર રીતે દૂર આવેલો છે. તમામ ગ્રહો અને મોટા ભાગના અન્ય અવકાશી પદાર્થો સૂર્યની સાથે જ અને તેની દિશામાં જ પરિભ્રમણ કરે છે. (સૂર્યના ઉત્તર ધ્રુવ ઉપરથી જોઇ શકાય છે તે રીતે દક્ષિણાવર્ત).  જોકે આમાં હેલીના ધૂમકેતુ જેવા અપવાદો પણ છે. વધારે પડતાં અંતર સાથે તાલ મિલવવા માટે સૂર્યમંડળના ઘણા અવકાશી પદાર્થો સરખા અંતરે આવેલા હોય છે.  હકીકતમાં જોઇએ તો થોડા અપવાદો સાથે ગ્રહો કે પટ્ટાનું અંતર સૂર્યથી અને તેની આગલી ભ્રમણકક્ષાથી વધારે હોય છે.  દા.ત. શુક્ર બુધ કરતાં સૂર્યથી 0.33 એસ્ટ્રો યુનિટ (એયુ) (AU) દૂર આવેલો છે. જ્યારે શનિ ગુરૂ કરતાં 4.3 એયુ અને નેપ્ચ્યુન યુરેનસ કરતા 10.5 એયુ દૂર આવેલો છે.  ભ્રમણ કક્ષા વચ્ચે રહેલાં અંતર વચ્ચેનો સહસબંધ જાણવા અંગેના ટિટિયસ બોડે નિયમ જેવા પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ કોઇ ચોક્કસ અભ્યાસને માન્યતા આપીને સ્વીકારવામાં આવ્યો નથી.

કેપલરના ગ્રહોની ગતિના નિયમમાં સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા પદાર્થોની ભ્રમણ કક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેપલરના નિયમ અનુસાર દરેક પદાર્થ સૂર્ય સાથે એક જ કેન્દ્રની આસપાસ દીર્ઘ વર્તુળાકારે ફરે છે.  નાની તેમજ મધ્યમ ધરી ધરાવનારા અને સૂર્યની નજીક રહેલા ગ્રહોનાં વર્ષો ટૂંકા હોય છે.  લંબગોળાકારે પરિભ્રમણ દરમિયાન દરેક ગ્રહનું સૂર્યથી અંતર તેનાં વર્ષોને આધારે અલગ અલગ થાય છે.  જ્યારે કોઇ ગ્રહ સૂર્યની સૌથી વધુ નજીક આવી જાય તેને  પેરિહિલિયન  કહેવામાં આવે છે જ્યારે તે સૂર્યથી ખૂબ જ દૂર જતો રહે તેને એફેલિયન  કહેવામાં આવે છે.  પેરિહિલિયન દરમિયાન દરેક ગ્રહો ઝડપી ગતિએ ભ્રમણ કરતા હોય છે જ્યારે એફિલિયન દરમિયાન તેઓ ધીમી ગતિએ પરિભ્રમણ કરતા હોય છે.  મોટાભાગના અવકાશી પદાર્થોની ભ્રમણકક્ષા લગભગ ગોળાકાર જેવી હોય છે પરંતુ ધૂમકેતુઓ, એસ્ટોઇડ્સ અને ક્વાઇપર પટ્ટામાં રહેલા અવકાશી પદાર્થો અતિશય લંબગોળાકારે પરિભ્રમણ કરતા હોય છે. 

સૂર્યમંડળમાં રહેલા દરેક ગ્રહોને પોતાનું એક ગૌણ મંડળ પણ હોય છે.  ઘણા બધા પદાર્થો ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે જેમને કુદરતી ઉપગ્રહો અથવા તો ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકીના કેટલાક તો બુધ ગ્રહ કરતાં પણ વિશાળ હોય છે. મોટાભાગના વિશાળ કુદરતી ઉપગ્રહો સરખી ગતિએ ફરતા હોય છે તેમનો એક ભાગ તે જે ગ્રહની આસપાસ ફરતો હોય તેની તરફ રહે છે.  ચાર વિશાળ ગ્રહોને એટલે કે ગેસના ગોળાઓને ફરતે અવકાશી પદાર્થોથી બનેલી એક રિંગ આવેલી હોય છે. આ રિંગો અવકાશી પદાર્થોની બનેલી પાતળી પટ્ટી જેવી હોય છે અને તે ગ્રહોને ફરતે એકાકારે ફરતી હોય છે. 

કેટલીક વખત સૂર્યમંડળને વિવિધ પ્રાંતોમાં વહેંચવામાં આવે છે. અંદરનાં સૂર્યમંડળમાં ચાર ટેરેસ્ટેરિયલ એટલે કે પાર્થિવ ગ્રહો અને મુખ્ય એસ્ટરોઇડ પટ્ટાનો સમાવેશ થાય છે.  ચાર ગેસના વિશાળ ગોળાઓ સહિતનું બહારનું સૂર્યમંડળ એસ્ટરોઇડ પટ્ટાની બહાર આવેલું હોય છે.  સૂર્યમંડળના સૌથી બહારના કે દૂરના ભાગ તરીકે ક્વાઇપર પટ્ટાને ઓળખવામાં આવે છે. આ પટ્ટો સ્પષ્ટપણે જોઇ શકાય તેવો છે અને તેમાં નેપ્ચ્યુનની પેલે પાર આવેલા પદાર્થોનો સમાવેશ થાય છે. 

ગતિની દૃષ્ટિએ અને સ્થૂળ રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થોનું વર્ગીકરણ ત્રણ ભાગમાં કરી શકાય ગ્રહો , દ્વાર્ફ ગ્રહો  અને સૂર્યમંડળના નાના પદાર્થો . ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એ પ્રકારનો પદાર્થ છે કે જેની પાસે પોતાને ગોળાકાર આકાર આપવા માટે પૂરતાં તત્વો ધરાવે છે અને તેણે તેની આસપાસના નાના અવકાશી પદાર્થોને સાફ કરી નાખ્યા છે.  આ વ્યાખ્યા અનુસાર જોવામાં આવે તો સૂર્ય મંડળમાં 8 જાણીતા ગ્રહો આવેલા છે  બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન.   આ વ્યાખ્યા પ્લુટોને લાગુ નથી પડતી, કારણ કે તેણે તેની ભ્રમણ કક્ષામાં રહેલા અવકાશી પદાર્થોને સાફ નથી કર્યા.  દ્વાર્ફ ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એવો અવકાશી પદાર્થ છે કે જે પોતાના ગુરૂત્વાકર્ષણ બળને આધારે પરિભ્રમણ કરવાને સક્ષમ છે પરંતુ તેણે તેની આસપાસના અવકાશી પદાર્થોના સમૂહને સાફ નથી કર્યા તેમજ તે ઉપગ્રહ પણ નથી. આ વ્યાખ્યા પ્રમાણે જોઇએ તો સૂર્યમંડળમાં કુલ પાંચ દ્વાર્ફ ગ્રહો આવેલા છે. સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ ભવિષ્યમાં કેટલાક અવકાશી પદાર્થોને પણ દ્વાર્ફ ગ્રહો તરીકે ગણવામાં આવી શકે છે જેમાં સેધા, ઓર્કસ અને ક્વાઓરનો સમાવેશ થાય છે.  જે દ્વાર્ફ ગ્રહો ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશમાં પરિભ્રમણ કરે છે તેમને પ્લુટોઇડના નામે ઓળખવામાં આવે છે. આ સિવાયના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહેલા અવકાશી પદાર્થોને સૂર્યમંડળના નાના પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે.

ખગોળ વૈજ્ઞાનિકો સૂર્યમંડળમાં મળી આવેલા વિવિધ પદાર્થોને ધ્યાનમાં રાખીને ગ્રહોનું વર્ગીકરણ કરતી વખતે વાયુ , બરફ  અને ખડક  જેવી પરિભાષાનો પ્રયોગ કરે છે. ખડક  શબ્દનો પ્રયોગ ઊંચુ તાપમાન ધરાવતા વરાળ જેવા પદાર્થોથી બનેલા તત્વોના કે ગલનબિંદુના વર્ણન માટે વાપરવામાં આવે છે. આ પ્રકારના તત્વો અવકાશી પદાર્થોના સમૂહની વચ્ચે તમામ પ્રકારની સ્થિતિમાં સખત રહે છે. ખડકોમાં રહેલા પદાર્થોમાં સિલિકેટ્સ અને નિકલ તેમજ લોખંડ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે. સામાન્યતઃ અંદરના સૂર્યર્મંડળમાં અમુક વસ્તુઓ સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ તેનાથી બનેલા હોય છે. વાયુઓ  અત્યંત નીચું ગલનબિંદુ અને વરાળનું ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા પદાર્થો છે. જેમાં રાસાયણિક રૂપલ ગુમાવ્યા વિનાનો હાઇડ્રોજન, હિલિયમ, નિયોન વગેરેનો સમાવેશ થાય છે. આ પદાર્થો અવકાશના ગેસવાળા વિસ્તારોમાં રહે છે. આ તમામ સૂર્યમંડળના મધ્યભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે જેમાં ગુરૂ અને શનિનો સમાવેશ થાય છે. પાણી, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા બરફ નું ગલનબિંદુ અમુક સો કેલ્વિન જેટલું હોય છે. જ્યારે તેમની કળા પરિસરતું દબાણ અને તાપમાન ઉપર આધાર રાખે છે. આ તમામ પદાર્થો સૂર્યમંડળની વિવિધ જગ્યાઓ ઉપર બરફ, પ્રવાહી અને વાયુના સ્વરૂપે જોવા મળે છે. જ્યારે સૂર્યમંડળથી દૂરના પ્રદેશોમાં તેઓ સખત કે ગેસવાળા પદાર્થો તરીકે જોવા મળે છે. મોટા ભાગના વિશાળ ઉપગ્રહો ઉપર બર્ફીલા પદાર્થો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત યુરેનસ અને નેપ્ચ્યુન (કહેવાતા બરફના વિશાળ ગોળાઓ) ઉપરાંત નેપ્ચ્યુનની પેલે પાર રહેલા અસંખ્ય અવકાશી પદાર્થો ઉપર તે જોવા મળે છે. ગેસ અને બરફ બંનેને સંયુક્ત રીતે વોલેટાઇલ એટલે કે અસ્થિર  તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્ય એ સૂર્યમંડળનો એક તારો છે. તે તેના મુખ્ય ઘટકોથી દૂર આવેલો છે. તેનું વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના ગર્ભ|વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના સૂર્યમંડળ#cite note-16|[16]વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના ગર્ભમાં તાપમાન અને ઘનત્વ પેદા કરે છે જે પરમાણુ સંયોજનનો ભાર ઝીલવાને સક્ષમ હોય છે. સૂર્ય પ્રચંડ ઉર્જા પેદા કરે છે. મોટાભાગની ઊર્જા અવકાશમાં રેલાઇ જતી હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી 400 થી 700 NM બેન્ડ જેટલો પ્રકાશ ઉત્પાન્ન થાય છે જેને આપણે દૃશ્યમાન પ્રકાશ તરીકે ઓળખીએ છીએ.

સૂર્યનું વર્ગીકરણ પીળા રંગના દ્વાર્ફ ગ્રહ તરીકે જી2 પ્રકારના તારા તરીકે કરી શકાય. પરંતુ આના કારણે ગેરસમજ થશે કારણ કે આપણી આકાશગંગાના મોટાભાગના તારાઓ આ જ પ્રકારના છે. સૂર્ય તેના કરતા જરા વિશાળ અને વધારે પ્રકાશમાન છે. તારાઓનું વર્ગીકરણ હર્ટ્ઝસ્પ્રુન્ગ રસેલની આકૃતિ પ્રમાણે કરી શકાય. આ આકૃતિ તારાની જમીન પર તેના તાપમાનની સરખામણીએ તેની તેજસ્વીતા દર્શાવે છે. સામાન્યતઃ ગરમ તારાઓ વધારે તેજસ્વી હોય છે. તારાઓ દ્વારા અનુસરવામાં આવતી આ પ્રક્રિયાને મુખ્ય ઘટના ક્રમ કહેવામાં આવે છે. સૂર્ય બરાબર તેની મધ્યમાં રહેલો હોય છે. જોકે સૂર્ય કરતાં પણ તેજસ્વી અને ગરમ તારાઓ ખૂબ જ ઓછા છે. પરંતુ નોંધપાત્ર રીતે ઝાંખા અને ઠંડા તારાઓને લાલ દ્વાર્ફ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ગ્રહો સામાન્ય છે. આકાશગંગામાં લગભગ 85 ટકા આ પ્રકારના ગ્રહો આવેલા છે.

એમ માનવામાં આવે છે કે સૂર્ય મુખ્ય ઘટના ક્રમમાં તેની સ્થિતિ તેને તારાઓના જીવનનો અગત્યનો સ્રોત બનાવે છે. આ કારણોસર તેણે તેનું પરમાણુ સંયોજન માટે જરૂરી એવું હાઇડ્રોજનનું તત્વ ગુમાવ્યું નથી. સૂર્યની તેજસ્વિતા સતત વિકાસ પામતી રહી છે. અગાઉ તેના ઇતહાસમાં સૂર્ય આજે જેટલો છે તેના કરતા 70 ટકા જેટલો તેજસ્વી હતો.

સૂર્ય એ પોપ્યુલેશન I પ્રકારનો તારો છે. તેનો ઉદ્ભવ બ્રહ્માંડના વિકાસના અંતિમ ચરણમાં થયો હતો. અને તેથી જ તે જૂના પોપ્યુલેશન II ગ્રહોની સરખામણીએ હાઇડ્રોજન, ધાતુઓ (ખગોળીય ભાષામાં) અને હિલિયમ કરતાં વધારે ભારે પદાર્થો ધરાવે છે. હાઇડ્રોજન અને હિલિયમ કરતા પણ ભારે તત્વોનું નિર્માણ જૂના તેમજ ધડાકા સાથે ફાટતા તારાઓના ગર્ભમાં થાય છે. એટલે બ્રહ્માંડ જ્યારે નવાતારાઓથી ભરાઇ જાય ત્યારે જૂના તારાઓ નષ્ટ થઇ જશે. જૂના તારાઓમાં ધાતુઓનું પ્રમાણ ઓછુ હોય છે જ્યારે નવા તારામાં તેનું પ્રમાણ વધારે હોય છે. ધાતુનું વધારે પડતું પ્રમાણ સૂર્ય માટે ગ્રહમંડળની રચનામાં મહત્તવનું સાબિત થાય છે. કારણ કે ગ્રહોનું નિર્માણ દ્રવ્ય પ્રકારના ધાતુઓથી થતું હોય છે.

પ્રકાશ ઉપરાંત સૂર્ય સતત સૂક્ષ્મકણોથી બનેલા પવનો રેલાવતો રહે છે જેને સૂર્યપવનના નામે ઓળખવામાં આવે છે. આ સૂક્ષ્મકણોનો પ્રવાહ અંદાજે 15 લાખ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય છે. જેના કારણે સૂક્ષ્મ વાતાવરણ (હિલોસ્ફિયર)નું નિર્માણ થાય છે. રજકણોનો આ પ્રવાહ સૂર્યમંડળને કમ સેકમ 100 AU બહાર લઇ જાય છે. (જુઓ હેલિયોપોઝ) આને આંતરગ્રહીય માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની સપાટી ઉપર આવતા સોલાર ફ્લેર અને કોરોનલ માસ ઇજેક્શન જેવા ચુંબકીય તોફાનો હિલોસ્ફિયરને અવકાશનું વાતાવરણ નિર્માણ કરવામાં નડતરરૂપ બને છે. હિલોસ્ફિયરમાં રહેલું સાૈથી વિશાળ માળખું હિલોસ્ફેરિક કરન્ટ શીટ તરીકે ઓળખાય છે. શંકુ અાકારના ગૂંચળા જેવો અવકાશી પદાર્થ આંતરગ્રહીય માધ્યમ ઉપર રહેલા સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાંથી બને છે.

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના વાતાવરણને સૂર્યપવનોથી ધોવાઇ જતાં બચાવે છે. શુક્ર અને મંગળને પોતાનાં ચુંબકીય ક્ષેત્ર હોતા નથી જેના કારણે સૂર્યપવન તેના વાતાવરણને અવકાશમાં દૂર સુધ ઢસડી જાય છે. કોરોનલ માસ ઇજેક્શન અને તેના જેવી ઘટનાઓ સૂર્યની સપાટી ઉપરથી ચુંબકીય ક્ષેત્રોને સાફ કરી નાખે છે તેમજ જંગી જથ્થામાં વિવિધ પ્રકારના પદાર્થોને ફૂંકી મારે છે. આ ચુંબકીય ક્ષેત્રોની જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રતિક્રિયા થાય છે ત્યારે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં આ કણોની પ્રતિક્રિયા થાય છે જેના પરિણામે ચુંબકીય ધ્રુવની નજીક જોવા મળતા ઓરોરેનું નિર્માણ થાય છે.

બ્રહ્માંડના કિરણોનો ઉદ્ભવ સૂર્યમંડળની બહાર થાય છે. હિલોસ્ફિયર સૂર્યમંડળ અને ગ્રહોનાં (જે ગ્રહોને પોતાના ચુંબકીય ક્ષેત્રો હોય છે તેવા ગ્રહોના) ચુંબકીય વિસ્તારોનું આંશિક રીતે રક્ષણ કરે છે. તેમજ તેમને સુરક્ષા પણ પૂરી પાડે છે. બ્રહમાંડના ઇન્ટરસ્ટેલરમાં રહેલા કિરણોની ક્ષમતા અને સૂર્યના ચુંબકીય ક્ષેત્રોની તાકાત લાંબા સમયગાળા ાદ હદલાય છે. એટલે સૂર્યમંડળમાં કોસ્મિક રેડિયેશનનું પ્રમાણ બદલાતું રહે છે જોકે તે કટલા પ્રમાણમાં બદલાય છે તે જાણી કાયું નથી. 

આંતરગ્રહીય માધ્યમ એ બ્રહ્માંડની રજકણોથી બનેલા અને થાળી જેવો આકાર ધરાવતા કમ સેકમ બે પ્રાંતોનું ઘર છે. તેમાંનો પ્રથમ પ્રાંત ઝોડિયેકલ રજકણોથી બનેલાં વાદળોનો બનેલો હોય છે જે સૂર્યમંડળના અંદરના ભાગમાં આવેલો હોય છે અને જેનાં પરિણામે ઝોડિયેકલ પ્રકાશનું નિર્માણ થાય છે. તેનું ઉદ્ભવ સ્થાન એસ્ટરોઇડ પટ્ટામાં ઊભા થતા પ્રતિરોધને કારણે થતું હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિરોધ ગ્રહો સાથે સંપર્ક થવાને કારણે થાય છે. જ્યારે બીજા પ્રાંતનો ઉદ્ભવ 10થી 40 પ્રકાશવર્ષ દૂર ક્વાઇપર પટ્ટામાં થતાં આ જ પ્રકારનાં પ્રતિરોધથી થાય છે.

જે પ્રાંતમાં પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ આવેલા છે તેવા પ્રાંતનું પરંપરાગત નામ આંતરિક સૂર્યમંડળ છે. મુખ્યત્વે સિલિકેટ અને ધાતુઓથી બનેલા આંતરિક સૂર્યમંડળના તમામ પદાર્થો સૂર્યની વધારે નજીક આવેલા છે.

અંદરના ચાર પાર્થિવ ગ્રહોનું બંધારણ ઘન અને ખડકોનું હોય છે. આ ગ્રહોને ઓછા ચંદ્ર હોય છે અથવા તો હોતા જ નથી તેમજ તેમની ફરતે રિંગ પણ હોતી નથી. તેઓ મુખ્યત્વે ઉષ્ણ પ્રતિકારક પદાર્થો જેવા કે સિલિકેટ કે જે તેમના ઉપરના પોપડાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત તેઓ પ્રવાહી અને લોખંડ અને નિકલ જેવી ધાતુઓના બનેલા હોય છે કે જે તેમના ગર્ભનું નિર્માણ કરે છે. અંદરની ભાગે આવેલા ચાર પૈકી ત્રણ ગ્રહો શુક્ર, પૃથ્વી અને મંગળને સુવ્યવસ્થિત વાતાવરણ હોય છે. તમામ ગ્રહોને જ્વાળામુખીનાં મુખો, ટેક્ટોનિક ઉપરાંત ભૂમિગત લાક્ષણિકતાઓ જેવી કે ખીણ અને જ્વાળામુખીઓ વગેરે હોય છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે આંતરિક ગ્રહો  અને લઘુ ગ્રહો  વચ્ચે તફાવત છે જે અંગે ગેરસમજ ન થવી જોઇએ. આંતરિક ગ્રહો જે ગ્સૂરહો પૃથ્વી કરતાં સૂર્નીયની વધારે નજીક આવેલા  ગ્રહોને કહેવામાં આવે છે. (દા. ત. બુધ અને શુક્ર)

મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો પટ્ટો (એસ્ટરોઇડ) સૂર્યમંડળના નાના અવકાશી પદાર્થોનો સમૂહ છે. આ પદાર્થો મુખ્યત્વે ઉષ્ણતાના પ્રતિરોધક, ખડકો અને ધાતુઓ જેવા ખનીજના બનેલા છે.એસ્ટરોઇડ પટ્ટાનો મુખ્ય ભાગ મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો છે. તે સૂર્ય કરતાં 2.3થી 3.3 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. ગુરૂના ભારે ગુરૂત્વાકર્ષણને કારણે સૂર્યમંડળ તેના આસપાસના તમામ પદાર્થોને એકત્રિત કરી રાખવામાં નિષ્ફળ જાય છે.

સ્ટરોઇડનું કદ માઇક્રોસ્કોપિકથી અમુક સો કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. સમગ્ર એસ્ટરોઇડ વિશાળ કદના સેરેસને બચાવે છે. જેનું વર્ગીકરણ સૂર્યમંડળના નાના પદ્રાથો તરીકે કરવામાં આવે છે. પરંતુ વેસ્ટા, હાઇજિયા, વગેરે જેવા કેટલાક એસ્ટરોઇડ સ્થિરપ્રવાહીતા જેવું સંતુલન જાળવવામાં પાર ઉતરે તો તેમનું વર્ગીકરણ બદલીને દ્વાર્ફ ગ્રહો તરીકે પણ કરવામાં આવે છે.

એસ્ટરોઇડ પટ્ટો પોતાના એક કિલોમિટરના વ્યાસમાં જ હજારો અને કરોડોની સંખ્યામાં અવકાશી પદાર્થો ધરાવે છે. આમ છતાં પણ મુખ્યપટ્ટામાં રહેલા પદાર્થો પૃથ્વીની ફરતે રહેલા પદાર્થોના હજારમાં ભાગ જેટલા પણ નહીં હોય. મુખ્યપટ્ટા ઉપર રહેલા અવકાશી પદાર્થો ખૂબ જ છૂટાછવાયયેલા હોય છે. અવકાસયાન તેની વચ્ચેથી વિના કોઇ અકસ્માતે પસાર થઇ શકે છે. 10 અને 10-4 એમ જેટલો વ્યાસ ધરાવતા એસ્ટરોઇડને મિટરોઇડ કહેવામાં આવે છે.

ટ્રોજાન એસ્ટરોઇડ ગુરૂના L4 અથવા તો L5 બિંદુઓ પાસે આવેલો હોય છે. (ગુરૂત્વાકર્ષણની દ્રષ્ટિએ આ વિસ્તાર સ્થિર માનવામાં આવે છે. તે ગ્રહોને પોતાની ભ્રમણ કક્ષામાં રાખે છે.) ટ્રોજાન શબ્દનો પ્રયોગ નાના અવકાશી પદાર્થો અને ઉપગ્રહ લેગ્રેન્જ પોઇન્ટ માટે પણ પ્રયોજવામાં આવે છે. હિલ્દા એસ્ટરોઇડ્સ ગુરૂ સાથે 2:3 રેઝનન્સ ઉપર આવેલા હોય છે. જેના કારણે તેઓ ગૂરૂના દર બે પરિભ્રમણે સૂર્યના ત્રણ પરિભ્રમણ કરે છે.આંતરિક સૂર્યમંડળ રોગ એસ્ટરોઇડથી પણ ઘેરાયેલું હોય છે. જેમાંના કેટલાક ગ્રહો આંતરિક ગ્રહોની ભ્રમણ કક્ષા ઓળંગી જતા હોય છે.

સૂર્યમંડળની બહારની બાજુએ આવેલો વિસ્તાર ગેસના ગોળાઓનું અને તેમના વિશાળ ચંદ્રોનું આશ્રયસ્થાન છે. સેન્ટોર્સ સહિતના અલ્પજીવી ધૂમકેતુઓ આ પ્રાંતમાં પરિભ્રમણ કરતા હોય છે. સૂર્યથી ખૂબ જ દૂરના અંતરે હોવાને કારણે બાહ્ય સૂર્યમંડળના અવકાશી પદાર્થો બરફ ના (જેમ કે પાણી, એમોનિયા, મિથેન વગેરે જેવા પદાર્થોને ખગોળીય વિજ્ઞાનની ભાષામાં બરફ કહેવામાં આવે છે.) બનેલા હોય છે. જ્યારે આંતરિક સૂર્યમંડળના ગ્રહો ખડકોના બનેલા હોય છે. બાહ્ય સૂર્યમંડળનું તાપમાન ખૂબ જ નીચું હોવાને કારણે આ પદાર્થો બરફની જેમ જામી રહે છે. 

ચાર બાહ્ય ગ્રહો અથવા તો ગેસના ગોળાઓ (ક્યારેક તેમને જોવેઇન ગ્રહો પણ કહેવામાં આવે છે.) સંયુક્ત રીતે જોઇએ તો સૂર્યની પરિભ્રમણ કક્ષાનો લગભગ 99 ટકા વિસ્તાર આવરી લે છે. ગુરૂ અને શનિ પ્રચુર માત્રામાં હાઇડ્રોજન અને હિલિયમનો જથ્થો ધરાવે છે. જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન પુષ્કળ માત્રામાં બરફ ધરાવે છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓએ એવું સૂચન કર્યું હતું કે તેમને વિશાળ બરફના ગોળાઓ તરીકે ઓળખવા જોઇએ. ગેસના વિશાળ એવા દરેક ગોળાઓની ફરતે વલયો આવેલા છે પરંતુ માત્ર શનિને ફરતે આવેલાં વલયોને જ પૃથ્વી ઉપરથી નરી આંખે નિહાળી શકાય છે. બાહ્યગ્રહો ને ગુરૂ ગ્રહો  માની લેવાની ભૂલ ન કરવી જોઇએ.બાહ્ય ગ્રહો એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની બહાર આવેલા ગ્રહો છે જેમાં મંગળ અને બાહ્ય ગ્રહોનો સમાવેશ થાય છે.

ધૂમકેતુઓ એ સૂર્યમંડળમાં આવેલા નાના પદાર્થો છે. તેઓ થોડા કિલોમિટરના અંતરે જ આવેલા છે અને મુખ્યત્વે અસ્થિર બરફના બનેલા હોય છે. તેમની ભ્રમણ કક્ષા ખૂબ જ અનિયમિત હોય છે. સામાન્ય રીતે તેમની ભ્રમણ કક્ષા આંતરિક ગ્રહોની ભ્રમણ કક્ષાની માફક સૂર્યની નજીકમાં નજીકથી લઇને પ્લુટોની પેલે પાર સુધીની હોય છે. ધૂમકેતુ જ્યારે આંતરિક સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્ય સાથેની તેની નિકટતાના કારણે તેની બરફથી બનેલી સપાટી પીગળે છે. જેના કારણે આયન અણુઓ દ્વારા એક કોમા અને ગેસ તેમજ રજકણોની બનેલી એક લાંબી પૂંછડીનું નિર્માણ થાય છે. મોટે ભાગે આ પૂંછડીને નરી આંખે પણ જોઇ શકાય છે.

અલ્પજીવી ધૂમકેતુઓની ભ્રમણ કક્ષાનો સમયગાળો 200 વર્ષ કરતાં ઓછો હોય છે. જ્યારે દીર્ઘાયુ ધૂમકેતુઓની પરિભ્રમણ કક્ષાનો સમયગાળો હજારો વર્ષોનો હોય છે. અલ્પજીવી ધૂમકેતુઓએ ક્ાઇપર પટ્ટાનું સર્જનકર્યું હોવાનું માનવામાં આવે છે જ્યારે હેલી બોપ જેવા દીર્ઘાયુ ધૂમકેતુઓએ ઊર્ટ વાદળનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. ક્રેયુટ્ઝ સનગ્રેઝર્સ જેવા કેટલાક ધૂમકેતુના જૂથોનું સર્જન એક જ ગ્રહના તૂટી પડવાને કારણે થયું હોવાનું અનુમાન છે. શંકુ આકારની પરિભ્રમણ કક્ષા ધરાવતા કેટલાક ધૂમકેતુઓનું સર્જન સૂર્યમંડળની બહાર થયું હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેમની ભ્રમણકક્ષાનું ચોક્કસ માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. સૂર્ય ઊર્જાને કારણે ઘણા ધૂમકેતુઓ ઉપર વરાળ ઉત્પન્ન થતી જોવા મળે છે જેના કારણે તેનો સમાવેશ એસ્ટરોઇડ્ઝમાં પણ કરવામાં આવે છે.

સેન્ટોર્સ એ બર્ફીલા ધૂમકેતુઓ જેવા અવકાશી પદાર્થો હોય છે. તેમની ધરી ગુરૂ કરતા મોટી (5.5 એસ્ટ્રો યુનિટ (AU)) અને નેપ્ચ્યુન કરતા નાની ( 30 પ્રકાશ વર્ષ) જેટલી હોય છે. સહુથી વધુ જાણીતો અને વિશાળ સેન્ટોર્સ 10199 ચારિક્લો છે તેનો વ્યાસ આશરે 250 કિલોમિટરનો છે. પ્રથમ સેન્ટોર તરીકે 2060 શિરોનની શોધ કરવામાં આવી હતી જેનું વર્ગીકરણ ધૂમકેતુ તરીકે પણ કરવામાં આવે છે. (95P) જેવી રીતે ધૂમકેતુ સૂર્યની નજીક જાય તેમ તેમની પૂંછડી લાંબી થતી જાય તેમ શિરોનમાં પણ તે જ લાક્ષણિકતાઓ છે.

નેપ્ચ્યુનથી આગળનો વિસ્તાર અથવા તો ટ્રાન્સ નેપ્ચ્યનિયન પ્રદેશ એવો વિસ્તાર છે કે હજી સુધી આ પ્રાંત બાજુ ખાસ મોટાપાયે નીરિક્ષણ કરવામાં આવ્યું નથી. આ પ્રદેશ કદમાં ખૂબ જ નાનો છે તેનો વ્યાસ પૃથ્વી કરતાં પાંચમા ભાગનો છે અને તેનું કદ ચંદ્ર કરતાં પણ ઓછું છે. તે મુખ્યત્વે ખડકો અને બરફનો બનેલો છે. આ પ્રદેશને ક્યારેક બાહ્ય સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે. જોકે ઘણા લોકો બાહ્ય સૂર્યમંડળ પરિભાષાનો પ્રયોગ એસ્ટરોિડ પટ્ટાની પેલે પાના વિસ્તારો માટે ઉપયોગમાં લેતા હોય છે.

ક્વાઇપર પટ્ટાનાં બંધારણમાં અેસ્ટરોઇડ પટ્ટે જેવા જ કાટમાળથી ભરેલા વલયો આવેલા હોય છે જે બધા મુખ્યત્વે બરફના બનેલા હોય છે. આ તમામ સૂર્યથી 30થી 50 એસ્ટ્રો યુનિટ (AU) દૂર ફેલાયેલા હોય છે. ક્વાઇપર પટ્ટો મુખ્યત્વે સૂર્યમંડળના નાના અવકાશી પદાર્થોનો બનેલો હોય છે પરંતુ તેમાં રહેલા ક્વાઓઆર, વરૂણ અને ઓરકસ જેવા મોટા અવકાશી પદાર્થોને દ્વાર્ફ ગ્રહો તરીકે પમ ઓળખવામાં આવે છે. ક્વાઇપર પટ્ટામાં રહેલા 1 લાખ કરતાં પણ વધારે અવકાશી પદાર્થોનો વ્યાસ 50 કિલોમિટર જેટલો હોય છે પરંતુ સમગ્ર ક્વાઇપર પટ્ટાનું કદ પૃથ્વી કરતાં 10 કે 100 માસ ઓછું માનવામાં આવે છે. ક્વાઇપર પટ્ટામાં રહેલા ઘણા અવકાશી પદાર્થોને બહુવિધ ઉપગ્રહો હોય છે. આ પૈકીના મોટાભાગના ઉપગ્રહોની ભ્રમણકક્ષા તેમને કાન્તિવૃત્તની બહાર લઇ જાય છે.

ક્વાઇપર પટ્ટાને ક્લાસિકલ અને રેઝનન્સિસ એમ બે ભાગમાં વહેચવામાં આવે છે. રેઝનન્સની ભ્રમણ કક્ષા નેપ્ચ્યુન સાથે સંકળાયેલી છે. (દા. ત. નેપચ્યુનની ત્રણ ભ્રમણ કક્ષાએ બે અવા તો દર બે ભ્રમણ કક્ષાએ એક) પ્રથમ રેઝનન્સની શરૂઆત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાંથી જ થાય છે. ક્લાસિકલ પટ્ટામાં એ પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે કે જેમને નેપ્ચ્યુન સાથે કોઇ રેઝનન્સ નથી તેઓ 39.4થી 47.7 એસ્ટ્રો યુનિટ (AU) સુધી ફેલાયેલા હોય છે. પ્રથમ વખત જ્યારે શોધ થઇ ત્યારે ક્લાસિકલ ક્વાઇપર પટ્ટામાં રહેલા પદાર્થોનું વર્ગીકરણ ક્યુબ્યુનોસ તરીકે પણ કરવામાં આવ્યું હતું. તેમની ભ્રમણકક્ષા હજી પણ ઓછી અનિયમિત માનવામાં આવે છે.

સ્કેટર્ડ ડિસ્ક ક્વાઇપર પટ્ટાને ઢાંકી દે છે અને તે ખૂબ જ દૂર સુધી ફેલાયેલી છે. અલ્પજીવી ધૂમકેતુઓના ઉદ્ભવ સ્થાન તરીકે તેની ગણના કરવામાં આવે છે. નેપ્ચ્યુનની અગાઉ બહારની તરફ કરવામાં આવેલી હિજરતને કારણે તેના ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઇને સ્કેટર્ડ ડિસ્કના અવકાશી પદાર્થોની પરિભ્રમણ કક્ષા અવ્યવસ્થિત બની ગઇ હોવાનું માનવામાં આવે છે. સ્કેટર્ડ ડિસ્કના મોટાભાગના પદાર્થો (એસઓડી)નો પેરિહિલિયા ક્વાઇપર પટ્ટામાં આવેલો હોય છે પરંતુ તેમનો એફેલિયા સૂર્યથી 150 પ્રકાશવર્ષ જેટલો દૂર આવેલો છે. એસઓડીની ભ્રમણ કક્ષા કાન્તિવૃત્ત તરફ નમેલી હોય છે. મોટાભાગે તે લંબગોળાકારની હોય છે. કેટલાક ખગોળ શાસ્ત્રીઓ સ્કેટર્ડ ડિસ્કને ક્વાઇપર પટ્ટાનો બીજો પ્રાંત માનતા નથી અને તેઓ સ્કેટર્ડ ડિસ્કના અવકાશી પદાર્થોને સ્કેટર્ડ ક્વાઇપર પટ્ટાના અવકાશી પદાર્થો તરીકે ઓળખે છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓ સેન્ટોર્સનું વર્ગીકરણ પણ ક્વાઇપર પટ્ટાની અંદરની બાજુએ આવેલા પદાર્થો તરીકે કરે છે.એવા અવકાશી પદાર્થો કે જે સ્કેટર્ડ ડિસ્કમાં જેમનું ઠેકાણું બહારની બાજુએ આવેલું હોય.

સૂર્યમંડળના અંત અને તારાઓ વચ્ચેનું અંતરિક્ષ શરૂ થવાના બિંદુ ઉપર આવેલી જગ્યાની સ્પષ્ટ વ્યાખ્યા આપી શકાઇ નથી. જોકે તેની સીમારેખાઓનું નિર્માણ સૂર્યપવનો અને સૂર્યના ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવે છે. સૂર્યપવનોનો પ્રભાવ સૂર્યથી પ્લુટોના અંતર કરતાં ચારગણો વધારે દૂર સુધી ફેલાયેલો હોય છે. આ હેલિયોપોઝ ને તારાઓ વચ્ચેના માધ્યમની શરૂઆતનો ભાગ માનવામાં આવે છે. જોકે સૂર્યનું રોશેસ્ફિયર, તેના ગુરૂત્વાકર્ષણની પ્રભુત્વતા તેના કરતા હજારો ગણી દૂર ફેલાયેલી હોવાનું માનવામાં આવે છે.

હેલિયોસ્ફિયરને બે અલગ પ્રાંતમાં વહેચવામાં આવે છે. તારાઓ વચ્ચે રહેલી જગ્યા (ઇન્ટરસ્ટેલર)ના પવનો જે ઇન્ટર સ્ટેલર મિડિયમમાં ફૂંકાતા વાયુઓ છે. તેની સાથે અથડાય નહીં ત્યાં સુધી સૂર્ય પવનોની ઝડપ અંદાજે 400 કિ.મિ. જેટલી હોય છે. આ બંને પવનો વચ્ચેની અથડામણ ટર્મિનેશન શોકમાં થાય છે. આ ઘટના ઇન્ટર સ્ટેલર માધ્યમથી 80થી 100 એસ્ટ્રો યુનિટ (AU) ઉપર વહેતા સૂર્ય પવનો અને નીચેથી વહેતા સૂર્ય પવનોથી 200 પ્રકાશ વર્ષ દૂર બને છે. અહીં પવન નાટકીય ઢબે ધીમો પડી જાય છે અને તે સંકોચાઇને વધુ તોફાની બને છે.અહીં તે મોટા ઇંડાકાર માળખાંની રચના કરે છે જેને હેલિયોશિથના નામથી ઓળખવામાં આવે છે. તેનો દેખાવ અને તેમાં થતી પ્રક્રિયા ધૂકેતુંની પૂંછડી જેવી હોય છે. તે ઉપરના સૂર્યપવનોથી 40 પ્રકાશવર્ષ પરંતુ તેની પૂંછડી ઘમી વખત નીચેના પવનો તરફ વળેલી હોય છે. વોયેજર 1  અને વોયેજર 2 એ ટર્મિનેશન શોક પસાર કરીને હિલિયોશિથમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્યથી વોયેજર 1નું અંતર 94 એસ્ટ્રો યુનિટ (AU) અને વોયેજર 2નું અંતર 84 પ્રકાશ વર્ષનું છે. હિલિયોસ્ફિયરની સીમારેખા તરીકે ઓળખાતા હેલિયોપોઝને એક એવું બિંદુ માનવામાં આવે છે કે જ્યાં સૂર્યપવનોનો અંત આવે છે અને તારાઓ વચ્ચેનાં અવકાશ (ઇન્ટર સ્ટેલર સ્પેસ)ની શરૂઆત થાય છે.

હિલોસ્ફિયરની બહારની ધરીનો આકાર તેમજ તેનું બંધારણ ઇન્ગટર સ્તિટેલર મિડિયમ સાથેના સંપર્શીકથી ઉદદ્ભવનારા ગતિશીલ પ્રવાહીથી અસરગ્રસ્ત છે. તેવી જ રીતે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ઉપર પ્રભુત્વ ધરાવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો આકાર ઉત્તરીય હેમિસ્ફિયરમાં થાય છે. જે દક્ષિણ હેમિસ્ફિયરથી 9 એસ્ટ્રો યુનિટ (AU) અંદાજે 90 કરોડ માઇલ) દૂર આવેલું છે.   હેલિયોપોઝથી 230 એસ્ટ્રો યુનિટ (AU)ના અંતરે બો શોક આવેલું છે. એવા પ્રકારની રજકણોનો બનેલો અવકાશી પદાર્થ કે જે સૂર્ય આકાશ ગંગામાંથી પસાર થતી વખતે છોડતો જાય છે.

હેલિયોપોઝની પેલેપાર કોઇ જ અવકાશ યાન જઇ શક્યું નથી એટલે સ્થાનિક ઇન્ટર સ્ટેલર સ્પેસની સ્થિતિ કેવી છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી. એવી આશા રાખવામાં આવી રહી છે કે નાસાનું વોયેજર અવકાશયાન આગામી દાયકા સુધીમાં હેલિયોપોઝ સુધી પહોંચશે ત્યારબાદ સૂર્યપવનો દ્વારા પૃથ્વી તરફ કેટલી માત્રામાં કિરણોત્સર્ગ કરવામાં આવે છે તેની માહિતી મેળવી શકાશે. બ્રહ્માંડના કિરણોથી હેલિયોસ્ફિયર સૂર્યમંડળનું રક્ષણ કેવી રીતે કરે છે તે બાબત ખૂબ જ નજીવી માત્રામાં જાણી શકાઇ છે. નાસા દ્વારા ભંડોળ આપવામાં આવેલી એક ટુકડી વિઝન મિશન નામનો એક કોન્સેપ્ટ બનાવી રહી છે જેનું ધ્યેય હિલિયોસ્ફિયર અંગેનું સંશોધન કરવાનું છે.

પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ એ લાખો કરોડો બર્ફીલા પદાર્થોનું બનેલું ગોળાકાર વાદળ છે. આ વાદળને દીર્ઘાયુ ધૂમકેતુઓના સ્રોત તરીકે માનવામાં આવે છે. આ વાદળ સૂર્યમંડળમાં 50,000 AU (એક પ્રકાશ વર્ષ) સુધી ફેલાયેલું છે અને તેનો વિસ્તાર 1,00,000 AU સુધી (1.87 પ્રકાશ વર્ષ સુધી પણ હોઇ શકે છે. બાહ્ય ગ્રહો સાથે સર્જાતી ગુરૂત્વાકર્ષણ પ્રક્રિયાને કારણે આંતરિક સૂર્યમંડળમાંથી બહાર ધકેલાઇ આવતા ધૂમકેતુઓથી ઊર્ટ વાદળનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. ઊર્ટ વાદળમાં રહેલા અવકાશી પદાર્થોની ગતિ ખૂબ જ ધીમી હોય છે. તેમજ અથડામણો, પસાર થતાં તારાની ગુરૂત્વાકર્ષણ અસરો, આકાશ ગંગામાંથી ઉછળતા મોજાંઓ કે તેના બળ વગેરે જેવી અનિશ્ચિત ઘટનાને કારણે તેની ગતિમાં અવરોધો આવે છે. 

આપણા મોટાભાગના સૂર્યમંડળને હજી પૂરી રીતે જાણી શકાયું નથી. સૂર્યનું ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર તેની આસપાસ રહેલા તારાઓના ગુરૂત્વાકર્ષણ બળને પ્રભાવિત કરે છે. તેની અસર બે પ્રકાશ વર્ષ (1,25,000 AU) સુધી ફેલાયેલી છે. ઊર્ટ વાદળની ત્રિજ્યાનો ઓછામાં ઓછો અંદાજ 50,000 AU થી વધારે નથી તેમ માનવામાં આવે છે. સેડના જેવા પદાર્થોનું સંશોધન થયું હોવા છતાં પણ ક્વાઇપર પટ્ટો અને ઊર્ટ વાદળની વચ્ચે આવેલો હજારો AU જેટલા વિસ્તારનું સંશોધન કરી શકાયું નથી. બુધ અને સૂર્યની વચ્ચે આવેલા પ્રદેશનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે. જે પ્રદેશો અંગે સૂર્યમંડળમાં હજી સુધી સંશોધન થયું નથી કે ચાલી રહ્યું છે તેમાંથી પણ નવા પદાર્થો અંગેની જાણકારી મળવાની શક્યતા છે.

આપણું સૂર્યમંડળ આકાશગંગામાં આવેલું છે. આ એક ગૂંચળા જેવો આકાર ધરાવતી આકાશગંગા છે જેનો વ્યાસ 1,00,000 પ્રકાશ વર્ષ સુધી ફેલાયેલો છે અને આકાશ ગંગામાં 200 અબજ જેટલા તારાઓ આવેલા છે. સૂર્ય આકાશ ગંગાની બહારની બાજુએ આવેલા ગૂંચળાવાળા વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારને ઓરિયન આર્મ અથવા તો સ્થાનિક ધાર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય આકાશ ગંગાના કેન્દ્રથી, 25,000થી 28,000 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. આકાશ ગંગામાં તેની પરિભ્રમણની ઝડપ 220 કિ.મિ. પ્રતિ સેકન્ડની છે. તેથી તેને આખું પરિભ્રમણ પૂરૂં કરતાં 22.5 કરોડથી 25 કરોડ વર્ષનો સમય લાગે છે. સૂર્યના આ પરિભ્રમણને સૂર્યમંડળના બ્રહ્માંડ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટર સ્ટેલર સ્પેસમાંથી સૂર્યપથની શરૂઆત થાય છે તે હરક્યુલિસ નાં ઝૂમખાં પાસેથી નીકળીને વેગા તારાના હાલના સ્થાન ભણી ગતિ કરે છે.

પૃથ્વી ઉપર જીવનની જે ઉત્ક્રાન્તિ થઇ તેના માટે આકાશ ગંગામાં સૂર્યમંડળની સ્થિતિ પણ ખૂબ જ અગત્યનું પાસું ગણાવી શકાય. તેની પરિભ્રમણ કક્ષા એકદમ ગોળ છે અને અંદાજે તેની ઝડપ પણ આકાશ ગંગાના સ્પાઇરલ આર્મ જેટલી જ છે. તેથી પૃથ્વી સ્પાઇરલ આર્મને ક્યારે વટાવતી નથી. સ્પાઇરલ આર્મ સુપરનોવા જેવા ખતરનાક પદાર્થોનું આશ્રયસ્થાન હોવાને કારણે પૃથ્વીને લાંબા સમય સુધી જીવનકાળ ચલાવવાનો મોકો મળ્યો છે. સૂર્યમંડળ આકાશ ગંગાના સહુથી વધારે તારાઓથી ભરેલા ગીચ વિસ્તારથી પણ દૂર આવેલું છે. કેન્દ્રની નજીક તારાઓના ગુરૂત્વાકર્ષણ બળથી ખેંચાઇને કેટલાય અવકાશી પદાર્થો ઊર્ટ વાદળમાં આવે છે. જેમાંથી આંતરિક સૂર્યમંડળમાં અનેક પ્રકારના ધૂમકેતુઓનું નિર્માણ થાય છે અને તે ધડાકાઓ સાથે અવકાશમાં અથડાય છે. જેના કારણે પૃથ્વી ઉપર જોખમ હોવાની શક્યતા છે. આકાશ ગંગાના મધ્ય ભાગમાંથી આવતા પ્રચંડ કિરણોત્સર્ગને કારણે પણ જટિલ જીવનના વિકાસમાં અવરોધ આવી શકે છે. સૂર્યમંડળની હાલની સ્થિતિને જોતાં ખગોળશાસ્ત્રીઓએ એવું અનુમાન કર્યું છે કે તાજેતરના સુપરનોવે છેલ્લા 35,000 વર્ષો દરમિયાન પૃથ્વી ઉપરનાં જીવનને સૂર્યના વાતાવરણમાં મોટા ધૂમકેતુઓ તેમજ અન્ય અવકાશી પદાર્થો ફેંકીને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.

સ્થાનિક ઇન્ટર સ્ટેલર વાદળને આકાશ ગંગાનું પ્રથમ પડોશી માનવામાં આવે છે. આ વાદળને લોકલ ફ્લફ તેમજ આ વાદળના વિસ્તારને સ્થાનિક પરપોટો એટલે કે લોકલ બબલ તરીકે પણઓળખવામાં આવે છે. તેનો આકાર રેતીની ઘડિયાળ જેવો છે અને તેનું સ્થાન ઇન્ટર સ્ટેલર મિડિયમથી 300 પ્રકાશ વર્ષ સુધી ફેલાયેલો છે. આ પરપોટાનું નિર્માણ અતિશય ગરમ કિરણો દ્વારા થયું છે. આ પરપોટાનું નિર્માણ કેટલાક સુપરનોવા દ્વારા કરવામાં આવ્યું હોય તેમ જણાઇ રહ્યું છે.

સૂરેયની આસપાસ દસ પ્રકાસ વર્ષના વિસ્તાર (95 લાખ કરોડ કિ.મિ.)ના વિસ્તારમાં ખૂબ જ ઓછાં તારાઓ આવેલાં છે. સૂર્યની સૌથી નજીક ત્રેવડા તારાની એક સિસ્ટમ આલ્ફા સેન્ટાઉરી આવેલી છે જેનું અંતર સૂર્યથી 4.4 પ્રકાશ વર્ષ જેટલું છે. આલ્ફા સેન્ટાઉરીમાં એ અને બી તારાની જોડી નજીકમાં આવેલી છે. તેઓ સૂર્ય પ્રકારના જ તારાઓ છે. જ્યારે ત્રીજો લાલ રંગનો તારો નાનો દ્વાર્ફ ગ્રહ જેવો છે. જેને આલ્ફા સેન્ટોરી સી તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા સેન્ટોરીને પ્રોક્સિમા સેન્ટોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે તારાની જોડી 0.2 પ્રકાશ વર્ષના અંતરે પરિભ્રમણ કરે છે. ત્યારબાદ બર્નાર્ડ તારા નામનો અન્ય એક લાલ દ્વાર્ફ સૂર્યની સહુથી નજીક આવેલો તારો છે.(5.9 પ્રકાશ વર્ષ) ત્યાર બાદ વુલ્ફ 359 (7.8 પ્રકાશ વર્ષ), લેલેન્ડે 21185 (8.3 પ્રકાશ વર્ષ) સૂર્યના કરતા દસ પ્રકાશ વર્ષ કરતાં પણ નજીક આવેલા તારાઓ પૈકીનો સહુથી મોટો તારો સાઇરિયસ માનવામાં આવે છે. તે ખૂબ જ ચળકતો અને મેઇન સિક્વન્સ તારો છે તેનું માસ સૂર્ય કરતાં બમણું છે.તેની આસપાસ સફેદ રંગનો દ્વાર્ફ ગ્રહ પરિભ્રમણ કરે છે. તેને સાઇરિયસ બીના નામથી ઓળખવામાં આવે છે. તે 8.6 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. દસ પ્રકાશ વર્ષમાં બાકી રહેલાં મંડળને લાલ દ્વાર્ફ મંડળ કહેવામાં આવે છે. જેમાં લુઇટેન 726-8 (8.7 પ્રકાશ વર્ષ), તેમજ એકલવાયો લાલ દ્વાર્ફ રોઝ 154 (9.7 પ્રકાશ વર્ષ) આવેલા છે. આપણી નજીક સૂર્ય જેવો એક માત્ર તારો તાઉ સેટી છે. જે 11.9 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. તેની પાસે સૂર્યનું 80 ટકા જેટલું માસ છે પરંતુ તેની તેજસ્વીતા માત્ર 60 ટકા જેટલી છે. એપ્સિલોન ઇરેડાની નામનો ગ્રહસૂર્યથી 10.5 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે જેને અધિક સઉર ગ્રહ પણ કહેવામાં આવે છે. આ તારો સૂર્ય કરતાં થોડો ઝાંખો અને લાલાશ પડતો છે જે 10.5 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. એક નિશ્ચિત ગ્રહ એપ્સિલોન ઇરેડાની બી છે તેનું માસ ગુરૂના માસ કરતા 1.5 ગણું છે તે દર 6.9 વર્ષે તેના તારાનું પરિભ્રમણ કરે છે.

સૂર્યમંડળનું સર્જન 4.6 અબજ વર્ષો પહેલા મોટાં વાદળનું ગુરૂત્વાકર્ષણના કારણે તૂટી પડવાથી થયું હતું શરૂઆતમાં આ વાદળ દ્વારા કેટલાક તારાઓનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

જેના હાલમાં સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે તેને અગાઉ પ્રિ સોલાર નેબ્યુલાના નામથી ઓળખવામાં આવતી હતી. તીત્ર્ણ ઝડપમાં વાદળ તૂટી પડવાને કારણે તેની ગતિ વધારે ઝડપી બની ગઇ હતી. કેન્દ્ર સ્થાનમાં જ મોટાભાગના અવકાશી પદાર્થો ભેગા થતાં તે ભાગ આજુ બાજુના વલયો કરતાં વધારે ગરમ બની ગયો. જેમ જેમ નેબ્યુલા પરિભ્રમણ કરવા માેડી તેમ તેમ તેણે પ્રોટો પ્લેનેટરી ડિસ્કને સમતળ કરી નાખી આ ડિસ્કનો વ્યાસ 200 AUનો હતો અને તે ઘટ્ટ તેજ ગરમ હતી તેની મધ્યમાં પ્રોટો સ્ટાર આવેલો હતો. હાલની ઉત્ક્રાન્તિ અનુસાર સૂર્યને ટી ટોરી તારો માનવામાં આવી રહ્યો છે. ટી ટોરી તારાના અભ્યાસ ઉપરથી માલુમ પડે છે કે તેઓની આસપાસ 0.001થી 0.1 સોલાર માસ ધરાવતા પ્રિ પ્લેનેટરી અવકાશી પદાર્થો જોવા મળે છે. આ પ્રકારના પદાર્થો નેબ્યુલામાંથી કે તે તારામાંથી જ છૂટા પડેલા હોય છે. સેન્દ્રિય વૃદ્ધિથી જન્મેલાં ગ્રહો આ પ્રકારની ડિસ્કનું નિર્માણ કરે છે.

પાંચ કરોડ વર્ષો સુધીમાં પ્રોટોસ્ટારની મધ્યમાં રહેલા હાઇડ્રોજનની ઘનતા તેને થર્મોન્યુક્લિયર મિશ્રણ બનાવવાને પર્યાપ્ત હતાં. હાઇડ્રોસ્ટેટિક સમતુલાનું નિર્માણ ન થાય ત્યાં સુધી દબાણ, તાપમાન, પ્રતિક્રિયાનો દર અને ઘનતા વધતા રહે છે. થર્મલ એનર્જી ગુરૂત્વાકર્ષણનો પ્રતિકાર કરે છે. આ મુદ્દે સૂર્ય એક પૂર્ણરૂપી મેઇન સિક્વન્સ તારો બને છે.

હર્ટ્જસ્પ્રન્ગ રસેલની આકૃતિની મુખ્ય શ્રેણી સુધી સૂર્ય તેનો વિકાસ શરૂ કરશે ત્યાં સુધી આજે આપણે જાણઈએ છીએ તેમ સૂર્ય મંડળ અસ્તિત્વમાં રહેશે.  જેમ સૂર્ય તેના હાઇડ્રોજન ઇંધણ મારફતે બળે છે, તેમ ઉર્જા ઉત્પાદન ઘટાડાના કડક વલણને ટેકો આપે છે, જે તેને તેની પર જ પડી ભાંગવામાં પરિણમે છે.  દબાણમાં વધારો કોરને ગરમ કરે છે, તેથી વધુ ઝડપથી બળે છે.  પરિણામે, સૂર્ય દરરોજના આશરે 1.1 અબજ વર્ષોના દરે તેજસ્વી વૃદ્ધ પામે છે.

અત્યારથી આશરે 5.4 અબજ વર્ષો પછી સૂર્યના ગર્ભની અંદરનો હાઇડ્રોજન સંપૂર્ણ રીતે હિલીયમમાં રૂપાંતર પામશે, જે મુખ્ય શ્રેણીના તબક્કાનો અંત લાવશે.  આ સમયે, સૂર્યના બહારના આવરણ તેના પ્રવર્તમાન વ્યાથી આરે 260 ગણા સુધી વિસ્તરશે; સૂર્ય રેડ જાયંટ (લાલ ગોળો) બની જશે.  તેની બહોળા પ્રમાણમાં વધેલી સપાટી વિસ્તારને કારણે, સૂર્યની સપાટી, મુખ્ય શ્રેણી (ઠંડામાં ઠંડુ 26000 કે) ની તુલનામાં નોંધપાત્ર રીતે ઠંડો થઇ જશે. 

આખરે, સૂર્યના બહારના સ્તરો ખરી જશે, અને સફેદ નાનો તારો છોડી દેશે, જે અત્યંત અદભૂત ઘન પદાર્થ છે, અને સૂર્યના મૂળ જથ્થાથી અર્ધો છે, પરંતુ પૃથ્વીના કદ જેટલો છે.  ખરી ગયેલા બહારના સ્તરો ગ્રહને લગતો નિહારીકાતરીકે જાણીતાનું સર્જન કરશે, જે તારાઓની વચ્ચે જે સમાગ્રીઓથી સૂર્યની રચના થઇ હતી તેમાંથી થોડી સામગ્રી પરત કરશે. 

નામનું મૂડીકરણ બદલાય છે, ખગોળશાસ્ત્રીય સ્મૃતિસહાયકને લગતું સત્તાવાર શરીર,  (સૂર્ય મંડળ )નિશ્ચિત કરે છે. જોકે, નામો લોઅર કેસ (સૂર્ય મંડળ )માં સામાન્ય રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમ કે ઉદા. તરીકે ઓક્સફોર્ડ ઇંગ્લીશ ડિક્શનરી માં, , અને.

આઠ ગ્રહ અને પાંચ નાના ગ્રહોની કુદરતી ઉપગ્રહોની સંપૂર્ણ યાદી માટે  જુઓ કુદરતી ઉપગ્રહોની યાદી

સૂર્ય, ગુરુ અને સેટ્રન સિવાયના સૂર્ય મંડળના સમૂહને ગણતરીપૂર્વકના તમામ સમૂહોના મોટા પદાર્થોનો એકી સાથે ઉમેરો કરીને અને ઉર્ટ ક્લાઉડ (આશરે 3 પૃથ્વી સમૂહો અંદાજત)ના સમૂહો માટે કાચી ગણતરીનો ઉપયોગ કરીને, કુપીયર બેલ્ટ (આશરે 0.1 પૃથ્વી સમૂહને અંદાજિત)અને મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચેના પટ્ટાનો એક ગ્રહ (0.0005 પૃથ્વી સમૂહ હોવાનો અંદાજ) આમ કુલ થઇને, 37 પૃથ્વી સમૂહોના ઉપર ગોળાકાર, અથવા સૂર્યની ફરતેના ગ્રહમાં 8.1 ટકા સમૂહ યુરેનસ અને નેપ્ચ્યુન(~31 પૃથ્વી સમૂહો)ના સંલગ્ન સમૂહોની બાદબાકી કરાઇ છે ત્યારે, બાકીના ~6 પૃથ્વી સમૂહ સામગ્રીઓમાં કુલના 1.3 ટકાનો સમાવેશ થાય છે. 

ખગોળશા્ત્રીઓ ખગોળશાસ્ત્રીય એકમ(AU)માં સૂર્યમંડળ સુધીનું અતર માપે છે. એક AU બરાબર પૃથ્વી અને સૂર્યના કેન્દ્રની વચ્ચેનું સરેરાશ અંતર અથવા  149,598,000કીમી થાય છે.  સૂ્ર્યથી પ્લુટો આશરે 38 AU છે અને સૂર્ય ગુરુથી આશરે 5.2 AU છે.  એક પ્રકાશ વર્ષએ 63,240 AU.




#Article 59: રસાયણ શાસ્ત્ર (372 words)


રસાયણ શાસ્ત્ર (ગ્રીક: χημεία) એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં તત્વો અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્ર અનેક શાખાઓમાં વિસ્તરેલું છે, જેમાંની મુખ્ય શાખાઓ છે: કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વૈશ્લેષિક રસાયણ, રેડિયો રસાયણ, જૈવરસાયણ, ભૂરસાયણ, ક્વૉન્ટમ રસાયણ, નાભિકીય રસાયણ અને રાસાયણિક સ્પેક્ટ્રમિકી.
રસાયણ શાસ્ત્રનો વિકાસ મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી થયો એમ કહેવામાં આવે છે, પણ તેનો સાચો વિકાસ ફ્રેન્ચ રસાયણવિદ એ. એમ. લેવોઇઝિયરે દહનની પ્રક્રિયાનું સાચું અર્થઘટન કર્યું ત્યારપછી થયો.

બે પદાર્થોને ભેગા (મિશ્ર) કરતાં તેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તો તે દર્શાવવા માટે સમીકરણનો ઉપયોગ થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થોને તેમના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આવી પ્રક્રિયા દરમિયાન તત્વોનો જથ્થો (વજન) અચળ રહેતો હોઈ પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયા દ્વારા ઉદભવતા પદાર્થોમાંના પરમાણુઓની સંખ્યા સરખી રહે તે રીતે સમીકરણ લખવામાં આવે છે; દા. ત.,

આ સમીકરણ એમ દર્શાવે છે કે સોડિયમ ક્લોરાઈડ (NaCl)ની સલ્ફ્યુરિક ઍસિડ (H2SO4) સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ બાઇસલ્ફેટ (અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ) અને હાઇડ્રોક્લોરિક ઍસિડ (અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ) ઉત્પન્ન થાય છે. કેટલાક પદાર્થોમાં પરમાણુઓનો સમૂહ એક એકમ તરીકે વર્તે છે. તેમને સૂત્ર દ્વારા દર્શાવતી વખતે કૌંસમાં મૂકવામાં આવે છે. દા. ત., (NH4)2SO4 (એમોનિયમ સલ્ફેટ). પ્રક્રિયામાં ભાગ લેતા કે તેને લીધે ઉદભવતા અણુઓની સંખ્યા સૂચવે છે; દા. ત.,

દરેક રાસાયણિક તત્વોનું ધાતુઓ અને અધાતુઓ એમ બે વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. જે ચળકતી હોય અને વિદ્યુત તથા ઉષ્માનું વહન કરતી હોય તેને ધાતુ કહેવામાં આવે છે, અને જેમાં આવા ગુણધર્મોનો અભાવ હોય તેને અધાતુ કહેવામાં આવે છે. તવોના વર્ગીકરણનું એક વિશિષ્ટ સ્વરૂપ એ આવર્ત કોષ્ટક છે. તેમાં સરખા ગુણધર્મોવાળાં તત્વોને એક સમૂહમાં જ્યારે ક્રમશ: બદલાતા જતા ગુણધર્મોવાળાં તત્વોને આવર્તમાં ગોઠવવામાં આવ્યા છે. આવું પ્રથમ આવર્ત કોષ્ટક ૧૮૬૩માં ન્યૂલૅન્ડ્ઝે વિકસાવ્યું હતું, તે પછી દમિત્રી મેન્દેલિયેવ દ્વારા તેને વધુ સારા સ્વરૂપમાં ૧૮૬૯માં રજૂ કરવામાં આવ્યું હતું. આ આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ તેમના સાપેક્ષ પરમાણુભાર અનુસાર કરાયું હતું. તેમાં જે તત્વોના ગુણધર્મોમાં સરખાપણું હોય તેઓ પરમાણુભાર દ્વારા એકબીજા સાથે સંકળાયેલા જણાયા અને તેમને એક સમૂહ અથવા કુટુંબમાં મૂકવામાં આવેલા. આ પ્રણાલીમાં કેટલીક ખામીઓ અને અપવાદો જોવા મળેલા, જે પાછળથી તત્વોની તેમના પરમાણુ ક્રમાંક મુજબ ગોઠવણી કરીને દૂર કરાયા હતા.

રસાયણ શાસ્ત્રની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવેલ છે:




#Article 60: કાર્બન (157 words)


કાર્બન (હિંદી ભાષા:प्रांगार) તત્વ આવર્ત કોષ્ટકની મહત્વની અધાતુ છે. કાર્બન ની આણ્વીક સંખ્યા ૬ છે. તેને C વડે દર્શાવાય છે. કાર્બન એ રસાયણ શાસ્ત્રમાં તથા જૈવરસાયણ શાસ્ત્રમાં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.

કુદરતમાં કાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ કાર્બનના મુખ્ય બે સ્ફટિક રૂપ છે.

હીરો કુદરતમાં મળી આવતા પદાર્થોમાં સૌથી સખત પદાર્થોમાંનો એક છે. તેની સખ્તાઇને કારણે તેનો ઔદ્યોગિક ઉપયોગ વ્યાપક છે. ખાસ કરીને ખૂબ સખત ઓજારોની ધાર કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે. શુદ્ધ કાર્બનનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો હોય છે. આ ગુણધર્મોને કારણે હીરો કિમતી કિમતી પત્થર તરીકે ખૂબ લોકપ્રિય છે અને ઘરેણાઓ માં ખૂબ જોવા મળે છે.

ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો હીરા કરતા તદ્દન વિરોધી છે. ગ્રેફાઇટ કાળા/રાખોડી રંગનો પદાર્થ છે. તે અત્યંત નરમ હોય છે. આથી તેનો ઉપયોગ પેન્સિલની અણી માં થાય છે.

﻿ 

﻿




#Article 61: ચંદ્ર (225 words)


ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.જ્યારે સુર્યમડળ બનતો હતો ત્યારે આપણી પૃથવી જોડે કંઇક અથડાયું હતુ ત્યારે  પૃથવી નો થોડો ભાગ હવા ઉડી તે બધો ભાગ ભેગો મળી ચંદ્ર બન્યો છે. ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના (૨,૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચંદ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે અને બન્ને વચ્ચેનું અંતર દર વર્ષે ૩.૮ સે.મી. જેટલું વધે છે.

ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. અમેરિકાના ઍપોલો કાર્યક્રમ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચંદ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે. 

૧. અમૃતા

૨. મનાદા

૩. પૂષા

૪. પુષ્ટિ

૫. તુષ્ટિ

૬. રતિ

૭. ધૃતિ

૮. રાશિની

૯. ચંદ્રિકા

૧૦. કાન્તિ

૧૧. જયોત્સ્ના

૧૨. શ્રી

૧૩. પ્રીતિ

૧૪. અંગદા

૧૫. પૂર્ણા

૧૬. પૂણાર્મૃતા




#Article 62: મોર (325 words)


મોર એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે, જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને કળા કરી કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.

મોરની શારિરીક દેહરચના અત્યંત આકર્ષક હોય છે. મોરના પીછા અને તેનો રંગ આ આકર્ષક દેખાવનું મૂળ છે. મોર માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે. મોરની પુંછડી આશરે ૧ થી ૧.૫ મીટર લાંબી હોય છે જે રંગબેરંગી પીંછાથી લદાયેલ હોય છે. મોરનું વજન ૪ થી ૬ કિલોની આસપાસ હોય છે જ્યારે ઢેલનું વજન ૩ થી ૪ કિલોની આસપાસ હોય છે.મોર તેમજ ઢેલનાં માથે પીંછાની કલગી હોય છે. મોર તેના ભરાવદાર શરીર રચના ને કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે. ભયગ્રસ્ત પરિસ્થિતિ મા પણ તે ઝડપથી દોડ લગાવે છે. મોર ઉડવાનુ ઓછું પસંદ કરે છે કરે છે કારણ કે તેનું શરીર ભરાવદાર હોય છે તેથી તેને ઉડવામાં મુશ્કેલી પડે છે.માટે તે ખૂબ જ ઓછુ ઉડી શકે છે.

મોર તેના ખોરાકની શોધ વહેલી સવાર તેમજ સંધ્યાકાળ (સુર્યાસ્ત થતાં પહેલાં)સુધી કરે છે. બપોર નો સમય મહ્દઅંશે કોઇ ઘટાદાર વૃક્ષની ડાળી પર આરામ ફરમાવતા પસાર કરે છે. ખોરાક માટે મોર ચાર પાંચની સંખ્યાના નાના ટોળામાં વન વગડા તેમજ ખેતર માં ફરીને અનાજ નાં દાણા, જીવડાં અને નાના સરિસૃપ આરોગે છે.

મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.




#Article 63: નિહારિકા (172 words)


નિહારિકા અથવા નેબ્યુલા(અંગ્રેજીમાં Nebula) એ અંતરીક્ષમાં વાયુઓ તથા ધુળકણો નું વાદળ કે ધુમ્મસ પ્રકારે ફેલાયેલ હોય છે. નેબ્યુલા ક્યારેક આકાશમા આવેલા અન્ય ઝાંખા પદાર્થો ને દર્શાવવા પણ વપરાય છે. જેમકે ક્યારેક એન્ડ્રોમીડા આકાશગંગાને એન્ડ્રોમીડા નેબ્યુલા પણ કહેવાય છે. વાસ્તવમાં આવી ગેલેક્સીઓ આપણી આકાશગંગાની બહાર અત્યંત દુર આવેલી હોવાથી તેને નેબ્યુલા તરીકે ભુલથી ઓળખાવવામાં આવેલી. 

નેબ્યુલાના પ્રકારો નીચે મુજબ છે:

HII પ્રદેશો તારાઓ નું ઊદ્ગમસ્થાન છે. જ્યારે ડીફ્યુઝ આણ્વીક વાદળ તેના ગુરૂત્વાકર્ષણને કારણે (મોટાભાગે નજીકના સુપર નોવાની અસરથી) સંકોચાય છે, ત્યારે આવા HII પ્રદેશો સર્જાય છે. આવા આણ્વીક વાદળો જ્યારે ભીંસાઈ ને ટુકડાઓ
મા પરીણમે છે ત્યારે તેમાથી અસંખ્ય તારાઓ નો જન્મ થાય છે. આવા નવા જન્મેલા તારાઓ ને કારણે આયનાયઝેશન થવાથી આસપાસના વાયુઓ ઝળહળે છે. આમ ઈમીશન નેબ્યુલા રચાય છે.

ક્યારેક તારાઓ ના અંત ને કારણે નેબ્યુલા રચાય છે. જ્યારે કોઇ તારો શ્વેત તારામા પરીણમે છે અને જ્યારે તેના બાહરના પડ ઊડી જવાને કારણે આ બહારના વાયુઓનુ વાદળ પ્લેનેટરી નેબ્યુલા રચે છે. નોવા અને સુપર નોવા પણ નેબ્યુલા રચે છે. આવી નેબ્યુલા ને નોવા અવશેષીત કે સુપર નોવા અવશેષીત નેબ્યુલા કહેવાય છે. 




#Article 64: નક્ષત્ર (178 words)


નક્ષત્ર આકાશમાં તારાઓ નું કાલ્પનિક જુથ છે. વાસ્તવમાં ત્રણ પરીમાણમાં આવેલા આ તારાઓ વચ્ચે કોઇ સબંધ નથી. પરંતુ, રાત્રીના અવકાશમાં તે એકમેક સાથે જુથમાં જોવા મળે છે. માનવી હંમેશા ઐતીહાસીક રીતે આવા કાલ્પનિક જુથ ની કલ્પનાઓ કરતો આવ્યો છે. આમ આવા કાલ્પનિક જુથો ને ખગોળ શાસ્ત્રીઓ (International Astronomical Union) માન્યતા આપતા નથી. ખગોળ શાસ્ત્રને આધારે નક્ષત્રો ના તારાઓ વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી કેમકે, આ તારાઓ એક બીજાથી લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે.

જુદીજુદી સંસ્કૃતિઓમાં નક્ષત્રોના નામ તથા આકારો અલગ-અલગ હોય છે પણ કેટલાંક પ્રખ્યાત નક્ષત્રો જેમકે મૃગશીર્ષ નક્ષત્ર તથા વૃશ્ચીક નક્ષત્ર મોટાભાગની સંસ્કૃતિઓ માં ઓળખાયેલ છે.

International Astronomical Union (IAU) આકાશને ચોક્કસ સરહદથી નક્કી કરેલા ૮૮ ભાગોમાં વહેંચે છે. આમ આકાશનો કોઈપણ ભાગ એક જ નક્ષત્રમાં આવે છે. ઊત્તરના ભાગમાં આવેલા નક્ષત્રોના નામો પ્રાચીન સંસ્કૃતિઓ (જેમા ભારતના જ્યોતિષ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે) ના આધારે પડાયેલ છે.

ભારતીય પંચાંગમુજબ રાશિચક્રના વર્તુળનાં સત્તાવીસ ભાગ (૩૬૦º/૨૭)કરો એટલે દરેક નક્ષત્ર ૧૩º૨૦'નું થાય,દશાંશ મુજબ ૧૩.૩૩૩૩º નુ થાય.માટે જો રાશિચક્રમાં ચંદ્રનું સ્થાન અમુક સમયે ૨૬૨.૧૬૬૬º હોય તો ૨૬૨.૧૬૬૬º/૧૩.૩૩૩૩º=૧૯.૬૬૨૫º,મતલબ કે તે સમયે ૧૯ નક્ષત્ર વીતી અને ૨૦મું નક્ષત્ર એટલેકે પૂર્વાષાઢા નક્ષત્ર ચાલે છે.




#Article 65: વાઘ (5295 words)


વાઘ  (પેન્થેરા ટાઇગ્રીસ ) ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી વગેરે)ના પરિવારનો એક સભ્ય છે. જે પેન્થેરા  ઉત્પત્તિમાં ચાર મોટી બિલાડીઓમાં સૌથી મોટામાં મોટો છે. પૂર્વ અને દક્ષિણ એશિયાના મોટા ભાગમાં પોતાનું મૂળ સ્થાન ધરાવતા આ વાધ અન્ય પ્રાણીઓનો શિકાર કરનાર અને પોતાને માંસ ખાવા માટે ફરજ પાડનાર હતો. મહત્તમ લંબાઇ ધરાવતા અને 300 કિલોગ્રામનું વજન (660 પાઉન્ડ) ધરાવતા વાધની પેટા જાતોના કદને સૌથી મોટા લુપ્ત થઇ ગયેલા ક્ષેત્રો સાથે સરખાવી શકાય છે. તેમની ભારે શક્તિ ઉપરાંત તેમને ઓળખી શકાય તેવું મહત્વનું લક્ષણ તેમના શરીર પરની ઘાટી કાળી ઊભી રેખાઓ છે, જેમાં સફેદથી લાલ રંગ-પીળા આછા રંગની ઉપર આવેલી છે. સૌથી મોટી વાઘની પેટા જાતસાઇબેરીયન વાઘ છે.

કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા,ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીન થી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે. તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે, જેને ઘણી વાર પોતાની ભૂખ સંતોષવા માટે આસપાસ વસતી હોય તેવા વિસ્તારોની જરૂર પડે છે. આ વાઘ પૃથ્વી પર વધુ વસતી ધરાવતા પ્રદેશોમાં મળી આવતા હોવાથી માનવી સાથેના નોંધપાત્ર ઘર્ષણમાં પરિણમ્યા છે. આધુનિક વાઘની નવ પેટા જાતમાંથી, ત્રણ લુપ્ત થઇ ગઇ છે અને બાકીની છ જાતોને અત્યંત ભયંકર માનવામાં આવે છે.તેના સીધા મુખ્ય કારણોમાં વસતીને કારણે નાશઅનેવિભાજિત , અને {2શિકાર{/2}નો સમાવેશ થાય છે. તેમની ઐતિહાસિક શ્રેણી જે એક સમયે દક્ષિણ અને પૂર્વ એશિયામાં થઇને મેસોપોટેમીયા અને કૌકાસુસ સુધી પ્રસરેલી તેમાં ધરમૂળથી ઘટાડો થયો છે. હાલમાં અસ્તિત્વ ધરાવનારી તમામ જાતો ઔપચારીક રક્ષણ, વસતીને કારણે નાશ અને ઉત્ક્રાંતિ દબાણ જેવા સતત જોખમો સાથે જીવી રહી છે. 

તેમ છતા પણ, વાઘ ઓળખપ્રાપ્તિ અને લોકપ્રિય ચુંબકીય આકર્ષણ ધરાવતી પ્રાણી વસતીમાં સ્થાન ધરાવે છે. તેમનો પ્રાચીન માન્યતા અને પરંપરાગત વાર્તાઓમાં આગવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આધુનિક ફિલ્મો અને સાહિત્યમાં શબ્દો અને ચિત્રો દ્વારા પ્રગટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ એશિયન રાષ્ટ્રોના રાષ્ટ્રીય પ્રાણી તરીકે ધ્વજ અને શસ્ત્રોની મૂઠ તેમજ રમત રમતી ટીમના નિશાન તરીકે મુખવટા તરીકે વાઘનો ઉપયોગ થાય છે.

વાઘનું જૂથ[21] જવલ્લેજ છે (નીચે જુઓ), પરંતુ તેઓ જ્યારે સાથે દેખાય ત્યારે તેને સ્ટ્રીક અથવા એમ્બુશ કહેવાય છે.

ભૂતકાળમાં, વાઘ એશિયામાં અનેક સ્થળે પથરાયેલા હતા, જેમાં કૌકાસસ અને કેસ્પિયન સમુદ્ર લઇને સાઇબીરીયા અને ઇન્ડોનેશિયા સુધીનો સમાવેશ થાય છે.19મી સદી દરમિયાન પટ્ટાવાળી બિલાડીઓ પશ્ચિમ એશિયામાંથી સંપૂર્ણપણે અદ્રશ્ય થઇ ગઇ હતી અને તેમના વિસ્તારના બાકીના ભાગમાં એકાંત સ્થળે જ મર્યાદિત બની હતી. આજે, આ વિભાજિત અવશેષનો વિસ્તાર પશ્ચિમમાં ભારતથી લઇને ચીન અને પૂર્વમાં દક્ષિણપૂર્વ એશિયા સુધીનો છે. ઉત્તરીય સીમા દક્ષિણ પૂર્વીય સાઇબીરીયામાં અમુર નદીની નજીક છે. વાઘની વસતીથી ભરચક સૌથી મોટો વસતીવાળો વિસ્તાર હોય તો તે છે સુમાત્રા. 20 મી સદી દરમિયાનમાં વાઘ જાવા અને બાલીમાંથી અદ્રશ્ય થઇ ગયા હતા અને બોર્નીયો તેના અવશેષો માટે જ પ્રખ્યાત છે.

સૌથી જૂની વાઘ જેવ બિલાડીઓનું અસ્તિત્વ છે, જે પેન્થેરા પેલાસિનેન્સિસ કહેવાય છે, જે ચીન અને જાવામાં મળી આવ્યા છે. આ જાત મ મિલીયન વર્ષો પહેલા પ્લેસ્ટોસેનના પ્રારંભમાં રહેતી હતી અને તે અત્યારના વાઘ કરતા નાની હતી. અગાઉના ખરેખર વાઘના અવશે,ો જાવા તરીકે ઓળખાય છે અને તે 1.6 અને 1.8 મિલીયન વર્ષો જીવન જૂના છે. અગાઉના અને મધ્ય પ્લેસ્ટોસીનનના સ્પષ્ટ અવશેષો ચીન અને સુમાત્રાના અનામતમાં શોધી કાઢવામાં આવ્યા હતા. ટ્રિનીલ વાઘ  (પેન્થેરા ટાઇગ્રીસ ટ્રિનીલેન્સીસ  ) કહેવાતી પેટાજાતિઓ 1.2 મિલીયન વર્ષ પહેલા રહેતી હતી અને જાવામાં ટ્રિનીલ તરીકે મળી આવેલા અવશેષો તરીકે જાણીતા છે.

પ્લેસ્ટોસેનના અંતમાં સૌપ્રથમ વાઘ ભારત અને ઉત્તર એશિયામાં પહોચ્યા હતા, તેમજ પૂર્વીય બરિંગીયા (પરંતુ અમેરિકી ઉપખંડમાં નહી), જાપાન, અને સખાલીનમાં પણ પ્રવેશ્યા હતા. જાપાનમાં મળી આવેલા અવશેષો એ સુચવે છે કે સ્થાનિક વાઘ આયર્લેન્ડ પર જીવતા પેટાજાતિઓ જેવા હતા, જે મુખ્ય વાઘની તુલનામાં નાના હતા. આ કદાચ શરીરનું કદ કે જે પર્યાવરણ સ્થળને લાગે વળગે છે તેવી ઘટના (જુઓ ઇન્સ્યુલર દ્વારફિઝમ), અથવા શિકારની ઉપલબ્ધિના કારણે હોઇ શકે છે.નૂતનતન કાળ સુધી, વાઘ બોર્નિયોમાં , તેમજ ફિલિપિન્સમાં પાલાવાનના આયર્લેન્ડ પર રહેતા હતા.

વાઘ કદાચ મહદદઅંશે ઓળખાતી બિલાડીઓની પ્રતિકૃતિ હોવાનું મનાય છે(સિંહના કેટલાક શકય અપવાદો સાથે). તેઓ ખાસ રીતે લાલ રંગથી લઇને બ્રાઉન કલરના પટ્ટા, વ્હાઇટ્ટીશ મેડિયલ અને વેન્ટ્રલ ધરાવે છે. સફેદ ફ્રિંજ તેના ચહેરાની આસપાસ છે અને પટ્ટાઓનો કલર બ્રાઉન અથવા ગ્રેથી લઇને કાળા કલરનો હોય છે. પટ્ટાઓનું સ્વરૃપ અને વિસ્તાર પેટાજાતિઓમાં અલગ અલગ પડે છે (તેમજ રુંવાટી પણ અલગ પડે છે; ઉદા. તરીકે સાઇબેરીયન વાઘ અન્ય વાઘની પેટા જાતિઓની તુલનામાં આછા સફેદજ રંગના હોય છે), પરંતુ મોટા ભાગના વાઘ પર 100થી વધુ પટ્ટાઓ હોય છે. પટ્ટાઓની રીત દરેક પ્રાણીઓમાં વિશિષ્ટ હોય છે અને તેથી તેને અલગ રીતે ઓળખી શકાય છે, જે રીતે વ્યક્તિઓને ઓળખી કાઢવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ સૌથી વધ થાય છે. જોકે જંગલી વાઘના પટ્ટાની ગણતરીમાં મુશ્કેલી પડતી હોવાથી આ આળખની યોગ્ય રીત નથી.એવું લાગે છે વાઘ પરના પટ્ટાઓ તેમના માટેએક મુખવટાનું કામ કરે છે, જે તેમને કાળા અંધકારમાં અને ગાઢ જંગલમાં તેમના શિકારને શોધી શકે તે માટે તેમની જાતને છૂપાવી રાખવામાં સહાય કરે છે. પટ્ટાની રીત વાઘની ચામડી પર મળી આવી છે અને જો તે કાઢ નાખવામાં આવે તો તેની ભેદભાવયુક્ત આંતરિક પદ્ધતિને સાચવી રાખી શકાશે. અન્ય મોટી બિલાડીઓની જેમ જ વાઘને પણ તેમના દરેક કાનની પાછળ સફેદ ટપકું હોય છે. 

વાઘનો એક વધારાનો તફાવત એ છે કે એ જંગલી જાતની બિલાડીઓમાંના એક છે. [25] તે પણ શક્તિશાળી પગ અને ખભા ધરાવે છે, તેના પરિણામે તેઓ તેમના કરતા વજનમાં વધારે હોય તેવા શિકારને પણ નીચે પાડવાની ક્ષમતા ધરાવે છે. જોકે, પેટાજાતિઓ કદમાં અલગ પડે છે, જે બર્ગમનના નિયમાનુસાર કરવામાં આવેલી આગાહી અનુસાર આબોહવા પ્રમાણે વધે છે. આમ મોટા પુરુષ સાઇબેરીયન વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ અલ્ટાઇકા )કુલ 3.5 મીટરની લંબાઇ (પેગની વચ્ચે 3.3. મીટર)અને 306 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.  જે આયર્લેન્ડમાં વસતા સુમાત્રન, કે જે ફક્ત 75-140 કિગ્રાનું વજન ધરાવતી સૌથી નાની પેટાજાતિ છે, તેના કરતા નોંધપાત્ર રીતે મોટા કદના હોય છે. નર અને માદા વાઘનું કદ મોટી પેટાજાતિઓમાં નિશ્ચિત હોવાથી દરેક જાતિમાં પુરુષ વાઘની તુલનામાં નાની હોય છે, જેમાં માદાની તુલનામાં નર વાઘનું વજન 1.7 ગણું વધુ હોય છે. વધારામાં, નર વાઘ માદાની તુલનામાં પહોળા પંજાઓ ધરાવે છે. વાઘની રીતભાત પર નિરીક્ષણ રાખતા તેમની જાતિ નક્કી કરતા બાયોલોજિસ્ટ ઘણી વાર આ તફાવતનો ઉપયોગ કરે છે.  વાઘની ખોપરી સિંહ જેવી જ સમાન હોય છે, જોકે આગળનો ભાગ સામાન્ય રીતે દબાયેલો હોતો નથી, તેમજ પોસ્ટોર્બિટલ વિસ્તાર સહેજ લાંબો હોય છે. સિંહની ખોપરીમાં પહોળી અનુનાસિકા હોય છે. જોકે, બે જાતિઓમાં ખોપરીમાં અસંખ્ય ફેરફાર હોવાથી સામાન્ય રીતે નીચેના જડબાનો જાતિના વિશ્વસનીય સંકેત માટે ઉપયોગ થાય છે. 

વાઘની તાજેતરની પેટાજાતિઓના આઠ પ્રકાર છે, જેમાંની બે લુપ્તથઇ ગઇ છે. તેમની ઐતિહાસિક શ્રેણી (જેમાં અત્યંત ઘટાડો થઇ રહ્યો છે)કેટલા ઇન્ડોનેશિયન આયર્લેન્ડ સહિત બાંગ્લાદેશ, સાઇબેરિયા, ઇરાન, અફઘાનિસ્તાન, ભારત, ચીન,અને દક્ષિણપૂર્વ એશિયામાંથી જતી રહી છે. ઉતરતા ક્રમમાં જંગલી વસતીમાં અસ્તિત્વ ધરાવતી પેટાજાતિઓ નીચે પ્રમાણે છે:

વાઘ સહિત મોટી બિલાડીઓમાં હાયબ્રીડાઇઝેશન, પ્રથમ 19મી સદીમાં વિકસાવવામાં આવ્યું હતું, જ્યારે પ્રાણીસંગ્રહાલયો આર્થિક લાભ માટે કંઇક નવું દર્શાવવા માટે ઉત્સુક હતા.  સિંહ વાઘ સાથે હાયબ્રીડના સર્જન માટે વંશ વધારવાતરીકે ઓળખાય છે (મોટે ભાગે અમુરઅને બેંગાલ પેટાજાતિઓ)જેને લિગરઅને ટિગોનકહેવાય છે. આ પ્રકારના હાયબ્રીડ એક સમયે પ્રાણીસંગ્રહાલયમાં સર્વસામાન્ય હતા, પરંતુ હવે જાતો અને પેટાજાતિઓને સાચવી રાખવા પર ભાર મૂકાતો હોવાથી હવે આ બાબતને ધ્યાન પર લેવામાં આવતી નથી. ચીનમાં ખાનગી મેનેજરીઝમાં અને ઝૂમાં હાઇબ્રીડ હજુ પણ દેખા દે છે.

લિગર એ નર સિંહ અને વાઘણનું મિશ્રણ છે.  કેમ કે વાઘ ઉત્પત્તિમાં વધારો કરવામાં માને છે, પરંતુ માદાવાધમાંથી વસતીનું સર્જન કરવામાં આવે છે તેનો અભાવ છે, લિગર અન્ય માબાપની તુલનામાં વધુ ઝડપથી વિકાસ પામે છે. તેઓ માબાપ જાતોની શારીરિક અને વર્તન ગુણવત્તા એમ બન્ને ધરાવે છે(રેતી જેવી ચામડી પર ટપકાઓ અને પટ્ટાઓ). નર લિગર્સ બિનફળદ્રુપ હોય છે, પરંતુ માદા લિગર્સ ઘણી વખત બચ્ચા પેદા કરી શકે છે. નરમાં કેશવાળી હોવાની 50 ટકા તક છે, પરંતુ તેમ છતાં, તેમની કેશવાળી સંપૂર્ણ વાઘની તુલનામાં ફક્ત અર્ધી જ હશે. લિગર્સ લંબાઇમાં 10થી 12 ફૂટના હોય છે અને તેમનું વજન 800 અને 1,000 પાઉન્ડ કે તેનાથી વધુ હોય છે.

ઓછા સામાન્ય એવા ટિગોન એ સિંહણ અને નર વાઘ વચ્ચેનું મિશ્રણ છે.  

એક એવી જાણીતી ઉત્પત્તિ છે જે સફેદ વાઘનું સર્જન કરે છે,જે ટેકનિકલી ચીનચીલ્લા અલ્બીનીસ્ટિક તરીકે જાણીતા છે, જે પ્રાણી જંગલી જાતિમાં જવલ્લે જ ઉપલબ્ધ છે, પરંતુ તેની લોકપ્રિયતાને કારણે બહોળા પ્રમાણમાં જોવા મળે છે. સફેદ વાઘની ઉત્પત્તિ ઘણી વારબિનઉત્પત્તિતરફ દોરી જશે (અપ્રભાવી હોવાથી). આ મુદ્દાના ઉકેલ તરીકે સફેદ અને ઓરેન્જ વાઘના સમાગમ જેવા અસંખ્ય પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, ઘણી વખત આ પ્રક્રિયામાં પેટાજાતિઓનું મિશ્રમ કરવામાં આવે છે. આ પ્રકારની ઉત્પત્તિ સફેદ વાઘમાં પરિણમી છે, જેમાં મોટે ભાગે સમાનતા હોય છે, પરંતુ તે શારીરિક ખોડખાપણ સાથે જન્મે છે, જેમ કે પેલેટ્સમાં ફાટી ગઇ હોય અને સ્કોલોસિસ (વાંકીચૂંકી કરોડરજ્જૂ). વધુમાં, સફેદ વાઘને મિશ્ર કલરની આંખ હોય છે. (જે સ્થિતિ ત્રાંસી આંખ)તરીકે ઓળખાય છે.) એટલું જ નહી, દેખીતી રીતે જ તંદુરસ્ત સફેદ વાઘ સમાન્ય રીતે તેમના ઓરેન્જ વાઘ જેવું લાંબુ આયુષ્ય જીવતા નથી. 19મી સદીના પ્રારંભમાં સફેદ વાઘનું સૌપ્રથમ વખત રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.  જ્યારે સફેદ વાઘમાં બન્ને માબાપમાં જવલ્લેજ જેન મળી આવે ત્યારે જ તેની ઉત્પત્તિ થાય છે; આ જેન દર 10,000 ઉત્પત્તિએ એક જ વાર આ જેન મળી આવ્યા છે. સફેદ વાઘ અલગ પેટાજાતિ નથી, પરંતુ ફક્ત કલરની વૈવિધ્યતા છે; જંગલી જાતમાં મળી આવેલા સફેદ વાઘ બેંગાલ વાઘ હતા (અને તમામ સફેદ વાઘ બેંગાલના અર્ધા ભાગમાં જેલમાં હતા), એવું સર્વસામાન્ય રીતે વિચારવામાં આવ્યું છે કે જવલ્લે જ ઉપલબ્ધ જેન કે જે સફેદ કલરમાં પરિણમે છે, તે બેંગાલ વાઘ દ્વારા જ ઉત્પત્તિ કરવામાં આવી હશે, તેમ છતા આ માટેના કારણો જાણીતા નથી.  તેમજ વાઘ કરતા સામાન્ય રીતે વધુ ભયંકર હોતા નથી, આ સામાન્ય ખોટો ખ્યાલ છે. અન્ય એક ખોટો ખ્યાલ એ છે કે સફેદ વાઘના પટ્ટાઓમાં રંગદ્રવ્ય પૂરાવો હોય છે તેવી હકીકત હોવા છતા, સફેદ વાઘ અલ્બીનોઝછે.તેમની સફેદ રંગછટાને કારણે જ ફક્ત ફરક છે તેવું નથી; તેઓ બ્લ્યુ આંખ અને ગુલાબી નાક ધરાવે છે.

વધુમાં, અન્ય જવલ્લેજ ઉપલબ્ધ ઉત્પત્તિ અત્યંત અસાધારણ ગોલ્ડન ટેબ્બી કલર વૈવિધ્યતા પેદા કરી શકે છે, જે ઘણી વાર સ્ટ્રોબેરીતરીકે ઓળખાય છે. ગોલ્ડન ટેબ્બી વાઘ આછા સોનેરી સુંવાળા વાળ પગ અને ઓરેન્જ કલરના પટ્ટાઓ ધરાવે છે. તેમની સુંવાળી ચામડી સાધારણ કરતા વધુ જાડી હોય છે.  તમામમાંથી 30 જેટલા વધુમાં વધુ ગોલ્ડન ટેબ્બી ટાઇગર્સ પિંજરામાં છે. સફેદ વાઘની જેમ, સ્ટ્રોબેરી વાઘ ઓછામાં ઓછા બેંગાલના અર્ધા ભાગમાં જોવા મળે છે. કેટલાક ગોલ્ડન ટેબ્બી ટાઇગર્સ, હીટીરોઝીગોસ વાઘતરીકે ઓળખાય છે, જે સફેદ વાઘ ઉત્પત્તિ ધરાવે છે, અને જ્યારે એક કરતા વધુ વાઘ સમાગમ કરે છે ત્યારે, પટ્ટા વિનાના સફેદ ઓફસ્પ્રીંગ વાઘનું નિર્માણ કરે છે. સફેદ અને ગોલ્ડન ટેબ્બી વાઘ બન્ને સરેરાશ બેંગાલ વાઘની તુલનામાં મોટા હોય છે. 

વાઘ આવશ્યક રીતે એકલવાયા અને પ્રાદેશિક પ્રાણી છે. વઘાના રહેઠાણનું કદ મુખ્યત્વે શિકારની ઉપલબ્ધિ પર નિર્ભર કરે છે અને નર વાઘના કિસ્સામાં માદા વાઘણ પ્રવેશી શકે તેવી વ્યવસ્થા હોય છે. વાઘણનો વિસ્તાર 20 ચોરસ કિલોમીટરજ્યારે, નર વાઘનો વિસ્તાર ઘણો મોટો હોય છે, જે 60-100 કિમી આવરી લે છે2. નર વાઘની રેન્જ વિવિધ માદાના વિસ્તાર અને તેનાથી આગળ હોય છે. 

વાઘ-વાઘ વચ્ચેનો સંબંધ ઘણો જટિલ હોય છે અને એવું જણાય છે કે વાઘને અનુસરવા પડે તેવા પ્રાદેશિક અધિકાર અને પ્રદેશથી બહાર જવાના નિયમનો ભંગ કરવા અંગેના કોઇ નિયમો સ્થપાયા નથી. ઉદા. તરીકે મોટે ભાગે વાઘ એક બીજાથી દૂર રહે છે, નર અને માદા બન્ને મારણને વહેંચી લે છે. ઉદા. તરીકે જ્યોર્જ શેલર એવું નોંધ્યું હતું કે નર વાઘ બે માદા અને ચાર બચ્ચાઓ હોય ત્યારે મારણને વહેંચે છે।માદા વાઘણો નર વાઘ તેમના બચ્ચાઓની પાસે રહે તે બાબતે અનિચ્છા દર્શાવતી હોય છે, પરંતુ શેલરે જોયું છે કે આ માદાઓ પોતાના બચ્ચાઓને રક્ષવા કે નર વાઘથી દૂર રાખવાના પ્રયત્નો કરતી નથી, જે એવું સુચવે છે તે નર કદાચ બચ્ચાઓનો પિતા હોઇ શકે છે. તેનાથી વિરુદ્ધમાં નર સિંહ, નર વાઘ મારણ પર સૌપ્રથમ માદા અને બચ્ચાઓને અધિકાર આપશે. વધુમાં, વાઘ મારણને વહેંચતી વખતે સંબંધિત રીતે મૈત્રીપૂર્ણ રીતે મારણને વહેંચે છે, જ્યારે સિંહ તકરાર અને લડાઇ કરે છે. બિનસંબંધિત વાઘ એકી સાથે શિકાર કરતી વખતે ખવડાવતા નજરે પડ્યા છે. નીચે જણાવેલા ટાંકણ સ્ટીફન મિલ્સના પુસ્તક ટાઇગર ,માં તેઓ વાલ્મિક થાપર અને ફત્તેહ સિંહ રાઠોડને રંથામભોરે અનુભવેલી ઘટના બાબતે વર્ણવે છે 

અગ્રણી વાઘણ કે જેને તેઓ પદ્મિની તરીકે ઓળખે છે તેણે 250 કિગ્રા (150 પાઉન્ડ)ની નીલગાય, મહાકાય કાળિયારને મારી નાખી હતી. તેણે તેમને પરોઢ બાદ તેના 14 મહિનાના બચ્ચાઓ સાથ મારણની નજીક જોઇ હતી અને ત્યાર બાદના દસ કલાક સુધી તેમણે તેમને અંતરાય વિના જોયા હતા. આ ગાળા દરમિયાન આ પરિવાર સાથે બે પુખ્ત માદાઓ અને એક નર વાઘ જોડાયા હતા. તમામ બચ્ચાઓ પદ્મિનીએ આગળ બે બિનસંબંધિત વાઘ દ્વારા જણેલા બચ્ચાઓ હતા અને એક માદા અને અન્ય ઓળખાયા ન હતા. ત્રણ વાગ્યે મારણની આસપાસ નવ કરતા ઓછા વાઘ ન હતા. 

જ્યારે યુવાન માદાએ પ્રથમ પોતાનો પ્રદેશ નક્કી કર્યો હતો, તેઓ તેમની માતાના વિસ્તારની આસપાસ તેઓ તેવું કરે જ છે. માદા અને તેની માતાના પ્રદેશ સામ સામે અથડાય ત્યારે તેમાં સમયમાં વધારો થતાં ઘટાડો થાય છે. નર વાઘ, જોકે, તેની માદાની તુલનામાં વધુ ભટકે છે અને યુવાનીમાં જ ગુજરાન ચલાવવા માટે પોતાનો વિસ્તાર પ્રસ્થાપિત કરે છે. યુવાન નર વાઘ અન્ય નર વાઘે છોડી દીધેલા વિસ્તારને મેળવી લે છે અથવા જ્યાં સુધી પોતે વૃદ્ધ ન થાય અને ત્યાંના નિવાસી વાઘની સામે પડકાર જીલવા મજબૂત ન થાય ત્યાં સુધી અન્ય નર વાઘના વિસ્તારમાં પસાર થાય તેમ ત્યાં રહીને હસ્તગત કરે છે.પુખ્ત વયના વાઘમાં મૃત્યુદર (30-35 ટકા)સૌથી મોટો છે. જ્યારે જેઓ પોતાનો શિશુકાળ તાજેતરમાં જ છોડ્યો હોય તેવા નાના નર વાઘ પોતાના માટે પ્રદેશ હોવાની ખેવના કરે છે. 

માદા વાઘણ જે અન્ય માદાની હાજરી સહન કરે છે તેની તુલનામાં નર વાઘ સામાન્ય રીતે તેમના પ્રદેશમાં અન્ય નર વાઘની હાજરી સહન કરી શકતા નથી. મોટે ભાગે , પ્રાદેશિક વિવાદનો સામાન્ય રીતે સીધા આક્રમણને બદલે ધમકી દર્શાવવાથી અંત આવે છે. આ પ્રકારના વિવિધ બનાવો જોવામાં આવ્યા છે, જેમાં ઓછી શક્તિવાળા વાઘે પાછી પાની કરતા હાર માની હતી, જે ગર્ભની સ્થિતિને કારણે વશ થઇ જાય છે.  એક વખત પ્રભુત્વ સ્થપાઇ ગયા બાદ નર વાઘ વાસ્તવિક રીતે પોતાના વિસ્તારમાં જ્યાં સુધી અત્યંત નજીક ન રહે ત્યાં સુધી પોતાનાથી ઉતરતી કક્ષાના વાઘની ઉપસ્થિતિ સહન કરે છે. બે નર વાઘ વચ્ચે અત્યંત હિંસક તકરાર એવા સમયે થાય છે જ્યારે,માદા પિરીયડમાં હોય અને તે તકરાર એક નર વાઘના મૃત્યુમાં પરિણમે છે, તેમ છતાં આવા કિસ્સાઓ ખરેખર જવલ્લે જ બનતા હોય છે. 

પોતાનો પ્રદેશ ઓળખી કાઢવા માટે નર વાઘ વૃક્ષ પર પોતાનું મૂત્ર છાંટે છે અને પોતાની ગુદામાંથી રસ ઝારીને નિશાની કરે છે, તેમજ વેલા પર પોતાનામળથી નિશાની કરે છે. માદા વાઘના મૂત્રની નિશાનીઓને સુંઘીને તેની પુનઃપેદા કરવાની શક્તિને ઓળખી કાઢતી વખતે નર પોતાનું મો મચકોડે છે, જે ફ્લેહમેન પ્રતિભાવતરીકે ઓળખાય છે. 

વાઘ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને જંગલીયતમાં અભ્યાસ કરે છે. ભૂતકાળમાં વાઘની વસતીનો અંદાજ તેમના પુગમાર્કના પ્લાસ્ટર કાસ્ટનો ઉપયોગ કરીને મેળવવામાં આવતો હતો. આ પદ્ધતિ ભૂલવાળી હોવાનું બહાર આવ્યું હતું અને તેના બદલે કેમેરામાં કેદ કરી લેવાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમના મળ આધારિત નવી પદ્ધતિ ડીએનએપણ વિકસાવવામાં આવી રહી છે. જંગલી પ્રાણીઓના અભ્યાસ કરવા તેમની પર નજર રાખવા માટે રેડીયો કોલરીંગ લોકપ્રિય માર્ગ બન્યો છે.

જંગલી પ્રાણીઓમાં વાઘ મોટે ભાગે મોટા અને મધ્યમ કક્ષાના પ્રાણીઓપર પોતાના ખોરાકનો મદાર રાખે છે. સાંબર, ગૌર, ચિતલ, જંગલી ડુક્રર, નીલગાય અને જળભેંસ અને દેશી ભેંસ બન્ને ભારતમાં વાઘ માટે પ્રિય શિકાર છે. કેટલીકવાર, તેઓ ચિત્તો, પાયથોન્સ, ધીમા રીંછ અને મગરનો પણ શિકાર કરે છે. સાઇબેરીયામાં મુખ્ય શિકાર જાતિઓમાં મન્ચ્યુરીયન વાપિતી, જંગલી ડુક્કર સાઇકા હરણ, ઉંદરો, રો હરણ, અને મસ્ક હરણનો સમાવેશ થાય છે. સુમાત્રા સામંબરમાં મુંટજેક, જંગલી ડુક્કર, અને મલયન ટાપીર નો શિકાર કરવામાં આવે છે. અગાઉની કેસ્પીયન વાઘની રેન્જમાં, તેમના શિકારમાં સાઇગા કાળિયાર, ઊંટ, કૌકેસિયન વિસેન્ટ, યાક,અને જંગલી ઘોડાઓનો સમાવેશ થાય છે. અન્ય શિકાર કરનારા પ્રાણીઓની જેમ તેઓ તકવાદી હોય છે અને નાનો શિકાર ખાશે, જેમ કે વાંદરા, તેતરs, સસલા, અનેમાછલી.

પુખ્ત હાથીને સામાન્ય શિકારમાં ગણવા ઘણા મોટા છે, પરંતુ વાઘ અને હાથીઓ વચ્ચે કેટલીકવાર સંઘર્ષ થતો જોવા મળે છે. જ્યારે વાઘ પુખ્ત વયના ભારતીય ગેંડાને મારી નાખવાના કિસ્સા નોંધવામાં આવ્યા છે. નાના હાથી અને ગેંડા વિયાવાના પ્રસંગો કેટલીકવાર બને છે. વાઘ કેટલીકવાર સ્થાનિક પ્રાણીઓ જેમ કે કૂતરાઓ, ગાય, ઘોડાઓ અને ગધેડાનો શિકાર કરે છે. આ પ્રકારના વ્યક્તિગત વાઘને ખાસ પ્રકારના ગેઇમ કીલરથી વિરુદ્ધ ધણને ઉપાડનાર અથવા ધણને મારનાર તરીકે વર્ણવવામાં આવે છે. 

વૃદ્ધ વાઘ, અથવા ઘવાયેલા અને પોતાના કુદરતી રીતેજ ઉપલબ્ધ થતા શિકારને મેળવવામાં સક્ષમ ન હોય તેઓ માનવભક્ષીમાં રૂપાંતરીત થાય છે; આ પદ્ધતિ ભારતભરમાં વારંવાર બનતી જોવા મળે છે. સુંદરવનનો એક અપવાદરૂપ કિસ્સો છે, જ્યાં તંદુરસ્ત વાઘ જંગલની ઉત્પત્તિની શોધમાં માછીમારો અને ગામવાસીઓ પર તરાપ મારે છે, તેથી માનવીઓ વાઘના ખોરાકના એક નાના ભાગ તરીકે ઉપસી આવે છે.  વાઘ પ્રસંગોપાત સ્લો મેચ વૃક્ષના ફળ એવા ડાયેટરી ફાયબર જેવા શાકાહારી ખોરાકની તરફેણ કરે છે. 

વાઘ સામાન્ય રીતે રાત્રે શિકાર કરે છે. 

મોટા પ્રાણીનો શિકાર કરતા, વાઘ સૌપ્રથમ ગળાને ખાવાનું પસંદ કરે છે અને પ્રાણીને ઝકડી રાખવા માટે અને શિકારને જમીન પર પછાડવા માટે પોતાના આખા શરીરનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી શિકાર કરવામાં આવેલું પ્રાણી ગળુ દબાવવાથી મરી ન જાય ત્યાં સુધી વાઘ તેના ગળા સાથે વળગીને રહે છે. આ પદ્ધતિ દ્વારા એક ટનથી પણ વધુ વજન ધરાવતી ગૌર અને જળ ભેંસ પર છગણું વજન નાખીને મારી નાખવામાં આવી છે.  નાના શિકારના કિસ્સામાં વાઘ ગરદનકરડી ખાય છે, તેમજ ઘણી વાર તેની કરોડ રજ્જુમરડી નાખે છે, વિન્ડપાઇપમાં, અથવા મુખ્ય નસ અથવા કંઠરોહીણીમાં કાણું પાડે છે. જોકે એવપું જવલ્લેજ નોંધવામાં આવ્યું છે કે કેટલાક વાઘ તેમના પંજા વીંઝીને પ્રાણીનો શિકાર કરે છે, જે સ્થાનિક પશુની ખોપરી તોડી નાખવા માટે પૂરતા શકિતશાળી હોય છે અને and રીંછની પીછનો ભાગ તોડી નાખે છે. 

સમાગમ આખા વર્ષ દરમિયાન થતો રહે છે, પરંતુ તે વધુ માત્રામાં નવેમ્બરથી એપ્રિલના ગાળામાં થાય છે. માદા આ સમયે જ થોડા દિવસો માટે સમાગમની તરફેણ કરે છે અને સમાગમઆ ગાળા દરમિયાન સતત થતો હોય છે. આ જોડી સતત મૈથુન કરશે અને અન્ય બિલાડીઓની જેમ જ ભારે અવાજ પણ કરશે. પ્રસુતિનો ગાળો 16 સપ્તાહનો હોય છે. વિયાવાની અવસ્થમાં સાધારણ રીતે દરેકને આશરે 3-4 બચ્ચાઓ  આવે છે, જે અંધ અને નિસહાય જન્મે છે. માદા તેમની પાસ ેએકલી હોય છે, જે તેમને તિરાડવાળી ઝાડીઓ અને ટેકરીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. બચ્ચાઓના પિતા સામાન્ય રીતે તેમના ઉછેરમાં કોઇ ભાગ લેતા નથી. બિનસંબંધિત રખડતા નર વાઘ માદા સમાગમની તરફેણ કરે તે માટે બચ્ચાઓને મારી નાખે છે, તેથી માદા જો અગાઉ વિયાયી ન હોય તો ત્યાર બાદમાં પાંચ મહિનામાં ફરી વિયાવાની થાય છે.  વાઘના બચ્ચાઓનો મૃત્યુદર ઘણો ઊંચો છે-આરે અર્ધા બચ્ચાઓ બે વર્ષથી વધ જીવતા નથી.

મોટા ભાગના બચ્ચાઓમાં એક બચ્ચુ આગવું હોય છે, જે મોટે ભાગે મર હોવાની શક્યતા છે, પરંતુ તે કદાચ માદા પણ હોઇ શકે છે.  આ બચ્ચુ તેના અન્ય ભાઈ બહેન સાથે રમે છે અને તેની માતાને અગાઉની જેમ જ એકલી છોડી દે છે.આઠ સપ્તાહની ઉંમરે વાઘના બચ્ચાઓ ગુફાની બહાર તેમની માતાન અનુસરવા તૈયાર થઇ જાય છે, જો કે વાઘણ પોતાના પ્રદેશમાં ફરતી હોવાથી જ્યાં સુધી મોટા ન થઇ જાય ત્યાં સુધી તેની સાથે મુસાફરી કરી શકતા નથી. જ્યારે તેઓ 18 મહિનાની ઉંમરના થાય છે ત્યારે તેઓ સ્વતંત્ર થઇ જાય છે, પરંતુ જ્યાં સુધી તેઓ આશરે 2–2½ વર્ષના ન થઇ જાય ત્યા સુધી તેમની માતાનો સાથ છોડતા નથી. માદા 3-4 વર્ષે સેક્સ્યુઅલ પરિપક્વતા મેળવે છે, જ્યારે નર 4-5 વર્ષે સેક્સ્યુઅલ પરિપક્વતા હાંસલ કરે છે. 

વાઘણના આયુષ્ય ગાળામાં માદા વાઘ આશરે સમાન સંખ્યામાં નર અને માદાને જન્મ આપે છે. વાઘ પીંજરામાં સારી રીતે વંશ વધારી શકે છે અને અમેરિકામાં કેપ્ટીવ વસતી વિશ્વની હરીફ અને જંગલી વસતીના પ્રમાણમાં છે. 

વાઘ પ્રસંગોપાત અત્યંત ભયાનક લૂંટારુ પ્રાણીઓ જેમ કે ચિત્તો, પાયથોન્સ અને મગરને મારી શકે છે જોકે લુંટારું પ્રાણીઓ સામાન્ય રીતે એકબીજાથી દૂર રહેતા હોય છે. જ્યારે વાઘ મગરના શિકંજામાં સપડાઇ જાય ત્યારે તે પેટે ઘસાઇને ચાલતા પ્રાણીની આંખમાં પોતાના પંજા વડે પ્રહાર કરે છે. ચિત્તાઓ દિવસમાં અલગ અલગ પ્રાણીઓના શિકારમાં વાઘ સાથે સ્પર્ધા કરે છે.  ગુપ્ત જગ્યાએ સંતાઇને શિકાર કરતા વાઘ અને ચિત્તાઓ સ્પર્ધા સિવાય પણ એક સાથે સફળતાપૂર્વક જોવા મળ્યા છે અથવા સતત ઘાસવાળી જગ્યામાં આંતરજાતિઓ વચ્ચે આ પ્રકારની આગવી પ્રતિભા જોવા મળે છે. જ્યાં બે જાતિઓની હાજરી હોય તે સ્થળે વરૂની વસતી ઘટાડવા માટે વાઘ જાણીતા છે. જંગલી કૂતરાઓના ઝૂંડને હૂમલો કરતા અને ખાદ્યાન્ન માટે વાઘની હત્યા કરતા પણ જોવાયા છે, જો કે સામાન્ય રીતે મોટું નુકસાન જોવાયું નથી.  સાઇબેરીયન વાઘ અને ભૂખરા રીંછસ્પર્ધકો હોઇ શકે છે અને સામસામે આવવાનું ટાળે છે; જોકે, વાઘ રીંછના બચ્ચાઓને મારી નાખશે અને કેટલાક પ્રસંગોએ મોટા રીંછને પણ મારી નાખે છે. રીંછ (એસિયાટિક કાળા રીંછઅને ભૂખરા રીંછ) રશિયાના દૂર પૂર્વમાં વાઘના ખોરાક સામે 5-8 ટકામાં ચલાવી લે છે.  ભૂખરા રીંછોએ ક્યાં તો સ્વબચાવમાં અથવા મારણ બાબતેના ઝઘડામાં વાઘને મારી નાખ્યાનો પણ ઇતિહાસ છે.  કેટલાક રીંછ કે જેઓ નિષ્ક્રિયતામાં ઉઠે છે તેઓ વાઘ તેના મારણનો પ્રતિકાર કરે તો પણ તેના મારણને ચોરવાનો પ્રયાસ કરે છે. ધીમી ચાલવાળા રીંછ ભારે આક્રમક હોય છે અને કેટલીકવાર નાના વાઘને તેમના મારણથી દૂર કાઢી મૂકે છે, જોકે મોટા ભાગના કિસ્સાઓમાં વાઘ આ રીંછનો શિકાર કરે છે. 

ખાસ પ્રકારના વાઘ દેશ ત્રણ મુખ્ય લક્ષણો ધરાવે છે: તે હંમેશા સારુંઆવરણધરાવે છે, તે હંમેશા પાણી અને પુષ્કળ શિકારઉપલબ્ધ તેની નજીક હશે.બેંગાલ વાઘ દરેક પ્રકારના જંગલોમાં રહે છે, જેમાં ભીના, હરિયાળા, આસામનાઓછા હરિયાળા અને પૂર્વ બેંગાલ; ગેંજીસડેલ્ટાના મેન્ગ્રુવ જંગલ; નેપાળનાપાનખર જંગલઅને પશ્ચિમી ઘાટના કાંટાવાળા જંગલોનો સમાવેશ થાય છે. સિંહની તુલનામાં વાઘ વધુ પડતા શાકાહારી હોય છે, જેના માટે છદ્મવેશી દેખાવ યોગ્ય રીતે ઉત્તમ છે અને જ્યાં એક પણ લુંટારું પ્રાણી નથી તે તેના અભિમાનને ઠેસ પહોંચાડે છે. મોટી બિલાડીઓમં ફક્ત વાઘ જ અને ચિત્તા જેવા પ્રાણી શક્તિશાળી તરવૈયાછે; વાઘ મટે ભાગે સરોવર, તળાવ, અને નદીમાં સ્નાન કરતા જોવા મળ્યા છે. અન્ય બિલાડીઓ કે જે પાણીથી દૂર રહેવા ટેવાયેલી હોય છે, ત્યારે વાઘને તે અત્યંત ગમે છે. દિવસની ભારે ગરમીમાં તેઓ કેટલીકવાર પૂલમાં ઠંડક લેતા જોવા મળ્યા છે. વાઘ સુંદર તરવૈયા છે અને 4 માઇલ સુધી તરી શકે છે. વાઘ ઘણી વાર પોતાના શિકારને તળાવની પેલે પાર લઇ જતા જોવાયા છે. 

વાઘની ચામડી માટે ચોરીથી શિકાર અને વસતી વિનાશ ને કારણે જંગલી પશુઓમાં વાઘની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. 20મી સદીના પ્રારંભમાં, એવું મનાય છે કે વિશ્વમાં 100,000થી વધુ વાઘ હતા, પરંતુ તે સંખ્યા ઘટીને આશરે 2,000 વાઘની થઇ ગઇ છે.  કેટલાંક અંદાજો સુચવે છે કે વસતી હજુ પણ ઓછી છે, 2,500 કરતા પણ ઓછા વંશવૃદ્ધિ આગળ ધપાવતા પરિપક્વ વાઘ સાથે 250 કરતા વધુ વંશવૃદ્ધિ આગળ ધપાવતા પરિપક્વ વાઘનો સમાવેશ પેટાજાતિઓમાં થતો નથી. હાલમાં પીંજરામાં રહેલા આશરે 20,000 જેટલા વાઘ સાથે લુપ્તતાનું જોખમ રહ્યું નથી, જોકે પીંજરાની વસતીના ભાગ જેમ કે ચીનના કોમર્શિયલ ટાઇગર ફાર્મમાં 4-500 પ્રાણીઓ ઓછી ઉત્પત્તિ શકિત ધરાવનારા છે. 

વિશ્વમાં ભારત સૌથી વધુ માનવ વસતી સાથે સૌથી વધુ જંગલી વાઘની વસતી ધરાવે છે. સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જેને ઇન્દીરા ગાંધીદ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં માનવ વસતીનો સ્પષ્ટ અભાવ છે તેવી ખેતીલાયક જમીન પર 25 જેટલા સુંદર દેખરેખ વાળા ટાઇગલ રિઝર્વની સ્થાપનાનું મૂળ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બેંગાલ વાઘની સંખ્યા જે 1973માં 1,200ની હતી તે વદીને 1990માં 3,500ની થઇ છે, આમ સખ્યામાં ત્રણ ગણા વધારાનો યશ આ કાર્યક્રમને જાય છે, જોકે ભારત સરકારના કેટલાક અહેવાલો અમુક સમયે શંકા જગાવનારા હોય છે.  આદિજાતિ વસતીને માન્ય વાઘ વનની અંદર રહેવાની મંજૂરી આપતા તાજેતરમાં જ પસાર કરવામાં આવેલા ટ્રાઇબલ ખરડાની કાર્યક્રમની સતત સફળતા પર અસર પડશે તેવું માનવામાં આવે છે. 

સાઇબીરીયન વાઘની વસતી 1940માં આશરે 40ની હતી ત્યારે મનાતું તેનું નામોનિશાન લુપ્ત થવામાં છે. સોવિયેત યુનિયન હેઠળ, ચોરીથી શિકાર પરનું નિયંત્રણ કડક હતું અને રક્ષિત વિસ્તાર(ઝેપોવેન્ડનિક)ના રક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે વધુ સોએક વાઘની વસતી વધારામાં પરિણમ્યો હતો. ચોરીથી શિકાર પ્રવૃત્તિ 1990માં ફરી એક વાર સમસ્યા બની ગઇ હતી, જ્યારે રશીયન અર્થતંત્રપડી ભાંગ્યું હતું, અને સ્થાનિક શિકારીઓ અગાઉના લોભામળા ચાઇનીઝ બજારમાં પ્રવેશી ચૂક્યા હતા અને તે પ્રદેશમાં તેમની સંખ્યામાં વધારો થયો હતો. સ્થાનિક અર્થતંત્રમાં થયેલો સુધારો સંરક્ષણ પ્રયત્નોમાં રોકાણ કરવામાં આવનારા મોટા સ્ત્રોતોના વધારામાં પરિણમ્યો હતો, આર્થિક પ્રવૃત્તિમાં થયેલો વધારો વિકાસ અને બિનજંગલીકરણના દરના વધારામાં પરિણમ્યો હતો. જાતિઓને સાચવી રાખવામાં મોટો અંતરાય અસંખ્ય પ્રદેશોમાં વ્યક્તિગત વાઘ જરૂરી છે(450 કીમી2નું અંતર એક માત્ર માદાને જોઇએ છે).પ્રવર્તમાન સંરક્ષણ પ્રયત્નો સ્થાનિક સરકાર અને એનજીઓદ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓન સૌજન્યથી હાથ ધરવામાં આવ્યા છે, જેમ કે વર્લ્ડ વાઇડ ફંડ અને વાઇલ્ડલાઇફ કંઝર્વેશન સોસાયટી.વાઘ દ્વારા રીંછની સંખ્યામં કરવામાં આવેલો સ્પર્ધાત્મક ઘટાડો રશિયાના સંરક્ષણવાદીઓ દ્વારા દૂર પૂર્વના શિકારીઓને મોટી બિલાડીઓથી સહન કરવા માટે કરવામાં આવ્યો હતો, કેમ કે તેઓ વરૂની તુલનામાં સસ્તન પ્રાણીઓની સંખ્યા મર્યાદિત રાખતા હતા અને તેઓ વધતી વસતીને નિયંત્રણાં લેવા માટે અસરકારક છે.  હાલમાં, જંગલી પશુઓમાં 400-550 પ્રાણીઓ છે.

તિબેટમાં, વાઘ અને ચિત્તાની ચામડીઓનો પરંપરાગત રીતે વિવિધ વિધી અને કોસ્ચ્યુમ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. જાન્યુઆરી 2006માં દલાઇ લામા જંગલી પ્રાણીઓની પેદાશો અને પેટાપેદાશોના ઉપયોગ, વેચાણ અથવા ખરીદવાની મંજૂરી આપતા કાયદાનો વિરોધ કર્યો હતો.હજુ પણ એ જોવું રહ્યું કે આ બાબત ચોરીથી શિકાર કરેલા વાઘ અને ચિત્તાની ચામડીની લાંબા ગાળાની માગમાં કોઇ ઘટાડામાં પરિણમે છે કે નહી. 

રિવાઇલ્ડીંગપ્રત્યેનો પ્રથમ પ્રયત્ન ભારતીય સંરક્ષણવાદી બીલ્લી અર્જન સિંઘદ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે ઝૂમાં જન્મેલી તારા નામની વાઘણનો ઉછેર કર્યો હતો અને તેને દીધવા નેશનલ પાર્કના જંગલમાં 1978 છૂટી મૂકી હતી. આ વાઘણે જે લોકોને કરડી ખાધા હતા તેમના દ્વારા આ પ્રક્રિયા ટૂંક સમાયં શરૂ કરવામાં આવી હતી, જેને પાછળથી ગોળી મારીને મારી નાખવામાં આવી હતી. સરકારી અધિકારીઓના દાવા પ્રમાણે આ વાઘણ તારા હતી, જોકે આ નિવેદનનો સિંઘ અને સંરક્ષણવાદીઓ દ્વારા સખત રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં રિવાઇલ્ડીંગ પ્રથાને લાંછન લાગ્યું હતું, કેમ કે સ્થાનિક ઉત્પત્તિ તારણપર તારાની ઓળખ બાદ શંકા વ્યક્ત કરવામાં આવી હતી કેમ કે તે થોડી સાઇબીરીયન વાઘ હતી, આ હકીકત દેખીતી રીતે તેને છૂટી મૂકાઇ તે સ્થળવાયક્રોસ ઝૂખાતેના નબળા રેકોર્ડ કીપીંગને કારણે જાણમાં ન હતી.

સેવ ચાઇનાઝ ટાઇગર્સ સંસ્થા, સ્ટેટ ફોરેસ્ટ્રી એડમિનીસ્ટ્રેશન ઓફ ચાઇનાના વાઇલ્ડલાઇફ રિસર્ચ સેન્ટર અને ચાઇનીઝ ટાઇગર્સ સાઉથ આફ્રિકા ટ્રસ્ટ સાથે કામ કરે છે, જેણે જંગલમાં ચાઇનીઝ વાઘને પુનઃ મૂકવા બાબતે કરાર કર્યા હતા. 26 નવેમ્બર 2002ના રોજ બેઇજીંગમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેવો આ કરાર ચીનમાં પાયલોટ રિઝર્વ દ્વારા કે જ્યાં દક્ષિણના વાઘને પમ ફરીથી મૂકવામાં આવનાર છે અને સ્થાનિક જગલી જીવન છે તેના મારફતે ચાઇનીઝ ટાઇગર કંઝર્વેશન મોડેલની સ્થાપનાનું કહે છે. સેવ ચાઇનાઝ ટાઇગર્સ અત્યંત ભયંકર એવા દક્ષિણ ચાઇના ટાઇગરને નવા કેપ્ટીવ વંશ વાળા વાઘને તેમની શિકારી પ્રવૃત્તિ પુનઃ લાવીને તેમને પુનઃવસવાટની તાલીમ માટે દક્ષિણ આફ્રિકા લાવીને રિવાઇલ્ડ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. તેની સાથે જ, ચીનમાં પાયલોટ રિઝર્વ સ્થાપવામાં આવી રહી છે અને વાઘને પુનઃસ્થાપિત કરવામાં આવશે અને જ્યારે ચીનમાં રિઝર્વ તૈયાર થઇ જાય ત્યારે તેમાં છૂટા મૂકી દેવામાં આવશે.  તાલીમ પામેલા વાઘના બચ્ચાઓને ચીનના પાયલોટ રિઝર્વમાં છૂટા મૂકવામાં આવશે, જ્યારે મૂળ પ્રાણીઓ દક્ષિણ આફ્રિકામાં રહીને પોતાનો વંશવેલો આગળ ધપાવશે.  

દક્ષિણ આફ્રિકા પસંદ કરવાનું કારણ એ છે કે તે કુશળતા અને સ્ત્રોતો, જમીન અને દક્ષિણ આફ્રિકાના વાઘ માટે રમત પૂરી પાડી શકે તેમ છે. પ્રોજેક્ટના દક્ષિણ ચાઇના વાઘને સફળતાપૂર્વક રિવાઇલ્ડ કરવામાં આવ્યા છે અને તેઓ સ્પૂર્ણ રીતે શિકાર કરવામાં અને પોતાની જાતે જીવન જીવવા માટે સક્ષમ છે.  આ પ્રોજેક્ટ આ રિવાઇલ્ડેડ દક્ષિણ ચાઇના વાઘના વંશ માટે સફળ છે અને આ પ્રોજેક્ટમાં 5 જેટલા બચ્ચા પેદા થયા છે અને આ બચ્ચાઓની બીજી પેઢી તેમની સફળ રિવાઇલ્ડેડ માતા પાસેથી અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતા શીખવા સક્ષમ બનશે. 

વાઘ એ એશિયામાં અનેક મોટા પાંચમાંનું ગેઇમ પ્રાણી છે.ઓગણીસમી અને વસમી સદના પ્રારંભમાં વાઘના શિકારની પ્રવૃત્તિએ મોટા પ્રમાણમાં સ્થાન લીધુ હતું, કેમ કે તે જમાનામાં કર્નનીયલ ભારતમાં બ્રિટીશ તેમજ તેમજ મહારાજાઓ અને ભારતની સ્વતંત્રતા પહેલા તત્કાલિન પ્રિન્સલે સ્ટેટસના ઉચ્ચ વર્ગ દ્વારા આ રમતને ઓળખ અને ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી. વાઘનો શિકાર પગપાળા ચાલતા કેટલાક શિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો; જ્યારે અન્ય માંચડા  પર બકરી અથવા ભેંસને મારણ તરીકે બાંધીને બેસતા હતા; જ્યારે કેટલાક લોકો હાથીની પીઠ પર બેસતા હતા.  કેટલાક કિસ્સાઓમાં પ્રાણીઓને મારણ સ્થળે ધકેલવા માટે ગામવાળાઓને ઢોલ વગાડવા માટે કહેવામાં આવતું હતું. વાઘની ચામડી માટે વિગતવાર સુચનાઓ ઉપલબ્ધ હતી અને વાઘની ચામડી બનાવનારા પ્રાણીમર્મ વિહ લોકો પણ ઉપલબ્ધ હતા. 

માનવીઓ વાઘ માટે નિયમિત શિકાર નહી હોવા છતાંયે તેમણે અન્ય પ્રાણીની તુલનામાં વધુ માણસોને મારી નાખ્યા છે, આવા સ્થલોમાં ખાસ કરીને જ્યાં વસતી વધુ હોય, ઉભરાતી હોય અને ખેતીને કારણે વાઘના વસવાટ પર દબાણ આવ્યું હોય તેનો સમાવેશ થાય છે. મોટા ભાગના માનવ ભક્ષી વાઘ વૃદ્ધ હોય છે અને તેમને નખ હોતા નથી, તેમનો માનીતો શિકાર કરવાની તેમની ક્ષમતા નહી હોવાથી જ તેઓ માનવીઓનો શિકાર કરે છે.  મોટા ભાગના વાઘ કે જેમને માનવભક્ષી વાઘ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોય છે તેમને ઝડપથી ઝડપી લઇને મારી નાખવામાં આવે છે અથવા પીંજરામાં પૂરી દેવામાં આવે છે. માનવભક્ષી ચિત્તા સિવાય પણ સ્થાપિત માનવભક્ષી વાઘ ભાગ્યે જ માનવ વસતીમાં પ્રવેશે છે, જે ગામડાની બહારના ભાગમાં આવેલા હોય છે.  તેમ છતા પણ, વસતી ધરાવતા ગામડાઓમાં પણ હૂમલાઓ થતા હોય છે. માનવભક્ષકો ભારતમાં અને બાંગ્લાદેશમાં એક ખાસ સમસ્યા છે, ખાસ કરીને કુમાઓન, ગઢવાલઅને સુંદરવન બેંગાલના મેનગ્રુવમાં, કેટલાક વાઘ માનવીઓને શિકાર બનાવવા માટે જાણીતા છે. હવામાનમાં ફેરફારને કારણે વસતીમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાથી વાઘના હૂમલાઓ સુંદરવનમાં વધી ગયા છે. 

ચીનમાં મોટા ભાગના લોકોમાં એવી માન્યતા છે કે વાઘના વિવિઘ અંગમાં ઔષધીય મહત્તા સમાયેલી છે, જેમાં પેઇન કિલર્સ અને એફોર્ડીસિયેક નો સમાવેશ થાય છે.આ માન્યતાને ટેકો આપતા કોઇ વૈજ્ઞાનિક પૂરાવા નથી. ચીનમાં વાઘના અંગનો ફાર્માસ્યુટિકલ દવામાં ઉપયોગ પર ક્યારનોયે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સરકારે ચોરીથી વાઘનો શિકાર કરનારાઓ પર મૃત્યુદંડ આપવા સુધીની જોગવાઇ કરી છે. વધુમાં, વાઘના અંગના તમામ વેપાર કોન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પેસીસ ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરાહેઠળ ગેરકાયદે માનવામાં આવ્યા છે અને સ્થાનિક વેપાર ચીનમાં 1993થી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતા નફા માટે વંશ આગળ ધપાવવામાં કૌશલ્ય ધરાવા દેશમાં અસંખ્યટાઇગર ફાર્મની હયાતી છે. એવું મનાય છે કે આજે પણ આ ફાર્મમાં 4,000થી 5,000 વચ્ચે કેપ્ટીવ-વંશ, નાના પ્રાણીઓ જીવંત છે. 

એસોયિસેશન ઓફલ ઝૂ એન્ડ એક્વેરીયમ્સના અંદાજ અનુસાર આશરે 12,000 જેટવા વાઘને અમેરિકામાં પાલતુ તરીકે રાખવામાં આવ્યા છે, જે વિશ્વની સમગ્ર જંગલી જાતની તુલનામાં વધુ છે.  4,000 જેટલા વાઘ ફક્તટેક્સાસમાં જ પાળવામાં આવ્યા હોવાનું મનાય છે. 

અમેરિકામાં વાઘની ભારે વસતી પાછળનું એક કારણ ત્યાંના કાયદા છે. ફક્ત ઓગણીસ રાજ્યોમાં વાઘની માલિકી ધરાવવા સામે પ્રતિબંધ છે, પંદરમાં ફક્ત પરવાનો લેવાનું જરૂરી છે અે 16 રાજ્યોમાં કોઇ કાયદા નથી. 

અમેરિકન ઝૂ અને સર્કસમાં વંશવેલાના કાર્યક્રમની સફળતા 1980 અને 1990માં ભારે દબાણમાં પરિણમ્યો હતો, જેના લીધે પ્રાણીઓના ભાવમાં ઘટાડો થયો હતો.  એસપીસીએના અંદાજ અનુસાર હવે 500 જેટલા સિંહ, વાઘ અને અન્ય મોટી બિલાડીઓ ફક્ત હ્યુસ્ટોન વિસ્તારમાં જ ખાનગી માલિકીપણા હેઠળ છે.

પૂર્વ એશિયાની સંસ્કૃતિમાં ચોપગા પ્રાણીઓના રાજા તરીકે સિંહને સ્થાને વાઘ હતા,[223] જે શ્રીમંતાઇ, અભયતા અને ક્રોધ પ્રદર્શિત કરે છે.[225] તેના કપાળ એવા ચિહ્નો કરવામાં આવ્યા હતા જે ચાઇનીઝ પાત્ર સાથે મળતા આવે છે, જેનો અર્થ રાજાજેવો થાય છે; પરિણામે, ચીન અને કોરીયામાં વાઘને પ્રદર્શિત કરતા અસંખ્ય કાર્ટુનોને તેમના કપાળ પર ચિત્ર દોરવામાં આવ્યું હતું. [226]

ચાઇનીઝ માન્યતા અને સંસ્કતિની મહત્તાના ભાગરૂપે વાઘ પ્રાણીઓની 12 ચાઇનીઝ રાશિમાંનું એક હતા. તેમજ વિવિધ ચાઇનીઝ કલા અને માર્શલ આર્ટમાં, વાઘને પૃથ્વીના એક સંકેત તરીકે અને ચાઇનીઝ ડ્રેગનના સમાન હરીફ તરીકે દર્શાવવામાં આવ્યા છે- બન્ને સંકેતો અનુક્રમે સાર અને આત્મા દર્શાવે છે. હકીકતમાં, દક્ષિણી માર્શલ આર્ટ હંગ ગાવાઘ અને ક્રેનની હલચલ પર આધારિત છે. ચીન સામ્રાજ્યમાં, વાઘ યુદ્ધનું એક પ્રતિક હતો અને ઘણી વાર તેને સૌથી ઊંચા લશ્કરી જનરલતરીકે માનવામાં આવતા હતા (અથવા વર્તમાન સમયના સંરક્ષણ સચિવ),જ્યારે સમ્રાટ અને સામ્રાજ્ઞીને અનુક્રમે ડ્રેગનઅને ફોનીક્સ,દ્વારા દર્શાવવામાં આવતા હતા. સફેદ વાઘ ()ચાઇનીઝ નક્ષત્રના ચાર પ્રતિકોમાંના એક હતા. તેને ઘણી વાર પશ્ચિમના સફેદ વાઘ કહેવામાં આવતા હતા અને (西方白虎), અને તે પશ્ચિમઅને પાનખર ઋતુને રજૂ કરે છે. 

બુદ્ધ ધર્મમાં, તે ત્રણ અબુદ્ધ સર્જનોમાંના એક છે, જે ક્રોધનો સંકેત આપે છે, જ્યારે વાંદરો અને લોભી અને હરણ પ્રેમાંધનો સંકેત આપે છે. 

ટુંગુસિક પ્રજાએ સાઇબીરીયન વાઘને ખોરાકની નજીકના તરીકે ગણના કરી હતી અને ઘણી વખત તેનો as ગ્રાન્ડફાધર અથવા ઓલ્ડ મેન તરીકે ઉલ્લેખ કર્યો હતો. ઉડેગેઅને નાનાઇ અંબા કહેતા હતા. મંચુસાઇબીરીયન વાઘને હુ લિન, રાજા તરીકે ગણતા હતા. 

જેની મોટા પાયે પૂજા થાય છે તેવા હિન્દુ માતાજી દુર્ગા,દેવી-પાર્વતીનુ્ં એક સ્વરૂપ છે, જે દસ હાથવાળી યોદ્ધા છે, જે યુદ્ધમાં જતી વખતે વાઘણ (કે સિંહણ) પર સવારી કરે છે દત્રિણ ભારતમાં પ્રભુ ઐયપ્પા પણ વાઘ સાથે સંકળાયેલા હતા. 

એશિયામાં શેપશિફ્ટીંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેરવુલ્ફના સ્થાને વેરટાઇગર હતા. ભારતમાં તેઓ જાદુટોણા કરનાર ભૂવા હતા, જ્યારે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં હિતકારક હતા. 

વાઘ જંગલ બુક  અને વિલીયમ બ્લેક એમ બન્નેમાં અનુભવ ગીત  તરીકે રુદયાર્ડ કિપ્લીંગમાં એક વિષય તરીકે સતત રહ્યા છે, જેમાં વાઘને જોખમી અને ડરામણા પ્રાણી તરીકે વર્ણવવામાં આવ્યા છે.ધી જંગલ બુક માં, વાઘ, શેરખાન,તેના આગેવાન મૌવગ્લીઆગેવાનના દુષ્ટ જીવલેણ દુશ્મન છે. જોકે, અન્ય પાત્રતા વધુ કૃપાળુ છે: એ.એ. મિલનેના વિન્ની દ પૂહ વાર્તાઓના વાઘ, બાથ ભરી શકાય અને ગમે તેવા છે. મેન બુકર પ્રાઇઝ કે જે નવલકથા લાઇફ ઓફ પીઆઇ,માં આગેવાન, પીઆઇ પટેલ, પેસિફિક સમુદ્રમાં પડી ભાંગેલા વહાણમાં તેઓ એક માત્ર જીવતા રહ્યા હતાઃ જ્યારે બીફ્રેન્ડઝ પણ જીવતા રહ્યા હતાઃ મોટો બેંગાલ વાઘ.પ્રખ્યાત રમૂજી વાર્તા કેલ્વિન એન્ડ હોબ્બીઝ માં કેલ્વિન અને અને તેના સ્ટફ્ડ વાઘ હોબીઝ અભિનય કરે છે. આ ઉપરાંત વાઘને લોકપ્રિય સેરેલ ફ્રોસ્ટેડ ફ્લેક્સના આવરણ પર પણ મૂકવામાં આવ્યા છે. (જેનું ફ્રોસ્ટીસતરીકે પણ માર્કેટિંગ કરવામાં આવ્યું હતું) જેમાં તેનું નામ ટોની ધ ટાઇગરહતું.

ભારતની આદીવાસી પ્રજાઓ તેને વાઘદેવ તરીકે પુજે છે.

વાઘ એ બાંગ્લાદેશ, નેપાળ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે (બેગાલ ટાઇગર) મલેશિયા (મલાયન ટાઇગર), ઉત્તર કોરયાઅને દક્ષિણ કોરીયા (સાઇબીરીયન ટાઇગર)નું રાષ્ટ્રીય પ્રાણી છે.

એનિમલ પ્લાનેટદ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં વાઘને વિશ્વના લોકપ્રિય પ્રાણી તરીકે મત આપવામાં આવ્યો હતો, જે કૂતરાથી સહેજ આગળ હતા. 73થી વધુ દેશોના 50,000 કરતા વધુ સમીક્ષકોએ તે સર્વેક્ષણમાં મત આપ્યો હતો. તે સર્વેક્ષણમાં વાઘને 21 ટકા મત, કૂતરાને 20 ટકા, ડોલ્ફીનને 13 ટકા, ઘોડાને 10 ટકા, સિંહને 9 ટકા, સાપને 8 ટકા, તેમજ ત્યાર બાદ હાથી, ચિંપાઝી, ઓરંગુટમ અને વ્હેલને પણ મત આપવામાં આવ્યા હતા.

એનિમલ પ્લાનેટ સાથે કામ કરનાર પ્રાણીની વર્તણૂંક સમજનાર કેન્ડી ડીસાએ જણાવ્યું હતું કે: આપણે વાઘ સાથે સંબંધ રાખી શકીએ છીએ કેમ કે તે હિંસક અને બહારની બાજુએ પ્રભુત્વ ધરાવનાર છે, પરંતુ સાથે સાથે અંદરખાનેથી ઉમદા અને સમજદાર પ્રાણી છે. 

વર્લ્ડ વાઇલ્ડલાઇફ કંઝર્વેશન ચેરિટી ખાતેના ઇન્ટરનેશનલ સ્પેસીઝ ઓફિસર કેલ્લુમ રેન્કેઇને જણાવ્યું હતું કે પરિણામે તેમને આશા આપી હતી. જો લોકો વાઘને પોતાના પ્રાણી તરીકે મત આપતા હોય તો, તેને અર્થ એ કે તેઓ તેની અગત્યતા સમજે છે અને કદાચ તેમના અસ્તિત્વની જરૂરિયાત પણ જાણે છે એમ જણાવ્યું હતું. 




#Article 66: સૂર્ય (1876 words)


સૂર્ય આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો એક તારો છે. પૃથ્વી તથા અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. 

પ્રાથમિક તારો જેની આસપાસ પદાર્થો ભ્રમણ કરે છે તેને પણ તે સૂર્યમંડળનો સૂર્ય કહેવાય છે. ક્યારેક બહુ તારા મંડળ જેમાં બે કે વધુ તારાઓ હોય તેમાં આવા તારાઓને સૂર્યો પણ કહેવાય છે.

સૂર્ય આપણી આકાશગંગાનો (સામાન્ય કક્ષાનો) (main sequence) તારો છે. તેનો સ્પેક્ટરલ વર્ગ G2 છે- એટલે કે - સૂર્ય સરેરાશ તારાથી ભારે તથા ગરમ પણ બ્લુ જાયન્ટથી નાનો છે. સૂર્યની સપાટી નુ તાપમાન ૬૦૦૦ K છે. સામાન્ય કક્ષાના G2 તારાઓનો સરેરાશ જીવનકાળ આશરે ૧૦ અબજ વર્ષ (૧૦ Ga) હોય છે. સૂર્ય ન્યુક્લિઓ-કોસ્મો-ક્રોનોલોજી પ્રમાણે લગભગ ૫ અબજ વર્ષ પહેલા રચાયો હોવાનુ મનાય છે. સૂર્ય આપણી આકાશગંગાના કેન્દ્રથી ૨૫,૦૦૦-૨૮,૦૦૦ પ્રકાશવર્ષના અંતરે આવેલ છે. કેન્દ્રની આસપાસ પરીક્રમણ કરતા સૂર્યને ૨૨૬ મીલીયન ૨૨૬ Ma વર્ષ લાગે છે. સૂર્યની કક્ષામાં ભ્રમણ ગતિ ૨૧૭ કી.મી/સેકન્ડ છે (એટલે કે, ૧૪૦૦ વર્ષમાં ૧ પ્રકાશવર્ષ, અને ૮ દિવસમાં ૧ એયુ).

ખગોળશાસ્ત્રમાં સૂર્યને દર્શાવવા (☉) સંકેત વપરાય છે. 

સૂર્યની સામે જોવાથી આંખના રેટીનાને નુકશાન પામે છે તથા અંધત્વ આવવાનો ભય પણ છે. વધુ વિગત માટે નીચે જુઓ.

સૂર્ય ગરમ પ્લાઝ્માનો બનેલો એક લગભગ ક્ષતિરિક્ત(ચોક્કસ) ગોળાકાર તારો છે. તેનો ઉપવલયતા-ગુણોત્તર (oblateness) 9 છે. આમ તેનો તેના ધ્રુવ પાસેનો વ્યાસ તેના  વિષુવવૃત્તીય વ્યાસથી ૧૦ કી.મી. નાનો છે. આનું કારણ તેનું ખૂબ મંદ કેન્દ્રત્યાગી ભ્રમણ છે. સૂર્યનું ભ્રમણ તેની સપાટીના ગુરૂત્વાકર્ષણથી ૧.૮ કરોડ ગણું ઓછું છે. ગ્રહોના સમુદ્રી મોજાની ભરતી-ઓટ સૂર્યના કદને અસર પાડતી નથી. પરંતુ સૂર્ય સૂર્યમંડળના કેન્દ્રથી છેટે barycenterની (ગુરુત્વ-મધ્યબિંદુ) આસપાસ ફરે છે જેનુ કારણ ગુરૂ ગ્રહ છે. સુર્યના કિરણોને પૃથ્‍વી પર પહોચતાં ૮.૨૫ મિનિટ લાગે છે 

અન્ય ગ્રહોની જેમ સૂર્યને ચોક્કસ બાહ્ય સપાટી નથી, પરંતુ સૂર્યમાં રહેલા વાયુઓની ઘનતા સૂર્યના કેન્દ્રથી તેમના અંતરના ઘાતાંકીય વિતરણ । ઘાતાંકીય  સંબંધ મુજબ ઓછી થતી જાય છે. 	
એમ હોવા છતાં, સૂર્યનું સારી રીતે વ્યાખ્યાયિત આંતરિક માળખું છે, જે નીચે મુજબ છે. સૂર્યની ત્રિજ્યા કેન્દ્રથી ફોટોસ્ફીયરની સપાટી સુધી લેવામાં આવે છે.

સૂર્યનો આંતરિક ભાગ સીધો જ સુલભ નથી હોતો અને સૂર્ય પોતે પણ વિદ્યુતચુંબકીય વિકિરણોથી અપારદર્શક હોય છે. આપણું સૂર્યના આંતરિક ભાગનું જ્ઞાન તારાઓના કૉમ્પ્યુટર વડે બનેલા નમૂનાઓ અને હેલીઓ-સિઝમોલોજી(helioseismology), સૂર્યની અંદરથી આવતા ધ્વનિતરંગોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયું છે.

સૂર્યના કેન્દ્રમાં, જ્યાં તેની ઘનતા ૧૫૦ ગ્રામ/સેમી૩ (એટલે કે પૃથ્વી પર પાણી કરતા 150 ગણી), થર્મોન્યુક્લીયર પ્રક્રિયા (ન્યુક્લીયર સંલયન) દ્વારા હાઇડ્રોજનનું હીલીયમમાં રૂપાંતર થવાથી પ્રઞટ થતી ગરમી વડે સમગ્ર તારો ધગધગે છે. દર સેકન્ડે આશરે ૮.૯×૧૦૩૭ પ્રોટોન હાઇડ્રોજન ન્યુક્લીયસનું હીલીયમ ન્યુક્લીયસમા રૂપાંતર થાય છે. જેનાથી ૪.૨૬ મિલિયન (૪૨.૬ લાખ) ટન/સેકન્ડ અથવા ૩૮૩ yottawatts (૯.૧૫5×૧૦૧૬ ટન ટી.એન.ટી / સેકન્ડ) પદાર્થ-ઊર્જા જેટલી પરાવર્તીત ઊર્જા ચૂંબકીય-મોજાં, રૂપે સૂર્યના અન્ય સ્તરો વટાવી બાહ્ય અવકાશમાં વછુટે છે, સૂર્યપ્રકાશ અને ન્યુટ્રીનો (અને થોડા પ્રમાણમાં ગતિ અને સૂર્ય પવનોના પ્લાઝ્માની ઉષ્માઊર્જા અને સૂર્યના ચૂંબકીય ક્ષેત્રની ઊર્જા રૂપે). સંલયન રીએક્ટર આવી જ પ્રક્રિયા વડે પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરી શકે, જે કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ માને છે કે  ભવિષ્યમાં એક દિવસ માનવ ઉપયોગ માટે ઉર્જા પૂરી પાડી શકશે.

ફક્ત સૂર્યનું કેન્દ્રના કેન્દ્રમાં ન્યુક્લિયર સંલયનની ક્રિયાથી મોટા ભાગની ઉષ્માઉર્જા ઉત્પન્ન થાય છે: સૂર્યનો બાકીનો કેન્દ્ર સિવાયનો ભાગ કેન્દ્રમાંથી બહાર આવતી ઉષ્મા ઉર્જાથી ગરમ થાય છે. આંતરિક સંલયનની બધી ઊર્જાને બ્રહ્માંડમાં મુક્ત થતા પહેલા સૂર્યના ફોટોસ્ફીયરના બધા સ્તરોમાંથી પસાર થવું પડે છે. સૂર્યનું કોર કેન્દ્રથી લગભગ 0.2 સૌર ત્રિજ્યા તરીકે ગણવામાં આવે છે.

આશરે 0.2થી લગભગ 0.7 સૌર ત્રિજ્યા સુધી આ ક્ષેત્ર હોય છે, જ્યાં દ્રવ્ય ગરમ અને ઘટ્ટ છે, જે થર્મલ કિરણોત્સર્ગ કોરની બહારની તીવ્ર ગરમીને સ્થાનાંતરિત કરવા માટે પૂરતી છે. આ ઝોનમાં, કોઈ થર્મલ સંવેદના નથી: જ્યારે દ્રવ્ય ઊંચાઈ સાથે ઠંડુ થાય છે, ત્યારે તાપમાનમાં આ ઢાળ સંવેદનાને ચલાવવા માટે પૂરતી મજબૂત નથી. હાઇડ્રોજન અને હિલીયમ આયન દ્વારા ફોટોન ઉત્સર્જન કરવામાં આવે છે, જે ટૂંકા અંતરે મુસાફરી કરીને તુરંત અન્ય આયનો દ્વારા ફરીથી શોષી લેવામાં આવે છે.

આશરે 0.7 સૌર ત્રિજ્યાથી સપાટીની નજીક સુધી આ ક્ષેત્ર હોય છે, જેમાં સૂર્યનું પ્લાઝ્મા ન તો ઘટ્ટ હોય છે અને કે ન તો આંતરિક ગરમીને બહાર વિકિરણ વડે સ્થાનાંતરિત કરવા માટે પૂરતું ગરમ હોય છે. તેના બદલે, થર્મલ સંયોજનો ગરમીને સપાટી પર લઈ જાય છે કારણ કે થર્મલ કોલમ સૂર્યની સપાટી (ફોટોસ્ફીયર) પર ગરમ સામગ્રી ધરાવે છે. એકવાર સામગ્રી સપાટી પર ઠંડુ થઈ જાય, તે ઉષ્માવિકિરણ ક્ષેત્રની ટોચ પરથી વધુ ગરમી મેળવવા માટે, ઉષ્માનયન ક્ષેત્રના તળિયે નીચે તરફ જાય છે. ઉષ્માવિકિરણ ક્ષેત્રની ટોચની સ્તરોમાં કંટાળાજનક ડાઉનફ્લોને લઈને, ઉષ્માનયન ક્ષેત્રના આધાર પર થોડું સંવેદનાત્મક ઓવરહૂટ છે.

ઉષ્માનયન ક્ષેત્રમાં થર્મલ કોલમ સૂર્યની સપાટી પર સૂર્ય દાણાદાર (ગ્રાન્યુલેશન) અને સુપરગ્રેન્યુલેશનના રૂપમાં છાપ બનાવે છે. સૌર અંતર્વર્તી પ્રદેશના આ બાહ્ય ભાગના અસ્પષ્ટ (ટર્બ્યુલન્ટ) ઉષ્માનયનથી 'નાના પાયે' ડાયનેમોમાં વધારો થાય છે, જે સૂર્યની સપાટી પર ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવો બનાવે છે.

સૂર્યની દૃશ્યમાન સપાટી, ફોટોસ્ફિયર, એવું સ્તર છે જેની નીચે સૂર્ય દૃશ્ય-પ્રકાશ માટે અપારદર્શક બને છે. ફોટોસ્ફિયર ઉપર, સૂર્યપ્રકાશ અવકાશમાં ફેલાવા માટે મુક્ત છે અને તેની ઊર્જા સંપૂર્ણરીતે સૂર્યથી બચી જાય છે. સૂર્યપ્રકાશના વર્ણપટમાં આશરે 5,777 કેલ્વિન તાપમાન વાળા સંપૂર્ણ કાળા પદાર્થ (બ્લેક-બોડી)ના વર્ણપટની લાક્ષણિકતા છે, જે ફોટોસ્ફિયર ઉપરના નીચલા સ્તરોથી પરમાણુ શોષક રેખાઓ સાથે જોડાયેલી છે. ફોટોસ્ફિયરમાં કણોની ઘનતા  લગભગ 1023 પ્રતિ ઘનમીટર છે (જે પૃથ્વીના સમુદ્રસ્તર પરના વાતાવરણના કણોની ઘનતાના લગભગ 0.37% છે). ફોટોસ્ફિયરની ઉપરના સૂર્યના ભાગોને સામૂહિક રીતે સૌર વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ રેડિયોમાંથી દૃશ્યપ્રકાશથી ગામા કિરણો દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તરફ કાર્યરત ટેલીસ્કોપ સાથે જોઈ શકાય છે.

સૂર્યનું સૌથી ઠંડું સ્તર એ ન્યૂનતમ તાપમાનનું એક એવું ક્ષેત્ર છે, જે ફોટોસ્ફિયરથી 500 કિ.મી. ઉપર સુધી છે. તે આશરે 4,100 કેલ્વિન તાપમાન ધરાવે છે. સૂર્યનો આ એકમાત્ર એવો ભાગ છે જે કાર્બન મોનોક્સાઇડ અને પાણી જેવા સાદા અણુઓને અસ્તિત્વ ટકાવવા માટે પૂરતો ઠંડો છે. સૂર્યના બીજા બધા ભાગ રાસાયણિક બંધને તોડવા માટે પૂરતા ગરમ છે.

સૂર્યની દૃશ્યમાન સપાટી ઉપરનું આ પાતળું સ્તર લગભગ 2,000 કિ.મી. જાડું છે, જેનું ઉત્સર્જન અને શોષક રેખાઓના સ્પેક્ટ્રમ દ્વારા પ્રભુત્વ છે. તેને ગ્રીક રુટ રંગસૂત્રોમાંથી રંગસૂત્ર કહેવામાં આવે છે, જે રંગનો અર્થ છે, કારણ કે રંગસૂત્ર સનની કુલ ગ્રહણની શરૂઆત અને અંતમાં રંગીન ફ્લેશ તરીકે દેખાય છે

કોરોના એ સૂર્યનો વિસ્તૃત બાહ્ય વાતાવરણ છે, જે સૂર્ય કરતાં ઘણો મોટો છે. કોરોન સૌર પવન સાથે સરળતાથી જોડાય છે જે સૂર્યમંડળ અને હેલિયોસ્ફિયર ભરે છે. સૂર્યની સપાટીની નજીકના નીચા કોરોનામાં 1011 / એમ 3 નું કણોનું ઘનત્વ છે.

કેટલાક સમય માટે એવું માનવામાં આવતું હતું કે સૂર્યની પરમાણુ પ્રતિક્રિયાઓ દ્વારા ઉત્પાદિત ન્યુટ્રિનોની સંખ્યા થિયરી દ્વારા આગાહી કરાયેલ સંખ્યામાં માત્ર એક તૃતીયાંશ હતી, પરિણામે તેને સૌર ન્યુટ્રિનો સમસ્યા કહેવામાં આવી હતી. સૂર્ય દ્વારા આપવામાં આવેલા ન્યુટ્રિનોની સંખ્યાને અજમાવવા અને માપવા માટે સડબરી ન્યુટ્રિનો વેધશાળા સહિત કેટલાક ન્યુટ્રીનો નિરીક્ષણો બનાવવામાં આવ્યા હતા. આ નિરીક્ષણો અને પ્રયોગોમાંથી તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે ન્યુટ્રિનોએ સામૂહિક આરામ કર્યો હતો, અને તેથી સૂર્યથી પૃથ્વી તરફ માર્ગમાં ન્યૂટ્રિનોની કઠણ-થી-શોધની જાતોમાં પરિણમી શકે છે; આ રીતે માપન અને સિદ્ધાંતને સમાધાન કરવામાં આવ્યું.

ઉચ્ચ અક્ષાંશ (તેના ધ્રુવોની નજીક 28 દિવસ) કરતા સૂર્ય તેના વિષુવવૃત્ત (લગભગ 25 દિવસ) પર ઝડપથી ફેરવવાનું શક્ય બનાવે છે. સૂર્યના અક્ષાંશોના વિભેદક પરિભ્રમણથી તેની ચુંબકીય ક્ષેત્રની લીટીઓ સમય સાથે મળીને ટ્વિસ્ટ થઈ જાય છે, જેના પરિણામે ચુંબકીય ક્ષેત્ર સૂર્યની સપાટીથી ઉભરાઇ જાય છે અને સૂર્યના નાટકીય સૂર્યપ્રકાશ અને સૌર પ્રભુત્વની રચનાને ગતિ આપે છે. (ચુંબકીય પુન: જોડાણ જુઓ) સૌર પ્રવૃત્તિ ચક્રમાં જૂના ચુંબકીય ક્ષેત્રો એક ધ્રુવથી શરૂ થતા સૂર્યની સપાટીને બંધ કરીને બીજા ભાગમાં સમાપ્ત થાય છે. સૂર્યનો ચુંબકીય ક્ષેત્ર દર 11-વર્ષ સનસ્પોટ ચક્ર માટે એક વખત ઉલટાવે છે.

સમગ્ર વર્ષ દરમિયાન આકાશમાં સૂર્યનો માર્ગ બદલાય છે, એક સંપૂર્ણ સ્વચાલિત હેલિઓસ્ટેટ અથવા સૂર્ય ટ્રેકર, સતત ગણતરીઓ દ્વારા માર્ગદર્શન આપવું જોઈએ. નેશનલ રીન્યુએબલ એનર્જી લેબોરેટરીએ સંપૂર્ણ દસ્તાવેજો સાથે તેની સોલર પોઝિશન એલ્ગોરિધમ (એસપીએ) રજૂ કરી છે. અન્ય સ્રોત એ libnova સેલેસ્ટિયલ મિકેનિક્સ અને એસ્ટ્રોનોમિકલ કેલ્ક્યુલેશન લાઇબ્રેરી છે, જે ખગોળશાસ્ત્રીય પદાર્થોના અન્ય ઘણા લોકોમાં દેખીતી સ્થિતી અને ઉદભવ, સેટ અને ટ્રાંઝિટ વખત જેવા ચલોની પણ ગણતરી કરે છે.

સૂર્યની નિષ્ક્રિય અવલોકન મેળવવા માટે, યુરોપીયન સ્પેસ એજન્સી અને નાસાએ 2 ડિસેમ્બર, 1995 ના રોજ સહકારી અને સોરો અને હેલીઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી (SOHO) શરૂ કરી.

ફોટોસ્ફિઅરમાં આનુવંશિક વિપુલતા સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસોથી જાણીતી છે, પરંતુ સૂર્યના આંતરિક ભાગની રચના ઓછી જાણીતી છે. સૌર પવનનો નમૂનો વળતર મિશન, જિનેસિસ, ખગોળશાસ્ત્રીઓને સૌર સામગ્રીની રચનાને સીધી રીતે માપવા માટે પરવાનગી આપવા માટે રચાયેલ છે. તે 2004 માં પૃથ્વી પર પાછો ફર્યો અને વિશ્લેષણમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તે ક્રેશ-લેન્ડિંગ દ્વારા નુકસાન પહોંચ્યું હતું જ્યારે તેનું પેરાશ્યુટ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરવા માટે નિષ્ફળ રહ્યું હતું.

સૂર્ય બીજા પેઢીનો તારો માનવામાં આવે છે, જે કદાચ અગાઉના સુપરનોવાના કેટલાક અવશેષોમાંથી બનેલો છે. પુરાવા એ મુખ્યત્વે ભારે તત્વો જેવા કે આયર્ન, ગોલ્ડ અને સૂર્યમંડળમાં યુરેનિયમ જેવા મોટા તત્વો છે: આ તત્વોને ઉત્પન્ન કરી શકાય તેવો સૌથી અનુકૂળ માર્ગો એ મોટા, ગરમ તારોની અંદર ન્યુક્લોસિન્થેસિસ દ્વારા છે.

સુપરનોવા તરીકે વિસ્ફોટ કરવા માટે આપણા સૂર્યમાં પૂરતો જથ્થો નથી. તેના બદલે, 4-5 અબજ વર્ષમાં તે તેના લાલ કદના તબક્કામાં પ્રવેશ કરશે, કોરમાં હાઇડ્રોજન બળતણનો ઉપયોગ થાય છે. પછી તે હિલીયમને ફ્યૂઝ કરશે અને કોર તાપમાન 3×108 કે વધશે. જ્યારે સંભવિત છે કે સૂર્યની બાહ્ય સ્તરોનો વિસ્તરણ પૃથ્વીની ભ્રમણકક્ષાની વર્તમાન સ્થિતિ સુધી પહોંચશે, તો તાજેતરના સંશોધનો સૂચવે છે કે માલ સૂર્ય અગાઉ તેના લાલ કદના તબક્કામાં પૃથ્વીની ભ્રમણકક્ષાને આગળ વધવા માટે, તેને ગળી જવાથી રોકે છે. લાલ કદના તબક્કા પછી, વિશાળ થર્મલ પલ્સેશન્સથી સૂર્ય તેના ગ્રહની નળીની રચના કરતી બાહ્ય સ્તરો ફેંકી દેશે. સૂર્ય પછી એક સફેદ વામન બનશે, ધીમે ધીમે ગાદી પર ઠંડક કરશે. આ દૃશ્ય નાના તારાઓની લાક્ષણિકતા છે: આપણું સૂર્ય એકદમ રન-ઓફ-ધ-મીલ સ્ટાર હોવાનું જણાય છે.

ઘણી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન સંસ્કૃતિઓમાં, સૂર્યને દેવતા અથવા અન્ય અલૌકિક ઘટના માનવામાં આવતી હતી. પશ્ચિમી દુનિયાના સૌપ્રથમ લોકોમાં સૂર્ય માટે વૈજ્ઞાનિક સમજણ આપવાનું એક ગ્રીક ફિલસૂફ ઍનાક્સગોરસ હતું, જેમણે દલીલ કરી હતી કે તે પથ્થર અથવા ધાતુનો વિશાળ સળગતો ગોળો છે, અને અપોલોનો રથ નથી. આ વિધર્મ શીખવવા માટે તે સત્તાધિશો દ્વારા કેદ અને મૃત્યુદંડ કરવામાં આવ્યો હતો.

સૂર્યના તેજને કારણે સૂર્ય તરફ નરી આંખે જોવું આંખો માટે પીડાદાયક છે. જ્યારે તે આકાશમાં ઊંચે હોય, ત્યારે સીધા સૂર્ય તરફ જોવું એ રેટિનામાં પ્રકાશશીલ રંગદ્રવ્યોના અસ્થાયી ધોવાણનું કારણ બને છે, જે ફોસ્ફિને દ્રશ્યમાન કલાકૃતિઓ અને અસ્થાયી આંશિક અંધાધૂંધી બનાવે છે. નરી આંખે સૂર્યને જોવાથી લગભગ 4 મિલીવોટ સૂર્યપ્રકાશ રેટિના પર પડે છે, જે તેને ગરમ કરે છે અને સંભવિત રૂપે (સામાન્ય રીતે નહીં) તેને નુકસાન પહોંચાડી શકે છે. નરી આંખે સૂર્યનું સંક્ષિપ્ત અવલોકન પીડાદાયક છે, પરંતુ સામાન્ય રીતે સલામત છે. સૂર્યપ્રકાશને સીધી દિશામાં લાવવા માટે આંખોનો લાંબા ગાળાનો સંપર્ક દાયકાઓના સમયગાળા દરમિયાન લેન્સ અને કોર્નિયાના સામાન્ય યુવી-પ્રેરિત પીળાઓમાં યોગદાન આપે છે, અને મોતિયાની રચનામાં ભાગ ભજવી શકે છે.

સૂર્યપ્રકાશને ઘટાડવા માટે વાયુયુક્ત ધ્યાન આપતા ફિલ્ટરો વગર દૂરબીન-પ્રકાશક પ્રકાશકો જેવા કે દૂરબીન પ્રકાશ દ્વારા સનને જોવું જોખમી છે. યોગ્ય ફિલ્ટર્સ વેલ્ડીંગ સપ્લાય દુકાનો અને કેમેરા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. અનફિલ્ટ 7x50mm દૂરબીન દ્વારા સૂર્યને જોતા, દરેક આંખમાં 2.5 વોટ સૂર્યપ્રકાશ જેટલું વિતરિત કરી શકે છે, નગ્ન આંખ જોવા કરતાં 300 ગણી વધારે પાવર આપી શકે છે. સૂર્યને દૂરબીન દ્વારા પણ ટૂંકા ગાળા માટે જોવું કાયમી અંધત્વનું કારણ બની શકે છે.

સૂર્યના આંશિક ગ્રહણ દરમિયાન, આંખ તેજસ્વી પ્રકાશને જે રીતે પ્રત્યુત્તર આપે છે તેના કારણે બીજી જોખમી સ્થિતિ અસ્તિત્વમાં છે. આ ક્ષેત્રને તેજસ્વી પદાર્થ દ્વારા નહીં, દૃશ્ય ક્ષેત્રમાં પ્રકાશની કુલ માત્રા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આંશિક ગ્રહણ દરમિયાન, ચંદ્ર દ્વારા મોટાભાગના સૂર્યપ્રકાશને સીધા સૂર્યની સામે પસાર થતા અવરોધિત કરવામાં આવે છે, પરંતુ ફોટોસ્ફિયરના ખુલ્લા ભાગો સમાન સપાટીની તેજ સપાટી સમાન હોય છે. ધૂંધળા સમગ્ર પ્રકાશમાં, વિદ્યાર્થી ~ 2mm થી 6mm વ્યાસ સુધી ફેલાવે છે, આંખના સંગ્રહિત ક્ષેત્રને લગભગ 10 જેટલા પરિબળથી વધારી દે છે. પ્રત્યેક રેટિનાલ સેલ જે અંશતઃ ગ્રહણ કરેલા સૌર છબીથી ખુલ્લી હોય છે તેને આ રીતે લગભગ દસ ગણી મળે છે ખૂબ પ્રકાશ, કારણ કે તે સામાન્ય, ગ્રહણ કરેલા સન તરફ જોશે. આનાથી રેટિનાને સ્થાયી સ્થાનીય નુકસાન થઈ શકે છે, જેના પરિણામે દર્શક માટે નાના, કાયમી બ્લાઇંડ સ્પોટ થાય છે. બિનઅનુભવી નિરીક્ષકો અને બાળકો માટે આ એક ખાસ કરીને કપટી જોખમ છે, કારણ કે ત્યાં પીડા વિશે કોઈ તાત્કાલિક માન્યતા નથી અને તે ગ્રહણ કરતી સૂર્યના ચમકતા દેખાવને જોવાની લાલચ આપે છે.




#Article 67: બુધ (ગ્રહ) (371 words)


બુધ સૂર્યમંડળ ના આઠ ગ્રહો માં સૂર્યની સૌથી નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે. તેનો આવર્તકાળ ૮૮ દિવસ(પૃથ્વી ના) જેટલો છે એટલે કે તે સૂર્ય ની ફરતે ૮૮ દિવસ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૃથ્વી પરથી જોતા, પોતાની કક્ષા ની આસપાસ લગભગ ૧૧૬ દિવસ જેટલો સમય લાગે છે,જે બીજા કોઈ પણ ગ્રહ કરતા ઘણો વધારે  ઝડપી છે. આ અતિ ઝડપી  ગતિ ના લીધે, ખુબ ઝડપ થી ઉડતા દેવતાઓ ના સંદેશવાહક રોમન દેવતા બુધ ના નામ પરથી આ ગ્રહ નું નામ બુધ રાખવામાં  આવ્યું. ગરમી પ્રતીધારિત(જાળવી) રાખવા માટે બુધ ગ્રહ પર વાતાવરણ ન હોવાથી, બુધ ગ્રહ ની સપાટી તાપમાન નો ખુબ જ મોટો ફેરફાર અનુભવે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં રાત્રે  તાપમાન ૧୦୦ કેલ્વીન (-૧૭૩° સેલ્સિયસ । -૨૮୦°  ફેરનહીટ) થી લઈને  દિવસે ૭୦୦ કેલ્વીન ( ૪૨૭° સેલ્સિયસ । ૮୦୦° ફેરનહીટ) સુધી હોય છે. ધ્રુવો નું તાપમાન સતત ૧૮୦ કેલ્વીન  ( -૯૩° સેલ્સિયસ । -૧૩૬° ફેરનહીટ) કરતા નીચું હોય છે. બુધ ની અક્ષો નો ઝુકાવ માત્ર એક અંશ ના ૩୦ માં ભાગ જેટલો(૧/૩୦ અંશ) છે જે સૂર્ય મંડળ ના કોઈ પણ ગ્રહ કરતા સૌથી નાનો ઝુકાવ છે, પણ તેની ભ્રમણ કક્ષા ની ઉત્કેન્દ્રતા સૌથી મોટી છે. પોતાની કક્ષા ના ઉચ્ચબિંદુ ( કક્ષા માં સૂર્ય થી સૌથી દુરનું અંતર) પાસે તે કક્ષા માં સૂર્ય પાસેના ન્યુનતમ અંતર કરતા ૧.૫ ઘણો વધારે દુર હોય છે.બુધ ની સપાટી ખુબ જ ખાડાઓ વાળી છે અને દેખાવે ચંદ્ર ને મળતી આવે છે,  જે સૂચવે છે કે તે ભૌગોલિક રીતે અબજો વર્ષો થી નિષ્ક્રિય છે.

બુધ અથવા સોમ તરીકે ઓળખાતો બુધગ્રહ વેપારવાણીજ્યનો સ્વામી અને તેનો રક્ષક ગણવામાં આવે છે. પુરાણોના મતે બુધ ચંદ્ર અને બૃહસ્પતિની પત્ની તારાનો પુત્ર છે. બુધની પત્નીનું નામ ઇલા છે. બુધના પુત્રનું નામ પુરૂરવા છે.

બુધનો દેખાવ કોમળ, છટાદાર અને થોડો લીલાશ પડતો છે. તામિલનાડુ ખાતેનાં શ્વેતારણ્યેશ્વર મંદિરમાં આવેલી બુધની પ્રતિમાના હાથમાં તલવાર, ગદા અને ઢાલ છે, તથા તેઓ પાંખોવાળાઅ સિંહ પર સવારી કરતા દર્શાવામાં આવ્યાં છે. અન્ય આકૃતિઓમાં તેઓ રાજદંડ અને કમળ પકડેલાં અને જાજમ પર બેઠેલા અથવા ગરૂડ અથવા સિંહોથી ખેંચાતા રથ પર સવારી કરતાં દર્શાવામાં આવ્યાં છે.

બુધને બુધવારના સ્વામી પણ ગણવામાં આવે છે.

બુધનો જન્મ તારાના કુખે થાય છે. ચંદ્રદેવે બુધના પિતા હોવાનો દાવો કર્યો હતો, પણ તારાએ મૌન જાળવ્યું. આ વિષય પર બુધ પોતે અત્યંત ગુસ્સે થયા અને તારાને સત્ય કેહેવા જણાવ્યું. ત્યારે તારા કહે છે કે, ચંદ્રના પિતા બુધ છે.




#Article 68: શુક્ર (ગ્રહ) (276 words)


શુક્ર સૂર્યમંડળ નો દ્વીતીય ગ્રહ છે. સામાન્ય રીતે રાત્રીના આકાશનો આ સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્ર પૃથ્વીનો ભગીની ગ્રહ ગણાય છે.તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયૉકસાઇડ ના સફેદ વાદળો નુ બનેલું છે. તેની કક્ષા ગૉળાકાર છે.તેને કૉઇ ચંદ્ર નથી.

શુક્ર, તેમજ અન્ય કોઇ પણ ગ્રહ માટે, પ્રથમ રોબોટિક અવકાશયાન મિશન, 12 ફેબ્રુઆરી 1961 માં  વિનેરા 1 યાન ના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. તે સોવિયેત વિનેરા કાર્યક્રમ હેઠળ પ્રથમ વાહન હતું. વિનેરા 1 મિશને સાતમે દિવસે સંપર્ક ગુમાવી દિધો, ત્યારે તે પૃથ્વી થી 20 કરોડ કિમી ની દૂરી ઉપર હતો.

શુક્ર્ માટે સંયુક્ત રાજ્ય અમેરિકા નો શોધખોડ પણ પ્રક્ષેપણ સ્થળ પર મેરિનર 1 અવકાશયાન ને ગુમાવવા સાથે ખરાબ પરિસ્થિતિ માં શરૂ થયો. 14 ડિસેમ્બર 1962 ના તેમના 109-દિવસીય કક્ષીય સ્થળાંતર સાથે જ તે શુક્ર ની ધરતી થી 34,883 કિમી ઉપર થી પસાર થવા વારો દુનિયા નો પ્રથમ સફળ આંતરગ્રહીય મિશન બની ગયો. આ ના માઈક્રોવેવ અને ઇન્ફ્રારેડ રેડિયોમીટર થી ખબર પડી કે શુક્ર ના સૌથી ઉપરી વાદળ શાંત હતા જ્યારે પૂર્વ ના પૃથ્વી-આધારિત માપનો એ શુક્ર ની સપાટી ના તાપમાન ને ખૂબ ગરમ (425० સેંટીગ્રેડ) હોવાની પુષ્ટિ કરી છે, 
અને આના સાથે આ આશા પણ સમાપ્ત થઇ ગઇ કે આ ગ્રહ ભૂમિ-આધારિત જીવન નુ ઠેકાણું હોઇ શકે છે.  મેરિનર 2 એ શુક્ર ના દડ અને ખગોળીય અંતર ને વધુ સારી રીતે મેળવ્યો, પર તે ચુંબકીય ક્ષેત્ર અથવા કિરણોત્સર્ગ પટ્ટો શોધવા માટે અસમર્થ હતું. 

સોવિયત વિનેરા 3 યાન, 1 માર્ચ 1966 માં શુક્ર ઉપર ઉતરતા વખતે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયો. વાયુમંડળ મા પ્રવેશ કરનાર અને કોઇ પણ બીજા ગ્રહ ની સપાટી થી ટકરાવવા વારી આ પ્રથમ માનવ-નિર્મિત વસ્તુ હતી. ભલે આની સંચાર પદ્ધતિ નિષ્ફળ થઇ ગઇ પણ એના પહેલા તે તમામ પ્રકાર ની ગ્રહીય માહિતી વહન કરવા માટે સક્ષમ હતું.




#Article 69: પૃથ્વી (4822 words)


 

પૃથ્વી એ સૂર્ય ()થી ત્રીજો ગ્રહ () (ઘોષિત કરવામાં આવ્યો) છે. ઘનતા (), દળ () અને વ્યાસ ()માં, પૃથ્વી એ સૌરમંડળ ()માંનો જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ () છે.
તેને વિશ્વ () અને  નામે પણ ઓળખવામાં આવે છે. 

લાખો-કરોડો જાતિઓ () અને મનુષ્ય ()નું રહેઠાણ એવી પૃથ્વી, આખા બ્રહ્માંડ ()નો એક માત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન () હોવાનું જાણવા મળ્યું છે. 4.54 અબજ વર્ષો () પહેલાં પૃથ્વીની રચના થઈ હતી અને આશરે એક અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું હતું.
ત્યારથી, પૃથ્વીના જીવમંડળ ()ના કારણે તેના વાયુમંડળ ()માં અને અન્ય અજૈવિક () પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે; હવામાંના જીવતંત્રો ()નો વિપુલ પ્રમાણમાં વિકાસ તેમ જ ઓઝોન સ્તર ()ની રચનાથી તથા તેની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ()ની અસર સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા અટકાવે છે, જેના પરિણામે પૃથ્વી પર જીવન સંભવી શક્યું છે.  આ સમયગાળામાં, પૃથ્વીના ભૌતિક ગુણધર્મો તેમ જ તેના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને તેની ભ્રમણકક્ષાના કારણે જીવન ટકી શકયું. કહેવાય છે કે પૃથ્વી પર હજી 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વિતા, પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે. 

પૃથ્વીનું ઉપલી સપાટી () વિવિધ કઠોર ભાગોમાં અથવા તો ટેકટોનિક પ્લેટો ()માં વહેંચાયેલી છે. આ ટેકટોનિક પ્લેટો લાખો-કરોડો વર્ષો ()થી સપાટી પર આમથી તેમ ધીમે ધીમે ગતિ કરી રહી છે. 
પૃથ્વીની સપાટીનો 71% ભાગ ખારા પાણી ()ના સમુદ્ર ()થી રોકાયેલો છે, બાકીનો ભાગ ખંડો (), દ્વિપો () અને જે અન્ય કોઈ ગ્રહની સપાટી પર જોવા મળ્યું નથી એવા જીવન માટે આવશ્યક એવા પ્રવાહી જળ ()થી રોકાયેલો છે.
પ્રમાણમાં ઘન કહેવાય તેવા  લાવારસના આવરણ ()થી બનેલું પૃથ્વીનું અંતરાળ સક્રિય હોય છે, પ્રવાહી બાહ્ય ગર્ભ () લોહચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે અને  અંતઃ ગર્ભ () ઘન લોહ ધાતુઓનું બનેલું હોય છે. 

પૃથ્વી બાહ્ય અવકાશ ()માંના સૂર્ય, ચંદ્ર () તેમ જ અન્ય ગ્રહો સાથે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરે છે. 
અત્યારે, પૃથ્વી પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરે તેને આપણે એક દિવસ કહીએ છીએ અને ૩૬૫.૨૬ દિવસમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે છે.

આટલા સમયગાળાને તારક વર્ષ () કહેવામાં આવે છે, જે ૩૬૫.૨૬ સૌર દિવસો () સમાન છે. 

પૃથ્વીની ધરી, 23.4ના ખૂણે તેની ભ્રમણકક્ષા ()ને કાટખૂણે () સહેજ નમેલી () છે,  જેના કારણે પૃથ્વીની સપાટી પર એક ઉષ્ણકટિબંધીય વર્ષ () (૩૬૫.૨૪ સૌર દિવસો) દરમ્યાન જુદી જુદી ૠતુઓ પેદા થાય છે. 

ચંદ્ર પૃથ્વીનો એક માત્ર જાણીતો કુદરતી ઉપગ્રહ () છે. આશરે 4.53 અબજ વર્ષો પહેલાં ચંદ્રે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરવાનું શરૂ કયુર્ં. તેના આ પરિભ્રમણથી સમુદ્રમાં ભરતી-ઓટ () પેદા થાય છે, પૃથ્વીની ધરીનો ખૂણો સ્થિર બની રહે છે તથા પૃથ્વીનું તેની ધરી પરનું પરિભ્રમણ ધીરે ધીરે ધીમું પડતું જાય છે.આશરે ૪.૧ અને ૩.૮ અબજ  વર્ષો અગાઉ થયેલ ભારે તોપમારા જેવા વરસાદ ()થી ઊભી થયેલી મધ્યગ્રહો ()ની અસરોથી પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો.

પૃથ્વીના પેટાળમાંના ખનિજ સ્રોતો તેમ જ જીવમંડળની પેદાશો વિશ્વની માનવ વસતિને ટકવા માટે જરૂરી સ્રોતો પૂરાં પાડે છે. 
પૃથ્વી પર વસતા મનુષ્ય સમુદાયો આશરે 200 સાર્વભૌમી રાષ્ટ્રોમાં વહેંચાયેલા છે, જે એકબીજા સાથે વેપાર, પ્રવાસ, રાજકીય મુત્સુદ્દીપણા અને લશ્કરી ગતિવિધિઓથી સંપર્કમાં રહે છે. 
પૃથ્વી બાબતે માનવ સંસ્કૃતિએ અનેક વિભાવનાઓ ઊભી કરી હતી- જેમાં પૃથ્વીને દૈવી માનવાની બાબત, સપાટ પૃથ્વી ()ની વિભાવના અને પૃથ્વીને જાળવણી માંગતી એક સંકલિત વાતાવરણ વ્યવસ્થા તરીકે જોતા આધુનિક દષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. 

૧૯૬૧  જયારે યુરી ગાગરિન () બાહ્ય અવકાશમાં પહોંચ્યો ત્યારે પહેલીવાર કોઈ માનવીએ પૃથ્વીની સપાટીથી બહાર પગ મૂકયો હતો.

પૃથ્વીના ભૂતકાળ અંગે વિજ્ઞાનીઓ વિગતવાર માહિતીની પુનઃરચના કરી શકયા છે. 

સૌથી નજીકના સમયના સૌરમંડળના અંશ નીચેની તારીખ/સમયગાળાના છે- 4.5672 ± 0.0006 અબજ વર્ષો અગાઉ, અને 4.54 અબજ વર્ષો અગાઉ (1% અચોક્કસતા હોઈ શકે) 

સૂર્યની નિહારિકા ()માંથી- સૂર્યમાંથી ફેંકાયેલા કચરા-ધૂળ અને ગેસમિશ્રિત, ગોળ ચપટી તકતી જેવા આકારના ટુકડાઓમાંથી પૃથ્વી અને સૌર માળાના અન્ય ગ્રહોની રચના થઈ છે.  

આવાં ઉમેરાયેલાં દ્રવ્યો વડે પૃથ્વીનું બંધારણ મોટા ભાગે 100–200–લાખ–વર્ષોમાં પૂરું થયું હતું.  શરૂઆતમાં જયારે પૃથ્વીનું બહારનું પીગળેલું () આવરણ ઠંડું પડીને એક ઘન સ્તરમાં ફેરવાયું ત્યારે વાતાવરણમાં પાણી એકઠું થવું શરૂ થયું.  એના પછી થોડા જ સમયમાં ચંદ્રનું નિર્માણ થયું. એવું કહેવાય છે કે પૃથ્વીના 10% જેટલો દ્રવ્ય-જથ્થો ધરાવતો મંગળના કદનો ટુકડો (કયારેક તેને થેઈયા () કહેવામાં આવે છે), પૃથ્વી સાથે ઝડપભેર અથડાતાં તેના આઘાતથી ચંદ્રનું સર્જન થયું હતું. આ ટુકડામાંથી કેટલોક દ્રવ્ય-જથ્થો પૃથ્વીમાં ભળી ગયો અને કેટલોક અવકાશમાં ફેંકાયો, જે ભ્રમણકક્ષા પર ચંદ્રનું સર્જન કરવા માટે પૂરતો હતો. 

ગેસ વિસર્જન અને ભભૂકતા જવાળામુખી ()ઓના પરિણામે આદિકાળનું વાયુમંડળ પેદા થયું. 
પાણીની વરાળ ()ના સંકોચનથી, મધ્યગ્રહો, વિશાળ પ્રોટો-ગ્રહો, ધૂમકેતુઓ અને ટ્રાન્સ-નેપ્ચ્યુનિયન પદાર્થો દ્વારા પહોંચતો બરફ અને પ્રવાહી પાણીથી મહાસાગરોનું નિર્માણ થયું ().
ખંડીય વિકાસ માપવા માટે બે મુખ્ય મૉડલ સૂચવાયાં છેઃ આજના દિવસનો સ્થિર વિકાસ અને પૃથ્વીના ઇતિહાસમાં શરૂઆતમાં થયેલો ઝડપી વિકાસ. 
ખંડીય પોપડાઓ શરૂઆતમાં ઝડપથી વિકાસ પામ્યા હોય અને પછી લાંબા સમય સુધી સ્થિર ખંડીય વિસ્તાર તરીકે વિકસ્યા હોય તેવો બીજા વિકલ્પ, હાલના સંશોધન પ્રમાણે વધુ સંભવિત લાગે છે. 

સેંકડો કરોડો વર્ષોના સમયગાળા ()  સુધી, ખંડો બનવા અને તૂટતાં રહેવાની પ્રક્રિયાને પરિણામે પૃથ્વીની સપાટી સતત વિકસતી, આકાર બદલતી રહી છે. 

આ ખંડો પૃથ્વીની સપાટી પર આમથી તેમ ગતિ પણ કરતા અને કયારેક એકબીજા સાથે જોડાઈને મહાખંડ () બનાવતા.
સૌથી શરૂઆતના જાણીતા મહાખંડોમાંથી એક, રોડિનીઆ () નામનો મહાખંડ આશરે 7500 લાખ વર્ષો અગાઉ (મ્યા ()) તૂટવો શરૂ થયો હતો. 

અત્યારે જીવનની ઉત્ક્રાંતિ ()ને ટકાવી શકે, પોષી શકે તેવું એકમાત્ર ઉદાહરણરૂપ વાતાવરણ માત્ર પૃથ્વી પર જ ઉપલબ્ધ છે.

પ્રકાશસંશ્વ્લેષણ ()ની પ્રક્રિયાના વિકાસથી સૂર્યની ઊર્જા સીધી જૈવ રૂપમાં સંગ્રહિત થઈ શકી; તેના પરિણામે વાયુમંડળમાં ઑકિસજન એકઠો થવો શરૂ થયો અને ઉપરના વાયુમંડળમાં   ઓઝોન ()(ઑકિસજનના અણુ ()નું એક રૂપ [O3] )નું સ્તર બનવા માંડ્યું.નાના કોષોની મોટા કોષોમાં સમાઈ જવાની પ્રક્રિય, યુકાર્યોટેસ () નામના જટીલ કોષોનો વિકાસ ()માં પરિણમી.  
વસાહતો ()માંના કોષો વધુમાં વધુ વિશિષ્ટ કામગીરી કરતાં બનવા લાગ્યા એટલે તેમના જોડાવાથી સાચા બહુકોશી સજીવો પેદા થયા. 
સૂર્યમાંથી આવતા હાનિકારક નીલાતીત કિરણોત્સર્ગ (), ઓઝોન સ્તર ()માં શોષાઈ જતા હોવાથી પૃથ્વીની સપાટી પર જીવન વસાહતોમાં વિકસવા માંડયું. 

ઓગણીસો સાઈઠના દસકાથી એવું ધારવામાં આવે છે કે જીવનારંભિક () યુગ દરમ્યાન, એટલે કે 7500 અને 5800  લાખ વર્ષો અગાઉના સમયગાળા દરમ્યાન હિમનદી ()ઓની તીવ્ર ગતિવિધિઓના કારણે આખી પૃથ્વી હિમ-આવરણથી ઢંકાઈ ગઈ હતી. 
આ પૂર્વધારણા માટે હિમદડા સમી પૃથ્વી () શબ્દપ્રયોગ વાપરવામાં આવે છે. જયારે બહુકોશી જીવો વિપુલ પ્રમાણમાં વિકસવા માંડયા તે પુરાજીવ સ્ફોટ ()ને આ પૂર્વધારણા વહેલો ઘટતો દર્શાવતી હોવાથી વિશેષ ધ્યાનપાત્ર બને છે. 

પુરાજીવ સ્ફોટ પછી લગભગ 5350 લાખ વર્ષો અગાઉની આસપાસ પાંચ મોટા લોપ () થયા. 
છેલ્લી જીવ લોપની ઘટના () 650 લાખ વર્ષો અગાઉ બની. એ સમયે ઊડી ન શકે તેવાં દિનોસૌર () અને અન્ય વિશાળ સરીસૃપ પ્રાણીઓનો કદાચ બાહ્યાવકાશમાંથી ઉલ્કા પડવાથી અથવા તો તેની અથડામણને કારણે લોપ થયો; જો કે છંછુદરને મળતાં આવતાં કેટલાંક નાનાં સસ્તન પ્રાણી ()ઓ એ વિનાશમાંથી બચી ગયાં.

છેલ્લાં 650 લાખ વર્ષોમાં વિવિધ પ્રકારનાં સસ્તન પ્રાણીઓનો વિકાસ થયો અને અમુક લાખ વર્ષોથી તો આફ્રિકાના વાંદરા-જેવા દેખાતા પ્રાણીઓએ ટટ્ટાર ચાલવાની ક્ષમતા પણ કેળવી લીધી છે. 
આ સક્ષમ સાધને વિશાળ મગજના વિકાસ માટે જરૂરી પોષણ અને ઉદ્દીપન પૂરાં પાડતાં પ્રત્યાયનનો ઉપયોગ કર્યો અને પ્રોત્સાહન આપ્યું. ખેતીનો વિકાસ અને ત્યારબાદ સભ્યતાનો વિકાસ થવાથી આજ પહેલાં આટલા ટૂંકા ગાળામાં પૃથ્વીને- તેના પરની કુદરત અને અન્ય જીવસૃષ્ટિના જથ્થાને આટલી જબરજસ્ત રીતે પ્રભાવિત કરનાર એક માત્ર મનુષ્ય છે, એ સિવાયનો અન્ય કોઈ જીવ આમ કરી શકયો નથી. 

અત્યારની હિમયુગ ()ની ભાત છેલ્લાં 400 લાખ વર્ષો અગાઉ જ શરૂ થઈ છે અને પછી લગભગ 30 લાખ વર્ષો અગાઉના નૂતનતમ કાળ ()માં તે વધુ તીવ્ર બની છે. 
ત્યારથી ધુ્રવ પ્રદેશો પર બરફ જામવા અને પીગળવાની પ્રક્રિયા સતત ચાલતી રહી છે, જે દર 40–100,000 વર્ષોએ પુનરાવર્તિત થાય છે.છેલ્લો હિમયુગ 10,000 વર્ષો પહેલાં પૂરો થયો હતો. 

પૃથ્વીનું ભવિષ્ય, સૂર્યના ભવિષ્ય સાથે કસકસાવીને બાંધેલું છે. 

સૂર્યના કેન્દ્રમાં એકધારી હીલિયમની રાખ એકઠી થતી જતી હોવાથી તારાની સંપૂર્ણ તેજસ્વીતા () ધીમે ધીમે વધશે. 
આવતા 1.1; ગિગાવર્ષ ()(1.1; અબજ વર્ષો)-માં સૂર્યની તેજસ્વીતા 10 ટકા વધશે અને આવતા 3.5 ગિગાવર્ષમાં ૪૦% જેટલી વધશે.  
પૃથ્વી પર પહોંચતા સૂર્યના કિરણો જેમ જેમ વધતા જશે તેમ તેમ તેનાં ભયંકર પરિણામોનો સામનો કરવાનો આવશે એવું હવામાન અંગેના મૉડલો સૂચવી રહ્યા છે, તેના કારણે પૃથ્વીના મહાસાગરોનો લોપ થાય તેવી શકયતા પણ છે. 

આવતાં 9000 લાખ વર્ષોમાં પૃથ્વીની સપાટી પરનું તાપમાન વધવાથી નિર્જીવ () કાર્બન ડાયોકસાઈડનું CO2ચક્ર () વધુ ગતિમાન બનશે, જેમાં તેનું પ્રમાણ વનસ્પતિઓ માટે જીવલેણ કહી શકાય એટલી હદે ઘટશે (C4 પ્રકાશસંશ્વ્લેષણ () માટે 10 પીપીએમ ()). 
વનસ્પતિ/ઝાડ-પાનના અભાવના કારણે વાયુમંડળમાં ઑકિસજનનું પ્રમાણ પણ ઘટશે. પરિણામે આવતા અમુક લાખ વર્ષોમાં પ્રાણીજીવન પણ લુપ્ત બનશે. 
અને જો કદાચ સૂર્ય એવો જ શાશ્વ્વત અને સ્થિર રહે તો પણ સતત અંદરથી ઠરતી જતી પૃથ્વી, ઠરતા જતા જવાળામુખી ()ઓને કારણે પોતાનું મોટા ભાગનું વાયુમંડળ અને મહાસાગરો ગુમાવી બેસશે. 
બીજાં બિલિયન વર્ષોમાં પૃથ્વીની સપાટી પરથી તમામ પાણી અદશ્ય બની જશે અને વિશ્વનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચશે. એક ધારણા પ્રમાણે પૃથ્વી પર બીજાં 5000 લાખ વર્ષો સુધી જીવન અસરકારક રીતે ટકી શકશે. 

લગભગ 5 ગિગાવર્ષમાં, સૂર્ય પોતાની ઉત્ક્રાંતિ ()ના ભાગ રૂપે, લાલ ગોળા ()માં પલટાઈ જશે. 
કેટલાક મૉડલ પ્રમાણે એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે કે સૂર્ય પોતાના કદ કરતાં લગભગ 250 ગણો વધુ વિસ્તરશે. આ પણ જોશો 
પૃથ્વીનું ભવિષ્ય ધૂંધળું છે. સૂર્ય લાલ ગોળામાં પરિણમશે એનાથી તેનો લગભગ 30% દ્રવ્ય-જથ્થો છૂટો પડશે અને તેની અસરથી જયારે સૂર્ય તેની મહત્તમ ત્રિજયાએ પહોંચશે ત્યારે પૃથ્વી પણ તેની સૂર્ય-ભ્રમણકક્ષાથી દૂર જશે.  
આમ, પૃથ્વી સૂર્યના બાહ્ય વાયુમંડળના ફેંકાતા અંશોથી બચી જશે પણ ત્યાં સુધીમાં તેના પરની તમામ નહીં તો મોટા ભાગની જીવસૃષ્ટિ સૂર્યની તેજસ્વીતાને કારણે નાશ પામી હશે. જો કે, તાજેતરમાં થયેલા એક વધુ અનુમાન મુજબ, ભરતીઓટની અસરો અને તેની ધીમી થતી જતી ગતિના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષા ક્ષીણ થતી જશે અને પરિણામે એ લાલ ગોળો બનેલા સૂર્યના વાતાવરણમાં ખેંચાઈને વિનાશ પામશે. 

પૃથ્વી એક જમીન ધરાવતો ગ્રહ છે, એટલે કે તે ગુરુ () જેવો વાયુગોળો () નથી પરંતુ ખડકાળ ભૂસ્તર ધરાવે છે. 
જમીન ધરાવતા ચાર ગ્રહોમાંથી પૃથ્વી કદ અને દળમાં સૌથી મોટો ગ્રહ છે. 
આ ચાર ગ્રહોમાં, પૃથ્વી સૌથી ઊંચી ઘનતા, સૌથી વધુ સપાટી પરનું ગુરુત્વાકર્ષણ (), સૌથી શકિતશાળી લોહચુંબકીય ક્ષેત્ર અને સૌથી ઝડપી ભ્રમણ કરતો ગ્રહ છે. 
આ ઉપરાંત પૃથ્વી જયાં પ્લેટ ટેકટોનિકસ () સક્રિય હોય તેવો જમીન ધરાવતો એક માત્ર ગ્રહ છે. 

પૃથ્વીનો આકાર ચપટો ગોળા () જેવો છે, બંને ધુ્રવો વચ્ચે પૃથ્વીનો ગોળો એ રીતે ગોઠવાયેલો છે જેનાથી વિષુવવૃત્ત ()ની ફરતે ઉપસેલો ભાગ () બને છે. 

વિષુવવૃત્તની આસપાસનો આ ઉપસેલો ભાગ પૃથ્વીના પરિભ્રમણ ()ને આભારી છે. તેના કારણે ધ્રુવ ()થી ધ્રુવ સુધીના વ્યાસ કરતાં વિષુવવૃત્ત વ્યાસ 43 કિ.મી. મોટો બને છે. 
ગોળા જેવા આકારની પૃથ્વીનો એકંદર વ્યાસ આશરે 12,742 કિ.મી. છે. પૅરિસ (), ફ્રાન્સે ઠેરવ્યા મુજબ વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ () સુધીના અંતરના 1/10,000,000 ભાગને મૂળભૂત રીતે મીટર () તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો, તે મુજબ આ વ્યાસ લગભગ 40,000 કિ.મી./ટીટી () છે.

આ આદર્શ ગોળા જેવા આકારથી સ્થાનિક ભૂગોળ () સહેજ જુદી પડે છે, પણ વૈશ્વિક પટલ પર આ ફેરફારો ખૂબ નાના હોય છેઃ  જેમ કે આશરે ૫૮૪ ભાગમાંથી એક ભાગ જેટલી અથવા તો સંદર્ભિત ગોળા કરતાં 0.17% જેટલી પૃથ્વીની સહનશકિત () છે, જે બિલિયર્ડ બોલો ()માં સ્વીકૃત 0.22% કરતાં પણ ઓછી છે.  

પૃથ્વીની ખડકાળ સપાટી પરના સૌથી મોટા સ્થાનિક ફેરફારો માઉન્ટ એવરેસ્ટ () (સ્થાનિક દરિયાની સપાટીથી 8,848 મી. ઊંચાઈ) અને મરિઆના ખાઈ () (સ્થાનિક દરિયાની સપાટીથી 10,911 મી. ઊંડાઈ) પર જોવા મળે છે. વિષુવવૃત્તીય ઉપસેલા ભાગને કારણે, પૃથ્વીના કેન્દ્રથી સૌથી દૂર આવેલ પર્વતમાળા ખરેખર ઍકવાડોર ()માં આવેલ ચિમ્બોરાઝો પર્વત () છે. 

પૃથ્વીનું દળ આશરે 5.98 કિ.ગ્રા. છે. તેનો મોટો ભાગ લોખંડ () (32.1%), ઑકિસજન (30.1%), સિલિકોન () (15.1%), મેગ્નેશિયમ () (13.9%), ગંધક () (2.9%), નીકલ () (1.8%), કેલ્શિયમ () (1.5%), અને એલ્યુમિનિયમ () (1.4%)-થી બનેલો છે અને બાકીનો 1.2% ભાગ અન્ય ઘટકોના અલ્પાંશથી બનેલો છે. 
દળના વિભાગીકરણ ()ને કારણે પૃથ્વીના ગોળાનો કેન્દ્ર વિસ્તાર મુખ્યત્વે લોહ (88.8%)થી અને બહુ થોડા પ્રમાણમાં નીકલ (5.8%) અને ગંધક (4.5%)થી, 
અને 1% કરતાં પણ ઓછા અન્ય ઘટકોના અલ્પાંશથી બનેલો હોવાનું માનવામાં આવે છે.  

ભૂરસાયણશાસ્ત્રી એફ. ડબલ્યુ. કલાર્ક ()ની ગણતરી મુજબ, પૃથ્વીના ભૂકવચનો 47%થી થોડોક વધુ ભાગ ઑકિસજન ધરાવે છે. 
પૃથ્વીનું ભૂકવચ જેનાથી બન્યું છે તે તમામ ખડકો લગભગ ઑકસાઈડ છે; માત્ર કલોરિન, સલ્ફર અને ફલુઓરિન જ તેમાં અપવાદ છે; જો કે કોઈ પણ ખડકમાં તેમનું પ્રમાણ 1% કરતાં પણ ઘણું ઓછું હોય છે.મુખ્ય ઑકસાઈડોમાં સિલિકા, ઍલ્યુમિના, આયર્ન ઑકસાઈડ, ચૂનો, મૅગનેસીઆ, પોટાશ અને સોડાનો સમાવેશ થાય છે. સિલિકા પ્રાથમિક રૂપે ઍસિડ તરીકે કામ આપીને સિલિકેટ્સની રચના કરે છે. અગ્નિકૃત ખડકોમાં મળી આવતા તમામ સામાન્ય ખનિજો આ પ્રકારના હોય છે. તમામ પ્રકારના 1,672 ખડકોનું કમ્પ્યૂટર પર આંકડા આધારિત પૃથક્કરણ કર્યા બાદ, કલાર્કે તેમાંથી 99.22% ખડકો 11 ઑકસાઈડના બનેલા હોવાનું તારવ્યું (જમણી તરફ આપવામાં આવેલું ટેબલ જોશો).  
બાકીના અન્ય ઘટકો ખૂબ ઓછી માત્રામાં હોય છે. 

અન્ય જમીન ધરાવતા ગ્રહોની જેમ, પૃથ્વીનું પેટાળ રાસાયણિક () અથવા ભૌતિક (રિઓલોજીકલ ()) ગુણધર્મો અનુસાર જુદા જુદા સ્તરોમાં વહેંચાયેલું છે.પૃથ્વીનું બહારનું સ્તર રાસાયણિક રીતે તદ્દન અલગ પડી આવતું સિલિકેટ ()નું ઘન સ્તર () છે, જેની નીચે ખૂબ ઘટ્ટ, ચીકણો એવો ઘન લાવારસ છે.મોહોરોવિવિક વિક્ષેપ ()થી આ સ્તર તેની નીચેના લાવારસથી જુદું પડે છે. આ સ્તરની જાડાઈ બદલાતી રહે છે- જે મહાસાગરોની અંદર એકંદરે 6 કિ.મી. અને ખંડોમાં 30થી 50 કિ.મી.ની હોય છે.આ સ્તર તથા લાવારસનું ઉપલું ઠરી ગયેલું, કઠણ આવરણ ()ને સંયુકત રીતે શિલાવરણ () કહેવામાં આવે છે. ટૅકટોનિક પ્લેટો () આ શિલાવરણથી જ બનેલી હોય છે.શિલાવરણની નીચે પ્રમાણમાં ઓછું ઘટ્ટ એવું એસ્થેનોસ્ફિઅર () આવેલું છે, જેની પર શિલાવરણ તરે છે. સપાટીથી 410 અને 660 કિ.મી. નીચે લાવારસના સ્ફટિક બંધારણમાં મહત્ત્વના ફેરફારો આકાર લે છે, જયાં રૂપાંતરણ/સંક્રમણ વિસ્તાર () છે, જે લાવારસના ઉપલા અને નીચલા આવરણને અલગ કરે છે. લાવારસની નીચે અત્યંત ઓછું ચીકણું પ્રવાહીનો બનેલો બહારનો ગર્ભ () હોય છે અને તેની નીચે સખત, ઘન એવો આંતરિક ગર્ભ () હોય છે. પૃથ્વીનો અંત: ગર્ભ, બાકીની પૃથ્વી કરતાં સહેજ વધુ એવા કોણીય વેગ ()થી ફરે છે, જે દર વર્ષે 0.1–0.5° જેટલો વધે છે. 

પૃથ્વીની બાહ્ય વૃદ્ધિથી પેદા થયેલી ગરમીના અવશેષ ()થી (20%) અને કિરણોત્સર્ગી પદાર્થોના વિસર્જનથી પેદા થયેલી ગરમી (80%)ના સંયોજનથી પૃથ્વીમાં આંતરિક ગરમી () પેદા થાય છે.પોટેશિયમ-40 (), યુરેનિયમ-238 (), યુરેનિયમ-235 અને થોરિયમ-232 () પૃથ્વીના સૌથી વધુ ગરમી પેદા કરતાં રાસાયણિક મૂળતત્ત્વો છે.પૃથ્વીના કેન્દ્રમાં 7,000 કે સુધીનું ઉષ્ણતામાન અને 360 જીપીએ () જેટલું દબાણ હોવાનું ધારવામાં આવે છે. મોટા ભાગની ગરમી કિરણોત્સર્ગી પદાર્થોના વિસર્જનથી પેદા થતી હોવાથી વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે પૃથ્વીના ઇતિહાસની શરૂઆતમાં, જયારે રાસાયણિક મૂળતત્ત્વો ટૂંકા દ્વિ-જીવીમાં અવક્ષય થયો ત્યારે પૃથ્વી ઘણી વધુ ગરમી પેદા કરતી હશે. ગરમીના આ વધારાના જથ્થાથી, જે આજ કરતાં લગભગ બમણો હતો, એટલે કે આશરે 3 અબજ વર્ષો અગાઉ, પૃથ્વીમાં ઉષ્ણતામાનના પ્રવાહો વધાર્યા હશે, લાવારસ પ્રસારણ () અને પ્લેટ ટેકટોનિકસ ()નો દર વધાર્યો હશે અને તેથી કોમાટ્ટિટ્સ () જેવા અગ્નિકૃત ખડકોનું નિર્માણ થયું હશે, જે આજે બનતા જોવા મળતા નથી. 

પૃથ્વી પરથી છૂટી પડતી કુલ ગરમી.પૃથ્વીના ગર્ભની થર્મલ ઊર્જાનો અમુક ભાગ, પોપડા તરફ લાવારસના ગોટા ()ઓ થકી પરિવહન પામે છે. ગરમી પ્રસારણની આ ક્રિયા ઊંચા-તાપમાનના ખડકોમાં ઉથલપાથલથી સર્જાય છે.લાવારસના આ ગોટા ગરમ પાણીના ઝરા () અથવા બેસાલ્ટ પૂર () પેદા કરે છે.
પૃથ્વીના પેટાળમાંની મોટા ભાગની ગરમી દરિયા મધ્યે સર્જાતી પર્વતમાળા સાથે સંકળાયેલી લાવારસની ઉથલપાથલ અને પ્લેટ ટેકટોનિકસથી મુકત થાય છે. પૃથ્વીના પેટાળમાંની ગરમીના વિસર્જનનો અંતિમ મુખ્ય માર્ગ શિલાવરણમાં ગરમીના વહનનો છે. ખંડો કરતાં મહાસાગરોના તળિયે ભૂકવચ પ્રમાણમાં ઘણું પાતળું હોવાથી શિલાવરણમાંથી ગરમીનું મોટા ભાગનું વિસર્જન ત્યાં થતું હોય છે.

પૃથ્વીની બહારનું પ્રમાણમાં સખત એવું શિલાવરણ જયારે તૂટીને ટુકડાઓ થાય છે ત્યારે તેને ટૅકટોનિક પ્લેટ () કહે છે. આ પ્લેટ એટલે શિલાવરણના એવા સખત કપાયેલા ભાગો જે એકબીજાના સંદર્ભે ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારની ગતિ કરે છેઃ કેન્દ્રગામી સીમાઓ ()- જેમાં બંને પ્લેટ એકબીજાની નજીક સરકે છે; વિરોધી દિશામાં ગતિ કરતી સીમાઓ (), જેમાં બંને પ્લેટ એકબીજાથી વિરુદ્વ દિશામાં ગતિ કરે છે અને રૂપાંતરણ સીમાઓ (), જેમાં બંને પ્લેટ રીતસર એકબીજામાં ધસી જાય છે. આ પ્લેટોની સીમાઓ પર ભૂકંપ (), જવાળામુખી, પર્વત-રચના () અને દરિયાઈ ખાઈ () રચાવી જેવી બાબતો બનતી હોય છે. 

ઘન પણ પ્રમાણમાં ઓછું સિનિગ્ધ એવું ઉપલું લાવારસ આવરણ- એસ્થેનોસ્ફિઅર પર આ ટેકટોનિક પ્લેટો ગતિ કરતી હોય છે. આ લાવારસ પ્લેટોની સાથે વહી શકે છે તેમ જ ગતિ કરી શકતો હોય છે.  ,
અને તેની ગતિ, પૃથ્વીના લાવારસ આવરણ ()માંની ગરમી પ્રસારણની ગતિવિધિઓ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. 

ટૅકટોનિક પ્લેટો પૃથ્વીના પટ પર ગતિ કરતી હોવાથી મહાસાગરના તળિયું, તેની એકબીજાની તરફ કેન્દ્રગામી ગતિ કરતી સીમાઓથી સબડકટ () થાય છે. 
તો એકબીજાથી વિરુદ્વ દિશામાં ગતિ કરતી સીમાઓ પર પેટાળમાંથી ધખધખતો લાવારસ બહાર આવવાથી દરિયાની વચ્ચે ગિરિમાળા () રચાય છે.
આ પ્રકારની સતત ચાલતી રહેતી પ્રક્રિયાઓથી દરિયાઈ પોપડો () સતત લાવારસમાં ફરીથી પરિવર્તિત થતો રહે છે. 
આ જ કારણોસર, મોટા ભાગના મહાસાગરોનું તળિયું (દરિયાઈ પોપડો) 1000 લાખ વર્ષો કરતાં ઓછી ઉંમર ધરાવે છે.  
પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં સૌથી જૂનો દરિયાઈ પોપડો મળી આવ્યો છે. આ દરિયાઈ પોપડાની ઉંમર આશરે 2000 લાખ વર્ષ ધારવામાં આવે છે. 
સરખામણી કરીએ તો સૌથી પુરાણો ખંડીય પોપડો 40300 લાખ વર્ષ જૂનો છે. 

અન્ય નોંધપાત્ર પ્લેટોમાં ભારતીય પ્લેટ (), અરેબિયન પ્લેટ (), કૅરેબિયન પ્લેટ (), દક્ષિણ અમેરિકા ()ના પશ્ચિમ કિનારાની બીજી તરફ આવેલી નાઝ્કા પ્લેટ () અને એટલાન્ટિક મહાસાગર ()માં દક્ષિણે આવેલી સ્કોટિયા પ્લેટ ()ને ગણી શકાય. 

તેનાથી બીજા અંતિમે, આશરે 21 મિમી./વર્ષની ઝડપે ગતિ કરતી યુરેશિયન પ્લેટ સૌથી ધીમી ગતિ કરતી પ્લેટ છે. 

પૃથ્વીના ભૂ-પ્રદેશ ()ની રચના સ્થળે સ્થળે જુદી જોવા મળે છે. પૃથ્વીની સપાટીનો આશરે 70.8% ભાગ પાણીથી ઘેરાયેલો છે. સમુદ્રમાં જતી ખંડીય કાંધી () પણ મોટા ભાગે દરિયાઈ સપાટીની નીચે ડૂબેલી છે. 
જયાં જયાં આ સપાટીઓ ભેગી થઈ છે ત્યાં પર્વતો બન્યા છે, જેમ કે દરિયાની વચ્ચે રચાયેલી ગિરિમાળા ()ઓ તેમ જ દરિયાના પેટાળમાંના જવાળામુખી ()ઓ, દરિયાઈ ખાઈ (), દરિયામાં આવેલી ખીણ (), દરિયાઈ પ્લેટુ(સમથળ પ્રદેશ) () અને અગાધ ઊંડાં મેદાનો (). 
પાણીથી ઘેરાયેલા ન હોય તેવા બાકીના 29.2% પર પર્વતો (), રણ (), મેદાનો (), પ્લેટુ (સમથળ પ્રદેશો) () અને અન્ય ભૂ-રચનાઓ () જોવા મળે છે. 

ટૅકટોનિકસ અને ધોવાણ ()ની અસરોથી પૃથ્વીની સપાટી અમુક ભૂસ્તરશાસ્ત્રીય સમયાંતરોએ ફેરરૂપાંતરણ પામતી રહે છે. 
પ્લેટ ટૅકટોનિકસના કારણે જોડાતી અથવા તૂટતી સપાટીઓનો આધાર ભેજપાત કે વરસાદ ()થી લઈને થર્મલ સાયકલ અને રાસાયણિક અસરો સુધીના સ્થિર હવામાન () પર રહે છે. હિમરાશિ () એકઠી થવી, કિનારાનું ધોવાણ (), પરવાળાંના ખડક () કે ટાપુ બનવા અને તે ઉપરાંત વિશાળ ઉલ્કાના પડવાથી ઊભી થતી અસરો પણ ભૂ-પ્રદેશને ફેર-આકાર આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.  

 () અને બૅથીમેટ્રી (). નેશનલ જિઓફિઝિકલ ડેટા સેન્ટર ()ના માંથી મળતી માહિતી. 

ખંડીય પોપડા () ગ્રેનાઈટ () અને એન્ડેસાઈટ () જેવા ઓછી ઘનતા ધરાવતા અગ્નિકૃત ખડકો ()થી બનેલા છે. 
મુખ્યત્વે દરિયાનું તળિયું જેનાથી બને છે તે બૅસાલ્ટ () જેવા વધુ ઘનતા ધરાવતા લાવાથી બનેલા ખડકો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. 
જળકૃત ખડક () 
એ કાંપ એકઠો થવાથી અને પછી પાણીના દબાણથી બંધાઈને બનતો ખડક છે. 
ભૂકવચનો માત્ર ૫% હિસ્સો જ જળકૃત ખડકોનો બનેલો હોવા છતાં ખંડીય સપાટીઓનો આશરે 75% જેટલો ભાગ જળકૃત ખડકોથી બનેલો છે.
પૃથ્વી પર મળી આવતા ત્રીજા પ્રકારના ખડક છે રૂપાંતરિત ખડક (). ખૂબ વધુ દબાણ અથવા ઊંચું તાપમાન અથવા આ બંનેના કારણે જે-તે પ્રકારનો ખડક રૂપાંતરણ પામીને જે ખડક બને તેને રૂપાંતરિત ખડક કહે છે. 
પૃથ્વીની સપાટી પર વિપુલ પ્રમાણમાં મળી આવતા સિલિકેટ ખનિજોમાં સ્ફટિક (), ફલેડ્સ્પાર (), એમ્ફીબોલ (), અબરખ (), પાયરોકિસન () અને ઓલિવીયન ()નો સમાવેશ થાય છે. 
સામાન્ય કાર્બનિટ ખનિજોમાં કૅલકાઈટ () (ચૂના ()માં મળી આવે છે), અરાગોનાઈટ () અને ડૉલમાઈટ (મૅગ્નેશિયાવાળો ચૂનાનો પથ્થર) ()નો સમાવેશ થાય છે.

ભૂકવચ () એ પૃથ્વીનું સૌથી બહારનું સ્તર છે, જે માટી ()નું બનેલું છે અને માટી બનવાની પ્રક્રિયાઓ () પર આધારિત છે.  
શિલાવરણ (), વાયુમંડળ, જળમંડળ () અને જીવમંડળની વચ્ચે સરહદ પર તે અસ્તિત્વ ધરાવે છે. 
હાલમાં, કુલ જમીનમાંથી 13.31% જમીન ખેતીલાયક છે અને તેમાંથી માત્ર 4.71% પર કાયમી પાક લઈ શકાય છે. 
અત્યારે પૃથ્વીની જમીન સપાટીના આશરે 40%નો ઉપયોગ ખેતી માટે અને ગોચર માટે થાય છે અથવા બીજા શબ્દોમાં, આશરે 1.3 કિ.મી.²નો ખેતી માટે અને 3.4 કિ.મી.²નો ગોચર માટે ઉપયોગ થાય છે. 

મૃત સમુદ્ર ()ના દરિયાની સપાટી પરથી સૌથી નીચા બિંદુ -418 મી.થી લઈને એવરેસ્ટ પર્વત ()ના 2005 મુજબના દરિયાની સપાટી પરથી સૌથી ઊંચા બિંદુ 8848 મી. સુધી પૃથ્વીની જમીનની સપાટી બદલાતી રહેતી હોય છે. દરિયાની સપાટીથી જમીનની સરેરાશ ઊંચાઈ 840 મી. છે. 

 
પૃથ્વીની સપાટી પર પાણીની વિપુલ માત્રા એ પૃથ્વીનું એક એવું અદ્વિતીય પાસું છે જે તેને સૌરમંડળમાં ભૂરા ગ્રહ’ તરીકે બીજા ગ્રહોથી જુદી પાડે છે. 
પૃથ્વીનું જળમંડળ મુખ્યત્વે મહાસાગરોનું બનેલું છે પણ આમ જોવા જઇએ તો તેમાં વિશ્વના તમામ જળાશયો- ભૂમધ્ય સમુદ્રો, સરોવરો, તળાવ, નદી અને 2,000 મી.ના ઊંડાણે આવેલા ભૂતળના જળનો પણ સમાવેશ થાય છે. 
દરિયામાંની સૌથી ઊંડી જગ્યા પૅસિફિક મહાસાગર ()માં મરિઆના ખાઈ ()ની ચેલેન્જર ડીપ () છે, જે -10,911.4 મી. ઊંડાઈ ધરાવે છે.મહાસાગરોની સરેરાશ ઊંડાઈ 3,800 મી. હોય છે, જે ખંડોની સરેરાશ ઊંચાઈ કરતાં ચારગણી છે. 

મહાસાગરોનું દળ લગભગ 1.35 મેટ્રિક ટન () અથવા તો પૃથ્વીના કુલ દળના 1/4400 ભાગ જેટલું છે અને તે 1.386 કિ.મી.3 જેટલો વિસ્તાર રોકે છે. 

જો પૃથ્વી પર જમીન એકસરખી સપાટ રીતે વિસ્તરેલી હોત તો પાણીની સપાટી 2.7 કિ.મી. કરતાં પણ વધુ ઊંચાઈએ હોત. 
આશરે 97.5% પાણી ખારું/ક્ષારયુકત છે જયારે બાકીનું 2.5% પાણી તાજું છે. 
આ તાજા પાણીનો મોટો ભાગ, આશરે 68.7%, અત્યારે બરફ સ્વરૂપે છે.

મહાસાગરોના કુલ દળનો લગભગ 3.5% ભાગ નમક ()નો બનેલો છે. 
નમકનો આ જથ્થો કાં તો જવાળામુખીમાંથી મુકત થયો હોય છે અથવા તો પછી ઠંડા પડેલા અગ્નિકૃત ખડકોમાંથી ખેંચાયેલો હોય છે. 
ઘણી દરિયાઈ જીવ-સૃષ્ટિના અસ્તિત્વ માટે આવશ્યક એવા વાતાવરણમાંના ઓગળેલા વાયુઓ પણ મહાસાગરમાં સંગ્રાહાયેલા હોય છે. 
વિશ્વના હવામાનને દરિયાના પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે અસર કરે છે,  

મહાસાગરો ગરમીના વિશાળ સંગ્રહસ્થાન () તરીકે કામ કરતા હોવાથી 
દરિયાઈ તાપમાનના વિતરણમાં ફેરફારોથી 
આબોહવામાં નોંધપાત્ર બદલાવો આવે છે, જેમ કે 
અલ નીનો- દક્ષિણી આવર્તનો ().

લગભગ 8.5 કિ.મી. ઊંચાઈ () સુધી, પૃથ્વીની સપાટી પર વાતાવરણનું દબાણ () સરેરાશ 101.325 કેપીએ(કિલો પાસ્કલ) () જેટલું હોય છે. 
તેમાં 78% નાઈટ્રોજન અને 21% ઑકિસજન હોય છે અને તે સિવાય ખૂબ ઓછા પ્રમાણમાં તેમાં પાણીની વરાળ, કાર્બન ડાયોકસાઈડ અને અન્ય વાયુરૂપ પરમાણુઓ પણ હોય છે. 
હવામાન અને મોસમના કેટલાક બદલાવો અનુસાર તથા અક્ષાંશ () સાથે અધોમંડળ (ટ્રોપોસ્ફિઅર) ()ની ઊંચાઈ બદલાય છે જે ધ્રુવો પર 8 કિ.મી.થી માંડીને વિષુવવૃત્ત પર 17 કિ.મી. સુધી બદલાતી રહે છે.  

પૃથ્વી પરના જીવમંડળના કારણે, વાયુમંડળ ()માં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. 

આ બદલાવના કારણે ઍરોબિક જીવસૃષ્ટિ (વાયુમાં જીવતાં સૂક્ષ્મજીવો) () વિપુલ પ્રમાણમાં વિકસી શકી તેમ જ ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વીનું લોહચુંબકીય ક્ષેત્ર, ઍરોબિક જીવસૃષ્ટિ અને ઓઝોન સ્તરે આ ત્રણેની સંયુકત અસરના પરિણામે પારજાંબલી () સૌર કિરણોત્સર્ગ () અવરોધાયા- પૃથ્વી પર પહોંચતા અટકયા અને પરિણામે પૃથ્વી પર જીવન શકય બન્યું.  
પાણીનું વરાળમાં રૂપાંતર, ઉપયોગી ગૅસ પૂરાં પાડવા, નાની ઉલ્કાઓ () સપાટી પર અથડાય તે પહેલાં તેને ભસ્મીભૂત કરવી અને મધ્યમ તાપમાન જાળવી રાખવું એ પૃથ્વી પર જીવનને લાભદાયી નીવડતી વાતાવરણની અન્ય મહત્ત્વપૂર્ણ અસરો છે. 
આ છેલ્લી બાબત ગ્રીન હાઉસ અસર () તરીકે જાણીતી છેઃ વાતાવરણમાંના સૂક્ષ્મ રજકણો/પરમાણુઓ જમીન પરથી ફેંકાતી થર્મલ ઊર્જાને ઝીલે છે અને આ રીતે સામાન્ય તાપમાનને વધારે છે. 
પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ, પાણીની વરાળ, મિથેન અને ઓઝોન એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓ () છે. 
ગરમી રોકી રાખતી આ અસર વિના, પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન -18 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાત અને જીવનના અસ્તિત્વની કોઈ સંભાવના રહેત નહીં. 

પૃથ્વીના વાતાવરણ/ વાયુમંડળને કોઈ ચોક્કસ સીમા નથી. એ ધીમે ધીમે પાતળું બનતું જાય છે અને છેવટે બાહ્ય અવકાશમાં વિલીન થઈ જાય છે. 

વાયુમંડળના દળનો એક તૃતીયાંશ ભાગ, પૃથ્વીની સપાટીને અડીને પહેલાં 11 કિ.મી.માં સમાયેલો છે. 
સૌથી નીચેના સ્તરને અધોમંડળ (ટ્રોપોસ્ફિઅર) () કહેવામાં આવે છે.સૂર્યની ગરમી આ સ્તરને તથા તેની નીચેની જમીનને તપાવે છે, જેના કારણે હવાનું વિસ્તરણ થાય છે.

આ ગરમ, ઓછી ઘનતાવાળી હવા પાછી ઊંચે જાય છે અને તેની જગ્યા વધુ ઘનતાવાળી ઠંડી હવા લે છે. 

આમ વાતાવરણીય પરિભ્રમણ (), એટલે કે ગરમીની ઊર્જાનું ફેરવિતરણ, હવામાન અને આબોહવાનું સંચાલન કરે છે. 

વાતાવરણના પરિભ્રમણમાં 30° અક્ષાંશથી નીચેના વિષુવવૃત્તીય વિસ્તારોમાં વાતા વ્યાપારી વાયુઓ () અને 30° અને 60° વચ્ચેના મધ્ય-અક્ષાંશો પર વાતા પશ્ચિમી વાયુઓ () મુખ્ય છે. 

વૈશ્વિક હવાના દળ ()ના |left|thumbnail|300px|સ્રોત વિસ્તારો 
સપાટી પરના બાષ્પીભવનથી પેદા થયેલી પાણીની વરાળ ચક્રાકાર પરિભ્રમણથી વાતાવરણમાં પરિવહન પામે છે. 

જયારે વાતાવરણના પરિબળોના કારણે ગરમ, ભેજવાળી હવા ઊંચકાય છે ત્યારે તેમાંનું પાણી સંકોચાય છે અને સપાટી પર ભેજપાત () રૂપે સ્થિર થાય છે. 
મોટા ભાગનું પાણી વળી પાછું નદીઓ થકી નીચે આવે છે અને સામાન્ય રીતે મહાસાગરોમાં પાછું ઠલવાય છે અથવા તો તળાવ/સરોવર ()માં જમા થાય છે. 
જમીન પર જીવન ટકાવવા પાછળ આ જળચક્ર () આવશ્યક ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં પણ એક પછી એક ભૂસ્તરશાસ્ત્રીય સમયગાળાઓ દરમ્યાન સપાટી ધોવાણ પાછળ પણ તે એક મુખ્ય પરિબળ છે. 
ભેજપાત / વરસાદની ભાત ખૂબ વ્યાપક રીતે, દર વર્ષે અમુક મીટર પાણીથી લઈને મિલીમીટર કરતાં પણ ઓછું એમ બદલાતી જોવા મળે છે.  

દરેક વિસ્તારમાં એકંદર ભેજપાત / વરસાદ કેટલો થશે તેનો આધાર વાતાવરણીય પરિભ્રમણ (), ભૂ-પ્રદેશની રચના અને તાપમાનના ફેરફારો પર રહે છે.

એકંદરે સરખી આબોહવા ધરાવતા અમુક ચોક્કસ અક્ષવૃત્તોમાં પૃથ્વીને વહેંચી શકાય છે. 
વિષુવવૃત્તથી ધ્રુવીય પ્રદેશો સુધી, પૃથ્વી પર ઉષ્ણકટિબંધ () (અથવા વિષુવવૃત્તીય), સમશીતોષ્ણકટિબંધ (), સમશીતોષ્ણ () અને ધ્રુવીય () આબોહવા એમ વિસ્તરેલા છે.  
પ્રમાણમાં હવાના એકસરખા દળની લાક્ષણિકતા ધરાવતા વિસ્તારો મુજબ તાપમાન અને ભેજપાત/વરસાદના આધારે પણ આબોહવાને વર્ગીકૃત કરી શકાય.  
કૉપ્પેન આબોહવા વર્ગીકરણ () પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે (વ્લાદીમીર કૉપ્પેન ()ના વિદ્યાર્થી રુડોલ્ફ ગેઈગરે સુધારેલી પદ્ધતિ) જેમાં મુખ્ય પાંચ પ્રકારો (ભેજવાળા કટિબંધો, શુષ્ક (), મધ્યમ ભેજ ધરાવતા અક્ષાંશો, ખંડીય () અને ઠંડા ધ્રુવ) છે અને તેને પણ ફરીથી વધુ ચોક્કસ પેટા-પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે.

અધોમંડળ (ટ્રોપોસ્ફિઅર)ની ઉપરનું વાતાવરણ સામાન્ય રીતે ઊર્ધ્વમંડળ (સ્ટ્રેટોસ્ફિઅર) (), મધ્યમંડળ (મેસોસ્ફિઅર) () અને ઉષ્ણમંડળ (થર્મોસ્ફિઅર) ()માં વહેંચાયેલું હોય છે. 
આ દરેક સ્તર વિલીન થવાનો દર () જુદો જુદો ધરાવે છે, જે ઊંચાઈ સાથે બદલાતા તાપમાનના દરને નિશ્ચિત કરે છે. 
આ સ્તરો પછી બાહ્યમંડળ (એકસોસ્ફિઅર) () આવેલું છે જે ચુંબકીયમંડળ ()માં વિલીન થાય છે.
અહીં પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રો સૌર વાયુ ()ના સંપર્કમાં આવે છે. પૃથ્વી પર જીવન ટકાવી રાખતો વાતાવરણનો એક અગત્યનો ભાગ ઓઝોન સ્તર છે. અધોમંડળના હિસ્સારૂપ આ સ્તર, પૃથ્વીની સપાટીને સૂર્યના નીલાતીત કિરણોથી આંશિક રીતે કવચ આપે છે.  
પૃથ્વીની સપાટીથી 100 કિ.મી. ઉપર, કારમૅન રેખા ()ને વાયુમંડળ અને અવકાશ વચ્ચેની સીમા તરીકે પ્રાયોગિક ધોરણે કલ્પવામાં આવી છે. 

થર્મલ ઊર્જાને કારણે, પૃથ્વીના વાયુમંડળની બહારની ધાર પરના કેટલાક રજકણોનો વેગ એટલો વધે છે કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી છટકી () શકે છે. 
આ રીતે ધીમી પણ સાતત્યપૂર્ણ ગતિથી વાયુમંડળ અવકાશમાં ભળતું રહે છે (). 
અસ્થિર હાઇડ્રોજન () અણુ પ્રમાણમાં હલકો હોવાથી તે વધુ ઝડપથી છટકવા માટેનો વેગ () મેળવી શકે છે અને અન્ય વાયુઓની સાપેક્ષે વધુ પ્રમાણમાં અવકાશમાં મુકત થાય છે. 
અવકાશમાં આ રીતે હાઈડ્રોજન ભળતો રહેવાથી પૃથ્વીની શરૂઆતની ઘટતી () સ્થિતિમાંથી તેની અત્યારની ઓકિસડાઈઝિંગ () સ્થિતિ પ્રાપ્ત થઈ છે. 
પ્રકાશસંશ્વ્લેષણના કારણે ઑકિસજનનો મુકત જથ્થો પ્રાપ્ત થાય છે પરંતુ હાઇડ્રોજન જેવા રિડયુસિંગ એજન્ટ છુટા થવાની પ્રક્રિયા વાયુમંડળમાં વ્યાપક રીતે એકઠા થતા ઑકિસજન માટે અત્યંત આવશ્યક શરત છે. 

એટલે પૃથ્વી પર વિકસેલા જીવનની પ્રકૃતિ, પૃથ્વીના વાયુમંડળમાંથી છટકતા હાઈડ્રોજનથી પ્રભાવિત હોઈ શકે છે. 
અત્યારના સારો એવો ઑકિસજન જથ્થો ધરાવતા વાતાવરણમાં, હાઈડ્રોજન તેને છટકવાની તક મળે તે પહેલાં પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે.અને એના બદલે બાહ્ય વાતાવરણમાં મિથેન ()ના તૂટવાથી મોટા ભાગનો હાઈડ્રોજન છુટો પડે છે. 

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (), પૃથ્વીના ભૌગોલિક ધ્રુવોની નજીક આવેલા ચુંબકીય દ્વિ-ધ્રુવો ()માં રચાયેલું છે.
ડાયનેમો સિદ્ધાન્ત () અનુસાર, પૃથ્વીના પીગળેલા બાહ્ય ગર્ભઆવરણમાં આ ચુંબકીય ક્ષેત્ર રચાય છે. ત્યાં ગરમીના કારણે વાહક સામગ્રીઓમાં ગરમી પ્રસારણની ક્રિયા થાય છે, જે વિદ્યુતપ્રવાહ પેદા કરે છે.અને તેના પરિણામે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઊભું થાય છે. ગર્ભમાં થતી ગરમી પ્રસારણની ક્રિયાઓ સ્વભાવે અત્યંત અસ્તવ્યસ્ત હોય છે અને સમયાંતરે તેની ગોઠવણી પણ બદલાતી હોય છે. 
આથી અનિશ્ચિત અંતરાલોએ, એકંદરે દરેક 10 લાખ વર્ષો પછી ચુંબકીય ક્ષેત્ર પરિવર્તન(ઊથલો) () થાય છે. 
આવું સૌથી છેલ્લું ક્ષેત્ર પરિવર્તન આશરે 700,000 વર્ષો અગાઉ થયું હતું. 

આ ક્ષેત્ર ચુંબકીયમંડળ (મેગ્નેટોસ્ફિઅર) () રચે છે જે સૌર વાયુ ()માંના રજકણોની દિશા બદલે છે.  
બાઉ શોક ()ની સૂર્ય તરફની ધાર પૃથ્વીથી આશરે 13 ગણી ત્રિજયા જેટલા અંતરે આવેલી છે.ચુંબકીય ક્ષેત્ર અને સૌર વાયુ વચ્ચેની અથડામણથી બે સમાનકેન્દ્રી વીજભારયુકત રજકણો ()નોવૃષભ () આકારનો વિસ્તાર- વાન ઍલન કિરણોત્સર્ગ પટ્ટો () રચાય છે. જયારે આ ચુંબકીય ધ્રુવો પરથી પ્લાઝમા () પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે મેરુ જયોતિ () રચાય છે. 

 

સૂર્ય ફરતે પરિભ્રમણ માટે પૃથ્વીને લાગતો સમય; સરેરાશ સૌર દિવસ; જે સરેરાશ સૌર સમય પ્રમાણે 86,400 સેકન્ડ છે. 
ભરતી-ઓટના વેગમાં વધારો () થવાથી પૃથ્વીનો સૌર દિવસ હવે 19મી સદી કરતાં સહેજ વધુ લાંબો થયો છે અને તેથી એસઆઈ () સેકન્ડ કરતાં આ સેકન્ડો સહેજ વધુ લાંબી હોય છે. 

આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિભ્રમણ અને સંદર્ભ પદ્ધતિઓ સેવા (ઈન્ટરનેશનલ અર્થ રોટેશન એન્ડ રેફરન્સ સિસ્ટમ્સ સર્વિસ) () દ્વારા સ્થિર તારા () સાપેક્ષે પૃથ્વીના પરિભ્રમણ સમયને તારાઓનો દિવસ કહેવામાં આવે છે, જે સૌર સમય (યુટી1)નો સરેરાશ સમય છે અથવા  સરેરાશ વસંતસપાત () વહેલો થવો () અથવા તેમાં ફેરફાર થવો, જેને ખોટી રીતે તારાની ગતિથી મપાતો દિવસ () કહેવામાં આવે છે તે  સરેરાશ સૌર સમય (યુટી1) છે. 
આમ, તારાની ગતિથી મપાતો દિવસ, તારા દિવસ કરતાં આશરે 8.4 એમએસ (ms.) ટૂંકો હોય છે. 1623–2005 અને 1962–2005ના સમયગાળાઓ માટે આઈઈઆરએસ પાસે સૌર દિવસની સરેરાશ લંબાઈ એસઆઈ સેકન્ડોમાં ઉપલબ્ધ છે. 

વાયુમંડળમાંની ઉલ્કાઓ () અને નીચી ભ્રમણકક્ષા પર ફરતા ઉપગ્રહો સિવાય, પૃથ્વીના આકાશમાં અવકાશી પદાર્થોની દેખીતી ગતિ પશ્ચિમમાં 15°/કલાક = 15’/મિનિટના દરથી જોવા મળે છે. તે દર બે મિનિટે સૂર્ય અથવા ચંદ્રના દેખીતા વ્યાસ જેટલી છે; સૂર્ય અને ચંદ્રનું દેખીતું કદ લગભગ સમાન જ છે. 

સરેરાશ દર 365.2564 સૌર દિવસોએ અથવા એક તારા વર્ષે (), પૃથ્વી એકંદરે આશરે 1500 લાખ કિલોમીટર દૂરથી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. 
એના કારણે, પૃથ્વી પરથી અન્ય તારાઓની સાપેક્ષે સૂર્ય દેખીતી રીતે આશરે 1°/દિવસના દરથી પૂર્વ તરફ જતો દેખાય છે અથવા દર 12 કલાકે સૂર્ય અથવા ચંદ્રના વ્યાસ મુજબ.
આ ગતિના કારણે, પૃથ્વી પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરે અને સૂર્ય પાછો યામ્યોત્તર વૃત્ત () પર આવે તેને એકંદરે 24 કલાક, એક સૌર દિવસ () લાગે છે. 
પૃથ્વીની પોતાની ભ્રમણકક્ષા પર ફરવાની ગતિ એકંદરે આશરે 30  કિ.મી./સેકન્ડ (108,000  કિ.મી./કલાક) છે, જે સાત મિનિટમાં પૃથ્વીના વ્યાસ જેટલું (આશરે 12,600  કિ.મી.) અંતર કાપી શકે તેટલી અને ચાર કલાકમાં ચંદ્ર સુધીનું અંતર (384,000  કિ.મી.) કાપવા જેટલી ઝડપી છે.

પૃષ્ઠભૂમિમાંના તારાઓ સાપેક્ષે ચંદ્ર, પૃથ્વી સાથે એક સામાન્ય બેરિસેન્ટર () ફરતે દર 27.32 દિવસોએ ફરે છે. 
સૂર્યની ફરતે પૃથ્વી-ચંદ્રના પરિભ્રમણની સામાન્ય યુતિમાં, ગ્રહયુતિના મહિના () દરમ્યાન નવા ચંદ્રથી નવા ચંદ્રનો ગાળો 29.53 દિવસોનો છે. 
આકાશી ઉત્તર ધ્રુવ () પરથી જોઈએ તો પૃથ્વીની ગતિ, ચંદ્ર અને તેમની ધરી પરનું પરિભ્રમણ, તમામ ઘડિયાળના કાંટાથી વિરોધી દિશા ()માં થતા દેખાય છે. 
સૂર્ય અને પૃથ્વી, બંનેના ઉત્તર ધ્રુવોની ઉપરથી કોઈક અનુકૂળ બિંદુથી જોઈએ તો પૃથ્વી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં સૂર્યની આસપાસ ફરે છે. 
પૃથ્વીની પરિભ્રમણ કક્ષા અને ધરી એકદમ સીધા ગોઠવાયેલાં નથીઃ પૃથ્વીની ધરી, પૃથ્વી-સૂર્યની ભ્રમણકક્ષાથી લગભગ 23.5 ડિગ્રીના ખૂણે નમેલી છે () અને પૃથ્વી-ચંદ્રની ભ્રમણકક્ષા, પૃથ્વી-સૂર્યની ભ્રમણકક્ષાથી આશરે 5 ડિગ્રીના ખૂણે નમેલી છે.  
જો આવું ન હોત તો દર બે અઠવાડિયે ગ્રહણ થતું હોત, એકવખત ચંદ્રગ્રહણ () અને એકવખત સૂર્યગ્રહણ () એમ વારાફરતી ગ્રહણ થતા રહેતા હોત.

પૃથ્વીનું હિલ સ્ફિઅર () અથવા ગુરુત્વાકર્ષણ () પ્રભાવી ક્ષેત્રની ત્રિજયા આશરે 1.5 જીએમ (અથવા 1,500,000  કિ.મી. ()) છે. પૃથ્વી માટે હિલ રેડિયસ એટલે 




#Article 70: યુરેનસ (ગ્રહ) (346 words)


યુરેનસ (પ્રજાપતિ) સૂર્યમંડળનો સાતમો ગ્રહ છે. તે વિલિયમ હર્શલે શોધ્યો હતો. તે ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહનુ નામ ગ્રીક સંસ્કૃતિના આકાશના દેવતા યુરેનસ કે જેઓ ક્રોનસ(શનિ) ના પિતા અને ઝિયસ(ગુરુ)ના દાદા હતાં, તેમના નામ પર થી રાખવામાં આવેલ છે. પાંચ જાણીતા ગ્રહ સમાન આને પણ નરી આંખે જોઈ શકાય છે ખૂબ જ ઝાંખા પ્રકાશ અને અત્યંત ધીમી ગતિને કારણે પ્રાચીન ખગોળ વિદોએ આને ગ્રહ તરીકે ઓળખ્યો નહીં. સર વિલિયમ હર્શલ નામના ખગોળ શાસ્ત્રીએ ૧૩ માર્છ ૧૭૮૧ના દિવસે આ ગ્રહની શોધની જાહેરાત કરી અને આધુનિક ઇતિહાસમાં ખગોળ વિધ્યામાં સર્વ પ્રથમ વખત સૌર મંડળની સેમા વિસ્તરી. યુરેનસ ટેલિસ્કોપની મદદથી શોધાયેલ પ્રથમ ગ્રહ બન્યો.

યુરેનસની સંરચના નેપ્ચ્યુન જેવી જ છે, જોએ કે આ બંનેની સંરચના ગુરુ અને શનિ જેવા વાયુમય ગોળાની અપેક્ષાએ જુદી છે. ખગોળ શાસ્ત્રીઓ આ ગ્રહોને (નેપ્ચ્યુન અને યુરેનસ) વિશાળ હિમ ગોળા (આઈસ જાયન્ટ્સ)ની શ્રેણીમાં મુકે છે. યુરેનસનું વાતાવરણ મૂળ રીતે ગુરુ અને શનિના હાયડ્રોજન અને હિલિયમ ધરાવતા વાતાવરણ સમાન છે, પરંતુ અહીં તેમની સરખામણી એ પાણી, અમોનિયા અને મિથેનના બરફો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૌર મંડળનો આ સૌથી ઠંડો ગ્રહ છે જેનું લઘુત્તમ તાપમાન ૪૩ કે. (–૨૨૪°સે.)છે. અહીંના વાતાવરણમાં વાદળોની જટીલ સંરચના છે જેમાં પાણીના વાદળ સૌથી નીચે અને મિથેનના વાદળ સૌથી ઉપરના સ્તરે હોય છે. યુરેનસનું અંતરિયાળ બરફ અને ખડકોનું બનેલું છે. અન્ય મોટા ગ્રહોની જેમ યુરેનસ પણ કંકણોની સંરચના(વલયો) ,ચુંબકાવરણ અને ઘણાં ચંદ્રો ધરાવે છે. અન્ય ગ્રહોને સરખામણેએમાં યુરેનસની એક ખાસ બાબત તેની પરિભ્રમણ ધરીની છે. તેની ધરી આડી છે. જે લગભગ તેના સૂર્યની પ્રદક્ષિણા પથના ફલક પર જ છે. આને પરિણામે જ્યાં અન્ય ગ્રહોના વિષુવવૃત્ત હોય છે ત્યાં આ ગ્રહના ધ્રુવો આવેલાં છે. પૃથ્વી પરથી આ ગ્રહને જોતાં તે તીરંદાજીના ખેલમાં વપરાતા લક્ષ્ય પાટિયાના ચક્રો સમાન લાગે છે. અને આના ચંદ્રો ઘડિયાળના કાંટા સમના ગતિ કરતાં લાગે છે. ૨૦૦૭-૦૮માં આના વલયો કિનારે દેખાયેલા હતાં.

૧૯૮૬માં વોયેજર ૨ નામના ઉપગ્રહ એ યુરેનસની લીધેલી તસવીરોમાં યુરેનસ કોઈ પણ સંરચના કે વાદળ પટ્ટા કે તોફાન વિનાના વિનાનો નિષ્ક્રિય ગોળો દેખાયો હતો. ખગોળ વેત્તાઓએ અહીં મોસમી ફેરફારો નોંધ્યાં છે અને હલના વર્ષોમાં સમપાતિ દિવસ કાળ આવેલ હોવાથી અહીં વધુ વતાવરણીય હલન ચલન જોવાયું છે. અહીં પવનો ૯૦૦ કિમી પ્રતિ કલાકે (૨૫૦ મી/સે) ફૂંકાય છે.




#Article 71: નૅપ્ચ્યુન (ગ્રહ) (100 words)


નૅપ્ચ્યુન (વરુણ) સૂર્યમંડળનો આઠમો ગ્રહ છે.તે એક્ બાહ્ય ગ્રહ્ છે.અન્ય બાહ્ય ગ્રહો ની માફક તે મુખ્ય ત્વે વાયુ નો બનેલ છે.તેની શોધ ઉબ્રેઇન લે વેર્રીઅરે કરી હતી. આનું નામ ગ્રીક દંત કથાના સમુદ્રના દેવ નેપચ્યુનના નામે રાખવામાં આવ્યું છે. સૌર મંડળમાં વ્યાસની દ્રષ્ટીએ આ ચોથો સૌથી મોટો અને દળની દ્રષ્ટીએ ત્રીજો સઓથી મોટો ગ્રહ છે. આ ગ્રહનું દળ પૃથ્વી કરતાં ૧૭ ગણું છે અને તેના જોડીયા એવા યુરેનસ કરતા તે થોડો જ વધુ દળદાર છે. યુરેનસનું દળ પૃથ્વી કરતા ૧૫ ગણું છે પણ તે નેપચ્યુન જેટલું ઘનત્વ ધરાવતો નથી. 
The mass of Earth is 5.9736 kg, giving a mass ratio



#Article 72: ક્રિકેટ (6005 words)


ક્રિકેટ એ બેટ અને બોલ દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. ક્રિકેટના ઘણા બધા પ્રકારો છે જેમાંથી સૌથી ઉચ્ચ પ્રકાર ટેસ્ટ ક્રિકેટ છે જેમાં હાલમાં ટોચની રાષ્ટ્રીય ટીમ ઓસ્ટ્રેલિયાની છે. ટેસ્ટ ક્રિકેટવસીય ક્રિકેટનો નંબર આવે છે જેમાં છેલ્લો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. આ ટુર્નામેન્ટનું પ્રસારણ 200 દેશોમાં થયું હતું જેમા 2 બિલિયનથી વધુ દર્શકોએ મેચ જોઈ હતી. 

બે ટીમો દ્વારા ક્રિકેટ મેચ રમાય છે જેમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આ મેચ ઘાસના મેદાનમાં રમાય છે જેમાં વચ્ચો વચ્ચે લાંબી એક ફ્લેટ સ્ટ્રીપ હોય છે જેને પીચ કહેવામાં આવે છે.  વિકેટ જે મોટાભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે તેને પીચના બન્ને છેડે લગાવવામાં આવે છે અને તેને ટાર્ગેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 

ફિલ્ડીંગ ટીમ તરફથી રમતા ખેલાડીમાંથી બોલર એક કડક ચામડામાંથી બનેલા મુઠ્ઠી જેવડા કદના ક્રિકેટ બોલને વિકેટના એક છેડેથી બીજા છેડે બોલિંગ કરે છે જે દરમિયાન વિરોધી ટીમનો એક ખેલાડી જે બેટ્સમેન  હોય છે તે તેને વિકેટથી બચાવે છે.બેટ્સમેન સુધી બોલ પહોંચે તે પહેલા તે એક વખત ઉછળે છે. બોલને વિકેટથી બચાવવા માટે બેટ્સમેન લાકડામાંથી બનેલા ક્રિકેટ બેટ થી રમે છે. દરમિયાન, બોલરની ટીમના અન્ય ખેલાડીઓ મેદાનમાં વિવિધ જગ્યાઓએ ફિલ્ડર તરીકે ગોઠવાઈ જાય છે. જે ખેલાડી રન કરવા માટે ફટકારેલા બોલને રોકે છે તે પકડીને ખેલાડીને આઉટ કરવાનો પ્રયાસ કરે છે.બેટ્સમેન- તે હોય કે તેણી આઉટ ન થાય તો-વિકેટની વચ્ચે રન લે છે, બીજા બેટ્સમેનના સ્થાને આવે છે (નોન સ્ટ્રાઈકર એન્ડ)બીજો બેટસમેન  વિકેટના બીજા છેડે હોય છે.આ દ્વારા બેટ્સમેન એક રન કરે છે.આ ઉપરાંત બેટ્સમેન બોલને બાઉન્ડ્રી પર ફટકારે તો પણ રન બને છે. મેચના પરિણામ માટે કેટલા રન થયા અને કેટલા ખેલાડીઓ આઉટ થયા તે મહત્વનું છે. 

ક્રિકેટની રમત કેટલી લાંબી ચાલે તેના અલગ અલગ પ્રકારો છે.વ્યવસાયીક ક્રિકેટની વાત કરીએ તો 20 ઓવરની મેચથી લઈને પાંચ દિવસ સુધીની પણ મેચ હોઈ શકે છે. રમતની લંબાઈ મુજબ તેની જીતના, હારના, ડ્રાો, અને ટાઈના કાયદા પણ અલગ અલગ હોય છે જ

ક્રિકેટ એ આઉટડોર રમત છે, જો કે કેટલીય વાર  આ રમત ફ્લડલાઈટમાં પણ રમાય છે. દાખલા તરીકે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અને દક્ષિણ આફ્રિકામાં આ રમત ઉનાળા દરમિયાન અને વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં આ રમત શિયાળા દરમિયાન રમાય છે.

રમતનું સંચાલન દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ   (આઈસીસી)દ્વારા થાય છે. આ સંસ્થા સભ્યદેશોની ઘરેલું ક્રિકેટ બોર્ડ સાથે મળીને  ક્રિકેટનું વિશ્વભરમાં આયોજન કરે છે. આઈસીસી પુરૂષો અને મહિલા ક્રિકેટ)નું સંચાલન કરે છે. બન્ને પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં આવે છે. જો કે, પુરૂષો મહિલા ક્રિકેટ રમી શકતા નથી, જ્યારે મહિલાઓને પૂરૂષોની મેચમાં રમતા ગેરલાયક ઠેરવતો કાયદો નથી.

રમત માટેના કાયદા જે ક્રિકેટના કાયદા તરીકે ઓળખાય છે જેને લંડન સ્થિત મેરિલેબોન ક્રિકેટ કલબ (એમસીસી) દ્વારા મેન્ટેન કરાય છે.આ સંસ્થા તે માટે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈસીસી સાથે મસલત કરે છે. 

વિવિધ પ્રકારના અને કદના મેદાન ()માં બે ક્રિકેટ ટીમો દ્વારા બન્ને ટીમના 11 ખેલાડીઓ દ્વારા ક્રિકેટ મેચ રમાય છે. આ મેદાન ઘાસવાળું  ()હોય છે અને તેને ગ્રાઉન્ડમેન તૈયાર કરે છે, જેની જવાબદારી મેદાનમાં યોગ્ય ઘાસ ઉઘાડવાની, રોલિંગ અને લેવલિંગ કરવાની છે. મેદાનના ડાયમિટર સામાન્ય હોય છે. મેદાનની સરહદને બાઉન્ડ્રી  ()નામે ઓળખવામાં આવે છે. કેટલીક વાર તેને કલર કરેલો હોય છે તો કેટલીક વાર એક દોરડા દ્વારા બાઉન્ડ્રી દર્શાવાય છે. મેદાન મોટાભાગે ગોળ હોય છે, અથવા સમચોરસ, અંડાકાર – હોય છે. ક્રિકેટમાં સૌથી પ્રખ્યાત મેદાન તરીકે ધ ઓવેલ ()નું નામ આવે છે. 

દરેક ટીમનો હેતુ હરીફ ટીક કરતા વધુ રન () કરવા અને સામેની ટીમને સંપુર્ણ આઉટ () કરી દેવી.ક્રિકેટના એક પ્રકારમાં, હરીફ ટીમના બધા જ ખેલાડીઓ આઉટ ન થયા હોય તો પણ જો ટીમ વધુ રન કરે તો તે વિજેતા જાહેર થાય છે. તો બીજા પ્રકારમાં, વધુ રન કરવા જરૃરી છે અને જીતવા માટે સામેની ટીમના બધા જ ખેલાડીઓને આઉટ કરવા પણ એટલા જ જરૃરી છે. નહીંતો મેચ ડ્રો થઈ શકે છે. 

રમત શરૂ થાય તે પહેલા, બન્ને ટીમોના કેપ્ટન ટોસ  ()ઉછાળે છે અને નક્કી કરે છે કે કોણ પહેલા બોલિંગ () લેશે કે બેટિંગ (). ટોસ જીતનાર સુકાની ચાલુ સ્થિતિ, પીચનો મિજાજ અને હવામાનની સ્થિતિને લઈને તેનો નિર્ણય લે છે. 

મેદાનમાં સૌથી વધુ જ્યા નિર્ણયો થાય અને વધુમાં વધુ એક્શન જ્યા જોવા મળે છે તેને પીચ () કહેવાય છે જે મેદાનની વચ્ચોવચ હોય છે. પીચની બન્ને બાજુમાંથી એક બાજુ વિકેટ () લગાવવામાં આવે છે. જેને બોલિંગ (), અકા અને ફિલ્ડિંગ  ()બાજુ માટે લક્ષ્યાંક કહેવાય છે, જેને બેટિંગ () બાજુ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જે દરમિયાન રન બને છે.સામાન્ય રીતે, બેટ્સમેન () તેના બેટ વડે બોલને ફટકારીને પીચના બે છેડા વચ્ચે દોડે છે ત્યારે રન થાય છે. આ ઉપરાંત પણ અન્ય રીતે બેટ્સમેન રન લઈ શકે છે. જ્યારે બેટ્સમેન કોઈ રન લેવાનો પ્રયાસ ન કરે ત્યારે બોલને “ડેડ” કહેવાય છે અને બોલને ફરીથી બોલિંગ કરવા માટે બોલરને આપવામાં આવે છે. 

બોલિંગ કરતી ટીમ વિવિધ રીતે હરીફ ટીમના બધા જ ખેલાડીઓને આઉટ કરવાના પ્રયાસ કરે છે, 

વ્યવસાયી મેચોમાં, જ્યારે મેદાનમાં 15 લોકો હોય છે ત્યારે મેચ રમાય છે. જેમાંથી બે વ્યકિતઓ અમ્પાયર () હોય છે જે મેદાનમાં થતી પ્રવૃતિઓ પર નિયંત્રણ રાખે છે અને નિર્ણય આપે છે. બે બેટ્સમેન હોય છે, જેમાંથી એક બેટ્સમેન બોલિંગનો સામનો કરતો હોવાથી ‘સ્ટ્રાઈકર‘ કહેવાય છે અને બીજો બેટ્સમેનને ‘નોન-સ્ટ્રાઈકર‘ કહેવાય છે. બેટ્સમેનની ભૂમિકા રન લેવાય ત્યારે અને ઓવર () બદલાય ત્યારે બદલાઈ જાય છે. ફિલ્ડિંગ સાઈડના બધા 11 ખેલાડીઓ મેદાનમાં એક સાથે હોય છે.જેમાંથી એક બોલર ()હોય છે અને બીજો વિકેટ કિપર () હોય છે. જ્યારે બીજા નવને ફિલ્ડર કહેવાય છે. વિકેટકિપર(અથવા કિપર) હંમેશાથી સ્પેશિયાલિસ્ટ હોય છે, પંરતુ બાકીના કોઈ પણ ખેલાડીને બોલિંગ માટે બોલાવી શકાય છે.

પીચ  ()વિકેટની વચ્ચે લાંબી હોય અને પહોળી હોય છે તે સપાટ સપાટી ધરાવતી હોય છે અને જેના પર ટૂંકુ ઘાસ હોય છે. જેમ જેમ મેચ રમાતી જાય તેમ તેમ તે ઉખડતું જાય છે.  મેચમાં પીચની સ્થિતિ ઘણો ફરક પાડે છે. ટીમની યુક્તિઓ હંમેશા પીચની હાલની અને અપેક્ષિત સ્થિતિને ધ્યાનમાં લઈને રચવામાં આવે છે. 

દરેક વિકેટ () ત્રણ લાકડાના સ્ટમ્પ  ()દ્વારા બની હોય છે જેને સીધી લાઈનમાં રાખવામાં આવે છે અને તેના પર બે લાકડાની બેઈલ () (ચકલી) મુકવામાં આવે છે. દરેક વિકેટની જેમાં બેઈલની ઉંચાઈ પણ આવી જાય છે અને ત્રણેય સ્ટમ્પની સયુંકત પહોળાઈ

વિકેટની આજુબાજુમાં ચાર લીટી દોરવામાં આવી હોય છે જેને ક્રીસ કહેવામાં આવે છે. ક્રિસને બેટ્સમેનો માટેનું સુરક્ષિત પ્રદેશ કહેવાય છે જ્યારે બોલર બોલિંગ કરે છે.જેને ‘પોપિંગ‘(અથવા બેટિંગ) ક્રિઝ કહેવાય છે, બોલિંગ ક્રિઝ અને બે ‘રીટર્ન‘ ક્રિઝ હોય છે. 

આ સ્ટમ્પને બોલિંગ ક્રિઝની સીધમાં લગાવવામાં આવે છે. જેથી તે દેખી શકાય તેવા હોય છે. બોલિંગ ક્રિઝ લાંબી હોય છે અને મધ્ય સ્ટમ્પને ડેડ સેન્ટર તરીકે ઓળખાવાય છે. પોપિંગ ક્રિઝ પણ સમાન લંબાઈ ધરાવે છે, જે બોલિંગ ક્રિસને સમાનંતર હોય છે અને તે વિકેટની સામે હોય છે. રીટર્ન ક્રિઝઅન્ય બે કરતા સીધમાં હોય છે, જે પોપિંગ ક્રિઝ  સાથે જોડાયેલી હોય છે અને તે બોલિંગ ક્રિઝના છેડા સુધી દોરવામાં આવે છે.

જ્યારે બોલર બોલ નાંખે છે, ત્યારે બોલરનો પાછલો પગ “ડીલેવરી સ્ટ્રાઈડ”  પર હોવો જોઈએ અને તેનો આગલો પગ પોપિંગ ક્રિઝની મધ્યમાં કે પછી અંદરની સાઈડ હોવો જોઈએ.   જો બોલર આ નિયમ તોડે તો તેને અમ્પાયર ‘નો બોલ‘ કહે છે.

પોપિંગ ક્રિઝ બેટ્સમેન માટે એટલે મહત્વની છે કે આ ક્રિઝ બેટ્સમેન માટે સ્ટમ્પ આઉટ થવા કે રન આઉટ થવા(જુઓ આઉટ થવું) સામે સુરક્ષિત વિસ્તાર છે. જ્યારે તે આ ક્રિસની બહાર હોય છે અને વિકેટ પડે છે તો તેને આઉટ કહેવાય છે. 

પીચ તેનો મિજાજ બદલે છે, અને જેથી બોલર માટે ઉછાળ, સ્પિન અને સિમ મુવમેન્ટ ઉપલબ્ધ બને છે. હાર્ડ પીચ હોય છે તે બેટીંગ કરવા માટે સારી હોય છે કારણ કે તે ઉંચા હોવા છંતા સપાટ હોય છે. જ્યારે ડ્રાય પીચ બેટિંગ માટે ખતરનાક હોય છે. આ પીચમાં તિરાડ દેખાય છે અને ત્યારે સ્પિનર મહત્વનો ભાગ ભજવે છે.ભેજવાળી પીચ, અથવા ઘાસવાળી પીચ(જેને ગ્રીન પીચ પણ કહે છે.) ફાસ્ટ બોલરોને વધારાનો બાઉન્સ મેળવવા માટે મદદગાર થાય છે. આવી પીચો મોટાભાગે ફાસ્ટ બોલરોને સમગ્ર મેચ દરમિયાન દદ કરે છે. પરંતુ જેમ રમત રમાતી જાય છે તેમ તેમ તે બેટ્સમેનોને પણ મદદ કરે છે.

આ રમતની મુખ્ય વાત એ છે કે બોલર પીચના છેડેથી બીજી તરફ ઉભેલા બેટ્સમેન ‘ઓન સ્ટ્રાઈકર‘ તરફ બોલ નાંખે છે 

બેટ લાકડા ()માંથી બનાવવામાં આવે છે છે અને તેનો આકાર હલેસા જેવો હોય છે જે નક્કર હાથો હોય છે. બ્લેડનો ભાગ પહોલાઈ કરતા વધુ ન હોવી જોઈએ તેમજ બેટની કુલ લંબાઈ વધુ ન હોવી જોઈએ

બોલ  ()કડક ચામડામાંથી ગોળાકાર બનાવવામાં આવેલો છે જેને ગોળફરતે ટાંકા હોય છે. જેમ બોલ વધુ કડક હોય છે તેમ તેની ઝડપ વધુ હોય છે, જેથી બેટ્સમેન રક્ષા માટે વિવિધ પ્રકારના સાધનો પહેરે છે જેમ કે “પેડ્સ ()”(પગનાઘુંટણ અને નળાને બચાવવા), “બેટિંગ મોજા () ”હાથની રક્ષા માટે, માથાની રક્ષા માટે “હેલ્મેટ ()“ અને પેન્ટની અંદર “બોક્સ ()”ગુપ્તાંગ ()ની રક્ષા માટે)કેટલાક બેટ્સમેન વધુ સુરક્ષાના સાધનો પોતાની ટીશર્ટ અને પેન્ટમાં રાખે છે જેમ કે થાઈ પેડ્સ, આર્મ પેડ્સ, રીબ પ્રોટેક્ટર, અને શોલ્ડર પેડ.

મેદાનમાં રમત બે અમ્પાયર  ()દ્વારા નિયંત્રિત થાય છે. જેમાંથી એક અમ્પાયર વિકેટની પાછળ બોલર્સ એન્ડ પાસે અને અન્ય એક અમ્પાયર સ્કવેર લેગ કહેવાતી જગ્યા પર ઉભા રહે છે. જે બેટિંગ કરી રહેલા બેટ્સમેનથી ઘણા યાર્ડ દૂર હોય છે. જ્યારે બોલર બોલ નાખે છે, અમ્પાયર વિકેટ અને નોન સ્ટ્રાઈકર બેટ્સમેનની વચ્ચે હોય છે.રમતની સ્થિતિ અંગે શંકા પડે તો અમ્પાયર પાસે ખેલાડીઓને  મેદાન બહાર જવાનો આદેશ કરીને મેચને મુલત્વી પણ રાખી શકવાની સત્તા હોય છે. દાત વરસાદ કે ઓછા પ્રકાશની સમસ્યા

મેદાન બહાર પણ એક ત્રીજો અમ્પાયર () હોય છે જે કેટલાક સંજોગોમાં વિડીયો પરિક્ષણ કરીને નિર્ણય આપી શકે છે.ટેસ્ટ મેચ અને એક દિવસીય મેચ રમતા આઈસીસીના પુર્ણ સભ્યો વચ્ચે રમાતી મેચમાં ત્રીજા અમ્પાયરની નિમણૂંક ફરજિયાત છે. મેચમાં મેચ રેફરી  ()પણ હોય છે જેનું કામ એ જોવાનું છે કે મેચ ક્રિકેટના કાયદા  ()અને સ્પીરીટ ઓફ ગેમ મુજબ રમાય છે કે નહીં. 

મેદાનની બહાર મેચની વિગતો જેમાં રન અને આઉટ થયાની વિગતો બે સત્તાવાર સ્કોર ()ર નોંધે છે. દરેક ટીમ તરફથી એક એક પ્રતિનિધિત્વ કરે છે. સ્કોરર અમ્પાયર દ્વારા હાથથી કરવામાં આવતા નિર્દેશોથી પોતાનું કામ કરે છે.દાખલા તરીકે, જ્યારે અમ્પાયર પોતાના હાથની પહેલી આંગળી ઉંચી કરે છે તો તેનો મતલબ કે બેટ્સમેન આઉટ(ડીસમીસ થયો) થયો છે. જ્યારે અમ્પાયર પોતાના બન્ને હાથ ઉંચા કરે તો સમજાય છે કે બેટ્સમેને સીક્સ ફટકારી છે.  ક્રિકેટના કાયદા મુજબ સ્કોરરની નિમણૂંક ફરજિયાત છે જેઓનું કામ રન, વિકેટ, ઓવર અને અન્ય આંકડાકીય માહિતી રાખવાનું છે. આ દરમિયાન તેઓએ બોલિંગના અને રન રેટના પણ આંકડા રાખવાના હોય છે.

ઈનિંગ્સ(હંમેશા બહુવચનમાં વપરાય છે) શબ્દનો ઉપયોગ બેટીંગ બાજુએ કરેલા પ્રદર્શનના સંદર્ભમાં કરાય છે. થિયરી મુજબ, દરેક અગિયાર ખેલાડીઓ એક પછી એક બેટિંગ લે છે પરંતુ કેટલાક કારણોસર ઈનિંગ્સમાં દરેક બેટ્સમેન બેટિંગ કરી શકતો નથી.(જુઓ નીચ)

મેચના પ્રકાર પર આધાર રાખે છે કે દરેક ટીમ કેટલી ઈનિંગ્સ રમશે.ઈનિંગ્સ શબ્દનો ઉપયોગ ઘણી વખત ખેલાડીના અંગત પ્રદર્શન માટે પણ કરાય છે. (દાખલા તરીકે તેણે સારી ઈનિંગ્સ રમી)

બોલરનો મુખ્ય હેતું, ફિલ્ડરોની મદદથી બેટ્સમેનનો આઉટ કરવાનો છે. જ્યારે બેટ્સમેન ડિસમિસ થાય છે ત્યારે બેટ્સમેન આઉટ થયો કહેવાય છે જેનો મતલબ એમ થાય છે કે તેણે રમતનું મેદાન છોડી દેવું જોઈએ. અને તેના સ્થાને તેમની ટીમનો કોઈ ખેલાડી આવે છે. જ્યારે ટીમના બધા જ 10 ખેલાડીઓ આઉટ તઈ જાય છે ત્યારે ટીમ આઉટ થઈ જાય છે અને ઈંનિગ્સનો અંત આવે છે. છેલ્લો બેટ્સમેન જે આઉટ થયો હોતો નથી, તેને એકલાને રમત આગળ વધારવા દેવામાં આવતી નથી. કારણ કે સામેના છેડે કોઈક બેટ્સમેન હોવો જ જોઈએ.આ બેટ્સમેનને નોટ આઉટ કહેવાય છે.

જ્યારે ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થાય તે પહેલા   ઈનિંગ્સનો અંત આવે છે તો બે બેટ્સમેન નોટ આઉટ રહે છે. ઈનિંગ્સ વહેલા પતી જવાના ત્રણ કારણો છે. એક, જ્યારે બેટિંગ સાઈટનો કેપ્ટન ઈનિંગ્સ ‘ડિક્લેર‘ કરવાનો નિર્ણય લે છે(જે સુનિયોજિત નિર્ણય હોય છે) અથવા બેટિંગ બાજુએ લક્ષ્યાંક મેળવી લીધો હોય છે અને તેમની જીત થઈ ગઈ હોય છે, અથવા ખરાબ હવામાન કે સમયના અભાવે મેચને વહેલી બંધ કરી દેવામાં આવે ત્યારે ઈનિંગ્સ વહેલી પતી જાય છે.નિશ્ચિત ઓવરની ક્રિકેટમાં ઘણી વખત બને છે કે જ્યારે નિશ્ચિત ઓવર પતી જાય છે ત્યારે બે બેટ્સમેનો બેટીંગ કરતા હોય છે.

બોલર છ ડિલિવરી દ્વારા બોલિંગ કરે છે છ બોલના સેટને એક ઓવર () કહેવાય છે. આ નામ એટલા માટે આવ્યું છે કે અમ્પાયર આ બાદ ‘ઓવર‘ બોલે છેજ્યારે છ બોલ નાંખી રહે છે ત્યારે.આ સમયે, ફિલ્ડિંગ કરી રહેલા એક ખેલાડીને બોલિંગ માટે બોલાવવામાં આવે છે. બોલર સતત બે ઓવર નાંખી શકતો નથી, પરંતુ કેટલીય ઓવરો સુધી સામેને છેડે એક જ બોલર હોઈ શકે છે.બેટ્સમેનો પોતાની સાઈડ બદલતા નથી. પરંતુ જે નોન સ્ટ્રાઈકર પર બેટ્સમેન હોય છે તે બેટ્સમેન સ્ટ્રાઈકર પર આવી જાય છે.અમ્પાયર પણ પોતાની સ્થિતિ બદલે છે અને જેથી જે સ્કવેર લેગ પર ઉભા હોય છે તે અમ્પારતે વિકેટના નોન સ્ટ્રાઈકર એન્ડ બાજુ આવી જાય છે. અરસપરસમાં

ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે.તેણી અથવા તેની પ્રાથમિક કુશળતા મુજબ, ખેલાડીને બેટ્સમેન () અથવા બોલર  ()તરીકે વર્ગીકૃત કરાય છે.સુવ્યવસ્થિત ટીમમાં મોટા ભાગે પાંચ કે છ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હોય છે અને ચાર અથવા પાંચ સ્પેશિયાલિસ્ટ બોલર હોય છે.ટીમમાં હંમેશા સ્પેશિયાલિસ્ટ વિકેટ કિપર  ()હોય છે કારણ કે ફિલ્ડિંગ બાજુમાં તેનું ઘણું મહત્વ હોય છે. દરેક ટીમની આગેવાની કેપ્ટન ()(સુકાની) લે છે. જેની જવાબદારી બેટિંગ ઓર્ડર નક્કી કરવાની, ખેલાડીઓને ફિલ્ડિંગમાં ગોઠવવાની અને બોલર્સની ફેરબદલ નક્કી કરવાની હોય છે.  

જે ખેલાડી બેટિંગ અને બોલિંગ બન્ને સારી રીતે કરી શકતો હોય છે તેને ઓલ રાઉન્ડર () કહેવાય છે.જે ખેલાડી બેટ્સમેન અને વિકેટ કિપિંગ સારી રીતે કરી શકતો હોય છે તેને ‘વિકેટ કિપર-બેટ્સમેન‘ કહેવાય છે. કેટલીક વખત તેને ઓલ રાઉન્ડર જ ગણવામાં આવે છે.સાચા ઓલ રાઉન્ડર ભાગ્યે જ મળે છે કારણ કે મોટા ભાગે ખેલાડીઓ બેટિંગ અથવા બોલિંગ પર જ વિશેષ ધ્યાન આપે છે. .

ફિલ્ડિંગ બાજુના દરેક 11 ખેલાડીઓ એક સાથે ફિલ્ડિંગ કરી શકે છે.તેમાંથી એક વિકેટ કિપર  ()હોય છેઅથવાકિપર જે સ્ટ્રાઈક બેટ્સમેનની પાછળ ઉભો રહે છે અને બોલ પકડે છે.વિકટ કિપરનું કામ વિશેષ કામ હોય છે, તેની પ્રાથમિક જવાબદારી બેટ્સમેન જે બોલ ચુકી જાય તે બોલને પકડવાનો છે જેથી વધારાના રન જાય નહીં.તે વિશેષ મોજાં( માત્ર આ ફિલ્ડરને જ મોજા પહેરવાની પરવાનગી છે), અને પોતાના પગની રક્ષા માટે પેડ પહેરે છેતેનું સ્થાન સ્ટ્રાઈકર બેટ્સમેનની પાછળ હોવાથી, જ્યારે બેટ્સમેન બોલને ફટકારે છે ત્યારે ઘણી વખત બેટને અડીને બોલ સીધો કિપર પાસે આવે છે જેથી આઉટ કરવાની સારી તક કિપર પાસે હોય છે.આ એક માત્ર ફિલ્ડર છે જે સ્ટિમ્પિંગ () દ્વારા બેટ્સમેનને આઉટ કરી શકે છે. 

બોલરને બાદ કરતા નવ ખેલાડીઓને ટીમ કેપ્ટન વ્યહાત્મક રીતે મેદાનની વિવિધ ચોક્કસ જગ્યા ()ઓએ મોકલે છે. આ જગ્યાઓ ફિક્સ હોતી નથી, પરંતુ ચોક્કસ નામથી  કેટલીક વખત કલરફુલ નામથી ઓળખાવાય છે, જેમ કે ‘સ્લીપ‘, ‘થર્ડ મેન‘, ‘સિલી મીડ ઓન‘, અને ‘લોંગ લેગ‘. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ખેલાડીઓ ઉભા હોતા નથી.

ફિલ્ડિંગ બાજુનો સૌથી મહત્વનો વ્યકિત ટીમનો કેપ્ટન હોય છે. બધા જ પ્રકારની વ્યુહરચના જેમ કે કોણ બોલિંગ કરશે(અને કેવી રીતે), અને ફિલ્ડિંગના સેટિંગ માટે કોણ જવાબદાર રહેશે જેવી બાબતો તે નક્કી કરે છે તેમજ બોલર સાથે સતત વાતચીત કરતો રહે છે. 

ક્રિકેટના બધા જ પ્રકારમાં, જો મેચ દરમિયાન ફિલ્ડર ઈજાગ્રસ્ત  કે બિમાર થાય તો, તેના બદલે અવેજી ()(સબ્સ્ટિટયૂટ) ખેલાડીને રમવાની પરવાનગી અપાય છે.  જો કે, અવજે ખેલાડી બોલિંગ, કે કિપર કે પછી કેપ્ટન તરીકે વર્તી શકે નહીં.જ્યારે ઈજાગ્રસ્ત ખેલાડી મેદાન પર પરત ફરે ત્યારે અવેજી ખેલાડીને પરત ફરવું પડે છે.

બોલર બોલ ફેંકે તે પહેલા ‘રન અપ‘ લે છે, જો કે કેટલાક બોલરો ધીમો બોલ નાંખતા હોય છે. જેથી બોલિંગ માટે માત્ર બે ત્રણ પગલા જ ભરે છે.  ફાસ્ટ બોલરને વેગ મેળવવો હોય છે જેથી લાંબી રન અપ લે છે, અને ઝડપી દોડે છે. 

ફાસ્ટ બોલર ઝડપી બોલ નાંખે છે. ઘણી વખત તે ઝડપ પર આધાર રાખે છે જેથી બેટ્સમેનને આઉટ કરી શકાય. ઝડપી બોલ નાંખવાને કારણે બેટ્સમેનને ઝડપી પ્રતિક્રિયા આપવી પડે છે. ઘણા ફાસ્ટ બોલરો ઝડપ અને ગાઈલનું મિશ્રણ પર ભરોસો રાખે છે.કેટલાક ઝડપી બોલર બોલના સીમનો પણ ઉપયોગ કરે છે જેથી તેઓ બોલને ‘વળાંક‘ અથવા ‘સ્વિંગ‘ કરાવી શકે.આ પ્રકારની ડિલિવરીને કારણે બેટ્સમેન શોટ મારવામાં ગફલત કરી બેસે છે અને બોલ બેટને અડીને વિકેટ કિપર અથવા સ્લીપમાં ઉભેલા ફિલ્ડર પાસે કેચ આપી બેસે છે.

બોલિંગનો અન્ય એક પ્રકાર છે ‘સ્પિનર‘, જેઓ બોલને ધીમે નાંખે છે અને બોલને સ્વિંગ કરાવે છે. સ્પિનર મોટાભાગે બોલને ધીમો ફેંકીને સ્વિંગ કરાવે છે જેથી બેટ્સમેન શોટ મારવા લલચાય છે અને છેલ્લે ‘આઉટ‘ થઈ જાય છે. બેટ્સમેનોએ આ પ્રકારની ડિલિવરી અંગે ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ પ્રકારના બોલ “ફ્લાઈટેડ” અથવા “સ્પિન” હોય છે. આ બોલ ધારણા મુજબ વર્તન કરતા નથી.જેનાથી બોલની જાળમાં બેટ્સમેન સપડાઈ જાય છે અને તે આઉટ થઈ જાય છે. 

પેસમેન(ઝડપી બોલર) કે પછી સ્પિનર વચ્ચે એક ‘મિડિયમ પેસર‘ પણ હોય છે જે પોતાના બોલ પર ઘણો કાબુ રાખે છે અને રનરેટને કાબુમાં રાખે છે. આ બોલર ઘણી વખત બેટ્સમેનનો ધ્યાનભંગ પણ કરી દે છે. 

તેઓની ઝડપ અને સ્ટાઈલ મુજબ બોલરોને વર્ગીકૃત કરવામાં આવે છે.આ વર્ગીકરણ (), ક્રિકેટની પરિભાષામાં છે જે ઘણું જ ગુંચવાડાભર્યું છે.જેથી, જે બોલર એલએફ એટલે કે લેફ્ટ આર્મ બોલર, અથવા એલબીજી મતલબ કે રાઈટ આર્મ સ્પિન બોલર જે ડિલિવરી ફેંકે છે તેને ‘લેગ બ્રેક‘ અને ‘ગુગલી‘ કહેવાય છે.

બોલિંગ એક્શન દરમિયાન કોણીને ગમે તે ખુણે વાળી શકાય છે પરંતુ સીધી રાખીને બોલિંગ કરી શકાય નહીં.જો કોણી સીધી રાખવામાં આવે તો તે બોલ ગેરકાયદે બને છે અને સ્કવેર લેગ અમ્પાયર તેને ‘નો બોલ ()‘ આપે છે.હાલના કાયદા મુજબ બોલર તેના હાથને માત્ર 15 ડિગ્રી અથવા ઓછી ડીગ્રી પર સીધો રાખી શકે છે. 

કોઇ એક સમયે, રમવાના વિસ્તારમાં બે બેટ્સમેન હોય છે.એક બેટ્સમેન વિકેટ આગળ સ્ટ્રાઈકર એન્ડ ખાતે ઉભો રહે છે અને શક્ય બને ત્યારે રન લેવાની કોશિષ કરે છે. જ્યારે તેનો સાથી, નોન સ્ટ્રાઈકર પર ઉભેલો બેટ્સમેન બોલર બોલિંગ કરે તે દરમિયાન ઉભો રહે છે.

બેટ્સમેન બેટિંગ કરવા માટે બેટિંગ ક્રમ ()માં રમવા આવે છે.જે ટીમના કેપ્ટન દ્વારા નક્કી કરાય છે. પહેલા જે બેટ્સમેન  –, બેટિંગ કરવા આવે છે તેમને ‘ઓપનર્સ‘  – કહેવાય છે. જેઓ નવા બોલ વડે સજ્જ ફાસ્ટ  બોલરોની બોલિંગનો સામનો કરે છે. જેઓની બેટિંગ સારી હોય છે તેમને ટોચના ક્રમે બેટિંગ માટે મોકલાય છે. જેથી જેઓની બેટિંગ સારી નથી હોતી તેઓ છેલ્લે બેટિંગ કરે છે.બેટિંગનો ક્રમ જાહેર કરવો ફરજિયાત નથી, જ્યારે વિકેટ પડે છે ત્યારે જેમણે હજી સુધી બેટિંગ કરી નથી તેઓને બેટિંગમાં મોકલી શકાય છે.

જો બેટ્સમેન ‘નિવૃત‘(ઈજાને કારણે) તો તે ફીથી રમવા આવી શકતો નથી.જે ખરેખર ‘નોટ આઉટ‘ હોય છે. અને તેની નિવૃતિને આઉટ થયો ગણવામાં આવતો નથી.પરંતુ તેને ડિસમિસ ગણી શકાય છે કારણ કે તેની ઈનિંગ્સ પુરી થઈ ચુકી હોય છે.  સબ્સ્ટિટયૂટ બેટ્સમેન બેટિંગ કરી શકે નહીં.

બેટ્સમેન વિવિધ પ્રકારના શોટ અને સ્ટ્રોક મારે છે જે ‘સંરક્ષણાત્મક‘ અને ‘આક્રમક‘ હોય છે. મુળ વાત છે કે બોલ સપાટ સપાટી પરથી બેટ વડે શ્રેષ્ઠ રીતે ફટકારવો.  જો બોલ બેટની ધારને અડે તો તેને ‘એજ‘ કહેવાય છે. બેટ્સમેન દરેક બોલને ફટકારી શકતો નથી, અને સારો ખેલાડી કુશળ સ્ટ્રોક મારીને રન બનાવે છે. આ ખેલાડી તેના કાંડાનો અથવા માત્ર બોલને રોકીને રન લે છે અને ફિલ્ડરથી બોલને દુર મોકલે છે જેથી રન લઈ શકે. 

ક્રિકેટમાં વિવિધ પ્રકારના શોટ ફટકારાય છે.બેટ્સમેન જે સ્ટ્રોક ફટકારે છે તેના વિવિધ નામ પણ છે જેમ કે ‘કટ ()‘,  ‘ડ્રાઈવ‘, ‘હુક‘ અને ‘પુલ‘ વગેરે

નોંધનીય છે કે ખેલાડીએ બોલને ફટકારવો જરૃરી નથી,  બોલ વિકેટને અડશે નહીં તેવું લાગે તો બેટ્સમેન બોલને  છોડી શકે છે જે સીધો વિકેટ કિપર પાસે જાય છે. સમાનંતર રીતે, બેટ દ્વારા બોલને ફટકાર્યા છંતા તે રન ના પણ લે. તે જાણીજોઈને પગનો ઉપયોગ કરીને બોલને રોકી શકે છે. પરંતુ ‘એલબીડબલ્યુ‘નો નિયમ હોવાથી તે જોખમકારક બની શકે છે.

જો ઈજાગ્રસ્ત ખેલાડી રમવા તૈયાર થઈ જાય પરંતુ તે દોડવા માટે સક્ષમ નથી, ત્યારે અમ્પાયર અને ફિલ્ડિંગ કેપ્ટન બેટિંગ બાજુના અન્ય કોઈ સભ્યને રનર  ()તરીકે દોડવાની પરવાનગી આપે છે.જો શક્ય હોય તો, રનરે બેટિંગ કરી લીધી હોવી જોઈએ.રનરનું એકમાત્ર કામ વિકેટ વચ્ચે ઈજાગ્રસ્ત બેટ્સમેનની બદલીમાં દોડવાનું છે.બેટ્સમેન જે સાધનો સાથે બેટિંગ કરે છે તેવા જ પ્રકારના સાધનો પહેરીને રનર મેદાનમાં ઉતરે છે. એ પણ શક્ય છે કે બન્ને બેટ્સમેનો રનરનો ઉપયોગ કરે.

બેટ્સમેન(સ્ટા્ઈકર)ની પ્રાથમિક ચિંતા બોલ વિકેટને અડી ન જાય તે હોય છે અને બીજી રન () ફટકારવાની છે. બેટ દ્વારા બોલને ફટકારીને જ્યા સુધી ફિલ્ડીંગ કરી રહેલી ટીમ દડો પાછો આપે ત્યાં સુધીમાં સ્ટ્રાઈકર બેટ્સમેન અને સામે છેડે ઉભેલો સાથી ખેલાડી પીચ પર સામસામે દોડીને રન લે છે. રન નોંધાવા માટે, બન્ને રનરે ક્રિસને પોતાનું બેટ અથવા પોતાનું શરીર અડાડવું પડે છે.(બેટ્સમેન જ્યારે દોડે છે ત્યારે તેનું બેટ તેની પાસે હોય છે.)દરેક રન સ્કોરમાં વધારો કરે છે.

એક જ બોલને ફટકારીને એકથી વધુ રન લઈ શકાય છે. જ્યારે એકથી ત્રણ રન સમાન્ય છે, મેદાનનું કદ એવા પ્રકારનું હોય છે કે ચારથી વધુ રન દોડીને લઈ શકવા શક્ય નથી.આને કારણે બોલ જ્યારે બાઉન્ડ્રી તરફ જઈ રહેલો બોલ બાઉન્ડ્રીને અડી જાય છે ત્યારે તે આપોઅપ ચાર રન આપવામાં આવે છે. પરંતુ જ્યારે બોલ પીચ પડ્યા વગર સીધો જ બાઉન્ડ્રીને પાર કરી જાય છે ત્યારે તેને છ રન આપવામાં આવે છે.  જો બોલ બાઉન્ડ્રીને પાર કરી જાય તો.બેટ્સમેને રન દોડવાની જરૂર રહેતી નથી

ચાર રન મારવા મુશ્કેલ છે, આ દરમિયાન જ્યારે ફિલ્ડર બોલ ‘ઓવરથ્રો‘ કરે છે તે દરમિયાન પણ રન લઈ શકાય છે.  જ્યારે સ્ટ્રાઈકર દ્વારા વિષમ રીતે રન લેવામાં આવે છે ત્યારે બે બેટ્સમેનોની સાઈડ બદલાઈ જાય છે અને નોન સ્ટ્રાઈકર બેટ્સમેન હવે સ્ટ્રાઈકર પર આવ જાય છે. માત્ર સ્ટ્રાઈકર દ્વારા ફટકારવામાં આવેલા રનને જ તેના અંગત રનમાં ગણવામાં આવે છે. જ્યારે કુલ રન ટીમના કુલ ટોટલમાં ગણવામાં આવે છે. 

ક્યારે રન લેવો તેનો નિર્ણય બેટ્સમેન લે છે, જેને બોલ ક્યા જઈ રહ્યો છે તેનો ખ્યાલ સારી રીતે આવે છે. જેને ‘હા‘ કે ‘ના‘ અથવા ‘રાહ જો‘ જેવા ઉદગારો ઉચ્ચારીને બેટ્સમેન એકબીજાને કોમ્યુનિકેટ કરે છે. 

રન દોડવું એ ગણતરીપુર્વક જોખમ છે, કારણ કે ફિલ્ડર જ્યાં સુધી બેટ્સમેન ક્રિસમાં પહોંચે નહીં ત્યા સુધી જો વિકેટ પાડી દે તો તે આઉટ થઈ શકે છે.(બેટ્સમેનનું બેટ કે તેના શરીરનો હિસ્સો પોપિંગ ક્રિસ પર ન પહોંચ્યું હોય) બેટ્સમેનને રન આઉટ () કહેવાય છે. 

રન કરવામાં આવે છે તેના દ્વારા ટીમનો સ્કોર નોંધવામાં આવે છે. સ્કોરમાં કેટલા બેટ્સમેન આઉટ થયા તેની પણ નોંધ રાખવામાં આવે છે. દાખલા તરીકે, જો પાંચ બેટ્સમેન આઉટ થયા હોય અને ટીમનો સ્કોર 224 રન થયા હોય તો, એવું કહેવાય છે કે પાંચ વિકેટ ગુમાવીને 224 રન કર્યા છે.(સામાન્ય રીતે ટુંકમાં 224માં પાંચ અથવા 224/05 અથવા, ઓસ્ટ્રેલિયામાં ‘224માં પાંચ અને 5/224).

બેટિંગ ટીમ દ્વારા વધારાના રન એક્સ્ટ્રા () દ્વારા મેળવાય છે. જે મોટાભાગે ફિલ્ડિંગ બાજુની ભૂલોને કારણે મળે છે. (જેને ઓસ્ટ્રેલિયામાં ‘સન્ડ્રીઝ‘ કહેવાય છે.)આ ચાર પ્રકારે મેળવાય છે.

જ્યારે બોલર નો બોલ કે વાઈડ બોલ નાંખે ત્યારે તો ટીમને ફરીથી બોલ નાંખવાનો દંડ થાય છે જેથી બેટિંગ કરનાર ટીમને વધુ રન કરવાની તક મળે છે. બાય અને લેગ બાયના રન મેળવવા માટે બેટ્સમેનને દોડવું પડે છે( બોલ બાઉન્ડ્રીએ જાય તો અલગ વાત છે) આ રન ટીમના કુલ રનમાં ઉમેરાય છે તેમના વ્યકિતગત સ્કોરમાં આ રન ઉમેરાતા નથી.

બેટ્સમેનને હવે અગિયાર રીતે આઉટ કરી શકાય છે, જેમાના ઘણા અસામાન્ય છે જેના ક્રિકેટ ઇતિહાસમાં માત્ર થોડા જ કિસ્સા નોંધાયા છે. આઉટ થવાના સામાન્ય રૂપો આ મુજબ છે ‘બોલ્ડ ‘થવું, ‘કેચ‘ થવો, ‘એલબીડબલ્યુ‘ થવું, ‘રન આઉટ‘ થવું, ‘સ્ટમ્પિંગ‘ થઈ જવું, અને ‘હીટ વિકેટ‘ થવી. અસામાન્ય પદ્ધતિ આ મુજબ છે બોલને બે વખત ફટકારવો, મેદાનમાં અવરોધ ઉભો કરવો, ‘બોલને હાથથી પકડવો‘ અને ‘ટાઈમ આઉટ‘

અમ્પાયર આઉટ આપે તે પહેલા સામાન્ય રીતે ફિલ્ડિંગ સાઈડના બોલરો અને ખેલાડીઓએ ‘અપીલ ‘ કરવી પડે છે. આ માટે “હાઉઝેટ“ પ્રકારનો ઉચ્ચાર કરાય છે. જેનો સામાન્ય મતલબ થાય છે ‘ આ કેવું છે‘જો અમ્પાયર અપીલ સાથે સંમત થાય તો તે પોતાની આંગળી ઉંચી કરીને બેટ્સમેનને આઉટ આપે છે.અન્યથા માત્ર તે પોતાનું માથું હલાવીને ‘નોટ આઉટ ‘કહે છે. બેટ્સમેન રન આઉટ થાય કે, એલબીડબલ્યુ કે પછી સ્ટમ્પિંગ આ સંજોગોમાં બેટ્સમેન આઉટ થવાની સ્થિતિ સ્પષ્ટ થતી નથી જેથી ખેલાડીઓ ઉંચા અવાજે અપીલ કરે છે

મોટાભાગના કેસોમાં મોટાભાગે આઉટ થનાર બેટ્સમેન સ્ટ્રાઈકર  હોય છે.જો નોન સ્ટ્રાઈકર આઉટ થયો હોય તો તે મોટાભાગે રનઆઉટ થવાને કારણે આઉટ થાય છે, પરંતુ તે ફિલ્ડરને ખલેલ પહોંચાડવા, હેન્ડલ ધ બોલ કે ટાઈમ આઉટને કારણે આઉટ થઈ શકે છે

આઉટ થયા વગર બેટ્સમેન ફિલ્ડ છોડી શકે છે.જો બેટ્સમેન ઈજાગ્રસ્ત હોય કે બિમાર પડી જાય તો થોડાસમય માટે બેટ્સમેન નિવૃત થાય છે. અને તેની જગ્યાએ અન્ય કોઈ બેટ્સમેન બેટિંગ લેવા માટે આવે છે.આ બનાવને રીટાર્યડ હર્ટ  ()અથવા રીટાયર્ડ ઈલ () કહેવાય છે. રીટાયર્ડ થતો બેટ્સમેન નોટ આઉટ હોય છે અને ઈનિંગ્સમાં ફરી વખત બેટિંગ કરી શકે છે.બન્ને છેડાના બેટ્સમેન નિવૃત થઈ શકે છે, અને આને ડીસમિસ રીટાયર્ડ આઉટ () કહેવાય છે. કોઈ પ્લેયર આઉટ કહેવાતો નથી. બેટ્સમેન નો બોલમાં બોલ્ડ, કેચ, લેગ બિફોર વિકેટ, સ્ટમ્પ અને હિટ વિકેટ  આઉટ થતો નથી. બેટ્સમેન વાઈડ બોલમાં બોલ્ડ,  કેચ , લેગ બિફોર વિકેટ, અને બોલને બે વખત ફટકારવો  આઉટ થતો નથી.આમાંથી કેટલાક પ્રકારના ડિસમિસલ બોલર બોલિંગ નાંખે તેના સિવાય પણ આઉટ થાય છે. સ્ટ્રાઈક પર ન હોય તેવો બેટ્સમેન  ()થાય છે જો તેણે બોલર બોલ નાંખે તે પહેલા ક્રિસ છોડી દીધી હોય તો. અને બેટ્સમેન ફિલ્ડને ખલેલ પહોંચાડવા બદલ પણ આઉટ થઈ શકે છે તેમ રીટાયર્ડ આઉટ ગમે ત્યારે થઈ શકે છે. ટાઈમ આઉટના કેસમાં પણ ડીસમિસલ બોલ નાંખ્યા વગર થાય છે. આના સિવાયના અન્ય કોઈ પણ આઉટના કેસમાં માત્ર એક બેટ્સમેન એક બોલમાં આઉટ થઈ શકે છે.

ઈનિંગ્સનો અંત આવે છે

જ્યારે બીજી વખત દાવ લઈ રહેલી ટીમ તેની વિરોધી ટીમ કરતા ઓછા રન કરે તો તેને રન દ્વારા હાર કહેવાય છે.(જ્યાં બન્ને ટીમો વચ્ચે રનનો તફાવત હોય છે. જો છેલ્લે બેટિંગ કરી રહેલી ટીમ પુરતા રન કરી લે તો તેને વિકેટ દ્વારા જીત કહેવાય છે, જ્યા વિકેટ આઉટ થવાની બાકી હોય છે.દાખલા તરીકે ટીમ તેની વિરોધી ટીમ દ્વારા કરવામાં આવેલા રનને પાર છ વિકેટે કરે તો એવું કહેવાય કે ‘ચાર વિકેટ ટીમની જીત થઈ‘.

બે ઈનિંગ્સવાળી મેચમાં એક ટીમની પહેલી અને બીજી ઈનિંગ્સનો કુલ સ્કોર બીજી ટીમના એક દાવ કરતા ઓછો પણ હોઈ શકે છે.જેથી જે ટીમનો વધુ રને વિજય થયો હતો તેને ઈનિંગ્સ અને રન દ્વારા વિજય થયો કહેવાય. આ ટીમને ફરી વખત બેટિંગ કરવાની જરૂર હોતી નથી. અને રન બરાર બન્ને ટીમના સયુંકત ટોટલ વચ્ચેનો તફાવત

જો અંતિમ બેટિંગ કરી રહેલી ટીમ ઓલ આઉટ થઈ જાય અને બન્ને ટીમોના કુલ રન સરખા હોય તો મેચને ટાઈ () કહેવાય છે . જો કે બે ઈનિંગ્સની મેચમાં આ પ્રકારનું પરિણામ ભાગ્યે જ આવે છે. પરંપરાગત મેચોમાં, મેચને જે સમય ફાળવવામાં આવ્યો છે તેનો અંત આવી જાય અને બન્નેમાંથી કોઈ પણ ટીમ જીતી ન હોય તો મેચને ડ્રો  ()જાહેર કરાય છે. 

જો મેચમાં બન્ને ટીમો એક એક ઈનિંગ્સ રમી શકી હોય તો, ધણી વખત વધુમાં વધુ ડિલિવરીને આધારે મેચ રમાય છે.આ પ્રકારની મેચોને મર્યાદિત ઓવરની મેચ અથવા ‘વનડે‘ મેચ કહેવાય છે, આ મેચોમાં જે ટીમ ગમે તેટલી પણ વિકેટો ગુમાવીને સૌથી વધુ રન કરે તે વિજેતા હોય છે, જેથી આ મેચો ડ્રો થતી થી. જો ખરાબ વાતાવરણને કારણે આ પ્રકારની મેચોમાં વિક્ષેપ આવે છે ત્યારે ગૂંચવણભેલી ગણિતશાસ્ત્ર સંબંધિ પદ્ધતિ જેને ડકવર્થ-લુઈસ પદ્ધતિ ()નો ઉપયોગ કરવામાં આવે છે. આ ગણતરી દ્વારા ટીમને નવું લક્ષ્યાંક આપવામાં આવે છે. જો નક્કી કરવામાં આવેલી ઓવર ન નાંખી શકાઈ હોય તો મેચને પરિણામ વિનાની મેચ ઘોષિત કરી શકાય છે. જ્યારે વાતવરણ વધુ પડતું ખરાબ હોય અને મેચ ફરીથી શરૂ થવાની શક્યતા ઓછી હોય છે ત્યારે આ મેચોમાં આ પ્રકારના પરિણામ આવે છે.

ક્રિકેટ વિવિધ ભાગોમાં ફેલાયેલી રમત છે. ક્રિકેટને તેના રમવાના ધોરણ મુજબ બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે એક મેજર ક્રિકેટ  ()અને માઈનોર ક્રિકેટપ્રચલિત ક્રિકેટમાં વધુ ઉંડા ઉતરીએ તો તેમાં બે પ્રકારની મેચો રમાય છે. મેચોના મુખ્ય પ્રકારમાં એક ટીમને બે ઈનિંગ્સ આવતી હોય તેવી મેચ અને દરેક ટીમને એક જ ઈનિંગ્સ આવતી હોય તેવી મેચનો સમાવેશ થાય છે.પહેલા, પ્રથમ કક્ષાની ક્રિકેટ  ()કહેવાતી મેચોનો સમય ત્રણ દિવસથી પાંચ દિવસ સુધીનો હોય છે.(અંહી કેટલાક ઉદાહરણ એવા છે કે અમર્યાદિત સમય સુધી મેચ ચાલે છે.), બાદમાં તેને મર્યાદિત ઓવર ()ની ક્રિકેટ મેચ કહેવામાં આવી. કારણ કે દરેક ટીમને 50 ઓવર બોલિંગ કરી શકે છે.જે એક દિવસ દરમિયાન નાંખવાની હોય છે.(જો ખરાબ વાતાવરણ હોય તો મેચ બીજા દિવસે પણ રમાઈ શકે છે.)

પરંપરાગત રીતે, બે ઈનિંગ્સની મેચમાં એક દિવસમાં છ કલાકનો રમવાનો સમય  ()હોય છે. મર્યાદિત ઓવરની મેચ પણ મોટાભાગે છ કલાકના સમય વાળી હોય છે.આ મેચોમાં લંચ અને ટી વખતે સામાન્ય વિરામ હોય છે. આ ઉપરાંત ડ્રિંક વખતે પણ થોડો વિરામ હોય છે.આ ઉપરાંત ઈનિંગ્સ વખતે પણ થોડો વિરામ હોય છે.ઐતિહાસિક રીતે, સિંગલ ક્રિકેટ () કહેવાતો ક્રિકેટનો  પ્રકાર 18 અને 19મી સદીમાં ઘણો લોકપ્રિય હતો, આ પ્રકારની  મેચો પણ રમાતી હતી જે દ્વારા મોટી ક્રિકેટ મેચોમાં પ્રવેશ મળી શકતો હતો. આ પ્રકારની મેચોમાં દરેક ટીમને એક થી છ ખેલાડીઓ હોય છે, જેમાં એક સમયે એક બેટ્સમેન જ રમી શકે છે જે તેની ઈનિંગ્સનો અંત આવે ત્યાં સુધી બોલિંગનો સામનો કરે છે. જ્યારથી મર્યાદિત ઓવરની મેચો રમાવવાની શરૂઆત થઈ ગઈ ત્યારથી સિંગલ વિકેટ ક્રિકેટ હવે ભાગ્યે જ રમાય છે.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટ ()નો દરજ્જો સર્વોચ્ચ છે. આઈસીસીના પુર્ણ કક્ષાના સભ્ય હોય તેવા દેશો એકબીજા સાથે નિશ્ચિત કાર્યક્રમ મુજબ ક્રિકેટ મેચ રમે છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફિક્સ હોય છે.

ટેસ્ટ ક્રિકેટ મેચોની શરૂઆત 19મી સદીમાં થઈ. ટેસ્ટ મેચનો શરૂઆત ઓસ્ટ્રેલિયા () અને ઈંગ્લેન્ડ  ()વચ્ચે 1876-77માં ઓસ્ટ્રેલિયન સિઝન ()માં બે મેચો દ્વારા થઈ.તબક્કાવાર, આઠ ક્રિકેટ મેચએ ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવ્યો.દક્ષિણ આફ્રિકા () (1889), વેસ્ટ ઈન્ડિઝ () (1928), ન્યુઝીલેન્ડ () (1929), ભારત () (1932), પાકિસ્તાન () (1952), શ્રીલંકા () (1982), ઝિમ્બાબ્વે () (1992) અને બાંગ્લાદેશ () (2000).અન્ય ટીમો સાથે સ્પર્ધા ન કરી શકવા બદલ અને ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત નહીં કરી શકવાને કારણે ઝિમ્બાબ્વનો ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો 2006માં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 

વેલ્સના ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી રમી શકે છે.વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓ કેરિબિયન, બાર્બાડોઝ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબાગો, અને લીવાર્ડ ટાપુઓ અને વિન્ડવાર્ડ ટાપુઓમાંથી આવે છે. 

બે ટીમો વચ્ચે ટેસ્ટ મેચ મોટા ભાગે એકથી વધુ મેચો રમાય છે જેને ‘શ્રેણી‘ કહેવાય છે. એક મેચ પાંચ દિવસ સુધી ચાલે છે અને શ્રેણીમાં ત્રણથી પાંચ મેચો હોય છે.નિશ્ચિત સમયમાં મેચનો અંત ન આવે તો મેચને ડ્રો ઘોષિત કરવામાં આવે છે.

મર્યાદિત ઓવર ()ની ક્રિકેટને કેટલીક વખત એક દિવસિય ક્રિકેટ તરીકે ઓળખાવાય છે કારણ કે દરેક મેચનો કાર્યક્રમ એક દિવસનો હોય છે. ખરાબ વાતાવરણને કારણે આવી મેચો કેટલીક વખત બીજા દિવસે પણ રમાડવામાં આવે છે. આ મેચો યોજવાનો હેતુ છે કે નિશ્ચિત સમયમાં પરિણામ આવે અને મેચ ડ્રોમાં ન પરિણામે.પરંતુ બન્ને ટીમના સ્કોર સરખા થાય તો મેચ ટાઈ પણ થઈ શકે છે અને ખરાબ વાતાવરણ પણ મેચને અસર કરી શકે છે.દરેક ટીમ એક જ ઈનિંગ્સ રમી શકે છે અને મર્યાદિત ઓવરનો સામનો કરે છે.પરંપરાગત રીતે ઓવરની મર્યાદા 40 થી 50 ઓવર હોય છે.ટ્વેન્ટી20  ()મેચોમાં દરેક ટીમ 20 મેચોનો સામનો કરે છે. 
, હોબાર્ટ (), મર્યાદિત ઓવર ઈન્ટરનેશનલ દરમિયાન (). 

મર્યાદિત ઓવરની મેચોનું આ એક બીજુ રૂપ છે. આનો ઉદ્દેશ મેચનું પરિણામ ત્રણ કલાકની અંદર લાવવાનું છે. મોટાભાગે આ મેચો સાંજના સમયે રમાય છે.આ મેચો 2003માં ઈંગ્લેન્ડમાં રમાવાની શરૂઆત થઈ. આ મેચના આયોજનનો મુળ ઉદ્દેશ સાંજના સમયે કર્મચારીઓને મનોરંજન આપવાનો હતો. આ મેચોને વ્યવસાયીક સફળતા મળવા લાગી અને તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અપનાવી લેવામાં આવી.2007માં ટ્વેન્ટી20 વર્લ્ડ ચૅમ્પિઅનશિપ ()નું આયોજન કરવામાં આવ્યું. આગામી ટ્વેન્ટી20 વર્લ્ડ ચેમ્પિયનશીપ 2009માં ઈંગ્લેન્ડમાં રમાશે.

પ્રથમ કક્ષાની ક્રિકેટ ()માં ટેસ્ટ ક્રિકેટનો પણ સમાવેશ થાય છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ મુખ્યત્વ આઈસીસીના પુર્ણ સભ્ય દેશોમાં રમાતી સર્વોચ્ચ ઘરેલુ ક્રિકેટને લઈને ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ કેટલાક અપવાદ છે.ઈંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ આયોજન 18 કાઉન્ટિ કલબ દ્વારા થતું હતું. આ કાઉન્ટિઓ વચ્ચે કાઉન્ટિ ચેમ્પિયનશીપ ()નું આયોજન થતું હતું.  ચેમ્પિયન કાઉન્ટિ ()નો કન્સેપ્ટ છેક 18મી સદીથી અસ્તિત્વમાં છે પરંતુ સત્તાવાર રીતે સ્પર્ધા 1890 સુધી શરૂ થઈ શકી ન  હતી. આમાં સૌથી વધુ સફળ કલબ યોર્કશાયર કાઉન્ટિ ક્રિકેટ કલબ () હતી જેણે 30 ટાઈટલ જીત્યા હતા.

રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ વિવિધ દેશોમાં રમાય છે જેમાં રણજી ટ્રોફિ () (ભારત), પ્લુકેટ શિલ્ડ () (ન્યુઝીલેન્ડ), કરી કપ () (દક્ષિણ આફ્રિકા) અને શેલ શિલ્ડ () (વેસ્ટ ઈન્ડિઝ)નો સમાવેશ થાય છે..આમાંની ઘણી સ્પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નામ પણ બદલવામાં આવ્યા છે.

મર્યાદિત ઓવરની ધરેલુ ક્રિકેટનો પ્રારંભ ઈંગ્લેન્ડમાં જિલેટ કપ () દ્વારા 1963માં થયો. વિવિધ દેશો મર્યાદિત ઓવરની મેચોનું આયોજન કરતા રહે છે જે નોકઆઉટ અને લીગના ધોરણે પણ હોય છે.તાજેતરના વર્ષોમાં, રાષ્ટ્રીય ટ્વેન્ટી20 સ્પર્ધાઓ દાખલ કરવામાં આવી છે , જે સામાન્ય રીતે નોકઆઉટ હોય છે, જો કે તેમાં કેટલીક વખત લીગને પણ ભેળવી દેવાય છે.

વિશ્વમાં રમાતા ક્રિકેટના વિવિધ પ્રકારો છે. જેમ કે ઈન્ડોર ક્રિકેટ, ફ્રેન્ચ ક્રિકેટ, બિચ ક્રિકેટ, ક્વિક ક્રિકેટ અને કાર્ડ ગેમ અને બોર્ડ ગેમનો સમાવેશ થાય છે. આ બધી રમતોની પ્રેરણા ક્રિકેટમાંથી લેવામાં આવી છે. આ પ્રકારોમાં નિયમમો વારંવાર બદલાતા રહે છે જેથી મર્યાદિત સ્ત્રોત હોવા છંતા રમત રમાતી રહે, તેમજ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો આનંદ માણી શકે.  

ઈન્ડોર ક્રિકેટ  ()નેટેડ ઈન્ડોર મેદાનમાં રમાય છે જે સામાન્ય પ્રકાર છે. પરંતુ આઉટડોર ક્રિકેટનો પ્રકાર વધુ ઐપચારિક છે.

 
કુંટુંબો અને નાના બાળકો બેકયાર્ડ ક્રિકેટ  ()ઉપનગરોમાં રમે છે. અને ભારત અને પાકિસ્તાનના શહેરોમાં ‘ગલી ક્રિકેટ‘ અથવા ‘ટેપ બોલ ‘કહેવાતા ક્રિકેટનું આયોજન સાંકડી ગલીઓમાં થાય છે. આ પ્રકારની મેચોમાં પણ નિયમો પણ એક પીચ બાદ કેચ કરી શકાય તેવા પ્રકારના હોય છે. આ પ્રકારના નિયમો બનાવવાના ઉદ્દેશ એ છે કે બેટ્સમેન ઓછી જગ્યામાં વધુ સતર્કતા રાખીને રમે.આમાં ટેનિસ બોલ અને જાતે બનાવેલા બેટનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના સાધનોને વિકેટ બનાવવામાં આવે છે. જેમ કે ફ્રેન્ચ ક્રિકેટ ()માં બેટર્સ લેગ, ખરેખર તો આ રમત ફ્રાન્સથી  આવી નથી પરંતુ નાના બાળકો દ્વારા રમાતી ક્રિકેટને ફ્રેન્ચ ક્રિકેટ કહેવાય છે. કેટલાક સમયે તેના નિયમો સુધારવામાં આવે છે. દાખલા તરીકે ખેલાડીઓ એક પીચ પડ્યા બાદ બોલને કેચ કરી શકે તેવું નક્કી થઈ શકે છે.અથવા કેટલાક જ ખેલાડીઓ ઉપલબ્ધ હોય ત્યારે બધા જ ખેલાડીઓ ફિલ્ડિંગ ભરે છે અને તેમની બેટિંગ આવે ત્યારે બેટિંગ કરવા જાય છે. 

ક્વિક ક્રિકેટ ()માં બેટ્સમેન તૈયાર થાય તેની બોલર રાહ જો તો નથી.બાળકોને આકર્ષે તે માટે ગેમને વધુ ઝડપી અને આનંદપ્રદ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની મેચો ઈંગ્લેન્ડની સ્કુલોમાં રમાય છે. આ ઉપરાંત આ રમતને વધુ ઝડપી બનાવવા માટે ‘ટીપ એન્ડ રન‘, ‘ટીપલી‘ રન, ‘ટપ્સી રન‘ અને ‘ટીપી ગો‘ની રમત પણ રમાય છે. આ મેચમાં એવો નિયમ હોય છે કે બોલ બેટને અડે તો બેટ્સમેનને રન લેવો જ પડે પછીને ભલે બોલ સામાન્ય જ અડ્યો હોય.જો કે આવા નિયમો માત્ર પુર્વતૈયારી વિનાની મેચોમાં હોય છે, જેનો એક માત્ર ઉદ્દેશ બેટ્સમેનનો બોલ રોકવાના હક્કને પાછો ખેંચીને રમતને ઝડપી બનાવવી.  

સામાઓમાં ક્રિકેટના રૂપને કિલીકીટી () કહેવાય છે જેમાં હોકી સ્ટીક ()જેવા આકારના બેટનો ઉપયોગ કરાય છે.  ઈંગ્લેન્ડમાં પહેલા ક્રિકેટ રમાતું હતું ત્યારે હોકી સ્ટિક જેવા બેટનો ઉપયોગ થતો હતો, પરંતુ 1760માં બોલરોએ બોલને રગડાવવાની જગ્યાએ પીચ પાડવાની શરૂઆત કરતા બેટ્સમેનોએ પણ હાલના બેટ જેવા બેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ઈસ્ટોનિયા ()માં ટીમ શિયાળામાં આઈસ ક્રિકેટ  ()ટુર્નામેન્ટ રમવા માટે ભેગી થાય છે. આ રમતનો ઉદ્દેશ શિયાળાને ભગાવીને સામાન્ય ગરમી જેવો રમત દ્વારા અહેસાસ કરાવાનો છે. આના નિયમો સિક્સ અ સાઈડ ગેમ જેવા જ છે.

 
પહેલાના ક્રિકેટને કેટલોક સમય અથવા તેને ‘ક્લબ બોલ‘, ‘સ્ટુડ બોલ,‘ કે ‘ટ્રેપ બોલ‘, કે પછી ‘સ્ટોબ બોલ‘ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.ક્રિકેટના ઉલ્લેખો 16મી સદીમાં ઈંગ્લેન્ડ ટ્યુડોરના સમયમાં મળે છે પરંતુ તેનો ઉદભવ આ સમય પહેલા થયો હશે.ક્રિકેટ ઉદભવ અંગેની જે સામાન્ય થિયરી છે કે, ક્રિકેટ રમવાની શરૂઆત મધ્યકાળ દરમિયાન સસેક્સ અને કેન્ટની વચ્ચે વેલ્ડ ખાતે લુહાર અને ખેતી કરતા લોકોના બાળકોએ કરી હશે. રમતનો પુસ્તકમાં ઉલ્લેખ છે જેમાં ક્રેગની રમત પ્રિન્સ એડવર્ડ (), એડવર્ડ પહેલાલોંગસેક) ()ના પુત્ર દ્વારા ન્યુએડન, કેન્ટ ખાતે 1301માં રમવામાં આવી. એવી ધારણાઓ રાખવામાં આવે છે કે આ ક્રિકેટનો જ એક પ્રકાર હતો. પરંતુ આ બાબતે કોઈ પુરાવા નથી.  

આ રમતે 18મી સદીમાં ઘણો વિકાસ કર્યો અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત બની ગઈ હતી.આના માટે સટ્ટો પણ એક જવાબદાર પરિબળ હતું કારણે ધનવાનો પોતાની પસંદગીની ટીમ ઉતારતા હતા.1707 સુધીમાં ક્રિકેટ લંડનમાં આગળ પડતી રમત બની હતી, અને ફિન્સબરીના આર્ટીલરી ગ્રાઉન્ડ ()માં રમાયેલી મેચ જોવા માટે કેટલાય દર્શકો ઉમટ્યા હતા.આ રમતનુ સિંગલ વિકેટ  ()સ્વરૂપને કારણે લોકો ઘણા આકર્ષાયા હતા.1760માં બોલિંગમાં બોલરો હવે બોલને બેટ્સમેન તરફ નાંખતા પહેલા રગડાવવાની જગ્યાએ પીચ પાડવા લાગ્યા હતાઆને કારણે ઉછળાતા બોલને ફટકારવા માટે બેટની ડિઝાઈનમાં મુળભૂત ફેરફાર આવ્યા, બોલના ઉછાળને કારણે હાલમાં વપરાય છે તેવા બેટ ‘હોકી સ્ટીક‘પ્રકારના બેટની જગ્યાએ વપરાવા લાગ્યા.1760માં હમબ્લેડોન કલબ ()ની સ્થાપના કરવામાં આવી જે એમસીસી ()ના સ્થાપના ન થઈ ત્યા સુધી 20 વર્ષ ચાલી. લોર્ડ્સના ઓલ ગ્રાઉન્ડ ()નું ઉદ્ઘાટન 1787માં કરવામાં આવ્યું.હમબ્લેડોન રમતની મહાન કલબ હતી અને તેનો ફોકલ પોઈન્ટ પણ હતી.એમસીસીએ ઝડપથી ક્રિકેટની અગ્રેસર કલબમાં સ્થાન મેળવી લીધું અને ક્રિકેટના કાયદા ()નું રખેવાળ બન્યું. 18મી સદીના અંત ભાગમાં એલબીડબલ્યુ અને ત્રણ સ્ટમ્પની વિકેટના મહત્વના નવા કાયદા દાખલ કરવામાં આવ્યા.

 ()ની ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની સરેરાશ છે અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમની સરેરાશ 95.14 હતી.આ રેકોર્ડની બરોબરી કોઈ ખેલાડી કરી શક્યો નથી.

યુદ્ધ દરમિયાનની મેચોમાં ડોન બ્રેડમેન () છવાયેલા રહ્યા હતા. આંકડાઓ મુજબ તેઓ ક્રિકેટના સર્વોચ્ચ બેટ્સમેન હતા. 1932-33માં રમાયેલી બોડીલાઈન  ()સિરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ વધુ શક્તિશાળી ટીમ બનીને ઉભરી.   20મી સદીમાં વિશ્વ યુદ્ધ પહેલા વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટનો વિકાસ થયો. વિશ્વયુદ્ધ પછી પાકિસ્તાન, શ્રીલંકા અન બાંગ્લાદેશમાં તેનો વિકાસ થયો.જો કે , 1970 થી 1992 સુધી આફ્રિકન સરકારની રંગભેદની નીતિઓને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.1963માં, જ્યારે ઈંગ્લિશ કાઉન્ટિઓમાં મર્યાદિત ઓવર ()ની મેચો રમાવવાની શરૂ થઈ ત્યારે ક્રિકેટ એક નવા જ યુગમાં પ્રવેશ્યુઆ મેચોમાં પરિણામ ચોક્કસ આતવું હોવાથી, મર્યાદિત ઓવરની ક્રિકેટ ખાસી પ્રચલિત થઈ અને મેચોની સંખ્યામાં પણ વધારો થયો.1971માં પહેલી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય () મેચ રમાઈ.ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે () તેમાં વિકાસની તકો જોીએ અને 1975માં મર્યાદિત ઓવરો માટેના ક્રિકેટ વર્લ્ડ કપ ()નું આયોજન કર્યું. 21મી સદીમાં મર્યાદિત ઓવરની મેચમાં પણ  ટ્વેન્ટી20 ()નું નવું સ્વરૂપ આવ્યુ, આ સ્વરૂપે જલ્દીથી લોકપ્રિયતા હાસંલ કરી 

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું મુખ્યમથક દુબઈમાં આવેલું છે, જે ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંચાલન સંસ્થા છે.જેની સ્થાપના 1909માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અને દક્ષિણ આફ્રિકા દ્વારા ઈમ્પરીયલ ક્રિકેટ કોન્ફરન્સ નામે કરવામાં આવી હતી. ત્યાર બાદ 1965માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કૉન્ફરન્સ કરવામાં આવ્યુ ત્યાર બાદ હાલનું નામ 1989માં અપનાવવામાં આવ્યું.

આઈસીસીના 104 સભ્ય દેશો છે, જેમાંથી 10 પુર્ણ સભ્યો છે જે ટેસ્ટ મેચ રમે છે, 34 એસોશિએટ સભ્યો અને 60 અફિલિએટ સભ્યો છે.આંતરરાષ્ટ્રીય કક્ષાની મોટી ટુર્નામેન્ટ અને વિશ્વ કપના આયોજન અને સંચાલન માટે આઈસીસી જવાબદાર સંગઠન છે.આ ઉપરાંત દરેક ટેસ્ટ મેચમાં, વનડે અને ટ્વેન્ટી20 મેચોમાં અમ્પાયર અને રેફરીની નિમણૂંક આઈસીસી કરે છે.દરેક દેશોમાં રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ હોય છે જેનું કામ તેમના દેશમાં રમાતી ક્રિકેટ મેચોનું આયોજન કરવાનું અને નિયંત્રણ રાખવાનું છે. આ ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ટીમની પસંદગી કરે છે તેમજ ઘરઆંગણે અને વિદેશના પ્રવાસોનું આયોજન કરે છે.




#Article 73: જન ગણ મન (268 words)


જન ગણ મન (હિન્દી: जन गण मन, બંગાળી: জন গণ মন) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.

અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
 
પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા
જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા આમાર શોનાર બાંગ્લા બાંગ્લાદેશનાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.




#Article 74: અફઘાનિસ્તાન (132 words)


અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે. તેની પશ્ચિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તથા ઉત્તર-પૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.

અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિનો ભાગ હતું. ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી તે એક મુસ્લીમ રાષ્ટ્ર બન્યું જેમાં કુદરતી સંપત્તિનો લગભગ સંપૂર્ણ પણે અભાવ હતો. ઠંડા યદ્ધ દરમ્યાન સોવિયેત સંઘ એ અફઘાનિસ્તાનને પોતાનામાં સમાવી લેવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં, જે અફઘાનિસ્તાન એ અમેરીકા તથા આરબ દેશોની વિવિધ પ્રકારની મદદથી, કપરી અને લોહીયાળ લડત વડે ખાળ્યા હતા. આ કાળ પછી અફઘાનિસ્તાનમાં એક ખૂબજ રૂઢીચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઇ હતી. ૧૧ સપ્ટેમ્બરના પરિણામે સંયુક્ત રાજ્ય અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા રાજ્યતંત્રની સ્થાપના કરી.




#Article 75: વિજ્ઞાન (156 words)


વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: (૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.




#Article 76: ધૂમકેતુ (3072 words)


ધૂમકેતુ સૂર્યમંડળના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે. ધૂમકેતુની ભ્રમણકક્ષા અતિશય લાંબા ઉપવલય આકારની હોય છે. આથી તેઓ પ્લૂટોની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. ધૂમકેતુ સામાન્યત: થીજેલા કાર્બન ડાયૉક્સાઈડ, મીથેન, પાણી, ધૂળ અને અનેક ખનીજ પદાર્થોના બનેલા હોય છે.
ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા ઊર્ટ વાદળ માંથી ઊદ્ભવતા હોય છે. ઊર્ટ વાદળ સૂર્યમંડળના નિર્માણ ના અવશેષોનું બનેલું હોવાનું કહેવાય છે.  એસ્ટરોઈડ ભીન્ન રીતે બનતા હોય છે. પરંતુ ક્યારેક  ધૂમકેતુઓ પોતાના જ્વલનશીલ તત્વો નાશ પૂરા થઇ જવાથી એસ્ટરોઈડમા પરીણમે છે. 

ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા ઊર્ટ વાદળ માંથી ઊદ્ભવતા હોવાની માન્યતા જાન હેન્ડ્રીક ઊર્ટ નામના વૈજ્ઞાનીકે રજૂ કરી હતી. જ્યારે બરફના થીજેલા આ ગોળાઓ તેમની ભ્રમણકક્ષામાંથી(બાહ્ય ગુરુત્વાકર્શી ખલેલોને કારણે) ચલીત થાય છે ત્યારે તેઓ સૂર્ય તરફ ખેંચાય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના વિકિરણો ને કારણે થીજેલા વાયુઓ પીગળવા માંડે છે. આમ ધૂળ અને વાયુઓ ના મુક્ત થવાથી મોટું વાતાવરણ ધૂમકેતુના કેન્દ્રની આસપાસ રચાય છે જેને ધૂમકેતુનું કૉમા કહે છે. સૂર્યના  વિકિરણ દબાણ તથા સૂર્ય પવન ની કૉમા પર થતી અસર ને કારણે ધૂમકેતુની લાંબી પૂંછ રચાય છે. આ પૂંછ હંમેશા સૂર્યથી વિરૂદ્ધ (ભ્રમણકક્ષાની બહારની) દીશામાં રચાતી હોય છે.  ધૂળ તથા વાયુઓ પોત-પોતાની અલગ અલગ પૂંછ રચતા હોય છે. વાયુઓના આયનીકરણ ને કારણે તે પૂંછ સૂર્યના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે જ્યારે ધૂળની પૂંછ સામાન્યરીતે ગુરુત્વાકર્ષણ હેઠળ આવે છે. ધૂમકેતુના ઘન કેન્દ્રને તેનુ ન્યુક્લીયસ કહેવાય છે જે સામાન્યરીતે ૫૦ કી.મી.થી નાનું હોય છે. કૉમા તથા તેની પૂંછ ક્યારેક ૧ AU (૧૫૦ મીલીયન કી.મી.) થી પણ વધુ લાંબી હોય છે. 
કૉમા અને પૂંછ સૂર્યના પ્રકાશને કારણે પૃથ્વી પરથી નીહાળી શકાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખૂબ ઝાંખા હોવાથી ફક્ત દૂરબીન વડેજ જોઈ શકાય છે. પરંતુ ક્યારેક તે ઘણા તેજસ્વી હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. ધૂમકેતુઓ અચાનક રાત્રીના આકાશમાં દેખાય છે અને થાડા સમય પછી ફરી લુપ્ત થઈ જાય છે. આને કારણે ધૂમકેતુઓ પહેલાના વખતમાં અપશુકન તથા આફત લાવનારા કહેવાતા. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ ની સાલથી નિયમીત પણે દેખાતો આવ્યો છે. 

ધૂમકેતુનું ન્યુક્લીયસ સૂર્યમંડળના સૌથી કાળા પદાર્થો માંનું એક છે. જીયોટો પ્રોબે કરેલા નિરીક્ષણ મુજબ હેલીનો ધૂમકેતુ  તેના ન્યુક્લીયસ પર પડતા પ્રકાશમાંથી ફક્ત ૪% પ્રકાશ નું પરાવર્તન કરે છે. તથા ડીપ સ્પેસ ૧ એ શોધ્યું કે બૉરેલી ધૂમકેતુ તેની પર પડતા પ્રકાશનું ફક્ત ૨.૪% થી ૩% પરાવર્તન કરે છે. આની સરખામણીમાં રોડ પર વપરાતો ડામર ૭% પરાવર્તન કરતો હોય છે. આ કાળો પદાર્થ એ જટિલ કાર્બનિક સંયોજનો હોવાનું મનાય છે. સૂર્યની ગરમીને કારણે સરળ જ્વલનશીલ કાર્બનિક સંયોજનોનું દહન થઇ જાય છે અને ઘણી લાંબી કાર્બન શ્રુંખલા વાળા ડામર અને ક્રૂડતેલ જેવા પદાર્થો રહી જાય છે જે અત્યંત કાળા હોય છે. સૂર્યની ગરમી શોષી લેતી ધૂમકેતુની આજ કાળાશ તેની અંદર દહન માટે જરૂરી છે જેનાથી તેની પૂંછડી માટે વાયુઓ સર્જાય છે.
૧૯૯૬માં ધૂમકેતુઓ ક્ષ-કિરણો ઉત્સર્જીત કરતા હોવાનું શોધાયું. ધૂમકેતુના આ ક્ષ-કિરણો ની શોધે વૈજ્ઞાનિકોને આશ્ચર્ય માં મુકી દીધા હતાં કેમકે આ પહેલા તેની આગાહી કોઇએ કરી નહોતી. એવું મનાય છે કે આ ક્ષ-કિરણો ધૂમકેતુ અને સૂર્ય પવન ના વચ્ચે થતી પ્રક્રિયાથી સર્જાય છે; જેમાં  ઊત્તેજીત આયન કણો જ્યારે ધૂમકેતુના વાતાવરણમાં આવેલા અણુ તથા પરમાણુઓ સાથે અથડાય છે ત્યારે એક કે વધુ ઈલેક્ટ્રોનું ની:સર્જન થવાથી આ ક્ષ-કિરણો સર્જાય છે .

ધૂમકેતુને તેની ભ્રમણકક્ષાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. નાની ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓની ભ્રમણકક્ષા ૨૦૦ વર્ષથી નાની હોય છે. જ્યારે લાંબી ભ્રમણકક્ષ વાળા ધૂમકેતુઓની ભ્રમણકક્ષા ખૂબ લાંબી હોવા છતાં સૂર્યની ગુરુત્વાકર્ષણની અંદર હોય છે. એકલ ભ્રમણ ધૂમકેતુઓની ભ્રમણકક્ષા પરવલયાકાર કે અતિવલયાકાર હોવાથી આવા ધૂમકેતુઓ એક વાર સૂર્યની પાસે ફરી હમેંશા માટે  સૂર્યમંડળ ની બહાર નીકળી જાય છે. જ્યારે નાની કક્ષા વાળા ધૂમકેતુ એન્કૅની ભ્રમણકક્ષા સૂર્ય અને ગુરુની વચ્ચે છે. નાની ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓ  ક્યુપીયર બેલ્ટમાંથી ઉદ્ભવતા હોવાનું મનાય છે જ્યારે, લાંબી ભ્રમણકક્ષ વાળા ધૂમકેતુઓ ઊર્ટ વાદળમાથી ઉદ્ભવતા હોવાનું મનાય છે. એક માન્યતા પ્રમાણે જ્યારે સૂર્ય તેની આકાશ ગંગાની ભ્રમણકક્ષામાં કોઈ તારા પાસેથી પસાર થાય છે કે પછી સૂર્યના સંભાવિત સાથી તારા નેમેસિસ કે પ્લૅનેટ X નજીક આવે છે ત્યારે ધૂમકેતુઓ ખૂબ લાંબી ભ્રમણકક્ષા ધારણ કરે છે.
ધૂમકેતુના ઓછા દળ અને લંબગોળ ભ્રમણકક્ષા ને કારણે તેઓ ક્યારેક મોટા ગ્રહોની તરફ આકર્ષીત થાય છે. આને કારણે તેની ભ્રમણકક્ષા પર પણ અસર પડે છે. નાની ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓ નું એક કેન્દ્ર (લંબગોળના બે કેન્દ્ર હોય છે)  મોટા ગ્રહોની કક્ષાની અંદર આવે છે. એ સ્પષ્ટ છેકે ઊર્ટ વાદળ માંથી આવતા ધૂમકેતુઓની ભ્રમણકક્ષાઓ મોટા ગ્રહો થી અસર પામે છે. મોટાભાગના આવા ધૂમકેતુ પર ખાસ કરીને ગુરુ ની અસર પડે છે જેનું દળ સૂર્યમંડળના અન્ય ગ્રહોના ભેગા દળ કરતા પણ વધુ છે.
ભ્રમણકક્ષાની આ અસરને કારણે ક્યારેક  પહેલા શોધાયેલ ધૂમકેતુઓ ખોવાઈ જાય છે. ક્યારેક 'નવા શોધાયેલા ધૂમકેતુ'ના વધુ અધ્યયન પછી આ ખોવાયેલા ધૂમકેતુઓ ફરી ઓળખાય છે.  11P/ટેમ્પલ-સ્વીફ્ટ-લીનીયર ધૂમકેતુ આનુ ઉદાહરણ છે. ૧૮૬૯માં તેની સૌપ્રથમ શોધ થયેલી પણ ૧૯૦૮ પછી  ગુરુની અસરને કારણે તેની ભ્રમણકક્ષા બદલી હતી અને તે દેખાતો બંધ થઇ ગયો હતો. ૨૦૦૧માં લીનીયર નામના વૈજ્ઞાનીકે તેની ફરી શોધ કરી હતી.

વૈજ્ઞાનીક પધ્ધતીના વિકાસ પહેલા ધૂમકેતુના નામ વિવિધ રીતે પાડવામાં આવતા હતા. ૨૦મી સદીથી પહેલા, ધૂમકેતુના નામ વર્ષના આધારે પાડવામાં આવતા, જેમકે ૧૬૮૦નો મહાન ધૂમકેતુ, સપ્ટેમ્બર ૧૮૮૨નો ધૂમકેતુ. એડમંડ હેલી નામના વૈજ્ઞાનીકે સીદ્ધ કર્યુ કે ૧૫૩૧, ૧૬૦૭ અને ૧૬૮૨માં દેખાયેલ ધૂમકેતુ એક જ હતા અને ૧૭૫૯માં તેના ફરી દેખાવાની આગાહી કરી. ખરેખર ૧૯૫૯માં આ ધૂમકેતુ દેખાયો ત્યારે તેનું નામ હેલીનો ધૂમકેતુ પાડવામાં આવ્યું.  આજ રીતે, આવર્ત ધૂમકેતુઓ એન્કે ધૂમકેતુ  અને બેયલા ધૂમકેતુ ના નામ તેની ભ્રમણકક્ષાની ગણતરી કરનાર ના નામ પરથી પાડવામાં આવ્યા છે. ત્યારથી આવર્ત ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવતા રહ્યા છે પણ એકજ વખત દેખાતા ધૂમકેતુઓના નામ હજુ પણ તેઓ જે વર્ષમાં દેખાય તે પરથી પાડવામાં આવે છે. 
૨૦મી સદીની શરૂઆતથી, ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવે છે. આ પરંપરા હજુ પણ પ્રચલીત છે. ધૂમકેતુના નામ પહેલા ત્રણ શોધકોના નામ થી રાખવા માં આવે છે. ઘણા ધૂમકેતુઓની ખોજ યાંત્રીક સાધનો દ્વારા થાય છે. આવા ધૂમકેતુઓના નામ આ સાધનો પરથી પડાય છે. ધૂમકેતુ IRAS-આરાકી-આલકૉક ની શોધ IRAS સેટેલાઈટ, તથા શીખાઉ અવલોકનકાર જેનીચી આરાકી અને જ્યોર્જ આલકૉકે સ્વત્રંત્ર પણે કરી હતી.  ક્યારેક એકજ વૈજ્ઞાનીક કે ટુકડી બે થી વધુ ધૂમકેતુની શોધ કરે છે. આવા ધૂમકેતુના નામની પાછળ અંક લગાડાય છે. જેમકે ધૂમકેતુ શૂમેકર-લીવી૧. હવે મોટા પ્રમાણમાં ધૂમકેતુઓની શોધ થવાથી આ નામકરણ પ્રક્રીયા પણ વ્યાવહારીક રહી નથી.   મે, ૨૦૦૫ સુધી માં સોહોએ ૯૫૦ ધૂમકેતુઓની ખોજ કરી છે અને તે ૧૦૦૦મા ધૂમકેતુની ક્યારે ખોજ કરશે તેની સંભાવના કરવાની પ્રતિયોગીતા પણ બહાર પાડેલ છે. )

ઐતિહાસીક માન્યતા (વહેમ) પ્રમાણે ધૂમકેતુ અપશુકન લાવનાર ગણાય છે. કેટલાક તેને ખરતા તારા સાથે સરખાવે છે. 
એરીસ્ટૉટલનુ પ્રથમ પુસ્તક મીટ્રીયોલોજીમા ધૂમકેતુ ની ચર્ચા કરેલ છે. કેટલાક પહેલાના વિચારકોની માન્યતા પ્રમાણે ધૂમકેતુ સૂર્યમંડળના ગ્રહ છે. પરંતુ એરીસ્ટૉટલે આ વાત નકારી હતી કેમકે જ્યારે ગ્રહો આકાશમા ચોક્કસ નક્ષત્રોમા જોવા મળે છે પણ ધૂમકેતુઓ આકાશના કોઇપણ ભાગમા દેખાય શકે છે. તેના માનવા પ્રમાણે, ઘૂમકેતુઓ પૃથ્વીની બહારના વાતાવરણની પેદાશ છે. ધૂમકેતુની જેમ મીટીયર, અરૉરા બૉરૉલીયસ તથા આકાશ ગંગા માટે પણ એરીસ્ટૉટલ ની તેવીજ માન્યતા હતી. 
એરીસ્ટૉટલ ના આ મતને કેટલાક વિચારકોએ અસંમતી દર્શાવેલ. સેનેકાએ તેના નેચરલ ક્વેશ્ચનમા આ મતની અસહમતી વ્યક્ત કરેલ છે. તેના મુજબ ધૂમકેતુઓને બહારના વાતાવરણ કે પવન વડે અસર પામતી નથી તેવુ નોધ્યુ હતુ. તે વખતે મનુષ્યોનુ અવકાશ વિષે જ્ઞાન અપુરતુ હતુ. પરંતુ એરીસ્ટૉટલ નો આ મત 16મી સદી સુધી માન્ય રહ્યો. 
૧૫૭૭મા એક તેજસ્વી ધૂમકેતુ આકાશમા કેટલાક મહીના સુધી નીહાળી શકાયો હતોય ડેન્માર્કના ખગોળશાશ્ત્રી ટાયકો બ્રાહે તેનુ  વૈજ્ઞાનીક નીરીક્ષણ કરેલ અને તેના તથા બીજા અન્ય ખગોળશાશ્ત્રીઓ ના નીરીક્ષણ ને સરખાવી તારવ્યુ હતુ કે - આ ધૂમકેતુ પૃથ્વી તથા ચંદ્ર ની સરખામણી થી ચાર ગણા અંતરે આવેલ છે. 

જોકે ધૂમકેતુ અવકાશ મા હોવાનુ સાબિત થયી ગયુ હતુ, પરંતુ કેવી રીતે તેઓ અવકાશ મા ભ્રમણ કરે છે તે આવતી સદી મા ચર્ચા નો વિષય હતો. ગ્રહો સૂર્ય ની આસપાસ દીર્ઘવૃત્તાકાર ભ્રમણકક્ષા મા ભ્રમણ કરે છે એમ ૧૬૦૯ મા નક્કી કરવા વાળા જોહાનિસ કેપ્લર પણ એ વાત માનવા રાજી નહોતા કે  કેપ્લર ના ગ્રહો ના ભ્રમણ નિયમો અન્ય અવકાશી પદાર્થો ને પણ લાગુ પડી શકે છે - તેઓનુ એમ માનવુ હતુ કે ધૂમકેતુ ગ્રહો ને સમાંતર દિશા મા સફર કરે છે. ગેલેલીયો ગલીલી, કટ્ટર કોપરનીક્સ હોવા છતા, ટાયકો ના સમાન્તરીત ગણતરીઓ ને બદલે ધૂમકેતુs  ઉપરી વાતાવરણ મા સીધી રેખા મા સફર કરતા હોવા ના એરીસ્ટોટલીન વિચારસરણી ના સમર્થન મા હતા.
કેપ્લર ના ગ્રહો ના ભ્રમણ નીયમો ધૂમકેતુ ને પણ લાગુ પડવા જોઈએ તેમ સૂચન સૌપ્રથમ વિલિયમ લોવર એ ૧૬૧૦ મા કર્યુ હતુ.આવનારા દશકો મા, અન્ય ખગોળશાસ્ત્રીઓ, જેમા પીયરે પેટિટ, જિઓવાન્નિ બોરેલ્લી, એડ્રિયન ઓઝાઉટ, રોબર્ટ હુક, અને જિન-ડોમીનીક કેસ્સીનિ,  ધૂમકેતુs ના સૂર્ય ફરતે દીર્ઘવૃત્તાકાર અથવા પરવલયી કક્ષા મા ભ્રમણ ની તરફેણ મા હતા , જ્યારે અન્ય, જેમ કે ક્રિસ્ચીયન હ્યુગીન્સ અને જોહાન્સ હેવેલીઅસ, ધૂમકેતુ ના રેખીય ગતિ ના સમર્થન મા હતા .
The matter was resolved by the bright ધૂમકેતુ that was discovered by Gottfried Kirch on November 14, 1680. Astronomers throughout Europe tracked its position for several months.  In his Principia Mathematica of 1687, આઇઝેક ન્યુટન proved that an object moving under the influence of his inverse square law of universal gravitation must trace out an ભ્રમણકક્ષા shaped like one of the conic sections, and he demonstrated how to fit a ધૂમકેતુ's path through the sky to a parabolic ભ્રમણકક્ષા, using the ધૂમકેતુ of 1680 as an example.
In 1705, એઙમન્ઙ હેલિ  applied Newton's method to twenty-four ધૂમકેતુary apparitions that had occurred between 1337 and 1698. He noted that three of these, the ધૂમકેતુs of 1531, 1607, and 1682, had very similar ભ્રમણકક્ષાal elements, and he was further able to account for the slight differences in their ભ્રમણકક્ષાs in terms of gravitational perturbation by ગુરુ and Saturn. Confident that these three apparitions had been three appearances of the same ધૂમકેતુ, he predicted that it would appear again in 1758-9. (Earlier, Robert Hooke had identified the ધૂમકેતુ of 1664 with that of 1618, while Jean-Dominique Cassini had suspected the identity of the ધૂમકેતુs of 1577, 1665, and 1680.  Both were incorrect.)  Halley's predicted return date was later refined by a team of three French mathematicians: Alexis Clairaut, Joseph Lalande, and Nicole-Reine Lepaute, who predicted the date of the ધૂમકેતુ's 1759 perihelion to within one month's accuracy.  When the ધૂમકેતુ returned as predicted, it became known as ધૂમકેતુ Halley or Halley's ધૂમકેતુ (its official designation is 1P/Halley). Its next appearance is due in 2061.
Among the ધૂમકેતુs with short enough periods to have been observed several times in the historical record, ધૂમકેતુ Halley is unique in consistently being bright enough to be visible to the naked eye. Since the confirmation of ધૂમકેતુ Halley's periodicity, many other periodic ધૂમકેતુs have been discovered through the telescope. The second ધૂમકેતુ to be discovered to have a periodic ભ્રમણકક્ષા was ધૂમકેતુ Encke (official designation 2P/Encke). Over the period 1819-1821 the German mathematician and physicist Johann Franz Encke computed ભ્રમણકક્ષાs for a series of ધૂમકેતુary apparitions observed in 1786, 1795, 1805, and 1818, concluded they were same ધૂમકેતુ, and successfully predicted its return in 1822.By 1900, seventeen ધૂમકેતુs had been observed at more than one perihelion passage and recognized as periodic ધૂમકેતુs.  As of January 2005, 164 ધૂમકેતુs have achieved this distinction, though several have since been destroyed or lost.

આઈઝ॓ક ન્યૂટન described ધૂમકેતુન્॓ as compact, ધન, fixed, અન્॓ durable bodies: in one word, a kind of planets, which move in very oblique ભ્રમણકક્ષા, every way, સંપૂર્ણ આઝાદીથી, persevering in their motions even against the course and direction of the planets; and their પૂંછ as a very thin, slender vapour, emitted by the head, or nucleus of the ધૂમકેતુ, ignited or heated by the સૂર્ય. ધૂમકેતુઓ also seemed to Newton absolutely requisite for the conservation of the પાણી તથા ભેજ of the planets; from their condensed vapours and exhalations all that moisture which is spent on vegetations and putrefactions, and turned into dry earth, might be resupplied and recruited; for all vegetables were thought to increase wholly from fluids, and turn by putrefaction into earth. Hence the quantity of dry earth must continually increase, and the moisture of the globe decrease, and at last be quite evaporated, if it have not a continual supply. Newton suspected that the spirit which makes the finest, subtilest, and best part of our air, and which is absolutely requisite for the life and being of all things, came principally from the ધૂમકેતુs.
Another use which he conjectured ધૂમકેતુs might be designed to serve, is that of recruiting the સૂર્ય with fresh fuel, and repairing the consumption of his light by the streams continually sent forth in every direction from that luminary —

As early as the 18th century, some scientists had made correct hypotheses as to ધૂમકેતુs' physical composition. In 1755, Immanuel Kant hypothesized that ધૂમકેતુs are composed of some volatile substance, whose vaporization gives rise to their brilliant displays near perihelion.In 1836, the German mathematician Friedrich Wilhelm Bessel, after observing streams of vapor in the 1835 apparition of ધૂમકેતુ Halley, proposed that the jet forces of evaporating material could be great enough to significantly alter a ધૂમકેતુ's ભ્રમણકક્ષા and argued that the non-gravitational movements of ધૂમકેતુ Encke resulted from this mechanism.
However, another ધૂમકેતુ-related discovery overshadowed these ideas for nearly a century. Over the period 1864–1866 the Italian astronomer Giovanni Schiaparelli computed the ભ્રમણકક્ષા of the Perseid meteors, and based on ભ્રમણકક્ષાal similarities, correctly hypothesized that the Perseids were fragments of ધૂમકેતુ Swift-Tuttle.  The link between ધૂમકેતુs and meteor showers was dramatically underscored when in 1872, a major meteor shower occurred from the ભ્રમણકક્ષા of ધૂમકેતુ Biela, which had been observed to split into two pieces during its 1846 apparition, and never seen again after 1852.A gravel bank model of ધૂમકેતુ structure arose, according to which ધૂમકેતુs consist of loose piles of small rocky objects, coated with an icy layer.
By the middle of the twentieth century, this model suffered from a number of shortcomings: in particular, it failed to explain how a body that contained only a little ice could continue to put on a brilliant display of evaporating vapor after several perihelion passages. In 1950, Fred Lawrence Whipple proposed that rather than being rocky objects containing some ice, ધૂમકેતુs were icy objects containing some ધૂળ and rock.This dirty બરફball model soon became accepted. It was confirmed when an armada of spacecraft (including the European Space Agency's Giotto probe and the Soviet Union's Vega 1 and Vega 2) flew through the coma of Halley's ધૂમકેતુ in 1986 to photograph the nucleus and observed the jets of evaporating material. The American probe Deep Space 1 flew past the nucleus of ધૂમકેતુ Borrelly on September 21 2001 and confirmed that the લાક્ષણીકતાઓ of ધૂમકેતુ Halley are common on other ધૂમકેતુs as well.
Forthcoming space missions will add greater deપૂંછ to our understanding of what ધૂમકેતુs are made of. The Starધૂળ spacecraft,  launched in February 1999, has already collected particles from the coma of ધૂમકેતુ Wild 2 in January 2004, and will return the samples to Earth in a capsule in 2006. In 2005, the Deep Impact probe will blast a crater on ધૂમકેતુ Tempel 1 to study its interior. And in 2014, the European Rosetta space probe will ભ્રમણકક્ષા ધૂમકેતુ ધૂમકેતુ Churyumov-Gerasimenko and place a small lander on its surface.

While hundreds of tiny ધૂમકેતુs pass through the inner સૂર્યમંડળ every year, only a very few ધૂમકેતુs make any impact on the general public.  About every decade or so, a ધૂમકેતુ will become bright enough to be noticed by a casual observer — such ધૂમકેતુs are often designated Great ધૂમકેતુs.  In times past, bright ધૂમકેતુs often inspired panic and hysteria in the general population, being thought of as bad omens.  More recently, during the passage of Halley's ધૂમકેતુ in 1910, the Earth passed through the ધૂમકેતુ's પૂંછ, and erroneous newspaper reports inspired a fear that cyanogen in the પૂંછ might poison millions, while the appearance of ધૂમકેતુ Hale-Bopp in 1997 triggered the mass suicide of the Heaven's Gate cult.  To most people, however, a great ધૂમકેતુ is simply a beautiful spectacle.
Predicting whether a ધૂમકેતુ will become a great ધૂમકેતુ is notoriously difficult, as many factors may cause a ધૂમકેતુ's brightness to depart drastically from predictions.  Broadly speaking, if a ધૂમકેતુ has a large and active nucleus, will pass close to the સૂર્ય, and is not obscured by the સૂર્ય as seen from the Earth when at its brightest, it will have a chance of becoming a great ધૂમકેતુ.  However, ધૂમકેતુ Kohoutek in 1973 fulfilled all the criteria and was expected to become spectacular, but failed to do so.  ધૂમકેતુ West, which appeared three years later, had much lower expectations (perhaps because scientists were much warier of glowing predictions after the Kohoutek fiasco), but became an extremely impressive ધૂમકેતુ.
The late 20th century saw a lengthy gap without the appearance of any great ધૂમકેતુs, followed by the arrival of two in quick succession — ધૂમકેતુ Hyakutake in 1996, followed by Hale-Bopp, which reached maximum brightness in 1997 having been discovered two years earlier.  As yet, the 21st century has not seen the arrival of any great ધૂમકેતુs.

હજારો જાણીતા ધૂમકેતુ માથી, કેટલાક અસામાન્ય હોય છે. ધૂમકેતુ Encke ની ભ્રમણકક્ષા ગુરુ ની ભ્રમણકક્ષા ની અન્દર ની તરફ થી  શૂક્ર ની ભ્રમણકક્ષા ની અન્દર ની તરફ થઈ ને જાય છે, જ્યારે ધૂમકેતુ 29P/Schwassmann-Wachmann અને શનિ ની ભ્રમણકક્ષા ના વચ્ચે લગભગ ગોળાકાર ભ્રમણકક્ષા મા સફર કરે છે.2060 Chiron, જેની અસ્થિર ભ્રમણકક્ષા તેને શનિ અને યુરેનસ ની વચ્ચે રાખે છે, ને પહેલા લઘુગ્રહ તરીકે વર્ગીક્રુત કરેલ હતો જ્યા સુધી આછી કૉમા જોવા મા આવી. તેજ રીતે, ધૂમકેતુ શુમાકર-લેવી 2 ને પહેલા લઘુગ્રહ નો દરજ્જો આપવા મા આવ્યો હતો. 1990 UL3. કેટલાક પ્રુથ્વી નજીક ના લઘુગ્રહો  ને ધૂમકેતુs ના ક્ષત ન્યુક્લીયસ માનવા મા આવે છે જેમા થીજેલા વાયુઓ ના પીગળવા ની પ્રક્રિયા બંધ થઈ ગયી છે.
Some ધૂમકેતુs have been observed to break up.  ધૂમકેતુ Biela was one significant example, breaking into two during its 1846 perihelion passage.  The two ધૂમકેતુs were seen separately in 1852, but never again after that.  Instead, spectacular meteor showers were seen in 1872 and 1885 when the ધૂમકેતુ should have been visible.  A lesser meteor shower, the Andromedids, occurs annually in November, and is caused by the Earth crossing Biela's ભ્રમણકક્ષા .
Several other ધૂમકેતુs have been seen to break up during their perihelion passage, including great ધૂમકેતુs West and ધૂમકેતુ Ikeya-Seki.  Some ધૂમકેતુs, such as the Kreutz સૂર્યgrazers, ભ્રમણકક્ષા in groups and are thought to be pieces of a single object that has previously broken apart.
Another very significant ધૂમકેતુary disruption was that of ધૂમકેતુ Shoemaker-Levy 9, which was discovered in 1993.  At the time of its discovery, the ધૂમકેતુ was in ભ્રમણકક્ષા around ગુરુ, having been captured by the planet during a very close approach in 1992.  This close approach had already broken the ધૂમકેતુ into hundreds of pieces, and over a period of 6 days in July 1994, these pieces slammed into ગુરુ's વાતાવરણ — the first time astronomers had observed a collision between two objects in the સૂર્યમંડળ.However, it has been suggested that the object responsible for the Tunguska event in 1908 was a fragment of ધૂમકેતુ Encke.




#Article 77: ગંગા નદી (472 words)


ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવ પ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.

ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે. વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.

ગંગામાં બે પ્રકારની ડોલ્ફિન માછલી મળી આવે છે - ગંગા ડોલ્ફિન અને ઇરાવાડી ડોલ્ફિન. ગંગામાં શાર્ક માછલી - ગ્લીફીસ ગંગેટિકસ - પણ મળી આવે છે - નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે. 

ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે. સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન અહિ ખાસ્સુ રાફટીંગ થાય છે. 

ઉત્તર પ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે. તેમાં કોશી, ગોમતી, સોણે અને યમુના ભળે છે. યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગ પાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે. ગંગાના કિનારા પર કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને પટના એવા ઔદ્યોગિક શહેરો પણ આવેલા છે.

રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી. શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદગતિ પ્રાપ્ત થઇ.




#Article 78: દ્રવ્યમાન (106 words)


દ્રવ્યમાન અથવા દળ () એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. ભૌતિક શાસ્ત્ર મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જડત્વનું આ માપન દર્શાવતી રાશિને દ્રવ્યમાન અથવા દળ તરીકે ઓળખવામાં આવે છે. SI માપ પદ્ધતિમાં તેનો એકમ કિલોગ્રામ છે.

પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. પરંતુ ખૂબ ઝડપથી ગતી કરતા અથવા લગભગ પ્રકાશની ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ મુજબ દ્રવ્યમાન, ઝડપના મૂલ્ય v સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે:




#Article 79: મહારાષ્ટ્ર (334 words)


મહારાષ્ટ્ર ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું ત્રીજા નંબરનું રાજ્ય છે અને વસ્તીની દ્રષ્ટીએ ઉત્તર પ્રદેશ પછી દ્વીતીય રાજ્ય છે. મહારાષ્ટ્રની સીમાએ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, ગોવા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી આવેલા છે. પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલ છે. મુંબઇ (કે બૉમ્બે), ભારતનું સૌથી મોટું શહેર અને મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. તે ૧૧.૨ કરોડથી વધુ રહેવાસીઓ અને તેની રાજધાની મુંબઈ તેની વસ્તી આશરે ૧.૮ કરોડ છે જે તેને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેરી વિસ્તાર બનાવે છે. નાગપુર રાજ્ય વિધાનસભાના શિયાળાના સત્રનું આયોજન કરે છે. અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની હાજરીને લીધે પુણેને 'પૂર્વના ઓક્સફર્ડ' તરીકે ઓળખવામાં આવે છે.

ગોદાવરી અને કૃષ્ણ રાજ્યની બે મુખ્ય નદીઓ છે. નર્મદા અને તાપી નદીઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદની નજીક વહે છે.

ઋગ્વેદમાં મહારાષ્ટ્રનો ઉલ્લેખ રાષ્ટ્ર તરીકે, અશોકના શિલાલેખમાં રાષ્ટ્રીક તરીકે થયો છે. પાછળથી મહારાષ્ટ્રના નામે ઓળખાયુ, જેની નોંઘ હુએન-ત્સંગ તથા અન્ય મુસાફરોએ લીધી છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૩૫ જિલ્લાઓ આવેલા છે.

મહારાષ્ટ્ર રાંધણકળા હળવો લઇને ખૂબ મસાલેદાર વાનગીઓ માટે એક શ્રેણી આવરી લે છે. ઘઉં, ચોખા, જુવાર, બાજરી, શાકભાજી, દાળ અને મહારાષ્ટ્રીયન ખોરાક ફળ સ્વરૂપ મુખ્ય ખોરાક. લોકપ્રિય વાનગીઓ કેટલાક પુરાણ પોલી, ukdiche મોદક, અને બટાટા વાડા સમાવેશ થાય છે.ભોજન (મુખ્યત્વે લંચ અને ડિનર) એક પ્લેટ કહેવાય થાળી પર પીરસવામાં આવે છે.આ થાળી પર સેવા આપી હતી દરેક ખોરાક વસ્તુ ચોક્કસ સ્થાન છે. કેટલાક ઘરોમાં, ભોજન ઘરના દેવો માટે ખોરાક એક આભારવિધિ તક (Naivedya) સાથે શરૂ થાય છે. મહારાષ્ટ્રીયન રાંધણકળા Malvani (કોંકણી) અને Varadhi સહિત ઘણા પ્રાદેશિક જાતો છે. તદ્દન અલગ છે, બંને સીફૂડ અને નાળિયેર ઘણો ઉપયોગ કરે છે.

આ ભાજી ચોક્કસ વનસ્પતિ અથવા એક જોડાણ સાથે કરવામાં વનસ્પતિ વાનગીઓ છે. તેઓ અનિવાર્યપણે ડુંગળી, લસણ, આદું, લાલ મરચાનો પાવડર, લીલા મરચાં અને રાઈ કેટલાક મિશ્રણનો સમાવેશ થાય છે, Godâ (મીઠી) મસાલાના વપરાશ જરૂરી છે. કુટુંબ, ડુંગળી અને લસણ ની જાતિ કે ચોક્કસ ધાર્મિક પરંપરા પર આધાર રાખીને રસોઈ ઉપયોગ કરી શકે નહિં.

પરંપરાગત રીતે મરાઠી સ્ત્રીઓ સામાન્ય રીતે ઘણી વખત સ્પષ્ટ રીતે સ્થાનિક સાંસ્કૃતિક રિવાજો મુજબ રચાયેલ સાડી પહેરતી હતી.

મહારાષ્ટ્ર લોકગીતમાં સમૃદ્ધ છે. ગૂંચવણ, રોપણી, અખંડ ભારુદ અને મૂકે પ્રકારો લોકપ્રિય છે.

સરકાર




#Article 80: મધ્ય પ્રદેશ (101 words)


મધ્ય પ્રદેશ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર ભોપાલ છે. છત્તીસગઢ રાજયની સ્થાપના પહેલાં મધ્ય પ્રદેશ ભારત દેશનું સૌથી મોટું રાજ્ય હતું. નવેમ્બર ૧, ૨૦૦૦ના દિવસે મધ્ય પ્રદેશના રાજ્યમાંથી કેટલોક ભાગ અલગ કરી છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશ રાજ્યની સીમાઓ પર મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ રાજસ્થાન રાજ્યો આવેલાં છે.

મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી મોટું શહેર ઈંદોર છે. રાજ્યની કુલ વસ્તી (વસ્તીગણતરી ૨૦૧૧ મુજબ) ૭,૨૬,૨૬,૮૦૯ જેટલી છે. રાજ્યની મુખ્ય ભાષા હિન્દી છે.

મધ્ય પ્રદેશ રાજ્યમાં પાંચ લોકસંસ્કૃતિઓનો સમાવેશ થયેલો છે. આ પાંચ સાંસ્કૃતિક ક્ષેત્રો છે:

મધ્ય પ્રદેશ રાજ્યમાં કુલ ૫૨ જિલ્લાઓ આવેલા છે.




#Article 81: જી એફ ડી એલ (GFDL) (157 words)


GNU Free Documentation License–ગ્નુ ફ્રી ડૉક્યુમેન્ટેશન લાઇસન્સ (GNU FDL–ગ્નુ એફ ડી એલ અથવા ફક્ત GFDL–જી એફ ડી એલ) એ મુક્ત માહિતી માટેનું કૉપીલેફ્ટ લાઇસન્સ છે, જે ફ્ી સૉફ્ટવૅર ફાઉન્ડેશન (FSF–એફ એસ એફ) એ GNU પ્રૉજેક્ટ માટે તૈયાર કર્યું હતું. તે GNU GPL–ગ્નુ જી પી એલ લાઇસન્સ નો મુક્ત માહિતી માટેનો પુરક છે. તેની હાલની આવૃત્તિ 1.2 છે, અને તેની મૂળ સત્તાવાર વિગતો પર વાંચી શકાય છે.

આ લાઇસન્સને પાઠ્ય પુસ્તકો, માર્ગ દર્શિકાઓ (મૅન્યુઅલ્સ) અને અન્ય સંદર્ભ ગ્રંથો માટે બનાવવામાં આવ્યું હતું. પણ તેનો કોઇ પણ વિષય પર લખાયેલા સાહિત્ય માટે ઉપયોગ થઇ શકે છે. આ લાઇસન્સ ધરાવતા કોઇ પણ સાહિત્ય ની કોઇ પણ નકલ, (સુધારો/વધારો કરેલી કે અદ્દલ) પણ આ લાઇસન્સ સાથે જ પ્રકાશિત થાય તે આ લાઇસન્સ ની જરૂરીયાત છે. આ નકલો વેચી શકાય છે પણ જો તેને મોટા પ્રમાણ માં વહેંચાઇ રહી હોય તો તેને એવા રૂપમાં પ્રકાશિત કરવી જોઇએ જેને આગળ ઉપર સહેલાઇ થી સુધારી શકાય.

વિકિપીડિયા એ GFDL વાપરતો સૌથી વિશાળ પ્રૉજેક્ટ છે.




#Article 82: પબ્લિક ડોમેન (120 words)


પબ્લિક ડોમેન અથવા જાહેર સંપદામાં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા (ખાસ કરીને સાહિત્ય, કલા, સંગીત, અને આવિષ્કાર)નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે.

આ જ્ઞાન અને રચનાત્મકતાના ગણને માનવતાનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ હેતુ માટે વાપરી શકે છે.

કોઇ ચીજ જાહેર સંપદામાં ન હોવાનું કારણ તેની પર કોઇકે કરેલો પ્રકાશનાધિકાર કે પેટન્ટનો દાવો હોઇ શકે છે. અવી ખાનગી માલિકીની વસ્તુઓનો સામાન્ય જનતા સામાન્ય રીતે ફક્ત મર્યાદીત ઉપયોગ કરી શકે છે. જોકે જ્યારે પ્રકાશનાધિકાર કે અન્ય બૌદ્ધિક સંપદાને લગતાં બંધનોનો સમય પુરો થાય ત્યારે આ રચનાઓ જાહેર સંપદામાં પ્રવેશે છે અને કોઇપણ વ્યક્તિને તેનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.




#Article 83: ઉચિત વપરાશ (161 words)


ઉચિત વપરાશ નો સિદ્ધાંત તે સંયુક્ત રાજ્ય ના  કાયદાનો એ ભાગ છે જે કૉપીરાઇટ ધરાવતી વસ્તુઓનો તેના માલિકની પરવાનગી (લાઇસન્સ) વિના ઉપયોગ કરવાની કેટલાક સ્પષ્ટ સંજોગોમાં છુટ આપે છે. ઉચિત વપરાશ સંયુક્ત રાજ્ય નો આગવો સિદ્ધાંત છે.  નામનો એક જુદો સિદ્ધાંત બીજા કેટલાક રાષ્ટ્રોના કાયદાઓમાં જોવા મળે છે જે ઉચિત વપરાશ (fair use) ને મળતો આવે છે.

ઉચિત વપરાશ કૉપીરાઇટ વાળી વસ્તુઓને સામાન્ય જનતા માટે કોઇની પરવાનગી વગર એ શરતે ઉપલબ્ધ કરે છે કે તેનો ઉપયોગ કૉપીરાઇટના કાયદાનું ઉલ્લંઘન કરવા કરતાં વધુ કૉપીરાઇટના કાયદાનો હેતુ સાચવવા માટે થઇ રહ્યો હોય. આ હેતુ સંયુક્ત રાજ્યના બંધારણમાં આપેલી વ્યાખ્યા અનુસાર વિજ્ઞાન અને કલાની ઉન્નતિ ને પ્રોત્સાહન આપવાનો છે (I.1.8). આ રીતે આ સિદ્ધાંત વ્યક્તિગત હેતુઓ અને કૃતિઓની નવી આવૃત્તિઓ દ્વારા થતી સામાજીક તથા સાંસ્કૃતિક પ્રગતિર્ષ વચ્ચે સમતુલા સ્થાપવાનો પ્રયત્ન કરે છે.  આ સિદ્ધાંત અમુક અંશે એક પ્રકારની અભિવ્યક્તિની રક્ષા કરે છે જેને અન્ય સંજોગોમાં કૉપીરાઇટનું ખંડન ગણી શકાત; આ કારણથી આ સિદ્ધાંતને સંયુક્ત રાજ્યના બંધારણના પ્રથમ સુધારા, વાણી સ્વાતંત્ર્ય સાથે સાંકળવામાં આવે છે.




#Article 84: રાજસ્થાન (3395 words)


રાજસ્થાન (શાબ્દિક અર્થ રાજાઓનો ભૂમિ)  એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે.   આ રાજ્યનું ક્ષેત્રફળ ૩૪૨,૨૩૯ ચો. કિમી છે તે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારનો ૧૦.૪૦ % ભાગ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે ભરતનું સૌથી રાજ્ય છે અને વસ્તીની ક્ષ્રષ્ટિએતે સાતમું સૌથી મોટું રાજ્ય છે. રાજસ્થાન ભારતની ઉત્તરપશ્ચિમ બાજુ પર આવેલું છે, આ રાજ્યની મોટા ભાગની જમીન વિશાળ અને નિવાસ-પ્રતિકૂળ થારના રણ (રાજસ્થાન રણ અને ભારતના મહાન રણ તરીકે પણ ઓળખાય છે) દ્વારા રોકાયેલી છે. તેની સીમા સતલજ - સિંધુ નદીની ખીણને સમાંતરે ઉત્તરપશ્ચિમમાં પાકિસ્તાની પંજાબના પ્રાંતને, પશ્ચિમમાં સિંધને સ્પર્ષે છે. આ સિવાય તેની સીમા ભારતના પાંચ અન્ય રાજ્યોને સ્પર્ષે છે: ઉત્તર તરફ પંજાબ ; ઉત્તરપૂર્વમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશ ;દક્ષિણપૂર્વમાં મધ્યપ્રદેશ ; અને દક્ષિણપશ્ચિમમાં ગુજરાત . 

આ રાજ્યની પ્રમુખ વિશિષ્ટતાઓ :કાલિબંગા અને બલથલમાં આવેલા સિંધુ ખીણની સંસ્કૃતિના ખંડેર; દેલવાડા મંદિરો, પ્રાચીન અરવલ્લી પર્વતમાળામાં આવેલું રાજસ્થાનનું એકમાત્ર ગિરિ મથક, માઉન્ટ આબુ ખાતે આવેલા જૈન યાત્રાધામો; પક્ષી જીવન માટે જાણીતું પૂર્વીય રાજસ્થાનમાં ભરતપુર નજીક આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (એક વિશ્વ ધરોહર સ્થળ) . રાજસ્થાનમાં ત્રણ રાષ્ટ્રીય વાઘ અભયારણ્યો છે: સવાઈ માધોપુરનું રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન માં ,અલવરનું સરિસ્કા ટાઇગર અભયારણ્ય માં અને કોટાનું મુકુન્દ્રા હિલ ટાઇગર રિઝર્વ છે. 

આ રાજ્યની સ્થાપના અંગ્રેજ સાશન હેઠળના રાજપુતાના તરીકે ઓળખાતા રજપુત રજવાડાઓના ક્ષેત્રને ભારતમાં વિલિન કરી, ૩૦ માર્ચ, ૧૯૪૯ ના દિવસે કરવામાં આવી હતી. . તેની રાજધાની અને સૌથી મોટું શહેર જયપુર છે. આ સિવાય અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં જોધપુર, કોટા, બિકાનેર, અજમેર અને ઉદયપુર નો સમાવેશ થાય છે. 

રાજસ્થાનનો શાબ્દિક અર્થ થાય છે રાજાઓની ભૂમિ અથવા રાજાઓનું ઘર ( રાજા =રાજા અને - સ્થાન =જમીન,  સંસ્કૃત ભાષામાંથી  ).  

રાજસ્થાનનો સૌથી જૂનો સંદર્ભ ઈ.સ. ૬૨૫ના પત્થરના શિલાલેખમાં જોવા મળે છે. છાપેલા સંદર્ભોમાં રાજસ્થાનનો સૌથી ઉલ્લેખ ઈ.સ. 1829ના પ્રકાશન ઍનલ્સ ઍન્ડ એન્ટીક્વીટીસ ઑફ રાજસ્થાનના અથવા સેન્ટલ ઍન્ડા વેસ્ટર્ન સ્ટેટ્સ ઑફ ઈંડિયા માં જોવા મળે છે, જ્યારે આ પ્રદેશના નામ તરીકે રાજપૂતાનાનો સૌથી જુનો સંદર્ભ જ્યોર્જ થોમસ દ્વારા ઈ.સ ૧૮૦૦ની સાલમા લખાયેલ એક સ્મરણ-ગ્રંથ લશ્કરી યાદો માં જોવા મળે છે.  જ્હોન કેયે, તેમના પુસ્તક ઇન્ડિયા: એ હિસ્ટ્રીમાં જણાવ્યું હતું કે બ્રિટીશરો દ્વારા ઈ.સ. ૧૮૨૯માં રાજપૂતાનાની રચના કરવામાં આવી હતી. જ્હોન બ્રિગ્સે, ફરિશ્તાનાઇસ્લામિક ભારતના પ્રારંભિક ઇતિહાસનું ભાષાંતર કરતા, ભારતીય રાજકુમારો ઉલ્લેખ કરવાને બદલે રજપૂત રાજકુમારો શબ્દનો ઉપયોગ કર્યો હતો.  

હાલના રાજસ્થાનના ભાગો અંશતઃ વૈદિક સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિનો ભાગ હતા. હનુમંગઢ જીલ્લામાં આવેલું કાલિબંગન, સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાંતીય રાજધાની શહેર હતું.  . ઉદયપુર જિલ્લાના બાલાથલ સ્થળ પરના પુરાતત્ત્વીય ખોદકામ કરતાં ત્યાં, ઈ. પૂ. ૩૦૦૦ થી ૧૫૦૦0 સુધીના હડ્ડપા સંસ્કૃતિના સમકાલીન વસાહત મળી આવી છે. 

રાજ્યના બુંદી અને ભીલવાડા જિલ્લામાં ૫૦૦૦ થી ૨૦૦,૦૦૦ વર્ષોથી પુરાણી પાષાણ યુગના શસ્ત્રો - સાધનો મળી આવ્યા છે.  

ભારતની વૈદિક સંસ્કૃતિના કાળનું મત્સ્ય સામ્રાજ્ય રાજસ્થાનનું જયપુર રજવાડું, સમગ્ર અલવર અને ભરતપુરના ભાગો આવરી લેતું હતું.   વિરાટનગર (આધુનિક-બૈરાત) મત્સ્ય સામ્રાજ્યની રાજધાની હતું, તેનું નામ તેના તેના સ્થાપક રાજા વિરાટના નામ ઉપર રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.   

ભાર્ગવ  અનુસાર વેદિક કાળના બ્રહ્મર્વત રાજ્ય ઝુનઝુનુ અને સીકર જિલ્લો, જયપુરના અમુક ભાગો, હરિયાણાના રેવારી અને મહેન્દ્રગઢ જિલ્લાના ભાગોને આવરી લેતું હતું. ભાર્ગવ હાલના કાળની સાહેબી નદીને વેદિક સમ્યની દ્રિશદ્વાતી નદી તરીકે પણ ઓળખાવે છે, આ નદી સરસ્વતી નદી સાથે વૈદિક કાળનબ્રહ્મવર્ત વૈદિકની સરહદ બનાવતી હતી.  મનુ અને ભૃગુએ આ વિસ્તારમાં જ શ્રોતાઓને મનુસ્મૃત્તિ સંભળાવી હતી. વૈદિક મુની ભૃગુ અને તેના પુત્ર ચ્યવન ઋષિ, (જેમના માટે ચ્યવનપ્રાશ બનાવ્વામાં આવ્યું હતું) ના આશ્રમો ધોશી તેકરીઓ નજીક હતાં. આ ધોશી ટેકરીઓનો અમુક ભાગ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ધોશી ગામની બાજુમા અને અમુક ભાગ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં આવેલો છે. ઇન્ડો-સિથિયન લોકોના અનુગામી, પશ્ચિમી ક્ષત્રપો (ઈ. પૂ. ૪૦૫-૩૫)એ, ભારતના પશ્ચિમી ભાગના શક શાસકો હતા. તેઓ કુષાણોના સમકાલીન હતા, તેમણે બન્નેએ ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગ પર શાસન કર્યું હતું. ઇન્ડો-સિથિયન લોકોએ ઉજ્જૈન ક્ષેત્ર પર આક્રમણ કર્યું અને શક યુગ (શક પંચાંગ સાથે )ની સ્થાપના કરી, આ સાથે લાંબા કાળ સુધી શાસિત પશ્ચિમી શક ક્ષાત્રપ રાજ્યની શરૂઆત થઈ.  

આ રાજ્યના અમુક અંશો પર ગુર્જરોના ઘણાં રાજવંશોએ શાસન સાશન કર્યું, તેમની હેઠળનો પ્રદેશ ગુજરાત્ર તરીકે જાણીતો હતો. દસમી સદી એડી સુધી, ઉત્તર ભારત લગભગ તમામ ઉત્તર કન્નૌજ ખાતે તેમની સત્તા બેઠક સાથે, ગુર્જર્સની સર્વોચ્ચતાને સ્વીકાર્યું.  

ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યએ ૮ મીથી ૧૧ મી સદી સુધી ભારતવર્ષ પર ચડી આવતા આરબ આક્રમણકારો સામે અવરોધ તરીકે કામ કર્યું હતું. ગુર્જર- પ્રતિહાર સામ્રાજ્ય,ની મુખ્ય સિદ્ધિ જુનેદ થી શરૂ થયેલા, પશ્ચિમમાંથી આવતા વિદેશી આક્રમણખોરોનો સફળ પ્રતિકાર કરવામાં રહી. ઇતિહાસકાર આર. સી. મજુમદાર કહે છે કે આ આરબ લેખકો દ્વારા જાહેરમાં સ્વીકારાઈ છે. તેમણે આગળ નોંધ્યું છે કે ભારતના ઇતિહાસકારોએ ભારતમાં મુસ્લિમ આક્રમણકારોની ધીમી પ્રગતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, કેમકે વિશ્વના અન્ય ભાગોમાં તેમનો ફેલાવો આ તુલનામાં ખૂબ ઝડપી હતો. હવે એ વિષે અલ્પ શંકા રહી કે ગુર્જર પ્રતિહાર લશ્કરે અસરકારક રીતે આરબ આક્રમણકારોની પ્રગતિને સિંધ ક્ષેત્રમાં જ બાધિત રાખી, જે ૩૦૦ વર્ષમાં તેમની એક માત્ર જીત હતી.  

નો શાસક હતો, કેટલાક સમકાલીન ઇતિહાસકારો તેમને જાટ લોકોના પ્લેટો તરીકે વર્ણવતા. આધુનિક લેખકો તેમના રાજકીય ડહાપણ, સ્થિર બુદ્ધિ અને સ્પષ્ટ દ્રષ્ટિ ને કારણે તેમને જાટ ઓડીસીસયસ  તરીકે વર્ણાવે છે. 
 પરંપરાગત રીતે રાજપૂતો, ગુર્જરો, જાટ, મીણા, ભીલો, રાજપુરોહીતો, ચારણો, યાદવો, બિશ્નોઇઓ, મેઘવાળો, સેરમલ, રાજપૂત માળીઓ ( સૈનીઓ ) અને અન્ય જાતિઓએ રાજસ્થાન રાજ્યની રચનામાં મહાન ફાળો આપ્યો હતો. આ બધી જાતિઓને તેમની સંસ્કૃતિ અને જમીનના રક્ષણ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની ભૂમિને બચાવવા માટે હજારો લોકો માર્યા ગયા હતા. 

પૃથ્વીરાજ ચૌહાણે ઈ.સ. ૧૧૯૧ માં તરાઈ પ્રથમ યુદ્ધમાં આક્રમણકારી મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. ઈ.સ. ૧૧૯૨માં, મુહમ્મદ ઘોરીએ તરાઈને બીજા અને નિર્ણયાત્મક યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને રીતે હરાવ્યો હતો. ઈ.સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી, રાજસ્થાનનો એક ભાગ મુસ્લિમ શાસન હેઠળ આવ્યો હતો. નાગૌર અને અજમેર તેમની સત્તાના પ્રમુખ કેન્દ્રો હતા. રણાથંભોર પણ તેમની આધિપત્ય હેઠળ હતું. ૧૩મી સદીની શરૂઆતમાં, રાજસ્થાનના રજવાડાઓમાં સૌથી પ્રખ્યાત અને શક્તિશાળી રાજ્ય મેવાડ હતું. રજપૂતોએ ભારતમાં મુસ્લિમ આક્રમણનો પ્રતિકાર કર્યો હતો, જો આગળ જતાં ઘણા રાજપૂત સામ્રાજ્યો આખરે દિલ્હી સલ્તનતના ખંડિયા બન્યા હતા. 

રાજપૂતોએ ઇસ્લામિક આક્રમણને સદીઓથી તેમના યુદ્ધ અને દુશ્મનાવટને જીવંત રાખી પ્રતિકાર કર્યો. મેવાડના રાજાઓએ અન્ય રાજ્યોને એકત્રિત કરી પરદેશી આક્રમણો સામેના રતિકારની આગેવાની લીધી હતી. રાણા હમીર સિંઘે તુગલક રાજવંશને હરાવી રાજસ્થાનનો એક મોટો ભાગ પાછો મેળવ્યો. અજેય રાણા કુંભાએ માલવા અને ગુજરાતના સુલ્તાનને હરાવ્યા અને મેવાડાને ભારતનું સૌથી શક્તિશાળી રાજપૂત સામ્રાજ્ય બનાવ્યું. મહત્વાકાંક્ષી રાણા સાંગાએ વિવિધ રાજપૂત કુળોને એકઠા કર્યા અને ભારતમાં વિદેશી સત્તા સામે લડ્યા. રાણા સંગાએ દિલ્હીના અફઘાન લોદી સામ્રાજ્યને હરાવ્યું અને માલવા અને ગુજરાતના તુર્કી સલ્તનતોને કચરી નાખી. ત્યાર પછી રાણા સાંગા ભારતીય સામ્રાજ્ય બનાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રથમ મોગલ સમ્રાટ બાબર સામેના ખનુઆની લડાઈમાં તેનો પરાજય થયો. રાઈસેનના તોમર રાજા સિલહાદીએ દગો કર્યો જેથી રાણા સાંગાનો પરાજય થયો. રાણા સંગાના મૃત્યુ પછી મોગલ સામ્રાજ્યના ઝડપી વિસ્તરણને રોકી રાખનાર કરનાર કોઈ પણ નહોતું.  

ઈ.સ. ૧૫૦૧માં હિંદુ શાસક હેમચંદ્ર વિક્રમાદિત્યનો જન્મ અલવર જિલ્લાના માછેરી ગામમાં થયો હતો. તેમણે રાજસ્થાનના અજમેર અને અલવર રાજ્યો સહિત સામે પંજાબ થી બંગાળ સુધી અફઘાનો વિરુદ્ધ ૨૨ લડાઇઓ જીતી હતી. તેમણે ઈ.સ. ૧૫૫૬માં આગરા અને દિલ્હીમાં ખાતે અકબરના દળોને બે વાર હરાવ્યા હતા અને ત્યાર બાદ ટૂંક સમય માટે દીલ્હીના પુરાના કિલ્લા ખાતે ટૂંક સમય ઉત્તર ભારતમાં હિન્દૂ રાજની સ્થાપના કરીહતી. ૫ નવેમ્બર ૧૧૫૬ ના રોજ મોગલો સામે લડતા પાણીપતના બીજી યુદ્ધમાં હેમચંદ્ર શહીદ થયા. 

અકબરના શાસન દરમિયાન મોટાભાગના રાજપૂત રાજાઓએ મોગલનું આધિપત્ય સ્વીકાર્યું હતું, પરંતુ મેવાડ (રાણા ઉદય સિંહ - ૨ ) અને મારવાડ ( રાઓ ચંદ્રેસેન રાઠોડ ) ના શાસકોએ મોગલો સાથે કોઅઈપણ જોડાણ કે સંધિ નકારી હતી. રાજપુતોને પાઠ ભણાવવા માટે અકબરે ઉદયસિંહ પર હુમલો કર્યો અને ચિત્તોડના રજપૂત સેનાપતિ જયમલ અને મેવાડના નાગરિકોનો મોટી સંખ્યામાં વધ કર્યો. ચિત્તોડમાં અકબરે ૨૦ થી ૨૫,૦૦૦ નિઃશસ્ત્ર નાગરિકોની હત્યા કરી હતી જેના પરિણામે લોકોએ તેની વિરુદ્ધ પ્રતિકારમાં રાજાને સક્રિયપણે મદદ કરી હતી.  

મહારાણા પ્રતાપે ચિત્તોડના નાગરિકોનો બદલો લેવા માટે સોગંદ લીધા અને તેમના મૃત્યુ પર્યંત મોગલ સામ્રાજ્યને સામે લડત ચાલુ રાખી હતી અને ચિત્તોડ સિવાયના મોટાભાગના મેવાડબે મોગલ સાશનમાંથી મુક્ત કર્યો હતો . મહારાણા પ્રતાપ ટૂંક સમયમાં રાજસ્થાનના સૌથી પ્રખ્યાત યોદ્ધા બન્યા અને તે તેમના યુદ્ધ અને ઉમદા કાર્યો માટે ભારતભરમાં જાણીતા બન્યા. સતીષચંદ્રના અનુસાર રાણા પ્રતાપનું જીવન નિર્દય મોગલ સામ્રાજ્યના સામે , લગભગ એકલા અને અન્ય રાજપૂત રાજ્યો ની મદદ વગર, રાજપૂત બહાદુરી અને મૂલ્યવાન સિદ્ધાંતો માટે સ્વ-બલિદાનની ભવ્ય ગૌરવશાળી ગાથા છે. રાણા પ્રતાપની લડાયક લડાઇના પદ્ધતિઓને પાછળથી દખ્ખણી સેનાપતિ મલિક અંબર, અને શિવાજી દ્વારા વિસ્તૃત કરવામાં આવી હતી.   

રાણા અમર સિંઘ-૧ એ મોગલ રાજા જહાંગીરની સામે તેમના પૂર્વજોની લડાઇ ચાલુ રાખી, તેણે દેવરમાં મુગલ સૈન્યને પાછી ઠેલી. ત્યારબાદ રાજકુમાર ખુર્રમના નેતૃત્વ હેઠળ મેવાડ પર ફરી એક ચડાઈ મોકલવામાં આવી, જેના કારણે મેવાડના જીવન અને સંપત્તિને ભારે નુકસાન થયું. ઘણાં મંદિરોનો નાશ કરવામાં આવ્યો, ઘણા ગામડાઓને બાળી નાખવામાં આવ્યા અને અમર સિંહને શરણાગતિ સ્વીકારાવવા માટે મહિલાઓ અને બાળકોને પકડીને બંદી બનાવી રંજાડવામાં આવ્યા.  

ઔરંગઝેબ શાસન દરમ્યાન, તેના અસહિષ્ણુતા સામે રાણા રાજ સિંહ ૧ અને વીર દુર્ગદાસ રાઠોડ પ્રમુખ વિરોધીઓ હતા. તેઓએ અરવલ્લી પર્વતોનો લાભ લઈ રાજસ્થાન કબજે કરવાનો પ્રયાસ કરનારા મોગલ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું.  

ઔરંગઝેબના મૃત્યુ બાદ બહાદુર શાહે ૧ એ રાજસ્થાનને તેના પૂર્વજોની જેમ હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે અમ્બર, ઉદયપુર અને જોધપુરના ત્રણ રાજપૂત રાજાઓએ મોગલોનો સંયુક્ત પ્રતિકાર કર્યો ત્યારે બહાદુર શાહ-૧ ને પીછેહઠ કરવી પડી. રાજપૂતોએ સૌપ્રથમ જોધપુર અને બાયનાના મોગલ સુબાઓને કાઢી મૂક્યા હતા અને રાતના હુમલાથી આમેર હસ્તગત કર્યો. ત્યારબાદ તેઓએ મેવાતના સુબા સૈયદ હુસૈન ખાન બરહા અને અન્ય ઘણા મોગલ અધિકારીઓને મારી નાખ્યા. તે સમયે દખ્ખણ ગયેલા બહાદુર શાહ પહેલાને રાજપૂતો સાથે સંધિ કરવાની ફરજ પડી હતી.  સુરજ મલના નેતૃત્વ હેઠળા જાટોએ મોગલ લશ્કરને આગરામાં કચરી દીધું અને તેમની સાથે તાજ મહેલમાં પ્રવેશ કરાવતા બે મહાન ચાંદીના પ્રખ્યાત દરવાજા લઈ ગયા. પાછળથી ૧૭૬૩માં સુરજમલે તેને ઓગાળાવી દીધા હતા. 

ત્યાર બાદના વર્ષોમાં, મોગલોમાં આંતરિક વિવાદો થવા લાગ્યા, જેને લીધે તેઓ મોટે ભાગે વિખવાદમાં રહેતા. મોગલ સામ્રાજ્ય નબળુ પડવા લાગ્યું, અને ૧૮ મી સદીના અંતમાં મુગલ સામ્રાજ્યના પતન સાથે, રાજપૂતાના મરાઠાના સામ્રાજ્યના પ્રભાવ હેઠળ આવ્યું. ભારતીય મહાદ્વીપના સત્તાધીશ તરીકે મોગલ સામ્રાજ્યનું સ્થાન મરાઠા સામ્રાજ્યે લીધું અને તેને અંતે ૧૮૧૮ માં સત્તા બ્રિટીશ સામ્રાજ્યના હાથમાં ગઈ. 

૧૯મી સદીમાં સતત યુદ્ધો પછી અને મરાઠા સામ્રાજ્ય દ્વારા લાદવામાં આવતી ભારે ખંડણીને કારણે તેમને માનવશક્તિ અને આર્થિક સંપત્તિમાં ઓટ આવી અને રજપૂત સામ્રાજ્યોનો અંત આવ્યો. અસ્થિરતા, બળવાખોરો અને બહારવટેયાના ત્રાસથી તેમના સામ્રાજ્યને બચાવવા માટે, રાજપૂત રાજાઓએ ૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશરાજ સાથે સંધિઓ કરી, આંતરિક સ્વાયત્તતાની બદલામાં બ્રિટીશ આધિપત્ય સ્વીકાર્યું. 

આધુનિક રાજસ્થાનમાં રાજપૂતાનાના મોટાભાગનો સમાવેશ થાય છે, જેમાં અગાઉના 19 રજવાડાઓ, બે મુખ્ય શાસકો અને અજમેર-મેરવાડનો બ્રિટીશ જિલ્લાનો સમાવેશ થાય છે. જેસલમેર, મારવાડ (જોધપુર), બિકાનેર, મેવાડ (ચિત્તોડગઢ), અલવર અને ધુંધર (જયપુર)એ મુખ્ય રાજપૂત રજવાડાઓ હતા. ભરતપુર અને ધોલપુર જાટ રજવાડાઓ હતા જ્યારે ટોંક એક મુસ્લિમ નવાબ હેઠળ રજવાડું હતું.  થારનું રણ અને અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ભૌગોલિક વિશેષતાઓ છે. અરવલ્લી પર્વામાળા રાજ્યના નૈઋત્યથી ઈશાનમાં લગભગ એક છેડાથી બીજા છેડા સુધી ૮૫૦ કિમી જેટલી લંબાઈમાં પથરાયેલી છે. માઉન્ટ આબુ અરવલ્લી પર્વતશ્રેણીનાવાયવ્ય ખૂણે આવેલું છે, પશ્ચિમબનાસ નદીને કારણે માઉન્ટ આબુ અરવલ્લીની મુખ્ય પર્વતમાળાથી જુદું પડે છે. આ પર્વતની ખંડિત શિખર શ્રેણીઓ દિલ્હીની દિશામાં હરિયાણામાં પણ ફેલાયલી દેખાય છે, જ્યાં તે રાઈસીના ટેકરીઓ અને અન્ય ટેકરીઓ સ્વરૂપે ફરી ઉત્તર દિશામાં જોવા મળે છે. રાજસ્થાનનો લગભગ ત્રણ-પંચમાંશ ભાગ અરવલ્લીની વાયવ્ય તરફ ફેલાયેલું છે અને બાકીનું બે-પંચમાંશભાગ પૂર્વ અને દક્ષિણ દિશામાં વસેલું છે.  

રાજસ્થાનનો વાયવ્ય ભાગ સામાન્ય રીતે રેતાળ અને સુષ્ક છે. આ પ્રદેશનો મોટો ભાગ થારના રણ દ્વારા આચ્છાદિત છે તેનો અમુક ભાગ પાકિસ્તાનમાં પણ ફેલાયેલો છે. અરવલ્લી પર્વતમાળા અરબી સમુદ્રથી આવતા ભેજવાળા નૈઋત્યના મોસમી પવનને અટકાવે છે, કારણ કે તે આવતા ચોમાસી પવનોની પવનની સમાંતર દિશામાં ફેલાયેલી છે. આને કારણે વાયવ્ય પ્રદેશ વર્ષા છાયા ક્ષેત્ર બની જાય છે. થારનું રણ ઓછી ધરાવે છે; જોધપુર રણમાં સૌથી મોટું શહેર છે અને થાર રણના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. આ રણમાં જોધપુર, જેસલમેર, બારમેર, બિકાનેર અને નાગોર જેવા કેટલાક મુખ્ય જિલ્લા છે. સંરક્ષણની દ્રષ્ટિએ આ ક્ષેત્ર મહર્ર્વનું છે. જોધપુરએ ભારતની સૌથી હવાઈ છાવણી છે. આ સાથે અહીં સ્થળ સેના અને સીમા સુરક્ષા દળની છાવણીઓ છે. જોધપુરમાં સિંગલ સિવિલ એરપોર્ટ પણ આવેલું છે. થારના રણાઅસપાસ, રણ અને અરવલ્લીની વચ્ચેના પટ્ટામાં, વાયવ્યના કાંટા ઝાંખરાના જંગલો આવેલા છે. આ પ્રદેશ 400 થી ઓછા મેળવે છે   આ ક્ષેત્ર વર્ષમાં સરેરાશ ૪૦૦ મિમી કરતાં પણ ઓછો મેળવે છે અને ઉનાળામાં તાપમાન કેટલીકવાર ૫૪ °સે (૧૨૯°ફે) કરતા વધી શકે છે  શિયાળામાં તાપમાન ઠારબિંદુ કરતાં પણ નીચે જાય છે. 

જોધપુર શહેર સાથે ગોદ્વાર, મારવાડ અને શેખાવટી પ્રદેશ કાંટા ઝાંખરાના જંગલો ના વિસ્તારમાં આવેલા છે. લુણી નદી અને તેની ઉપનદીઓ એ ગોદવાડ અને મારવાડ પ્રદેશની મુખ્ય નદી પ્રણાલી છે, જે અરવલ્લીની પશ્ચિમી ઢોળાવથી વહી અને પડોશી ગુજરાત રાજ્યના કચ્છના મોટા રણમાં ઠલવાય છે. આ નદી તેની નીચલી પહોંચમાં ખારી બને છે અને બારમેડ જિલ્લામાં ફક્ત બલોતરા સુધી જ પીવાલાયક રહે છે. હરિયાણામાંથી ઉદ્ભતી ઘાગર નદી એક આંતરિક પ્રવાહ છે જે રાજ્યના ઉત્તરીય ખૂણામાં થાર રણની રેતીમાં અદૃશ્ય થઈ જાય છે અને પ્રાચીન સરસ્વતી નદીના અવશેષ તરીકે જોવામાં આવે છે. 

અરવલ્લી પર્વતમાળા અને તેની પૂર્વ તથા દક્ષિણપૂર્વ ક્ષેત્રની જમીન વધુ ફળદ્રુપ અને સિંચાઈ ધરાવે છે. આ પ્રદેશ કાઠિયાવાડ-ગીરના સૂકા પાનખર જંગલો જેવું પર્યાવરણ ધરવે છે, તે સાથી અહીં ઉષ્ણકટીબંધીય સૂકા પહોળા પાંદળા ધરાવતા વૃસોના જંગલો પણ છે જેમાં સાગ, બાવળ અને અન્ય વૃક્ષો ઉગે છે. દક્ષિણ રાજસ્થાનમાં ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલો પર્વતીય પ્રદેશ વાગડ અરીકે ઓળખાય છે, અહીં ડુંગરપુર અને બંસવાડા શહેરો આવેલા છે. માઉન્ટ અબુને બાદ કરતા, વાગડ રાજસ્થાનનું સૌથી વર્ષા મેળવતો પ્રદેશ છે, અને અહીં ઘાઢ જંગલો આવેલા છે. ઉત્તર વાગડ ક્ષેત્ર મેવાડ વિસ્તારમાં આવે છે; અહીં ઉદયપુર અને ચિત્તોડગઢ જેવા શહેરો આવેલાં છે. મધ્ય પ્રદેશ સાથે સરહદ પર, અગ્નિ દિશામાં હડોતી પ્રદેશ આવેલો છે. ઉત્તર હડોતી અને અને મેવાડનો ઉત્તર ક્ષેત્ર ધૂંધર પ્રદેશ પણ કહેવાય છે, રાજસ્થનની રાજધાની જયપુર આ ક્ષેત્રમાં આવે છે. રાજસ્થાનનો સૌથી પૂર્વીય વિસ્તાર, મેવાત તરીકે ઓળખાય છે; તેની સીમા હરિયાણા અને ઉત્તર પ્રદેશને સ્પર્ષે છે. પૂર્વીય અને દક્ષિણપૂર્વીય રાજસ્થાનમાં બનાસ અને ચંબલ નામની ગંગાના ઉપનદીઓ વહે છે. 

અરવલ્લી પર્વતમાળા આ રાજ્યની વાયવ્યમાં આવેલા ગુરૂ શિખર (માઉન્ટ આ, ઊંચાઈ ૧૭૧૧ મીટર, ૫૬૫૦ ફૂટ) થી ઈશાનમાં ખેત્રી સુધી ફેલાયેલી છે. આ પર્વતમાળા રાજસ્થાનને બે ભાગમાં વહેંચે છે; રાજ્યનો ૬૦% ભાગ વાયવ્યમાં અને ૪૦% અગ્નિ દિશામાં વહેંચાઈ જાય છે. ઉત્તરપશ્ચિમ ભાગ રેતાળ અને અલ્પ પાણી ધરાવતો અને બિનઉત્પાદક છે પરંતુ પશ્ચિમથી અને ઉત્તર તરફ જતાં તે ફળદ્રુપ અને પૂર્વ તર્ફ તે વસવાટ લાયક બને છે. આ ૬૦% વિસ્તારમાં થરના રણનો સમાવેશ થાય છે. દક્ષિણ-પૂર્વીય વિસ્તાર ( દરિયાઈ સપાટીથી ૧00 થી ૩૫૦ મીટર ઉપર) વધુ ફળદ્રુપ, ખૂબ વૈવિધ્યસભર છે. તેની દક્ષિણમાં મેવાડનો પર્વતીય પ્રદેશ આવેલો છે. દક્ષિણપૂર્વમાં, કોટા અને બુંદી જિલ્લાઓ ઉચ્ચપ્રદેશ આવેલો છે. ચંબલ નદીની આસપસાર ઉત્તરપૂર્વમાં એક નિર્જન ભૂમિ પ્રદેશ આવેલો છે. ઉત્તરમાં તરફ જતાં જમીન સપાટ થતી જાય છે. ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં ભરતપુર જીલ્લો સપાટ મેદાન એ કાંપવાળી ફલદ્રુપ ક્ષેત્રનો ભાગ છે. રાજસ્થાનના ભૌગોલિક કેન્દ્રમાં મેડતા શહેર આવેલું છે.

અહીં કુલ વિસ્તારનો મોટો ભાગ રણ પ્રદેશ છે, તેમ છતાં પણ રાજસ્થાન સમૃદ્ધ અને વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ધરાવે છે. અહીંની કુદરતી વનસ્પતિને ઉત્તરીય કાંટાણા રણ જંગલો (ચેમ્પિયન ૧૯૩૬) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ વનસ્પતિઓ નાના ગુચ્છોમાં ખુલ્લા સ્વરૂપે ફેલાયેલીજોવા મળે છે. પૂર્વતરફ જતાં વરસાદમાં વધારો થવાથી તેની ઘનતા અને કદ વધે છે. 

જેસલમેરનું રણ રાષ્ટ્રીય ઉદ્યાન (ડીઝર્ટ નેશનલ પાર્ક)  વિસ્તારમાં ફેલાયલું છે , થાર ડિઝર્ટ તેના વિવિધ પ્રાણીઓના નિવસન તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. આ પાર્કમાં મળેલા શંખલા અને વૃક્ષના ટુકડાઓના જીવાશ્મ રણના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસને દર્શાવે છે. આ પ્રદેશ રણના સ્થળાંતર કરનારા અને રણ નિવાસી પક્ષીઓ માટે એક આદર્શ આશ્રયસ્થાન છે. અહીં ઘણી જાતિના ગરુડ, પટ્ટાઈ (હેરિયર્સ), બાજ, બઝાર્ડ, કેસ્ટ્રેલ અને ગીધ જોઈ શકાય છે . ટૂંકા-પંજા ધરાવતી સર્પ સમડીઓ (Circaetus gallicus), પિંગટ ગરૂડ (Aquila Rapax), ટીપકીઓ ધરાવતા ગરુડ (Aquila clanga), લેગર બાજ (Falco jugger) અને ;લઘુ બાજ (kestrels) જોવા મળે છે. 

સવાઇ માધવપુરમાં આવેલ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, દેશનું જાણીતું વાઘ અભયારણ્યના છે, 1973 માં તે પ્રોજેક્ટ ટાઇગરનો એક ભાગ બન્યો. 

જુનજુનુ જિલ્લામાં આવેલી ધોશી ટેકરી ચ્યવન ઋષિના અશ્રમ તરીકે જાણીતી છે અહીં ચ્યવનપ્રાશની પ્રથમ વખત રચના કરવામાં આવી હતી, આજે અહીં વધતી અનન્ય અને અલભ્ય જડેબુટીઓ ઉગાડવામાં આવે છે. 

અલવર જિલ્લામાં સરિસ્કા વાઘ અભયારણ્ય, આવેલું છે. તે ૮૦૦ ચો. કિમી ક્ષેત્રફળ ધરાવે છે. આ સ્થળ દિલ્હીથી ૨૦૦ કિમી જયપુરથી આશરે ૧૨૦કિમી દૂર આવેલું છે. આ વિસ્તારને ૧૯૭૯ માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો હતો. 

તાલ છપ્પર અભયારણ્યએ ચુરુ જીલ્લાના  સુજાંગઢમાં આવેલું એક નાનું અભયારણ્ય છે તે શેખવાટી પ્રદેશમાં આવેલા જયપુરથી ૨૧૦ કિમી દૂર આવેલું છે. આ અભયારણ્ય કાળિયાર મોટી વસતી ધરાવે છે. અહીં રણના શિયાળ અને હેણોતરો, નિવસનના સર્વોચ્ચ શિકારીઓ છે. તેને રણના લિનક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે અહીં પાર્ટ્રિજ, પટ્ટાઈ, ઇસ્ટર્ન ઇમ્પિરિયલ ઇગલ, ઉજળી પટ્ટાઈ, માર્શ હેરિયર, શોર્ટ-ટુડ ઇગલ, ટ્વેની ઇગલ, સ્પેરો હૉક, ક્રેસ્ટ્ડ લાર્ક, ડેમોઇઝેલ કરકરો, સ્કાયલાર્કસ, ગ્રીન બી-ઈટર, બ્રાઉન ડવ, બ્લેક આઇબિસ અને સેન્ડ ગ્રૂસ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે.  સ્થાનિક લોકોમાં ગોડવન તરીકે ઓળખાતું ઘોરાડ અહીંનું રાજ્ય પક્ષી છે, ૨૦૧૧ થી તેને અતિશય ભયગ્રસ્ત પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.  

રાજસ્થાન તેના રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યપ્રાણી અભયારણ્યો માટે પણ જાણીતું છે. ત્યાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્ય છે : કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ( ભરતપુર), સરિસ્કા ટાઇગર રિઝર્વ (અલવર), રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (સવાઈ માધોપુર), અને ડેઝર્ટ નેશનલ પાર્ક (જેસલમેર) છે. જોધપુરમાં શુષ્ક જંગલ સંશોધન સંસ્થા (એરીડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - એ. એફ. આર. આઈ.) નામની રાષ્ટ્રીય કક્ષાની વન મંત્રાલયની એક સ્વાયત સંસ્થા આવેલી છે. આ સંસ્થા રણ વનસ્પતિ અને તેમના સંવર્ધન ક્ષેત્રમાં સતત કામ કરે છે. 

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, સવાઈ માધોપુર રેલ્વે સ્ટેશનથી ૭ કિ.મી. દૂર આવેલું છે. તે વાઘની વસ્તી માટે વિશ્વભરમાં જાણીતું છે. જંગલીના પ્રેમીઓ અને ફોટોગ્રાફરો બંને દ્વારા વાઘને જોવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન ગણવામાં આવે છે. એક તબક્કે, શિકાર અને બેદરકારીને લીધે, સરિસ્કામાં વાઘ લુપ્ત થઈ ગયા હતા, હવે પાંચ વાઘને ત્યાં પુન: વસાવવામાં આવ્યા છે.  માઉન્ટ આબુ અભ્યારણ્ય, ભેંશ્રોદ ગઢ અભયારણ્ય, દર્રાહ અભ્યારણ્ય, જયસમંદ અભયારણ્ય, કુંભલગગઢ વન્યપ્રાણી અભયારણ્ય, જવાહર સાગર અભયારણ્ય અને સીતા માતા વન્યપ્રાણી અભયારણ્ય એ અહીંના પ્રાણી અભયારણ્ય છે.

રાજસ્થાનમાં એરટેલ, ડેટા ઈન્ફોસીસ લિમિટેડ, રિલાયન્સ લિમિટેડ, જિઓ, રેઇલટેલ, સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઑફ ઇન્ડિયા (એસ. ટી. પી. આઈ.), ટાટા ટેલિકોમ અને વોડાફોન સહિતની મોટી આઇ. એસ. પી. અને ટેલિકોમ કંપનીઓ સેવાઓ આપે છે. ડેટા ઈન્ફોસિસ એપ્રિલ ૧૯૯૯ માં રાજસ્થાનમાં ઇન્ટરનેટ લાવનાર પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર  (આઈ. એસ. પી) હતી અને ઓ. એ. એસ. આઈ. એસ. (ઓયાસીસ) પ્રથમ ખાનગી મોબાઇલ ટેલિફોન કંપની હતી. 

રાજસ્થાનના રાજકારણમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વર્ચસ્વ છે. 

રાજસ્થાનના ૩૩ જિલ્લાઓને સાત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે 

રાજસ્થાનની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ અને પશુપાલન આધારિત છે. અહીં મોટા વિસ્તારોમાં ઘઉં અને જવનું વાવેતર થાય છે તે સાથે કઠોળ, શેરડી અને તેલીબિયાં જેવા પાકો પણ લેવાય છે. કપાસ અને તમાકુ એ આ રાજ્યના રોકડિયા પાક છે. રાજસ્થાન ભારતમાં ખાદ્યતેલોના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક છે અને તેલીબિયાંના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમાંકે આવે છે. રાજસ્થાન ભારતમાં સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય છે. આ સાથે તે દેશમાં અફીણનો સૌથી ઉત્પાદન અને ગ્રાહક છે. અહીં પાકની મુખ્યત્વે ઋતુઓ છે. સિંચાઇ માટેનું પાણી કુવાઓ અને તળાવોમાંથી આવે છે. ઈન્દિરા ગાંધી નહેર ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સિંચાઈ પૂરી પાડે કરે છે. 

અહીંના મુખ્ય ઉદ્યોગો ખનિજ આધારિત, કૃષિ આધારિત અને કાપડ આધારિત છે. રાજસ્થાન ભારતમાં પોલિએસ્ટર ફાઇબરનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. દક્ષિણ રાજસ્થાનના કોટા શહેરમાં અનેક અગ્રણી રાસાયણિક અને ઇજનેરી કંપનીઓ આવેલી છે. રાજસ્થાનમાં ખાણકામ પન મહત્ત્વનો ઉપયોગ છે. તાજમહેલ જે સફેદ આરસથી બનાવવામાં આવ્યો હતો તે રાજસ્થાનના મકરાણા નામના એક શહેરથી કાઢવામાં આવ્યો હતો . આ રાજ્ય ભારતમાં સિમેન્ટનો બીજો સૌથી મોટો સ્રોત છે. આ રાજ્યના સંભારમાં મીઠાના વિપુલ ભંડાર છે. ખેત્રી, ઝુનઝુનુ માં તાંબાની તથા તારીબા, ઝવાર અને ભિલવાડા નજીક રામપુરા અગુચા (ખુલ્લી) ખાતેની ઝીંકની ખાણો આવેલી છે. રાજસ્થાનમાં પરિમાણીય પથ્થરનું ખાણકામ પણ હાથ ધરવામાં આવે છે. જોધપુરના રેતીનો પત્થરો મોટાભાગે ઘણા સ્મારકો, મહત્વપૂર્ણ ઇમારતો અને રહેણાંકોમાં વપરાય છે. આ પથ્થરને ચિત્તર પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. જોધપુર હસ્તકલા અને ગવાર ગમ ઉદ્યોગમાં આગળ છે. રાજસ્થાન એ મુંબઇ-દિલ્હી ઔદ્યોગિક કોરિડોરનો (ડી.એમ.આઇ.સી.)એક ભાગ છે જે રાજ્યને આર્થિક રીતે લાભ પહોંચાડવાની તૈયારીમાં છે. રાજ્યનો ૩૯% ભાગ ડી.એમ.આઇ.સી.નો ફાયદો મેળવશે જેમાં જયપુર, અલવર, કોટા અને ભિલવારા મુખ્ય જિલ્લાઓ છે.  

રાજસ્થાનમાં પણ નિમ્ન-સિલિકા ધરાવતા ચૂનાના પત્થરોનો ભંડાર છે.  

રાજસ્થાન ભારતમાં જવ, રાઈ, બાજરી, ધાણા, મેથી અને ગુવારનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. રાજસ્થાનમાં વિશ્વની ૭૨% થી વધુ ગવાર અને ભારતના ૬૦% જવનું ઉત્પાદન કરે છે. રાજસ્થાન એલોવેરા, આમલા, નારંગી નો મુખ્ય ઉત્પાદ્ક છે આ તે સાથે મકાઈ, મગફળીના ઉત્પાદનમાં અગ્રણી ઉત્પાદક છે. રાજસ્થાન સરકારે ઇઝરાયેલના તકનીકી સહયોગથી અહીં ઓલિવ (જૈતૂન)ની ખેતી શરૂ કરી. રાજ્યમાં હાલમાં ઓલિવનું ઉત્પાદન વાર્ષિક ૧૦૦-૧૧૦ ટન જેટલું થાય છે. રાજસ્થાન ભારતનું બીજું સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ છે. રાજસ્થાનમાં ૧૩૮૦૦ સહકારી દુગ્ઘ મંડળીઓ છે. 

રાજસ્થાન દેશ સાથે ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા જોડાયેલું છે. તેમાં સૌથી વધુ પ્રખ્યાત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ છે, જે ભારતનો પહેલો ૪-૮ માર્ગિકાઓ ધરાવતો (લેન) હાઇ-વે છે.  રાજસ્થાનમાં રેલ્વે અને બસ એમ બંનેની સ્વરૂપની આંતર-શહેર પરિવહન પ્રણાલી છે. બધા મુખ્ય શહેરો હવા, રેલ્વે અને સડક માર્ગ દ્વારા જોડાયેલા છે. 

રાજસ્થાનમાં છ મુખ્ય હવાઇમથકો છે - જયપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક, જોધપુર એરપોર્ટ, ઉદયપુર એરપોર્ટ અને તાજેતરમાં અજમેર એરપોર્ટ, બિકાનેર એરપોર્ટ અને જેસલમેર એરપોર્ટ શરૂ થયા છે. આ એરપોર્ટ રાજસ્થાનને ભારતના મોટા શહેરો જેવા કે દિલ્હી અને મુંબઇ સાથે જોડે છે. કોટામાં બીજું એક વિમાનમથક છે પરંતુ તે હજી વ્યાપારી/નાગરિક ઉડ્ડયન માટે ખુલ્લું નથી. 

રાજસ્થાન રેલ્વે દ્વારા ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.  જયપુર, કોટા, અજમેર, જોધપુર, ભરતપુર, બીકાનેર, અલવર, આબુ રોડ અને ઉદેપુર રાજસ્થાનના મુખ્ય રેલ્વે સ્ટેશન છે. કોટા શહેર વિદ્યુતીકૃત રેલ્વે લાઈન ધરાવે છે જ્યાંથી ત્રણ રાજધાની ટ્રેનો પસાર થાય છે. થાર એક્સપ્રેસ નામની એક આંતરરાષ્ટ્રીય રેલ્વે જોધપુર થી કરાચી (પાકિસ્તાન) સુધી ચાલે છે. જો કે, આ વિદેશી નાગરિકો માટે ખુલી નથી. 

રાજસ્થાન તેમજ દેશના દિલ્હી, અમદાવાદ અને ઇન્દોર જેવા મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલા છે અહીંની રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (RSRTC) સરકારી બસ સેવા પૂરી પાડે છે 




#Article 85: ચંદ્રકાંત બક્ષી (476 words)


ચંદ્રકાંત કેશવલાલ બક્ષી (૨૦ ઓગસ્ટ, ૧૯૩૨-૨૫ માર્ચ, ૨૦૦૬) આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા.

ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍(હવે બનાસકાંઠા જિલ્લામાં) ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા.

કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા.

૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. ૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.

તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા.

તેમના લગ્ન બકુલા સાથે થયા હતા (અવસાન: ૨૦૦૨). તેમના પુત્રી રીવા હાલમાં અમદાવાદ ખાતે પોતાના દત્તક પુત્ર સાથે રહે છે.

તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદો તૈયાર નહોતો કરતા. તેમનાં લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ રહેતું. તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલી ભર્યું જીવન જીવતા દર્શાવાયા છે. તેમણે ઐતહાસિક નવલકથાઓ અતીતવન અને અયનવૃત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાશ્વભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું છે. રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પના કારણે પ્રગટ નહોતા કરવામાં આવ્યા.

૧૯૬૮માં પેરેલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ૧૯૮૪માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું, તેમના મત મુજબ આ ઈનામો યુવા લેખકોને આપવા જોઈએ.

ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો. તેમણે આ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધેલા.

તેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત કુમાર માસિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.

ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન વિષય પ્રમાણે નીચે પ્રમાણે છે:




#Article 86: ગણિત (5546 words)


ગણિતશાસ્ત્ર એ જથ્થા (સંખ્યાઓ), માળખાં, અવકાશ અને ફેરફારનો અભ્યાસ છે. ગણિતશાસ્ત્રની ચોક્કસ  વ્યાખ્યા અને તેના વ્યાપ વિષે ગણિતજ્ઞો અને તત્વજ્ઞો જુદા જુદા વિચારો ધરાવે છે.

ગણિતજ્ઞો આસપાસથી સુંદર રચનાઓ ખોળે છે અને તેનો ઉપયોગ નવી ધારણાઓ બનાવવામાં કરે છે. તેઓ ગણિત પર આધારિત સાબિતી વડે આ ધારણાઓનું સત્યાર્થતા નક્કી કરે છે. જ્યારે ગણિતીય માળખાં વાસ્તવિક ઘટનાના બહુ સારા નમૂના હોય ત્યારે, ગણિતીય સમજ આપણને કુદરત વિષે આંતરદૃષ્ટિ અને આગાહીઓ પૂરી પાડે છે. 

અમૂર્ત પ્રુથક્કરણ અને તર્કનો ઉપયોગ કરીને ગણના, ગણત્રી, માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય પડાવો છે. અહીંથી આગળ વિકાસ પામીને, ગણિતશાસ્ત્ર છેક ભૌતિક વસ્તુઓના આકાર અને ગતિઓના પધ્ધતિસરના અભ્યાસનું શાસ્ત્ર બન્યું. ભૂતકાળની જ્યાં સુધીની લેખિત નોંધ અસ્તિત્વમાં છે, ત્યારથી વ્યાવહારિક ગણિત માનવીય પ્રવૃતિનો એક ભાગ જ રહ્યું છે. ગણિતશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે જરુરી શોધ વર્ષો, કે ક્યારેક સદીઓની, સતત જહેમત માગી લે છે.

ગણિતશાસ્ત્ર અંગેની ઉગ્ર દલીલો સહુ પ્રથમ  ગ્રીક ગણિતશાસ્ત્રમાં જોવા મળે છે, તેમાં પણ નોંધપાત્ર રીતે યુક્લિડના એલિમેન્ટસમાં. ગ્યુસેપ પીનો (૧૮૫૮-૧૯૩૨ ), ડેવિડ હિલ્બર્ટ (૧૮૬૨-૧૯૪૩ ) અને બીજા ગણિતજ્ઞોએ ૧૯મી સદીના ઉતરાર્ધમાં, ધારણાત્મક પધ્ધતિ પરનાં શરુઆતનાં પાયાનાં કાર્યો કર્યા. એ સમયથી હવે એ રિવાજ થઈ ગયો છે કે ગણિતના ક્ષેત્રની કોઈ શોધ એટલે, યોગ્ય રીતે પસંદ કરેલાં સ્વયંસિદ્ધ સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ પરથી મહેનત કરીને તારતમ્યો વડે સત્ય પ્રસ્થાપિત કરવું. નવજાગૃતિના સમયખંડસુધી ગણિતના ક્ષેત્રનો વિકાસ પ્રમાણમાં ધીમી ગતિએ થયો. ત્યાર પછીથી નવી વૈજ્ઞાનિક શોધો સાથે સંવાદ સધાતાં થતી ગણિતની શોધની ઝડપની માત્રામાં ત્વરિત વધારો થયો, જે આજ સુધી ચાલુ છે.

ગેલિલિયો  ગેલિલી (૧૫૬૪-૧૬૪૨) એ કહ્યું હતું, જ્યાં સુધી આપણે ભાષા ન શીખીએ અને તેની લિપિમાં વપરાતાં ચિન્હોની ઓળખ ન મેળવીએ, ત્યાં સુધી બ્રહ્માંડને વાંચી ન શકીએ. બ્રહ્માંડ ગણિતની ભાષામાં લખાયેલું છે. ત્રિકોણ, વર્તુળ અને બીજાં ભૌમિતિક ચિત્રો તેના અક્ષરો છે, જેના સિવાય બ્રહ્માંડ વિષે એક પણ શબ્દ સમજવો મણસને માટે અશક્ય છે. એ બધા વિના તો અંધારા ભોંયરામાં અટવાવા જેવું છે.   કાર્લ ફ્રેડરિક ગોસ (૧૭૭૭-૧૮૫૫) ગણિતશાસ્ત્રને, વિજ્ઞાન જગતની રાણી કહ્યું છે.  બેન્જામિન પીર્સે (૧૮૦૯-૧૮૮૦) ગણિતને, “જરુરી તારતમ્યો મેળવનાર વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે.   ડેવિડ હિલ્બર્ટે ગણિત વિષે કહે છે કે,  અહીં આપણે કોઈ રીતના નિયમહીનપણાની વાત ક્યારેય કરતા નથી. ગણિત એ કોઈ એવી રમત નથી કે જેમાં મનસ્વીપણે નિયત કરેલા કાયદા પ્રમાણે તેનાં કામ નક્કી થાય. એ તો આંતરિક જરુરિયાત ધરાવતી એક વિચારપધ્ધતિ છે, જે આવી જ હોઈ શકે અને ક્યારેય કંઈ અલગ નહીં. આલ્બર્ટ આઈન્સ્ટાઈને (૧૮૭૯-૧૯૫૫) કહ્યું છે કે, જ્યાં સુધી ગણિતના નિયમો વાસ્તવિકતા સાથે સંબંધિત છે, ત્યારે તે ચોક્કસ નથી હોતા. અને જ્યાં સુધી તે ચોક્કસ છે, ત્યારે તે વાસ્તવિકતા સંબંધિત નથી હોતા.   ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ક્લેર વોઈઝિને કહ્યું છે, ગણિતશાસ્ત્રમાં એક સર્જનાત્મક ધગશ છે. પોતાને વ્યક્ત કરવાના પ્રયત્નની ચળવળ વિષેનું શાસ્ત્ર છે. 
આખા વિશ્વમાં કુદરતી વિજ્ઞાન, તંત્રવિદ્યા, તબીબી વિદ્યા, નાણાંશાસ્ત્ર અને સમાજવિદ્યા જેવાં ઘણાં  ક્ષેત્રોમાં, ગણિતશાસ્ત્રને એક જરુરી સાધન તરીકે વાપરવામાં આવે છે. ગણિતશાસ્ત્રની એવી શાખા કે જેને બીજાં ક્ષેત્રોમાં ગણિતના જ્ઞાનને વાપરવા સાથે સંબંધ છે, તે પ્રયોજિત ગણિતશાસ્ત્ર તરીકે ઓળખાય છે. તે નવી ગણિતીય શોધોને પ્રેરે છે અને તેનો ઉપયોગ કરે છે. આને કારણે આંકડાશાસ્ત્ર અને ગેઈમ થિયરી જેવી સંપૂર્ણપણે નવી જ ગણિત વિદ્યાશાખાઓનો વિકાસ થયો. ગણિતના જ્ઞાનના કોઈ પણ ઉપયોગોની ચિંતા કર્યા સિવાય પણ ગણિતશાસ્ત્રીઓ શુધ્ધ ગણિતશાસ્ત્રના અભ્યાસમાં ઓતપ્રોત રહે છે એટલે કે ગણિતનો અભ્યાસ તે વિષયના પોતાના આનંદ ખાતર કરે છે. શુધ્ધ ગણિત અને પ્રયોજિત ગણિત વચ્ચે એવી કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી. ઘણી વખત એવું પણ બને છે કે  શુધ્ધ ગણિતનાં જ્ઞાન તરીકે શરુ થયેલા અભ્યાસનો પાછળથી બીજે ઉપયોગો મળે છે. 

બે સફરજન અને બે સંતરા વચ્ચે કંઈક સામ્યતા છે (તેમની સંખ્યા) એ સમજણ માણસની વિચારશક્તિના વિકાસમાં એક હરણફાળ હતી. આ સમજણ વડે માનવ દરેક પ્રશ્નને અલગ અલગ વિચારતો થયો અને દરેક હેતુમાંથી  જરૂરી સંકલ્પનાઓ તારવતો થયો અને આમ ગણિતનો વિકાસ થતો ગયો.

ગણિતશાસ્ત્રની ઉત્ક્રાંતિને આપણે, હંમેશાં વધતાં રહેતાં અમૂર્ત પ્રુથક્કરણની શ્રેણી તરીકે અથવા વિષયવસ્તુનાં વિસ્તરણ તરીકે જોઈ શકીએ.પ્રથમ પ્રુથક્ક્રરણ કદાચ સંખ્યાઓનું હતું, જેમાં પ્રાણીઓ પણ સહભાગી હતાં. દા. ત. એ ખ્યાલ કે બે સફરજનના સમૂહ અને બે નારંગીના  સમૂહ વચ્ચે કંઈક સરખાપણું છે, જે તે બન્નેમાં રહેલી વસ્તુઓનો જથ્થો છે.

ભૌતિક વસ્તુઓની ગણતરી કેમ કરવી તે સમજવા ઉપરાંત, હાડકાં પર મળેલી ગણતરીરેખાઓ વડે સાબિત થાય છે કે ,પ્રાગૈતિહાસિક માનવોએ સમય- દિવસો,  ઋતુઓ, વર્ષો જેવા અમૂર્ત જથ્થા ની ગણતરીની સમજ પણ કેળવી હશે. 

ઈ. સ. પૂર્વે ૩૦૦૦ આસપાસ સુધી વધારે જટિલ ગણિતશાસ્ત્ર અસ્તિત્વમાં નહોતું. એ પછી, બેબિલોન અને ઈજીપ્તના લોકોએ, મહેસુલ અને બીજી નાણાકીય ગણતરીઓ,મકાનોનાં બાંધકામ અને ખગોળશાસ્ત્ર  માટે અંકગણિત, બીજગણિત અને ભૂમિતિનો ઉપયોગ શરુ કર્યો. વ્યાપાર, જમીનની માપણી, ભાતનાં ચિત્રકામ અને વણાટની ગુંથણી અને સમયની નોંધ રાખવા માટે સૌથી વહેલો ગણિતનો ઉપયોગ થયો.

પુરાતત્વશાસ્ત્રની નોંધમાં સૌથી પહેલાં બેબિલોનનાં ગણિતશાસ્ત્રમાં પ્રાથમિક ગણિત (સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર) દેખાય છે. લખાણથી પહેલાં સંખ્યાજ્ઞાન અસ્તિત્વમાં હતું, ઘણી અને જાતજાતની સંખ્યાપધ્ધ્તિઓ  અસ્તિત્વમાં છે. ર્હિન્ડ મેથેમટિકલ પેપિરસ જેવાં મધ્ય રાજ્ય લખાણોમાં ઈજીપ્શિયનોએ, આપણી જાણ મુજબ, સૌ પ્રથમ લખેલી સંખ્યાઓ બનાવી. 

પ્રાચીન ગ્રીક લોકોએ, ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ. સ. પૂર્વે ૩૦૦ ની વચ્ચે ગ્રીક ગણિતશાસ્ત્ર વડે, રીતસરના અભ્યાસ તરીકે ગણિતશાસ્ત્રનો પધ્ધતિસરનો અભ્યાસ  કર્યો. 
એ સમય પછી ગણિતશાસ્ત્ર અતિ વિકસ્યું છે અને વિજ્ઞાન અને ગણિત વચ્ચેનો ફળદાયી સંવાદ સધાયો છે, જે બંને માટે લાભદાયક નીવડ્યો છે. ગણિતીય શોધો આજ સુધી ચાલુ રહી છે.  ‘બુલેટીન ઓફ ધ અમેરિકન મેથેમેટીકલ સોસાયટી’ના જાન્યુઆરી ૨૦૦૬ ના અંકમાં  મિખાઈલ બ. સેવ્ર્યુકના મત મુજબ,  ઈ. સ. ૧૯૪૦માં મેથેમેટીકલ રીવ્યુસના ચાલુ થયાના પ્રથમ વર્ષથી અત્યાર સુધીના મેથેમેટીકલ રીવ્યુસના માહિતિફલક પર ૧૯ લાખથી વધારે પત્રો અને પુસ્તકોનો સમાવેશ થયો છે. દર વર્ષે આ માહિતિફલક પર ૭૫ હજાર વધારે આવાં લખાણોનો ઉમેરો થાય છે.આ મહાસાગરમાંનાં મોટા ભાગનાં કાર્યોની અંદર નવાં ગણિતીય પ્રમેયો અને તેની સાબિતિઓ છે. 

મેથેમેટિક્સ શબ્દ ગ્રીક શબ્દ (mathema) પરથી આવ્યો છે.પ્રાચીન ભાષામાં તેના અર્થ,  જે શીખવામાં આવે છે તે  , જેની કોઈ જાણકારી મેળવે છે તે,અને તેથી અભ્યાસ અને  વિજ્ઞાન થાય છે. આધુનિક ગ્રીક ભાષામાં તેનો અર્થ માત્ર  પાઠ થાય છે. mathema શબ્દ mathaino પરથી આવ્યો છે.જ્યારે, અર્વાચીન ગ્રીક ભાષામાં તેનો સમાનાર્થી શબ્દ mathaino છે.આ બન્નેનો અર્થ શીખવું થાય છે.ગ્રીસમાં, બહુ પ્રાચીન સમયમાં પણ,  મેથેમેટિક્સ શબ્દનો વધારે સાંકડો અને વધારે શાસ્ત્રીય અર્થ  ગણિતનો અભ્યાસ થયો.એનું વિશેષણ(mathēmatikós) છે, જેનો અર્થ થાય છે  જ્ઞાન સંબંધી અથવા અભ્યાસુ. એનો અર્થ આ રીતે જ આગળ ઉપર  ગણિતીય (મેથેમેટિકલ \ mathematical) થયો.ખાસ કરીને, mathēmatikḗ tékhnē), લેટિન ભાષામાં આર્સ મેથેમેટિકા\ ars mathematica શબ્દનો અર્થ  ગણિતીય કળા થયો. 

લગભગ ઈ. સ. ૧૭૦૦ સુધી લેટિન અને અંગ્રેજી ભાષામાં મેથેમેટિક્સ નો સર્વસામાન્ય અર્થ ગણિતશાસ્ત્ર કરતાં,  જ્યોતિષશાસ્ત્ર ( ક્યારેક “ખગોળશાસ્ત્ર ) થતો હતો. આ અર્થ છેવટે ઈ.સ. ૧૫૦૦ થી ઈ. સ. ૧૮૦૦ના સમયથી તેના વર્તમાન અર્થ ના રુપમાં બદલાયો. આન પરિણામે કેટલીક ગેરમાન્યતાઓ થઈ. સેંટ ઓગસ્ટાઈન દ્વાર અપાયેલી ચેતવણી, ખ્રિસ્તી લોકોએ મેથેમેટિકી એટલે કે જ્યોતિષશાસ્ત્રીઓથી ચેતતા રહેવું  એ તો ખાસ કુખ્યાત છે. એને ગણિતશાસ્ત્રીઓને વખોડી કાઢવાની વાત તરીકે ગેરમાન્યતા મળે છે. 

દેખીતી રીતે અંગ્રેજી ભાષામાં બહુવચનનાં રુપનું મૂળ, તેના ફ્રેંચ ભાષાના બહુવચનના રુપ les mathématiques ની જેમ (અને બહુ વપરાતાં, તારેવલ એકવચન la mathématique), છેક લેટિન ભાષાના નાન્યતર બહુવચન mathematica (Cicero )માં છે.એ શબ્દ પોતે પણ ગ્રીક બહુવચન  ta mathēmatiká પર આધારિત છે..એનો ઉપયોગ એરિસ્ટોટલે ( ઈ.સ. પૂર્વે ૩૮૪ - ઈ.સ. પૂર્વે ૩૨૨ ) કર્યો અને તેનો ઉપરછલ્લો અર્થ  ગણિતને લગતું બધું જ  થતો હતો. તેમ છતાં એ તર્કસંગત છે કે અંગ્રેજી ભાષાએ  વિશેષણ mathematic(al) ઉછીનું લીધું અને તેના પરથી, physics અને  metaphysics ની જેમ mathematics એવું એકવચન નામ બનાવ્યું. ફિઝિક્સ અને મેટાફિઝિક્સ ગ્રીક વારસામાં મળેલાં છે. Mathematics  એ નામવાચી શબ્દને  ટૂંકા સ્વરુપે  maths અને ઉત્તર અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષામાં math કહે છે.

પ્રાગૈતિહાસિક માનવને મૂર્ત વસ્તુઓની ગણતરી કરતા આવડવા ઉપરાંત અમૂર્ત વસ્તુઓ જેમ કે સમય -- દિવસો, ઋતુઓ, વર્ષો વગેરેની ગણતરી કરતા પણ આવડતું હતું. ગણતરી કરવાનું આવડવાથી ધીરે ધીરે માનવી અંકગણિત - સરવાળા, બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર - પણ શીખી ગયો. આ સુસ્પષ્ટ છે કે ફક્ત ગણતરી કરવાથી કે સરવાળા બાદબાકી કરવાથી જ ગણિતનો વિકાસ થયો નથી પરંતુ આંકડાઓ અને તેમની કિંમતો સ્પષ્ટ થયા પછી ખરેખરુ ગણિત વિકાસ પામ્યું છે. કદાચ  આપણાં વડવાઓએ કોઇ દિવસ દિવાલ કે લાકડુ ખોતરીને પહેલો આંકડો પાડ્યો હશે. 

ઐતિહાસિક વિગતો પરથી જાણવા મળ્યું છે કે, મુખ્ય ભણવાના વિષયોમાં ગણિતનો પ્રયોગ કરવો પડતો હતો જેમકે વ્યાપાર-વાણીજ્ય, જમીનની માપણી અને ખગોળ શાસ્ત્ર. આ ત્રણેય જરૂરિયાતોને લીધે ગણિતનો વિકાસ થયો જેને મોટા મોટા ત્રણ ભાગમાં વહેંચી શકાય: માળખુ, સ્થાન અને બદલાવ.

ઇ.સ્.પૂર્વે ૧૦૦૦ અને ઇ.સ્. ૧૦૦૦ વચ્ચે લખાયેલાં વિવિધ સંદર્ભોમાં પ્રથમ વખત ભારતતીય ગણિત શાસ્ત્રીઓએ શૂન્ય, બીજ ગણિત, પ્રમેયો (ગણતરી માટેનાં વિવિધ નિયમો), સંખ્યાઓનાં વર્ગમૂળ અને ઘનમૂળ, વિગેરેનો ઉપયોગ કર્યાનાં ઉલ્લેખો છે. જેને વૈદિક ગણિત તરીકે ઓળખવામાં આવે છે, અને આ વૈદિક ગણિત આજે પણ ભારત બહારની ઘણી બધી કોલેજો અને યુનિવર્સિટીઓમાં શિખવવામાં આવે છે.

એરિસ્ટોટલે ગણિતશાસ્ત્રની વ્યાખ્યા,  જથ્થાનું વિજ્ઞાન  તરીકે આપી, જે ૧૮મી સદી સુધી ચાલતી હતી. ૧૯મી સદીની શરુઆતમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ વધારે કઠિન થયો.જેને જથ્થા કે માપણી સાથે કોઈ ચોક્ખો સંબંધ નથી તેવા, સમૂહના સિધ્ધાંતનુ શાસ્ત્ર () અને  પ્રક્ષેપાત્મક ભૂમિતિ  () જેવા અમૂર્ત વિષયો હાથમાં લેવાના શરુ થયા. તે વખતે, ગણિતશાસ્ત્રીઓ અને તત્વવેતાઓએ જુદી જુદી જાતની નવી વ્યાખ્યાઓ સૂચવવાનું શરુ કર્યું આમાંની કેટલીક વ્યાખ્યાઓ ગણિતના તારતમ્ય કાઢવાના લક્ષણ પર ભાર મૂકતી હતી, તો બીજી કેટલીક તેની અમૂર્તતા પર ભાર મૂકતી હતી. તે ઉપરાંત કેટલીક તેની અંદર રહેલા ચોક્કસ વિષયો પર ભાર મૂકતી હતી. આજે, જાણકાર વિદ્વાનોમાં પણ ગણિતની વ્યાખ્યા વિષે સર્વસંમતિ સધાઈ નથી. એટલું જ નહીં, ગણિતશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે કલા છે એ બાબતમાં પણ સર્વસંમતિ સધાઈ નથી. વિદ્વાન ગણિતશાસ્ત્રીઓનો એક મોટો વર્ગ ગણિતની વ્યાખ્યા બાબતમાં રસ લેતો નથી, અથવા એમ માને છે કે તેની વ્યાખ્યા બાધી શકાય તેમ નથી.કેટલાક માત્ર એમ કહે છે, ગણિતશાસ્ત્રીઓ જે કરે છે તેને ગણિતશાસ્ત્ર કહેવાય.

ગણિતશાસ્ત્રની વ્યાખ્યાના ત્રણ મુખ્ય પ્રકારો,  તર્કશાસ્ત્રીય, અંતઃપ્રેરણાકીય અને રુઢિચુસ્ત કહેવાય છે, જે જુદી જુદી તાત્વિક વિચારસરણી દર્શાવે છે. બધી વ્યાખ્યાઓને તેની સમસ્યાઓ છે, કોઈને સર્વવ્યાપી સંમતિ નથી મળી,અને એમાં કોઈ સમાધાન શક્ય નથી દેખાતું. 

તર્કશાસ્ત્રની દૃષ્ટિએ શરુઆતના સમયની ગણિતની વ્યાખ્યા બેંજામિન પિયર્સે, ઈ. સ. ૧૮૭૦ માં, જરુરી તારણો મેળવી આપતું વિજ્ઞાન તરીકે આપી.  પ્રિંસિપા મેથેમેટિકા માં બર્ટ્રાંડ રસેલ અને ઓલ્ફ્રેડ નોર્થ વ્હાઈટહેડે  તર્કવાદ તરીકે જાણીતો  કાર્યક્રમ આગળ વધાર્યો. એમણે એવું સાબિત કરવાના પ્રયત્નો કર્યા કે ગણિતના બધા જ વિચારો, વિધાનો અને સિધ્ધાંતો, સંપૂર્ણપણે સાંકેતિક તર્કશાસ્ત્રથી જ વ્યાખ્યાયિત અને સાબિત થઈ શકે છે.રસેલની ગણિત એટલે માત્ર સાંકેતિક તર્કશાસ્ત્ર (૧૯૦૩), એ ગણિતની તર્કવાદી વ્યાખ્યા છે. 

ગણિતશાસ્ત્રી એલ. ઈ. જે. બ્રાઉવર ના વિચારોમાંથી વિકસેલી અંતઃપ્રેરણાકીય વ્યાખ્યાઓ, ગણિતને ચોક્કસ માનસિક ઘટનાઓ વડે ઓળખાવે છે.અંતઃપ્રેરણાકીય વ્યાખ્યાનો એક દાખલો - ગણિત એક એવી માનસિક પ્રવ્રુતિ છે જેમાં એક પછી એક માળખાંનો અભ્યાસ થાય છે. [31] અંતઃપ્રેરણાવાદની વિચિત્રતા એ છે કે, બીજી વ્યાખ્યાઓ પ્રમાણે જે ગણિતીય વિચારોને સ્વીક્રુત ગણવામાં આવે છે, તેને એ નકારી કાઢે છે. ગણિતનાં  બીજાં તત્વશાસ્ત્રો, એવા સિધ્ધાંતોને ગણિતમાં શામેલ કરે છે કે જેનું અસ્તિત્વ સાબિત કરી શકાય છે, ભલે તેને ઘડી શકાતા ન હોય.જ્યારે અંત;પ્રેરણાવાદ ફક્ત એવા જ ગણિતીય સિધ્ધાંતોને શામેલ કરે છે જેને ઘડી શકાય છે.

રુઢિચુસ્ત વ્યાખ્યાઓ ગણિતને તેના સંકેતો અને તેના પર કાર્ય કરવાના નિયમોથી ઓળખાવે છે. હસ્કેલ કરી એ પ્રણાલિકા પર આધારિત માળખાંનું વિજ્ઞાન જેવી સીધી સાદી વ્યાખ્યા આપી છે.  પ્રણાલિકા પર આધારિત માળખું એટલે સંકેતોનો સમૂહ અથવા ચિન્હો, અને આ ચિન્હોને ભેગાં કરીને.એમાંથી સૂત્રો કેમ બનાવી શકાય તેના નિયમો.પ્રણાલિકાગત માળખાંમાં સત્યો (Axioms) નો અર્થ તેના સામાન્ય અર્થ, સ્વયંસિદ્ધ સત્ય  થી જુદો છે.આ માળખાંમાં સત્ય એટલે તેમાંનાં એવાં ચિન્હોનો સમૂહ છે કે જેને એમાંના નિયમો પરથી પ્રતિપાદિત કરવાની જરુર નથી પડતી.

જ્યારે જ્યારે પ્રશ્ન તર્કની કસોટીએ ચડે છે ત્યારે ત્યારે ગણિત પ્રશ્નનો ઉત્તર આપવા આગળ આવે છે. શરુઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમા ગણિતનો ઊપયોગ થતો હતો જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રુપે વિકસિત થયું છે.

આજે, ગણિતશાસ્ત્રીઓ જે કંઈ અભ્યાસ કરે છે તેનો ઉલ્લેખ વિજ્ઞાનની લગભગ બધી જ શાખાઓમાં  થતો જોવા મળે છે. કેટલીક સમસ્યાઓ તો તેના પોતાના અભ્યાસમાંથી સર્જાય છે, દા. ત. ગણિતશાસ્ત્રની સમજ અને ભૌતિકશાસ્ત્રના દૃષ્ટિકોણને એકત્ર કરીને તેનો ઉપયોગ , ભૌતિકશાસ્ત્રી રિચર્ડ ફીમને ક્વોન્ટમ મિકેનિક્સનાં , પાથ ઈન્ટિગ્રલ ફોર્મ્યુલેશનની શોધ કરી. જ્યારે,  કુદરતનાં ચાર મૂળભૂત બળોને એક કરવાનો પ્રયત્ન કરતી, હજી વિકસવાના તબક્કામાં છે તેવી સ્ટ્રિંગ થિયરી, નવા ગણિતને પ્રેરણા આપતી રહે છે.   કેટલુંક ગણિત તેને જે ક્ષેત્રમાંથી પ્રેરણા મળી હોય , તે ક્ષેત્ર પૂરતુ જ  પ્રસ્તુત છે, અને તે ક્ષેત્રની આગળની સમસ્યાઓને ઉકેલવા માટે વપરાય છે. પણ,ઘણી વખત એક ક્ષેત્રમાંથી પ્રેરિત થયેલુ ગણિત,બીજાં ઘણાં ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થાય છે, અને ગણિતીય સિધ્ધાંતોના સામાન્ય પુરવઠામાં જોડાઈ જાય છે. શુધ્ધ ગણિત અને પ્રયોજિત ગણિત વચ્ચે ઘણી વખત જુદાપણુ બતાવવામાં આવે છે.તેમ છતાં,શુધ્ધ ગણિતના વિષયોના ક્યારેક ઉપયોગો નીકળી આવે છે.દા. ત. સંકેતલિપિશાસ્ત્રમાં સંખ્યાશાસ્ત્રનો ઉપયોગ,.શુધ્ધ ગણિતશાસ્ત્રના ક્યારેક વ્યાવહારિક ઉપયોગો પણ નીકળી આવે છે એ નોંધનીય હકીકત છે. તેને યુજીન વિગ્નેર ગણિતશાસ્ત્રનૉ અગમ્ય પ્રભાવ કહે છે.  વિજ્ઞાનપ્રધાન યુગમાંથયેલા જ્ઞાનના વિસ્ફોટથી, અભ્યાસનાં મોટા ભાગના ક્ષેત્રોની જેમ જ અહીં પણ વિશેષજ્ઞાન મેળવવાનું થયું છે. આજે ગણિતમાં સેંકડો વિશેષ અભ્યાસનાં ક્ષેત્રો અસ્તિત્વમાં છે અને ગણિતશાસ્ત્રના વિષયોનું વર્ગીકરણ ની છેલ્લી યાદી ૪૬ પાના પર પથરાયેલી છે.  પ્રયોજિત ગણિતશાસ્ત્રના કેટલાંક ક્ષેત્રો ગણિત બહારની સંબંધિત પ્રણાલિઓમાં જોડાઈ ગયાં છે અને પોતે સ્વતંત્ર અભાસક્ષેત્ર તરીકે બહાર આવ્યાં છે. જેમાં આંકડાશાસ્ત્ર, ઓપરેશન્સ રિસર્ચ અને કમ્પ્યુટર વિજ્ઞાન આવે છે. જ્યોર્જ બુલ દ્વારા શોધાયેલ અને બુલીય બીજગણિત તરીકે ઓળખાતી ગણિતની શાખા છે, જેના કારણે કમ્પ્યુટરમાં સરકીટમાં ઉપયોગમાં લેવાય છે. બુલીય બીજગણિત સિવાય કમ્પ્યુટરની કલ્પના પણ શક્ય નહોતી.

જે લોકોનાં મનનો ઝોક ગણિત તરફ છે, તેમને માટે ગણિતમાંના ઘણા ભાગોનું એક ચોક્કસ સૌંદર્ય હોય છે. ઘણા ગણિતશાસ્ત્રીઓ તેનામાં રહેલી સુઘડતાની, તેમાં રહેલી આંતરિક કલાત્મકતાની અને અંદરની સુંદરતાની વાત કરે છે. અહીં સાદાઈ અને સામાન્યતાની કિંમત છે. અહીં સાદી અને સુઘડ સાબિતીની સુંદરતા છે, જેમકે અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે. એ હકિકતની યુક્લિડએ આપેલી સાબિતી. બીજું ઉદાહરણ ફાસ્ટ ફોરીયર ટ્રાન્સફોર્મેશન  જેવી સુઘડ આંકડાકીય પધ્ધતિ કે જે ગણતરીને ખૂબ ઝડપી બનાવે છે. આ કલાત્મકતાની દૃષ્ટિ જ શુધ્ધ ગણિતના અભ્યાસને યથાર્થ ઠેરવવા માટે પૂરતી છે. આ માન્યતા, જી. એચ. હાર્ડીએ પોતાનાં પુસ્તક એ મેથેમેટિશિયન્સ એપોલોજી માં વ્યક્ત કરી છે. તેમણે ગણિતશાસ્ત્રની સુંદરતામાં ફાળો આપતાં પરિબળો, મહત્વ, અણધારેલાપણું, અનિવાર્યતા, અને કરકસર જેવાં માપદંડોને ઓળખી કાઢ્યા છે.  ગણિતજ્ઞો હંમેશા ખાસ કરીને સુઘડ સાબિતીઓ શોધવા ખૂબ પ્રયત્ન કરે છે. ગણિતજ્ઞ પૌલ એર્ડોના શબ્દોમાં ઈશ્વરીય પુસ્તક માંથી આવી સાબિતીઓ મળે છે.   ઘણા લોકો ગણિતીય કોયડાઓ ઉકેલવામાં જે આનંદ મેળવે છે  તે મનોરંજક ગણિતશાસ્ત્રની લોકપ્રિયતાની બીજી નિશાની છે.

૧૬મી સદી સુધી તો આજનાં ગણિતમાં વપરાતા મોટા ભાગના સંકેતો શોધાયા નહોતા.   એ પહેલાં ગણિતને પણ શબ્દોમાં લખવામાં આવતું હતું. આ બહુ મહેનત માંગી લેતી રીત હતી, જેને કારણે ગણિતિય વિકાસ મર્યાદીત રહ્યો હતો.  આજે પ્રચલિત ઘણા સંકેતો ગણિતશાસ્ત્રી યુલર (૧૭૦૭-૧૭૮૩) એ આપ્યા.આધુનિક સંકેતલિપિ, વ્યાવસાયિક વર્ગને માટે ગણિતને ઘણું સરળ બનાવે છે, પણ શીખવાની શરુઆત કરનારા વર્ગને એ મુશ્કેલ લાગે છે. બહુ થોડા સંકેતોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઠાંસીને ભરેલી માહિતિ એટલે આધુનિક સંકેતશાસ્ત્ર. સંગીતશાસ્ત્રના સંકેતોની જેમ જ આધુનિક ગણિતના સંકેતોનું એક કડક બંધારણ છે, (જે અમુક હદે એક લેખકથી બીજા લેખક કે ગણિતની એક શાખાથી બીજી શાખા વચ્ચે થોડું બદલે છે.)જે માહિતીને બીજી કોઈ રીતે લખવાનું મુશ્કેલ હોય તે માહિતીને સંકેતોમાં બદલે છે.

શીખવાની શરુઆત કરનારા માટે ગણિતની ભાષા સમજવી કઠણ હોઈ શકે છે. અથવા (or) અને  માત્ર (only) જેવા શબ્દોના રોજની બોલચાલની ભાષામાં જે અર્થ થાય તેના કરતાં ગણિતમાં બહુ ચોક્કસ અર્થ થાય છે. એ ઉપરાંત ખુલ્લું (open ) કે ક્ષેત્ર (field) જેવા શબ્દોને ગણિતની ભાષામાં બહુ આગવા અર્થ માટે લેવામાં આવ્યા છે. હોમીયોમૉરફીઝમ(homeomorphism) અને  સંકલિત થઈ શકે તેવું (integrable) જેવા શાસ્ત્રીય શબ્દોને ગણિતમાં બહુ ચોક્કસ અર્થ છે. પહેલા શબ્દનો અર્થ  ભૌમિતિક આકારને સતત ખેંચી, વાળીને નવો આકાર આપવાની પ્રક્રિયા થાય છે. વધારામાં, “if and only if  જેવા શબ્દસમૂહોનાં iiff જેવાં ટુંકાં શબ્દ સ્વરુપો ગણિતની પરિભાષામાં આવે છે. ખાસ સંકેતો અને શાસ્ત્રીય શબ્દભંડોળનું એક કારણ છે, તે એ કે ગણિતમાં રોજની બોલચાલની ભાષા કરતાં વધારે ચોક્સાઈની જરુર હોય છે.ગણિત વિદ્વાનો બને તેટલી સરળતા અને પારદર્શક્તાથી વસ્તુઓ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરે છે અને ખાસ કરીને તે તેમના લખાણમાં આનો ખૂબ આગ્રહ રાખે છે. ભાષા અને તર્કની આ ચોક્સાઈને ગણિતશાસ્ત્રીઓ ચોકસાઇનો અત્યાગ્રહ કહે છે.

ગણિતીય સાબિતી મૂળભૂત રીતે ચોકસાઇના અત્યાગ્રહની વાત છે. પદ્ધતિસરની સમજ વડે, સ્વયંસિધ્ધ સત્યો પરથી જ પ્રમેયો આવવાં જોઈએ એમ ગણિતશાસ્ત્રી ઈચ્છે છે.તેનો હેતુ, ભૂલભરેલી અંતઃપ્રેરણા પર આધારિત,  પ્રમેયોથી દૂર રહેવાનો છે, જેના દાખલા આ વિષયના ઈતિહાસમાં ઘણા બન્યા છે.   ગણિતમાં અપેક્ષિત ચોકસાઇના અત્યાગ્રહની કક્ષામાં સમય સાથે ફેરફાર થાતા રહ્યા છે. ગ્રીકોની અપેક્ષા વિગતવાર દલીલોની હતી, પણ આઈઝેક ન્યૂટનના સમયમાં જે પધ્ધતિઓ વપરાતી તે ઓછી અત્યાગ્રહી હતી. ૧૯મી સદીમાં, ન્યુટને વાપરેલી વ્યાખ્યાઓમાંથી સહજ સમસ્યાઓ,કાળજીભર્યાં પ્રુથક્કરણ અને નિયમબધ્ધ સાબિતિઓનાં પુનરુત્થાન તરફ દોરી જવાની હતી.ગણિત વિષેના કેટલાક સામાન્ય ખોટા ખ્યાલો જ તેના ચોકસાઇના અત્યાગ્રહની વિષેની ગેરસમજ છે. આજે, કમ્પ્યુટરની મદદથી મળેલી સાબિતિઓ પર ગણિતશાસ્ત્રીઓમાં એકબીજા સાથે દલીલબાજી ચાલુ છે. બહુ મોટી ગણતરીઓને ચકાસી જોવાનું મુશ્કેલ હોવાથી, આવી સાબિતિઓની બાબતમાં ચોકસાઇનો પૂરતો આગ્રહ ન જળવાયો હોઇ શકે. 

ચીલાચાલુ વિચાર પ્રમાણે ધારણાઓ એટલે સ્વયંસિધ્ધ સત્યો,પણ એ ખ્યાલમાં સમસ્યા છે. નિયમ પ્રમાણે, સત્યો એ માત્ર ચિન્હોની શ્રુંખલા છે,જેનો એક સ્વયંસિધ્ધ સત્યોની પ્રણાલિનાં તારવી શકાય તેવાં બધાં સૂત્રોના સંદર્ભમાં જ માત્ર તાત્વિક અર્થ છે. હિલ્બર્ટના કાર્યક્રમનો હેતુ, સમગ્ર ગણિતશાસ્ત્રને સત્યોના એક ઠોસ પાયા પર મૂકવાનો હતો, પણ ગોડેલનાં અપૂર્ણતાનાં પ્રમેય પ્રમાણે , દરેક (પૂરતી શક્તિશાળી ) સત્ય પ્રણાલિમાં અનિશ્ચિત સૂત્રો હોય છે. તેથી ગણિતનું અંતિમ સ્વયંસિધ્ધ સત્યો પર આધારિત શાસ્ત્ર બનાવવું અશક્ય છે.એટલું જ નહીં, દરેક ગણિતીય વિધાન કે સાબિતિને ગણશાસ્ત્રનાં સૂત્રોમાં મૂકી શકાય તેમ માનવામાં આવે છે, એ રીતે ઘણીવાર ગણિતને (જ્યાં સુધી એના અભ્યાસક્રમની વાત છે),  બીજું કંઈ નહીં  પણ કેટલાંક સત્યો પર આધારિત ગણશાસ્ત્ર છે એમ માનવામાં આવે છે. 

નાઇલ નદીના કિનારે અંદાજે ૨૦,૦૦૦ વર્ષ પુરાણી સંસ્કૃતિમાં ગણિત જાણીતું હોવાનુ મનાય છે. આ લોકોમાં સ્ત્રીઓ પોતાના માસિકની ગણત્રી માટે અમુક હાડકા પર કાપા કરીને ગણત્રી રાખતી. ત્યાર બાદની સંસ્કૃતિઓમાં ગણિતની મુખ્યત્વે જરૂરીયાત ખેતી, વ્યાપાર અને સૈન્યમાંથી આવી છે. સૌ પ્રથમ તો મનુષ્ય પશુને મારીને ખોરાક મેળવતો. પણ નદી કિનારે જે જે સંસ્કૃતિ વિકસી તે લોકો ખેતી અને પશુ દ્વારા પોતાનો ખોરાક મેળવતા. આ માટે તેમને ઋતુઓની ગણત્રી તેમજ જમીનની માપણી વિગેરેમાં ગણિતની જરૂર ઉભી થઇ. આમ પરોક્ષ રીતે ખગોળશાસ્ત્ર પણ ગણિતના જનક તરીકે ઓળખાય છે. ગણિતમાં માનવીના પ્રદાનના સૌથી જુના પ્રમાણિત પુરાવા આશરે ઇ.પૂ. ૩૦૦૦-૨૬૦૦ની ભારતમાં વિકસેલી હરપ્પા સંસ્કૃતિ તેમજ મિસોપોટામિયા/બેબીલોન (આજના ઇરાકની આજુ બાજુનો ભાગ)માં વિકસેલી સુમેર સંસ્કૃતિ  ઇ.પૂ. ૨૬૦૦ તેમજ આશરે ઇ.પૂ. ૨૭૦૦-૧૩૦૦માં વિકસેલી ઇજીપ્તની સંસ્કૃતિમાં જોવા મળે છે.    જેવા ગણિતના ઇતિહાસકારોના મતે ગણિત તેની બે મુખ્ય શાખાઓ -- સંખ્યા અને આકાર--માંથી વિક્સ્યુ છે. કાળક્રમે સંખ્યામાંથી બીજ ગણિત અને આકારમાંથી ભૂમિતિનો જન્મ થયો. 

માળખાંઓના અભ્યાસની શરૂઆત  સંખ્યાઓથી થાય છે, જેમાં સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ ત્યાર બાદ પૂર્ણાંકો અને તેમની દ્વિકક્રિયાઓ  આવે છે. પૂર્ણાંકોનો વધુ ગહન અભ્યાસ નંબર થીયરી   અહીંથી આગળ વધતાં સમીકરણોના ઉકેલ મેળવવાની પ્રક્રિયામાંથી બીજ ગણિત અને અમૂર્ત ગણિતનો વિકાસ થયો.  આમાં મુખ્યત્વે સમુહ (groups), મંડળ (rings), ક્ષેત્ર (Fields) ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ શાખાના ની ઉપશાખા ગાલ્વા થીયરીના કારણે ગ્રીક કાળથી વણઉક્લ્યો કંપાસની મદદથી રચના કરવાને લગતો જાણીતો પ્રશ્ન હલ થયો. ભૌતિકવિજ્ઞાનના સદિશ (vector)ના અભ્યાસનું વ્યાપકીકરણ (generalization) કરી  સદિશાવકાશની શોધ કરી. આમ સુરેખ ગણિત (Linear Algebra)નું અસ્તિત્વ ઉભું થયું જે માળખું અને અવકાશ બન્નેમાં આવે છે. સુરેખ ગણિત અને સદિશાવકાશની સાથે વખત જતાં ટોપોલોજી  જોડતાં વીસમી સદીમાં ગણિતના મોરની કલગીની જેમ ફંક્શનલ એનાલિસીસનો જન્મ અને વિકાસ થયો.

અવકાશના અભ્યાસની શરૂઆત ભૂમિતિથી થઇ. સૌ પ્રથમ આવી તે ભૂમિતિ યુક્લિડીયન ભૂમિતિના નામે ઓળખાય છે. હકીકતે ભૂમિતિ ભારતીયો, બેબીલોનિયનો તેમજ ઇજીપ્શીયનો જાણતા હતા પણ યુક્લિડે તેના અભ્યાસને સૌ પ્રથમ પૂર્વધારણાઓ અને તેના પરથી પરીણામોના ફલનની રીતે (deductive reasoning) વ્યવસ્થિત ઢાંચામાં મુક્યો. ગણિતજ્ઞોની મતે યુક્લિડે આપેલી બે સોગાદો -ભૂમિતિનું સંપાદન અને ડીડક્ટીવ રીઝનીંગ - પૈકી ડીડક્ટીવ રીઝનીંગની ભેટ સૌથી મહત્વની છે.  અવકાશના અભ્યાસ દરમ્યાન સ્વતંત્ર રીતે ત્રિકોણમિતિ વિધેયોનો અભ્યાસ પણ વિકસ્યો. ત્રિકોણમિતિનો ઊંડો અભ્યાસ હિન્દુ ગણિતમાં જોવા મળે છે. યજ્ઞવેદી, તેમજ વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ધાર્મિક સ્થાપત્યો બનાવવા માટે ત્રિકોણમિતિનો આવિષ્કાર હિન્દુઓ દ્વારા થયો હોવાનું ગણિતના ઇતિહાસકારો માને છે. સલ્બસુત્ર     તેમજ સ્થાપત્ય વેદમાં આ પ્રકારના ગણિત જોવા મળે છે. 
ભૂમિતિના નવા આયામો માં ડિફરન્શિયલ ભૂમિતિ, એલ્જીબ્રીક ભૂમિતિ, નોનયક્લિડીય ભૂમિતિઓ, તેમજ એકદમ અરૂપ રીતે ટોપોલોજીનો સમાવેશ થાય છે. 

ગણિતમાં ફેરફારના દરને કારણે જે ગણિતનો આવિષ્કાર થયો તે કેલ્કયુલસ  શોધ ન્યૂટન તેમજ લાઇબ્નીઝના ફાળે જાય છે. કહેવાય છે કે ઇ.પૂ. ૨૮૭માં ગ્રીક ગણિતજ્ઞ આર્કિમીડિઝ પોતાના વખત કરતાં એટલો આગળ હતો કે તેણે કેલ્ક્યુલસના ઘણા પરીણામો તેના અભ્યાસમાં વાપર્યા હતાં. ન્યુટન માટે તેમ કહેવાય છે કે તેણે પોતાના જન્મ પહેલાં શોધાયેલા તમામ ગણિતના જ્ઞાન જેટલું નવું ગણિત રચ્યું હતું. કેલ્ક્યુલસ ના કારણે ગણિતના વિકાસનો દર ખૂબ જ વધી ગયો અને તે અન્ય વિજ્ઞાનોમાં પણ ખૂબજ વપરાવા લાગ્યું. હાલ ગણિતની લગભગ ૧૦૦૦ ઉપરાંત મુખ્ય શાખાઓ છે. કેલ્ક્યલસનો સૌથી પાયાની સંકલ્પના એટલે ચલ રાશિ અને વિધેય જે આજે ગણિતની તમામ શાખાઓમાં વપરાય છે. આ ચલ રાશિને અનુલક્ષીને વધુ અમૂર્ત સંકલ્પના એટલે ગણ. ગણ સિદ્ધાંતનો આવિષ્કાર ૧૮૭૦ની આસપાસ ડેડકિન્ડ તેમજ કેન્ટર નામના ગણિતજ્ઞોએ તેના ઔપચારિક ખ્યાલોને વ્યાખ્યાયિત કરીને કર્યો. ગણિતની પાયાની વધુ શાખાઓમાં વિકલીય સમીકરણો, સંકલીય સમીકરણો, વાસ્તવિક સંખ્યાઓ, સંકર સંખ્યાઓ, તેમજ તર્કશાસ્ત્ર વિગેરેનો સમાવેશ થાય છે.

વિશાળ અર્થમાં ગણિતશાસ્ત્રના ભાગલા આ રીતે પાડી શકાય : જથ્થાનો અભ્યાસ, માળખાંનો અભ્યાસ, અવકાશનો અભ્યાસ અને બદલાવનો અભ્યાસ. (એટલે કે અંકગણિત, બીજગણિત, ભૂમિતિ અને પ્રુથક્કરણ.) આ મુખ્ય હેતુઓ ઉપરાંત ગણિતના હાર્દમાંથી બીજાં ક્ષેત્રો જેવાં કે તર્કશાસ્ત્ર, ગણશાસ્ત્રનો પાયો, જુદાં જુદાં વિજ્ઞાનનાં પ્રયોગમૂલક ગણિત (પ્રયોજિત ગણિત) અને વધારે અદ્યતન, અચોક્કસતાના અભ્યાસ સાથે જોડતા સંબંધો શોધવા માટે સમર્પિત વિભાગો છે.

ગણિતના પાયાને સ્પષ્ટ કરવા માટે, ગણિતીય તર્કશાસ્ત્ર અને ગણશાસ્ત્રનાં ક્ષેત્રોનો વિકાસ થયો.ગણિતીય તર્કશાસ્ત્રમાં તર્કશાસ્ત્રનો ગણિતની દૃષ્ટિએ અભ્યાસ અને તેનો ગણિતના બીજા વિભાગોમાં ઉપયોગોની સમજ આવે છે.વસ્તુઓના સમૂહનો અભ્યાસ  ગણિતની જે શાખામાં કરવામાં આવે છે તે ગણશાસ્ત્ર છે. ગણિતીય માળખાં અને તેની વચ્ચેના સંબંધોનો અમૂર્ત રીતે અભ્યાસ કરતી કેટેગરી થિયરી હજી વિકાસના તબક્કામાં છે. આશરે ઈ.સ. ૧૯૦૦થી ઈ.સ. ૧૯૩૦ સુધી ગણિતશાસ્ત્રના પાયાની ચોકસાઇની અત્યાગ્રહી શોધ ચાલી. તેને પાયાની કટોકટી એ શબ્દોમાં વર્ણવવામાં આવે છે.   આજ સુધી પણ ગણિતના પાયા વિષે કેટલાક મતભેદ પ્રવર્તે છે. એ સમયે પ્રચલિત, કેંટરનાં ગણશાસ્ત્ર પરનો વાદવિવાદ અને બ્રૌવેર- હિલ્બર્ટ વાદવિવાદ જેવા ઘણા વાદવિવાદોએ પાયાની કટોકટીને ઉત્તેજી.

ગણિતીય તર્કશાસ્ત્રનું કામ, ગણિતને અત્યાગ્રહી ચોક્સાઇનાં સૈધ્ધાંતિક માળખાંમાં મૂકવાનું અને એવાં  માળખાંના સૂચિતાર્થનો અભ્યાસ કરવાનું છે. આ રીતે તેમાં ગોડેલનું પ્રમેય છે જે (અનઔપચારીકપણે)  જણાવે  છે કે મૂળભૂત અંકગણિત આવરી લેતી હોય તેવી કોઈ પણ પ્રભાવશાળી નિયમોની પ્રણાલિ, જો મજબૂત હોય (એટલે કે જેમાં સાબિત થઈ શકે તેવાં બધાં પ્રમેયો સત્ય છે) તો તે અનિવાર્યપણે અપૂર્ણ છે. (એટલે કે તેમાં સાચાં પ્રમેયો પણ છે જેને એ પ્રણાલિમાં સાબિત કરી શકાતાં નથી.) પાયા તરીકે સંખ્યાશાસ્ત્રને લગતા સિધ્ધાંતોનો કોઈ પણ ચોક્કસ સમૂહ લઈએ, ગોડેલએ બતાવ્યું કે સંખ્યાશાસ્ત્રની  સાચી સૈદ્ધાંતિક હકીકત રજૂ કરે એવું નિયમ વિધાન કેવી રીતે બનાવવું , જે આ સિધ્ધાન્તો પરથી પ્રતિપાદિત થતું નથી. તેથી સંપૂર્ણ સંખ્યાશાસ્ત્રની પૂરેપૂરી સૈધ્ધાંતિકરણ હોય તેવી કોઇ નિયમ પ્રણાલિ નથી.આધુનિક તર્કશાસ્ત્ર, રિકર્ઝન થિયરી, મોડેલ થિયરી અને પ્રુફ થિયરીમાં વિભાજિત થયેલું છે અને શાસ્ત્રીય કમ્પ્યુટર વિજ્ઞાન [citation needed]  અને કેટેગરી થિયરી સાથે બહુ નજીકથી સંકળાયેલું છે.
શાસ્ત્રીય કમ્પ્યુટર વિજ્ઞાનમાં ગણતરીપાત્રતાનું શાસ્ત્ર, ગણતરીને લગતી આંટીઘૂંટીનું શાસ્ત્ર અને માહિતીનું શાસ્ત્ર આવે છે.ગણતરીપાત્રતાનું શાસ્ત્ર, કમ્પ્યુટરના જુદા જુદા શાસ્ત્રીય નમૂનાઓની મર્યાદાની કસોટી કરે છે, જેનો પ્રખ્યાત નમૂનો  the Turing machine છે. 

ગણતરીને લગતી આંટીઘૂંટીનું શાસ્ત્ર એ, કમ્પ્યુટર વડે તેની કાબુમાં રાખી શકવાની શક્તિનો અભ્યાસ છે. કેટલીક સમસ્યાઓ, સૈધ્ધાંતિક રીતે કમ્પ્યુટરથી ઉકેલી શકાય તેવી હોય તો પણ સમય અને જગ્યાની બાબતમાં એટલી ખર્ચાળ હોય કે તેનો ઉકેલ વ્યાવહારિક રીતે અશક્ય જ  રહેવાનો. કમ્પ્યુટર હાર્ડવેરના ઝડપી આધુનિકરણ છતાં પણ હજૂ આ પરિસ્થિતિ છે.  આવો એક બહુ પ્રખ્યાત કોયડો,  P = NP?   છે, જે મિલેનિયમ ઈનામી કોયડામાંનો એક છે.  અને છેલ્લે, માહિતીશાસ્ત્રને આપેલાં માધ્યમમાં સંઘરી શકાય એવા માહિતીના જથ્થા સાથે સંબંધ છે.તેથી જ એ સંક્ષેપ (Compression) અને ઉત્ક્રમ (Entropy) જેવા મૂળભૂત ખ્યાલો ઉપર કામ કરે છે.

જથ્થાનો અભ્યાસ સંખ્યાઓથી શરુ થાય છે.પ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંકો (પૂર્ણ સંખ્યાઓ ) અને અંકગણિતે આલેખેલી તે સંખ્યાઓ પરની ક્રિયાઓ. સંખ્યાશાસ્ત્રમાં પૂર્ણાકોના ઊંડાણભર્યા ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે.એ પરથી ફરમાનું છેલ્લું પ્રમેય જેવાં લોકપ્રિય પરિણામો મળ્યાં છે. જોડિયાં અવિભાજ્ય સંખ્યાઓનું અનુમાન (The twin prime conjecture ) અને ગોલ્ડબાકનું અનુમાન (Goldbach's conjecture) એ સંખાશાસ્ત્રના બે વણઉકેલાયેલા કોયડા છે. 

જેમ જેમ સંખ્યાપ્રણાલિનો આગળ વિકાસ થયો તેમ પૂર્ણાંકોને સંમેય સંખ્યાઓ (અપૂર્ણાંકો)ના ઉપગણ તરીકે ઓળખાવાયા. આ બધી સંખ્યાઓ પાછી વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમાવી લેવામાં આવી છે. એ સંખ્યાઓનો,  જથ્થાને અસ્ખલિત રુપે દર્શાવવા માટે ઉપયોગ થાય છે.વાસ્તવિક સંખ્યાઓનું સામાન્યીકરણ સંકુલ સંખ્યાઓમાં થાય છે. સંખ્યાઓના અધિક્રમમાં આ પ્રથમ પગથિયાં છે કે જેમાં આગળ જતાં ૪ સંખ્યાસમૂહ quaternions અને octonions નો સમાવેશ થાય છે.પ્રાકૃતિક સંખ્યાઓને ધ્યાનમાં લેતાં આપણે અગણિત સંખ્યાઓ(transfinite numbers) મળે છે.જેના પરથી અનંત નો ખ્યાલ બાંધી શકાયો છે.અભ્યાસનો બીજો વિભાગ કદને લગતો છે. તેના પરથી કાર્ડિનલ સંખ્યાઓ અને અનંતનો એક બીજો ખ્યાલ, એલેફ સંખ્યાઓ મળે છે, એના લીધે અનંત રીતે મોટા ગણનાં કદની અર્થપૂર્ણ સરખામણી થઈ શકે છે.

સંખ્યાઓ અને વિધેયોના ગણ જેવી ઘણી ગણિતીય વસ્તુઓ, એ ગણ પર વ્યાખ્યાયિત કરેલી ક્રિયાઓ અને સંબંધોના પરિણામ સ્વરુપે, આંતરિક માળખું બતાવે છે.એ પછી એ માળખાંના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય તેવા ગણના ગુણધર્મોનો ગણિત અભ્યાસ કરે છે.દા. ત. અંકગણિતની ક્રિયાઓમાં વ્યક્ત કરી શકાય તેવા પૂર્ણાંકોના ગણના ગુણધર્મોનો અભ્યાસ સંખ્યાશાસ્ત્ર કરે છે.એ ઉપરાંત, ઘણીવાર એવું બને છે કે આવા વિવિધ માળખાંરુપ ગણો, સરખા જ ગુણધર્મો બતાવે છે.જેને કારણે, અમૂર્તતાનું એક પગલું આગળ ભરીને, માળખાંઓના મોટા વર્ગ માટે સ્વયંસિદ્ધ સિધ્ધાંતો કહેવા અને પછી આ સ્વયંસિદ્ધ સિધ્ધાંતોને અનુરુપ આખા વર્ગનાં માળખાંઓનો અભ્યાસ કરવો એ શક્ય બને છે.આવી રીતે કોઈ પણ ગ્રુપ, રીંગ અને ફિલ્ડ અને બીજી તાત્વિક પ્રણાલિઓનો અભ્યાસ કરી શકાય છે.આવા અભ્યાસ ( બિજગણિતીય ક્રિયાઓ વડે વ્યાખ્યાયિત થયેલાં માળખાં માટે) તાત્વિક બીજગણિતનું કાર્યક્ષેત્ર રચે છે.તાત્વિક બીજગણિત, તેની બહુ મોટી સામાન્યતાને લીધે, દેખીતી રીતે એક બીજાથી સંબંધ ન ધરાવતી સમસ્યાઓ માટે પણ પ્રયોજી શકાય છે. દા. ત. કમ્પાસ અને ફૂટપટ્ટીથી થતી રચનાઓ સંબંધી ઘણા પ્રાચીન કોયડાઓના ઉકેલ  છેવટે ગેલીઓસ થિયરીથી થયા, જેમાં ફિલ્ડ થિયરી અને ગ્રુપ થિયરી આવે છે.બીજગણિતીય શાસ્ત્રનો બીજો દાખલો સુરેખ બીજગણિત છે, જેમાં વેક્ટર અવકાશનો સામાન્ય અભ્યાસ થાય છે.વેક્ટર અવકાશ ગણના ઘટકો વેક્ટર છે જેને માપ અને દિશા બન્ને છે.તેનો ઉપયોગ, અવકાશનાં બિંદુઓ અને તેની વચ્ચેના સંબંધો દર્શાવવા થાય છે.આ એવી ઘટનાનો એક દાખલો છે કે મૂળભૂત રીતે એકબીજાં સાથે કંઈ સંબંધ ન હોય તેવા બીજગણિત અને ભૂમિતિનાં ક્ષેત્રો વચ્ચે આધુનિક ગણિતશાસ્ત્રમાં મજબૂત આદાનપ્રદાન થાય છે. આપેલાં માળખાંમાં , કેટલી સંખ્યામાં ખૂબ વસ્તુઓને સમાવી શકાય તે જાણવાની રીતોનો અભ્યાસ કોમ્બિનેટોરિક્સમાં કરવામાં આવે છે.

નિમ્નલિખિત વિષયો ગણિત નો વિસ્તાર,સમમિતિ અને માળખુ દર્શાવે છે.

 
અવકાશના અભ્યાસનું મૂળ ભૂમિતિમાં છે, ખાસ કરીને યુક્લિડની ભૂમિતિમાં. ત્રિકોણમિતિ ગણિતની એવી શાખા છે, જે ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેના સંબંધોનો અને ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કરે છે.એ અવકાશ અને સંખ્યાઓને સાંકળે છે. અને બહુ જાણીતાં પાયથાગોરસ પ્રમેયને આવરી લે છે. અવકાશનો આધુનિક અભ્યાસ, આ વિચારોને સામાન્ય બનાવીને, તેમાં બહુ પરિમાણવાળી ભૂમિતિ, યુક્લિડ સિવાયની ભૂમિતિઓ (જે સામાન્ય સાપેક્ષતામાં કેન્દ્રનો ભાગ ભજવે છે) અને ટોપોલોજીને સમાવી લે છે. પ્રુથક્કરણીય ભૂમિતિ, વિકલન આધારિત ભૂમિતિ અને બીજગણિત આધારિત ભૂમિતિ એ બધા વિષયમાં, જથ્થો અને અવકાશ  બન્ને ભાગ ભજવે છે. બહિર્ગોળ (Convex) અને સુસ્પષ્ટ(Discrete) ભૂમિતિનો વિકાસ,સંખ્યાશાસ્ત્ર અને વિધેયોના પ્રુથક્કરણને લગતાં શાસ્ત્રના કોયડા ઉકેલવા માટે થયો.આજે હવે તેનો અભ્યાસ યથોચિતકરણ (Optimization) અને કમ્પ્યુટર વિજ્ઞાનમાં પ્રયોજવા માટે થઈ રહ્યો છે.વિકલ ભૂમિતિમાં તંતુઓના સમૂહના અને કલનશાસ્ત્રના વિવિધ , ખાસ કરીને વેક્ટર અને ટેન્સર  કલનશાસ્ત્રના ખ્યાલો રહેલા છે.બીજગણિતીય ભુમિતિમાં બહુપદી સમીકરણોના ઉકેલના સમૂહ તરીકે, ભૌમિતિક વસ્તુઓનું વર્ણન રહેલું છે, જે જથ્થા અને અવકાશના ખ્યાલોને ભેગા કરે છે.તેમાં ટોપોલોજીના સમૂહોનો પણ અભ્યાસ છે જેમાં માળખાંને અને અવકાશને એકત્ર કરવામાં આવે છે. લાય સમૂહોનો ઉપયોગ અવકાશ, માળખાં અને બદલાવના અભ્યાસ માટે થાય છે.વીસમી સદીનાં ગણિતશાસ્ત્રમાં, અનેક શાખા-પ્રશાખામાં વિભાજિત થઈને ટોપોલોજીનો વિષય સૌથી વધારે વિકસતું ક્ષેત્ર હોઈ શકે છે. તેનાં ક્ષેત્રમાં બિંદુગણ ટોપોલોજી, ગણશાસ્ત્રીય ટોપોલોજી, બિજગણિતીય ટોપોલોજી અને વિકલન ટોપોલોજી આવરી લેવાયાં છે. આધુનિક ટોપોલોજીનાં ઉદાહરણોમાં મેટ્રીઝેબીલીટી થિયરી, એક્ષિઓમૅટિક સૅટ થિયરી, હોમોટોપી થિયરી અને મોર્સ થિયરી મુખ્ય છે. ટોપોલોજીમાં હવે ઉકેલાઇ ચૂકેલ પૉઇનકૅરૅ અનુમાન અને હૉજ અનુમાનનાં વણઉકેલાયેલાં ક્ષેત્રો પણ આવરી લેવાયેલ છે. ભૂમિતિ અને ટોપોલોજીનાં ચાર રંગનું પ્રમેય અને કેપ્લર અનુમાન જેવાં પરિણામો તો કમ્પ્યુટરની મદદથી જ ઉકેલી શકાયાં છે. 

બધાં જ કુદરતી વિજ્ઞાનનો એક સામાન્ય વિષય છે બદલાવને સમજવો અને વર્ણવવો. આ સમજવા માટેનાં એક શક્તિશાળી સાધન તરીકે કલનશાસ્ત્રનો વિકાસ થયો.બદલતા જથ્થાને વર્ણવવા માટેના કેન્દ્રવર્તી ખ્યાલ તરીકે અહીં વિધેયો બને છે.વાસ્તવિક સંખ્યાઓના અને વાસ્તવિક ચલ સંખ્યાઓના વિધેયોનો ઊંડાણભર્યા અભ્યાસ વાસ્તવિક પ્રુથક્કરણશાસ્ત્ર  તરીકે ઓળખાય છે.સંકુલ સંખ્યાઓના એવા જ ક્ષેત્રને સંકુલ પ્રુથક્કરણશાસ્ત્ર કહેવામાં આવે છે. વિધેયાત્મક પ્રુથક્કરણશાસ્ત્રમાં (ખાસ અગણિત પરિમાણવાળા) વિધેયના અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.વિધેયાત્મક પ્રથક્કરણશાસ્ત્રના ઘણા ઉપયોગોમાંનો એકછે ક્વોન્ટમ મિકેનિક્સ. ઘણા કોયડાઓ, જથ્થો અને તેના બદલાવના દર વચ્ચેના સંબંધો તરફ લઈ જાય છે, જેનો અભ્યાસ વિકલ સમીકરણો તરીકે કરવામાં આવે છે.કુદરતની ગણી ઘટનાઓનું વર્ણન ગતિશાસ્ત્રની પ્રણાલિઓ વડે થઈ શકે છે. કેઓસ થિયરી (ગેરવ્યવસ્થાશાસ્ત્ર) ચોક્કસ રીતો બનાવે છે જેમાં આમાંની ઘણી પ્રણાલિઓ અણધાર્યું અને છ્તાં નિશ્ચિત કરી શકાય એવું વર્તન બતાવે છે.

પ્રયોજિત ગણિતશાસ્ત્ર, ગણિતની એ પધ્ધતિઓ સાથે સંબંધ ધરાવે છે જે ખાસ તો વિજ્ઞાન,તંત્રવિદ્યા, વ્યાપારધંધા અને ઉદ્યોગોમાં વપરાય છે. આમ,  પ્રયોજિત ગણિતશાસ્ત્ર  એ ખાસ જાતનું જ્ઞાન ધરાવતું, ગણિતીય વિજ્ઞાન છે. પ્રયોજિત ગણિતશાસ્ત્ર એ શબ્દો, વ્યાવસાયિક ખાસિયતોને પણ વર્ણવે છે.એમાં ગણિતશાસ્ત્રીઓ વ્યવહારિક સમસ્યાઓ પર કામ કરે છે.વ્યાવહારિક કોયડાઓ પર કેન્દ્રિત વ્યવસાય તરીકે, પ્રયોજિત ગણિતશાસ્ત્ર વિજ્ઞાન, તંત્રવિદ્યા, અને ગણિતીય વ્યવહારનાં બીજાં ક્ષેત્રોમાં ગણિતિય નમૂનાઓની રચના,અભ્યાસ અને ઉપયોગો પર ભાર મૂકે છે.

ભૂતકાળમાં વ્યાવહારિક ઉપયોગોએ ગણિતીય સિધ્ધાંતોના વિકાસને ઉત્તેજ્યો, જે પછીથી શુધ્ધ ગણિતશાસ્ત્રના અભાસનો વિષય બન્યો કે જેમાં ગણિતનો અભ્યાસ તેના પોતાના ખાતર જ કરવામાં આવે છે. આમ પ્રયોજિત ગણિતશાસ્ત્રની પ્રવૃતિ, શુધ્ધ ગણિતશાસ્ત્રનાં શોધકાર્ય સાથે અગત્યપણે સંકળાયેલી છે.

પ્રયોજિત ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્રની સાથે મહત્ત્વનું આચ્છાદન ધરાવે છે. તેના સિધ્ધાંતો, ખાસ કરીને સંભાવનાશાસ્ત્ર,ની રચના ગણિતીય રીતે થયેલી છે. (શોધકાર્ય પ્રકલ્પના એક ભાગ તરીકે કામ કરતાં) આંકડાશાસ્ત્રીઓ,  યાર્દચ્છીક નમૂનાઓ લેવાની ક્રિયા વડે અને યાર્દચ્છીક પ્રયોગોથી, યથાર્થ માહિતી ઊભી કરે છે.  અને (માહિતી મળ્યા પહેલાં જ) આંકડાકીય નમૂના અથવા પ્રયોગની રચના માહિતીનાં પ્રુથક્કરણને સુનિશ્ચિત કરે છે.આંકડાશાસ્ત્રીઓ જ્યારે પ્રયોગો અને નમૂનાઓ પરથી માહિતીને ફરીથી હાથ પર લે છે અથવા જ્યારે નિરિક્ષણ આધારિત અભ્યાસ પરથી માહિતીનુ અર્થપૂર્ણ પૃથક્કરણ કરે છે ત્યારે, નમૂના લેવાની કળા અને નિષ્કર્ષ સિધ્ધાંતનો ઉપયોગ કરીને, નમૂનાની પસંદગી અને આકારણીથી, માહિતીને વધારે યથાર્થ બનાવે છે. આકારિત નમૂનાઓ અને પરિણામસ્વરુપ આગાહીઓ ની કસોટી નવી માહિતી પર કરવી જોઈએ. 

આંકડાકીય સિધ્ધાંતો, આંકડાકીય કાર્યનાં જોખમ (અપેક્ષિત નુકસાન) ને ઓછું કરવું, જેવાં કે પ્રાચલની આકારણી, પૂર્વધારણાની કસોટી અને શ્રેષ્ઠની પસંદગી માટે એક પધ્ધતિનો ઉપયોગ કરવો  જેવી  નિર્ણય સમસ્યાઓનો અભ્યાસ કરે છે. ગણિતીય આંકડાશાસ્ત્રના આ રુઢિગત ક્ષેત્રોમાં , ખાસ અવરોધોની હાજરીમાં, અપેક્ષિત ખર્ચ કે નુકસાન જેવાં હેતુગત વિધેયોમાં ઘટાડો કરીને, એક આંકડાકીય નિર્ણય-સમસ્યાની રચના કરવામાં આવે છે. દા. ત. મોજણીની રચનામાં, વિશ્વાસપાત્રતાની એક આપેલી સપાટી સાથે, સમગ્ર માહિતિની આકારણી કરવાનો ખર્ચ ઓછામાં ઓછો કરવાની વાત આવે છે.  ગણિતીય આંકડાશાસ્ત્ર, તેના યથોચિતપણાંના ઉપયોગને કારણે  ઓપરેશન્સ રિસર્ચ, કન્ટ્રોલ થિયરી અને ગણિતીય અર્થશાસ્ત્ર જેવા બીજાં નિર્ણયલક્ષી વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. ]

માનવસહજ સંખ્યાકીય ક્ષમતા માટે અતિ મોટા પડે તેવા ખાસ ગણિતીય કોયડાઓને ઉકેલવા માટેની પધ્ધતિઓનું સૂચન અને અભ્યાસ જેમા થાય છે તે કમ્પ્યુટરલક્ષી ગણિતશાસ્ત્ર છે. વિધેયલક્ષી પ્રુથક્કરણ અને અંદાજીકરણના સિધ્ધાંતોનો ઉપયોગ કરીને,પ્રુથક્કરણના કોયડાઓ માટેની પધ્ધતિનો અભ્યાસ સંખ્યાકીય પ્રુથક્કરણમાં થાય છે.સંખ્યાકીય પ્રુથક્કરણમાં અંદાજીકરણ અને અલગીકરણનો મોટે ભાગે અભ્યાસ થાય છે. તેનો ખસ સંબંધ ભૂલોને હળવી બનાવવાનો છે.સંખ્યાકીય પ્રુથક્કરણ અને વધારે આગળ વૈજ્ઞાનિક ગણતરીશાસ્ત્ર, પ્રુથક્કરણલક્ષી ન હોય તેવા ગણિતીય વિજ્ઞાનના વિષયો, ખાસ કરીને અલ્ગોરિધમ શ્રેણિક અને આલેખશાસ્ત્રનો અભ્યાસ છે.કમ્પ્યુટરલક્ષી ગણિતશાસ્ત્રનાં બીજાં ક્ષેત્રોમાં કમ્પ્યુટર બીજગણિત અને સાંકેતિક ગણતરીના વિષયો આવે છે.

ગણિતના પારીતોષિકો/ખિતાબો (awards) સામાન્યતઃ વિજ્ઞાનથી અળગાં હોય છે. ગણિતનો સૌથી વધુ મહત્તા ધરાવતું પારીતોષિક , ૧૯૩૬માં સ્થાપવામાં આવ્યું હતું અને હવે દર ચાર વર્ષે ૪૦ વર્ષથી નીચેના કોઇક ગણિતજ્ઞને એનાયત થાય છે. તેને ગણિતના નોબલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૭૮માં સ્થપાયેલું  ગણિતશાસ્ત્રીઓના જીવનકાળ દરમ્યાનમાં તેમના યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. આ સિવાય બીજા નામના ધરાવતા પારીતોષિકોમાં  (સ્થાપના ૨૦૦૩) છે. આ પારીતોષિક ગણિતના ઘણા સમયથી વલઉક્લ્યા પ્રશ્નોના ઉકેલ મેળવનારને અપાય છે. આવા જ ૨૩ વણઉકલ્યા પ્રશ્નોની યાદી જર્મન ગણિતજ્ઞ  ૧૯૦૦માં સંપાદિત કરી હતી જે   તરીકે ખૂબજ પ્રખ્યાત છે. આ યાદીના લગભગ ૯ જેટલા પ્રશ્નો અત્યાર સુધીમાં ઉકેલી શકાયા છે. આ સિવાય  તરીકે જાણીતી યાદીનું સંપાદન સન ૨૦૦૦માં કરવામાં આવ્યું છે. આ પૈકીના કોઇપણ પ્રશ્નનો ઉકેલ આપનારને દસલાખ અમેરીકી ડૉલરનું પારીતોષિક અપાય છે.  નામનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન આ યાદી અને  હિલ્બર્ટના પ્રશ્નોમાં બન્નેમાં સામેલ છે.

કાર્લ ફેડરીક ગાઉસ ગણિતને વિજ્ઞાનની રાણી કહેતા. વિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ Science લેટિન ભાષાના  અથવા ફ્રેન્ચ ભાષાના ,શબ્દો ઉપરથી આવ્યો છે. મૂળ બંને ભાષામાં તેનો અર્થ જ્ઞાન થાય છે.  આમ મૂળભુત ભાષાના સંદર્ભમાં, અંગ્રેજીના સંદર્ભમા તો ગણિતને વિજ્ઞાન તરીકે જોવાય છે પણ હિન્દુ સંસ્કૃતિમાં પણ ગણિત એક વિજ્ઞાન ગણાય છે.  વિજ્ઞાનને સ્પેશિયલાઇઝેશનના અર્થમાં જોવાની પ્રણાલિ બહુ જુની નથી. જો સાયન્સને આવા અથવા તો ભૌતિકીય વિજ્ઞાનો પુરતું સીમિત કરી દઇએ તો તેને વિજ્ઞાન ન કહેવાય, ખાસ કરીને પ્યોર ગણિત તો નહીં જ. બીજી તરફ વીસમી સદીના અંતમા ઉપર દર્શાવ્યા પ્રમાણે એલન કોન્સના ગણિતમાં પ્રદાન દ્વારા ક્વોન્ટમ મિકેનિક્સની સાથે બીજા ઘણા ભૌતિક વિજ્ઞાનોને સમજવા ગણિત સિવાય બીજો કોઇ રસ્તો જ નથી આમ ગણિત એ વ્યાપક અર્થમાં વિજ્ઞાનની નવી ભાષા તરીકે પણ ગણાય છે. વીસમી સદીના પૂર્વાર્ધ સુધી ગણિત સામાન્યતઃ ભૌતિક વિજ્ઞાન અને ઇજનેરીવિદ્યામાં વપરાતું પણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં તેનો ઉપયોગ , જીવવિજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવી જ્ઞાનની શાખાઓમાં ગણિતનો અનિવાર્ય ઉપયોગ પ્રસ્થાપિત થતાં હવે ગણિત જ્ઞાનની શાખાઓમાં સર્વોપરી બની ગયું છે. બીજી તરફ, બેલ  

મહાન વૈજ્ઞાનિકોના ગણિત વિશેના વિધાનો પણ જાણવા જેવા છે. ના કહેવા મુજબજયારે જ્યારે ગણિતના નિયમો વાસ્તવિકતાની વાત કરે છે, ત્યારે ત્યારે તેમાં ચોકસાઇનો અભાવ હોય છે, અને જ્યારે ગણિત ચોકસાઇપૂર્વક કાંઇક કહે છે ત્યારે તે વાસ્તવિકતાની વાત કરી શકતું નથી. 

ઘણાં તત્વચિંતકો માને છે કે ગણિતમાં પ્રાયોગિક ચકાસણીનો અભાવ છે અને તેથી તે .ની વ્યાખ્યા મુજબ વિજ્ઞાન નથી. જો કે, ૧૯૩૦ના દાયકામાં ગાણિતિક તર્કની દિશામાં થયેલા મહત્વના કામ પછી કાર્લ પોપરે પોતાની માન્યતા બદલતાં કહ્યું કે, ભૌતિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ અન્ય વિજ્ઞાનોની જેમજ ગણિતની મોટા ભાગના સિદ્ધાંતો પણ - છે તેથી શુદ્ધ ગણિત પણ કુદરતી વિજ્ઞાન છે. 

બીજી તરફ મોટા ભાગના ગણિતજ્ઞોની લાગણી અને માન્યતા આ બધા કરતાં જુદી પડે છે. તેઓ માને છે કે ગણિતને વિજ્ઞાન ગણવાથી તેની મહત્તામાં આંચ આવે છે,  તે ગણિતને અન્યાયકર્તા છે, તેથી ગણિતની આંતરીક સુંદરતા મરી પરવારે છે અને સાત કળાઓ પૈકી એક તરીકે ઇતિહાસમાં જેની ગણના થઇ છે તેનો ઉપહાસ કરી ગણિતના ઇતિહાસનું મહત્વ ઘટાડે છે. ગણિત તો એક કળા છે. વળી ઘણા ગણિતજ્ઞોના મત મુજબ ગણિત અને વિજ્ઞાનના સમન્વયની અવગણના કરીને આપણે ગણિતને પોતાને વિજ્ઞાન દ્વારા વિકસવાની જે તક મળી તેની સામે એક આંખ મીચામણાં કરી રહ્યા છીએ. આમ ગણિત એ રચના કરેલી (કળા) છે કે કુદરતમાં શોધાયેલુ વિજ્ઞાન છે, તેની ચર્ચા તત્વચિંતનનો એક મોટો અને કાયમનો મુદ્દો છે.

See list of theorems, list of conjectures for more

See also list of mathematics history topics

Mathematics is not a closed intellectual system, in which everything has already been worked out. There is no shortage of open problems.

Pseudomathematics is a form of mathematics-like activity undertaken outside academia: and occasionally by mathematicians themselves. It often consists of determined attacks on famous questions, consisting of proof-attempts made in an isolated way (that is, long papers not supported by previously published theory). The relationship to generally-accepted mathematics is similar to that between pseudoscience and real science. The misconceptions involved are normally based on:

The case of Kurt Heegner's work shows that the mathematical establishment is neither infallible, nor unwilling to admit error in assessing 'amateur' work. And like astronomy, mathematics owes much to amateur contributors such as Fermat and Mersenne.

Mathematics is not accountancy. Although arithmetic computation is crucial to accountants, their main concern is to verify that computations are correct through a system of doublechecks. Advances in abstract mathematics are mostly irrelevant to the efficiency of concrete bookkeeping, but the use of computers clearly does matter.

Mathematics is not numerology. Numerology uses modular arithmetic to reduce names and dates down to numbers, but assigns emotions or traits to these numbers intuitively or on the basis of traditions.

 




#Article 87: હિન્દુ-અરેબીક અંકો (249 words)


અરેબીક અંકો (જેને હિન્દુ અંકો કે ભારતીય અંકો પણ કહેવાય છે) એ સંખ્યા ઓના નિરૂપણ માટે સૌથી વધુ વપરાતા ચિન્હોનો સમુહ છે. આ અંકોની શોધને ગણિતના વિકાસમાં સૌથી વધુ મહત્વના પ્રદાન પૈકીનુ એક ગણવામાં આવે છે.

અરેબીક અંકો તરીકે જાણીતી ગણિતની આ સૌથી મહત્વની શોઘ હકીકતમાં અરબોની નહીં પણ હિન્દુઓની ગણિતને અમૂલ્ય ભેટ છે. આ અંકોનો વિકાસ ભારતમાં લગભગ ઈ.પૂ. ૪૦૦માં થયો હતો. પરંતુ હિન્દુઓની દરિયો પાર ન કરવાની માન્યતાને કારણે તેમની કોઇ પણ શોધ કે સંસ્કૃતિ હિન્દુસ્તાનની બહાર જઈ શકતી નહોતી. ભારતમાં થયેલી ગણિતની આ શોધને અરબોએ યુરોપ અને અન્ય પશ્ચિમના દેશોમાં ફેલાવી. ત્યાંથી વ્યાપક સ્વીકૃતિ મળ્યા બાદ આ અંકો અરેબીક અંકોના નામે વિશ્વમાં ફેલાયા. જો કે અરબસ્તાનમાં તો આ અંકો “ ભારતીય અંકો તરીકે ”, أرقام هندية, અર્કમ્ હિન્દિયા:) તરીકે ઓળખાયા.

ઈ.પૂ. ૪૦૦માં હિન્દુ અંકો વપરાયાના પુરાવા પ્રાપ્ય છે. અન્ય સંસ્કૃતિની જેમ હિન્દુઓ વૈજ્ઞાનિક શોધોના પુરાવા રાખતા નહોતા. પરંતુ એક માન્યતા મુજબ હિન્દુઓ વૈદિકકાળથી આ અંકો વાપરતા હતા. આર્યભટ્ટના પુસ્તકોમાં સૌ પ્રથમ સંકેત ૦નો ઉપયોગ શૂન્યના નિરૂપણ માટે મળતો હોવાથી ૦ને આર્યભટ્ટની શોધ ગણવામાં આવે છે. ભાસ્કરાચાર્ય – ૨ ના સમય (૧૭મી સદી) દરમિયાન દશાંકી (૧૦ને પાયા તરીકે લઇને બનેલી) પદ્ધતિનો ૯ ચિહ્નો સાથે ભારતમાં બહોળો ઉપયોગ થવા લાગ્યો. આ પદ્ધતિમાં શૂન્યને એક ટપકાં દ્વારા દર્શાવવામાં આવતો હતો. (જુઓ વાસવદત્ત સુબન્ધુ, કે બ્રહ્મગુપ્ત દ્વારા વ્યાખ્યા). એક મત મુજબ, કદાચ શૂન્યના ચિહ્નની શોધ પ્રથમ સદીમાં તત્વદશર્નમાં બુદ્ધના શૂન્યતાના ખ્યાલના ઉદય દરમ્યાન થયો હશે. 

અલક઼િફતીનાં ૧૨મી સદીના અંતમાં લખાયેલ પુસ્તક Chronology of the scholars માં હિન્દુ અંકો અરબસ્તાન કેવી રીતે પહોંચ્યા તે અંગેની વિગતો સ્રોતના ઉલ્લેખો જોવા મળે છે.




#Article 88: દિલ્હી (4709 words)


દિલ્હી  - સ્થાનિક રીતે દિલ્લી (,)ના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી  (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે. એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે. 

યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, કમ સે કમ છઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેથી સતત માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. દિલ્હી સલ્તનતના ઉદય પછી, ઉત્તર-પશ્ચિમ ભારત અને ભારતીય ગંગાનાં મેદાન પ્રદેશો વચ્ચેના વેપારી માર્ગ પર વસેલું આ શહેર એક રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મુઘલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી આ શહેર મુઘલ સલ્તનતની રાજધાની તરીકે રહ્યું. 

આખા દેશમાંથી સતત સ્થળાંતરિત થતા રહેતા લોકોને કારણે દિલ્હી એક સર્વદેશીય મહાનગર તરીકે વિકસ્યું છે. તેની વસતિની પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક અને સાથોસાથ દિલ્હીના ઝડપી વિકાસ અને શહેરીકરણના કારણે દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે. આજે દિલ્હી એ ભારતનું મુખ્ય સાંસ્કૃતિક, રાજકીય અને વેપારી મથક છે.

ચિત્ર:Qutab.jpg|thumb|left|[38]માં દર્શાવ્યા પ્રમાણે, કુતુબ મિનાર એ વિશ્વનો સૌથી ઊંચો, કોઈ પણ પ્રકારના ટેકા વિના ઊભો રહેલો ઈંટનો પાતળો ઊંચો મિનારો છે

ઈ.સ. પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિ દરમ્યાન અને તે પહેલાં, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વસતિ મોટા ભાગે મોજૂદ હતી અને કમ સે કમ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી તો ત્યાં સતત માનવ વસવાટ રહ્યો હોવાના પુરાવા મળ્યા છે. ભારતીય મહાકાવ્ય મહાભારતમાં પાંડવોની ભવ્ય રાજધાની, ઈન્દ્રપ્રસ્થ આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજયના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે. દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.ઈ.સ.736માં તોમર રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું. ઈ.સ.1180માં અજમેરના ચૌહાણ રાજપૂતોએ લાલ કોટ જીત્યો અને તેને કિલા રાઈ પિથોરાનું નવું નામ આપ્યું. અફઘાન મહમંદ ઘોરીએ 1192માં ચૌહાણોના વંશજ પૃથ્વીરાજ ત્રીજાને હરાવ્યો. મામલુક રાજવંશના પહેલા શાસક, કુતુબ-ઉદ-દિન અયબકે 1206માં દિલ્હી સલ્તનત સ્થાપી. કુતુબ-ઉદ-દિને કુતુબ મિનાર અને કુવાત-અલ-ઈસ્લામ  (ઈસ્લામની શકિત) નામની અત્યારે હયાત એવી ભારતની સૌથી જૂની મસ્જિદનું બાંધકામ શરૂ કર્યું. મધ્યકાલીન યુગના ઉત્તરાર્ધમાં, મામલુક વંશની પડતી પછી, તેમના પર વિજય મેળવી તુર્કી અને મધ્ય એશિયાના વંશજો આવ્યા, ખિલજી રાજવંશ, તઘલખ રાજવંશ, સૈયદ રાજવંશ અને લોદી રાજવંશ સત્તા પર આવ્યા અને અનેક કિલ્લા અને વસાહતો બાંધી, જે દિલ્હીનાં સાત નગરોનો ભાગ છે. 1398માં, દિલ્હીની મુસ્લિમ સલ્તનતો તેમની હિન્દુ પ્રજા પ્રત્યે બહુ કૂણું વલણ રાખે છે એવું બહાનું આગળ ધરીને તૈમુર લંગે ભારત પર આક્રમણ કર્યું.  તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને શહેરને રોળી નાખ્યું, ચારેતરફ વિનાશ વેર્યો અને ખંડેર બનાવી દીધું. સલ્તનત યુગમાં દિલ્હી સૂફીવાદનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું. 1526માં પાણીપતની પહેલી લડાઈમાં, ઝહીરુદ્દીન બાબરે છેલ્લા લોદી સુલતાનને હરાવ્યો અને મુઘલ સામ્રાજયનો પાયો નાખ્યો, જે પછી દિલ્હીથી આગ્રા અને લાહોર પર રાજય કરતું રહ્યું. 

ભારતના 1857ના વિપ્લવ પછી દિલ્હી બ્રિટિશના સીધા નિયંત્રણ હેઠળ આવ્યું. વિપ્લવના પછી થોડા જ સમયમાં, કલકત્તાને બ્રિટિશ રાજ હેઠળના ભારતની રાજધાની અને દિલ્હીને પંજાબનું જિલ્લા-મથક ઘોષિત કરવામાં આવ્યા. 1911માં દિલ્હીને બ્રિટિશ ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવ્યું અને એડવિન લુત્યેન્સની આગેવાનીમાં બ્રિશિટ સ્થપતિઓની એક ટીમે એક નવી રાજકીય અને વહીવટી રાજધાનીમાં સરકારી ઈમારતો કેવી રીતે ગોઠવાશે તે ડિઝાઈન કર્યું. લુત્યેન્સની દિલ્હી નામે પણ જાણીતું નવી દિલ્હી, 15 ઑગસ્ટ, 1947ના સ્વતંત્રતા મળ્યા પછી પણ પ્રજાસત્તાક ભારતની રાજધાની અને ભારત સરકારના મુખ્ય થાણા તરીકે કાયદેસર રીતે ઘોષિત કરવામાં આવ્યું. ભારતના ભાગલા વખતે પશ્ચિમ પંજાબ અને સિંધમાંથી હજારો હિન્દુઓ અને શીખો દિલ્હી ભાગી આવ્યા હતા અને શહેરના ઘણા મુસ્લિમ રહેવાસીઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. શીખોના સૌથી પવિત્ર સ્થાનમાં ઓપરેશન બ્લ્યૂ સ્ટાર દરમ્યાન કરાયેલા હુમલાનો બદલો લેવા માટે ત્યારના વડાપ્રધાન, શ્રીમતી ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખી. આ હત્યા બાદ 31 ઑકટોબર, 1984ના શહેરમાં શીખ-વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં, જે સતત ચાર દિવસ ચાલ્યાં અને આ 1984ના શીખ-વિરોધી રમખાણોમાં હિન્દુ ટોળાંઓએ ત્રણ હજાર શીખોને મારી નાખ્યા. 

આખા દેશમાંથી દિલ્હી તરફ લોકો આવતા રહે છે, તે દિલ્હીની વસ્તીના દિવસે દિવસે ઘટતાં જતા જન્મદરની સરખામણીએ દિલ્હીની વસતિમાં વધુ વધારો કરે છે. 

કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ઔપચારિક રીતે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી કહેવામાં આવે તેવું બંધારણ (ઓગણસાઈઠમો સુધારો) ધારો, 1991 મુજબ ઘોષિત થયું છે. આ ધારા અનુસાર દિલ્હીને ભલે મર્યાદિત સત્તાઓ ધરાવતી પણ તેની પોતાની વિધાનસભા આપવામાં આવી છે. ડિસેમ્બર 2001માં, નવી દિલ્હીમાંના ભારતીય સંસદભવન પર સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓનું મૃત્યુ નીપજયું હતું. આ હુમલા પાછળ પાકિસ્તાની ત્રાસવાદી જૂથોનો હાથ છે તેવી ભારતની શંકાને પરિણામે બંને દેશો વચ્ચે મોટી રાજદ્વારી કટોકટી ઊભી થઈ. ઑકટોબર 2005માં અને સપ્ટેમ્બર 2008માં ફરીથી દિલ્હી પર ત્રાસવાદી હુમલા થયા, જેમાં અનુક્રમે 62 અને 30 સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું.

નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો પ્રદેશ)  વિસ્તાર ધરાવે છે, જેને  ગ્રામ્ય અને શહેરી એમ બે પ્રકારના વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવે છે. દિલ્હીને મહત્તમ લંબાઈ  અને લઘુત્તમ પહોળાઈ  મળી છે.તે દિલ્હી મહાનગરપાલિકા (તેનો વિસ્તાર ), નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટિ () અને દિલ્હી કૅન્ટોનમેન્ટ બોર્ડ () એમ ત્રણ સ્થાનિક તંત્રો (કાયદાકીય નગરો) ધરાવે છે. 

દિલ્હી વિસ્તારક્ષમ છે, તેના બે અંતિમ છેડા જોઈએ તો તે ઉત્તરમાં સારુપ નગરથી શરૂ થઈને દક્ષિણમાં રજોરી સુધી વિસ્તરેલું છે. પશ્ચિમમાં તેના અંતિમ છેડા પર નજાફઘર છે અને પૂર્વમાં યમુના નદી (પૂર્વ છેડો પ્રમાણમાં મધ્યમસરનો છે) છે. એનસીઆર(NCR)ની ઉપરોકત સરહદના દક્ષિણ અને પૂર્વ છેડા પર નોઈડા અને ડીએલએફ(DLF) છે. 
વિચિત્ર રીતે, દિલ્હીનું મુખ્ય વિસ્તરણ કોઈ અમુક ચોક્કસ ભૌગલિક પરિમાણોને નથી અનુસરતું (ઉદારહરણ તરીકે, થેમ્સની આસપાસ કેન્દ્રિત થયેલા લંડનની ઉત્તર સરહદે તેની પહેલી ટેકરી, હમ્પસ્ટેડ હેથ છે અને તેની દક્ષિણ સરહદે નદી છે, એ જ રીતે તેની પશ્ચિમે નદીનો તટપ્રદેશ - પેડિંગટન છે. જયારે દિલ્હી તેનાથી તદ્દન વિપરીત છે). દિલ્હીનો મુખ્ય શહેરનો વિસ્તાર દક્ષિણમાં છેક સાકેત સુધી પૂરો થતો નથી, જયારે ઉત્તર દિશામાં કોનોટ પ્લેસ છે, અને પશ્ચિમ દિશામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 (NH8) છે. 
દિલ્હીનો ભૂપ્રદેશ ખૂબ અનિયમિત છે. ઉત્તરમાં તેમાં સપાટ ખેતરો છે તો દક્ષિણમાં તે સૂકી, ઉજ્જડ  ટેકરીઓમાં-(રાજસ્થાનની અરાવલ્લી પર્વતમાળાના ફંટાળેલા હિસ્સામાં) પલટાઈ જાય છે. શહેરના દક્ષિણ ભાગમાં એક જમાનામાં વિશાળ કુદરતી સરોવરો હતાં, પરંતુ ખાણકામને કારણે તેમાંના મોટા ભાગના અત્યારે સુકાઈ ગયાં છે. યમુના નદી શહેરને સરહદ આપે છે, જો કે અનેક પુલ અને મેટ્રો સબ-વે હોવાથી તે પૂર્વ ભાગ સાથે સારી એવી જોડાણક્ષમતા ધરાવે છે, પણ નદીનો આ પૂર્વ ભાગ દિલ્હી શહેરમાં ગણાતો નથી. નવી દિલ્હી સહિતનું આખું શહેર નદીના પશ્ચિમ તરફના કિનારે વસેલું છે. નદીનો પૂર્વ કિનારો એનસીઆર(NCR- રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ)માં ગણાય છે, પણ દિલ્હીમાં નહીં. 

દિલ્હી ભારતના ઉત્તર ભાગમાં પર આવ્યું છે. ભારતનાં બીજાં બે રાજયો સાથે તે પોતાની સરહદ વહેંચે છે- પૂર્વ તરફ તે ઉત્તર પ્રદેશ સાથે અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ તે હરિયાણા સાથે સરહદો ધરાવે છે. આખેઆખું દિલ્હી લગભગ ગંગાનાં મેદાનપ્રદેશ પર જ વસ્યું છે. યમુનાનો પૂર-પટ અને દિલ્હી રિજ (ગિરિમાળા) એ દિલ્હીની ભૂગોળના બે ધ્યાન ખેંચનારાં પાસાં છે. નીચો-પથરાયેલો યમુનાનો પૂર-પટ કૃષિ માટે અનુકૂળ ફળદ્રુપ કાંપવાળી માટી પૂરી પાડે છે. જો કે આ પટ પર વારંવાર પૂર ફરી વળવાનું જોખમ તોળાતું રહે છે. 318 મીટર (1,043 ફૂટ)ની ઊંચાઈએ પહોંચતી ગિરિમાળાની ટોચ (રિજ) આ વિસ્તારની સૌથી ધ્યાનપાત્ર લાક્ષણિકતાની રચના કરે છે.  એ દક્ષિણ ભાગમાં અરાવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને પછી શહેરના પશ્ચિમ, ઈશાન અને વાયવ્ય ભાગને ઘેરે છે. હિન્દુત્વમાં ખૂબ પવિત્ર મનાતી યમુના એ દિલ્હીમાંથી પસાર થતી એક માત્ર મુખ્ય નદી છે. હિન્દોન નદી નામની બીજી એક નદી દિલ્હીના પૂર્વ ભાગને ગાઝિયાબાદથી જુદો કરે છે. દિલ્હી સીઝમિક ઝોન-IV(ધરતીકંપનું જોખમ ધરાવતો વિસ્તાર IV)માં આવેલું છે, જે તેને મોટા ધરતીકંપો પ્રત્યે જોખમી બનાવે છે.

દિલ્હી ખંડીય આબોહવા ધરાવે છે, જેમાં ઉનાળા અને શિયાળાના તાપમાનમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. મધ્ય ભાગમાં ચોમાસું ધરાવતો દિલ્હીનો ઉનાળો ખાસ્સો લાંબો, અત્યંત ગરમ હોય છે, જે એપ્રિલની શરૂઆતથી મધ્ય ઑકટોબર સુધી ચાલે છે. તે ઘણો વિકરાળ હોય છે અને નજીકના ભૂતકાળમાં ઉનાળાએ ઘણાનો ભોગ લીધો છે. માર્ચની શરૂઆતમાં પવનની દિશા પલટાય છે; વાયવ્ય દિશામાંથી વહેતા પવન, હવે નૈૠત્ય દિશામાંથી વહે છે. આ પવન રાજસ્થાનમાંથી ગરમ વાયરા લઈ આવે છે, જેની સાથે રેતીના કણો પણ તણાઈ આવે છે- દિલ્હીના ઉનાળાની આ એક લાક્ષણિકતા છે. આ વાયરાને લૂ કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાનનો સમય અત્યંત ગરમ, ભોંકાતા-ચીરતા તાપવાળો અને ભારે કાટની સ્થિતિ (ઑકિસડાઈઝિંગ)વાળો હોય છે. જૂનના અંતમાં, હવામાં ભેજનું પ્રમાણ વધે છે, અને જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન છુટક છુટક વરસાદને કારણે થોડી રાહત આપે છે. ઑકટોબરના અંતમાં શિયાળો બેસે છે પણ તેને જામતાં જાન્યુઆરી થાય છે, અને એ વખતે જામતાં ગાઢા ધુમ્મસ માટે દિલ્હી નામચીન છે. તેના તાપમાનનાં અંતિમો 0.6° સે. (30.9° ફે.)થી  જેટલાં રહે છે. તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 25° સે. (77° ફે.) છે; તેનું માસિક સરેરાશ તાપમાન 13°સે.થી 32°સે. (56° ફે.થી 90° ફે.) વચ્ચે રહે છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 714 મિમી (28.1 ઈંચ) જેટલો થાય છે, જેમાંથી મોટાભાગનો જુલાઈથી ઑગસ્ટ દરમ્યાનના ચોમાસામાં વરસી જાય છે. દિલ્હીમાં ચોમાસાના પવનનું આગમન થવાની સરેરાશ તારીખ 29 જૂન છે.

જુલાઈ 2007ની સ્થિતિ મુજબ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(NCT) 9 જિલ્લાઓ, 27 તાલુકા, 59 નાનાં વસ્તીપક નગરો, 165 ગામ અને 3 કાયદાકીય નગરો - દિલ્હી મહાનગરપાલિકા (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC); અને ધ દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ (DCB) - ધરાવે છે. 

દિલ્હી મહાનગર, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (NCT)માં જ વસેલું છે. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ(NCT)માં ત્રણ સ્થાનિક મહાનગરપાલિકાઓ છે- દિલ્હી મહાનગરપાલિકા (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC); અને દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ(DCB). આશરે 137.8 લાખ લોકોને પાયાની નાગરિક સવલતો પૂરી પાડતી દિલ્હી મહાનગરપાલિકા (MCD) વિશ્વની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાંની એક છે. ભારતની રાજધાની, નવી દિલ્હીનો વહીવટ ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ(NDMC)ના હસ્તે છે. દિલ્હીના મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યા બાદ ભારત સરકાર આ કાઉન્સિલ(NDMC)ના પ્રમુખની નિમણૂક કરે છે. 

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ((NCT))ની બહાર દિલ્હીમાં બીજાં ચાર મુખ્ય સેટેલાઈટ શહેરો આવેલાં છે. આ શહેરો છે- હરિયાણાના ગુડગાંવ અને ફરીદાબાદ તથા ઉત્તરપ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદ. દિલ્હી કુલ 9 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. દરેક જિલ્લો (વિભાગ) એક નાયબ કમિશનરની દેખરેખ હેઠળ ચાલે છે તથા તેની નીચે ત્રણ પેટાવિભાગો હોય છે. આ દરેક પેટાવિભાગની દેખરેખ જિલ્લા મેજિસ્ટ્રેટ હેઠળ હોય છે. તમામ નાયબ કમિશનરો, વિભાગીય કમિશનરને જવાબદાર હોય છે. તમામ પ્રકારની રાજય તેમ જ કેન્દ્રીય નીતિઓનું પાલન કરાવવાની તથા સરકારના બીજા અસંખ્ય કામકાજ પર દેખરેખ રાખવાની જવાબદારી દિલ્હીના જિલ્લા વહીવટ તંત્રે (ડિસ્ટ્રીકટ એડમિનિસ્ટ્રેશન ઓફ દિલ્હીએ) નિભાવવાની રહે છે. 

દિલ્હી, દિલ્હી હાઈ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. દિલ્હીમાં બીજી નીચલી કોર્ટો પણ છેઃ દિવાની ખટલાઓ માટેની સ્મોલ કોઝિસ કોર્ટ, અને ફોજદારી ખટલાઓ માટેની સેશન્સ કોર્ટ. પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળની દિલ્હી પોલીસ, આખા વિશ્વમાંનાં સૌથી મોટાં મહાનગર પોલીસ દળોમાંની એક છે. વહીવટની દષ્ટિએ દિલ્હી કુલ નવ પોલીસ-ક્ષેત્રોમાં વહેંચાયેલું છે, અને આ પોલીસ-ક્ષેત્રો પણ પાછાં 95 સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં વિભાજિત થયેલાં છે.

એક વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાણીતો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી) પોતાની વિધાનસભા, લેફટન્ટ ગવર્નર, મંત્રીઓની સમિતિ તથા મુખ્યમંત્રી ધરાવે છે. એનસીટીના મતદાર ક્ષેત્રોમાં સીધી ચૂંટણી થકી વિધાનસભાની બેઠકો ભરવામાં આવે છે. છતાં, નવી દિલ્હીનો વહીવટ ભારતની કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી(NCT)ની સરકાર સંયુકતપણે ચલાવે છે. દિલ્હીમાં આવેલું નવી દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (NCT) અને ભારત સરકાર એમ બંનેનું મુખ્ય મથક છે. 

પરિવહન અને તેના જેવી બીજી અન્ય સેવાઓ દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ પોલીસ જેવી સેવાઓ કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. 1956 પછી પહેલીવાર 1993માં વિધાનસભા પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને દિલ્હીમાં સીધું સમવાયી શાસન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પંચાયત રાજ ધારાના એક ભાગરૂપે દિલ્હી મહાનગરપાલિકા(MCD) શહેરનો નગર વહીવટ પણ સંભાળે છે. નવી દિલ્હી, દિલ્હીનો શહેરી વિસ્તાર, એ દિલ્હીની રાજય સરકાર અને ભારત સરકાર એમ બંને સરકારોનું મુખ્ય મથક છે. ભારતનું સંસદભવન, રાષ્ટ્રપતિભવન અને ભારતનું સર્વોચ્ચ ન્યાયલય (સુપ્રિમ કોર્ટ) નવી દિલ્હી સ્થિત છે. 
દિલ્હીમાં કુલ 80 વિધાનસભા મતદારક્ષેત્રો છે અને 7 લોકસભા (ભારતની સંસદનું નીચલું ગૃહ) મતદારક્ષેત્રો છે. 

પરંપરાગત રીતે દિલ્હી, કૉંગ્રેસ પાર્ટીના નામથી પણ જાણીતી એવી ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનો ગઢ રહ્યું છે. 1990ના દાયકામાં મદનલાલ ખુરાનાના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સત્તા પર આવી હતી. પરંતુ ૧૯૯૮માં, હાલના મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નેજા હેઠળ કૉંગ્રેસે ફરીથી સત્તા હાંસલ કરી. 2003 અને 2008ની ચૂંટણીઓમાં કૉંગ્રેસે વિધાનસભામાં પણ ફરીથી સરસાઈ મેળવી હતી.

પીપીપી(PPP) ટર્મ્સમાં રૂ. 3,364 અબજ (69.8 અબજ યુએસ ડૉલર) અને નોમિનલ ટર્મ્સમાં રૂ.1,182 અબજ (24.5 અબજ યુએસ ડૉલર) જેટલી ચોખ્ખી રાજ્ય-આવક (સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટ) (નાણાકીય વર્ષ 2007) ધરાવતું દિલ્હી, એ ઉત્તર ભારતનું સૌથી મોટું વેપારી મથક છે.  2007માં, હાલના ભાવ અનુસાર દિલ્હીની માથાદીઠ આવક રૂ.66,728 (1,450 યુએસ ડૉલર) છે, જે ચંદીગઢ અને ગોવા પછી ત્રીજા સ્થાને છે. દિલ્હીની કુલ રાજય દીઠ આવકમાં મુખ્ય અને ગૌણ ક્ષેત્રો અનુક્રમે 3.85% અને 25.2% જેટલો ફાળો આપે છે, જયારે એ સિવાયનાં અન્ય ત્રીજાં ક્ષેત્રો 70.95% જેટલો ફાળો આપે છે. દિલ્હીની 32.82% વસતિનું કાર્યબળ ધરાવે છે, જેમાં 1991 અને 2001 વચ્ચે 52.52%નો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 1999–2000માં દિલ્હીમાં બેરોજગારીનો દર 12.57% હતો, જે 2003માં ઘટીને 4.63% થયો હતો. ડિસેમ્બર 2004માં, 636,000 લોકોએ દિલ્હીમાં વિવિધ રોજગાર વિનિમય કાર્યક્રમોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. 

દિલ્હી જલ બોર્ડ (DJB), દિલ્હીમાં પાણી પુરવઠાની સેવા પૂરી પાડે છે. વર્ષ 2005–06ની અંદાજિત પાણીની જરૂરિયાત પ્રતિ દિવસ 963 મિલિયન ગૅલનની હતી, જેની સામે 2006ની સ્થિતિએ પ્રતિ દિવસ 650 મિલિયન ગૅલન જેટલું પાણી પૂરું પાડી શકયું હતું. પાણીની બાકીની આવશ્યકતા ખાનગી અને જાહેર, પાતાળ કૂવા અને હૅન્ડપંપથી પૂરી થઈ હતી. ડીજેબી માટે 240 મિલિયન ગૅલન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતું ભાકરા જળસંગ્રાહાલય(સરોવર) સૌથી મોટો જળસ્રોત છે, જેના પછી બીજા ક્રમે યમુના અને ગંગા નદીનો વારો આવે છે. ભૂતળના જળની સતત નીચી જતી સપાટી અને સતત વધતી વસતિની ગીચતાના કારણે દિલ્હી પાણીની તંગીની તીવ્ર સમસ્યાનો સામનો કરે છે. દિલ્હી દૈનિક ધોરણે 8000 ટન જેટલો ઘન કચરો પેદા કરે છે જે દિલ્હી મહાનગરપાલિકા દ્વારા ત્રણ લેન્ડફિલ સાઈટ પર નાખવામાં આવે છે. દરરોજ 470 મિલિયન ગૅલન ઘરગથ્થુ કચરાવાળું પાણી અને 70 મિલિયન ગૅલન ઔદ્યોગિક કચરાવાળું પાણી નીકળે છે. આ સ્યુઅરિજનો મોટો હિસ્સો, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિના સીધો જ યમુના નદીમાં વાળવામાં આવે છે. 

શહેરનો માથાદીઠ વીજળી વપરાશ આશરે 1,265 kWh છે, પણ ખરેખર જરૂરિયાત/માંગ ઘણી વધુ છે. 1997માં દિલ્હી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત દિલ્હી ઈલેકટ્રીક સપ્લાય અન્ડરટેકિંગ દ્વારા દિલ્હી વિદ્યુત બોર્ડ (DVB)ની દૂર કરવામાં આવ્યું. શહેરની વીજળીની માંગ પૂરતી વીજળી દિલ્હી વિદ્યુત બોર્ડ જાતે ઉત્પાદિત કરી શકે તેમ નહોતું અને તેથી ભારતના ઉત્તર વિસ્તારોના વીજળીના તાર મારફત વીજળી ઉછીની લેવામાં આવતી. પરિણામે, દિલ્હી સતત વીજળીની ખેંચ સહન કરતું, વારંવાર અંધારપટ અને છતે સૂરજે વીજળી વિનાના ભૂખરાપટ છવાઈ જતા, ઉનાળામાં જયારે ઊર્જાની માંગ ટોચ પર હોય ત્યારે તો વિશેષ. દિલ્હીના વારંવાર ખોરવાતાં અને અનિયમિત વીજ પુરવઠા દરમ્યાન પોતાની વીજળીની માંગ પૂરી કરવા માટે અમુક ઔદ્યોગિક એકમો, ઈલેકટ્રીકલ જનરેટર વસાવીને તેની પર આધાર રાખે છે. થોડાં વર્ષો અગાઉ, દિલ્હીનું વીજ પુરવઠા ક્ષેત્ર ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું. તાતા પાવર અને રિલાયન્સ એનર્જી કંપની દિલ્હીમાં વીજળીનું વિતરણ કરે છે. દિલ્હીની અગ્નિશામક સેવા હેઠળ 43 ફાયર સ્ટેશનો ચાલે છે જે દર વર્ષે આશરે 15,000 જેટલા કિસ્સાઓમાં અગ્નિશમન અને બચાવની કામગીરી કરે છે. 

શહેરમાં રાજય હસ્તક મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) અને વોડાફોન એસ્સાર, એરટેલ, આઈડિયા સેલ્યુલર, રિલાયન્સ ઈનફોકોમ અને તાતા ઈન્ડિકોમ ટેલિફોન અને મોબાઈલ ફોન સેવાઓ પૂરી પાડે છે. 

મે 2008માં, દિલ્હીમાં માત્ર એરટેલ જ 40 લાખ ગ્રાહકો ધરાવતું હતું. શહેરમાં સેલ્યુલર કવરેજ ઘણું વિસ્તૃત અને વ્યાપક છે અને જીએસએમ(GSM) અને સીડીએમએ(CDMA) (રિલાયન્સ અને તાતા ઈન્ડિકોમ તરફથી) એમ બંને સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં પરવડી શકે તેવા બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો પણ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે.

]
ચિત્ર:Delhi Airport India.jpg|thumb|ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ દક્ષિણ એશિયાના સૌથી વ્યસ્ત રહેતા વિમાનમથકોમાંનું એક છે.[164] અહીં વિમાનમથકનું ટર્મિનલ 1ડી જોઈ શકાય છે.
દિલ્હીમાં જાહેર પરિવહન માટે ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે- બસ, ઓટોરિક્ષા અને મેટ્રો રેલ વ્યવસ્થા. 

પરિવહન માટે બસ એ સૌથી લોકપ્રિય વિકલ્પ છે, જે શહેરની પરિવહનની આશરે 60% માગને પૂર્ણ કરે છે. રાજય-હસ્તક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) શહેરને મુખ્ય બસ સેવા પૂરી પાડે છે. ડીટીસી (DTC) વિશ્વના સૌથી મોટા, પર્યાવરણ મિત્ર એવી સીએનજી બસોના જૂથનું સંચાલન કરે છે. આંબેડકરનગર અને દિલ્હી ગેટ વચ્ચે બસ રેપિડ ટ્રાન્સિટ નેટવર્ક દોડે છે. 

દિલ્હીના ઘણા વિસ્તારોમાં સેવા આપતી દિલ્હી મેટ્રો, બહોળા જનસમુદાયને પરિવહનની ઝડપી સેવા આપતી વ્યવસ્થા (માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ)નું બાંધકામ અને સંચાલન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા કરવામાં આવે છે. 2007ની સ્થિતિએ, મેટ્રો કુલ 65 કિ.મી.(40 માઈલ)ની લંબાઈ ધરાવતી 3 લાઈનો ધરાવે છે અને 59 સ્ટેશનો આવરે છે; જયારે બીજી નવી લાઈનોનું બાંધકામ હજી ચાલુ છે. લાઈન 1 રીથાલા અને શાહદારા વચ્ચે દોડે છે, લાઈન 2 જહાંગીરી અને કેન્દ્રીય સચિવાલય વચ્ચે ભૂગર્ભ માર્ગે દોડે છે અને લાઈન 3 ઈન્દ્રપ્રસ્થ, બારાખંભા રોડ અને દ્વારકા સબ સિટી વચ્ચે દોડે છે.    Phase-II of the network is under construction and will have a total length of 128 km. 

ટેકસી કરતાં ઓછું ભાડું થતું હોવાથી દિલ્હીમાં જાહેર પરિવહન માટે ઓટોરિક્ષાઓ વધુ લોકપ્રિય વાહન છે. પીળા અને લીલા રંગની આ મોટા ભાગની રિક્ષાઓ કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (સીએનજી(CNG) - સંકોચાયેલો કુદરતી ગૅસ) પર ચાલે છે.   ટૅકસીઓ આસાનીથી ઉપલબ્ધ હોવા છતાં તે દિલ્હીના જાહેર પરિવહનનું અભિન્ન અંગ નથી. મોટા ભાગની ટૅકસીઓ ખાનગી સંચાલકો દ્વારા ચાલે છે અને મોટા ભાગના વિસ્તારોમાં જયાંથી ટૅકસી લઈ શકાય કે ઓર્ડર કરી શકાય તેવાં ટૅકસી સ્ટૅન્ડ પણ ધરાવે છે. આ ઉપરાંત, માત્ર એક મધ્યસ્થ નંબર પર ફોન કરીને ઓર્ડર કરી શકાતી, પ્રતિ કિ.મી. રૂ.15નો એકસરખો સપાટ દર ધરાવતી, ઍર-કન્ડીશન્ડ રેડિયો ટૅકસી પણ ઝડપથી લોકપ્રિય બની છે. 

દિલ્હી ઉત્તર રેલવેનું મુખ્ય જંકશન અને વડુંમથક છે.   તેનાં ચાર મુખ્ય રેલવે સ્ટેશનો છે- જૂની દિલ્હી, નિઝામુદ્દીન રેલવે સ્ટેશન, સરાઈ રોહીલ્લા અને નવી દિલ્હી રેલવે સ્ટેશન. 
દિલ્હી બીજાં શહેરો સાથે અનેક ધોરી માર્ગો અને દ્રુતગતિ માર્ગોથી જોડાયેલું છે. હાલમાં દિલ્હી સાથે ત્રણ દ્રુતગતિ માર્ગો જોડાયેલા છે અને દિલ્હીને તેનાં સમૃદ્ધ અને વેપારી પરાંઓ સાથે જોડી આપનારા બીજાં ત્રણ દ્રુતગતિ માર્ગો બાંધકામ હેઠળ છે. દિલ્હી-ગુડગાંવ દ્રુતગતિ માર્ગ દિલ્હીને ગુડગાંવ સાથે અને આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડે છે. ડીએનડી (DND) ફલાયવે અને નોઈડા-ગ્રેટર નોઈડા દ્રુતગતિ માર્ગ દિલ્હીને તેનાં બે સમૃદ્ધ પરાં સાથે જોડે છે. ગ્રેટર નોઈડામાં નવું વિમાનમથક બનવાનું છે જયારે નોઈડામાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ (Indian Grand Prix) રમાવાનું છે. 

દિલ્હીના નૈર્ૠત્ય ખૂણામાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (ડીઈએલ-DEL) આવેલું છે; શહેરમાં પ્રવેશતાં/નીકળતાં તમામ આંતરિક અને આંતરરાષ્ટ્રીય સામાન્ય નાગરિકો માટેના એર ટ્રાફિક માટે તે પ્રવેશદ્વાર સમું છે. વર્ષ 2006–07માં, આ વિમાનમથક પર 230 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવર નોંધાઈ, અને તેથી દક્ષિણ એશિયાનાં સૌથી વધુ વ્યસ્ત રહેતાં વિમાનમથકોમાંથી એક તરીકે તેની ગણના થવા લાગી. 1.93 અબજના ખર્ચે નવું ટર્મિનલ 3 બાંધકામ હેઠળ છે; તે 2010 સુધીમાં અત્યારની ક્ષમતા ઉપરાંત વાર્ષિક ધોરણે 340 લાખ યાત્રીઓની અવરજવરને સમાવી શકશે.  આ ઉપરાંતના બીજાં વિસ્તીર્ણતાના કાર્યક્રમોના કારણે એરપોર્ટ 2020 સુધીમાં, 1000 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવરને સમાવવા સક્ષમ બનશે. સામાન્ય વિમાન વ્યવહાર માટે દિલ્હીનું બીજું વિમાનમથક, સફદરજંગ એરપોર્ટ પણ વપરાય છે. 

પરિવહનની કુલ આવશ્યકતા/માંગના 30% જેટલી ગરજ ખાનગી વાહનો સારે છે. દર 100 ચો.કિ.મી.માં 1922.32 કિ.મી. રોડ લંબાઈ ધરાવતું દિલ્હી, ભારતમાં સૌથી વધુ રસ્તાઓની ગીચતા ધરાવતાં શહેરોમાંનુ એક છે. પાંચ રાષ્ટ્રીય ધોરી માર્ગો વડે દિલ્હી ભારતના બીજા ભાગો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છેઃ રાષ્ટ્રીય ધોરી માર્ગ (NH) 1, 2, 8, 10 અને 24.   દિલ્હીમાંના તમામ માર્ગોની જાળવણી-નિભાવનું કામ દિલ્હી મહાનગરપાલિકા (MCD), એનડીએમસી (NDMC), દિલ્હી કેન્ટોન્ટમેન્ટ બોર્ડ, જાહેર કાર્યોનો વિભાગ (પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ- પીડબ્લ્યૂડી-PWD) અને દિલ્હી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવે છે. 

દિલ્હીનો વસતિવધારાનો ઊંચો દર, અને ઊંચો આર્થિક વિકાસ દર સાથે જોડાવાથી દિલ્હીમાં પરિવહન માટેની માંગ હંમેશાં સતત વધતી રહે છે અને તેથી શહેરની વર્તમાન પરિવહન વ્યવસ્થા પર અતિશય દબાણ ઊભું થતું રહે છે.  ૨૦૦૮ની સ્થિતિ મુજબ,દિલ્હીના મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા, એટલે કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ભારત))માં 112 લાખ (11.2 મિલિયન) વાહનો  છે. વર્ષ 2008માં, દિલ્હીમાં દર 1,000 રહેવાસીઓએ 85 કાર હતી. દિલ્હીની પરિવહનની માંગ સંતોષવા માટે, રાજય અને કેન્દ્ર સરકારે, દિલ્હી મેટ્રો જેનો એક ભાગ છે તે માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (બહોળા જનસમુદાય માટે ઝડપી પરિવહન વ્યવસ્થા)નું બાંધકામ શરૂ કર્યું. 1998માં, ભારતની સુપ્રિમ કોર્ટે તમામ જાહેર પરિવહન માટેનાં વાહનોમાં ડિઝલ કે અન્ય હાઈડ્રો-કાર્બન ઈંધણ વાપરવાની જગ્યાએ સંકોચેલો કુદરતી ગૅસ - (કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ- સીએનજી(CNG)) વાપરવાનો આદેશ આપ્યો.

દિલ્હીમાં અનેક વંશના જૂથો અને સંસ્કૃતિઓ મોજૂદ છે, જે શહેરને સર્વદેશીય (કોસ્મોપોલિટન) બનાવે છે. રાજકીય સત્તાનું વડું મથક અને વેપારનું કેન્દ્ર એવું આ શહેર ભારતના તમામ ભાગોમાંથી બંને પ્રકારના- શ્રમજીવી(રોજદાર) અને વ્યાવસાયિકો -લોકોને આકર્ષે છે, જેથી તેના ચરિત્રમાં વધુ વિવિધ પાસાં ઉમેરાતાં રહે છે. રાજકીય મુત્સુદ્દી-બેઠકોનું મધ્યબિંદું, 160 દેશોના રાજદૂતાવાસો ધરાવતું દિલ્હી મોટા પ્રમાણમાં વિદેશી વસતિ પણ ધરાવે છે. 

દિલ્હીની વસતિના 82% લોકો હિંદુ ધર્મમાં માને છે. આ ઉપરાંત શહેરમાં બીજાં મોટાં ધાર્મિક સમુદાયો પણ વસે છે, જેમ કે મુસ્લિમો (11.7%), શીખ (4.0%), જૈન (1.1%) અને ખ્રિસ્તીઓ (0.9%). એ સિવાય અન્ય ગૌણ સમુદાયોમાં પારસીઓ, ઍંગ્લો-ઈન્ડિયન્સ, બૌદ્ધો અને યહૂદીઓનો સમાવેશ થાય છે. 

શહેરમાં બોલચાલ અને લખાણની મુખ્ય ભાષા હિન્દી છે. આ ઉપરાંત અંગ્રેજી, પંજાબી અને ઉર્દૂ જેવી અન્ય ભાષાઓ પણ શહેરમાં સામાન્ય રીતે વપરાતી જોવા મળે છે. આમાંથી, અંગ્રેજી અઘિકૃત સંલગ્ન ભાષા છે, અને પંજાબી તથા ઉર્દૂ અઘિકૃત દ્વિતીય ભાષાઓ છે. આખા ભારતમાંના જુદા જુદા ભાષાકીય જૂથો શહેરમાં સરસ રીતે પ્રતિધિનિત્વ ધરાવે છે; આ ભાષાઓમાં મૈથિલી, ભોજપુરી, તેલગૂ, તમિલ, કન્નડ, બંગાળી, આસામી અને મરાઠીનો સમાવેશ થાય છે. જયારે પંજાબી, યાદવ, જાટ અને ગુજ્જરો એ શહેરમાં વસતા વિવિધ વંશીય સમાજ/સમુદાયોનાં ઉદાહરણ છે.   

વર્ષ 2005માં, ભારતના 10 લાખ કે તેથી વધુ વસતિ ધરાવતાં 35 શહેરોમાંથી, દિલ્હીમાં ગુનાઓનો સૌથી ઊંચો દર (16.2%) નોંધાયો હતો. સમગ્ર દેશમાં સ્ત્રીઓ સામે થતા ગુનાઓમાં પણ શહેરમાં સૌથી ઊંચો દર (દર 100,000 , રાષ્ટ્રીય સરેરાશ દર 14.1ની સરખામણીમાં દિલ્હીનો દર 27.6 હતો) નોંધાયો છે તેમ જ બાળકો સામેના ગુનાઓમાં પણ દર 100,000, રાષ્ટ્રીય સરેરાશ દર 1.4ની સરખામણીમાં દિલ્હીનો દર 6.5 હતો.

દિલ્હીની સંસ્કૃતિ પર તેના લાંબા ઇતિહાસ અને ભારતની રાજધાની તરીકેના તેના ઐતિહાસિક જોડાણનો પ્રભાવ રહ્યો હતો. શહેરમાંથી મળી આવેલાં ઘણાં નોંધપાત્ર સ્થાપત્યો/સ્મારકોના ઉદાહરણના આધારે તે સમજી શકાય છે; ભારત પુરાતત્ત્વ સર્વેક્ષણે (આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) શહેરમાં 1200 ઈમારતોને હેરિટેજ બિલ્ડીંગનો દરજજો અને દિલ્હીના 175 સ્મારકોને રાષ્ટ્રીય હેરિટેજ સાઈટનો દરજજો આપ્યો છે. જૂનું શહેર એ એ જગ્યા છે જયાં મુઘલ અને તુર્કી શાસકોએ જામા મસ્જિદ (ભારતની સૌથી મોટી મસ્જિદ) અને લાલ કિલા જેવાં બેનમૂન સ્થાપત્યો બાંધ્યાં હતાં. લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુની કબર- આ ત્રણ વિશ્વ હેરિટેજ સ્થળો દિલ્હીમાં છે. અન્ય સ્થાપત્યો/સ્મારકોમાં ઈન્ડિયા ગેટ, જંતરમંતર (18મી સદીની વેધશાળા) અને પુરાના કિલા (16મી સદીનો લશ્કરી ગઢ)નો સમાવેશ થાય છે. લક્ષ્મીનારાયણ મંદિર, અક્ષરધામ અને બહાઈ લોટસ ટેમ્પલ એ આધુનિક સ્થાપત્યોના નમૂના છે. રાજ ઘાટ અને તેની સાથે સંલગ્ન સ્મારકોમાં મહાત્મા ગાંધી અને અન્ય નોંધપાત્ર વ્યકિતત્વોનાં સ્મારકો છે. નવી દિલ્હીમાં બ્રિટિશ સાંસ્થાનિક સ્થાપત્યના ગતકાલીન નમૂનારૂપ કેટલીક સરકારી ઈમારતો અને અધિકૃત રહેઠાણો છે. મહત્ત્વની ઈમારતોમાં રાષ્ટ્રપતિભવન, સચિવાલય, રાજપથ, સંસદભવન અને વિજય ચોકનો સમાવેશ થાય છે. સફદરજંગની કબરમાં મુઘલ બગીચા શૈલીનું પણ ઉદાહરણ મળે છે. 

રાજધાની નવી દિલ્હી સાથે દિલ્હીની સંલગ્નતા અને ભૌગોલિક સામીપ્યના કારણે, દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રસંગો અને રજાઓનું મહત્ત્વ વધુ રહે છે. પ્રજાસત્તાક દિન, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતિ  (ગાંધીજીનો જન્મદિવસ) જેવા રાષ્ટ્રીય તહેવારો દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ભારતના સ્વતંત્રતા દિવસે (15 ઑગસ્ટ), વડાપ્રધાન લાલ કિલા પરથી સમગ્ર દેશને સંબોધે છે. મોટા ભાગના દિલ્હીવાસીઓ આ દિવસને સ્વતંત્રતાના પ્રતીક મનાતી પતંગો ચગાવીને ઉજવે છે. પ્રજાસત્તાક દિને થતી કવાયત એ એક વિશાળ સાંસ્કૃતિક અને લશ્કરી કવાયત છે, જે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી તાકાતનું પ્રદર્શન કરે છે..  સદીઓથી દિલ્હી તેની સર્વદેશીય સંસ્કૃતિ માટે જાણીતું છે અને ફૂલવાલોં કી સૈર નામનો ઉત્સવ તેને યોગ્ય રીતે વ્યકત કરે છે. આ ઉત્સવ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાય છે અને તેમાં મેહરૌલીમાં સ્થિત 13મી સદીના સૂફી સંત, ખ્વાજા બખ્તિયાર કાકીની સમાધિ પર ફૂલો અને ફૂલો ગૂંથેલા પંખાથી પંખો  નાખવામાં આવે છે, ખ્વાજાની સમાધિની બાજુમાં યોગમાયા મંદિર પણ આવેલું છે..  

દિવાળી (દીવડાઓનો ઉત્સવ), મહાવીર જયંતિ, ગુરુનાનક જયંતિ, દુર્ગાપૂજા, હોળી, લોડી, મહાશિવરાત્રિ, ઈદ્-અલ-ફિત્ર અને બુદ્ધ જયંતિ જેવા ધાર્મિક તહેવારો અહીં ઉજવાય છે. એ ઉપરાંત કુતુબ ઉત્સવ નામના સાંસ્કૃતિક ઉત્સવમાં દેશભરના સંગીતકારો અને નૃત્યાંગના/નર્તકો રાત્રે કુતુબ મિનારની પશ્ચાદ્ ભૂમાં પોતપોતાની કળા રજૂ કરે છે.[239] પતંગોત્સવ, આંતરરાષ્ટ્રીય કેરી મહોત્સવ અને  (વસંતના આગમને ઉજવાતો ઉત્સવ) જેવા બીજા ઉત્સવો દર વર્ષે દિલ્હીમાં ઉજવાય છે. એશિયાનો સૌથી મોટું ઓટો પ્રદર્શન- ધ ઓટો એકસપો, દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીમાં ભરાય છે. દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભરાતો વિશ્વ પુસ્તકમેળો, વૈશ્વિક ધોરણે યોજાતા સૌથી મોટા પુસ્તકમેળાઓમાં દ્વિતીય ક્રમે છે, જેમાં લગભગ 23 જુદા જુદા દેશો ભાગ લે છે. વાચકોની ઊંચી સંખ્યાને કારણે દિલ્હીને ઘણી વાર ભારતની પુસ્તકોની રાજધાની પણ કહેવામાં આવે છે.
દિલ્હીના કેટલાક વિસ્તારોની કબાબ અને બિરયાની જેવી પંજાબી અને મુઘલાઈ વાનગીઓ ઘણી લોકપ્રિય છે. દિલ્હીના મોટા પ્રમાણમાં છવાયેલી સર્વદેશીય સંસ્કૃતિને કારણે, ભારતના દરેક ભાગની વાનગીઓ, પછી એ રાજસ્થાની, મહારાષ્ટ્રીયન, બંગાળી, હૈદરાબાદી કે ઈડલી, સંભાર અને દોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ કેમ ન હોય, દિલ્હીમાં વ્યાપક રીતે ઉપલબ્ધ હોય છે.  સ્થાનિક વાનગીઓમાં ચાટ  અને દહીં-પૂરી નો સમાવેશ થાય છે.  દિલ્હીમાં અમુક જગ્યાઓએ ઈટાલિયન અને ચાઈનીઝ જેવી આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસતા હોય તેવી હૉટલ-રેસ્ટોરાં વગેરે પણ છે. 

ઐતિહાસિક દષ્ટિએ, દિલ્હી હંમેશાં ઉત્તર ભારતનું એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર રહ્યું છે. જૂની દિલ્હીમાં હજી પણ સમૃદ્ધ મુઘલ ભૂતકાળનો વારસો સચવાયેલો છે જે શહેરની ગૂંચવાડાભરી, સર્પાકાર ગલીઓમાં અને ઠસોઠસ, ગીચ બજારોમાં જોવા મળે છે.[248] પણ આ જૂની દિલ્હીનાં મેલાંઘેલાં દેખાતાં બજારોમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી જોવા મળે છે, તેમાં તેલમાં ડુબાડેલી કેરી, લીંબુ અને રીંગણીનાં અથાણાં, વિવિધ રંગોના પતાસાં, જડીબુટ્ટી/ઔષધિઓથી માંડીને દુલ્હનનો પોશાક, કાપ્યા વિનાનો કાપડનો તાકો અને લેનિન, મસાલાં અને મીઠાઈઓ મળે છે. જૂની દિલ્હીમાં હજી પણ કેટલીક જૂની બાદશાહી  (ભવ્ય રહેઠાણો) મોજૂદ છે.[251]  ત્રણ સદીઓ પહેલાંનો જૂનો બજાર વિસ્તાર- , આજે પણ દિલ્હીમાં જર-ઝવેરાત અને વાળી સાડીઓ માટે અત્યંત પ્રખ્યાત વિસ્તારોમાંનો એક છે.[253]  (સોનાના દોરાથી કરાયેલું ભરતકામ) અને  (કાચ જેવા પદાર્થ મીનાનું કામ) એ દિલ્હીની નોંધપાત્ર હસ્તકળાઓ છે. દિલ્લી હાટ, હોજ ખાસ અને પ્રગતિ મેદાન પર ભારતીય હસ્તકળાઓ અને હાથવણાટના કાપડની ભારે વિવિધતા જોવા મળે છે. આટલા સમયગાળામાં દિલ્હીમાં આખા દેશની મોટા ભાગની માનવતા ભળીને એકરસ ગઈ છે અને હવે એક વિલક્ષણ સાંસ્કૃતિક શૈલીમાં રૂપાંતર પામી છે. 

ચિત્ર:AIIMS central lawn.jpg|thumb|ભારતની ટોચની મેડિકલ કૉલેજ તરીકે સાતત્યપૂર્ણ સ્થાન જાળવી રાખતી,[268] ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, તબીબી સંશોધન અને સારવારના ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન છે.[270]
દિલ્હીમાં શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ શિક્ષણ નિયામક, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) સરકાર અથવા ખાનગી સંસ્થા-સંગઠનો હસ્તક હોય છે. વર્ષ 2004–05માં, દિલ્હીમાં 2,515 પ્રાથમિક, 635 ઉત્તર-પ્રાથમિક, 504 માધ્યમિક અને 1,208 ઉચ્ચ માધ્યમિક શાળાઓ હતી. એ વર્ષે, શહેરમાં કુલ મળીને 165 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી, જેમાં પાંચ મેડિકલ કૉલેજ, આઠ ઈજનેરી કૉલેજ; ડીયુ(DU), જેએનયુ(JNU), જેએમઆઈ (JMI), જીજીએસઆઈપીયુ (GGSIPU), ઈગ્નુ (આઈજીએનઓયુ-IGNOU) અને જામિયા હમદર્દ એમ છ યુનિવર્સિટી અને નવ સ્વાયત્ત વિશ્વવિદ્યાલયો હતાં. જીજીએસઆઈપીયુ (GGSIPU) એ એક માત્ર રાજય હસ્તકની યુનિવર્સિટી છે; ઈગ્નુ (IGNOU) એ મુક્ત/દૂરથી અભ્યાસ માટેની યુનિવર્સિટી છે; અને બાકીની તમામ કેન્દ્ર હસ્તક/મધ્યસ્થ યુનિવર્સિટીઓ છે. 

અંગ્રેજી અથવા હિન્દી માધ્યમમાં શિક્ષણ આપતી દિલ્હીની ખાનગી શાળાઓએ બેમાંથી એક વહીવટી તંત્ર સાથે સંલગ્ન હોય છે- કાં તો કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન્સ (CISCE) અથવા સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજયુકેશન (CBSE). આખા દિલ્હીમાં વર્ષ 2004–05માં, આશરે 15.29 લાખ (1.529 મિલિયન) વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં, આશરે 8.22 લાખ (0.822 મિલિયન) વિદ્યાર્થીઓએ ઉત્તર-પ્રાથમિક શાળામાં અને 6.69 લાખ (0.669 મિલિયન) વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળાઓમાં પ્રવેશ લીધો હતો. કુલ પ્રવેશ લીધેલાં બાળકોમાંથી 49% વિદ્યાર્થિનીઓ હતી. એ જ વર્ષે, દિલ્હી સરકારે પોતાની કુલ રાજય આવકમાંથી 1.58%-1.95% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હતો.

નવી દિલ્હી ભારતની રાજધાની હોવાથી રાજકીય અહેવાલો માટે તે મધ્યબિંદું સમાન છે, જેમાં ભારતીય સંસદના સત્રોનું નિયમિત પ્રસારણ પણ સમાવિષ્ટ છે. દેશભરમાં વ્યાપ્ત એવાં ઘણાં પ્રસાર-માધ્યમોની એજન્સીઓ દિલ્હી સ્થિત છે, જેમાં રાજય હસ્તકના પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને દૂરદર્શન પણ એક છે. શહેરમાં પ્રસારિત ટી.વી. પ્રોગ્રામોમાં દૂરદર્શનની બે નિઃશુલ્ક જમીન પરથી પ્રસારિત કરવામાં આવતી ટેલિવિઝન ચેનલો અને અનેક સિસ્ટમ ઓપરેટરો દ્વારા ચાલતી કેટલીક હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષા ની કેબલ ચેનલો પરથી કાર્યક્રમો જોવા મળે છે. તેનાથી વિપરીત, શહેરમાં સૅટેલાઈટ ટેલિવિઝનને હજુ બહોળા પાયા પર ગ્રાહકોનો સ્વીકાર મળ્યો નથી. 

દિલ્હીમાં હજી પણ મુદ્રિત સમાચાર-માધ્યમોની લોકપ્રિયતા જળવાઈ રહી છે. વર્ષ 2004–05માં, શહેરમાંથી કુલ તેર ભાષામાં 1029 સમાચારપત્રો પ્રકાશિત થયા હતા. આમાંથી નવભારત ટાઈમ્સ , હિન્દુસ્તાન દૈનિક , પંજાબ કેસરી , દૈનિક જાગરણ , દૈનિક ભાસ્કર , દૈનિક દેશબંધુ  અને સૌથી ઝડપી વ્યાપ સાધનાર સાપ્તાહિક ધ સ્ટેજમૅન ઈન્ટરનેશનલ  સહિત કુલ 492 હિન્દી ભાષાના સમાચાર-પત્રો હતા.  અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં અખબારોમાં આશરે ૧૦ લાખ પ્રતનો રોજિંદો ફેલાવો ધરાવતું ધ હિન્દુસ્તાન ટાઈમ્સ , એક માત્ર મોટું દૈનિક હતું. એ સિવાય બીજાં અંગ્રેજી અખબારોમાં ધ ઈન્ડિયન એકસપ્રેસ , બિઝનેસ સ્ટાન્ડર્ડ , ટાઈમ્સ ઓફ ઈન્ડિયા , ધ હિન્દુ , ધ પાયોનિયર  અને એશિયન એજ નો સમાવેશ થાય છે. દિલ્હીમાં રેડિયો એ પ્રમાણમાં ઓછું લોકપ્રિય પ્રસાર માધ્યમ છે, અલબત્ત 2006માં કેટલીક એફએમ (FM) ચેનલોના ઉદ્ઘાટનથી એફએમ રેડિયોએ શહેરમાં પોતાના પગ જમાવવા શરૂ કરી દીધા છે. 
દિલ્હીથી અનેક રાજય હસ્તક અને ખાનગી રેડિયો સ્ટેશનો પ્રસારિત થાય છે, જેમાં દસ ભાષામાં છ રેડિયો ચેનલો આપતું ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) સ્ટેશન એ વિશ્વનું સૌથી મોટું રેડિયો સેવા આપતું સ્ટેશન છે.  શહેર સ્થિત અન્ય રેડિયો સ્ટેશનો છે- બીગ એફએમ (92.7 FM) , રેડિયો મિર્ચી (98.3 FM) , ફિવર (104.0 FM) , રેડિયો વન (94.3 FM) , રેડ એફએમ (93.5 FM) , રેડિયો સિટી (91.1 FM) , હિટ ૯૫ (95.0 FM)  અને મીઓવ (104.8FM) . 

ભારતના અન્ય હિસ્સાઓની જેમ, દિલ્હીમાં પણ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે. ભારતના સૌથી જૂનાં ક્રિકેટ  માંથી એક,  જયાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પણ ગોઠવાય છે, તે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ઉપરાંત શહેરભરમાં જુદા જુદા સ્થાને ક્રિકેટ મેદાનો આવેલાં છે. દિલ્હી ક્રિકેટ ટીમ, ભારતની રાષ્ટ્રીય સ્તરની પ્રથમ કક્ષાની ક્રિકેટ ચેમ્પિયનશિપ-રણજી ટ્રોફીમાં ભાગ લેતી હોય છે. આ ઉપરાંત આઈપીએલ(IPL)ની દિલ્હી ડેરડેવિલ્સ ટીમ અને આઈસીએલ(ICL)ની દિલ્હી જાયન્ટ્સ (પહેલાં દિલ્હી જેટ્સ નામ હતું) ટીમ પણ શહેર ધરાવે છે. મેદાની હૉકી, ફૂટબોલ (સૉકર), બાસ્કેટ બૉલ, ટેનિસ, ગોલ્ફ, બેડમિન્ટન, તરણ, ગાડાંની રેસ, વેઈટ લિફિંટગ અને ટેબલ ટેનિસ જેવી અન્ય રમતો પણ શહેરમાં લોકપ્રિય છે.

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમ જેવી રમતગમતની સવલતો છે. ભૂતકાળમાં દિલ્હી કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે, ઉ.દા. પહેલી અને નવમી એશિયન રમતો. હાલમાં દિલ્હી 2010ની કૉમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે, જે શહેરમાં અત્યાર સુધી થયેલો સૌથી મોટો વિવિધ-રમતોનો સમારંભ હશે. 2014ની એશિયન ગેમ્સનું યજમાનપદું મેળવવા માટેની હોડમાં દિલ્હી ચૂકી ગયું હતું, પરંતુ હવે તે 2020ની ઓલમ્પિક રમતોના યજમાન બનવા માટેની હોડમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. 2010ની ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસની પહેલવહેલી રમતનું યજમાનપદું કરવા માટે દિલ્હીની પસંદગી થઈ છે.




#Article 89: ગાંધી આશ્રમ (123 words)


સાબરમતી આશ્રમ (કે જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વહીવટી મથક અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.

ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.




#Article 90: અલંગ (127 words)


અલંગ (અક્ષાંશ-રેખાંશ વિકિડેટા પ્રમાણે: ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે.

આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.

જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.

જહાજ ભાંગવાના ઉદ્યોગમાં ૨૦૧૪ થી સતત ત્રણ વરસ નબળા ગયા હોવાનો અહેવાલ વર્તમાનપત્રમાં પ્રકાશિત થયા હતા.. એ જ અહેવાલમાં ૨૦૧૭નું વર્ષ તેજીનું છે એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




#Article 91: લોકશાહી (222 words)


File:2016 Freedom House world map.png|thumb|339x339px|ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ ૨૦૧૬ના સર્વેક્ષણ મુજબ ૨૦૧૫ના વર્ષ દરમિયાન વિવિધ દેશોની લોકશાહી સ્વતંત્રતા.
લોકશાહી ( ,  , શાબ્દિક રીતે લોકો દ્વારા શાસન) એ સરકારનું એક એવું તંત્ર છે જ્યાં નાગરિકો મત દ્વારા સત્તાનો ઉપયોગ કરે છે. પ્રત્યક્ષ લોકશાહીમાં નાગરિકો સંપૂર્ણ રૂપે એક સંચાલક સંસ્થા બનાવે છે અને પ્રત્યેક મુદ્દા પર સીધો મત આપે છે. પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકો પોતાને માટે પ્રતિનિધિઓ પસંદ કરે છે. આ પ્રતિનિધિઓ એક વહીવટી સંસ્થા, જેમ કે વિધાનસભા રચવા માટે મળે છે. બંધારણીય લોકશાહીમાં બહુમતીની સત્તા પ્રતિનિધિ લોકશાહીના માળખામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

લોકશાહી એ સંઘર્ષની પ્રક્રિયા કરવાની એક પ્રણાલી છે જેમાં પરિણામો સહભાગીઓ શું કરે છે તેના પર નિર્ભર છે, પરંતુ કોઈ એક બળ તેનું શું થાય છે અને તેના પરિણામોને નિયંત્રિત કરે છે. પરિણામોની અનિશ્ચિતતા લોકશાહીમાં સહજ છે. લોકશાહી બધા જ દળોને તેમનાં હિતોને સમજાવવા માટે વારંવાર સંઘર્ષ કરે છે અને લોકોનાં જૂથોથી સત્તાના નિયમોને સ્થાપિત કરે છે.

કોઇ પણ એક વ્યક્તિની નિરપેક્ષ રાજાશાહી, અથવા અલ્પજનતંત્ર કે જ્યાં એક સત્તા તરીકે વ્યક્તિઓ એક નાની સંખ્યા રાજ કરે છે, તેની સરખામણીમાં લોકશાહી અલગ છે. તેમ છતાં ગ્રીક ફિલસૂફીમાંથી વારસાગત આ વિરોધ હવે અસ્પષ્ટ છે કારણ કે સમકાલીન સરકારોએ લોકશાહી, અલ્પજનતંત્ર અને રાજાશાહી તત્વો મિશ્ર કર્યા છે. કાર્લ પોપરે લોકશાહીને સરમુખત્યારશાહી અથવા અત્યાચારથી વિપરીત વ્યાખ્યાયિત કરી, જેથી લોકો તેમના નેતાઓને અંકુશમાં લેવા અને ક્રાંતિની જરૂરિયાત વિના તેમને બહાર કાઢવાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરે.




#Article 92: જ્યોતીન્દ્ર દવે (328 words)


જ્યોતીન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા.

જ્યોતીન્દ્ર દવેનો જન્મ  ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા. મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમણે 'ગુજરાત' માસિકનું સહ-સંપાદન પણ કરેલું. ૧૯૩૩ થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ૧૯૫૬માં નિવૃત્તિ સુધી કર્યું. તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં અને પુત્રી રમા, પુત્ર પ્રદીપ, અસિતના તેઓ પિતા બન્યા.

એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

તેમનું ઘર સુરતના આમલિરણ વિસ્તારમાં આવેલું છે.
બિરુદ:- વિદ્વતા અને હાસ્ય નો વિનિયોગ,હાસ્યસમ્રાટ

તેમની મુખ્ય રચનાઓમાં 'રંગતરંગ' 'ભાગ ૧ થી ૬' (૧૯૩૨-૧૯૪૬), 'જ્યોતીન્દ્ર તરંગ', 'રેતીની રોટલી' (૧૯૫૨), 'વડ અને ટેટા' (હાસ્ય નિબંધો), 'અમે બધાં' (નવલકથા, ૧૯૩૬), 'વ્યતીતને વાગોળું છું' (આત્મકથા), 'હાસ્ય નિબંધ સંગ્રહ' - ૧૦, 'હાસ્યનવલકથા' - ૧, 'આત્મકથા' વગેરે મુખ્ય છે. વળી તેમના 'અવસ્તુદર્શન', 'અશોક પારસી હતો', 'મહાભારત: એક દ્રષ્ટિ', 'મારી વ્યાયામસાધના', 'સાહિત્યપરિષદ' જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. કાવ્યોમાં તેમણે 'આત્મપરિચય', 'એ કોણ હતી?' તથા 'લગ્નના ઉમેદવાર' જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો. ઉપરાંત 'વિષપાન' (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. 'વડ અને ટેટા' (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન 'માઈઝર' નું રૂપાંતર છે. 'સામાજિક ઉત્ક્રાન્તિ' (૧૯૩૦) તથા 'એબ્રહમ લિંકન-જીવન અને વિચાર' (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે. 'ખોટી બે આની', 'લગ્નનો ઉમેદવાર', 'પાનનાં બીડાં', 'સોયદોરો', 'ટાઈમટેબલ', વગેરે તેમની મહત્વની કૃતિઓ છે.

૧૯૪૧માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમને ૧૯૫૦માં નર્મદ સુવર્ણ ચંદ્રક પણ મળ્યો હતો.

તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને 'જ્યોતીન્દ્ર દવે પારિતોષિક' અપર્ણ થાય છે.




#Article 93: હાથબ (તા.ભાવનગર) (100 words)


હાથબ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા ભાવનગર તાલુકામાં આવેલું એક  ગામ છે. ભાવનગરથી ૩૦ કિલોમિટર દૂર આવેલું આ દરિયાઇ ગામ હવા ખાવાનું સ્થળ છે.

ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીં માનવસંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળી આવવાની શકયતા છે. રાજાશાહી સમયમાં અહીં ભાવનગરના રાજવીએ સોનેરી રેતી વાળા દરિયા કિનારે એક બંગલો બનાવેલો જે હાથબ બંગલા તરીકે ઓળખાય છે. એ બંગલો હાલ જંગલખાતાનાં કબ્જા હેઠળ બંધ હાલમાં છે. ૧૯૮૫માં અહિંયા ગુજરાત રાજ્યનું પ્રથમ દરિયાઈ કાચબા ઊછેર કેંદ્ર દીપકભાઈ પ્ર. મેહતાએ ગુજરાત વન વિભાગના સહયોગથી બનાવેલું. હાથબ બંગલાની બાજુનાં મકાનમાં લોકશાળા ચાલે છે.




#Article 94: જામનગર (1013 words)


જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે  જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન કરે છે.

જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. ૧૫૪૦માં રંગમતિ અને નાગમતિ નદીઓના કિનારે થયાનું ઇતિહાસકારો માને છે. કચ્છમાંથી આવેલા જાડેજા વંશના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડું રાજ્યો પૈકીનું એક હતું.

ઐતિહાસિક અહેવાલો અનુસાર, બહાદુરશાહ, ગુજરાતના સમ્રાટ, પાવાગઢની ઘેરાબંધીમાં તેમની ભૂમિકાને માન્યતા આપવા માટે જામ લામાજીને બાર ગામોને આપવામાં આવ્યા હતા. તેમ છતાં, ગામોનો કબજો લઈ લીધા પછી તેના પિતરાઈ ભાઈઓ તમાચી દેડા અને જામ હમીરજી જાડેજા દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેના પુત્ર જામ રાવલે તેના પિતાના હત્યારાઓની હત્યા કરી અને કચ્છના શાસક બન્યા હતા. હમીરજીના બે પુત્રો કેનગરજી અને સાહિબજી મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહના શિકાર દરમિયાન, બે ભાઈઓએ સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને બચાવી લીધા હતા અને  તેમના બહાદુરી માટે પુરસ્કાર તરીકે, તેમના સામ્રાજ્ય ફરીથી મેળવવા માટે સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જ્યારે જામ શ્રી રાવલજીએ બે રાજકુમારોને કચ્છમાં શાહી લશ્કર સાથે પાછા આવતા સાંભળ્યા ત્યારે તેમણે યુદ્ધ માટે તૈયાર કર્યા હતા.

એક રાત્રે, રાજપૂતોના જાડેજા કુળના સર્વોચ્ચ દેવી આશાપુરા, સ્વપ્નમાં જામ રાવલજીને આવ્યા હતા અને તેમને શપથ લેતા કહ્યું હતું કે  હમીરજીને મારવા નહીં, ભલે તે તેના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ હતા, પણ તેણીએ તેને સજા કરતા અટકાવ્યો કારણ કે તેમણે અન્ય તમામ સમયે તેને સન્માનિત કર્યા હતા, પરંતુ તેમને હવે કચ્છમાં રહેવું ન હતું. જામ રાવલજી અને તેમના મંડળએ કૂચ કરી, તેમના પિતાની હત્યામાં મુખ્ય કાવતરાખોર તમિખી દેડા પર હુમલો કર્યો અને હત્યા કરી, પિતાના અમરાન અને તેના મૂળ નગર પર વિજય મેળવ્યો. જામ રાવલજીએ તેમના નાના ભાઈ હૃધ્રોલજીને ધ્રોલ પ્રાંતનું શાસન આપ્યું, જે પાછળથી ખંભાળયા નજીક મિથુઓના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, તેની ગાદી તેમના મોટા પુત્ર જાસોજીને સોંપવામાં આવી હતી. જામ હરી રાવલજીએ સૌરાષ્ટ્રના ભાગો જીતી લીધાં હતા અને ૯૯૯ ગામોને આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મૂળપુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી હાલાર તરીકે નામ આપ્યું, ત્યાર થી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે. તે સમયના હાલાર રજવાડાની હદમાં ઉત્તરે કચ્છનો અખાત અને કચ્છનું નાનું રણ, પશ્ચિમે ઓખામઢીનું રણ અને અરબી સમુદ્ર, પૂર્વમાં મોરબી, રાજકોટ, ઘ્રોળ તથા દક્ષિણે ગોંડલ સોરઠ પ્રદેશ અને અન્ય વિસ્તાર આવતો હતો.

જામનગર શહેરની વસ્તી ઇ.સ. ૧૮૭૨માં ૩૪,૭૪૪ હતી જે વધીને ઇ.સ. ૧૯૭૧ની વસ્તી ગણતરીમાં ૨,૧૪,૮૧૬ થઇ હતી. ઇ.સ. ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે જામનગરની વસ્તી ૫,૨૯,૩૦૮ છે; જેમાં ૨,૭૬,૨૦૨ પુરુષો અને ૨,૫૩,૧૦૬ સ્ત્રીઓ છે. કુલ વસ્તીના ૮૨.૫૮% (પુરુષ:૮૬.૯૭% અને સ્ત્રી:૭૭.૮૩%) સાક્ષર છે.

જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે. 

ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે ૧૫૭૪ થી ૧૬૨૨ વચ્ચે બાંધવામાં આવ્યા હતાં. 

જામનગરના બાલા હનુમાન મંદિરને રામ ધૂન (૧ ઓગસ્ટ ૧૯૬૪થી) ના લાંબા સમય સુધી સતત જાપ કરવા માટે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સૂચિબદ્ધ કરાયું છે. ગિનીસ બુક રેકોર્ડ્સમાં જામનગરના શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટો રોટલા, જેનું વજન ૬૩.૯૯૯૯ કિગ્રા છે, નો સમાવેશ થાય છે. જે ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ બનાવવામાં આવ્યો હતો. જામનગર શહેરના ઘણાં મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે છોટી કાશી તરીકે પ્રખ્યાત છે.

આચાર્ય શ્રી મનહરલાલજી મહારાજશ્રી દ્વારા સ્થાપિત ગીતા વિદ્યાલયની 5 શાખાઓ અહીં આવેલી છે. જે શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ વગેરેના ઉપદેશો વડે ૮ થી ૧૮ વર્ષના બાળકોના સંતુલિત શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

દરબારગઢ (મહારાજાનો મહેલ), જામ સાહેબનું જૂનું રાજનિવાસ અને જામનગરનું સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સંકુલ છે. તેનું સ્થાપત્ય રાજપૂત અને યુરોપિયન શૈલીઓનું મિશ્રણ છે. અર્ધ-પરિપત્ર મહેલ સંકુલમાં ખૂબ જ સુંદર સ્થાપત્ય સુવિધાઓ અને વિગતો સાથે સંખ્યાબંધ ઇમારતોનો સમાવેશ થાય છે. તેમાં પથ્થરની કોતરણી, ભીંતચિત્રો, ફરેટવર્ક કોતરણી કરેલી જાળીઓ, સુશોભન અરીસો, કોતરેલા થાંભલાઓ અને શિલ્પના કેટલાક સુંદર ઉદાહરણો છે. બહારની તરફ ભારતીય પરંપરામાં ઝરુખાઓ કોતરવામાં આવેલા છે અને વેનેશ્યન-ગોથિક કમાનો છે. ૨૦૦૧માં આવેલા ધરતીકંપને કારણે દરબારગઢને નોંધપાત્ર નુકસાન થયું હતું.

નવાનગરના મહારાજાનો આ નાનો મહેલ લખોટા તળાવની મધ્યમાં એક ટાપુ પર આવેલો છે જેને હાલમાં સંગ્રહાલયમાં ફેરવવામાં આવેલો છે. આ કિલ્લા જેવા મહેલમાં અર્ધ ગોળાકાર ગઢ છે, ગઢના કાંગરા અને બુરંજો ધરાવતા આ કિલ્લામાં પ્રવેશતા જ તલવારો, બંદુકો અને બારુદ ભરવાના કૂંજાઓનું પ્રદર્શન જોવા મળે છે. તળાવની વચ્ચે આવેલા આ ટાપુ પરથી તળાવની પેલે પાર જવા માટે સુંદર કાળીગરીવાળા કઠેડાથી શોભતો કમાનાકર પથ્થરનો પુલ આવેલો છે. કિલ્લાના સંગ્રહાલયમાં શિલ્પોનો સારો સંગ્રહ છે જે ૯મીથી ૧૮મી સદીના સમય દરમ્યાનના છે. આ ઉપરાંત આસપાસના ગામોમાંથી મળી આવેલા મધ્યકાલિન માટીકામના વાસણો પણ અહિં પ્રદર્શિત કરવામાં આવેલા છે. આ સંગ્રહાલય રણમલ તળાવની ઉત્તરીય બાજુના ટૂંકા પુલ પરથી પહોંચી શકાય છે અને બુધવાર સિવાય દરરોજ ખુલ્લું હોય છે.

પ્રભાવશાળી વિલિંગડન ક્રેસન્ટનું નિર્માણ જામ રણજિતસિંહે કરાવ્યું હતું, જે તેમના યુરોપીયન પ્રવાસથી પ્રેરિત હતું. મૂળતઃ અર્ધચંદ્રાકાર બજાર માટેની જગ્યા છે જેમાં ત્રિકોણીય કમાનોની હારવાળો રસ્તો આવેલો છે જેની ફરતે ભોંયતળીએ મોટા અને ઉપલા માળે નાના એવા વક્રાકાર દિવાલમાં જડેલા ચોરસ થાંભલાઓ અને ફરતે જમરૂખના આકારની નાની થાંભલીઓ ગોઠવેલી છે. જામ સાહેબની પ્રતિમા અર્ધચંદ્રાકારની મધ્યમાં આવેલી છે. ૨૦૦૧ના ગુજરાત ભૂકંપથી આ શોપિંગ વિસ્તારમાં થોડું નુકસાન થયું હતું.

પ્રતાપ વિલાસ મહેલ મહારાજા રણજીતસિંહજીના શાસન દરમિયાન બાંધવામાં આવેલો. તેમાં ભારતીય કોતરણી સાથે યુરોપિયન સ્થાપત્ય છે જે તેને સંપૂર્ણપણે અલગ બનાવે છે. તે કલકત્તાની વિક્ટોરિયા મેમોરિયલ ઇમારતના અનુગામી તરીકે બાંધવામાં આવ્યો હતો, પરંતુ તેમાં બાંધવામાં આવેલા ગુંબજો ભારતીય સ્થાપત્ય શૈલિ મુજબના છે, જેમાંના ત્રણ કાચના બનેલા છે. સ્તંભો પર વેલો, ફૂલો, પાંદડા, પક્ષીઓ અને પ્રાણીઓની કોતરણી કરવામાં આવી છે જે મહેલને જીવંત બનાવે છે. ૨૦૦૧ના ધરતીકંપથી કેટલાક ભાગને ઘણું નુકશાન થયું હતું અને કેટલાક ખૂણાઓમાં છત અને દિવાલો વચ્ચે મોટી તિરાડો પડી હતી. આ મહેલ મુલાકાતીઓ ફક્ત બહારથી જ જોઈ શકે છે, અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.

જામનગર તેની બાંધણી તેમજ પિત્તળના વાસણોના ઉદ્યોગો માટે જાણીતું છે. તે ખાંડ તેમજ ઊનની નિકાસ કરે છે.




#Article 95: ચલાલા (તા. ધારી) (203 words)


ચલાલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા  અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા  ધારી તાલુકામાં આવેલું એક  ગામ છે. ચલાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ,  દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
ચલાલામાં સુપ્રસીદ્ધ દાન મહારાજનો આશ્રમ આવેલો છે. દાન મહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે. વલકુબાપુના અનુચરો તેમને અત્યંત આદરથી જુએ છે અને તેમની ગણના પરમ પૂજ્ય તથા વિદ્વાન તરીકેની કરે છે. આ ભક્તો તેમને મહાવિદ્વાન આદરણીય પરમ પૂજ્ય શ્રી વલકુબાપુ કહીને બોલાવે છે.  વલકુબાપુ ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજીક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. તેઓ ચલાલા આર. કે. એમ. એમ. હાઇસ્કુલના મુખ્ય ટ્રસ્ટી તરીકે અને શ્રી દાનેવ ગુરુકુળ, ચલાલાની સ્થાપના કરી શિક્ષણશેત્રે પણ સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત ચલાલા ગામમાં બીજા પણ ધાર્મિક સ્થાનો આવેલા છે જેમકે મુળીમાની ધાર્મિક જગ્યા તેમજ વેદમાતા ગાયત્રી માતાના પણ બે આશ્રમ આવેલા છે. સામાજીક ક્ષેત્રે પણ ચલાલા ગામમા અવાર નવાર જુદા જુદા પ્રકારના કેમ્પનું આયોજન સામાજીક સંસ્થાઓ દ્વારા થતુ હોય છે. ચલાલાના પ્રથમ સરપંચ સ્વ. શ્રી નાગરદાસભાઈ દોશી હતા.




#Article 96: વિકિમીડિયા કૉમન્સ (102 words)


વિકિમીડિયા કૉમન્સ () (અથવા, સામાન્ય બોલચાલમાં કૉમન્સ) અથવા વિકિકૉમન્સ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનો એક પ્રકલ્પ છે. કૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.

આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે.

જુલાઇ ૨૦૧૩ના રોજ કૉમન્સ પર ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦,૦૦૦ હતી.

મે ૨૦૨૦ના રોજ કૉમન્સ પરની ફાઇલો ૬૧ લાખની સંખ્યાને પાર કરી ગઈ હતી.




#Article 97: ક્ષેત્રફળ (171 words)


ક્ષેત્રફળ અથવા વિસ્તાર એ સપાટીના ભાગનું માપ છે. સામાન્ય રીતે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ, પહોળાઇ જેવાં માપ હોવાં જરુરી છે.

સપાટીનું ક્ષેત્રફળ દર્શાવવા વપરાતા કેટલાક એકમો નીચે મુજબ છે:

વિઘું અથવા વિઘા એ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે.

સપાટીના ક્ષેત્રફળ માટેનું સૌથી મૂળભૂત સૂત્ર સપાટીને કાપી અને તેને સમથળ બનાવીને મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, એક નળાકારની બાજુની સપાટીને લંબાઈ અનુસાર કાપી અને ચતુષ્કોણ રૂપે સમથળ કરવામાં આવે. તેવી જ રીતે શંકુને બાજુની સપાટી અનુસાર કાપી, અને જો તેને વર્તુળના ભાગ રૂપે સમથળ કરવામાં આવે, અને પરિણામ સ્વરૂપ વિસ્તારની ગણતરી કરાય.

ગોળાની સપાટીના ક્ષેત્રફળનુ સુત્ર બહુ અઘરુ છે કારણ કે ગોળાની સપાટી અશૂન્ય હોવાથી (Gaussian curvature), તે સમતલ થઈ શકતી નથી.  આર્કિમિડીઝે તેના કામમાં પહેલીવાર ગોળાની સપાટીનુ ક્ષેત્રફળનુ સૂત્ર મેળવ્યુ.   (sphere).

જ્યાં  એ ગોળાની ત્રિજયા છે.  As with the formula for the area of a circle, any derivation of this formula inherently uses methods similar to .

ઉપરના સૂત્રો મોટાભાગના ભૌમિતિક આકારોનું ક્ષેત્રફળ શોધવા માટેનાં છે.

અનિયમિત બહુકોણનું ક્ષેત્રફળ સર્વેયર્સના સુત્રનો ઉપયોગ કરી ને ગણી શકાય  છે.




#Article 98: અરુણાચલ પ્રદેશ (2033 words)


અરુણાચલ પ્રદેશ ભારતના ઓગણત્રીસ રાજ્યો મા થી ઉત્તર પૂર્વ છેડે આવેલું રાજ્ય છે. અરુણાચલ પ્રદેશ દક્ષિણમાં આસામ અને નાગાલેંડ અને આંતરરાષ્ટ્રીય સરહદ પશ્ચિમમાં ભૂતાન સાથે, પૂર્વ મા મ્યાનમાર સાથે અને ઉત્તરમાં ચીન સાથે ધરાવે છે. તેનું પાટનગર ઇટાનગર છે. અરુણાચલ પ્રદેશની તિબેટ સાથે તેના સાંસ્કૃતિક વંશીય અને ભૌગોલિક નિકટતા ના કારણે બંને PRC અને ROC સાથે પ્રાદેશિક વિવાદ છે. અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે. આવો બીજો પ્રદેશ અકસાઇ ચીન છે.

રાજ્યના મુખ્ય ભાગ છે જે અગાઉ નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાય છે, ચીન દ્વારા વિવાદાસ્પદ તરીકે સિમલા સમજૂતીની કાયદેસરતા તે માન્ય રાખતુ નથી. ચીન દક્ષિણ તિબેટ તરીકે મોટાભાગના રાજ્યનો દાવો કરે છે. આ રાજ્યમાં જલ ઉર્જાના વિકાસ માટે સંભવિત તકો જોવા મળે છે.

અરુણાચલ પ્રદેશ, જેના નામનો અર્થ ઉગતા સૂર્યની જમીન છે, તે સંસ્કૃતમાં પણ વનસ્પતિશાસ્ત્રીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે. ભૌગોલિક દૃષ્ટિએ, તે ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યોમા સૌથી મોટું રાજ્ય છે. બીજા ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યોની જેમ અરુણાચલ પ્રદેશ ના લોકો ના મૂળ તિબેટ-બર્મન પ્રજાતિ છે. તાજેતરના સમયમાં, ભારત અને બીજા દેશોમાં વિવિધ ભાગોમાં સ્થળાંતર કરીને આવેલા લોકોની મોટી સંખ્યામાં રાજ્યની વસ્તી સાથે વ્યાપક આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો બાંધવામાં આવ્યા છે.

વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે સમૃદ્ધ અરુણાચલ પ્રદેશ ભારતીય ઉપખંડમાં સૌથી વધુ પ્રાદેશિક ભાષાઓ ધરાવે છે.

અરુણાચલ પ્રદેશમાં મળી આવેલ ઉત્તરપાષાણ સાધનો સૂચવે છે કે લોકો ઓછામાં ઓછા અગિયાર હજાર વર્ષ થી હિમાલયન ક્ષેત્રમાં રહેતા આવ્યા છે. ભુતાનના પ્રારંભિક રહેવાસીઓ અને દક્ષિણ એશિયાના પડોશી હિમાલયન વિસ્તારોમાં સિંધુ સંસ્કૃતિના લોકો રહેતા હતા, જેના ઇતિહાસ ની શરૂઆત જૂનો કાંસ્ય યુગ અન્ય વંશીય જૂથો આવતા પહેલાં ઇ.સ. પૂર્વે ૩૩૦૦ આસપાસ દક્ષિણ એશિયામાં તિબેટ અને દક્ષિણ ચીનમાં આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં થયેલી.

પૂર્વ આધુનિક અરુણાચલ પ્રદેશનો ઇતિહાસ અસ્પષ્ટ છે. તિબેટ-બર્મન અરુણાચલ જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને તેમના મૂળ આધુનિક યુગમા તિબેટમાં ઉત્તર તિબેટ તરફ નિર્દેશ કરે છે. ફરીથી અનુમોદન મુશ્કેલ રહે છે. ભૌતિક સંસ્કૃતિના દ્રશ્ય બિંદુ પ્રતિ તે સ્પષ્ટ છે કે મોટા ભાગના સ્વદેશી અરુણાચલી જૂથો, બર્મા વિસ્તાર ના પર્વતીય આદિવાસીઓ સાથે સંરેખિત છે, એક હકીકત એ છે કે ક્યાં તો ઉત્તર બર્મીઝ મૂળ અથવા પશ્ચિમ તરફ સાંસ્કૃતિક પ્રસરણ થી સમજાવી હોઈ શકે છે.

અરુણાચલ પ્રદેશ સરકાર મુજબ, હિન્દૂ ગ્રંથો કાલિકા પુરાણ અને મહાભારતે પ્રદેશને પુરાણના પ્રભુ પર્વતો તરીકે ઉલ્લેખ કર્યો છે, અને જ્યાં ઋષિ પરશુરામે પાપો દૂર કર્યા છે,ઋષિ વ્યાસે ધ્યાન કર્યુ છે, રાજા ભીષ્મકા એ તેમના સામ્રાજ્ય સ્થાપના કરી અને ભગવાન કૃષ્ણ તેમની પત્ની રૂકમણી સાથે લગ્ન કર્યા.

બાહ્ય પરિપ્રેક્ષ્ય થી ઇતિહાસ ખાલી અહોમ અને સુતિયા લોકોની તવારીખમાં જોવા મળે છે. મોનપા અને શેરડુકપેન જાતિ ના લોકો એ ઉત્તર પશ્ચિમ ભાગ ના સ્થાનિક મુખિયાઓ ની ઐતિહાસિક નોંધણી કરી છે.આ વિસ્તારનો ઉત્તર-પશ્ચિમ ભાગ મોનપા લોકો ના મોન્યુલ રાજ્ય ના અંકુશ હેઠળ આવ્યો, જેણે ઇ.સ. પૂર્વે ૫૦૦ અને ઇ.સ. ૬૦૦ વચ્ચે વિકાસ કર્યો. આ વિસ્તારમાં ત્યાર બાદ ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં તિબેટ અને ભૂટાનના છૂટક નિયંત્રણ હેઠળ આવ્યું. રાજ્યના બાકીના ભાગોમાં, ખાસ કરીને મ્યાનમાર સરહદ પાસેના તે ૧૬ મી સદી સુધી અહોમ-સુતિયા યુદ્ધ સુધી સુતિયા રાજાઓના નિયંત્રણ હેઠળ હતા. અહોમ લોકો એ ૧૮૫૮ સુધી રાજ કર્યુ. જોકે, મોટા ભાગની અરુણાચલી જાતિઓ પ્રથા મોટે ભાગે ભારતીય સ્વતંત્રતા સુધી સ્વાયત્ત અને ૧૯૪૭ માં સ્થાનિક વહીવટ ઔપચારિકતા રહી.

તાજેતરમા થયેલ ખોદકામ પશ્ચિમ સિયાંગમાં સિયાંગ ટેકરીઓ ની તળેટી પર મળી આવેલ મલિનિથાનના હિન્દૂ મંદિરો ૧૪ મી સદી માં સુતિયા શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. અન્ય નોંધપાત્ર હેરિટેજ સાઇટ, ભીષ્મકનગર, પ્રાગૈતિહાસિક સમયમાં સૂચનો તરફ દોરી જાય છે કે ઇઙુ (મીશમી) લોકો ના સમય માં ઉન્નત સંસ્કૃતિ અને વહીવટ હતો. ફરીથી, જો કે, કોઈ પુરાવા સીધા ભીષ્મકનગર નો ઉલ્લેખ નથી કરતા, પરંતુ સુતિયા શાસકો 1૨ મી સદીથી ૧૬ મી સદી સુધી ભીષ્મકનગર આસપાસના વિસ્તારોમાં શાસન કર્યુ. ત્રીજી હેરિટેજ સાઇટ, ૪૦૦ વર્ષ જૂના તવાંગ મઠ, રાજ્ય ના અત્યંત ઉત્તર પશ્ચિમ ભાગ માં આવેલ, બૌદ્ધ આદિવાસી લોકો ના કેટલાક ઐતિહાસિક પુરાવા પૂરા પાડે છે. છઠ્ઠા દલાઈ લામા સંગયાંગ ગ્યાત્સોનો જન્મ તવાંગમાં થયો હતો.

૧૯૧૩-૧૯૧૪ માં ચીન, બ્રિટન અને તિબેટ ના પ્રતિનિધિઓ સિમલા કરાર માટે ભેગા થયા. જો કે, ચિની પ્રતિનિધિઓ એ પ્રદેશ વાટાઘાટ નો ઇનકાર કર્યો હતો. આ સંધિનો હેતુ આંતરિક અને બાહ્ય તિબેટ વચ્ચે તેમજ બાહ્ય તિબેટ અને અંગ્રેજ ભારત વચ્ચે સરહદો નક્કી કરવાનો હતો. બ્રિટિશ પ્રબંધક, સર હેનરી મેકમોહને સિમલા કરાર દરમિયાન બ્રિટિશ ભારત અને બાહ્ય તિબેટ વચ્ચે ૫૫૦ માઇલ (૮૯૦ કિમી) ની મેકમોહન લાઇન દોરી. પરિષદમાં તિબેટીયન અને બ્રિટિશ પ્રતિનિધિઓ સંમત થયા, અને તિબેટે બ્રિટિશ સામ્રાજ્ય ને તવાંગ અને અન્ય તિબેટીયન વિસ્તારો સુપરત કર્યા. આના લીધે, ચિની પ્રતિનિધિઓ એ કરાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તિબેટીયન અને બ્રિટીશ સરકાર શિમલા કરાર સાથે આગળ ગયા અને જાહેર કર્યું કે આ સંધિ ના અન્ય લાભો ચીન પર લાદવા મા નહિ આવે જ્યાં સુધી તે આ સંધિ નો સ્વીકાર નહિ કરે. ચીન નો મત એવો હતો કે તિબેટ ચીન થી સ્વતંત્ર ન હતું. તિબેટ સ્વતંત્ર રીતે હસ્તાક્ષર કર્યા સંધિઓ પર હસ્તાક્ષર ન કરી શકે, અને એંગ્લો-ચિની (૧૯૦૬) અને એંગ્લો-રશિયન (૧૯૦૭) સંમેલનો દીઠ, આવી કોઇ કરાર ચિની અનુમતિ વગર અમાન્ય હતું.

સિમલા સંધિ શરૂઆતમાં ૧૯૦૭ એન્ગ્લો-રશિયન કન્વેન્શન સાથે અસંગત હોવાથી ભારત સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી હતી.આ કરારનો (એન્ગ્લો-રશિયન કન્વેન્શન) ૧૯૨૧માં સંયુક્ત રીતે રશિયા અને બ્રિટન દ્વારા ત્યાગ કરવામાં આવ્યો હતો. જોકે, તિબેટમાં ચિની સત્તાના પતન સાથે, લાઇનને કોઇ ગંભીર પડકારો નહોતા કેમ કે તિબેટ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેના લીધે આ વાત ૧૯૩૫ સુધી ભૂલાઈ ગયી હતી અને કોઇ નવા નકશા જાહેર કરવામાં નહોતા આવ્યા. ભારતના મોજણી ખાતાએ મેકમોહન લાઇનને 1937માં સત્તાવાર સરહદ તરીકે બતાવતો નકશો પ્રકાશિત કર્યો.

૧૯૩૮માં, બ્રિટિશરોએ સિમલા સંધિ દ્વિપક્ષીય સમજૂતી તરીકે સિમલા કોન્ફરન્સ ના બે દાયકા બાદ પ્રકાશિત કરી;૧૯૩૮ માં ભારતના મોજણી ખાતા એ તવાંગ ને નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી નો ભાગ દર્શાવતો વિગતવાર નકશો પ્રકાશિત કર્યો. ૧૯૪૪ માં બ્રિટને પશ્ચિમમાં દિરંગ ઝોંગથી પૂર્વમાં વાલોંગ સુધી વહીવટની સ્થાપના કરી હતી. તિબેટે ૧૯૪૭ ના અંતમાં મેકમોહન લાઇન પર તેની સ્થિતિ બદલી, જ્યારે તિબેટીયન સરકારે નવા સ્વતંત્ર ભારતીય વિદેશ મંત્રાલયને મેકમોહન લાઇનની દક્ષિણ તવાંગ પર દાવો રજૂ કરતો પત્ર લખ્યો.

નવેમ્બર ૧૯૫૦ માં, ચીન ના તિબેટ પર ના કબજા સાથે,ભારતે એકપક્ષીય જાહેરાત કરી હતી કે મેકમોહન લાઇન સરહદ છે - અને ૧૯૫૧ માં,તવાંગ વિસ્તારમાંથી છેલ્લા તિબેટીયન સંચાલકો ને બહાર કાઢયા હતા. ચીને મેકમોહન લાઇન કદી માન્ય ન હતી અને તિબેટીયનો વતી તવાંગ પર દાવો કરતુ હતુ. ૧૪ મા દલાઇ લામા, જેમણે ૧૯૫૦ થી ૧૯૫૯ સુધી તિબેટની સરકારને દોરી, ૨૦૦૩ માં કહેતા હતા કે તવાંગ 'ખરેખર તિબેટીયન વહીવટનો ભાગ' સિમલા સંધિ પહેલા હતુ. તેમણે ૨૦૦૮ માં તેમની સ્પષ્ટતા કરી, કહે છે કે જ્યાં સુધી તિબેટ ને લાગે વળગે છે ત્યાં સુધી તવાંગ ભારત નો ભાગ છે. દલાઈ લામા, અનુસાર ૧૯૬૨ માં ભારત-ચીન યુધ્ધ દરમિયાન, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પહેલાથી જ આ બધા વિસ્તારોમાં કબજો કરી લિધો હતો (અરુણાચલ પ્રદેશ) પરંતુ, તેઓ એ એકપક્ષીય યુદ્ધવિરામ જાહેર કર્યો અને પાછા જતા રહ્યા, અને વર્તમાન આંતરરાષ્ટ્રીય સરહદ સ્વીકારી.

નેફા (નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી) ૧૯૫૪ માં બનાવવામાં આવી હતી.સારા ભારત-ચીન સંબંધો સમયગાળા માં મુદ્દો લગભગ એક દાયકા સુધી શાંત હતો. પરંતુ આ મુદ્દા નું પુનઃ ઉદભવ 1962 ના ભારત-ચીન યુદ્ધ નું એક મુખ્ય કારણ હતું.પૂર્ણકક્ષાના યુદ્ધને વધતું કારણ હજુ પણ બંને ચિની અને ભારતીય સૂત્રો દ્વારા વિવાદાસ્પદ છે.૧૯૬૨ માં યુદ્ધ દરમિયાન, ચીને અરૂણાચલ પ્રદેશના મોટા ભાગ ના વિસ્તાર કબજે કર્યા હતા.જો કે, ચીને ટૂંક સમયમાં જીત જાહેર કર્રી, સ્વેચ્છાએ પાછા મેકમોહન લાઇન પર પાછુ જતુ રહ્યુ અને ૧૯૬૩ માં ભારતીય યુદ્ધ કેદીઓ પરત કર્યા. આ યુદ્ધ ના પરિણામે તિબેટ સાથે વિનિમય વેપાર ની સમાપ્તિ થયી,જોકે ૨૦૦૭ માં રાજ્ય સરકારે તિબેટ સાથે વિનિમય વેપાર ફરી શરૂ કરવા માટે સંકેતો દર્શાવ્યા હતા.

તાજેતરના વર્ષોમાં, ચીને ક્યારેક ક્યારેક નિવેદનો માં તવાંગ પર દાવો કર્યો છે.ભારતે ચીની સરકાર ના આ દાવાઓ નકારી કાઢ્યા છે અને ભારતના વડાપ્રધાન દ્વારા ચીની સરકાર ને જાણ કરવા માં આવી છે કે તવાંગ ભારતનો એક અભિન્ન ભાગ છે.ભારતે આ પુનરોચ્ચાર ચીની વડાપ્રધાન સામે ફરી વાર કર્યો જ્યારે બે વડા પ્રધાનો ઓક્ટોબર 2009 માં થાઇલેન્ડ મળ્યા.તેવા અહેવાલ હતા કે ૨૦૧૬ દરમિયાન, ચિની લશ્કર અરુણાચલ પ્રદેશ માં ઘૂસી ગયુ હતુ. આ અહેવાલ ગૃહ રાજ્ય મંત્રી, કિરણ રિજિજુ દ્વારા નકારી કાઢ્યા હતા. ચીને નવેમ્બર ૨૦૦૯ માં તવાંગ માટે દલાઈ લામા ની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો. છતાં દલાઈ લામા તેઓ ૧૯૫૯ માં તિબેટથી ભાગી ગયા બાદ અગાઉ તવાંગ ઘણી વખત મુલાકાત લીધી હતી.ભારતે ચિની વાંધો ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે દલાઇ લામા ભારત ના એક સન્માનિત મહેમાન છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ મુલાકાત કરી શકે છે.દલાઈ લામાએ ૮ નવેમ્બર ૨૦૦૯ ના રોજ તવાંગ ની મુલાકાત લીધી હતી. પડોશી દેશો માંથી, નેપાળ અને ભૂતાન ના સહિત ૩૦,૦૦૦ લોકો એ, તેમના ધાર્મિક પ્રવચન માં હાજરી આપી હતી.તેમનુ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન અને અરુણાચલ પ્રદેશના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તવાંગ નિવાસીઓ દ્વારા તેમના ઘરો રંગવામાં અને નગર શણગારવામાં આવ્યુ હતુ.

૨૦ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ નેફા ને સ્વ.શ્રી બિભાબાસુ શાસ્ત્રી દ્વારા અરુણાચલ પ્રદેશ તરીકે નામ આપવામાં આવ્યું હતું અને તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યુ હતુ. અરુણાચલ પ્રદેશ ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ રાજ્ય બન્યું. તાજેતરમાં જ, અરુણાચલ પ્રદેશ ને વિદ્રોહી જૂથો પાસેથી ધમકીઓ મળી રહી છે, ખાસ કરીને રાષ્ટ્રીય સમાજવાદી નાગાલેન્ડ કાઉન્સિલ (NSCN),જેમના ચેંગલોન્ગ જિલ્લો અને તિરપ જિલ્લો માં મુખ્ય છાવણી હોવાનું માનવામાં આવે છે. આ જૂથો સ્થાનિક લોકોને હેરાન કરતા અને પૈસા માંગતા હોવા ના પ્રસંગોપાત અહેવાલો છે.

ખાસ કરીને તિબેટિયન સરહદ પાસે  ભારતીય લશ્કર પ્રદેશમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. અરુણાચલ પ્રદેશમાં દાખલ થવા આસામ સાથે સરહદ પર ખાસ પરવાનગી આંતરિક રેખાની પરવાનગિ (ILP)  જરૂરી છે.

અરુણાચલ પ્રદેશ એપ્રિલ ૨૦૧૫ અને ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે રાજકીય કટોકટી માંથી પસાર થયું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના મુખ્યમંત્રી નાબામ તુકી એ ૧ નવેમ્બર 20૧૧ ના રોજ અરૂણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે જારબોમ ગેમલિન ને બદલ્યા અને જાન્યુઆરી ૨૦૧૬ સુધી રહ્યા. ૨૦૧૬ માં રાજકીય કટોકટી પછી, રાષ્ટ્રપતિ શાસને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ નો અંત લાવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૬ માં, કાલિખો પુલ્ મુખ્યમંત્રી બન્યા ત્યારે 14 ગેરલાયક ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા ફરીથી પૂર્વવત્ કરવા માં આવ્યા હતા.

અરુણાચલ પ્રદેશ ૨૬.૨૮° અને ૨૯.૩૦ ° ઉત્તર અક્ષાંશ અને ૯૧.૨૦ ° અને ૯૭.૩૦ ° પૂર્વ રેખાંશ વચ્ચે સ્થિત થયેલ છે.અને તે ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે.

અરુણાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તાર હિમાલય દ્વારા આવરી લેવામાં આવે છે.જો કે, લોહિત, ચાંગલાગ અને તિરાપ ના ભાગો પટકઈ ટેકરીઓ દ્વારા આવરી લેવામાં આવે છે.કાંગટૉ, યેગી કાંગસાગ મુખ્ય ગોરીચેન ની ટૉચ અને પૂર્વ ગોરીચેન શિખર આ વિસ્તારમાં હિમાલયના કેટલાક ઉંચા શિખરો છે.જમીન મોટે ભાગે પર્વતીય હિમાલયન ઉત્તર દક્ષિણ સરહદ સાથે ચાલે છે.આ પાંચ નદી ખીણો રાજ્ય વહેંચે: કમેંગ, સુબનસિરી, સિયાંગ,લોહિત અને તિરાપ.આ બધામાં પાણી હિમાલય નો બરફ અને અસંખ્ય નદીઓ અને ઝરણા દ્વારા આપવામાં આવે છે.આ નદીઓમાં સૌથી પ્રભાવશાળી નદી સિયાંગ છે , જેને તિબેટમાં સાંગપો કહેવાય છે, પછી તેન આસામના મેદાનોમાં દિબાંગ્ અને લોહિત દ્વારા જોડાય છે બ્રહ્મપુત્રા બની જાય છે.

હિમાલયન પર્વત માળા જે પૂર્વીય અરુણાચલ સુધી વિસ્તરેલી છે થી તે તિબેટ ને અલગ પાઙે છે. આ પર્વત માળા નાગાલેન્ડ તરફ વિસ્તરેલી છે,અને ચાંગલાંગ અને તિરાપ જિલ્લામાં ભારત અને બર્મા વચ્ચે સીમા રચે છે,જે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને પટકાઈ બમ ટેકરીઓ તરીકે કહેવાય છે.તેઓ હિમાલય ની સરખામણીમાં ઓછી ઊંચાઈ વાળા પર્વતો છે,

અરુણાચલ પ્રદેશની આબોહવા ઊંચાઈ સાથે બદલાય છે.તિબેટિયન સરહદ ઉપર હિમાલયા નજીક ના વિસ્તારો કે જે ખૂબ જ ઊંચી ઊંચાઇએ છે તેમનુ આલ્પાઇન અથવા વિશાળ સપાટ વૃક્ષહીન પ્રદેશ જ્યાં જમીનનો નીચલો થર ઠરી ગયેલો હોય છે તેવુ વાતાવરણ છે.ઊપર ના હિમાલય નીચે મધ્યમ હિમાલય, જ્યાં લોકો એક સમશીતોષ્ણ આબોહવા અનુભવે છે.ઉપ-હિમાલયન અને સમુદ્ર સપાટીની ઊંચાઈ પર વિસ્તારોમાં સામાન્ય રીતે ભેજવાળું વાતાવરણ અનુભવાય છે,ગરમ ઉનાળો અને હળવા શિયાળા સાથે પેટા ઉષ્ણકટિબંધીય આબોહવા હોય છે.

અરુણાચલ પ્રદેશ મે અને સપ્ટેમ્બર વચ્ચે તે (૭૯ થી ૧૬૧ ઇંચ) વાર્ષિક ૨,૦૦૦ થી ૪,૧૦૦ મિલિમીટર વરસાદ મેળવે છે.પર્વત ઢોળાવ અને ટેકરીઓ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય જંગલો સાથે આવરી લેવામાં આવે છે જેમાં મોટાં ફૂલવાળું એક બારે માસ લીલું રહેનારું ઝાડવું, ઓક, દેવદાર,મેપલ વૃક્ષ ,ચીડ,શાલ અને સાગ જોવા મળે છે.

જૈવ-ભૌગોલિક રીતે તે તે પૂર્વીય હિમાલયન પ્રાંતમાં આવેલું છે, કે જે હિમાલયના સૌથી ફળધ્રુપ જૈવ-ભૌગોલિક પ્રાંત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.અરુણાચલ પ્રદેશ વિવિધ જંગલો અને ભવ્ય વન્યજીવનથી સંપન્ન છે.તે ૫૦૦૦ છોડ, ૮૫ સ્થળચર સસ્તનો, ૫૦૦ પક્ષીઓ અને પતંગિયા, જંતુઓ અને સરિસૃપો નું મોટી સંખ્યામાં આશ્રયસ્થાન છે.સૌથી નીચો ઉંચાઇએ, અનિવાર્યપણે આસામ સાથે અરુણાચલ પ્રદેશના સરહદ પર, બ્રહ્મપુત્રા ખીણના ઉપ- નીત્યલીલા જંગલો આવેલા છે.મોટા ભાગનું રાજ્ય, હિમાલયની તળેટીમાં અને પટકાઈ ટેકરીઓ સહિત પૂર્વી હિમાલયન ના પહોળા જંગલોનુ ઘર છે.તિબેટ સાથે ઉત્તરીય સરહદ તરફ વધતી ઊંચાઈ સાથે,પૂર્વ અને ઉત્તરપૂર્વીય હિમાલયનવિસ્તાર માં ર્શંકુદ્રૂમ જંગલોનું મિશ્રણ આવે છે અને ઉપર જતા પૂર્વી હિમાલયન આલ્પાઇન નાના અને ઘાસના મેદાનો અને આખરે સૌથી ઊંચા શિખરો પર રોક અને બરફ દ્વારા અનુસરવામાં આવે છે.આ મેદાનો માં ઔષધીય છોડ મોટી સંખ્યામાં છે.અને લોઅર સુબાનસિરિ જિલ્લામાં ૧૫૮ ઔષધીય છોડવાનો ઝિરો ખીણ અંદર તેના રહેવાસીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે

અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ૨૦ જિલ્લાઓ આવેલા છે.

મહાનગર પાલિકા:

નગરપાલિકા:

નગરો:

અરુણાચલ પ્રદેશ રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન ભારતીય રૂપિયામાં અબજો આધાર સાથે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બજાર ભાવે વલણ દર્શાવે છે.

અરુણાચલ પ્રદેશના રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન  ૨૦૦૪ માં યુએસ હાલના ભાવે ૭૦.૬ કરોડ $ અંદાજવામાં આવ્યો હતો




#Article 99: ઉત્તરાખંડ (122 words)


ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરીકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે.

આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ઉત્તરાખંડમાં કુલ ૧૩ જિલ્લાઓ આવેલા છે, જે બે પ્રાંતો - કુમાઉં અને ગઢવાલમાં વહેચાયેલા છે. ચાર નવાં જિલ્લાઓની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ કરવામાં આવી હતી પરંતુ તેની રચના હજુ સુધી થઇ નથી.

બે પ્રાંતો અને જિલ્લાઓ નીચે મુજબ છે:




#Article 100: આંધ્ર પ્રદેશ (187 words)


આન્ધ્ર પ્રદેશ (તેલુગુ: ఆంధ్ర ప్రదేశ్) ભારતની દક્ષીણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આન્ધ્ર પ્રદેશની સીમાએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે.તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતી ની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે.તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર હૈદરાબાદ છે. આન્ધ્ર પ્રદેશ નો વિસ્તાર ક્રૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે.આ રાજ્ય ભારત માં ૯૭૨ કિમી(૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે,જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે.

સીમાંધ્ર શબ્દ આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને તટવર્તી આંધ્રના સંયુક્ત વિસ્તારની ઓળખ માટે વપરાય છે. આંધ્રપ્રદેશ રાજ્યની દ્વિભાજન પ્રક્રિયા દરમીયાન, આ શબ્દ શેષ આંધ્રપ્રદેશ (તેલંગાણાના જિલ્લાઓ સિવાયના) માટે વપરાતો હતો. 

ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે. બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાખવામાં આવ્યા.

આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને તેલંગાણામાં વિભાજન પછી આંધ્રપ્રદેશમ નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે. 

જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ હવે તેલંગાણા રાજ્યમાં આવેલા છે.




#Article 101: ગોવા (4458 words)


ગોઆ કે ગોવા (; કોંકણી:गोंय) એ ભારતનું વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનું રાજ્ય અને વસ્તીની દૃષ્ટિએ ચતુર્થ ક્રમાંંકનું રાજ્ય છે. ભારતના પશ્ચિમ દરિયા કિનારે આવેલુંં આ રાજ્ય કોંકણ વિસ્તાર તરીકે જાણીતું છે, ઉત્તરમાં તે મહારાષ્ટ્ર રાજ્યની અને પૂર્વ અને દક્ષિણે કર્ણાટક રાજ્યની સીમામાંં આવેલું છે, અરબી સમુદ્ર તેના પશ્ચિમ દરિયાકિનારાનું સર્જન કરે છે. 

પણજી એ રાજ્યની રાજધાની છે, જ્યારે વાસ્કો દ ગામા સૌથી મોટું શહેર છે. મારગોઆનનું ઐતિહાસિક શહેર હજુ પણ પોર્ટુગીઝના સાંસ્કૃતિક પ્રભાવનું પ્રદર્શન કરે છે, જેઓ એક વેપારી તરીકે 16મી સદીના પ્રારંભમાં આ શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યાર બાદ તરત જ તેને જીતી લીધુ હતું. પોર્ટુગીઝના વિદેશી પ્રદેશનું જ્યાં સુધી 1961માં તેને ભારત સાથે જોડવામાં ન આવ્યુ ત્યાં સુધી આશરે 450 વર્ષો સુધી અસ્તિત્વમાં રહ્યું હતું. 

પોતાના દરિયાકિનારા, ઉપાસનાના સ્થળ અને વૈશ્વિક સંસ્કૃતિ સ્થાપત્ય તરીકે જાણીતા ગોવાની મુલાકાતે દર વર્ષે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓ આવે છે. પશ્ચિમ ઘાટ પર આવેલા તેના સ્થળને કારણે તે સુંદર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ધરાવે છે, જેને બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

નામ ગોવા પોર્ટુગીઝની યુરોપીયન ભાષા પરથી પડ્યું છે, પરંતુ તેની સંક્ષિપ્ત ઉત્પત્તિ અસ્પષ્ટ છે. પ્રાચીન સાહિત્યમાં, ગોવા ઘણા નામોથી જાણીતુ હતું જેમ કે ગોમાન્તા, ગોમાંચલા , ગોપાકાપાટ્ટમ , ગોપકાપુરી , ગોવાપુરી , ગોવેન , અને ગોમાંતક . ભારતીય મહાકાવ્ય મહાભારત હાલમાં જે ગોવા તરીકે પ્રસિદ્ધ છે તેનો ઉલ્લેખ ગોપારાષ્ટ્ર અથવા ગોવારાષ્ટ્ર તરીકે કરે છે, જેનો અર્થ ઢોરો ચારનારાઓનું રાષ્ટ્ર એવો થાય છે. ગોપાકાપુરી અથવા ગોપાકાપટ્ટનમ નો ઉપયોગ પ્રાચીન સંસ્કૃત પુસ્તકોમાં કરાતો હતો, અને આ નામોનો ઉલ્લેખ અન્ય પવિત્ર હિન્દુ પુસ્તકો જેમ કે હરિવંશ અને સ્કંદપૂરાણ માં કરાયો હતો. બાદમાં, ગોવા ગોમાંચલા તરીકે પણ ઓળખાતુ હતું. પરશુરામભૂમી એ એવા પ્રદેશનું નામ છે જેનો ઉલ્લેખ ચોક્કસ શિલાલેખમાં અને પુસ્તકો જેમ કે પુરાણો જેવા પુસ્તકોમાં કરાયો હતો. 

ત્રીજી સદી બીસીઇ (BCE)માં, ગોવા અપારાન્થા તરીકે જાણીતું હતું અને તેનો ઉલ્લેખ ગ્રીક ભૂગોળવેત્તા ટોલેમી દ્વારા કરાયો હતો. ગ્રીકે 13મી સદીમાં ગોવાનો નેલકીન્દા તરીકે ઉલ્લેખ કર્યો હતો. ગોવાના કેટલાક ઐતિહાસિક નામોમાં સિન્દાપુર , સાન્દાબુર , અને મહાસપતમ નો સમાવેશ થાય છે. 

ગોવાનો જાણીતો ઇતિહાસ ત્રીજી સદી બીસીઈ(BCE)નું નિરૂપણ કરે છે, જ્યારે તેણે મૌર્ય સામ્રાજ્યના એક ભાગ તરીકે આકાર લીધો હતો, અને બુદ્ધિસ્ટ શાસક મગધના અશોકે શાસન કર્યું હતું. બુદ્ધિસ્ટ સાધુઓએ ગોવામાં બૌદ્ધ ધર્મનો પાયો નાખ્યો હતો. સદી બીસીઇ(BCE) અને છઠ્ઠી સદી સીઇની મધ્યમાં ગોવામાં કરવારના ચુટુનું શાસન હતું, જે કોલ્હાપુરના સતવાહના (બીજો દાયકો બીસીઇ(BCE)થી બીજો દાયકો સીઇ), પશ્ચિમી ક્ષત્રપ (આશરે 150 સીઇ), પશ્ચિમ મહારાષ્ટ્રના અભિરા, યાદવના ભોજ, ગુજરાતના કબીલા અને કલાચુરીના તાબાના કોંકણ મૌર્યના તાબા તરીકે હતું.  બાદમાં બાદામીના ચાલુક્યાસને શાસન આપવામાં આવ્યું હતું, જેમણે 578થી 753 સુધી શાસન કર્યું હતું અને બાદમાં માલખેડના રાષ્ટ્રકૂટોએ 753થી 963 સુધી શાસન કર્યું હતું. જોકે 765થી 1015 સુધી કોંકણના દક્ષિણી સિલહારાએ ચાલુક્યા અને રાષ્ટ્રકૂટાના તાબા તરીકે ગોવામાં શાસન કર્યું હતું. તે પછીની થોડી સદીઓ સુધી ગોવાનું અનુગામીત શાસન કલ્યાણીના ચાલુક્યોના તાબા તરીકે કડામ્બા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ગોવામાં જૈન ધર્મને ઉત્તેજન આપ્યું હતું. 

પોર્ટુગીઝોએ ગોવામાં તેમની સત્તા હેઠળના મોટા ભાગના પ્રદેશોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરીત કર્યા હતા. પોર્ટુગીઝની દમનકારી નીતિઓ તથા પોર્ટુગીઝોના મરાઠા અને ડેક્કન સલ્તનત સાથે વારંવારના યુદ્ધને પગલે ગોવાના વતનીઓએ મોટા પાયે આજુબાજુના વિસ્તારોમાં સ્થળાંતર કર્યું હતું. 1812 અને 1815ની મધ્યમાં નેપોલીયન યુદ્ધોના સમયમાં ગોવા પર બ્રિટીશ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો. 

ભારતે 1947માં બ્રિટીશ પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી તે પછી પોર્ટુગલે તેમની સત્તા હેઠળના મુલકોના સાર્વભૌમત્વને ભારતને તબદિલ કરવા માટેની વાટાઘાટ નકારી કાઢી હતી. 12 ડિસેમ્બર, 1961ના રોજ, ભારતીય આર્મીએ ઓપરેશન વિજયની શરૂઆત કરી અને તેને પગલે ગોવા, દમણ અને દિવ ભારતના એક ભાગ બન્યા. દમણ અને દીવની સાથે ગોવાને પણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ કેન્દ્રિત વહીવટમાં આવરી લેવામાં આવ્યું હતું. 30 મે 1987ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશના ભાગલા પાડવામાં આવ્યા હતા અને ગોવાને ભારતનું 25મુ રાજ્ય બનાવવામાં આવ્યું હતું, જ્યારે દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જ રહેવા દેવામાં આવ્યા હતા. 

ગોવા 3,702 કીમી² (1,430 ચોરસ માઇલ)નો વિસ્તાર ધરાવે છે. તે 14°53′54″ એન અને 15°40′00″ એન અક્ષાંશ અને 73°40′33″ ઇ અને 74°20′13″ ઇ રેખાંશ વચ્ચે આવેલુ છે. ગોવાનો મોટા ભાગનો વિસ્તાર દરિયાઇ પ્રદેશ છે, જે કોંકણ તરીકે ઓળખાય છે અને પશ્ચિમી ઘાટ પર્વતીય માળા સુધી સીધા ચઢાણવાળો ઉચ્ચપ્રદેશ ધરાવે છે, જે તેને ડેક્કન પર્વતમાળાથી અલગ પાડે છે. સૌથી ઊંચો પોઇન્ટ સોંસોગોર છે, જે દરિયાની સપાટીથી 1,167 મીટર (3,827 ફૂટ) ઊંચાઇ પર છે. ગોવા 101 કીમી (63 માઇલ્સ) લાંબો દરિયાઇ પટ્ટો ધરાવે છે. 

ગોવાની મુખ્ય નદીઓ માંડોવી, ઝુઆરી, તેરેખોલ, ચાપોરા અને સાલ છે. નદી ઝુઆરીના મુખ પર આવેલા મોર્મુગાઓ બંદર દક્ષિણ એશિયામાં આવેલા અનેક શ્રેષ્ઠ કુદરતી બંદરોમાંનું એક છે. કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 69 ટકામાં પોતાના વહેણ ધરાવતી ઝુઆરી અને માન્ડોવી ગોવાની જીવનરેખા છે. ગોવા 40 કરતા વધુ નદીમુખો, આઠ સમુદ્રી અને આશરે 90 જેટલા નદી ધરાવતા ટાપુઓ ધરાવે છે. ગોવાની નદીઓના કુલ નાવ્ય જળમાર્ગની લંબાઇ 253 કીમી છે (157 માઇલ). ગોવા કોડામ્બા રાજવંશના શાસન દરમિયાનમાં બંધાયેલી 300 કરોતા વધુ પ્રાચીન ટાંકીઓ અને 100થી વધુ ઔષધ કેન્દ્રો ધરાવે છે. 

ગોવાની મોટા ભાગની જમીન ખડકના ધોવાણને કારણે જામેલી માટીની છે, જેમાં વિપુલ પ્રમાણમાં ફેરિક એલ્યુમિનીયમ ઓક્સાઇડ ધરાવે છે અને લાલ રંગની છે. વધુમાં આંતરિયાળ અને નદી કિનારાની જમીન મોટે ભાગે કાંપવાળી અને ચીકણી છે. આ જમીનમાં ભરપૂર ખનિજો અને ખાતર છે, તેથી છોડો વાવવા માટે ઉપયોગી છે. ભારતીય ઉપખંડમાં કેટલાક જૂનામાં જૂના ખડકોમાંથી અમુક ગોવામાં મોલેમ અને અનમોડની વચ્ચે ગોવાની કર્ણાટક સાથેની સરહદ પર આવેલા છે. ખડકોને ટ્રોન્જેમેઇટિક નેઇસ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જે 3,600 મિલિયન વર્ષો જૂના હોવાનું મનાય છે, જે રુબીડિયમ વખતના આઇસોટોપ ડેટીંગ પદ્ધતિના હતા. ખડકના નમૂનાને ગોવા યુનિવર્સિટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. 

ગોવા ઉષ્ણકટિબંધ વિસ્તાર હોવાથી અને અરબી સમુદ્રની નજીક હોવાથી, વર્ષના મોટા ભાગે ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. મે મહિનો સૌથી ગરમ હોય છે, જેમાં દિવસનું તાપમાન 35 °સે (95 °F)થી વધુ હોવાની સાથે ભેજનું ઊંચુ પ્રમાણ હોય છે. ચોમાસાનો વરસાદ જૂનના પ્રારંભમાં આવે છે અને ગરમીથી છૂટકારો મેળવવા માટે અત્યંત જરૂરી રાહત પૂરી પાડે છે. ગોવાનો મોટા ભાગનો વરસાદ ચોમાસા મારફતે જ મેળવવામાં આવે છે, જે સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહે છે. 

ગોવામાં ડિસેમ્બરના મધ્ય ભાગથી ફેબ્રુઆરી વચ્ચે ટૂંકો શિયાળો હોય છે. આ મહિનાઓમાં રાત્રે આશરે 20 °સે (68 °ફે) અને દિવસે 29 °સે (84 °ફે)ની આસપાસ સાધારણ ભેજ જેવું તાપમાન હોય છે. વધુ આંતરિયાળમાં, દરિયાથી ઊંચાઇ પર આવેલું હોવાથી રાત્રે ઠંડી ઓછા પ્રમાણ પડે છે. માર્ચ 2008 દરમિયાન ગોવામાં ભારે વરસાદ અને ભારે પવન ફૂકાયો હતો. 29 વર્ષોમાં આવું પ્રથમ વખત બન્યુ હતું કે ગોવામાં માર્ચ મહિનામાં વરસાદ આવ્યો હતો.

રાજ્ય બે જિલ્લાઓમાં વહેંચાયેલું છે: ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા. પણજી એ ઉત્તર ગોવા જિલ્લાનું અને મારગાઓ એ દક્ષિણ જિલ્લાનું વડુમથક છે. દરેક જિલ્લાની સંભાળ જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા નિમણૂંક પામેલ વહીવટદાર હોય છે. 

જિલ્લાઓને વધુમાં 11 તાલુકામાં વિભાજિત કરવામાં આવ્યા છે – ઉત્તર ગોવાના તાલુકાઓ બાર્ડેઝ, બિચોલીમ, પર્નેમ, પોન્ડા, સત્તારી અને ટિસવાડી, તેમજ દક્ષિણ ગોવાના તાલુકાઓ કેનાકોના, મોર્મુગાઓ, ક્યુપેમ, સાલસેટ અને સંગ્યુઇમ છે. ઉપરોક્ત તાલુકાઓના વડામથક અનુક્રમે મેપુસા, બિચોલી,પર્નેમ, પોન્ડા, વાલપોય, પંજીમ, ચૌડી, વાસ્કો, ક્યુપેમ, મારગાઓ અને સંગ્યુઇમ છે. 

ગોવના મોટા શહેરોમાં વાસ્કો, માર્માગોઓનો સમાવેશ થાય છે. પ્રથમ ચાર શહેરોને જોડતા પ્રદેશો ખરા નગરજૂથ હોવાનું અથવા વત્તા કે ઓછા અંશે સતત શહેરી વિસ્તાર હોવાનું મનાય છે.

ગોવા વિષુવવૃત્તિય જંગલોથી ઘેરાયેલું છે, જેમાંના મોટા ભાગનાની માલિકી સરકારની છે. સરકારની માલિકીના જંગલો હોવાની સાથે ખાનગી પણ હોવાનું મનાય છે. રાજ્યમાં આવેલા મોટા ભાગના જંગલો રાજ્યના પૂર્વ પ્રદેશની અંદર આવેલા છે. પશ્ચિમી ઘાટ, જે મોટે ભાગે પૂર્વ ગોવાની રચના કરે છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વના બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે ઓળખાય છે. નેશનલ જિયોગ્રાફિક મેગેઝીન ના ફેબ્રુઆરી 1999ની આવૃત્તિમાં, પોતાની ઉચ્ચ કક્ષાની ઉષ્ણકટિબંધીય બાયોડાવર્સિટીને કારણે ગોવાની તુલના એમેઝોન અને કોંગો તટપ્રદેશ સાથે કરવામાં આવી હતી. 

ગોવાનું વન્ય અભયારણ્ય 1512 કરતા વધુ છોડોની દસ્તાવેજી જાતો, પક્ષીઓની 275 કરતા વધુ જાતો, 48 પ્રકારના પ્રાણીઓ અને પેટે ઘસીને ચાલતી 60થી વધુ ઉત્પત્તિઓ ધરાવવા સાથે ગૌરવ લે છે. 

ચોખા મુખ્ય પાક હોવાની સાથે કઠોળો, રાગી અને અન્ય ધાન પાકો પણ ઉગાડવામાં આવે છે. મુખ્ય રોકડીય પાકો નારિયેળ, કાજુ, સોપારી, શેરડી અને ફળો જેમ કે અનાનસ, કેરી અને કેળા છે. રાજ્ય 1,424 કીમીથી વધુનો વિપુલ જંગલ વિસ્તાર ધરાવે છે. ગોવાનું રાજ્ય કક્ષાનું પ્રાણી ગૌર છે, જ્યારે પક્ષી લાલ ગળુ ધરાવતુ યલો બુલબુલ છે, જે બ્લેક ક્રેસ્ટેડ બુલબુલમાંથી અલગ પડ્યું છે, અને રાજ્યનું વૃક્ષ અસાન છે.

 મહત્વની વન્ય પેદાશો બાંબુ વાંસ, મરાઠા બાર્ક, ચિલર બાર્કસ અને ભિરાન્ડ છે. નારિયેળીના વૃક્ષો બધે જ જોવા મળે છે અને લગભગ ગોવાના તમામ વિસ્તારો કે જે ઊંચાઇ પર આવેલા હોય છે ત્યાં ઉપલબ્ધ છે. અસંખ્ય પાનખર વનસ્પતિઓમાં ટીક, સાલ, કાજુ અને કેરીના વૃક્ષો ઉપલબ્ધ છે. ફળોમાં જેકફ્રુટ, કેરી, અનાનસ અને બ્લેકબેરીનો સમાવેશ થાય છે. ગોવાના જંગલો ઔષધીય છોડોથી ભરપૂર છે. 

શિયાળ, જંગલી ડુક્કર અને સ્થળાંતર કરતા પક્ષીઓ ગોવાના જંગલોમાં મળી આવે છે. ચોક્કસ પ્રદેશ કે ગાળા પક્ષીઓ (એવીફૌના)માં કિંગફિશર, મેના અને પોપટનો સમાવેશ થાય છે. ગોવાના દરિયાકિનારે અને તેની નદીઓમાં વિવિધ પ્રકારની માછલીઓ પકડવામાં આવે છે. કરચલો, લેવટો, ઝીંગા, જેલીફિશ, ઓયસ્ટર્સ (છીપલામાં રહેલી પોચી માછલી) અને કેટફિશને માછલી પકડતી વખતે ઝડપી લેવામાં આવે છે. ગોવામાં સર્પની પણ ઊંચી વસ્તી છે, જે ઉંદર, ખિસકોલી વગેરેની વસ્તીને નિયંત્રણમાં રાખે છે. ગોવામાં જાણીતા સલીમ અલી પક્ષી અભયારણ્ય સહિતના વિખ્યાત નેશનલ પાર્કસ પણ છે. અન્ય વન્ય અભયારણ્યમાં બોન્ડલા પ્રાણીસૃષ્ટિ અભયારણ્ય, મોલેમ વાઇલ્ડલાઇફ અભયારણ્ય, કોટીગાઓ પ્રાણીસૃષ્ટિ અભયારણ્ય, માડેઇ વાઇલ્ડલાઇફ અભયારણ્ય, નેટ્રાવેલ વાઇલ્ડલાઇફ અભયારણ્ય મહાવીર પ્રાણીસૃષ્ટિ અભયારણ્ય અને સલીમ અલી બર્ડ અભયારણ્યનો સમાવેશ થાય છે, જે કોરાઓ ટાપુ પર આવેલા છે. 

ગોવામાં તેના ભૌગોલિક વિસ્તારમાંથી 33 ટકા વિસ્તાર સરકારી જંગલો (1224.38 કીમી) હેઠળ છે, જેમાંથી 62 ટકાને પ્રાણીસૃષ્ટિ અભયારણ્ય અને નેશનલ પાર્કના રક્ષિત વિસ્તાર (પીએ) હેઠળ લાવવામાં આવ્યા છે. ખાનગી જંગલો હેઠળ નોંધપાત્ર વિસ્તાર હોવાથી અને મોટા પ્રદેશને કાજુ, કેરી, નાળિયેરી વગેરે હેઠળ આવરી લેવાયો હોવાથી કુલ જંગલ અને વૃક્ષો ભૌગોલિક વિસ્તારમાં 56.6 ટકાનો હિસ્સો ધરાવે છે. 

ગોવાની કુલ રાજ્યની ઘરેલું પેદાશ પ્રવર્તમાન ભાવે 2007માં 3 બિલિયન ડોલરની હોવાનું મનાય છે. માથાદીઠ જીડીપી અને એકંદરે દેશના અઢી ગણાની દ્રષ્ટિએ ગોવા એ ભારતનો સૌથી શ્રીમંત રાજ્ય છે, અને તેનો અનેક ઝડપી વૃદ્ધિ દરોમાંનો એક 8.23 (વાર્ષિક સરેરાશ 1990-2000) હતો. 

ગોવામાં પ્રવાસન મુખ્ય ઉદ્યોગ છે: ભારતમાં આવતા તમામ વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં 12%નો હિસ્સો ધરાવે છે. ગોવામાં બે મુખ્ય પ્રવાસન ઋતુઓ છેઃ શિયાળો અને ઉનાળો. શિયાળાના સમયે, વિદેશી પ્રવાસીઓ (મુખ્યત્વે યુરોપથી) વખાણવાલાયક આબોહવાને માણવા ગોવા આવે છે. ઉનાળાના સમયે (જ્યારે ગોવામાં વરસાદની મૌસમ હોય છે), ભારતભરના પ્રવાસીઓ રજા વિતાવવા માટે આવે છે. સામાન્ય રીતે ગોવાના દરિયાઇ વિસ્તાર પર પ્રવાસન કેન્દ્રિત છે, જ્યારે આંતરિયાળ વિસ્તારોમાં આ પ્રવૃત્તિ ઓછી છે. 2004માં, 2 મિલિયનથી વધુ પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હોવાના અહેવાલ છે, જેમાંના 400,000 વિદેશથી આવ્યા હતા. 

દરિયાથી દૂર આવેલી જમીન ખનિજો અને ઓરથી સમૃદ્ધ છે અને ખાણકામ દ્વિતીય ક્રમના મોટા ઉદ્યોગનો દરજ્જો ધરાવે છે. ગોવામાં ખાણકામ પ્રવૃત્તિ ખાસ કરીને આયર્ન ઓર, બોક્સાઇટ, મેંગેનીઝ, ક્લે, ચૂનો અને સિલીકા પર કેન્દ્રિત કરવામાં આવી છે. મારગાઓ બંદરે પાછલા વર્ષે 31.69 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું અને ભારતની આયર્ન ઓરની કુલ નિકાસમાં 39 ટકાનો હિસ્સો ધરાવે છે. ગોવામાં આયર્ન ઓર ઉદ્યોગમાં સેસા ગોવા (હવે વેદાન્તાની માલિકી) અને ડેમ્પો અગ્રણી છે. 
આયર્ન ઓર અને અન્ય ખનિજોથી સમૃદ્ધ વિસ્તારોમાં નિરંકુશ ખાણકામ પ્રવૃત્તિએ જંગલો સામે જોખમ ઊભુ કર્યું છે તેમજ સ્થાનિક વસ્તીમાં આરોગ્ય સામે સંકટ ઊભુ કર્યું છે. ખાણકામ કોર્પોરેશનો યોગ્ય મંજૂરીઓ વિના ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. 

જોકે છેલ્લા ચાર દાયકાથી અર્થતંત્રમાં કૃષિની અગત્યતા ઘટતી જાય છે, જ્યારે વસ્તીના મોટા ભાગને થોડા સમય માટેની રોજગારી પૂરી પાડે છે. ચોખા એ મુખ્ય કૃષિ પાક છે, ત્યાર બાદ સોપારી, કાજુ અને નાળિયેરનો ક્રમ આવે છે. માછીમારી ઉદ્યોગ આશરે ચાલીસ હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે, જ્યારે તાજેતરના સત્તાવાર આંકડાઓ સુચવે છે કે આ ક્ષેત્રની અગત્યતામાં ઘટાડો થયો છે અને માછલી પકડવાની પ્રવૃત્તિ પણ ઘટી છે, કદાચ પરંપરાગત માછીમારીએ મોટા પાયે વ્યાપારી ધોરણે જાળ પાથરીને માછલા પકડવાના વ્યવસાય માટે માર્ગ મોકળો કર્યો છે. 

મધ્યમ સ્તરના ઉદ્યોગોમાં પેસ્ટીસાઇડ, ખાતરો, ટાયર્સ, ટ્યૂબ્સ, પગરખા, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઘઉં પેદાશોનુ્ ઉત્પાદન, સ્ટીલ રોલીંગ, ફલો અને માછલી સંગ્રહ, કાજુ, કાપડ, શરાબ પેદાશોનો સમાવેશ થાય છે. 

ગોવા સરકારે તાજેતરમાં જ નક્કી કર્યું છે કે વધુ સ્પેશિઅલ ઇકોનોમિક ઝોન્સ (એસઇઝેડ)ને ગોવામાં મંજૂરી આપવી નહી. ભારતમાં અન્ય રાજ્યો દ્વારા અનુસરવામાં આવતી નીતિની તુલનામાં આ તદ્દન વિરુદ્ધની છે. એસઇઝેડ સરકાર માટે કર આવક લાવવા માટે અને સ્થાનિક નાગરિકો માટે રોજગારી વિકલ્પ ઊભો કરવા માટે જાણીતા છે, કેમ કે અન્ય વિસ્તારોની તુલનામાં ગોવામાં નીચો કર હોવાથી મોટી સંખ્યામાં આવે છે. હાલમાં ગોવામાં 16 આયોજિત એસઇઝેડ છે. રાજકીય પક્ષો અને ગોવા કેથોલિક ચર્ચ દ્વારા એસઇઝેડનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. 

ગોવા આલ્કોહોલ પર અત્યંત ઓછી આબકારી જકાતને લીધે શરાબની ઓછી કિંમતો માટે પણ જાણીતું છે. રાજ્યમાં રોકડ પ્રવાહનો અન્ય સ્ત્રોત એ છે કે તે ઘણા નાગરિકો પાસેથી આવે છે, જેઓ વિદેશમાં કામ કરે છે અને તેમના પરિવારને પૈસા મોકલે છે. 

ગોવાનું એક માત્ર હવાઇમથક, ડાબોલીમ હવાઇમથક, એ લશ્કરી અને નાગરિકો એમ બંને માટેનું છે, જે અન્ય ભારતીય સ્થળોએ જતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિમાનોને સેવા પૂરી પાડે છે. હવાઇમથક મોટા અસંખ્ય ચાર્ટર્ડ ફ્લાઇટોનું પણ સંચાલન કરે છે. ગોવામાં મધ્ય પૂર્વથી દુબઇ, શારજાહ અને કુવૈતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો આવે છે અને ચાર્ટર ફ્લાઇટ પ્રવાસન ઋતુમાં યુનાઇટેડ કિંગડમ, જર્મની અને રશિયાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો આવે છે. ડાબોલીમ હવાઇમથકમાં નીચે જણાવેલી વિમાની કંપનીઓ દ્વારા સેવા આપવામાં આવે છે – એર ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ, કિંગફિશર એરલાઇન્સ, ગો એર, સ્પાઇસજેટ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, રશિયા, જર્મનીના ફ્લાઇટ કે જેનું સંચાલન થોમસ કૂક, કોન્ડોર, મોનાર્ક એરલાઇન્સ વગેરે દ્વારા કરવામાં આવે છે, તેનો સમાવેશ થાય છે. 

ગોવાના જાહેર પરિવહનમાં ખાનગી રીતે ચલાવવામાં આવતી બસોનો સમાવેશ થાય છે, જે મોટા શહેરોને ગ્રામીણ વિસ્તારો સાથે જોડે છે. સરકાર દ્વારા ચાલતી બસોની જાળવણી કદમ્બ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, જે મોટા માર્ગો (જેમ કે પંજીમ-મારગાઓ માર્ગ)અને કેટલાક રાજ્યના કેટલાક નિર્જન ભાગોનો સમાવેશ થાય છે. મોટા શહેરો જેમ કે પંજીમ અને મારગાઓમાં શહેરની વચ્ચે બસ ચાલે છે. જોકે, ગોવામાં જાહેર પરિવહન ઓછુ વિકસિત છે અને ત્યાંના નિવાસીઓ મોટે ભાગે તેમના પોતાના વાહનવ્યવહાર, સામાન્ય રીતે દ્વિ-ચક્રી વાહન પર નિર્ભર છે. ગોવા પાસે અંદરથી પસાર થતા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. એનએચ-17 ભારતના પશ્ચિમ કિનારે થઇને નીકળે છે અને ઉત્તરમાં ગોવાને મુંબઇ સાથે અને દક્ષિણમાં મેંગલોર સાથે જોડે છે. એનેચ-4એ રાજ્યમાંથી પસાર થાય છે જે પૂર્વમાં રાજધાની પંજીમને બેલગામ સાથે અને ગોવાને ડેક્કનમાં આવેલા શહેરો સાથે જોડે છે. એનએચ-17એ, એનએચ-17ને કોર્ટલીમના મોર્મુગાઓ બંદર સાથે જોડે છે અને નવો એનએચ-17બી જે ચાર માર્ગીય છે અને મોર્મુગાઓ બંદરને અન્ય સ્થળ વેરના, વાયા ડાબોલીમ હવાઇમથકને એનએચ-17 સાથે જોડે છે. ગોવા પાસે કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ અને 815 કીમીનો જિલ્લા ધોરીમાર્ગ છે. 

ભાડાના સ્વરૂપના વાહનવ્યવહારમાં મીટર વિનાની ટેક્સીઓ અને શહેરી વિસ્તારોમાં ઓટો રિક્ષાઓનો સમાવેશ થાય છે. ગોવામાં વાહનવ્યવહારનું વિશિષ્ટ સ્વરૂપ મોટરસાયકલ ટેક્સી છે, જેનું સંચાલન ડ્રાયવરો દ્વારા કરવામાં આવે છે, જેમને સ્થાનિક ધોરણે પાઇલોટ્સ કહેવામાં આવે છે. આ વાહનોનું પરિવહન એકમાત્ર સવારની પાછળ બેસતી વ્યક્તિ (પીલીયન રાઇડર દ્વારા તેઓ સામાન્ય રીતે તેઓ જે નક્કી કરે તે ભાડે કરવામાં આવે છે. ગોવામાં રિવર ક્રોસીંગની ફ્લેટ બોટમ્ડ ફેરી બોટ્સ દ્વારા કરવામાં આવે છે, જેનું સંચાલન રિવર નેવિગેશન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગોવામાં બે રેલ લાઇનો છે — જેમાંની એક દક્ષિણ પશ્ચિમ રેલવે અને અન્ય કોંકણ રેલવે દ્વારા ચલાવવામાં આવે છે. જે લાઇન દક્ષિણ પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવે છે તે વાસ્કો દ ગામા, ગોવાના બંદર શહેરને મારગાઓ વાયા હુબલી અને કર્ણાટક સાથે જોડતા વસાહત યુગ દ્વાર બાંધવામાં આવી હતી. કોંકણ રેલવે લાઇન કે જે 1990ના દાયકા દરમિયાન બાંધવામાં આવી હતી, તે દરિયાકિનારા સંમાંતર દોડે છે અને મોટા ભાગના શહેરોને પશ્ચિમ દરિયાકિનારા સાથે જોડે છે. 

મોર્મુગાઓ બંદર વાસ્કો શહેરની નજીક છે અને ઓર, પેટ્રોલિયમ, કોલસો અને આંતરરાષ્ટ્રીય કન્ટેઇનરનું સંચાલન કરે છે. મોટા ભાગની નિકાસમાં દરિયાકિનારાના પ્રદેશોની પાછળના મુલકના ખનિજો અને ઓરનો સમાવેશ થાય છે. પંજીમ, કે જે માન્ડોવીના કિનારે આવેલું છે, તે પણ મોટું બંદર ધરાવે છે, જેનો ઉપયોગ 1980 સુધી ગોવા અને મુંબઇ વચ્ચેની યાત્રિક સ્ટીમરોનું સંચાલન કરવા માટે થતો હતો. આ ઉપરાંત મુંબઇ અને પણજીને જોડતી સઢવાળી હોડીની સેવા પણ 1990ના દાયકામાં થોડા સમય માટે દમણીયા શિપીંગ દ્વારા ચલાવવવામાં આવતી હતી. 

ગોવાના વતનીને અંગ્રેજીમાં ગોઆન કહેવાય છે, કોંકણીમાં ગોએન્કર , પોર્ટુગીઝમાં ગોઝ (પુરુષ) અથવા ગોએસા (સ્ત્રી) અને મરાઠીમાં ગોવેકર કહવાય છે. ગોવામાં 1.344 મિલિયન નિવાસીઓની વસ્તી છે, જે તેને (સિક્કીમ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશ)બાદ ભારતનું ચતુર્થ ક્રમનું સૌથી નાનું રાજ્ય બનાવે છે. વસ્તી વૃદ્ધિનો દર દાયકા દીઠ 14.9 ટકા છે. જમીનના દરેક ચોરસ કિલોમીટદીઠ 363 વ્યક્તિઓ છે. ગોવા એ એવું રાજ્ય છે જેમાં 49.76 ટકા શહેરી વસ્તીનું ઊંચુ પ્રમાણ છે, જે શહેરી વિસ્તારમાં રહે છે. ગોવાનો સાક્ષરતા દર 82 ટકાની વધારે છે. જાતિ ગુણોત્તર દર 1000 પુરુષની સરખામણીએ 960 સ્ત્રીઓ છે. જ્ન્મ દર 2007માં દર 1000 વ્યકિતએ 15.70નો હતો. ગોવા એવું પણ રાજ્ય છે જેમાં અનુસૂચિત જાતિનો દર 0.04 ટકા ભારતમાં સૌથી ઓછો છે. 

ગોવા, દમણ અને દીવ સત્તાવાર ભાષા કાયદો, 1987 દેવનગરી લિપિમાં કોંકણીને ગોવાની સત્તાવાર ભાષા બનાવે છે, પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે મરાઠીનો ઉપયોગ દરેક પ્રકારના અથવા કોઇપણ સત્તાવાર હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે. જે પત્રવ્યવહાર મરાઠીમાં મેળવવામાં આવે તેનો જવાબ મરાઠીમાં આપવાની પણ સરકારની નીતિ છે. જોકે, રોમન લિપિમાં મરાઠી અને કોંકણીને રાજ્યમાં સમાન દરજ્જો આપવાની માગ રહી હોવા છતાં,, કોંકણી એકમાત્ર સત્તાવાર ભાષા રહી છે.

મોટે ભાગે કોંકણી, મરાઠી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. કોંકણી એ પ્રાથમિક ધોરણે બોલાતી ભાષા છે અને સત્તાવાર; મરાઠી અને અંગ્રેજી સાક્ષરતા, શિક્ષણ અને કેટલાક સત્તાવાર હેતુઓ માટે વપરાતી ભાષા છે. મોટા પ્રમાણમાં જે અન્ય ભાષાઓનો ઉપયોગ થાય છે તે હિન્દી, અને પોર્ટુગીઝ છે. વસાહત વર્ગની ભાષા પોર્ટુગીઝનો ઉપયોગ ઘટતા જતા સંબોધનકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જોકે થોડા પ્રમાણમાં ઘરમાં વાતચીત માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને થોડા પોર્ટુગીઝ પુસ્તકો પણ તાજેતરના વર્ષોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. 

આંતરિયાળ વિસ્તારોમાં પર્યટક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હોવાથી પર્યટન સામાન્ય રીતે ગોવાના દરિયાઇ વિસ્તારો પર કેન્દ્રિત થયેલું છે. 2004માં બે મિલિયનથી વધુ પર્યટકોએ ગોવાની મુલાકાત લીધી હોવાના અહેવાલ છે, જેમાંના 400,000 જેટલા વિદેશીઓ હતા.  

ગોવામાં બે મુખ્ય પર્યટક ઋતુઓ છેઃ શિયાળો અને ઉનાળો. શિયાળાના સમયમાં, વિદેશી પર્યટકો (ખાસ કરીને યુરોપ) ગોવામાં ઉત્તમ આબોહવાને માણવા આવે છે. ઉનાળાના સમયમાં (જ્યારે ગોવામાં વરસાદી ઋતુ હોય છે), ભારત ભરના પર્યટકો રજાઓ ગાળવા આવે છે. 

ગોવામાં બે વર્લ્ડ હેરિટેજ સાઇટસ છે: બોમ જિસસ બેસિલીકાઅને થોડા માન્ય મઠો. બેઝિલિકામાં અવસાન પામેલા સેંટ. ફ્રાંસિસ ઝેવિયરનું શરીર રાખવામાં આવ્યુ છે, જેમને અસંખ્ય કેથોલિકો દ્વારા ગોવાના આશ્રયદાતા સંત તરીકે ઓળખવામાં આવે છે (આર્કડિયોસેસ મુખ્ય ધર્માધ્યક્ષની સત્તા નીચેનો વિસ્તાર) ઓફ ગોવા ખરેખર આશિર્વાદ પામેલા જોસેફ વાઝ છે). દર 12 વર્ષોમાં એક વાર, તેમના શરીરની પૂજા માટે અને પ્રજાને જોવા માટે નીચે ઉતારવામાં આવે છે. આ પ્રકારની ઘટના છેલ્લે 2004માં હાથ ધરાઇ હતી. વેલહાસ કોન્ક્વીટાસ પ્રદેશો તેમના ગોવા-પોર્ટુગીઝ સ્થાપત્ય શૈલી માટે પણ જાણીતા છે. ગોવામાં ઘણા કિલ્લાઓ છે જેમ કે તિરાકોલ, ચાપોરા, કોર્જીયમ, અગુડા, ગાસ્પર ડાયસ અને કેબો ડી રામા. 

ગોવાના ઘણા ભાગોમાં કડિયાઓએ બાંધેલા ઇન્ડો-પોર્ટુગીઝ શૈલીના સ્થાપત્ય હજુ પણ અસ્તિત્વમાં છે, જ્યારે કેટલાક ગામડાઓમાં તેમાંના મોટા ભાગના ખંડિયેર હાલતમાં છે. પણજીમાં ફોન્ટેનહાસને સાસ્કૃતિક ગાળા તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે ગોવાના જીવન, સ્થાપત્ય અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. ગોવાના મંદિરોમાં પોર્ટુગીઝ યુગનો પ્રભાવ દ્રશ્યમાન છે, તેમાં મન્ગ્યુશી મંદિર અને મહાલસા મંદિરને ગણાવી શકાય, જોકે 1961 બાદ આમાંના મોટા ભાગનાનો નાશ કરાયો હતો અને સ્થાનિક ભારતીય શૈલીમાં પુનઃબાંધવામાં આવ્યા હતા. 

ગોવામાં થોડા સંગ્રહાલયો પણ છે, તેમાંના બે ગોવા સ્ટેટ સંગ્રહાલય અને નેવલ એવિયેશન મ્યુઝિયમ અગત્યના છે. એવિયેશન સંગ્રહાલય એ ભારતમાં આ પ્રકારનું ફક્ત એક સંગ્રહાલય છે. તદુપરાંત, પર્યટકો માટે જે સ્થળ એટલું જાણીતુ નથી તે ગોવા વિજ્ઞાન કેન્દ્ર છે, જે પંજીમમાં આવેલું છે. 

ગોવાનો ટેબ્લો દીપસ્તંભ, ક્રોસ, ઘોડ મોડની તેમજ રથ પર ભાર મૂકતા ધાર્મિક એકસૂત્રતા દર્શાવે છે. રાજાનો પશ્ચિમનો વૈભવી શણગાર અને ભજવવામાં આવતા પ્રાદેશિક નૃત્યો રાજ્યના વિશિષ્ટ વિવિધ ધર્મો અને સંસ્કૃતિના મિશ્રણની ઝાંખી કરાવે છે. સંગીત અને નૃત્યનો તહેવાર શિગ્મો મેલ વિવિધતામાં એકતા દર્શાવે છે. ગોવા કાર્નિવલ અસંખ્ય પર્યટકોને આકર્ષવા માટે જાણીતુ છે. અન્ય આગવા સ્થાનિક તહેવારો દિવાળી, નાતાલ, ચાવોથ અને ઇસ્ટર છે. ગોવા નવા વર્ષની ઉજવણી માટે પણ જાણીતુ છે. 

માન્ડો અને ડુલપોડ પરંપરાગત ગોઆન સંગીત સ્વરૂપ છે. ગોઆન હિન્દુઓ નાટક, ભજન અને કિર્તનના ખૂબ શોખીન હોય છે. અત્યંત વિખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયકો ગોવાના છે, જેમ કે લત્તા મંગેશકર, આશા ભોંસલે, કિશોરી અમોનકર, કેસરબાઇ કર્કર, જિતેન્દ્ર અભિષેકી, પંડિત પ્રભાકર કારેકર. કેટલાક પરંપરાગત ગોઆન નૃત્ય દેખન્ની, ફૂગડી, અને કોરિદિન્હો છે. 

ગોવા ગોવા ટ્રાન્સનું જન્મસ્થળ છે અને ત્યાં સનબર્ન તહેવારો ઉજવાય છે જેણે વિશ્વના વિખ્યાત કલાકારોએ માણ્યા છે, આવા કલાકારોમા ડીજે કાર્લ કોક્સ, રોજર સંચેઝ, આર્મિન વા બુરેન, એક્સવેલ, નફિઝા, જોહ્ન ઉ ફ્લેમિંગ, વચન ચિન્નાપા અને સુલ્તાનનો સમાવેશ થાય છે. 

નાટક, ટિયાત્ર અને ઝાગોર ગોવાની પરંપરાગત કલાના મુખ્ય સ્વરૂપો છે. અન્ય સ્વરૂપો રનમાલે, દશાવાતારી, કાલો, લલિત, કાલા અને રથકલા છે. રામાયણ અને મહાભારતની સાથે વધુ આધુનિક સામાજિક વિષયોને પણ ગીત અને નૃત્યમાં રૂપાંતરીત કરવામાં આવ્યા છે. ડ્રમર્સ, કીબોર્ડ કલાકારો અને ગિતાર વગાડનારાઓ આ શોનો ભાગ છે અને તેની ઐતિહાસિક માત્રા દર્શાવે છે. 

કોંકણીમાં ભાતની સાથે ફિશ કરી (કોંકણીમાં ક્ઝીટ કોડી‌‌‌‌) ગોવામાં મુખ્ય ખોરાક છે. ગોઆન રસોઇ રીત ઝીણવટથી રીતે માહિતીમાંથી તૈયાર કરેલી ફિશ ડીશની સારી વાનગી છે. નાળિયેર અને નાળિયેરીના તેલનો ગોઆન રસોઇ પદ્ધતિમાં મોટે ભાગે ઉપયોગ થાય છે, તેમજ તેની સાથે સૂકા મરી, મસાલા અને વિનેગરનો ઉપયોગ પણ કરવામા આવે છે, જે ખોરાકને વિશિષ્ટ સ્વાદ આપે છે. પોર્ક ડીશો જેમ કે વિન્ડાલૂ, ક્ઝાકૂટી અને સોર્પોટેલ ગોઆન કેથલિક્સમાં મોટા પ્રસંગોમા જ રાંધવામાં જ રાંધવામાં આવે છે. વિલાયતી ગોઆન વેજીટેબલ બાફલો કે જે ખટખટે તરીકે જાણીતો છે, જે હિન્દુ ખ્રિસ્તી ચાહે જેના પણ તહેવારો હોય તેની ઉજવણી દરમિયાન લોકપ્રિય ડીશ છે. ખટખટેમાં ઓછામાં ઓછા પાંચ શાક, તાજા નાળિયેર અને ખાસ ગોવાના તેજાનાનો સમાવેશ થાય છે, જે સુગંધમાં ઉમેરો કરે છે. ઇડલીની એક જાત સન્નાસ અને ઢોસાની એક જાત કોઇલોરી ગોવાની વાનગીઓ છે. ઊંચી જાતના ઇંડા-આધારિત અસંખ્ય સ્તરો ધરાવતી સ્વીડ ડીશ કે જે બેબિન્કા તરીકે જાણીતી છે, તે નાતાલમાં લોકપ્રિય છે. ગોવામાં અત્યંત લોકપ્રિય આલ્કોહોલિક પીણું ફેની છે; કાજુ ફેની કાજુના વૃક્ષના ફળના આથામાંથી બનાવવામાં આવે છે, જ્યારે નાળિયેર ફેની તાડીના વૃક્ષના સત્વમાંથી બનાવવામાં આવે છે.

ગોવાની સ્થાપત્યકલા ભારતીય, મુઘલ અને પોર્ટુગીઝ શૈલીનું મિશ્રણ છે. પોર્ટુગીઝોએ ચાર સદીઓ સુધી શાસન કર્યું હોવાથી અસંખ્ય દેવળો અને રહેણાંકો પર સ્થાપત્યકલાની પોર્ટુગીઝ શૈલીની ઝાંખી જોવા મળે છે. ગોવામાં મુઘલોનું પણ શાસન હતું અને ત્યાં ડોમ્સ સાથે ખાસ મુઘલ શૈલીના સ્મારકો બંધાયેલા જોવા મળે છે. ખાસ ગોઆન સ્થાપત્યકલા અત્યંત સાદી અને સરળ છે અને આધુનિક ઇમારતોમાં પણ તે દ્રશ્યમાન થાય છે. 

ફૂટબોલ ગોવામાં અત્યંત લોકપ્રિય રમત છે અને તે ગોઆન સંસ્કૃતિ સાથે વણાયેલી છે. ત્યાં મુલાકાતે આવેલા આઇરીશ સાધુ એફઆર. વિલીયમ રોબર્ટ લ્યોન્સે ખ્રિસ્તીઓના શિક્ષણ ના ભાગરૂપે સ્થાપના કરી હતી ત્યારે રાજ્યમાં 1883માં તેની ઉત્પત્તિ થઇ હોવાનું જાણવા મળે છે. 22 ડિસેમ્બર, 1959ના રોજ એસોસિયેકાઓ ડિ ફ્યુટબોલ ડિ ગોઆ ની સ્થાપના કરવામાં આવી હતી, જેણે નવા નામ ગોવા ફૂટબોલ એસોસિયેશન હેઠળ રમતનું સંચાલન કરવાનું સતત રાખ્યું છે. ગોવા, પશ્ચિમ બંગાળ અને કેરાલાની સાથે  દેશમાં ફૂટબોલનું નિશ્ચિત સ્થાન ધરાવે છે અને ભારતની આઇ લીગમાં ઘણી ફૂટબોલ ક્લબોનું કેન્દ્ર છે. રાજ્યના ફૂટબોલ પાવરહાઉસીસમાં સાલગાઓકર, ડેમ્પો, ચર્ચિલ બ્રધર્સ, વાસ્કો સ્પોર્ટસ ક્લબ અને સ્પોર્ટીંગ ક્લબ ડિ ગોવાનો સમાવેશ થાય છે. રાજ્યનુ મુખ્ય ફૂટબોલલ સ્ટેડિયમ, ફેત્રોડા (અથવા નહેરૂ સ્ટેડિમ), મારગાઓમાં આવેલું છે અને ત્યાં ક્રિકેટ મેચ પણ યોજાય છે. 

ગોવાના ઘણા વતનીઓએ ફૂટબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને તેમાંના ચારના નામ છે, બ્રહ્માનંદ સંખવાલકર, બ્રુનો કૌટિન્હો, મૌરિસિઓ અફોન્સો, અને રોબર્ટો ફર્નાન્ડિઝ, આ તમામ અમુક સમયે કે અન્ય સમયે રાષ્ટ્રીય ટીમના કપ્તાન રહ્યા હતા. 

તાજેતરના દાયકાઓમાં ક્રિકેટનો વધતો જતો પ્રભાવ જોઇ શકાય તેમ છે. ગોવા પાસે તેની પોતાની ક્રિકેટ ટીમ છે. દિલીપ સરદેસાઇ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા અત્યાર સુધીના એકમાત્ર ગોવાના વતની છે. માર્ચ 2005માં ગવર્નર દ્વારા વિધાનસભાને બરખાસ્ત કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરવામાં આવી હતી, જેણે કાયદાસભાને બરતરફ કરી હતી. જૂન 2005ની પેટા ચુંટણીમાં જે પાંચ બેઠકોની ચુંટણી યોજાઇ હતી તેમાંથી ત્રણ બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસ સત્તા પર આવી હતી. કોંગ્રેસ પક્ષ અને ભારતીય જનતા પક્ષ (બીજેપી) રાજ્યમાં મોટામાં મોટા બે પક્ષો છે. 2007ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્ત્વવાળી યુતિએ જીત મેળવી હતી અને રાજ્યમાં શાસનનો પ્રારંભ કર્યો હતો. અન્ય પક્ષોમાં યુનાઇટેડ ગોઆન્સ ડેમોક્રેટિક પક્ષ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષનો સમાવેશ થાય છે. 

ગોવામાં ભારતમાં ઉપલબ્ધ મોટે ભાગ તમામ ટેલિવીઝન ચેનલો ઉપલબ્ધ છે. ગોવાના મોટા ભાગના વિસ્તારોમાં કેબલ દ્વારા ચેનલો મેળવવામાં આવે છે. આંતરિયાળ પ્રદેશોમાં ચેનલો ઉપગ્રહ ડિશ દ્વારા મેળવવામાં આવે છે. રાષ્ટ્રીય ટેલિવીઝન પ્રસારણકર્તા, દૂરદર્શન પાસે બે મુક્ત પ્રાદેશિક ચેનલો રજૂ કરવા માટે છે. 

ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) ટીવી સેવા ડીશ ટીવી, તાતા સ્કાય અને ડીડી ડાયરેક્ટ પ્લસ દ્વારા ઉપલબ્ધ છે. ઓલ ઇન્ડિયા રેડીયો રાજ્યમાં એક માત્ર રેડીયો ચેનલ છે, જે એફએમ અને એએમ બેન્ડઝ એમ બંનેનું પ્રસારણ કરે છે. પ્રાયમરી ચેનલ 1287 કિલોહર્ટઝ અને વિવિધ ભારતી ચેનલ 1539 કિલોહર્ટઝ પર બે એએમ ચેનલોનું પ્રસારણ કરવામા આવે છે. એઆઇઆરની એફએમ ચેનલને એફએમ રેઇન્બો કહેવાય છે અને 105.4 મેગાહર્ટઝ પર પ્રસારિત કરવામાં આવે છે. ખાનગી એફએમ રેડીયો ચેનલો બીગ એફએમ 92.7 મેગાહર્ટઝ અને રેડીયો ઇન્ડિગો 91.9 મેગાહર્ટઝ પર પ્રસારિત કરવામાં આવે છે. આ ઉપરાંત શૈક્ષણિક રેડીયો ચેનલ ગ્યાન વાણી પણ છે, જે ઇગ્નો દ્વારા પણજીથી 107.8 મેગાહર્ટઝ પર પ્રસારિત કરવામાં આવે છે. 2006માં સેંટ ઝેવિયર્સ કોલેજ, માપુસા રાજ્યમાં એવી સર્વપ્રથમ કોલેજ બની હતી કે જેણે કેમ્પસ કોમ્યુનિટી રેડીયો સ્ટેશન 'વોઇસ ઓફ ઝેવિયર્સ'નો પ્રારંભ કર્યો હતો. 

મોટા ભાગના સેલ્યુલર સર્વિસ ઓપરેટરોમાં રિલાયન્સ ઇન્ફોકોમ, તાતા ઇન્ડિકોમ, વોડાફોન (અગાઉની હચ), ભારતી એરટેલ, બીએસએનએલ અને આઇડિયા સેલ્યુલરનો સમાવેશ થાય છે. 

સ્થાનિક અખબાર પ્રકાશનોમાં અંગ્રેજી ભાષામાં  ધી હેરાલ્ડ (ગોવાનું સૌથી જૂનુ, એક સમયે પોર્ટુગીઝ ભાષાનું પેપર જે ઓ હેરાલ્ડો તરીકે જાણીતુ હતું), ગોમાન્તક ટાઇમ્સ અને નવહીંદ ટાઇમ્સ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ધી ઇન્ડિયન એક્સપ્રેસ શહેરી વિસ્તારોમાં બોમ્બે અને બેંગલોરથી પ્રાપ્ત કરવામાં આવે છે. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા એ તાજેતરમાં જ ગોવાથી પ્રકાશનનો પ્રારંભ કર્યો છે, જે રાજ્યની રાજધાનીથી સીધા જ સ્થાનિક વસ્તીને સમાચાર પીરસે છે. સત્તાવાર રીતે માન્ય અખબારોની યાદીમાં કોંકણી (દેવનાગરી લિપિ)માં સૂનાપારંત , ધી નવહીંદ ટાઇમ્સ , અંગ્રેજીમાં ધી હેરાલ્ડ ટાઇમ્સ અને ધી ગોમાન્તક ટાઇમ્સ ; અને ગોમાન્તક , તરુણ ભારત , નવપ્રભા , ગોવા ટાઇમ્સ , સનાતન પ્રભાત , ગોવાદૂત (બધાજ મરાઠીમાં)નો સમાવેશ થાય છે. દરેક દૈનિક અખબારો છે. રાજ્યના અન્ય પ્રકાશનોમાં ગોવા ટુડે (અંગ્રેજી ભાષા, માસિક), ગોઆન ઓબ્સર્વર (ઇંગ્લીશ, સાપ્તાહિક), વાવરડ્ડેન્ચો ઇક્ટ (રોમન-લિપિ કોંકણી, સાપ્તાહિક) ગોવા મેસેન્જર , ગુલાબ (કોંકણી, માસિક), બિમ્બ (દેવનાગીરી-સ્ક્રીપ્ટ કોંકણી)નો સમાવેશ થાય છે. 

શાળાના દસ વર્ષો બાદ, વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જોડાય છે, જે વિખ્યાત પ્રવાહો જેમ કે વિજ્ઞાન, આર્ટસ, લો (કાયદો) અને કોમર્સમાં અભ્યાસક્રમો પૂરા પાડે છે. વિદ્યાર્થી વ્યાવસાયિક અભ્યાસોમાં પણ જોડાઇ શકે છે. વધારામાં, ઘણા ત્રણ વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં જોડાય છે. બે વર્ષની કોલેજ બાદ વ્યાવસાયિક ડિગ્રી હોય છે. ગોવા યુનિવર્સિટી રાજ્યમાં એક માત્ર યુનિવર્સિટી છે, જે તાલેઇગાવમાં આવેલી છે અને ગાવાની કોલેજો તેની સાથે સંલગ્ન છે. રાજ્યમાં ચાર એન્જિનિયરીંગ કોલેજો છે અને એક મેડિકલ કોલેજ છે. ગોવા એન્જિનિયરીંગ કોલેજ અને ગોવા મેડિકલ કોલેજ રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે જ્યારે અન્ય ત્રણ એન્જિનિયરીંગ કોલેજો ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. 

ગોવામાં શ્રેષ્ઠ શાળાઓમાં પોરવોરીમ ખાતે વિદ્યા પ્રભોદિની, કે.બી. હેડગેવાર હાઇ સ્કુલ, પ્રોગ્રેસ હાઇ સ્કુલ, ડોન બોસ્કો હાઇ સ્કુલ, પીપલ્સ હાઇ સ્કુલ, પણજીમાં મુશ્તીફંડ હાઇ સ્કુલ, પોન્ડામાં એ.જે. ડિ અલમેઇડા હાઇ સ્કુલ, વિદ્યા ભારતી મહિલા નુતન, મારગાઓમાં મનોવિકાસ વગેરેનો સમાવેશ થાય છે. 

ગોવામાં શ્રેષ્ઠ કોલેજોમાં જી.વી.એમની એસ.એન.જે.એ. હાયર સેકંડરી સ્કુલ, ડોન બોસ્કો કોલેજ, ડી.એમ.ની કોલેજ, સેંટ ઝેવિયર્સ કોલેજ, કાર્મેલ કોલેજ, ચૌગુલે કોલેજ, ધેમ્પે કોલેજ, દામોદર કોલેજ, એમઇએસ કોલેજ વગેરેનો સમાવેશ થાય છે. 

ખાનગી એન્જિનિયરીંગ કોલેજો શ્રી રાયેશ્વર ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી, શિરોડા અને પાડ્રે કોન્સેઇકાઓ કોલજ ઓફ એન્જિનિયરીંગ, વેરના છે. ફાર્મસી, આર્કિટેક્ચર અને ડેન્ટિસ્ટ્રી ઓફર કરતી કોલેજો સાથે અસંખ્ય ખાનગી કોલેજો પણ લો (કાયદો), આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન શાખામાં અભ્યાસ આપે કરે છે. આ ઉપરાંત નેશનલ ઓશનોગ્રાફિક સાયન્સ સંબંધિત બે કેન્દ્રો છે, એનસીએઓઆર અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી (એઆઇઓ) વાસ્કો અને પંજીમમાં છે. 2004માં, બીટ્સ પિલાની યુનિવર્સિટીએ તેમનો પ્રથમ ભારતીય ઉપગ્રહનો પ્રારંભ કર્યો હતો, બીટ્સ પિલાની ગોવા કેમ્પસ ડાબોલીમ નજીક છે. 

એન્જિનિયરીંગ કોલેજ ઉપરાંત, બહુ થોડી પોલિટેકનિક સંસ્થાઓ છે, જેમાં ફાધર અગ્નેલ પોલિટેકનિક, વેરના અને ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ શિપબિલ્ડીંગ ટેકોલોજી, વાસ્કો ડા ગામાનો સમાવેશ થાય છે જે ટેકનિકલ અને વ્યાવસાયિક તાલીમ આપે છે. 

જોકે, ગોવામાં જે અભ્યાસક્રમ ઉપલબ્ધ છે તેના કરતા વધુ માગ હોવાથી, મોટા ભાગના નિવાસીઓ અન્ય રાજ્યોમાં અભ્યાસક્રમ કરવાનું પસંદ કરે છે. ગોવા પણ ભારતમાં મરિન એન્જિનિયરીંગ, ફિશરીઝ, હોટેલ મેનેજમેન્ટ અને ક્વિઝીન જેવા અભ્યાસક્રમો માટે અત્યંત જાણીતુ છે. રાજ્ય વધુમાં દેશમાં અનેક શ્રેષ્ઠ શાળાઓમાંની એક બિઝનેસ સ્કુલ ધરાવે છે - ગોવા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જે એક સ્વાયત્ત છે અને તેની સ્થાપના 1993માં રોમ્યુયાલ્ડ ડી'સોઝા દ્વારા કરવામાં આવી હતી. શાળાના અભ્યાસક્રમના એક ભાગ તરીકે પોર્ટુગીઝ, ઘણી વખત કેટલીક શાળાઓમાં ત્રીજી ભાષા તરીકે પોર્ટુગીઝ શીખવવામાં આવે છે. ગોવા યુનિવર્સિટી પોર્ટુગીઝમાં સ્નાતક અને માસ્ટર્સ ડિગ્રી પણ ઓફર કરે છે. 




#Article 102: જમ્મુ અને કાશ્મીર (456 words)


જમ્મુ અને કાશ્મીર (JK તરીકે પણ સંબોધાય છે) ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે ૫ ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.

કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છે.

જમ્મુ કાશ્મીર દક્ષીણે હિમાચલ પ્રદેશ અને પંજાબથી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ ચીન સાથે જોડાયેલ છે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં  શ્રીનગર અને શિયાળામાં જમ્મુ છે. આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાનએ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: જમ્મુ, કાશ્મીર ખીણ અને લડાખ. આ રાજ્યના ઘણા ભાગો પર પાકિસ્તાન અને ચીન એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.

જમ્મુ અને કાશ્મીરનો એક પૂર્વી ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાન એ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી તિબેટ સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.

જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે  યાત્રા કરવા માટે  આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ લડાખ એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌંદર્ય અને બૌદ્ધ ધર્મની સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે.    સંસદના બંને ગૃહોમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પસાર થયા પછી જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. સરકારે સુરક્ષા અને સમયના આધારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વિશેષ દરજ્જો ગણાવી છે. હવે દેશમાં Union ની જગ્યાએ Union કેન્દ્રશાસિત પ્રદેશો બદલાઈ ગયા છે. ચાલો આપણે જાણીએ કે ભારતમાં બનાવવામાં આવેલા 9 કેન્દ્ર શાસિત પ્રદેશોના કયા કારણો છે?

વર્ષ ૧૯૨૫માં મહારાજા હરીસિંહે જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા. વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતા મેળવી. ભારતની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતા રજવાડા ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે. તેમને મળેલ સ્વતંત્રતાએ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે, બ્રિટીશ શાસનના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો, અને આંતરિક તેમ જ બાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.

આ રાજ્યમાં કુલ ૨૦ જિલ્લાઓ આવેલા છે.




#Article 103: મિઝોરમ (233 words)


મિઝોરમ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર ઐઝવાલ નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.

ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર આસામ રાજ્યનો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ લુશાઈ હિલ્સ જિલ્લો રાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ્રંટ વચ્ચે ઈ.સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપે ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૭ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો.

મિઝોરમ ચારે બાજુ જમીનથી ઘેરાયેલું રાજ્ય છે, જેનો દક્ષિણ ભાગ ૭૨૨ કિમીની આંતર રાષ્ટ્રીય સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે છે, જ્યારે ઉત્તરી સરહદ મણિપુર, આસામ અને ત્રિપુરાને સ્પર્શે છે. મિઝોરમ ભારતનું પાંચમું સૌથી નાનું રાજ્ય છે અને ૨૧,૦૮૭ ચો. કિમી.નો વિસ્તાર ધરાવે છે. મિઝોરમ 21°56'N to 24°31'N, અને 92°16'E to 93°26'E અક્ષાંસ-રેખાંશ વચ્ચે આવેલું છે. રાજ્યની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉત્તર-દક્ષિણ વચ્ચે મહત્તમ અંતર ૨૮૫ કિમી અને પૂર્વ-પશ્ચિમ વચ્ચેનું મહત્તમ અંતર ૧૧૫ કિમી છે.

મિઝોરમ રાજ્યમાં કુલ ૮ જિલ્લાઓ આવેલા છે: 




#Article 104: મેઘાલય (463 words)


મેઘાલય એ ભારતનું એક ઉત્તરપૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. સંસ્કૃતમાં આ નામનો અર્થ વાદળોનો વાસ એવો થાય છે. ૨૦૧૬ સુધીમાં મેઘાલયની વસ્તી ૩૨,૧૧,૪૭૪ હોવાનો અંદાજ છે.  મેઘાલય આશરે ૨૨,૪૩૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર લગભગ ૩:૧ છે. 

આ રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં બાંગ્લાદેશના રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્ય દ્વારા ઘેરાયેલો છે. મેઘાલયની રાજધાની શિલોંગ છે. ભારતના અંગ્રેજ રાજ દરમિયાન અંગ્રેજ સત્તાધિકારીઓએ તેને પૂર્વના સ્કોટલેન્ડ નામથી ઓળખતા. મેઘાલય અગાઉ આસામનો ભાગ હતો, પરંતુ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે ખાસી, ગારો અને જૈંતિયા પર્વતોના જિલ્લાઓ મેળાવી મેઘાલય નામનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. મેઘાલયની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઘણા ભારતીય રાજ્યોથી વિપરીત, મેઘાલય ઐતિહાસિક રીતે એક સ્ત્રી પ્રધાન સમાજ રચના (મેટ્રિનેલ સિસ્ટમ)નું પાલન કરે છે જ્યાં વંશ અને વારસો સ્ત્રીઓના કુળ દ્વારા નક્કી થાય છે; સૌથી નાની પુત્રીને બધી સંપત્તિ વારસામાં મળે છે અને તે જ તેના માતાપિતાની સંભાળ પણ રાખે છે. 

આ રાજ્ય એ ભારતનો સૌથી ભીનો પ્રદેશ છે, જે સરેરાશ દરેક વર્ષે  વર્ષાની નોંધ કરે છે. રાજ્યનો આશરે ૭૦% જંગલોથી ઘેરાયલો છે. મેઘાલય ઉષ્ણકટિબંધીય જંગલોનું ઇકોરીજીયન મોટા ભાગના રાજ્યને ઘેરી લે છે; તેના પર્વતીય જંગલો ઉત્તર અને દક્ષિણ તરફના નીચાણવાળા ઉષ્ણકટિબંધીય જંગલોથી અલગ છે. જંગલો તેમના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની જૈવવિવિધતા માટે જાણીતા છે. 

મેઘાલય મુખ્યત્વે એક કૃષિ અર્થતંત્ર ધરાવે છે સાથે નોંધપાત્ર વ્યાપારી વનીકરણ ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. બટેટા, ચોખા, મકાઈ, અનાનસ, કેળા, પપૈયા, મસાલા અહીંની મુખ્ય પેદાશો છે. સેવા ક્ષેત્ર રીઅલ એસ્ટેટ અને વીમા કંપનીઓનું બનેલું છે. ૨૦૧૨માં મેઘાલયનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પન્ન વર્તમાન કિંમત પ્રમાણે અંદાજે  છે.  રાજ્ય ભૌગોલિક રીતે ખનિજોથી સમૃદ્ધ છે, પરંતુ તે ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર ઉદ્યોગો નથી.આ રાજ્યમાં આશરે  લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. તે બાંગ્લાદેશ સાથેના વેપાર માટેનું એક મુખ્ય લોજિસ્ટિકલ કેન્દ્ર પણ છે.  

જુલાઈ 2018 માં, આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટીગ્રાફી (ભૂસ્તરીય શાસ્ત્ર) આયોગે ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસને લાગતા હોલોસેન યુગને ત્રણ ખંડમાં વિભાજિત   કર્યો હતો જેના અંતિમ હોલોસેનને મેઘાલય ખંડ નામ આપવામાં આવ્યું છે.   આ એટલા માટે કે મેઘાલયની માવમ્લુહ ગુફાના લવણસ્તંભો લગભગ ઈ. સ. પૂ. ૨૨૫૦ની એક મહત્ત્વની વૈશ્વિક આબોહવા પરિવર્તનની ઘટના, સ્ટ્રેટોટાઈપ, ની સીમા ક્કી કરે છે.  

મેઘાલયની મોટાભાગની વસ્તી આદિવાસી લોકોની છે. ખાસીઓ સૌથી મોટું જૂથ છે, ત્યાર બાદ ગારો પછી જૈંંતિયા આવે છે. આ જાતિઓની જાણકારી અંગ્રેજોને હતી. તેને તેઓ પહાડી જાતિ તરીકે ઓળખાતા. અન્ય જૂથોમાં હાજોંગ, બાયટ, કોચ અને સંબંધિત રાજનોંગશી, બોડો, દિમસા, કુકી, લાખર, તિવા(લાલંગ), કરબી, રાભા અને નેપાળી જાતિઓ અહીં વસે છે . 

૨૦૧૧ ની વસ્તી ગણતરીના કામચલાઉ અહેવાલ મુજબ મેઘાલયમાં સાત ઉત્તર-પૂર્વીય સાત રાજ્યોમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ૨૭.૮૨% નોંધાય છે. ૨૦૧૧ સુધીમાં મેઘાલયની વસ્તી ૨૯,૬૪,૦૦૭ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી મહિલાઓ ૧૪,૯૨,૬૬૮ અને પુરુષો ૧૪,૭૧,૩૩૯ છે. ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં લિંગ પ્રમાણ ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૮૬ સ્ત્રીઓનો હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૯૪૦ કરતા ઘણો વધારે હતો. ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રમાણ ૯૮૫ અને શહેરમાં ૯૭૨ હતો. 

મેઘાલય રાજ્યમાં કુલ ૭ જિલ્લાઓ આવેલા છે:




#Article 105: સિક્કિમ (3580 words)


સિક્કિમ ભારતનું પૂર્વમાં આવેલું રાજ્ય છે જેની સરહદો ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાએલી છે, તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. આ રાજ્યમાં કુલ ૧૧ ભાષાઓને અધિકૃત ભાષા ગણવામાં આવે છે, જેમાં નેપાળી, સિક્કિમી, હિન્દી, લેપ્ચા, તમાંગ, લીમ્બુ, નેવારી, રાઈ, ગુરુન્ગ, મગર, સુંવાર અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. શાળાઓમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે તેમ જ સરકારી પત્ર, દસ્તાવેજ વગેરેમાં પણ અંગ્રેજી ભાષાનો વપરાશ થાય છે.

સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા. તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સંત પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે. ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સાને દિવ્ય સાક્ષાતકાર થયો, જેમાં તેને દક્ષિણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પાદરી-રાજા બનાવવામાં આવ્યા.

૧૬૭૦માં ફુનત્સોગ નામગ્યાલ પછી તેમનો પુત્ર તેનસંગ નામગ્યાલ ગાદીએ આવ્યો. તેણે સિક્કિમની રાજધાનીને યુસોમથી રાબ્દેનત્સેમાં ખસેડી. ઈ.સ. ૧૭૦૦માં રાજાની સાવકી બહેન(જેને સિક્કિમની ગાદી ન અપાઈ)ની મદદ વડે ભૂતાને સિક્કિમ પર આક્રમણ કર્યું. તેના દસ વર્ષ પછી તિબેટી સેનાઓએ ભૂતાનીને સિક્કિમથી ખદેડી દીધા અને છોગ્યાલને ફરી ગાદીએ બેસાડ્યા. ૧૭૧૭ અને ૧૭૩૩ની વચમાં પશ્ચિમે આવેલા નેપાળ અને પૂર્વે આવેલા ભૂતાન દ્વારા સિક્કિમ પર ઘણાં આક્રમણો થયા. તેવી એક નેપાળી ચડાઈ દરમ્યાન રાજધાની રાબ્દેનત્સેનો ધ્વંસ કરવામાં આવ્યો. ૧૭૯૧માં ગોરખા આક્રમણથી સિક્કિમ અને તિબેટથી બચાવવા માટે ચીને સિક્કિમમાં સૈન્ય મોકલ્યું હતું. ગોરખાઓના પરાજય પછી ચીનના ક્વીંગ રાજવંશનું સિક્કિમ પર નિયંત્રણ રહ્યું.

ભારતમાં અંગ્રેજોનું રાજ સ્થપાતાંં સિક્કિમે તેના દુશ્મન નેપાળ સામે અંગ્રેજો સાથે મિત્રતા કેળવી. નેપાળે સિક્કિમ પર આક્રમણ કરી તરાઈ સહિતના ક્ષેત્ર પર આધિપત્ય મેળવ્યું. આને કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નેપાળ પર આક્રમણ કર્યું અને પરિણામે ૧૮૧૪નું ગોરખા યુદ્ધ થયું. ૧૮૧૭માં નેપાળ અને સિક્કિમ વચ્ચે સંધિ થઈ અને તે અનુસાર નેપાળે પચાવી પાડેલો સિક્કિમનો પ્રદેશ પાછો આપવો પડ્યો. પરંતુ જ્યારે અંગ્રેજોએ સિક્કિમના મોરાંગ પ્રાંતમાં કરવેરો ઉઘરાવવો શરૂ કર્યો ત્યારે સિક્કિમ અને અંગ્રેજોના સંબંધોમાં કડવાશ ઊભી થઈ. ૧૮૪૯માં સર જોસેફ ડાલ્ટન હૂકર અને ડૉ. આર્થર કેમ્પબેલ નામના બે ડોક્ટરોએ (જેઓ અંગ્રેજ સરકારના અંગ્રેજ-સિક્કિમ સંબંધો વિષેના અધિકારીઓ હતા) સિક્કિમમાં ગુપ્તપણે, અનધિકૃત પ્રવેશ કર્યો. સિક્કિમ સરકારે આ બંને ડૉક્ટરોને અટકમાં લીધા. આને કારણે સિક્કિમના અંગ્રેજો સાથેના સંબંધો વધુ વણસ્યા જેને પરિણામે મોરાંગ અને દાર્જીલિંગ જીલ્લાઓને ૧૮૫૩માં બ્રિટિશ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવ્યા. ત્યાર બાદ સિક્કિમનો છોગ્યાલ અંગ્રેજોના નિયંત્રણ હેઠળ માત્ર નામનો જ રાજા રહી ગયો. ૧૮૯૦માં સિક્કિમ અંગ્રેજરક્ષિત રાજ્ય બની ગયું, અને ત્યાર બાદ બીજા ત્રણ દાયકામાં તેણે થોડી વધુ સ્વાયત્તતાઓ મેળવી.

ઇ.સ.૧૯૪૭માં ભારતને સ્વાત્તંત્રતા મળ્યા બાદ સિક્કિમમાં ભારતીય સંઘરાજ્યમાં ન જોડાવું એવો લોકમત આવ્યો. ૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારતરક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધે સ્વાયત્તતા મળી. 

૧૯૫૩ રાજ મંડળ સ્થપાયું જેણે છોગ્યાલના આધિપત્ય હેઠળ સંસદીય સરકારના ગઠનની જોગવાઈ કરી. તે સમયે સિક્કિમ નેશનલ કૉંગ્રેસે નવી ચૂંટણી અને સિક્કિમના રાજકારભારમાં વધુ નેપાળી સહભાગની માંગણી કરી. ૧૯૭૩ના સમયના છોગ્યાલ(રાજા) પાલ્દેન થોન્દુપ નામગ્યાલ ખૂબ જ અપ્રિય હતા અને તેમના મહેલની બહાર રમખાણો ફાટી નીકળ્યા અને ભારતીય સંરક્ષણની માંગણી કરવામાં આવી. 

૧૯૭૫માં સિક્કિમના વડા પ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરીકે ભેળવી દેવાની વિનંતી કરી. તે જ વર્ષના એપ્રિલ માસમાં ભારતીય સેનાએ ગંગટોકનો કબ્જો મેળવ્યો અને છોગ્યાલના મહેલના સૈનિકોને નિઃશસ્ત્ર કરી દીધા. ત્યાર બાદ એક લોકમત લેવામાં આવ્યો, જેમાં ૯૭.૫ ટકા મતદાતાઓએ રાજાશાહીનો અંત કરી અને ભારતીય સંઘ સાથે જોડાવાની તરફેણ કરી. આ સંમેલનને લોકોની ઈચ્છા અને ભારતીય સંઘની સહમતિથી પ્રેરિત જણાવાયું હતું પણ તેની ચડાઈ, જાતિભેદનો ફાયદો ઉપાડવો, જનમતમાં ગોટાળા જેવી અનેક ટીકાઓ કરવામાં આવી. ૧૬ મે,૧૯૭૫ના દિવસે સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય બન્યું અને રાજાશાહી નાબુદ થઈ. નવા રાજ્યના ઉમેરણ માટે ભારતીય સંસદ દ્વારા સંવિધાનમાં સુધારો કરવામાં આવ્યો. સૌ પ્રથમ ૩૫મા સુધારા હેઠળ સિક્કિમને સંલગ્ન રાજ્ય તરીકે ખાસ દરજ્જો અપાયો. ત્યાર બાદ ૩૬મા સુધારા હેઠળ સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો અને સિક્કિમનું રાજ સંવિધાનની પ્રથમ સારણીમાં ઉમેરાયું.

૨૦૦૦ની સાલમાં સત્તરમા કર્મપા ઉરગ્યેન ત્રિનલે દોરજી (જેમને દલાઈ લામાએ માન્યતા આપી અને ચીની સરકારે પણ ટુલ્કુ તરીકે સ્વીકાર્યા) તિબેટથી નાસી છૂટ્યા અને તેમણે સિક્કિમની રુમટેક મઠમાં આશ્રય માગ્યો. આ મુદ્દે ચીની અધિકારીઓ અવઢવમાં હતા. જો તેઓ ભારતનો વિરોધ કરે તો તેઓ સિક્કિમને ભારતનું અંગ ગણે છે એમ સાબિત થાય. ચીન સિક્કિમને ભારતશાસિત સ્વતંત્ર રાજ્ય માનતું હતું. છેવટે ૨૦૦૩માં ચીની સરકારે એ શરતે સિક્કિમને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી કે ભારત સરકાર પણ તિબેટને ચીનનો ભાગ ગણે; અલબત્ત, ૧૯૫૩માં જવાહરલાલ નહેરૂના કાળ દરમ્યાન નવી દિલ્હીએ તિબેટને ચીનનો ભાગ સ્વીકાર્યો હતો. ૨૦૦૩ની આ સમજૂતીને કારણે ભારત ચીન સંબંધોમાં સુધારો આવ્યો, અને ૬ જુલાઈ ૨૦૦૬ના દિવસે સિક્કિમનો નથુલા ઘાટ ભારત-ચીન વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લો મૂકાયો જે ભારત-ચીન વચ્ચે પ્રથમ ખુલ્લી સીમા બની.  પ્રાચીન રેશમ માર્ગની એક શાખા માર્ગસમો આ ઘાટ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી બંધ પડ્યો હતો.

૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે સિક્કિમમાં ૬.૯ Mwનો ભૂકંપ આવ્યો જેમાં સિક્કિમ, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાનના કુલ ૧૧૬ લોકો મૃત્યુ પામ્યા. એકલા સિક્કિમમાં જ ૬૦ લોકો મૃત્યુ પામ્યા અને ગંગટોક શહેરમાં ભારે નુકસાન થયું.

હિમાલયની પર્વતમાળામાં આવેલા માળા સમાન સિક્કિમ એ મુખ્યત્વે પર્વતીય ભૂક્ષેત્ર ધરાવે છે. રાજ્યના ભૂક્ષેત્રની સમુદ્રસપાટીથી ઊંચાઈ ૨૮૦મી થી લઈને ૮૫૮૬મી જેટલી છે. વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર - કાંચનજંઘા સિક્કિમ અને નેપાળની સરહદે આવેલું છે.. મોટા ભાગનો ભૂભાગ પર્વતીય ઢોળાવ ધરાવતો હોવાથી તે ખેતી માટે અયોગ્ય છે. જોકે અમુક પર્વતીય ઢોળાવોને પગથિયા ખેતરો સ્વરૂપે વિકસાવાયા છે. બરફ ઓગળવાથી વહેતા ઘણાં ઝરણાંઓ રાજ્યના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાંથી વહે છે. આ ઝરણાઓ મળીને તીસ્તા અને રંગીત નામની મુખ્ય નદી અને તેની ઉપનદીઓ બનાવે છે. આ નદીઓ રાજ્યની ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે આ રાજ્યની ત્રીજા ભાગની જમીન જંગલોથી છવાયેલી છે. 

સિક્કિમની પૂર્વ, પશ્ચિમ અને ઉતરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં હિમાલયના નીચા શિખરો આવેલા છે. આ દક્ષિણ ભાગમાં વસ્તીની ગીચતા વધુ છે. સિક્કિમમાં ૨૬ શિખરો, ૮૦થી વધુ હિમનદીઓ, ૨૨૭ જેટલા ઊંચાઈ પર આવેલા તળાવો (જેમ કે ત્સોન્ગમો, ગુરુડોન્ગમર અનેખેચોપાલરી), ગરમ પાણીના પાંચ ઝરા અને ૧૦૦થી વધુ નદીઓ અને ઝરણાંઓ આવેલાં છે. રાજ્યના ૮ પર્વતીય ઘાટ તેને તિબેટ, નેપાળ અને ભૂતાન સાથે જોડે છે.

સિક્કિમના ગરમ પાણીના ઝરા તેની વૈદકીય ગુણધર્મો માટે પ્રચલિત છે. અહીં પુર્ચાચુ, યુમથાન્ગ, બોરાન્ગ, રાલાન્ગ, તારમ-ચુ અને યુમી સમડોન્ગ જેવા ગરમ પાણીના ઝરા પ્રખ્યાત છે. નદી કિનારા નજીકના ઝરા વધુ પ્રમાણમાં ગંધક ધરાવે છે; અમુક ઝરા તો હાઈડ્રોજન વાયુ ઉત્સર્જીત કરે છે. .. આ ઝરાઓનું સરાસરી તાપમાન  જેટલું હોય છે. 

સિક્કિમની ટેકરીઓ મોટે ભાગે નીસીઓસ અને શીસ્ટ નામના ખડકોની બનેલી છે, જેને કારણે ઢીલી અને છીછરી કથ્થઈ રંગની ચીકણી માટીનું નિર્માણ થાય છે. આ માટી છીદ્રાળુ હોય છે અને તેમાં મોટા પ્રમાણમાં આયર્ન ઓક્સાઈડ હોય છે. આ માટી ન્યૂટ્રલથી લઈ અમ્લીય હોય છે. તેમાં ઓર્ગેનીક કે ક્ષારોનો અભાવ હોય છે. આ પ્રકારની માટી નીત્ય લીલા અને પાનખર જંગલ ઉગાડે છે. 

મોટા ભાગના સિક્કિમમાં પ્રીકેમ્બ્રીયન ખડકો ધરાવે છે, જે તેના શિખરો જેટલાં જૂના નથી. તે ખડકોમાં ફાયલાઈટ હોય છે, વિદારણની તેના પર વધુ અસર થાય છે. આ સાથે રાજ્યમાં પડતા અત્યંત વધારે વરસાદને કારણે ખૂબ વધુ પ્રમાણમાં માટી અને તેમાંના પોષક તત્ત્વોનું ધોવાણ થાય છે. આને કારણે અહીં જમીનનું સ્ખલન ખૂબ થાય છે જેથી મુખ્ય શહેરી ક્ષેત્રોથી અહીંના ગામડાઓ દૂર સુદૂર એકલાં અટૂલા જોવા મળે છે. 

સિક્કિમમાં પાંચ ઋતુઓ શિયાળો, ઉનાળો, વસંત, પાનખર અને વર્ષા જોવા મળે છે. અહીં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસું હોય છે. અહીંની આબોહવા દક્ષિણમાં ઉપ વિષુવવૃત્તીયથી લઈને ઉત્તરમાં ટુંડ્રા પ્રકારની છે. સિક્કિમની માનવ વસાહતી પ્રદેશમાં સમશીતોષ્ણ વાતાવરણ હોય છે અને તાપમાન થી ઉપર જતું નથી. સિક્કિમનું સરાસરી વાર્ષિક તાપમન લગભગ  જેટલું છે.

નિયમિત હિમવર્ષા મેળવતું હોય એવું સિક્કિમ ભારતનું એક રાજ્ય છે. અહીંની હિમરેખા ઉત્તરે  થી લઈને દક્ષીણે  જેટલી છે. ઉત્તર સિક્કિમમાં ટુંડ્ર પ્રકારની આબોહવા લગભગ ચાર મહિના સુધી રહે છે, તે સમય દરમ્યાન રાત્રે ઉષ્ણતામાન  કરતાં પણ નીચે જતું હોય છે. વાયવ્ય સિક્કિમના પર્વત શિખરો તેની ઉંચાઈને કારણે આખું વર્ષ હિમાચ્છાદિત રહે છે, શિયાળામાં પર્વતો પર તાપમાન  જેટલું નીચે જાય છે.

વર્ષા ઋતુમાં અહીં ભૂસ્ખલનનો ભય વધી જાય છે. સિક્કિમમાં એકધારા વરસાદ પડતો રહ્યો હોવાનો ૧૧ દિવસનો રેકોર્ડ છે. શિયાળા અને ઉનાળામાં ધુમ્મસને કારણે વાહનવ્યવહાર કઠીન બને છે.

ભારતીય સંવિધાન અનુસાર સિક્કિમમાં સંસદીય પદ્ધતિ ધરાવતી પ્રતિનિધિત્વ લોકશાહી અમલમાં છે. અહીંના લોકો મતાધિકાર ધરાવે છે. સરકારી તંત્ર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે: 

૧૯૭૫માં સિક્કિમમાં રાજાશાહીનો અંત આવ્યો ત્યાર બાદ થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બહુમતી મળી. ૧૯૭૯ની કટોકટી પછી સિક્કિમ સંગ્રામ પરિષદ પાર્ટી સત્તા પર આવી અને તેના નેતા નર બહાદૂર ભંડારી મુખ્ય મંત્રી બન્યા. ૧૯૮૪ અને ૧૯૮૯ની ચૂંટણીમાં પણ નર બહાદૂર ભંડારીનો પક્ષ વિજયી રહ્યો. ૧૯૯૪ની ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના પવન કુમાર ચૅમલિંગ સિક્કિમના મુખ્ય મંત્રી બન્યા. તે પછી ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯ એ તમામ ચૂંટણીઓમાં ચૅમલીંગની પાર્ટી સત્તા પર રહી છે. 

હાલના વર્ષોમાં બૃહદ નેપાળ ચળવળ દ્વારા સિક્કિમને નેપાળને સોંપી દેવાની માંગણી થતી રહી છે. આ ચળવળ દ્વારા અંગ્રેજો દ્વારા ૧૯મી અને ૨૦મી સદીમાં જે નેપાળી ભૂમિને પચાવી પડાઈ હતી તેને પાછી નેપાળ હસ્તક કરવાની માગણી પ્રસારિત થઈ છે. ૧૯૫૦ની ભારત નેપાળ મૈત્રી સંધિ દ્વારા ૧૮૧૫ની સુગૌલી સંધિને રદ કરાઈ તે અનુસાર જે ભૂમિ પર સિક્કિમ રાજ્ય છે, તે નેપાળની છે એવો વિચાર આ ચળવળ ધરાવે છે.

સિક્કિમમાં ચાર જીલ્લા આવેલા છે – પૂર્વ સિક્કિમ જિલ્લો, પશ્ચિમ સિક્કિમ જિલ્લો, ઉત્તર સિક્કિમ જિલ્લો અને દક્ષિણ સિક્કિમ જિલ્લો, તેમના જીલ્લા મથક અનુક્રમે ગંગટોક ગ્યાલશીંગ, મંગન અને નામચી છે. આ જિલ્લાઓને ફરી ઉપવિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. પાકયોંગ અને રોંગ્લી એ પૂર્વી જિલ્લાના ઉપવિભાગ છે. સોરેંગ એ પશ્ચિમ જિલ્લાનો ઉપવિભાગ છે. ચુંગથાંગ એ ઉત્તર જિલ્લાનો ઉપવિભાગ છે. રાવોંગ્લા એ પશ્ચિમ જિલ્લાનો ઉપવિભાગ છે. 

સિક્કિમના દરેક જિલ્લાની વહીવટની દેખરેખ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલા જિલ્લા કલેક્ટર દ્વારા રાખવામાં આવે છે. જિલ્લાના સર્વ નાગરિક/વસાહતી ક્ષેત્રની દેખરેખ તેની હેઠળ આવે છે. સિક્કિમ રાજ્ય ચીન સાથેની ઘણી સંવેદનશીલ સીમા ધરાવતો હોવાથી, તેનો ઘણો મોટો ભાગ સેનાના નિયંત્રણ હેઠળ આવે છે. ઘણા ક્ષેત્રોમાં વિદેશીઓનો પ્રવેશ નિષેધ છે અથવા તો તે સ્થળોની મુલાકાત લેવા ખાસ પરવાનાની જરૂર પડે છે.

ભારતમાં આવેલા ત્રણ નિવસન-ક્ષેત્રમાંના એક એવા નિમ્ન હિમાલયના નિવસન હોટસ્પોટ પર સિક્કિમ આવેલું છે. અહીંના જંગલ ક્ષેત્રની પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સિક્કિમની પર્વતીય ભૂગોળને કારણે ભૂક્ષેત્ર વિવિધ ઉંચાઈઓ ધરાવે છે, જેને કારણે અહીં ઉષ્ણકટિબંધીયથી લઈ સમષીતોષ્ણ કટિબંધીય અને આલ્પાઈન અને ટુંડ્ર પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. સિક્કિમ વિશ્વની અમુક જગ્યાઓમાંની એક છે જ્યાં આટલા નાના ક્ષેત્રફળમાં આટલી વિવિધતા જોવા મળે છે. સિક્કિમનો ૮૧% ભાગ ત્યાંની સરકારના વનવિભાગ હેઠળ આવે છે.

સિક્કિમ લગભગ ૫૦૦૦ પ્રજાતિના ફૂલોની વિવિધતા ધરાવે છે. તેમાં ૫૧૫ દુર્લભ ઓર્ચિડ, ૬૦ પ્રીમુલા પ્રજાતિના, ૩૬ રોડોડેનડ્રોન, ૧૧ ઑક, ૨૩ વાંસની પ્રજાતિઓ, ૧૬ શંકુદ્રુમ પ્રજાતિઓ, ૩૬૨ પ્રકારની ફર્ન અને એ પ્રકારના, ૮ ફર્ન વૃક્ષો અને ૪૨૪ વૈદકીય વનસ્પતિ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. સ્થાનીય ભાષામાં ક્રિસમસ ફ્લાવર તરીકે ઓળખાતા શંકુદ્રુમ વૃક્ષો અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. બોબલ ડેન્ડ્રોબીયન એ સિક્કિમનું રાજ પુષ્પ છે અને રોડોડેનડ્રોન એ આ રાજ્યનું રાજ વૃક્ષ છે.

સિક્કિમના ઓછી ઊંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં આવેલા હિમાલયન ઉપ ઉષ્ણકટિબંધીય પહોળા પાંદડા ધરાવતા વનોમાં ઓર્ચિડ, લોરેલ, કેળાં, સાલ અને વાંસના વૃક્ષો ઉગે છે. થી વધુ ઊંચાઈએ આવેલા ક્ષેત્રોમાં પૂર્વીય હિમાલયન ઉપ ઉષ્ણકટિબંધીય પહોળા પાંદડા ધરાવતા વનો જોવા મળે છે જેમાં ઓક, અખરોટ, મેપલ, બીર્ચ, એલ્ડર, મેગ્નોલિયા જેવા વૃક્ષો જોવા મળે છે તે સાથે હિમાલયન સમષીતોષ્ણ પાઈનના વનોમાં ચીર પાઈન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ની ઊંચાઈ પર અલ્પાઈન વન્યસૃષ્ટિ જોવા મળે છે. તેમાં નીચેના ક્ષેત્રોમાં જુનીપેર, ફર સાઈપ્રેસ અને રોડોડેનડ્રોન જોવા મળે છે અને ઊંચાઈએ રોડોડેનડ્રોનની અન્ય પ્રજાતિઓ તથા અન્ય જંગલી પુષ્પો ઉગે છે. 

સિક્કિમની પ્રાણીસૃષ્ટિમાં હિમ ચિત્તો(સ્નો લેપર્ડ), કસ્તુરી મૃગ,  હિમાલયન થાર, લાલ પાંડા, હિમલાન મરમોટ, હિમાલયન સેરૉ, હિમાલયન ગોરલ, મન્ટજેક, લંગૂર, એશિયન કાળા રીંછ, વાદળી ચિત્તા, આરસી બિલાડી (માર્બલ કેટ), લેપર્ડ કેટ, ધોલ, તિબેટી શિયાળ, હોગ બેજર(હિન્દી - બિજ્જૂ), બિન્ટુરોંગ અને હિમાલયન જંગલી બિલાડીનો સમાવેશ થાય છે. આલ્પાઈન ક્ષેત્રોમાં યાક મોટા પ્રમાણમાં મળી આવે છે તેમને દૂધ,માંસ અને ભારે કામ માટે પાળવામાં આવે છે. 

સિક્કિમની પક્ષીસૃષ્ટિમાં ઇમ્પેયાન તેતર, રાતો શિંગડાવાળો તેતર, હિમ પાર્ટ્રિજ, તિબેટી હિમ કૂકડો, દાઢીધારી ગીધ અને ગ્રીફોન ગીધ(મહાકાય ગીધ), સોનેરી ગરુડ, કેવ્લ(તેતર), પ્લોવર, જંગલી કૂકડો, સેન્ડ પાઈપર, કબૂતર, પ્રાચીન વિશ્વનું ફ્લાય કેચર, બેબ્લર અને રોબીનનો સમાવેશ થાય છે. સિક્કિમમાં પક્ષીઓની ૫૫૦થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંની અમુક તો લુપ્તપ્રાયઃ ઘોષિત કરાઈ છે.

સિક્કિમ વિશાલ કીટક સૃષ્ટિ ધરાવે છે પણ તેનો પદ્ધતિસર અભ્યાસ થયો નથી. સિક્કિમના સૌથી વધુ પ્રચલિત કીટકો છે પતંગિયાં. ભારતીય ઉપમહાદ્વીપમાં પતંગિયાંની ૧૪૩૮ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંની ૬૯૫ જેટલી સિક્કિમમાં નોંધાઈ છે. જેમાં લુપ્તપ્રાયઃ કૈસરે હિન્દ, યેલો ગોર્ગોન અને ભુતાન ગ્લોરી પણ સામેલ છે. 

૨૦૧૨માં સિક્કિમનું થોક સ્થાનીય ઉત્પાદન (Gross Domestic Product -GDP) ૮૪૦૦ કરોડ જેટલું હતું. જે તે સમયના ૨૮ ભારતીય રાજ્યોના થોક ઉત્પાદનમાં ત્રીજું સૌથી ઓછું ઉત્પાદન હતું. સિક્કિમની અર્થવ્યવસ્થા ખેતી આધારીત છે. જેમાં પર્વત પરના ઢોળાવ પર પગથિયાં ખેતર બનાવી તેમાં ચોખા ઉગાડવામાં આવે છે. તે સિવાય રાજ્યમાં મકાઈ, બાજરો, ઘઉં, જવ, સંતરા, ચા અને એલચી પણ ઉગાડવામાં આવે છે.  ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં સિક્કિમમાં એલચીનું ઉત્પાદન વધુ થાય છે અને અહીં ભારતના કોઈ પણ રાજ્યની સરખામણીએ વધુ ભૂમિ પર એલચી પકવાય છે. સિક્કિમની પર્વતીય ભૂમિ અને નબળા વાહનવ્યવહારની અપલબ્ધિને કારણે અહીં મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસ્યા નથી. દારૂ ગાળણ, ચામડું પકવવું અને ઘડિયાળ બનાવવા જેવા ઉદ્યોગો રાજ્યના દક્ષિણી ભાગમાં આવેલા મેલી અને નોરથાંગમાં વિકસ્યા છે. આ સિવાય સિક્કિમમાં નાના પ્રમાણમાં તાંબુ, ડોલોમાઈટ, ટેલ્ક, ગ્રેફાઈટ, ક્વાર્ટઝાઈટ, કોલસો, સીસું અને જસતનો ખાણ ઉદ્યોગ પણ ચાલે છે.  સિક્કિમમાં લઘુત્તમ ઉદ્યોગો હોવા છતાં ૨૦૦૦થી સિક્કિમની અર્થવ્યવસ્થા ભારતની સૌથી વધુ ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા રહી છે. ૨૦૦૭માં જ સિક્કિમનો જીડીપી ૧૩% જેટલો વધ્યો. ૨૦૧૫ સુધીમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતરીત કરવાની સિક્કિમની યોજના છે. 

હાલના વર્ષોમાં સિક્કિમ સરકારે પર્યટનનો પ્રચાર પ્રસાર કર્યો છે. આને પરિણામે મધ્ય ૧૯૯૧થી સિક્કિમની આવક ૧૪ ગણી વધી છે. આ સિવાય સિક્કિમ સરકારે ઓનલાઈન અને કેસિનોની ગેમ્બલિંગને પણ પ્રોત્સાહન આપ્યું છે. સિક્કિમનો પ્રથમ કેસિનો માર્ચ ૨૦૦૯માં શરૂ થયો હતો.  સિક્કિમ સરકારની પ્લેવીન લોટરી ખૂબ સફળ રહી હતી.  ઓક્ટોબર ૨૦૦૯માં સિક્કિમ સરકારે ત્રણ ઓનલાઈન સ્પોર્ટ્સ બેટીંગ લાઇસન્સને પરવાનગી આપવાની યોજનાની જાહેરાત કરી છે. 

૬ જુલાઈ ૨૦૦૬થી નથુલા ઘાટ ફરી ખોલવામાં આવ્યો જેથી ભારત તિબેટ અને લ્હાસા સાથે સંપર્ક સ્થાપિત થયો. આ ઘટના સિક્કિમ માટે ખૂબ લાભદાયી મનાય છે. જોકે ભારત અને ચીન સરકારના બંધનોને કારણે આ વેપાર વિકસ્યો નથી. 

સિક્કિમના પર્વતીય ભૂસ્તરને લીધે અહીં એક પણ હવાઈ મથક કે રેલ્વે મથક નથી. ગંગટોકથી  દૂર રાજ્યનું સૌથી પહેલું હવાઈ મથક - પાકયોંગ હવાઈ મથક બંધાઈ રહ્યું છે. આનું બાંધકામ ભારતીય વિમાન પત્તન પ્રાધિકરણ (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા) દ્વારા ૨૦૦ એકર ભૂમિ પર થઈ રહ્યું છે. ૪૭૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલું આ ભારતના સૌથી ઊંચા પાંચ હવાઈ મથકમાંનું એક બનશે.  આ હવાઈ મથક ATR વિમાનોને ઉતારવા સક્ષમ હશે. .

હાલમાં સિક્કિમથી સૌથી નજીકનું હવાઈ મથક પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આવેલું બાગડોગરા હવાઈ મથક છે. આ હવાઈ મથક ગંગટોકથી ૧૨૪ કિમી દૂર છે. આ બંને સ્થળો બસ સેવા દ્વારા જોડાયેલા છે. સિક્કિમ અને બાગડોગરાને જોડતી રોજિંદી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે. આ સેવા સિક્કિમ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા ચલાવવામાં આવે છે. હેલિકોપ્ટાનો આ પ્રવાસ અડધા કલાકનો છે અને તે ૪ પ્રવાસીઓને લઈ જઈ શકે છે.  ગંગટોક હેલીપેડ એ રાજયનું એકમાત્ર હેલીપેડ છે.

ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ 31 અને 31A સિલિગુડી અને ગંગટોકને જોડે છે. સિક્કિમ નેશનલ ટ્રાન્સપોર્ટ રાજ્યમાં બસ અને ટ્રક સર્વિસ ચલાવે છે. ખાનગી બસ, પ્રવાસી ટેક્સીઓ અને જીપ આખા સિક્કિમ તેમજ સિલિગુડી સુધી ઉપલબ્ધ છે. મેલીથી છૂટી પડતી એક શાખા રાજ્યના પશ્ચિમી ભાગને જોડે છે. સિક્કિમના દક્ષિણી અને પશ્ચિમી ક્ષેત્રો દાર્જીલિંગ અને કાલિમ્પોગ જેવા ગિરિમથકો સાથે પણ જોડાયેલા છે. રાજય નથુલા ઘાટ થકી તિબેટ સાથે જોડાયેલું છે.

સિક્કિમમાં રેલ્વે સેવાનો અભાવ છે. સિક્કિમથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સિલિગુડી કે ન્યુ જલપાઈગુડી છે.  હવે સિક્કિમના રાંગપો અને પશ્ચિમ બંગાળના સીમાવર્તી શહેર સેવોકને જોડતી પરિયોજના શરૂ થઈ છે.  પાંચ સ્ટૅશન ધરાવતી આ રેલ્વે પહેલા ૨૦૧૫ સુધીમાં પૂરી થવાની હતી. આ રેલ્વે સેવા સિક્કિમની અર્થવ્યવસ્થા અને ભારતીય સેનાને ઉપયોગી સાબિત થશે. જોકે આનું બાંધકામ મોડું પડ્યું છે.  આ સાથે રેલ્વે મંત્રાલયે મિરિક અને રાનીપુલને જોડતી રેલ્વેનો પણ પ્રસ્તાવ આપ્યો છે.

સિક્કિમના મોટા ભાગના રસ્તાની દેખરેખ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન એ ભારતીય સેનાની એક શાખા છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનની સત્તા હેઠળ ન આવતા હોય એવા  જેટલા રસ્તા રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવે છે. દક્ષિણ સિક્કિમના રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ - NH31A એ રાજ્યના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. અહીં ભૂસ્ખલનની ઘટનાઓ ઓછી ઘટતી હોવાથી અહીંના રસ્તાઓ સારી સ્થિતિમાં છે.

સિક્કિમમાં મોટાભાગની વિદ્યુત શક્તિ ૧૯ જેટલા જળવિદ્યુત કેન્દ્રોમાંથી મેળવવામાં આવે છે. તે સિવાય નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને પાવરગ્રીડ કોર્પોરેશન પાસેથી પણ વિદ્યુત ઊર્જા મેળવવામાં આવે છે.  ૨૦૦૬ સુધીમાં સિક્કિમે ૧૦૦% ગ્રામીણ વીજળીકરણ પ્રાપ્ત કર્યું હતું.  જો કે અહીં વોલ્ટેજ ઘણાં જ અસ્થિર હોય છે અને વોલ્ટેજ સ્ટેબીલાઈઝરની જરૂર રહે છે. સિક્કિમનો વીજળી વપરાશ ૧૮૨ કિલોવૉટ/કલાક જેટલો છે. રાજ્ય સરકારે રસોઈ માટે બાયોગેસ અને સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો છે પણ તેને ઘણો નબળો પ્રતિસાદ મળ્યો છે અને તેનો ઉપયોગ પ્રકાશ મેળવવા પૂરતો જ થાય છે. ૨૦૦૫ સુધીમાં સિક્કિમમાં ૭૩.૨ ટકા ઘરો સલામત પીવાનું પાણી મેળવી શકતા હતા, અહીં મોટી સંખ્યામાં આવેલા ઝરણા દ્વારા લોકો પાણી પુરવઠો પ્રાપ્ત કરે છે. 

૮ ડિસેમ્બર ૨૦૦૮ના દિવસે સિક્કિમ ૧૦૦% શૌચાલય વ્યવસ્થા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, અને ખુલ્લામાં શૌચ નિકાસથી મુક્ત થયું હતું અને નિર્મળ રાજ્યનો દરજ્જો પ્રપ્ત કર્યો હતો.

સિક્કિમ એ ભારતની સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય છે. ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર સિક્કિમની વસતી ૬૧૦,૫૭૭ હતી.  સિક્કિમમાં વસતીનું ઘનત્વ સૌથી ઓછું છે. (૮૬ વ્યક્તિઓ પ્રતિ ચો. કિમી.) જોકે અહીં વસતી વધારાનો દર વધુ છે જે ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે લગભગ ૧૨.૩૬% જેટલો હતો. અહીં જાતિ ગુણોત્તર પ્રતિ ૧૦૦૦ પુરુષોએ ૮૮૯ સ્ત્રીઓ જેટલો છે. જેમાં કુલ ૩,૨૧,૬૬૧ સ્ત્રીઓ અને ૨,૮૬,૦૨૭ પુરુષો છે. મુખ્યત્વે ગ્રામીણ એવા રાજ્યમાં ગંગટોક એ સૌથી વધુ શહેરીકરણ પામેલું ક્ષેત્ર છે. ૨૦૦૫માં આ રાજ્યની શહેરી વસ્તી કુલ વસ્તીના ૧૧.૦૬% જેટલી હતી. ૨૦૧૧માં સિક્કિમની માથાદીઠ આવક ૮૧,૧૫૯ હતી.

સદીઓથી થતા નેપાળી લોકોના સ્થળાંતરને કારણે સિક્કિમના મોટા ભાગના લોકો નેપાળી મૂળના છે.  ભૂતિયા અને લેપ્ચા લોકોને સિક્કિમના મૂળ રહેવાસી માનવામાં આવે છે. ભૂતિયા લોકો સિક્કિમમાં તિબેટના ખામ જિલ્લામાંથી ૪થી શતાબ્દીમાં આવ્યા હતા. લેપ્ચા લોકો દૂર પૂર્વમાંથી આવ્યા હતા. તિબેટી મૂળના લોકો સિક્કિમના પૂર્વી અને ઉત્તરી ભાગોમાં રહે છે સ્થળાંતરીત વસ્તી બિહારી, બંગાળી અને મારવાડી લોકોની છે જેઓ દક્ષિણી સિક્કિમમાં રહે છે.

સિક્કિમમાં નેપાળી લોકોના આગમન પછી હિંદુ ધર્મ એ સિક્કિમનો બહુસાંખ્યક ધર્મ રહ્યો છે. કુલ વસ્તીના ૬૦.૯૩% લોકો આ ધર્મ પાળે છે. બૌદ્ધ ધર્મ એ સિક્કિમનો બીજો સૌથી બહુસંખ્યક ધર્મ છે. ૨૮.૧૦% લોકો આ ધર્મ પાળે છે. સિક્કિમમાં ૭૫ બૌદ્ધ મઠો આવેલા છે તેમાંથી સૌથી જૂનો ૧૭૦૦ના સૈકામાં સ્થપાયો છે. સિક્કિમના ખ્રિસ્તીઓ મૂળે લેપ્ચ લોકો છે જેમને બ્રિટિશ મિશનરીઓએ વટલાવ્યા હતા. વસતીનો ૬.૬૦% ભાગ ખ્રિસ્તી ધર્મ પાળે છે. અન્ય અલ્પ સંખ્યકોમાં બિહારી મુસલમાનો અને જૈન લોકોનો સમાવેશ થાય છે, જેમની વસતી લગભગ ૧% જેટલી છે. વસતીનો સિવાયનો ભાગ સિક્કિમના સ્થાનિક લોકોનો છે તેઓ પારંપારિક ધર્મ પાળે છે. 

૧૯૭૦માં સિક્કિમના ભારત સાથેના વિલિનીકરણ સમયે લેપ્ચા અને નેપાળી લોકોમાં તણાવ વધી ગયો હતો, તે સિવાય ભારતના અન્ય રાજ્યોની જેમ કોઈ મોટા સ્થાનીય રમખાણો અહીં થયા નથી. લેપ્ચા લોકોનો પારંપારિક ધર્મ મુમ તરીકે ઓળખાય છે. આ ધર્મ સર્વાત્મવાદમાં માને છે. 

સિક્કિમમાં પ્રમુખ સ્વરૂપે નેપાળી ભાષા બોલાય છે. અમુક ક્ષેત્રોમાં સિક્કિમી અને લેપ્ચા ભાષા પણ બોલાય છે. ભારતીય અંગ્રેજી અને હિંદી ભાષા પણ સમગ્ર સિક્કિમમાં લોકો સમજે છે. અન્ય ભાષાઓ જેમ કે ડ્ઝોંગા, ગ્રોમા, ગુરુંગ, લિંબુ, મગર, માઝી, મઝવાર, નેવારી, રાઈ, શેરપા, સુનવાર, તમાંગ, થુલુંગ, તિબેટી નએ યંકા જેવી ભાષાઓ પણ અહીં બોલાય છે.

સિક્કિમમાં બહુ સંખ્યક લોકો દિવાળી અને દશેરા જેવા તહેવાર ઉજવે છે. પારંપારિક સ્થાનીય તહેવારો જેમકે માઘે સંક્રાંતી અને ભીમસેન પૂજા પણ અહીં પ્રખ્યાત છે. લોસાર, લુસોન્ગ, સાગા દવા, લ્હાબાબ દ્યુચેન, દ્રુપ્કા તેશી અને ભુમચુ જેવા બૌદ્ધ તહેવારો સિક્કિમમાં ઉજવાય છે. લોસાર(તિબેટી નૂતન વર્ષ) નામના તહેવાર દરમ્યાન શાળાઓ અને કાર્યાલયો એક અઠવાડીયાની રજા રાખે છે. સિક્કિમના મુસલમાનો ઈદ-ઉલ-ફિત્ર અને મહોરમ જેવા તહેવારો મનાવે છે. ઑફ સિઝનના સમયે પ્રવાસીઓને આકર્ષવા અહીં નાતાલ ઉજવવાને પ્રોત્સાહન અપાય છે. 

પશ્ચિમિ રૉક સંગીત અને ભારતીય પૉપ સંગીતનો ઘણો મોટો વર્ગ સિક્કિમમાં છે. નેપાળી રૉક સંગીત અને લેપ્ચા સંગીત પણ પ્રસિદ્ધ છે. ફૂટબોલ અને ક્રિકેટ સિક્કિમની લોકપ્રિય રમતો છે. પ્રવાસનના ભાગ તરીકે હેન્ડ ગ્લાઈડિંગ અને રીવર રાફ્ટીંગ પણ લોકપ્રિય બન્યા છે.

સિક્કિમમાં સામાન્ય રીતે નૂડલ્સ આધારીત વાનગીઓ જેમકેે ઠુપ્કા, ચાઉમીન, થાન્થુક,ગ્યાથુક અને વોન્ટોન પ્રચલિત છે. મોમો નામનું તાજું ફરસાણ અહીં લોકપ્રિય છે. આ એક પ્રકારની ભરેલી વાનગી છે જેમાં શાકભાજી, સ્થાનીય ભેંસનું માંસ કે પોર્ક (ડુક્કરનું માંસ) ભરાય છે અને તેને સૂપ સાથે પીરસવામાં આવે છે. સિક્કિમમાં બીયર, રમ, વ્હીસ્કી અને બ્રાંડી છૂટથી પીવાય છે, તે સિવાય અહીં બાજરામાંથી બનતો ટોંગબા નામનો સ્થાનીય દારૂ પણ લોકપ્રિય છે. દારૂના પ્રતિ વ્યક્તિ સેવનમાં પંજાબ અને હરિયાણા પછી સિક્કિમ ત્રીજા ક્રમાંકે આવે છે.

દક્ષિણ સિક્કિમમાં અંગ્રેજી, હિંદી અને નેપાળી વર્તમાન પત્રો મળે છે. નેપાળી અને અંગ્રેજી વર્તમાનપત્રો સિક્કિમમાં સ્થાનીય રીતે પ્રસિદ્ધ થાય છે. હિંદી અને અંગ્રેજી વર્તમાન પત્રો સિલીગુડીમાંથી આવે છે. જમારો પ્રજાશક્તિ (નેપાળી વર્તમાન પત્ર), હિમાલયન મિરર, સિક્કિમ એક્સપ્રેસ સિક્કિમ નાઉ (અંગ્રેજી વર્તમાનપત્ર) સમય દૈનિક તથા કાંચનજંઘા ટાઇમ્સ અને પ્રજ્ઞા ખબર (નેપાળી સાપ્તાહિક) અને હીમાલીબેલા એ સિક્કિમના જાણીતા પ્રકાશનો છે.  આ સિવાય રાષ્ટ્રીય છાપા જેમ કે ધ સ્ટેટ્સ મેન, ધ ટેલિગ્રાફ, ધ હિંદુ, ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, હિમાલય દર્પણની સ્થાનીય આવૃત્તિઓ પણ અહીં આવે છે. સિક્કિમ હેરાલ્ડ એ અહીંની રાજ્ય સરકારનું સાપ્તાહિક છે. હિમગિરી એ નેપાળી અને અંગ્રેજીમાં હાલખબર એ ઓનલાઈન વર્તમાનપત્રો છે. આ સિવાય તિસ્તારંગીત, અવ્યક્ત, બિલોકન, જર્નલ ઑફ હીલ રીસર્ચ, ખબેર કાગઝ અને સિક્કિમ સાયંસ સોસાયટી ન્યૂઝ લેટર એ અન્ય પ્રકાશનો છે.

સિક્કિમના શહેરોમાં ઇન્ટરનેટ કૅફે જોવા મળે છે. જોકે, બ્રોડબેન્ડ સુવિધા વધુ પ્રચલિત નથી. મોટા ભાગના ક્ષેત્રોમાં ડીશ એન્ટેના દ્વારા સેટેલાઈટ ટેલિવિઝન માણી શકાય છે. ભારતમાં અન્ય ક્ષેત્રોમાં બતાવાતી ચેનલો અહીં પણ જોઈ શકાય છે. વધારામાં અહીં નેપાળી ભાષાની ચેનલો પણ જોવાય છે. ડીશ ટીવી, દૂરદર્શન અને નાયુમા એ મુખ્ય સેવા પૂરી પાડનાર કંપનીઓ છે.

સિક્કિમમાં પ્રૌઢ સાક્ષરતાનો દર ૬૯.૬૮% છે. જેમાં ૭૬.૭૩% પુરુષો અને ૬૧.૪૬% સ્ત્રીઓ સાક્ષર છે. સિક્કિમમાં ૧૧૫૭ શાળાઓ છે જેમાં ૭૬૫ રાજ્ય સંચાલિત, ૭ કેન્દ્ર સંચાલિત અને ૩૮૫ ખાનગી શાળાઓ છે.  સિક્કિમમાં ૧૨ કૉલેજો આવેલી છે. સિક્કિમ મણીપાલ વિદ્યાપીઠ એ સિક્કિમની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે જે અભિયાંત્રિકી(એન્જિનિયરીંગ), વૈદકીય અને વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) જેવા ક્ષેત્રોમાં શૈક્ષણિક સેવા આપે છે. રાજ્ય સરકાર સંચાલિત બે પોલીટૅક્નીક શાળાઓ છે જે વિવિધ એન્જિનિયરીંગમાં પદવી (ડિપ્લોમા) પ્રદાન કરે છે. આ પોલીટેક્નીક છે એડવાન્સસ ટેકનિકલ ટ્રેઈનિંગ ઇન્સ્ટીટ્યુટ (ATTC) અને બીજી છે સેંટર ફોર કોમ્પ્યુટર ઍન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (CCCT). (ATTC) એ બારદંગ, સિંગતમમાં આવેલી છે જ્યારે CCCT ચીસોપાની, નામ્ચીમાં આવેલી છે. ૨૦૦૮માં યાંગાંગમાં સિક્કિમ વિશ્વવિદ્યાપીઠ શરૂ કરવામાં આવી છે. 




#Article 106: પશ્ચિમ બંગાળ (537 words)


પશ્ચિમ બંગાળ () ભારત દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી પર આવેલું રાજ્ય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તે ભારતની ચોથી સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્ય છે અને ૯ કરોડ થી વધુ રહેવાસીઓ તેમાં રહે છે. તેનો વિસ્તાર ૮૮૭૫૨ ચો.કિમી (૩૪૨૬૭ ચો.માઈલ) છે. વંશીય ભાષાકીય બંગાળ પ્રદેશનો એક ભાગ, બાંગ્લાદેશ તેની પૂર્વમાં છે અને ઉત્તરમાં નેપાળ અને ભૂટાન; તે પાંચ ભારતીય રાજ્યોની સાથે સરહદો વહેંચે છે: ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કીમ અને આસામ. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કોલકાતા છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ભૌગોલિક દૃષ્ટિએ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ હિમાલયન પર્વતીય પ્રદેશ, ગંગાનો મુખ ત્રિકોણાકાર પ્રદેશ, રારહ પ્રદેશ અને દરિયાઇ સુંદરવનનો સમાવેશ થાય છે. ત્યાંની મુખ્ય ભાષા બંગાળી છે. મુખ્ય વંશીય જૂથ બંગાળીઓ છે, જેમાં બંગાળી હિન્દુઓ વસ્તી વિષયક બહુમતી ધરાવે છે.

પ્રાચીન બંગાળમાં અનેક મુખ્ય જનપદાસની જગ્યા હતી. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં, આ પ્રદેશ સમ્રાટ અશોક દ્વારા જીત્યો હતો. ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, તે ગુપ્ત સામ્રાજ્યમાં સમાઈ ગયો હતો. ૧૩મી સદીથી, ૧૮ મી સદીમાં બ્રિટિશ શાસનની શરૂઆત સુધી આ ક્ષેત્ર પર અનેક સુલ્તાન, શક્તિશાળી હિંદુ રાજ્યો અને જમીનદારોનુ શાસન હતુ. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધના પગલે પ્રદેશ પર તેમની પકડ મજબૂત કરી, અને કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની તરીકે ઘણા વર્ષો સુધી રહ્યું હતુ. બ્રિટિશ વહીવટીતંત્રના પ્રારંભિક અને લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી પશ્ચિમી શિક્ષણનું વિસ્તરણ થયું, વિજ્ઞાનમાં વિકાસ, સંસ્થાકીય શિક્ષણ, અને આ પ્રદેશમાં સમાજ સુધારણામાં પરિણમ્યું, જે બંગાળી પુન:જીવન તરીકે જાણીતુ બન્યુ હતુ. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની સ્વતંત્રતા ચળવળનુ એક મુખ્ય સ્થળ હતુ, બંગાળને ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ધાર્મિક રેખાઓ પર વિભાજીત કરવામાં આવ્યુ  હતું, પશ્ચિમ બંગાળ - ભારતનું એક રાજ્ય અને પૂર્વ બંગાળ - નવા બનેલા રાષ્ટ્રનું એક ભાગ પાકિસ્તાન કે જે પછી બાંગ્લાદેશ બન્યુ. ૧૯૭૭ અને ૨૦૧૧ ની વચ્ચે, વિશ્વની સૌથી લાંબી ચૂંટાયેલી સામ્યવાદી સરકાર દ્વારા રાજ્યનું સંચાલન કરવામાં આવ્યું હતું.

મુખ્ય કૃષિ ઉત્પાદક, ભારતની ચોખ્ખી સ્થાનિક ઉત્પાદનમાં યોગદાનની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ છઠ્ઠા ક્રમે છે. રાજ્યનો સાંસ્કૃતિક વારસો, વિવિધ લોક પરંપરાઓ ઉપરાંત, નોબેલ પારિતોષક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર તેમજ સંગીતકારો, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સહિત સાહિત્યમાં નોંધપાત્ર લેખકોનો સમાવેશ થાય છે. કોલકાતાને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે.

બંગાળ નામની ઉત્પત્તિ (બંગાળીમાં બાંગ્લા અને બાંગો) એ જાણ માં નથી. એક સિદ્ધાંત સૂચવે છે કે શબ્દ બેંગ પરથી આવ્યો છે, દ્રવીડીયન આદિજાતિ જે આશરે ઇ.સ. પૂર્વે ૧૦૦૦માં વિસ્તાર સ્થાયી થયેલ છે.બંગાળી શબ્દ બૉંગો વાંગ (અથવા બાંગા) ના પ્રાચીન સામ્રાજ્યમાંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે.જોકે કેટલાક પ્રારંભિક સંસ્કૃત સાહિત્યમાં વાંગ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ પ્રદેશનો પ્રારંભિક ઇતિહાસ અસ્પષ્ટ છે.

ભારતીય ઉપખંડ પર બ્રિટીશ શાસનના અંતમાં, બંગાળ પ્રદેશને ૧૯૪૭ માં ધાર્મિક રેખાઓ ના આધાર પર પૂર્વ અને પશ્ચિમમાં વિભાજિત કરવામાં આવ્યું હતુ.પૂર્વીય ભાગને પૂર્વ બંગાળ તરીકે ઓળખવામાં આવે છે, અને પશ્ચિમ ભાગ પશ્ચિમ બંગાળ તરીકે જાણીતો બન્યો, જે એક ભારતીય રાજ્ય તરીકે ચાલુ રહ્યો.૨૦૧૧ માં પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યના સત્તાવાર નામમાં પોશ્ચિમબોન્ગોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી હતી.આ રાજ્યનું મૂળ નામ છે, જે મૂળ બંગાળી ભાષામાં પશ્ચિમ બંગાળનો શાબ્દિક અર્થ છે.ઓગસ્ટ ૨૦૧૬ માં, પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પશ્ચિમ બંગાળના નામને અંગ્રેજી માં બેંગાલ, હિન્દીમાં બંગાળ, અને બંગાળીમાં બાંગ્લા બદલવાનો એક બીજો ઠરાવ પસાર કર્યો.નામ પરિવર્તનના ઠરાવ અંગે સર્વસંમતિ ઉભી કરવા તૃણમૂલ કોંગ્રેસ સરકારની મજબૂત પ્રયાસો છતાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ડાબેરી મોરચા અને ભારતીય જનતા પાર્ટીએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો. જો કે, તે હવે ભારતીય સંસદની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

પ્રાચીન અને શાસ્ત્રીય સમયગાળો

 

પશ્ચિમ બંગાળ રાજ્યમાં કુલ ૨૩  જિલ્લાઓ આવેલા છે.




#Article 107: પંજાબ, ભારત (130 words)


પંજાબ (પંજાબી: ਪੰਜਾਬ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. પંજાબ શબ્દ બે ફારસી શબ્દો પંજ (પાંચ) અને આબ (પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં ઘઉં, શેરડી તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા પંજાબી છે.

પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે. 




#Article 108: હિમાચલ પ્રદેશ (2707 words)


હિમાચલ પ્રદેશ ( ) એ ભારત નું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં બાકીના ભારતીયોને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ રાજ્યનું ક્ષેત્રફળ , જેટલું છે અને તેની સીમા ઉત્તરે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ અને વાયવ્યે  પંજાબ અગ્નિ દિશાએ હરિયાણા અને ઉત્તરાખંડ અને પૂર્વે તિબેટને સ્પર્શે છે. 

હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે.  ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. 

માથાદીઠ આવકમાં હિમાચલ ભારતના રાજ્યોમાં ચોથા ક્રમાંકે આવે છે. મોટા પ્રમાણમાં વહેતી બારમાસી નદીઓને કારાણે હિમાચલ પ્રદેશમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં જળવિદ્યુત ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત શક્તિને દિલ્હી, પંજાબ અને રાજસ્થાનને વેચવામાં આવે છે. હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા જળવિદ્યુત, પ્રવાસન અને ખેતી આધારીત છે. 

હિમાચલ પ્રદેશ એ સૌથી ઓછું શહેરી કરણ પામેલું રાજ્ય છે, અહીંની ૯૦% વસ્તી ગામડામાં રહે છે. જો કે શિમલા જિલ્લામાં ૨૫% વસ્તી શહેરી ક્ષેત્રમાં રહે છે. ૨૦૦૫ના ટ્રાન્સપરેન્સી ઈંટરનેશનલન સર્વેક્ષણ પ્રમાણે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતું કેરળ પછી હિમાચલ પ્રદેશ બીજી ક્રમાંકે આવતું રાજ્ય છે.

હિમાચલ પ્રદેશ ક્ષેત્રનો ઇતિહાસ ઈ.પૂ. ૨૨૫૦ થી ૧૭૫૦ સુધીના સિંધુ ખીણ સંસ્કૃતિ કાળ જેટલો પુરાતન છે. પ્રાગૈતિહાસિક કાળથી  અહીં કોઈલી, હાલી, ડાગી, ધૌગ્રી, દસા ખાસસ અને કિરાત જેવી જાતિઓ વસવાટ કરતી હતી. વેદિક કાળમાં જનપદ તરીકે ઓળખાતા નાના રાજ્યો અહીં અસ્તિત્વમાં હતાં જેને પાછળથી ગુપ્ત રાજાઓએ જીતી લીધા. રાજ હર્ષવર્ધન હેઠળના અલ્પ શાસન પછી ફરીથી આ ક્ષેત્ર નાના રજવાડામાં વહેંચાયું જેમાં અમુક રજપૂતી રાજ્ય પણ હતાં. આ નાના રાજ્યો ઘણી હદ સુધી સ્વાતંત્ર ભોગવતાં અને દીલ્હીના સુલતાન દ્વારા તેમની પર ઘણી ચડાઈઓ કરવામાં આવી હતી. ૧૦મી સદીની શરૂઆતમાં મહંમદ ગઝની એ કાંગડા જીતી લીધું હતું.  તૈમુર અને સિકંદર લોધીએ પણ આ ક્ષેત્રના તળેટી ભાગ પર  ચડાઈ કરી ઘણાં કિલ્લા જીત્યા હતા. . અમુક રાજ્યોએ મોગલોનું આધિપત્ય સ્વીકારી તેમનું ખંડીયાપણું માન્ય કર્યું હતું.

૧૭૬૮માં નેપાળની સત્તા લડાયક ટોળી - ગોરખાઓના હાથમાં આવી. તેમણે પોતાનું સૈન્ય પ્રબળ કર્યું અને તેમના રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો. ધીરે ધીરે તેમણે શિરમોર અને શિમલા જીતી લીધાં. અમરસિંહ થાપાના નેતૃત્વ હેઠળ ગોરખાઓએ કાંગડાને ઘેરો ઘાલ્યો. સ્થાનીય સરદારોની સહાયતા વડે તેમણે ૧૮૦૬માં સંસારચંદ કટોચને હરાવ્યો. પરંતુ ૧૮૦૯માં મહારાજ રણજીત સિંહની સત્તા હેઠળ કાંગડા કિલ્લાને તેઓ જીતી ન શક્યા. આ હાર પછી ગોરખાઓએ રાજ્યના દક્ષિણી ભાગ પર સામ્રાજ્ય વિસ્તાર શરૂ કર્યો. આને કારણે તરાઈ ક્ષેત્રમાં તેઓ બ્રિટિશ સત્તા સામે સીધા સંઘર્ષમાં ઉતર્યા. ત્યાં બ્રિટિશ સૈન્યએ તેમને સતલજ ક્ષેત્રમાંથી ખદેડી કાઢ્યા. સમય જતાં બ્રિટિશ સત્તા સર્વોપરી સત્તા તરીકે ઉભરાઈ આવી. 

૧૮૪૬ના સમયના પ્રથમ શીખ-અંગ્રેજ યુદ્ધ દરમ્યાન લાહોર દરબાર હેઠળના બચેલ ક્ષેત્રમાંથી રાજા રામ સિંહે  સીબાનો કિલ્લો પાછો જીતી લીધો. 

બ્રિટિશ સત્તા સામે ના અસંતોષાને કારણે થયેલા ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ય સંગ્રામ સમયે હિમાચલ પ્રદેશના લોકો રાજનૈતિક રીતે  અન્ય રાજ્યોના લોકો જેટલા સક્રીય ન હતા. બુશરના રાજા ના અપવાદ સિવાય આ ક્ષેત્રના સર્વ રાજ રજવાડાં નિષ્ક્રિય રહ્યાં હતાં. ચંબા, બિલાશપુર, ભાગલ અને ધામી જેવા રજવાડાઓએ તો આ સંગ્રામમાં બ્રિટિશ સત્તાને મદદ કરી હતી. 

૧૮૫૮ના રાણીના ઢંઢેરા પછી બ્રિટિશ વસાહતો હવે બ્રિટિશ રાજસત્તાના આધિપત્ય હેઠળ આવી. બ્રિટિશ સાશન દરમ્યાન ચમ્બા, વિલાશપુર અને મંડીના રાજ્યો એ ઘણો વિકાસ કર્યો.  પ્રથમ વિશ્વ વિગ્રહ સમયે આ પર્વતીય રાજના દરેક રજવાડાઓ બ્રિટિશ સત્તાને વફાદાર રહ્યા અને તેમણે બ્રિટિશ રાજ ને માનવ અને વસ્તુઓ જેવી જરૂરિયાતો પૂરી પાડી.

સ્વતંત્રતા પછી ૧૯૪૮માં હિમાચલ પ્રદેશ ( વ્યવસ્થાપન) કાયદો, ૧૯૪૮ ના અનુચ્છેદ ૩ અને ૪ હેઠળ પશ્ચિમી હિમાલયના ૨૮ રજવાડા જમીનદારો અને દક્ષિણ પંજાબ હિલ સ્ટેટના ૪  રાજ્યો ભેળવીને ૧૫  એપ્રિલ ૧૯૪૮ના દિવસે ચીફ કમીશનર હિમાચલ પ્રદેશ પ્રાંતની રચના કરવામાં આવી. ૧ એપ્રિલ ૧૯૫૪ના દિવસે બિલાસપુર રાજ્યને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હિમાચલ પ્રદેશને ક્લાસ સી સ્ટેટનો દરજ્જો મળ્યો. અહીંની વિધાન સભાની ચૂંટણી  ૧૯૫૨માં થઈ.  ૧ નવેંબર ૧૯૫૬ના દિવસે હિમાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. ૧૯૬૬માં ભારતીય સંસદે પંજાબ પુનઃગોઠવણી ના કાયદો પારિત કર્યો આને કારણે સિમલા, કાંગડા, લાહુલ જેવા પૂર્ન ક્ષેત્રો અને અંબાલા જીલ્લાનો નાલગઢ ક્ષેત્ર, અંબ, લોહરા, ઉનાકાનુંગો જીલ્લો, સંતોખગઢકાનુંગોનો અમુક ક્ષેત્ર હોશિયાર પુર જીલ્લાનો અમુક ક્ષેત્ર, ધાર કાલન કાનુંગો આદિને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યા. ૧૮ ડિસેંબર ૧૯૭૦ના દિવસે હિમાચલ પ્રદેશ કાયદો પારિત કરી ૨૫ જાન્યુઆરી ૧૯૭૧ ના દિવસે હિમચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.

હિમાચલ પ્રદેશ એ પશ્ચિમી હિમાલયમાં વસેલું એક પર્વતીય રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ  જેટલું છે.

હિમ નદીઓ અને નદીઓ હિમાચલ પ્રદેશની પ્રાકૃતિક નિતારણ વ્યવસ્થા બનાવે છે.  અહીંની નદીઓ સમગ્ર પર્વત માળાઓમાંથી તાણાવાણ સ્વરૂપે વહે છે. ગંગા અને સિંધુ આ બન્ને નદીના ખીણ પ્રદેશને પાણી પુરવઠો આપે છે. ચંદ્રભાગા કે ચેનાબ, રાવી, બિયાસ, સતલજ અને યમુના નદી મળીને અહીંની જલનિતારણ બનાવે છે. આ નદીઓમાં આખું વરસ પાણી રહે છે અને વરસાદ તથા બરફ પીગળવાથી તેમાં પાણીની પુરવઠો કાયમ રહે છે.
હિમાચલ પ્રદેશમાં ભૂપૃષ્ઠની ઊંચાઈમાં ઘણો મોટો તફાવત હોવાથી અહીં વિવિધ સ્થળોની આબોહવા પણ વિવિધ પ્રકારની છે. દક્ષિણ તરફના પ્રદેશમાં સમષીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણ હોય છે. ઉત્તર અને પૂર્વ તરફના ક્ષેત્રો વધુ ઉંચાઈએ આવેલા હોવાથી અહીં ઠંડુ, શંકુદ્રુમ અને બરફીલું હવામાન જોવા મળે છે. આ પ્રદેશમાં  ધર્મશાલા જેવા ક્ષેત્રો છે જે ખૂબ વર્ષા ધરાવે છે અને તેથી વિપરિત લાહૌલ અને સ્પીતી જેવા ક્ષેત્રો પણ છે કે જે અત્યંત ઠંડા અને વર્ષા રહિત છે. મોટાભાગે હિમાચલ પ્રદેશમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. ઉનાળો મધ્ય એપ્રિલ થી શરૂ થઈ જૂનના અંત સુધી રહે છે. શંકુદ્રુમ ક્ષેત્રો સિવાયના દરેક ક્ષેત્રો ખૂબ ગરમી અનુભવે છે. ઉનાળામાં અહીંનું સરાસરી તાપમાન  જેટલું હોય છે. નવેંબરથી માર્ચ મહિના દરમ્યાન અહીં શિયાળો હોય છે. શંકુદ્રુમ ક્ષેત્રોમાં  (સામાન્ય રીતે   થી વધુ ઉંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં, એટલેકે ઉચ્ચ અને ટ્રાંસ-હિમાયલયન ક્ષેત્રોમાં). હિમવર્ષા પણ થાય છે.

આ રાજ્યમાં કુલ ૧૨ જિલ્લાઓ આવેલા છે.

શિમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. શિમલા એ પહેલાં ભારતના બ્રિટિશ રાજની ઉનાળુ રાજધાની હતી. 

જિલ્લોએ રાજ્યનું એક પ્રશાસનિક ક્ષેત્ર છે.  જિલ્લાના પ્રમુખ અધિકારી ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય છે. આ અધિકારી ભારતીય પ્રશાસનિક સેવા (IAS)નો અધિકારી હોય છે. ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટના હાથ નીચે હિમાચલ પ્રશાસનિક સેવા કે હિમાચલની અન્ય રાજ સેવાના અન્ય અધિકારીઓ કાર્યરત્ હોય છે. દરેક જિલ્લાને પેટા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે જેના વડા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય છે. સબ ડિવિઝનને બ્લોકમાં વિભાજીત કરાય છે. બ્લોકમાં વિવિધ પંચાયતો અને નગર પાલિકાઓ હોય છે. કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી ભારતીય પોલીસ સેવાના અધિકારી સંભાળે છે. તેમની નીચે હિમાચલ પોલીસ સેવાના અધિકારીઓ હોય છે.

૨૦૦૩ના ભારતીય વન સર્વેક્ષણ અનુસાર હિમાચલ પ્રદેશની ૬૬.૫૨% જમીન પર કાયદાકિય રીતે વ્યાખ્યાયીત જંગલો છે. જો કે વૃક્ષાચ્છાદિત ક્ષેત્ર માત્ર ૨૫.૭૮% છે. જમીનની ઉંચાઈ અને વરસાદને આધારે અહીં હરિયાળીની વિવિધતા જોવા મળે છે. 

હિમાચલ પ્રદેશનો દક્ષીણી ભાગ ઓછી ઉંચાઈએ આવેલો છે. અહીં ઉષ્ણ કટિબંધના અને સમષીતોષ્ણ કટિબંધના શુષ્ક તેમજ આર્દ્ર પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનો જોવા મળે છે. હરિયાણાની ઉત્તર પ્રદેશ સાથેની સીમાના ક્ષેત્રોમાં વાયવ્યના કાંટાળા છોડવાનાં જંગલો છે જે શુષ્ક પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનના ઉદાહરણ છે જ્યારે અગ્નિ દિશામાં ગંગાના ઉપરવાસના મેદાનોમાં આર્દ્ર પાનખરના જંગલો આવેલાં છે. અહીં સાલ અને સીસમનાં વૃક્ષો જોવા મળે છે. 

જેમ જેમ ભૂપૃષ્ઠની ઉંચાઈ વધતી જાય છે તેમ તેમ વિવિધ પ્રકારના જંગલો જોવા મળે છે જેમ કે પશ્ચિમ હિમાલયન પહોળા પાન ધરાવતા વૃક્ષોના જંગલો, હિમાલયન સમશિતોષ્ણ શંકુદ્રુમ જંગલો વગેરે. પહોળા પાંદડાવાળા વૃક્ષો ધરાવતા જંગલોમાં સદાહરિત ઓકના વૃક્ષો જોવા મળે છે જ્યારે પાઈનના જંગલોમાં ચીર પાઈન પ્રમુખ પણે જોવા મળે છે. વૃક્ષાંત-રેખાની બાજુએ પશ્ચિમ હિમાલયન ઉપ-અલ્પાઈન શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. જેમાં પૂર્વી હિમાલયન ફર, પશ્ચિમી હિમાલયન સ્પ્રુસ, દેવદાર અને ભૂરા પાઈનના વૃક્ષો જોવા મળે છે 

મહત્તમ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં ઈશાન દિશામાં પશ્ચિમ હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો અને  વાયવ્ય ક્ષેત્રોમાં વાયવ્યી હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો જોવામળે છે. 

અહીંના વૃક્ષો ખૂજ મજબૂત હોય છે. તેમના મૂળનો વિસ્તાર ઘણો મોટો હોય છે. એલ્ડર, બર્ચ, ર્‌હોડેનડ્રોન અને આર્દ્ર આલ્પાઅન ઝાંખરા અહીંની સ્થાનીય વનસ્પતિ છે. માર્ચથી મેના કાળ દરમ્યાન શિમલા તરફ ટેકરીઓના ઢોળાવ પર ર્‌હોડેનડ્રોન જોવા મળે છે.  ઝાંખર ભૂમિ અને ઘાસના મેદાનો બાદ વધુ ઉંચાઈએ ખડકાળ અને હિમ્ચ્છાદિત ટેકરીઓ શરૂ થાય છે. 

હિમાચલ ક્ષેત્રને દેશની ફળોની ટોપલી કહેવામાં આવે છે. અહીં ઘણા મોટા પ્રમાણમાં ફળોના બગીચા આવેલાં છે. ટૅકરીના ઢોળાવ પર ઘાસના મેદાનો અને ગોચર જમીન જોવા મળે છે. શિયાળા પછી ફળોના બગીચા અને ટેકરીઓના ઢોળાવ પરના વૃક્ષો પર ફુલો ખીલી નીકળે છે.  અહીં ગુલાબ, ચ્રીસેન્થેમમ, તુલીપ અને લીલીની ખેતી પણ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશને વિશ્વની ફુલછાબ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. 

હિમાચલ પ્રદેશમાં પક્ષીઓની ૧૨૦૦ અને પ્રાણીઓની ૩૫૯ પ્રજાતિઓ મળી આવે છે. તેમાં દીપડો, હિમ દીપડો (રાજ પ્રાણી), ઘોરલ, કસ્તુરી મૃગ અને પશ્ચિમી ટ્રગોપન નો સમાવેશ થાય છે. અહીં ૨ મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયાર્ણ્યો આવેલા છે. કુલુ જિલ્લામાં ધ ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જેની રચના હિમાલયની મુખ્ય વન્ય અને પ્રાણી સંપત્તિના સંવર્ધન માટે કરવમાં આવી હતી. હિમ ક્ષેત્રની વન્ય અને પ્રાની સૃષ્ટીના સંવર્ધન માટે પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે. 

હિમાચલ પ્રદેશની વિધાન સભાનો કોઈ સંવિધાનની રચના પહેલાનો કોઈ ઇતિહાસ નથી. આ રાજ્યની સ્થાપના જ સ્વાતંત્રય પ્રાપ્તિ પછી થઈ છે. આની સ્થાપના ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ૩૦ રજવાડાઓનું એકીકરણ કરીને,  કેન્દ્રીય પ્રશાશનિક ક્ષેત્ર તરીકે કરવામાં આવી. 

હિમાચલ પ્રદેશમાં ભારતના અન્ય રાજ્યોની જેમ પ્રતિનિધિક સંસદીય લોકશાહી છે. અહીં સર્વ નાગરિકોને મતાધિકાર નો હક્ક હોય છે. લોકોદ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની વિધાન સભા હોય છે. આ સભ્યો પોતાનામાંથી એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર ચૂંટી કાઢે છે જેઓ વિધાન સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે.  

હિમાચલ પ્રદેશનું ન્યાયતંત્ર હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય અને નીચલા ન્યાયાલયો મળીને બનેલું છે. રાજ્યના સંવૈધાનિક વડા રાજ્યપાલ હોય છે તેમના હક્કો નામ માત્રના હોય છે. ખરા કાર્યકારી અધિકાર મુખ્ય મંત્રી અને મંત્રી મંડળ ધરાવે છે. રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. 

રાજ્ય વિધાનસભામઆં બહુમતી ધરાવતા પક્ષ કે યુતિ અથવા ગઠબંધનના નેતાને રાજ્યપાલ દ્વારા સરકાર રચવાનું આમંત્રન આપવામાં આવે છે. આ નેતા મુહ્ય મંત્રી બને છે અને તેમની સલાહ મુજબ રાજ્યપાલ અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. હિમાચલ પ્રદેશની વિધાન સભા એક ગૃહી હોય છે તેમાં ૬૮ વિદાન સભ્યો છે. વિધાન સભાની મુદ્દત ૫ વર્ષની હોય છે. કોઈ કારણસર સમય પહેલાં વિધાન સભા ભંગ કરવાના પ્રાવધાનો પણ સંવિધાનમાં છે. વહીવટના અન્ય ઘટકો જેવા કે પંચાયત, શહેરની નગર પાલિકા, જિલ્લા પરિષદ વગેરેની ચૂંટણીઓ પણ તેમના બંધારાણ અનુસાર નિયમીત થાય છે.

હિમાચલ પ્રદેશના સ્થાનીય ઉત્પાદનનો ૪૫% જેટલો ભાગ ખેત પેદાશોનો બનેલો છે.  હિમાચલ પ્રદેશના લોકોની આવકનું તે મુખ્ય સ્રોત છે. આ રાજ્યના ૯૩% લોકોનો રોજગાર સીધી કે આડકતરી રીતે ખેતી આધારીત છે.

હિમાચલ પ્રદેશમાં ખેતીની ખાસ કરીની ધાન્ય ખેતીની અમુક મર્યાદાઓ છે. પર્વતીય ક્ષેત હોવાને કારણે અહીં ખેતરો અમુક સીમાથી મોટા નથી હોતાં. ઢોળાવ પર ભરણી કરી ખેતરો નિર્માણ કરવાનું કામ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. આથી હિમચલ પ્રદેશમાં ત્યાંની આબોહવા અનુસાર રોકડીયા પાકો ઉગાડી વધુ નફો મેળવાય છે. 

ઘઉં, મકાઈ. ચોખા અને જવ એ હિમાચલ પ્રદેશમાં ઉગતું મુખ્ય અનાજ છે. મંડી, કાંગડા અને સિરમુર જિલ્લાના પાઓન્તાના ખીણ પ્રદેશામાં ઘઉં, મકાઈ અને ચોખા ઉગાડવામાં આવે છે. જ્યારે શિમલામાં જવનો પાક લેવાય છે. 

હિમાચલ પ્રદેશમાં અનાજનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઓછું થાય છે પણે અન્ય ખેતીમાં તે અગ્રેસર છે જેમકે બીજ બેટેટા, આદુ, શાકભાજી, શાકભાજીના બીજ, ખાધ્ય મશરૂમ, ચિકોરીના બીજ, જૈતૂન(ઓલિવ), હોપ્સ અને અંજીર વગેરે.  બીજ બટેટા મુખ્યત્વે શિમલા, કુકુ અને લાહૌલ ક્ષેત્રમાં ઉગાડાય છે. અહીં ઓલિવ, અંજીર, હોપ્સ, મશરૂમ, ફુલો, પીસ્તા, ખરબુચ અને કેસરના વાવેતરને વિશેષ ઉત્તેજન અપાય છે. સોલન જિલ્લો શાકભાજીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. સિરમૌર જિલ્લામાં ફુલોનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. 

ફળોનું ઉત્પાદન પણ આ રાજ્ય માટે આર્થિક વરદાન સાબિત થયું છે.  અહીં ફળોના ઉત્પાદન માટે યોગ્ય એવા વિશાલ ભૂમિખંડ આવેલાં છે. ફળોના ઉત્પાદનને લીધે ભૂમિનું વિદારન અટકે છે અને પારંપારિક ખેતી કરતાં તે વિશેષ પ્રમાણમાં આવકની તકો ઊભી કરે છે. અહીં આવક સંબંધે પ્રતિ એકર ઉત્પન્ન વધુ છે. સફરજની બાગાયતી ખેતી સૌથી વધુ ઉત્પાદન આપે છે.   

મધ્ય હિમાલયન જલ નિતારણ વિકાસ પરિયોજના જેવા જમીન સંચયની યોજનાઓ અહીં હાથ ધરાઈ છે. હિમાચલ પ્રદેશ જંગલીકરણ પ્રોજેક્ટ આ પરિયોજનાનો એક ભાગ છે. આવી પરિયોજનાને કારાણે ખેતીની ઉત્પાદન ક્ષમતા વધી છે પરિણામે ગામડાના લોકોની આવક વધી છે.

ભારતના અન્ય ક્ષેતોની જેમ પંચવર્ષી યોજના આ ક્ષેત્રમાં પણ ૧૯૪૮માં ચાલુ થઈ. પ્રથમ પંચવર્ષી યોજનામાં ૫.૨૭ કરોડ રૂપિયાની હતી. તેમાંથી ૫૦% વધુ ભાગ રસ્તા બાંધકામ માટે વાપરવાનું પ્રાવધાન હતું. ભારતના રાજ્યોમાં પ્રતિ વ્યક્તિ આવકમાં હિમાચલ પ્રદેશ ચોથે ક્રમે આવે છે. 

રાજ્યની સ્થાનીય આવકનો ૪૫% ભાગ ખેતી ક્ષેત્રમાંથી આવે છે. ખેતી એ આવક અને રોજગારનું મુખ્ય સ્રોત છે. હિમાલયના ૯૩% લોકોનો રોજગાર ખેતી આધારીત છે. ઘઉં, મકાઈ, ચોખા ને જવ એ અહીંનું મુખ્ય અનાજ છે. જળ વિદ્યુત પણ રાજ્યની આવકનો અન્ય સ્રોત છે. રાજ્યની પાંચ નદીઓની (યમુના, સતલજ, બિઆસ, રાવિ અને ચિનાબ) જળવિદ્યુત ક્ષમતા ૨૩૦૦૦.૪૩ મેગાવૉટ આંકવામાં આવી છે . રાષ્ટ્રીય જળ વિદ્યુત ક્ષમતાનો ૨૫% ભાગ હિમાચલ પ્રદેશમાં સમાયેલો છે. 

દરેક કુટુંબનું એક બેંક ખાતું એ લક્ષ્ય પ્રાપ્ત કરવા વાળો હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યો .

હિમાચલ પ્રદેશમાં પ્રવાસન એ અર્થવ્યવસ્થા અને વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ કારક છે. અહીં વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓ અને ભુપૃષ્ઠ છે, જે  વિશ્વભરમાંથી પ્રવાસીઓને આકર્ષે છે.  હિમાચલ પ્રદેશ અહીંના સાહસિક ખેલો માટે પણ જાણીતું છે જેમ કે બીર બિલિંગ અને સોલાંગ વેલી, કુલુમાં રાફ્ટીંગ,  શિમલામાં આઈસ સ્કેટીંગ, બિલાસ પુરમં બોટિંગ અને અન્ય ખેલો જેવા કે પર્વતારોહણ, ઘોડે સવારી, સ્કીઈંગ, માછીમારી. વગેરે

ફીલ્મના ચિત્રીકરણ માટે પણ આ રાજ્ય પ્રખ્યાત છે.  હિન્દી ફિલ્મો જેવી કે રોજા, હીના, જબ વી મેટ, વીર ઝારા, યે જવાની હૈ દિવાની, હાઈ-વે વગેરેનું ચિત્રિકરણ હિમાચલમાં થયું છે. 

બહાદુરપુર કિલ્લો, ભાકરા બંધ, નૈના દેવી મંદિર, મણિમહેશ, ભૂરીસિંહ સંગ્રહાલય, ભરમાપુર, ખજીયાર, નાકો સરોવર, પ્રાશર સરોવર, તેવલસર,  છોટી કાશી,  મંડી, જોગીંદર નગર ખીણ, ડેલહાઉઝી,  સુજાનપુર ટીરા, ધર્મશાલા, પાલમપુર, મસરુર ખડક મંદિર, કાંગડાનો કિલ્લો, કિનૌર, મણિકરન, મનાલી, કિબ્બર ગામ, કુંઝુમ ઘાટ, રોહતાંગ પાસ, સ્પીતિ, શિમલા, કસૌલી, ગોવિંદસાગર સરોવર આદિ અન્ય જોવાલાયક સ્થળો છે.

૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર હિમાચલ પ્રદેશની કુલ વસતી ૬૮,૫૬,૫૦૯ હતી. તેમાં ૩૪,૭૩,૮૯૨ પુરુષો અને ૩૩,૮૨,૬૧૭ સ્ત્રીઓ હતી. આ વસ્તી ભારતની વસ્તીના ૦.૫૭ % છે. વસ્તી વધારાનો દર ૧૨.૮૧% છે. 
અહીં ૮૩.૭૮% સાક્ષરતા છે અને સ્ત્રી પુરુષ પ્રમાણ ૯૭૪/૧૦૦૦ છે. 

વસતીના આધારે હિમાચલપ્રદેશ ભારતના રાજ્યોમાં ૨૧મા ક્રમાંકે આવે છે. હિમાચલ પ્રદેશામાં કાંગડા જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે.  

અહીં પ્રમુખ રૂપે રજપૂત, રાથી, બ્રાહ્મણો અને ઘીર્થ (ચૌધરી) લોકો રહે છે. અહીં તિબેટી લોકોની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. 

હિમાચલ પ્રદેશના લોકોની જીવન પ્રત્યાશા (૧૯૮૬-૧૯૯૦) ૬૨.૮ વર્ષ છે (જે ભારતીય સરાસરી ૫૭.૭ વર્ષ કરતાં વધુ છે). ૨૦૧૦માં શિશુ મૃત્યુ દર ૪૦ હતો. જન્મ દર ૧૯૭૧ ૩૭.૩ થી ઘટીને ૨૦૧૦માં ૧૬.૯ થયો છે. જે રાષ્ટ્રીય સરાસરી ૨૬.૫ (૧૯૯૮). મૃત્યુ દર ૨૦૧૦માં ૬.૯ છે. હિમાચલ પ્રદેશની સાક્ષરતાનો દર ૧૯૮૧થી ૨૦૦૧ની વચમાં ૩૪.૬૫% વધ્યો છે. 

હિંદી એ હિમાચલ પ્રદેશની સત્તાવાર તથા પ્રચલિત ભાષા છે. જોકે મોટા ભાગના લોકો પહાડી ભાષા પણ બોલે છે. 

અહીં ૯૫% લોકો હિંદુ ધર્મ પાળે છે.  બાકીનો ભાગ બૌદ્ધ અને શીખ ધર્મ પાળનારાઓનો છે. લાહૌલ અને સ્પિતી ક્ષેત્રના લહૌલી લોકો મુખ્યત્વે બુદ્ધ ધર્મ પાળે છે. શીખો મોટે ભાગે શહેરોમાં મળે છે અને વસતીનો ૧.૨૩% ભાગ ધરાવે છે.  અહી મુસ્લીમોની વસ્તી ૧.૬૩% જેટલી છે. 

ભૌગોલિક રીતે દુર્ગમ હોવાને કારાણે હિમાચલ પ્રદેશ ઘણાં સમય સુધી બાહ્ય સાંસ્કૃતિક પ્રવાહોથી ભિન્ન રહ્યું. યાંત્રિકી વિકાસને કારણે હવે આ રાજ્યમાં ઝડપથી બદલાવ આવવા માંડ્યો છે. ભારતના અન્ય રાજ્યોની જેમ હિમાચલ પ્રદેશ પણ એક બહુ ભાષી બહુ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે.  અહીંની હિંદી, પહાડી, ડોગરી, મંડીલી, કાંગરી અને કિનૌરી  ભાષાઓ બોલાય છે. અહીં ખત્રી, બ્રાહ્મણ, ગુજ્જર, રજપૂત, ગડ્ડી, ગીર્થ, ચૌધરી, કાનેટ, રાઠી, કોલી સૂદ જેવી જાતિના લોકો વસે છે. તે સિવાય અહીં કિન્નર, પંગવાલ સુલેહરિયા અને લાહૌલી જેવી જનજાતિઓ પણ વસે છે.

હિમાચલ પ્રદેશ તેની હસ્તકળાઓ માટે જાણીતો છે. કાલીન, ચામડાની વસ્તુઓ, શાલ, ધાતુકામ, લાકડાની વસ્તુઓ અને ચિત્રકળા જેવા હસ્ત ઉદ્યોગો આ રાજ્યમાં છે. અહીં બનતી પશ્મિના શાલની આખા દેશમાં માંગ છે. હિમાચલી ટોપીઓ પણ ઘણી આકર્ષક હોય છે. હિમાચલમાં પડતી અત્યંત ઠંડીને કારણે અહીં ઊનનું વણાટકામ પ્રચલિત છે.  હિમાચલના લગભગ બધા ઘરોમાં હાથશાળ હોય છે. અહીં ઊનને પવિત્ર ગણવામાં આવે છે અને તેનો ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાશ થાય છે. કુલુ શાલના ઉત્પાદનમાટે પ્રખ્યાત છે.  કાંગડા તેની ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે. 

હિમાચલ સંસ્કૃતિ હસ્તકળાનો સમૃદ્ધ વારસો ધરાવે છે. જેમાં પશ્મિના શાલ, કારપેટ, ચાંદીનું ધાતુકામ, ભરત ભરેલી ચપ્પલો, ઘાસના બુટ,  કાંગડા અને ગોમ્પા શૈલીની ચિત્રકળા, લાકડા પરનું કાર્ય,  ઘોડાના વાળમાંથી બનતી બંગડી, લાકડા અને ધાતુના વાસણ અને ઘરવખરી આદિનો સમાવેશ થાય છે. આજના આધુનિક યુગના યંત્રો દ્વારા બનતા સાધનો સામે અને માર્કેટિંગ સુવિધાના અભાવને કારાણે આ કળાઓ લુપ્તપ્રાયઃ થતી જાય છે. હાલના સમયમાં સ્થાનીય અને વિદેશી બજારમાં આ કળાકૃતિઓની માગ વધી રહી છે. 

આ રાજ્યનું એક પોતાનું આગવું સંગીત અને નૃત્ય છે. ઉત્સવો અને અન્યે કાર્યક્રમો દરમ્યાન તેઓ નૃત્ય અને સંગીત દ્વારા ભગવાનોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. ભારમાં ઉજવાતા તહેવારો સીવાય અન્ય સ્થાનીય મેળાઓ અને ઉત્સવો પણ અહીં અજવાય છે. 

શિમલા એ અહીંની રાજ્ધાની છે. એશિયાની એક માત્ર આઈસ સ્કેટીંગ રીંક અહીં આવેલી છે. 

હિમાચલ પ્રદેશના લોકોનો રોજિંદો ખોરાક ઉત્તર ભારતીયો જેવો જ છે પણ તે સ્વાદમાં જુદો તરી આવે છે. તેઓ ઘઉં અને મકાઈના રોટલા ખાય છે, આ સિવાય મસૂર, ચોખા ને શાકભાજ્કીઓ વિશેષ વાપરે છે. મદ્રાહ, માહની, મીઠા સલૂના, બાટ, ભુજ્જુ, સાગ, પાલ્ડા, રેધુ, કૌક, ઝોઉલ. સિધુ/બરુરુ, બેદુઆન ચટણી, ખટ્ટી દાલ વગેરે એ અહીંની વિશેષ વાનગીઓ છે.




#Article 109: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ (261 words)


આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડીની દક્ષિણે હિંદ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.

આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ આંદામાન અને નિકોબાર છે. ૧૯૭૪માં નિકોબાર જિલ્લાની સ્થાપના થઈ. ઈ.સ. ૨૦૦૧માં આંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષિણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.

આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાંના ૨૬ ટાપુ પર માનવ વસવાટ છે. હુગલી નદીના મુખથી ૯૫૦ કિ.મી.ના અંતરે આ દ્વીપસમૂહ આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી ૧૯૩ કિ.મી. દૂર છે. આંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભૂમિ (મેઇન લેન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રાથી ૫૪૭ કિ.મી. દૂર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઈ ૫૧ કિ.મી. છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ ચોરસ કિ.મી. છે.

પ્રથમ રહેવાસીઓ

લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાંના પુરાતાત્વિક પુરાવાઓ મળે છે અને આનુવંશિક અભ્યાસ તેમજ સાંસ્કૃતિક અભ્યાસ સૂચવે છે કે,  સ્વદેશી અંદામાની લોકો અન્ય વસ્તીમાંથી મધ્ય પેલેલિથિક દરમિયાન અલગ થઈ ગયા હોય શકે છે કે જે ૩૦૦૦૦ વર્ષો પૂર્વે સમાપ્ત થઈ હતી. તે સમયથી અંદામાની લોકો ભાષાકીય, સાંસ્કૃતિક તેમજ  પ્રાદેશિક જૂથોમાં વિવિધતા ધરાવે છે.

નિકોબાર દ્વીપસમૂહ વિભિન્ન લોકોની આબાદી દ્વારા ભરાયેલ જોવા મળે છે. 

રાજેન્દ્ર ચોલ (સમયગાળો: ઇ.સ. ૧૦૧૪-૧૦૪૨) એ શ્રીવિજય સામ્રાજ્ય ઇન્ડોનેશિયા સામે યુદ્ધ અભિયાન માટે સૌ પ્રથમ આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો નૌસેનિક રણનીતિક તરીકે ઉપયોગ કર્યો હતો. ચોલ શાસકો આ દ્વીપને નકવવરમના નામથી સંબોધન કરતા હતા કે જેની માહિતી ૧૦૫૦ના તંજાવુરના શિલાલેખમાંથી મળે છે. યુરોપિયન યાત્રી માર્કોપોલો (૧૨-૧૩મી સદી)એ પણ આ દ્વીપસમૂહને 'નેકુંવરન' તરીકે સંદર્ભ કર્યો છે. હાલનું આધુનિક નામ નિકોબાર એ મૂળ તમિલ નામ 'નાકવારામ'નું  બ્રિટિશ કાળ દરમિયાન અપભ્રંશ બની નિકોબાર પડ્યું છે.




#Article 110: દાદરા અને નગરહવેલી (199 words)


દાદરા અને નગરહવેલી એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસ છે. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.

અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે.

૧૯૪૭માં ભારતની આઝાદી પછી દાદરા અને નગર હવેલીના નાગરિકો, યુનાઇટેડ ફ્રંટ ઓફ ગોઅન્સ ‍(UFG), ધ નેશનલ મુવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન (NMLO), અને આઝાદ ગોમંતક દળે દાદરા અને નગર હવેલીનો કબ્જો પોર્ટુગીઝો પાસેથી ૧૯૫૪માં લઇ લીધો હતો. 

૩૧ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા હતા.

ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવ સાથે જોડીને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. દાદરા અને નગર હવેલી નવા કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણ માંનો એક જિલ્લો બનશે.

આ પ્રદેશમાં ખાનવેલ જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. ખાનવેલ દાદરા અને નગરહવેલીના પાટનગર સેલવાસથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. સેલવાસથી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. દાદરામાં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.

દાદરા અને નગરહવેલી જિલ્લો દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.




#Article 111: દમણ અને દીવ (124 words)


દમણ અને દીવ () ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો.  વિસ્તાર સાથે તે ભારતની મુખ્યભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો, જે ભૌગોલિક રીતે ખંભાતના અખાતથી અલગ હતા.

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો.




#Article 112: મહેસાણા જિલ્લો (368 words)


મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે.

ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત ૧૪૧૪ ભાદરવા સુદ દસમ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ બંધાવ્યું હતું. તેનો ઉલ્લેખ ઇ.સ. ૧૯૩૨ની જયસિંહ બ્રહ્મભટ્ટની કવિતામાં મળે છે. સંવત ૧૮૭૯ના મણિલાલ ન્યાલચંદના પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથમાં પણ તેનો ઉલ્લેખ છે. તેમાં મેહસાજીએ ચામુંડા મંદિર બંધાવ્યું હોવાનું જણાવાયું છે. જોકે એ સ્પષ્ટ છે કે નગરની સ્થાપના રાજપૂત શાસન દરમિયાન થઇ હતી. અન્ય એક કથા અનુસાર મેહસાજીએ નગર વિક્રમ સંવત ૧૩૭૫ (ઇ.સ. ૧૩૯૮)માં કરી હતી.

ગાયકવાડે બરોડા જીતી લીધું અને બરોડા સ્ટેટની સ્થાપના કરી. ઉત્તર ગુજરાતમાં તેમણે તેમનું શાસન વિસ્તૃત કર્યું અને પાટણને મુખ્ય મથક બનાવ્યું, ત્યારબાદ મુખ્ય મથક કડી અને પછી ૧૯૦૨માં મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યું. બરોડા રાજ્યનો ઉત્તર વિભાગ ૮ મહાલોમાં વિભાજીત હતો. ગાયકવાડ રાજ્યે મહેસાણા સાથે વડોદરાને જોડતી રેલ્વે લાઇનની ૨૧ માર્ચ ૧૮૮૭માં શરૂ કરી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજમહલ તરીકે ઓળખાતો મહેલ વિક્રમ સંવત ૧૯૫૬માં તેમના પુત્ર ફતેહસિંહરાવ માટે બંધાવ્યો હતો, જે હવે ડિસ્ટ્રીક કોર્ટ તરીકે વપરાય છે.

મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો તથા સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ દિશામાં ગાંધીનગર જિલ્લો તથા અમદાવાદ જિલ્લો તેમ જ પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે.

મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચક્રવાતનો ૫ણ ભોગ બને છે. દૈનિક તા૫માનનો ગાળો વધુ ૨હેવાને કા૨ણે પ્રજાની કાર્યક્ષમતા ૫૨ તેની અસ૨ જોવા મળે છે.

મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે છે.

આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.




#Article 113: જયંતિ દલાલ (1589 words)


જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી. તેઓના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

જયંતી ઘેલાભાઈ દલાલ ,  ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’ (૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨ માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન.

વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તખ્તાની ઊંચી જાણકારી ધરાવતા એમણે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધો નથી. ‘સોયનું નાકું’, ‘દ્રોપદીનો સહકાર’, ‘જોઈએ છે, જોઈએ છીએ’ જેવી એકાંકીઓ એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનનો ઊંડો સંસ્પર્શ પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી પ્રગટતી માર્મિકતા, ઉક્તિલાઘવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળોટવાળી લાઘવયુક્ત શૈલીને લીધે એમના સંવાદો કવચિત્ દુર્બોધ પણ રહ્યા છે. ‘અવતરણ’ (૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિ-અંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશોરો માટે કરેલા ‘રંગતોરણ’ આદિ ચાર સંગ્રહો (૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી’ ના એક પાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલો માળી’ (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભા.૧, ૧૯૬૪; ભા.૨, ૧૯૬૬; ભા.૩, ૧૯૬૯) કરેલું.

વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મુકમ્ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર’ (૧૯૫૬), ‘અડખેપડખે’ (૧૯૬૪) અને ‘યુધિષ્ઠિર ?’ (૧૯૬૮) એ સાત સંગ્રહોમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ‘ઈષત્’ (૧૯૬૩) નામનો સંગ્રહ સંપાદિત કરેલો.

આરંભમાં ‘નિર્વાસિત’ ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે મનઃસૃષ્ટિમાં ગુજરાતી ઘટનાને અવલંબતી કથા-નિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દ્રશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી ઉપસાવી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાનો વિનિયોગ-એમની વાર્તાકલાના વિશેષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હોઈને તથા એમની બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને પામવાની પટુતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું.

એમની બે નવલકથાઓ પૈકી પહેલી ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદ્રષ્ટિવાળા નાયકના દ્વિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં તીરથ’ (૧૯૪૬) નિર્દય પોલીસદમનનો ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે.

એમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી’ (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે, તેનું ગદ્યચિત્રો લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા’ ઉપનામથી ‘નવગુજરાત’ માં, એમણે ગુજરાતના રાજ્કીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકા વ્યક્તિચિત્રો ને લઘુલેખોના બે સંગ્રહો ‘મનમાં આવ્યું’ (૧૯૬૧) અને ‘તરણાની ઓથ મને ભારી’ (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશક્તિનો પરિચય મળે છે.

નાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટ્યકારો અને નાટ્યકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખો ‘કાયા લાકડાની, માયા લૂગડાની’ (૧૯૬૩) તથા ‘નાટક વિશે’ (સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪)માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ્ય-વાર્તાવિવેચન એમાંની નિજી દ્રષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જુદું તરી આવે છે.

એમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’, ટૉલ્સ્ટોયની ‘વૉર એન્ડ પીસ’, ચાર્લ ડિકન્સની ‘ગ્રેટ ઍક્સપેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે ‘પશુરાજ્ય’ (૧૯૪૭), ‘યુદ્ધ અને શાંતિ’- ભા.૧-૪ (૧૯૫૪-૫૬) અને ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪); તેમ જ ગ્રીક નાટ્યકાર એસ્કાઈલસનું નાટક ‘ઍગેમેમ્નોન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને એમણે સાતત્યથી તેમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીભાષાઓ માટે સુલભ બનાવી છે.

જવનિકા (૧૯૪૧) : જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધોને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધોનું, સ્ત્રીની હૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. ‘પત્નીવ્રત’ અને ‘કજળેલાં’માં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ’ યુદ્ધની પાર્શ્વ ભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત’ અને ‘અ-વિરામ’ ની લાંબી એકોકિતમાં-લાઘવયુક્ત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે.

તંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુક્ત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીનો યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા ‘વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં ‘નેપથ્યે’ નામે મૂકેલો એકાંકીના તંત્રવિધાન વિશેનો લેખ અભ્યાસપૂર્ણ છે.

ધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી, પણ માનવમનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી દિશા ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની અશક્તિ, કર્તવ્યની લગની અને સમયના અભાવને કારણે સત્યાગ્રહી ધીમુ પરણવા ઈચ્છતો નથી, પરંતુ એની સભાઓમાં અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વિભા એને પ્રેમાકુલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતા વિભાને જીવન ખોઈ બેઠા જેવું લાગે છે, તો બીજી બાજુ તે છટકી જતા જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નનો પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ સ્નેહ અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુનો સ્વીકાર કરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકાઓ અહીં રચાયેલી છે, તો વિભાની વ્યક્તિતા આકાર લે છે એનાં વાણી, વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને 
પાત્રો સંકુલ બન્યાં છે. કથા સ્મૃતિધારારૂપે વહી આવી હોય અને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેક્નિક સૂઝપૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશોની ઉચિત પસંદગી, શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની સૂઝ-એમ, સારી નવલકથાના સર્જન માટે કેટકેટલી સજજ્તાની જરૂર પડે છે તેનો ખ્યાલ આ કૃતિ આપે છે.

પાદરનાં તીરથ (૧૯૪૬) : ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે.

એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલનો પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિનો આલેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે.

શહેરની શેરી (૧૯૪૮) : જયંતી દલાલનો નગરજીવન પરત્વેનાં નિરીક્ષણોનાં ગદ્યચિત્રોનો સંગ્રહ. દોરીબાંધી માનવતાનું સાદ્યંત, નખશિખ, સંપૂર્ણ દર્શન જયાં થાય છે તે શેરીના ઉદભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં માનવતા, લાચારી, કારુણ્ય, સંઘર્ષ આદિનું માનવીય, માનસશાસ્ત્રીય, વીગતભર્યુ નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તાસ્વરૂપે થયું છે. શેરીનો પીપળો, શેરીના નળ, ઉમરા-ઓટલા, ચાર-ચોકડી, પ્રાણીઓ-જંતુઓ, ફેરિયા, ઉત્સવો-શોક, શ્રદ્ધા-અશ્રદ્ધા તેમ જ શેરીનું લોકશાસન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, ભાષાસામર્થ્ય, સચ્ચાઈ, હમદિલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અણદાવાદ શહેરની ગઈકાલ અને આજનો અચ્છો સામાજિક દસ્તાવેજ છે.

કાયા લાકડાની, માયા લુગડાની (૧૯૬૩) : જયન્તિ દલાલના નાટ્યવિષયક ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. ‘પડદો ઊપડે છે ત્યારે’ એ લેખ જૂની રંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અરૂઢ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. ત્યાર પછીના લેખોમાં નાટકનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિનો ઇતિહાસ, બંધાયેલાં નાટ્યગૃહોનો ઇતાહસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી આદિના નાટ્યલેખનની તટસ્થ આલોચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, એમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં ભયસ્થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહનો ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, નાટકમાં કલ્પનાનું સ્થાન, વાકછટા અને સંવાદ, સંઘર્ષ અને કાર્ય તથા રંગસૂચનનું તાત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન છે. દલાલની અરૂઢ, માર્મિક, કટાક્ષયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં 
દર્શન પણ અહીં થાય છે.




#Article 114: અંગ્રેજી ભાષા (3244 words)


અંગ્રેજી એ પશ્ચિમ જર્મેનીક ભાષા છે, જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. 18મી, 19મી અને 20મી સદીની શરૂઆત સુધી બ્રિટિશ રાજના લશ્કરી, આર્થિક, વૈજ્ઞાનિક, રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેમજ 20મી સદીના મધ્ય ભાગ સુધી યુનાઇટેડ સ્ટેટ્સને કારણે અંગ્રેજી ભાષા દુનિયાના ઘણા ખૂણાઓમાં લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ વિજ્ઞાનની આગળ પડતી ભાષા બની ગઇ. રાષ્ટ્ર સમૂહ દેશો (કોમન વેલ્થ દેશો) તેમજ ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં બીજી કે ગૌણ ભાષા અને અધિકૃત ભાષા તરીકે અંગ્રેજોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

ઐતિહાસિક રીતે અંગ્રેજી ભાષા કેટલીક તળપદી ભાષાઓથી બનેલી છે જેને સંયુક્તપણે જૂની અંગ્રેજી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા ગ્રેટ બ્રિટનના પૂર્વીય ટાપુઓ ઉપરથી લાવવામાં આવી હતી. આ ભાષાને એન્ગ્લો સેક્સોન લોકો લાવ્યા હતા કે જેઓ 5મી સદીની શરૂઆતમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ અંગ્રેજી ઉપર જૂની નોર્વેની ભાષાનો પ્રભાવ પડ્યો. આ ભાષા આઠમાથી દસમા સૈકાના કાળ દરમિયાનના યુરોપીય આક્રમણકારોની ભાષા હતી.

નોર્મનોની જીતના સમયગાળા દરમિયાન જૂની અંગ્રેજી ભાષા મધ્યકાલિન અંગ્રેજી ભાષા તરીકે વિકાસ પામી. તેના શબ્દો અને જોડણી મોટા ભાગે નોર્મન (એન્ગ્લો ફ્રેન્ચ) ભાષાના શબ્દભંડોળમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. અંગ્રેજી કે ઇન્ગલિશ ભાષાનાં વ્યુત્પત્તિશાસ્ત્ર અંગે જોઇએ તો ઇન્ગલિશ શબ્દ 12મી સદીની જૂની અંગ્રેજી ભાષા એન્ગલિસ્ક અથવા તો ઇન્જલ , એન્જલ્સ શબ્દનું બહુવચન છે તેના ઉપરથી ઉતરી આવ્યો છે. ( જે ઇંગ્લેન્ડ કે ઇન્ગલેન્ડનાં લક્ષણોને પ્રતિબિંબિત કરે છે). 

આધુનિક અંગ્રેજી ભાષામાં સ્વરોમાં ધરખમ બદલાવ આવ્યો. આ બદલાવ 15મી સદીમાં ઇંગ્લેન્ડ ખાતે થયો. આ દરમિયાન અંગ્રેજી ભાષાએ વિવિધ વિદેશી ભાષાઓમાંથી નવાનવા શબ્દો લીધા અને નવા શબ્દો બનાવ્યા. અંગ્રેજી ભાષાનાં શબ્દો પૈકી નોંધપાત્ર માત્રાના શબ્દો ખાસ કરીને તકનિકી શબ્દો મૂળતઃલેટિન અને ગ્રીક ભાષા ઉપરથી બનાવવામાં આવ્યા છે.

આધુનિક અંગ્રેજી ભાષાને કેટલીક વખત વિશ્વની પ્રથમ લિન્ગ્વા ફ્રાન્કા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાનું વર્ચસ્વ પુષ્કળ પ્રમાણમાં છે. કેટલીક વખત તે સંચાર, વિજ્ઞાન, વેપાર, ઉડ્ડયન, મનોરંજન, રેડિયો અને મુત્સદ્દીગીરી માટેની આવશ્યક આંતરરાષ્ટ્રીય ભાષા ગણવામાં આવે છે. જેમજેમ બ્રિટિશ રાજનો વિકાસ થતો ગયો તેમતેમ આ ભાષા બ્રિટિશ ટાપુઓ ઉપર ફેલાવા લાગી અને 19મી સદીના અંત સુધીમાં તો તે સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઇ. ઉત્તર અમેરિકામાં બ્રિટિશ વસાહત સ્થપાઇ ગયા બાદ તે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં વર્ચસ્વ ધરાવતી ભાષા બની. યુએસના વિકસતા જતા આર્થિક અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેને વિશ્વની મહાસત્તાનો દરજ્જો મળ્યો. અને બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન આ ભાષા સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર રીતે ફેલાઇ ગઇ.

ઘણાં બધાં ક્ષેત્રો, વ્યવસાય અને વેપારમાં જેવા કે તબીબી અને કોમ્પ્યૂટર વગેરેમાં અંગ્રેજી ભાષાનાં જ્ઞાનને પ્રાથમિક જરૂરીયાત ગણવામાં આવી છે. જેનાં પરિણામે અંદાજે 1 અબજ લોકો અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન મળે તેટલો અભ્યાસ તો કરે જ છે. (જુઓ અંગ્રેજી ભાષાનો અભ્યાસ અને શિક્ષણ). યુનાઇટેડ નેશન્સ (યુએન)ની છ અધિકૃત ભાષાઓ પૈકીની અંગ્રેજી એક છે.

ડેવિડ ક્રિસ્ટલ જેવા ભાષાશાસ્ત્રીએ નોંધ્યું હતું કે વૈશ્વિક ભાષાઓ કરતાં અંગ્રેજી ભાષાના ધરખમ વિકાસને કારણે વિશ્વના કેટલાક ભાગોમાં જન્મની ભાષાશાસ્ત્રની વિવિધતા ઘટવા માંડી હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલેશિયા અને ઉત્તર અમેરિકામાં આનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળ્યું હતું. ભાષાઓનાં પતનમાં અંગ્રેજી ભાષાનાં વિશાળ પ્રભુત્વએ અગત્યની ભૂમિકા ભજવી છે. તેવી જ રીતે ઐતિહાસિક ભાષાશાસ્ત્રીઓ કે જેઓ ભાષાના બદલાવ અંગેની જટિલતા અને પ્રવાહિત ગતિશીલતા અંગે સાવચેત હતા. તેઓ અંગ્રેજીના પ્રભાવ અંગે પણ સાવચેત હતા તેથી તેમણે અંગ્રેજી ભાષાને તેમની સ્થાનિક ભાષા સાથે સુવ્યવસ્થિત અને કુદરતી રીતે સંમિશ્રિત કરી જેમ કે ક્રિઓલ્સ અને પિડગિન્સ સમયાંતરે અંગ્રેજી સમકક્ષ આ ભાષાઓનાં નવાં કુટુંબો બન્યાં.[26] 

અંગ્રેજી પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનાં મૂળિયાં એન્ગ્લો ફ્રિસિયન અને લોવર સાક્સોનમાં રહેલાં છે. આ બે એવી તળપદી ભાષાઓ છે કે જે બ્રિટનમાં સ્થાયી થયેલા જર્મની નાગરિકો અને રોમનના લશ્કરી સહાયકો દ્વારા વિવિધ ભાગો કે જેમને હાલમાં ઉત્તર-પશ્ચિમી જર્મની, ડેનમાર્ક અને નેધરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી 5મી સદીમાં લાવવામાં આવી હતી. જર્મનીની આદિવાસી પ્રજાતિઓ પૈકીની એક એન્જેલ્સ,[28] હતી તેઓ એન્ગેલ્ન અને બેડે પ્રાંતમાંથી આવ્યા હતાં તેમ માનવામાં આવે છે તેઓ પોતાની જૂની ભૂમિ છોડીને જે જગ્યાએ સ્થાયી થયા તેને બેડે અને એન્ગેલ્નનું સંમિશ્રિત નામ બ્રિટન[30] આપવામાં આવ્યું. 'ઇંગ્લેન્ડ'(ઇન્ગ્લા લેન્ડ એન્જલ્સની ભૂમિ) અને ઇન્ગલિશ (જૂનું અંગ્રેજી ઇન્ગલિસ્ક ) નામો આ આદિવાસી પ્રજાતિ દ્વારા ઉતરી આવ્યાં છે. 

એન્ગ્લો સાક્સોન લોકોએ ઇ.સ.449ની સાલથી ડેનમાર્ક અને જુટલેન્ડના પ્રદેશોથી આક્રમણ કરવાની શરૂઆત કરી. એન્ગ્લો સાક્સોન લોકોનું બ્રિટનમાં આગમન થયું તે પૂર્વે ત્યાંના સ્થાનિક લોકો બ્રિથોનિક ભાષા બોલતા હતા. આ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં બોલાતી કેલ્ટ લોકોની કેલ્ટિક ભાષા હતી. જોકે તળપદી ભાષામાં નોંધપાત્ર ફેરફારો વર્ષ 1066ના નોર્માન લોકોનાં આક્રમણ બાદ થયા. ભાષાએ તેનું નામ જાળવી રાખ્યું અને નોર્માન લોકોના આક્રમણ પહેલાંની ભાષા જૂની અંગ્રેજીના નામે ઓળખાવા લાગી.

શરૂઆતમાં જૂની અંગ્રેજી વિવિધ પ્રકારની તળપદી ભાષાઓનો સમૂહ હતી. આ ભાષાઓનાં મૂળિયાં ગ્રેટ બ્રિટનના એન્ગ્લો સાક્સોન રાજની વિવિધતાને પ્રતિબિંબિત કરતાં હતાં. આ તમામ વિવિધ તળપદી ભાષાઓ પૈકી લેટ વેસ્ટ સાક્સોન ભાષાનું પ્રભુત્વ ધીરેધીરે વધવા લાગ્યું. અંગ્રેજી ભાષાના ક્રમિક અને ઝડપી વિકાસના મહત્વની ભૂમિકા કેથલિક દેવળોએ પણ ભજવી હતી. વર્ષ 530માં સંત બેનેડિટનું શાસન શરૂ થયું અને તે 1536 સુધી મઠોનાં વિસર્જન સુધી યથાવત રહ્યું.આ દરમિયાન રોમન કેથલિક દેવળોએ મઠોને અને કેટનબરીના ઓગસ્ટિન જેવા કેથલિક અધકૃતોને સૂચના આપી કે તેમની શાળાઓમાં સ્ક્રિપ્ટોરિયા અને પુસ્તકાલય જેવા બુદ્ધિગમ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. 

મધ્યકાલિન યુગ દરમિયાન કેથલિક દેવળોએ બુદ્ધિગમ્ય જીવન અને લેખિત ભાષાનાં પ્રભુત્વને ક્રિયાશિલ બનાવ્યું. કેથલિક સંતોએ મુખ્યત્વે લેટિન ભાષાનું લખાણ લખ્યું અથવા તો તેની નકલો કરી. જે મધ્યકાલિન યુરોપની લિન્ગ્વા ફ્રાન્કામાં વધારે પડતું જોવા મળતું હતું. જ્યારે સંતો પ્રસંગોપાત સ્થાનિક ભાષામાં લખતા ત્યારે લેટિન ભાષામાંથી અંગ્રેજી ભાષામાં બનાવેલા શબ્દો અવેજી તરીકે મૂકતાં. કોઇ વસ્તુની સમજણ આપવા માટે લેટિન ભાષાનો ઉપયોગ કરવામાં આવતો અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવામાં નહોતો આવતો. અંગ્રેજી ભાષામાં મોટા ભાગના શબ્દો લેટિન ભાષામાંથી લેવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાના વોકેબ્યુલેરિયમ માં મોટા ભાગના શબ્દોનું સર્જન લેટિન ભાષામાંથી થયું હોવાનું માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે બ્રિટિશ સમાજનો શ્રેષ્ઠ વર્ગે કેથલિક સંતો દ્વારા બનાવવામાં આવેલા શબ્દભંડોળને કાયમી બનાવ્યો. વધુમાં તેમણે લેટિન ભાષામાંથી નવા શબ્દોની શોધોની પરંપરા પણ ચાલુ રાખી. જે કેથલિક ચર્ચના અસ્ત સુધી ચાલુ રહી. 

જૂની અંગ્રેજી સ્થાનિક ભાષા પણ આક્રમણોનાં બે મોજાંથી પ્રભાવિત હતી. સૌપ્રથમ ભાષા બોલનારા ઉત્તર જર્મનીના લોકો કે જેઓ જર્મની કુટુંબના હતાં તેમણે 8મી અને 9મી સદીમાં બ્રિટિશ ટાપુઓ અને વસાહતો ઉપર ચડાઇ કરી હતી (જુઓ ડેનલો). બીજું આક્રમણ નોર્માનો દ્વારા 11મી સદીમાં કરવામાં આવ્યું હતું. તેઓ જૂની નોર્માન ભાષા બોલતા હતા. તેમણે વિશિષ્ટ અંગ્રેજી ભાષા તૈયાર કરી જેને એન્ગ્લો નોર્માન તરીકે ઓળખવામાં આવતી. (સમય જતાં તેમાંથી નોર્માન નામનું તત્વ લુપ્ત થવા લાગ્યું. તેના ઉપર પેરિસિયન ફ્રેન્ચનું પ્રભુત્વ વધવા લાગ્યું. પાછળથી અંગ્રેજી ભાષા એન્ગ્લો ફ્રેન્ચ ભાષા તરીકે ઓળખાવા લાગી.) બે આક્રમણોને કારણે અંગ્રેજી કેટલાક અંશે મિશ્રિત ભાષા બની. (જોકે ભાષાશાસ્ત્રના શબ્દોની દૃષ્ટિએ અંગ્રેજી ક્યારેય મિશ્રિત ભાષા નહોતી. વિવિધ ભાષા બોલનારા લોકોનો સહનિવાસને કારણે અંગ્રેજી મિશ્રિત ભાષા બની આ લોકોએ પાયાનાં સંચાર માધ્યમ તરીકે એક નવી ભાષાનો વિકાસ કર્યો).

સ્કેન્ડેનેવિયન લોકોના સહનિવાસને કારણે એન્ગ્લો ફ્રિસિયન અંગ્રેજીમાં શબ્દોની પૂરવણી વધી. પાછળથી નોર્મન વ્યવસાયને કારણે લેટિન ભાષામાંથી ઉતરી આવેલા જર્મની શબ્દોનું પ્રમાણ વધવા પામ્યું. અંગ્રેજી ભાષા ઉપર નોર્માનનું પ્રભુત્વ કોર્ટ અને સરકાર મારફતે થયું. આવી રીતે અંગ્રેજીનો વિકાસ સ્થિતિસ્થાપક અને વિશાળ શબ્દભંડોળ ધરાવતી ઉછીની ભાષા તરીકે થયો.

બ્રિટિશ રાજના ઉદ્ભવ અને ફેલાવાની સાથે અંગ્રેજી ભાષાનો સ્વીકાર ઉત્તર અમેરિકા, ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય પ્રાંતમાં થયો. યુનાઇટેડ સ્ટેટ્સનો મહાસત્તા તરીકે ઉદ્ભવ થતા અંગ્રેજી ભાષાના ફેલાવાને મદદ મળી.

અંગ્રેજી ભાષા જર્મની કુટુંબની પેટાશાખા પશ્ચિમી જર્મનીના એન્ગ્લો ફ્રિસિયન ભાષા બોલતા પેટાજૂથ ઉપરથી ઉતરી આવી છે. આ જૂથ ઇન્ડો-યુરોપીયન ભાષાઓ બોલતાં જૂથના સભ્યો હતા. અંગ્રેજીની એકદમ નજીકની પડોશી ભાષા સ્કોટ્સ ભાષા છે. આ ભાષા મુખ્યત્વે સ્કોટલેન્ડ, ઉત્તર આયર્લેન્ડના કેટલાક ભાગો, અને ફ્રિસિયનમાં બોલાય છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ સ્કોટ્સ ભાષાને અલગ ભાષા નહીં ગણતા તેને અંગ્રેજી તળપદી ભાષાનાં જૂથ તરીકે ગણે છે. ફ્રિસિયન ભાષાને પણ ઘણા લોકો દ્વારા અંગ્રેજીની નજીકની પડોશી ભાષા ગણવામાં આવી છે. 

સ્કોટ્સ અને ફ્રિસિયન બાદ એવી જર્મની ભાષાઓ આવે છે કે જે અંગ્રેજી સાથે થોડે દૂરથી સંકળાયેલી છે જેમા નોન એન્ગ્લો ફ્રિસિયન પશ્ચિમી જર્મની ભાષાઓ, લો જર્મન, ડચ, આફ્રિકન્સ, હાઇ જર્મન, તેમજ ઉત્તર જર્મની ભાષાઓ સ્વિડિશ, ડેનિશ, નોર્વેયન, આઇલેન્ડિક અને ફારોઇસના નામો ગણાવી શકાય. સ્કોટ્સ ભાષાના અપવાદને બાદ કરતાં અને પાયાના સ્તરે ફ્રિસિયન ભાષાને બાદ કરતાં અન્ય કોઇ પણ ભાષા અંગ્રેજી સાથે પરસ્પર બુદ્ધિગ્રાહ્ય રીતે સંકળાયેલી નથી. જેની પાછળ તે ભાષાના નિયમો, વાક્યરચના, ભાષાશાસ્ત્રની શાખા અને ધ્વનિશાસ્ત્રમાં વિવિધતાને જવાબદાર ગણાવી શકાય.બ્રિટિશ ટાપુઓ ઉપરની અંગ્રેજી ભાષા અલગ તરી આવે છે. જોકે કેટલેક અંશે ડચ ભાષા અંગ્રેજી સાથે ઘણી જ સામ્યતા ધરાવતી ભાષા છે. પોતાની આ અલગતાને કારણે અંગ્રેજી અને સ્કોટ્સ ભાષાઓ ખંડીય જર્મની ભાષાઓ તરીકે વિકાસ પામી છે. તેમજ પોતાનું પ્રભુત્વ બતાવતી આવી છે. 

અન્ય જર્મની ભાષાઓના નિયમોમાં તફાવત કેટલાક કારણોસર આવ્યો હોવો જોઇએ જેમ કે અલગતાથી ભાષાશાસ્ત્રની શાખા જુદી તરી આવવી તેમજ અંગ્રેજી ભાષામાં લેટિન શબ્દોનો કરવામાં આવતો બહોળા પ્રમાણમાં ઉપયોગ દા.ત. એક્ઝટ વિરુદ્ધ ડચ યુટગેન્ગ (શરૂઆતમાં આઉટ-ગેન્ગ સાથે ગેન્ગ ગેન્ગવે તરીકે) અને ફ્રેન્ચ ચેન્જ વિરુદ્ધ જર્મન એન્ડેરન્ગ , મુવમેન્ટ વિરુદ્ધ જર્મન બેવેગન્ગ (શાબ્દિક રીતે અધરિંગ અને બિ-વે-ઇન્ગ (એકલાં આગળ વધવું)).
બંને શબ્દો જર્મનીના હોવા છતાં પણ કોઇ એક સમાનાર્થીને બદલે બીજાની પસંદગીના કારણે પણ નિયમમાં બદાલ કે તફાવત જોવા મળે છે. (દા. ત. અંગ્રેજીમાં કેર અને જર્મનીમાં સોર્જ બંને શબ્દો પ્રોટો જર્મનિક શબ્દો અનુક્રમે * કારો અને * સર્ગો ઉપરથી ઉતરી આવ્યા છે. પરંતુ અંગ્રેજી શબ્દ કેરમાં * કારો નું પ્રભુત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે જર્મન, ડચ સ્કેન્ડેનેવિયન ભાષાઓમાં * સર્ગો શબ્દનાં મૂળિયાં જોવા મળે છે. * સર્ગો શબ્દ હજી પણ અંગ્રેજી ભાષામાં સોરો શબ્દ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

વાક્ય રચના માટે દરેક ભાષાના અલગ નિયમો છે. (દા. ત., જર્મનમાં ઇચ હેબ નોચ નાઇ એટવાસ આઉફ ડે પ્લાટ્ઝ ગેસેહેન  , વિરુદ્ધ અંગ્રેજી  આઇ હેવ નેવર સિન એનિથિંગ ઇન ધ સ્ક્વેર).અંગ્રેજી ભાષાની વાક્યરચના ઉત્તરીય જર્મની ભાષાની ખૂબ જ સમાન રહે છે. એમ માનવામાં આવે છે કે મધ્યકાલિન અંગ્રેજી કાળ દરમિયાન ઉત્તરીય જર્મની ભાષાએ અંગ્રેજી વાક્યરચના ઉપર પોતાનું સારું એવું પ્રભુત્વ જમાવ્યું છે. (દા. ત. નોર્વેની ભાષામાં જેગ હાર લિકેવેલ આલ્ડ્રી સેટ નોએ આિ ટોરગેટ ; સ્વિડિશમાં જેગ હાર એન્નુ એલ્ડ્રિગ સેટ નાગોટ પા ટોરગેટ . અન્યની સરખામણીએ તેઓ એકબીજાની ભાષા સરળતાથી શીખી શકે છે.

ડચ ભાષાની વાક્યરચના અંગ્રેજી અને જર્મન ભાષા વચ્ચેની મધ્યસ્થી છે (દા. ત. ઇક હેબ નોગ નૂઇટ ઇએટ્સ ગેઝિએન ઓપ હેટ પ્લેઇન આ તફાવતને બાદ કરતાં અંગ્રેજી અને અન્ય જર્મની ભાષાઓમાં ઘણી સામ્યતા રહેલી છા. (દા. ત. અંગ્રેજીમાં બ્રિંગ/બ્રોટ/બ્રોટ , ડચમાં બ્રેન્ગેન/બ્રેશ્ત/ગેબ્રેશ્ત , નોર્વેની ભાષામાં બ્રિન્ગે/બ્રાક્તે/બ્રાક્ત ; અંગ્રેજી ઇટ/એટ/ઇટન , ડચ ઇટેન/એટ/ગેગેટન , નોર્વે એટે/એટ/એટ્ટ અંગ્રેજી અને નીચલા પ્રદેશો )ડચ અને લો જર્મન) અને સ્કેન્ડેનેવિયાની ભાષામાં વધારે સમાનતા જોવા મળે છે. 

ભાષાશાસ્ત્રની શાખાના તફાવતોને કારણે અંગ્રેજી તેમજ તેને સંલગ્ન ભાષાના ઘણા ખોટા મિત્રો પણ છે (દા. ત. અંગ્રેજીમાં ટાઇમ વિરુદ્ધ નોર્વેની ભાષામાં ટાઇમ અવર), અને ધ્વનિશાસ્ત્રના તફાવતો એવા શબ્દોમાં સાંભળી શકાય છે કે જે શબ્દો વંશપરંપરાથી સંકળાયેલા હોય (ઇનફ વિરુદ્ધ જર્મન જેનુગ , ડેનિશ શબ્દ નોક . કેટલીક વખત ભાષાશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર બંનેના ફેરફારો (જર્મન ઝેઇટ , ટાઇમ અંગ્રેજી શબ્દ ટાઇડ સાથે સંલગ્ન છે, પરંતુ આ અંગ્રેજી શબ્દ મતલબના પારંપરિક તબક્કા સાથે પિરિયડ/ઇન્ટરવલ મતલબ દર્શાવે છે. આ શબ્દોનો મતલબ થાય છે દરિયા ઉપર ચંદ્રનાં ગુરુત્વાકર્ષણ બળની અસર જોકે ટાઇડિંગ્સ અને બિટાઇડ જેવા કેટલાક શબ્દોમાં મૂળ અર્થ જળવાઇ રહ્યો છે. ટુ ટાઇડ ઓવર જેવા કેટલાક શબ્દસમૂહમાં પણ મૂળ અર્થ સચવાઇ રહ્યો છે. સાધારણ, પરસ્પરની બુદ્ધિગ્રાહ્યતાથી પાડવામાં આવેલા ભેદો છતાં પણ અંગ્રેજી ભાષા તેના કુટુંબની અન્ય ભાષાઓ કરતાં જર્મની ભાષાઓની વધારે નજીક છે.

અંતે અંગ્રેજીએ સંયુક્ત શબ્દો બનાવવાની શરૂઆત કરી દીધી અને હાલના શબ્દોને અન્ય જર્મની ભાષાઓથી અલગ પાડવા માટે તેમને જોડવાની શરૂઆત કરી. આ કવાયત છેલ્લાં 1500 વર્ષોથી ચાલી રહી છે અને તેને લગતી આદતો પણ અલગ-અલગ છે. દા.ત. અંગ્રેજી ભાષાની ભાવવાચક સંજ્ઞામાં મૂળ શબ્દની પાછળ -હૂડ, -શિપ, -ડોમ અને -નેસ જેવા પ્રત્યેયો લગાડીને બનાવવામાં આવે છે. એક જ મૂળમાંથી નીકળેલા તમામ પ્રત્યેયો મોટાભાગના કે તમામ અન્ય જર્મની ભાષાઓમાં છે.પરંતુ તેમના ઉપયોગની પદ્ધતિ અલગ-અલગ છે.જેમ કે જર્મની ભાષાનો ફ્રેહેઇટ વિરુદ્ધ અંગ્રેજી ભાષાનો ફ્રિડમ શબ્દ (પ્રત્યેય -હેઇટ એ -હૂડ શબ્દનો સગોત્ર છે, જ્યારે -ડોમ પ્રત્યેય જર્મનના -ટમ પ્રત્યેયનો સગોત્ર છે). આઇલેન્ડિક અને ફેરાઓસ ભાષાઓ જર્મન ભાષાઓ છે. તેઓ પોતપોતાની રીતે અંગ્રેજી ભાષાને અનુસરે છે.અંગ્રેજીની જેમ જ તેમણે પણ સ્વતંત્ર રીતે જર્મન ભાષાનું પ્રભુત્વ વિકસાવ્યું છે.

ઘણા લિખિત ફ્રેન્ચ શબ્દો પણ અંગ્રેજી ભાષાની બુદ્ધગ્રાહ્યતાથી સ્વીકારવામાં આવ્યા છે. (જોકે તેમનાં ઉચ્ચારણો ખૂબ જ અલગ છે.) કારણ કે અંગ્રેજી ભાષાએ નોર્માન અને ફ્રેન્ચ ભાષાનાં ઘણા શબ્દોનો પોતાનામાં સમાવેશ કર્યો છે. નોર્માનોની જીત બાદ આ શબ્દો એન્ગલો નોર્માન ભાષા મારફતે ઉતરી આવ્યા છે. ત્યારબાદની સદીઓમાં આ શબ્દો સીધા ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવ્યા છે. જેનાં પરિણામે અંગ્રેજી શબ્દભંડોળ પૈકીના મોટા ભાગનાં શબ્દો ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવ્યા છે. જોકે તેમના સ્પેલિંગમાં સાધારણ તફાવત જોવા મળે છે. (શબ્દોના અંત જૂની ફ્રેન્ચ ભાષાના સ્પેલિંગ સાથે કરવામાં આવે, વગેરે.) આ ઉપરાંત પ્રસંગોપાત કહેવાતા જૂઠ્ઠા મિત્રોને કારણે પણ બદલાવ જોવા મળે છે. (દા.ત. લાઇબ્રેરી, વિરુદ્ધ ફ્રેન્ચ શબ્દ લાઇબ્રેરાઇ, જેનો મતલબ છે પુસ્તકોની દુકાન) (ફ્રેન્ચ ભાષામાં લાઇબ્રેરી શબ્દનો મતલબ થાય છે ગ્રંથાગાર)

મોટાભાગના ફ્રેન્ચ લોનશબ્દોનું અંગ્રેજી ભાષામાં ઉચ્ચારણ ( મિરાજ નામના શબ્દ અથવા તો કુપ દ ઇટાત શબ્દસમૂહના અપવાદને બાદ કરતાં) સંપૂર્મપણે અંગ્રેજીકરણ થઇ જવા પામ્યું છે. અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે. ડેનિશ આક્રમણને કારણે તેના થોડા સમય પહેલા જ કેટલાક ઉત્તર જર્મની શબ્દો પણ અંગ્રેજીમાં આવ્યા (જુઓ ડેનલો); આ પ્રકારના શબ્દોમાં સ્કાય, વિન્ડો, એગ, અને ધે (અને તેનાં રૂપો) તેમજ આર, (ટુ બીનું હાલનુ બહુવચન)નો સમાવેશ થાય છે. 

આશરે 37.5 કરોડ લોકો અંગ્રેજીને તેમની પ્રથમ ભાષા તરીકે બોલે છે. મંદારિયન ચીની અને સ્પેનિશ ભાષાઓ બાદ આજે અંગ્રેજી જન્મની ભાષા તરીકે સંભવતઃ સૌથી વધુ બોલાતી ત્રીજા ક્રમની ભાષા છે. જોકે જન્મની ભાષા બોલનારા અને તે સિવાયના લોકોને સંયુક્ત રીતે ગણવામાં આવે તો સંભવતઃ તે વિશ્વમાં બોલાતી સૌથી સામાન્ય ભાષા છે. તેમ છતાં પણ ચીની ભાષાઓની સરખામણીએ તે બીજા ક્રમે આવે છે. (પરંતુ ભાષાઓ અને બોલીઓ વચ્ચેનો ફરક પાડ્યો છે કે નહીં તેના ઉપર આધાર રાખે છે). 

આ અંદાજોમાં બીજી કે ગૌણ ભાષા બોલનારા 47 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તેમની ભાષાની સાક્ષરતા અને નિપુણતાનો ક્યાસ કાઢીને તેને માપવામાં આવી છે. ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક ડેવિડ ક્રિસ્ટલે ગણતરી માંડી છે કે જેમના જન્મની ભાષા અંગ્રેજી નથી તેવા લોકોની સંખ્યા જન્મની ભાષા અંગ્રેજી છે તેવા લોકો કરતા સંખ્યામાં વધી ગયા છે અને તેમનો ગુણોત્તર 3માંથી 1નો છે.

જે દેશોમાં જન્મની ભાષા બોલનારા લોકોની સંખ્યા વધુ છે તેવા દેશોના નામ ઉતરતા ક્રમની સંખ્યા અનુસારઃ યુનાઇટેડ સ્ટેટ્સ (21.5 કરોડ), યુનાઇટેડ કિંગડમ (6.1 કરોડ), કેનેડા (1.82 કરોડ), ઓસ્ટ્રેલિયા (1.55 કરોડ), નાઇજિરિયા (40 લાખ), આયર્લેન્ડ (38 લાખ), દક્ષિણ આફ્રિકા (37 લાખ), ન્યૂ ઝિલેન્ડ (36 લાખ) વસતી ગણતરી 2006. દક્ષિણ આફ્રિકામાં જન્મની ભાષા બોલનારા લોકોની સંખ્યા દર્શાવવામાં આવી નથી. પરંતુ જે લોકો માત્ર અંગ્રેજી બોલે છે તે લોકોની સંખ્યા અંદાજે 30,08,058 અને કુલ 1,97,187 લોકોએ યોગ્ય જાણકારી આપી નથી તેવા લોકોને બાદ કરવામાં આવે તો અંગ્રેજી બોલનારા લોકોની કુલ સંખ્યા 36,73,623ની થશે. 

ફિલિપાઇન્સ, જમૈકા અને નાઇજિરિયા જેવા દેશોમાં પણ જન્મની ભાષા ડાયલેક્ટ કન્ટિન્યુઆ બોલનારા લોકોની સંખ્યા લાખોમાં છે. જેમાં અંગ્રેજી આધારિત ક્રિઓલ ભાષા બોલનારાથી માંડીને આધુનિક અંગ્રેજી સ્વરૂપ ધરાવનારી ભાષા બોલનારા લોકોનો સમાવેશ થાય છે. જે દેશોમાં અંગ્રેજી બીજી કે ગૌણ ભાષા તરીકે બોલાય છે તેવા દેશોમાં જોઇએ તો ભારતમાં આ ભાષા બોલનારા લોકો સૌથી વધુ છે કે જેઓ ('ભારતીય અંગ્રેજી') ભાષા બોલે છે. ક્રિસ્ટલનો એવો દાવો છે કે જન્મની ભાષા બોલનારા અને નહીં બોલનારા લોકોને સંયુક્ત રીતે ગણવામાં આવે તો વિશ્વમાં અંગ્રેજી બોલતા હોય અને સમજી શકતા હોય તેવા લોકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.

એન્ગ્વિલા, એન્ટિગુઆ અને બાર્બુડામાં અંગ્રેજી પ્રાથમિક ભાષા છે. ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલિયાઇ અંગ્રેજી), બાહમાસ, બાર્બાડોસ, બેલાઇઝ (બેલિઝિયન ક્રિઓલ), બર્મુડા, બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી, બ્રિટિશ વર્જિન ટાપુઓ, કેનેડા (કેનેડિયન અંગ્રેજી), કેમેન ટાપુઓ, ફાકલેન્ડ ટાપુઓ, જિબ્રાલ્ટાર, ગ્રેનાડા, ગુઆમ, ગર્નસી, (ચેનલ આઇલેન્ડ અંગ્રેજી), ગયાના આયર્લેન્ડ, (હાઇબેર્નો-અંગ્રેજી), આઇસત ઓફ મેન (મેન્ક્સ અંગ્રેજી), જમૈકા (જમૈકન અંગ્રેજી), જર્સી, મોન્સ્ટેરાટ, (નૌરુ), ન્યૂ ઝિલેન્ડ (ન્યૂઝિલેન્ડ અંગ્રેજી), પિટકેરિયન ટાપુઓ, સેઇન્ટ હેલેના, સેઇન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેઇન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડાઇન્સ, સિંગાપુર, દક્ષિણ જ્યોર્જિયા અને દક્ષિણ સેન્ડવિચ ટાપુઓ, ટ્રિનિદાદ અને ટોબાગો, તુર્ક્સ અને કાઇકોસ ટાપુઓ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ.

ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, ફિજી, ગામ્બિયા, ઘાના, ભારત, કેન્યા, કિરિબાતી, લેસોથો, લાઇબેરિયા, મેડાગાસ્કર, માલ્ટા, માર્શલ ટાપુઓ, મોરેશિયાસ નામિબિયા, નાઇજિરિયા, પાકિસ્તાન, પલાઉ, પાપુઆ, ન્યૂ ગયાના, ફિલિપાઇન્સ (ફિલિપાઇન અંગ્રેજી), રવાન્ડા, સેઇન્ટ લ્યુસિયા, સામોઆ, સિશિલિસ, સિએરા લેઓન, સોલોમન ટાપુઓ, શ્રીલંકા, સુદાન, સ્વાઝિલલેન્ડ, તાન્ઝાનિયા, યુગાન્ડા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે. 

આ એવી 11 અધિકૃત ભાષાઓ પૈકીની એક છે કે જેને દક્ષિણ આફ્રિકામાં સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. (દક્ષિણ આફ્રિકી અંગ્રેજી) ઓસ્ટ્રેલિયાના હાલના આનુસંગિક પ્રાંતોમાં પણ અંગ્રેજીને અધિકૃત ભાષા તરીકે માનવામાં આવી છે.(નોરફોક ટાપુ, ક્રિસમસ ટાપુ અને કોકોસ ટાપુ) અને યુનાઇટેડ સ્ટેટ્સમાં (અમેરિકન સામોઆ, ગુઆમ, ઉત્તર મારિયાના ટાપુઓ, પ્યુઅર્ટો રિકો અને યુએસ વર્જિન ટાપુઓ). અને હોંગકોંગની જૂની બ્રિટિશ વસાહત. (વધુ માહિતી માટે જુઓ જે દેશોમાં અંગ્રેજી અધિકૃત ભાષા તરીકે ગણવામાં આવે છે તેની યાદી)

યુનાઇટેડ સ્ટેટ્સ કે યુનાઇટેડ કિંગડમમાં અંગ્રેજી અધિકૃત ભાષા નથી. યુએસની સરકારમાં કોઇ જ અધિકૃત ભાષા ન હોવાને કારણે 50 રાજ્યોની સરકારો પૈકી 30 રાજ્યોની સરકારે અંગ્રેજીને અધિકૃત ભાષાનો દરજ્જો આપ્યો છે. અધિકૃત ભાષાનો દરજ્જો મળ્યો ન હોવા છતાં પણ યુનાઇટેડ કિંગડમની કેટલીક જૂની વસાહતો અને તેના દ્વારા રક્ષિત રાષ્ટ્રો જેવા કે બહેરિન, બ્રુનેઇ, બાંગ્લાદેશ, મલેશિયા અને યુનાઇટેડ આરબ અમિરાતમાં અંગ્રેજી મહત્વની ભાષા ગણાય છે. અંગ્રેજીને ઇઝરાયેલની ડિ જ્યુર અધિકૃત ભાષા ગણવામાં આવતી નથી. જોકે આ ભાષાએ અધિકૃત ભાષાનો ઉપયોગ યથાવત રાખ્યો છે. ડિ ફેક્ટો બ્રિટિશ ચૂકાદાથી ચાલતી આવતી અંગ્રેજીની ભૂમિકા.

અંગ્રેજી બહોળા પ્રમાણમાં બોલાતી હોવાને કારણે ઘણી વખત તેને વિશ્વ ભાષા તરીકે સંબોધવામાં આવે છે. જેને આધુનિક જમાનાની લિન્ગ્વા ફ્રાન્કા ગણી શકાય. મોટાભાગના દેશોમાં અંગ્રેજીને અધિકૃત ભાષા ગણવામાં ન આવતી હોવાથી હાલમાં તે એવી ભાષા છે કે જેને સમગ્ર વિશ્વમાં વિદેશી ભાષા તરીકે શીખવવામાં આવે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ (જેવા કે ડેવિડ ગ્રેડોલ)નું માનવું છે કે આ ભાષા જન્મની અંગ્રેજી બોલનારા લોકોની સાંસ્કૃતિક સંપત્તિ નથી. પરંતુ જેમ જેમ આ ભાષા વિકાસ પામી તેમ તેમ તેણે વિશ્વભરની સંસ્કૃતિને તેનામાં સમાવી છે. આંતરરાષ્ટ્રીય સંધિ અનુસાર તેને હવાઇ અને દરિયાઇ સંચાર માધ્યમ માટેની અધિકૃત ભાષા ગણવામાં આવે છે. અંગ્રેજી સંયુક્ત રાષ્ટ્રસંઘની અધિકૃત ભાષા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સહિતના ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોની તે અધિકૃત ભાષા છે.

યુરોપીય દેશોમાં અંગ્રેજી સૌથી વધુ વિદેશી ભાષા તરીકે ભણવામાં આવે છે. (89 ટકા શાળાનાં બાળકો), ત્યારબાદ ફ્રેન્ચ (32 ટકા), જર્મન (18 ટકા), સ્પેનિશ (8 ટકા) અને રિશયન ભણવામાં આવે છે; જ્યારે યુરોપમાં વિદેશી ભાષાની ઉપયોગિતામાં જોઇએ તો 68 ટકા અંગ્રેજી, 25 ટકા ફ્રેન્ચ, 22 ટકા જર્મન અને 16 ટકા સ્પેનિશનો ઉપયોગ થાય છે. અંગ્રેજી નહીં બોલનારા યુરોપીય દેશોમાં ટકાવારીની દૃષ્ટિએ મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાતચીત કરી શકે છે. (નોંધનીય છે કે ટકાવારી વયસ્ક લોકોની વસતીમાંથી લીધી છે કે જેમની ઉંમર 15 વર્ષ કે તેથી વધુની છે.)
સ્વિડનમાં (85 ટકા), ડેનમાર્કમાં (83 ટકા), નેધરલેન્ડમાં (79 ટકા), લક્ઝેમ્બર્ગમાં (66 ટકા), ફિનલેન્ડમાં (60 ટકા), સ્લોવેનિયામાં (56 ટકા), ઓસ્ટ્રિયામાં (53 ટકા), બેલ્જિયમમાં (52 ટકા) અને જર્મનીમાં (51 ટકા).

અંગ્રેજી ભાષામાં છપાતાં પુસ્તકો, સામાયિકો અને અખબારો વિશ્વના ઘણા દેશોમાં મળે છે. વિજ્ઞાનમાં પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ ખૂબ જ સહજતાથી થાય છે. વર્ષ 1997માં સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સે નોંધ્યું હતું કે વિજ્ઞાનને લગતા 95 ટકા લેખો અંગ્રેજી ભાષામાં લખાયા હતા. જે પૈકીના અંગ્રેજી ભાષા બોલનારા દેશોના લેખકોના લેખો માત્ર અડધી માત્રામાં જ હતા.

અંગ્રેજી ભાષા નવી વૈશ્વિક લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ હોવાને કારણે તેણે બીજી ભાષાઓ ઉપર વિપરીત અસર કરવાની શરૂ કરી છે. લાંબે ગાળે તે ભાષામાં બદલાવ આણે છે તો કેટલીક વખત નબળી ભાષાને ખતમ પણ કરી નાખે છે. આ કારણોસર જ ભાષાશાસ્ત્રીઓએ તેને અંગ્રેજી ભાષાનો સામ્રાજ્યવાદ નામનો પારિભાષિક શબ્દ આપ્યો છે.

બ્રિટિશ રાજનાં વિસ્તરણથી લઇને બીજાં વિશ્વ યુદ્ધ સુધી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રભુત્વએ અંગ્રેજીનોપ્રસાર સમગ્ર વિશ્વમાં કર્યો. વિશ્વવ્યાપકતાને કારણે અંગ્રેજી ભાષાએ ઘણી અંગ્રેજી બોલીઓ અને અંગ્રેજી આધારિત ક્રિઓલ ભાષાઓ તેમજ પિડજિન્સ વિકસાવી 

અંગ્રેજીની બે શિક્ષિત બોલીઓને સમગ્ર વિશ્વસ્તરે બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડ્યો- એક હતી દક્ષિણ બ્રિટિશની શિક્ષિત ભાષા અને બીજી હતી શિક્ષિત મધ્યપશ્ચિમી અમેરિકન ભૂતપૂર્વ ભાષાને કેટલીક વખત બીબીસી (અથવા તો રાણીની) અંગ્રેજી ભાષા કહેવામાં આવતી. આ ભાષા કદાચ તેના અધિકૃત ઉચ્ચારણોને કારણે ધ્યાનાકર્ષક બની હશે. આ ભાષા કેમ્બ્રિજ પ્રતિકૃતિના નમૂનારૂપ છે. યુરોપ, આફ્રિકા અને ભારતીય ઉપખંડોમાં અન્ય ભાષા બોલનારા લોકોને અંગ્રેજી શીખવવા માટે તેનું ધોરણ ઉત્તમ ગણવામાં આવે છે. ઉપરાંત બ્રિટિશ કોમનવેલ્થ દ્વારા પ્રભાવિત કે પછી યુએસ સાથે પોતાની જાતને ન સરખાવવા ઇચ્છતા રાષ્ટ્રો પણ આ ધોરણને માન્ય રાખે છે. 

પાછળથી અસ્તિત્વમાં આવેલી જનરલ અમેરિકન બોલી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં બહોળા પ્રમાણમાં ફેલાયેલી છે. આ અમેરિકી ઉપખંડ અને તેના વિસ્તારો (જેવાકે ફિલિપાઇન્સ)ની પ્રતિકૃતિ છે. આ પ્રકારના દેશોને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ગાઢ સંબંધ છે અથવા તો તેઓ તે દેશ સાથે સરખાવવા ઇચ્છે છે. આ બે મહત્વની બોલીઓ ઉપરાંત અંગ્રેજીમાં સંખ્યાબંધ વિવિધ પ્રકારની બોલીઓ અસ્તિત્વમાં છે. જેમાં ઘણા કિસ્સાઓમાં પેટાબોલીઓ જેવી કે બ્રિટિશ અંગ્રેજીમાં; કોકની, સ્કાઉસ અને જ્યોર્ડીનો સમાવેશ થાય છે. કેનેડિયન અંગ્રેજીમાં; ન્યૂફાઉન્ડલેન્ડ અંગ્રેજી અને આફ્રિકન અમેરિકન સ્થાનિક અંગ્રેજીમાં (ઇબોનિક્સ) તેમજ અમેરિકન અંગ્રેજીમાં દક્ષિણ અમેરિકી અંગ્રેજીનો સમાવેશ થાય છે. અંગ્રેજી અનેકત્વ ધરાવનારી ભાષા છે. તેની કોઇ મધ્ય કે સત્તાધિશ ભાષા નથી જેવી રીતે ફ્રાન્સમાં એકેડેમી ફ્રાન્કાઇસ છે તેમ અંગ્રેજીમાં કંઇ જ નથી; એટલા માટે જ કોઇ એક પ્રકારની અંગ્રેજી ભાષાને સાચી કે ખોટી ગણવામાં નથી આવતી. સિવાયકે એવો કોઇ એક ચોક્કસ વર્ગ કે જે ભાષા થકી દોરવાતો હોય.




#Article 115: અમદાવાદ જિલ્લો (150 words)


અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૧૪,૨૨૫ છે.

અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.

અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.




#Article 116: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (7151 words)


યુનાઇટેડ સ્ટેટ્સ, (યુએસએ) સંયુક્ત રાજ્ય અમેરિકા કે અમેરિકા તરીકે સામાન્યપણે સંદર્ભમાં લેવાતું ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પચાસ રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું સંઘીય (ફેડેરલ) બંધારણીય પ્રજાસત્તાક છે.દેશ મુખ્યત્વે મધ્ય ઉત્તર અમેરિકામાં આવેલો છે, જ્યાં તેના 48 સમીપ-વર્તી રાજ્યો અને પાટનગર જિલ્લો વોશિંગ્ટન, ડી.સી. પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલા છે, જેમની ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદો છે. અલાસ્કાનું રાજ્ય ખંડની ઉત્તર-પશ્ચિમે આવેલું છે અને તેની પૂર્વમાં કેનેડા અને પશ્ચિમમાં બેરિંગની સામુદ્રધુનીની પેલે પાર રશિયા આવેલું છે. હવાઈનું રાજ્ય પ્રશાંતના મધ્યમાં આવેલો દ્વીપસમૂહ છે.દેશ કેરિબીયનમાં અને પ્રશાંતમાં કેટલાક પ્રદેશો અથવા ઇન્સ્યુલર ક્ષેત્રો પણ ધરાવે છે.

અંદાજે 30.5 કરોડની વસતી સાથે 37.9 કરોડ ચોરસ માઇલ (98.3 લાખ ચોરસ કિલોમીટર) વિસ્તાર ધરાવતું ધી યુનાઇટેટ સ્ટેટ્સ કુલ વિસ્તાર પ્રમાણે ત્રીજા કે ચોથા ક્રમનો સૌથી મોટો અને જમીન ક્ષેત્ર તથા વસતી પ્રમાણે ત્રીજો સૌથી મોટો દેશ છે.ધી યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના સૌથી વધારે વંશીય રીતે વૈવિધ્યપૂર્ણ અને બહુસાંસ્કૃતિક રાષ્ટ્રો પૈકીનો એક છે અને ઘણા દેશોમાંથી કાયમી વસવાટ માટે મોટા પાયે સ્થળાંતર કરનારા લોકોનો બનેલો છે. અમેરિકી અર્થતંત્ર 2008માં અંદાજે 1430 અબજ યુએસ $ ()(નોમિનલ જીડીપીના આધારે વિશ્વના કુલ જીડીપીના 23 ટકા અને સમતુલ્ય ખરીદ શક્તિએ લગભગ 23 ટકા)ના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે.

આ દેશની સ્થાપના એટલાન્ટિકના કાંઠે આવેલા ગ્રેટ બ્રિટનના 13 સંસ્થાનોએ કરી હતી. 4 જુલાઈ, 1776માં તેમણે સ્વતંત્રતાનું જાહેરનામું કર્યું હતું, જેણે ગ્રેટ યુનાઇટેડ કિંગડમથી અલગ પડીને તેમની સ્વતંત્રતાની અને એક સહકારયુક્ત સંઘની રચનાની જાહેરાત કરી હતી.બળવાખોર રાજ્યોએ સ્વતંત્રતાના પ્રથમ સફળ સંસ્થાનવાદી યુદ્ધ, અમેરિકી ક્રાન્તિ યુદ્ધમાં ગ્રેટ બ્રિટનને હાર આપી હતી.ફિલાડેલ્ફીયા સંમેલને 17 સપ્ટેમ્બર, 1787એ હાલના યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને અપનાવ્યું હતું, ત્યાર પછીના વર્ષે તેને બહાલી મળતાં રાજ્યો એક મજબૂત કેન્દ્રીય સરકાર સાથે એક પ્રજાસત્તાકના ભાગ બન્યા હતા.1791માં બહાલી આપવામાં આવેલા દસ બંધારણીય સુધારા ધરાવતા હક પત્રકે ઘણા બધા બૂનિયાદી નાગરિક અધિકારો અને મુક્તિઓની ખાત્રી આપી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકનો નિર્દેશ કરવાનો સ્વીકૃત માર્ગ અમેરિકી તરીકે સંબોધવાનો છે. યુનાઇટેડ સ્ટેટ્સ સત્તાવાર વિશેષણ છે, તેમ છતાં અમેરિકી અને યુ.એસ. દેશનો નિર્દેશ કરવા માટે વપરાતા સૌથી સામાન્ય વિશેષણો છે. (અમેરિકી મૂલ્યો, યુ.એસ. દળો).યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલા ના હોય તેવા લોકો માટે અંગ્રેજીમાં ભાગ્યે જ અમેરિકી શબ્દ વપરાય છે.યુનાઇટેડ સ્ટેટ્સ શબ્દ-સમૂહ મૂળે બહુવચન ગણાતો હતો, દા.ત. 1885માં બહાલી પામેલા યુનાઇટેડ સ્ટેટસના બંધારણમાં તેરમો સુધારો ()માં સમાવિષ્ટ ધી યુનાઇટેડ સ્ટેટ્સ આરઆંતર વિગ્રહના અંત પછી તેને એકવચન ગણવાનું સામાન્ય બન્યું, દા.ત. ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝએકવચન રુપ હવે સ્વીકૃત છે, બહુવચન રુપ ધીસ યુનાઇટ્ડ સ્ટેટ્સ રુઢીપ્રયોગમાં જળવાયું છે.

સમીપ-વર્તી યુનાઇટેડ સ્ટેટ્સ નો કુલ જમીન વિસ્તાર અંદાજે 1.9 અબજ એકર છે.કેનેડા દ્વારા સમીપ-વર્તી યુનાઇટેડ સ્ટેટ્સથી છુટું પડતું અલાસ્કા 36.5 લાખ એકર વિસ્તાર ધરાવતું સૌથી મોટું રાજ્ય છે.ઉત્તર અમેરિકાની દક્ષિણપશ્ચિમે મધ્ય પ્રશાંતમાં દ્વિપ-સમૂહ હવાઈ માત્ર 40 લાખ એકર વિસ્તાર ધરાવે છે.રશિયા અને કેનેડા પછી યુનાઇટેડ સ્ટેટ્સ કુલ વિસ્તારની રીતે વિશ્વનું ત્રીજુ કે ચોથુ સૌથી મોટું રાષ્ટ્ર () છે અને ક્રમ નિર્ધારણમાં ચીન ()થી સહેજ ઉપર અથવા નીચે છે.ચીન અને ભારત () દ્વારા વિવાદીત પ્રદેશોની કઈ રીતે ગણતરી થાય છે અને યુનાઇટેડ સ્ટેટ્સનું કુલ કદ કઈ રીતે ગણાય છે તેના આધારે ક્રમ નિર્ધારણ બદલાય છે. સીઆઈએ વર્લ્ડ ફેક્ટ બુક 3,794,083 ચો.મી. (9,826,630 ચોરસ કિમી), ધી યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન 3,717,813 ચો.મી. (9,629,091 ચો.મી.), અને એનસાઇક્લોપીડીયા બ્રિટાનિકા 3,676,486 ચો.મી. (9,522,055 ચો.મી.) દર્શાવે છે.માત્ર જમીનના વિસ્તારનો જ સમાવેશ કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ કદમાં રશિયા અન ચીન પછી ત્રીજા ક્રમે છે અને કેનેડાથી સહેજ આગળ છે.

એટલાન્ટિક દરિયાકાંઠાના પ્રદેશમાં અંદરની બાજુ પાનખરનાજંગલો અને પીડમોન્ટ ની પર્વતમાળા આવેલી છે.અપલેચીયન પર્વતો પૂર્વીય સાગરકાંઠાના પ્રદેશને મહાન સરોવરો અને મધ્યપશ્ચિમ ()ના ઘાસના મેદાનોથી અલગ પાડે છે. દુનિયાની ચોથા ક્રમની સૌથી મોટી નદી વ્યવસ્થામિસિસિપી-મિસૂરી મુખ્યત્વે ઉત્તરથી દક્ષિણ તરફ દેશના મધ્યભાગમાં થઈને વહે છે. મહાન મેદાનો ના સપાટ, ફળદ્રુપ ઘાસના મેદાનો, પ્રેઇરી, પશ્ચિમ સુધી લંબાય છે, જે દક્ષિણપૂર્વમાં એક ઉચ્ચપ્રદેશ થી ખંડીત થાય છે.મહાન મેદાનોની પશ્ચિમી ધારે આવેલી રોકી પર્વતમાળા ઉત્તરથી પશ્ચિમ સુધી સમગ્ર દેશમાં પથરાયેલી છે, જે કોલોરાડો માં 14,000 ફુટ (4300 મીટર)થી પણ વધારે ઊંચાઇએ પહોંચે છે.એની પશ્ચિમે ખડકાળ મહાન બેસન () અને મોહાવી જેવા રણો આવેલા છે.સીયેર નવાડા અને કેસ્કેઇડ પર્વતમાળાઓ પ્રશાંત કાંઠા ની નજીક આવેલી છે.20,320 ફુટે (6,194 મી) અલાસ્કાનો પર્વત મકિન્લી દેશનું સૌથી ઊંચુ શિખર ધરાવે છે. અલાસ્કાના એલેક્ઝાન્ડર () અને આલુશન ટાપુઓ માં સક્રિય જ્વાળામુખી આવેલા છે, જ્યારે હવાઈના કેટલાક ટાપુઓ જ્વાળામુખીના બનેલા છે.રોકી પર્વતમાળામાં યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનહેઠળનો મહાજ્વાળામુખી સમગ્ર ખંડના મોટામાં મોટા જ્વાળામુખી લક્ષણો ધરાવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ તેના વિશાળ કદ અને ભૌગોલિક વૈવિધ્ય સાથે મોટા ભાગના આબોહવા પ્રકારો ધરાવે છે.100 રેખાંશ ની પૂર્વમાં આબોહવા ઉત્તરમાં આદ્ર ખંડીય થી દક્ષિણમાં આદ્ર પેટાઉષ્ણપ્રદેશીય પ્રકારની છે.ફ્લોરિડાનો દક્ષિણ છેડો ઉષ્ણપ્રદેશીય છે, એ જ રીતે હવાઈ પણ.100 રેખાંશની પશ્ચિમે આવેલા મહાન મેદાનો અર્ધ-સૂકા છે.મોટા ભાગના પશ્ચિમી પર્વતો આલ્પાઇન છે. મહાન બેસનમાં આબોહવા સૂકી,દક્ષિણપશ્ચિમમાં રણ પ્રકારની, તટવર્તી કેલિફોર્નીયા માં ભૂમધ્ય પ્રકાર ની અને તટવર્તી ઓરેગોન, વોશિંગ્ટન અને દક્ષિણ અલાસ્કામાં સામૂદ્રીક છે.અલાસ્કાનો મોટો ભાગ ધ્રુવ પ્રદેશીય કે પેટાઆર્કટિક છે.અત્યંત વિષમ આબોહવા અસામાન્ય નથી - મેક્સિકોની ખાડી ની સરહદે આવેલા રાજ્યો હરીકેનનો ભોગ બને છે અને દુનિયાનો મોટા ભાગનો ટોર્નેડો દેશમાં ફુંકાય છે, ખાસ કરીને મધ્યપશ્ચિમના ટોર્નેડો વિસ્તારમાં .

અમેરિકાનું પર્યાવરણ અત્યંત વૈવિધ્યપુર્ણ છે. સમીપ-વર્તી અમેરિકી રાજ્યો અને અલાસ્કામાં અંદાજે 17,000 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ()ની પ્રજાતિઓ છે અને હવાઈમાં બારમાસી વનસ્પતિઓ ()ની 1800 કરતા વધારે પ્રજાતિઓ આવેલી છે, જેમાંની કેટલીક મુખ્યભૂમિમાં આવેલી છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં 400 કરતા વધારે સસ્તન પ્રાણીઓ, 750 પક્ષીઓ અને 500 સરિશૃપો અને ઉભયજીવી પ્રજાતિઓ વસે છે.લગભગ 91,000 કીટ પ્રજાતિઓ વર્ણવવામાં આવી છે.1973નો જોખમમાં મુકાયેલી પ્રજાતિ ધારો ()જેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે તેવી પ્રજાતિઓ અને તેમના નિવાસસ્થાનોની સુરક્ષા કરે છે, જેની ઉપર યુનાઇટેડ સ્ટેટ્સ મત્સ્ય અને વન્ય જીવન સેવા () ચાંપતી દેખરેખ રાખે છે.58 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને અન્ય સંઘીય રીતે સંચાલિત થતા અન્ય સેંકડો ઉદ્યાનો, જંગલો અને વાઇલ્ડરનેસ વિસ્તારો છે.બધી મળીને દેશના જમીન વિસ્તારની 28.8 ટકા જમીન સરકારની માલિકીની છે.આમાંની મોટા ભાગની સંરક્ષિત () છે, તેમ છતાં કેટલીક તેલ અને ગેસ સારકામ, ખાણકામ, વૃક્ષ કટાઈ કે ઘેટા બકરા ઉછેર માટે ભાડા પટ્ટા પર આપવામાં આવી છે, 2.4 ટકા જમીન લશ્કરી ઉપયોગ માટે વપરાય છે.

અલાસ્કાના વતની સહિતના અમેરિકાની મુખ્યભૂમિના મૂળ નિવાસીઓ એશિયામાંથી સ્થળાંતર કરીને () આવ્યા હતા.તેઓ ઓછામાં ઓછા 12,000 અને વધુમાં વધુ 40,000 વર્ષો પહેલાં આવવા માંડ્યા હતા.એમાંના પૂર્વ-કોલમ્બીયાઈ () મિસિસિપી સંસ્કૃતિ ()ના લોકોએ કૃષિ, ભવ્ય સ્થાપત્ય અને રાજ્યકક્ષાના સમાજો વિકસાવ્યા હતા.અમેરિકામાં યુરોપિયનોએ વસવાટ કરવાનું શરુ કર્યું ત્યાર બાદ  () પામ્યા હતા.

વિલિયમ હેલસોલની ધી મેફ્લાવર ઇન પ્લાઇમાઉથ હાર્બર, 1882માં વર્ણવ્યા પ્રમાણે, 1620માં નવી દુનિયામાં 

જહોન ટ્રંબુલ () દ્વારા 
અમેરિકી સંસ્થાનવાસીઓ અને બ્રિટન વચ્ચે 1760થી 1770ની શરુઆતના ક્રાન્તિકારી સમયગાળા () દરમિયાન થયેલા તનાવને કારણે અમેરિકી ક્રાન્તિકારી યુદ્ધ () શરુ થયું હતું, જે 1775થી 1781 સુધી લડાયું હતું.14 જુન, 1775એ ફિલાડેલ્ફીયા ()માં મળેલી ખંડીય કોંગ્રેસે () જ્યોર્જ વોશિંગ્ટન ()ની આગેવાની હેઠળ ખંડીય લશ્કર ()ના સ્થાપના કરી હતી.તમામ માણસો સમાન છે () અને ચોક્કસ મૂળભૂત હકો () ધરાવે છે, તેવી જાહેરાત સાથે કોંગ્રેસે સ્વતંત્રતાની ઘોષણા ()ને 4 જુલાઈ, 1776માં બહાલી આપી હતી, જેનો મુસદ્દો મહદઅંશે થોમસ જેફરસને () ઘડ્યો હતો.આ તારીખે હવે દર વર્ષે અમેરિકાના સ્વતંત્રતા દિન ()ની ઉજવણી થાય છે.1777માં, મહાસંઘના અનુચ્છેદો ()ના આઘારે એક નબળી સંઘીય સરકારની સ્થાપના થઈ, જે 1789 સુધી કાર્યાન્વિત રહી હતી.

ફ્રાન્સની મદદથી () અમેરિકી દળોએ બ્રિટનને હરાવ્યા () પછી ગ્રેટ બ્રિટને યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતા () અને મિસિસિપી નદી ()ની પશ્ચિમ સુધીના અમેરિકી વિસ્તાર પરના રાજ્યોના સાર્વભૌમત્વ ()ને સ્વીકાર્યું હતું.કરવેરાની સત્તાઓ સાથેની મજબૂત રાષ્ટ્રીય સરકાર સ્થાપવા માગતા લોકોએ 1787માં બંધારણીય સંમેલન () બોલાવ્યું હતું.યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણ ()ને 1788માં બહાલી આપવામાં આવી હતી અને નવા પ્રજાસત્તાકની પ્રથમ સેનેટ પ્રતિનિધિગૃહ () અને પ્રમુખ () જ્યોર્જ વોશિંગ્ટને 1789માં કાર્યભાર સંભાળ્યો હતો.વ્યક્તિગત આઝાદીઓના સંઘીય અંકુશોને નકારતો અને અસંખ્ય કાનૂની રક્ષણો પ્રદાન કરતો હકોનો ખરડો ()1791માં પસાર થયો હતો.

ગુલામી () તરફના અભિગમો બદલાઈ રહ્યા હતા, બંધારણના એક અનુચ્છેદે ()આફ્રિકી ગુલામી વેપારને માત્ર 1808 સુધી જ સંરક્ષિત કર્યો હતો.17890થી 1804ના ગાળામાં ઉત્તરના રાજ્યોએ ગુલામી નાબૂદ કરી હતી. દક્ષિણના ગુલામ રાજ્યો () આ વિશિષ્ટ સંસ્થા ()ના બચાવકાર તરીકે રહ્યા.લગભગ 1800માં શરુ થયેલી બીજી મહાન જાગૃતિ ()એ ઇસુના શુભસંદેશના વાદ ()ને જન્મ આપ્યો, જેને કારણે ગુલામી પ્રથાની નાબૂદી () સહિતની વિવિધ સામાજિક સુધારણા ()ની ચળવળો શરુ થઈ.

પશ્ચિમમાં આગળ વિસ્તરણ () કરવાની અમેરિકીઓની ઇચ્છાને કારણે ઇન્ડિયન યુદ્ધો ()ની લાંબી શૃંખલા ચાલી અને બની ઇન્ડિયન હટાવવાની () નીતિ, જેણે મૂળ વતનીઓનો જમીનનો અધિકાર છીનવી લીધો1803માં પ્રમુખ થોમસ જેફરસનના શાસનમાં ફ્રાન્સના દાવાવાળા વિસ્તારની લુઇસીયાના ખરીદી ()એ દેશના કદને લગભગ બમણું કરી દીધું.વિવિધ તકલીફો અંગે બ્રિટન સામે ઘોષિત થયેલા 1812ના યુદ્ધ ()નું કોઈ પરીણામ આવ્યું નહીં, પરંતુ તેનાથી અમેરિકાનો રાષ્ટ્રવાદ () મજબૂત બન્યો.ફ્લોરિડામાં શ્રેણીબદ્ધ અમેરિકી લશકરી કાર્યવાહીને પરીણામે સ્પેને તેને અને અન્ય ખાડી કાંઠાના વિસ્તારને 1819માં સોંપી દીધો ().યુનાઇટેડ સ્ટેટ્સે 1845માં ટેક્સાસ પ્રજાસત્તાક ()નું વિલનીકરણ કર્યું.આ ગાળામાં મેનિફેસ્ટ ડેસ્ટિની ()નો વિચર લોકપ્રિય થયો હતો.1846માં બ્રિટન સાથે ઓરેગોન સંધિ ()ને કારણે યુ.એસ. વર્તમાન અમેરિકી ઉત્તરપશ્ચિમ () ક્ષેત્ર પર અંકુશ જમાવી શક્યું હતું. મેક્સિકો-અમેરિકી યુદ્ધ ()માં અમેરિકાના વિજયને પરીણામે 1848માં કેલિફોર્નીયા ()ની સોંપણી () થઈ અને હાલનો દક્ષિણપશ્ચિમ () ક્ષેત્ર બન્યો. 1848-49માં કેલિફોર્નીયાની સોનાની દોટે () પશ્ચિમમાં હિજરતને ઉત્તેજન આપ્યું હતું.નવી રેલવે ()એ વસાહતીઓનો પુનર્વસવાટ સરળ બનાવ્યો અને અમેરિકી મૂળ વતનીઓ સાથે સંઘર્ષ વધાર્યો હતો. અડધી સદી દરમિયાન ચામડા-માંસ માટે તેમ જ રેલવે ઝડપથી નાંખવા માટે 4 કરોડ અમેરિકી બિસન () કે પાડાની કતલ કરવામાં આવી હતી.મેદાની ઇન્ડિયન્સ () માટે પ્રાથમિક સ્રોત જેવા બિસન ખતમ થવાથી મૂળ વતનીઓનીસંસ્કૃતિ પર આકરો પ્રહાર પડ્યો હતો.

રાજ્ય અને સંઘ સરકાર () વચ્ચેના સંબંધો અંગે થતી દલીલોથી તેમ જ નવા રાજ્યોમાં ગુલામીના પ્રસાર પર થતી હિંસક અથડામણો ()થી ગુલામ રાજ્યો અને મુક્ત રાજ્યો () વચ્ચે તનાવ () વધવા માંડ્યો હતો.વ્યાપક રીતે ગુલામ-વિરોધી રીપબ્લિકન પક્ષ ()ના ઉમેદવાર અબ્રાહમ લિંકન () 1860માં પ્રમુખ તરીકે ચુંટાયા હતા.તેમણે કાર્યભાર સંભાળ્યો તે પહેલાં સાત ગુલામ રાજ્યોએ અલગ પડવાની () ઘોષણા કરીને કોન્ફડરેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા ()ની સ્થાપના કરી, તેમની ઘોષણાને સંઘ સરકારે ગેરકાનૂની ગણાવી.ફોર્ટ સુમ્ટર પર કોન્ફડરેટના હુમલા () સાથે અમેરિકી આંતરવિગ્રહ ()નો પ્રારંભ થયો અને ચાર વધુ ગુલામ રાજ્યો કોન્ફડરેસીમાં જોડાયા.લિંકનના મુક્તિ જાહેરનામા ()એ સંઘ ()ને ગુલામીનો અંત લાવવા પ્રતિબદ્ધ બનાવ્યું.1865માં સંઘના વિજયના પગલે યુ.એસ. બંધારણમાં ત્રણ સુધારા સાથે ગુલામ રખાયેલા લગભગ 40 લાખ આફ્રિકી અમેરિકી ()ઓને આઝાદીની ખાત્રી () પૂરી પાડવામાં આવી, તેમને નાગરિક બનાવવામાં આવ્યા () અને મતદાનના અધિકારો આપવામાં આવ્યા ().યુદ્ધ અને તેના નિવારણે સંઘની સત્તા ()માં નોંધપાત્ર વધારો કર્યો.

યુદ્ધ પછી લિંકનની હત્યા ()એ ઉદ્દામ બનાવેલી રીપબ્લિકનો ()ની પુનઃનિર્માણ ()ની નીતિઓએ દક્ષિણી રાજ્યોને ફરીથી એકીકૃત કરવાના અને તેમનું પુનઃનિર્માણ કરવાના ઉદ્દેશ નવા મુક્ત થયેલા ગુલામોના અધિકારો માટે ખાત્રી પુરી પાડી.1877ના સમાધાન ()થી 1876ની વિવાદીત પ્રમુખીય ચુંટણી ()ના નિરાકરણને કારણે પુનઃનિર્માણનો અંત આવ્યો, જિમ ક્રો કાયદા ()ઓએ તુરત જ ઘણા આફ્રિકી અમેરિકીઓના મતાધિકારને છીનવીલીધો ().ઉત્તરમાં, શહેરીકરણ અને દક્ષિણ () તેમ જ પૂર્વ યુરોપ ()માંથી આવી રહેલા આધિવાસીઓના અભૂતપૂર્વ પ્રવાહે () દેશના ઔદ્યોગિકરણ ()ને ઝડપી બનાવ્યું.આધિવાસનું મોજુ 1929 સુધી ટક્યું અને તેણે શ્રમ પૂરો પાડ્યો અને અમેરિકી સંસ્કૃતિમાં પરિવર્તન આણ્યું.આયાત-નિકાસની ચીજો પરની ઊંચી જકાતો, રાષ્ટ્રીય માળખકાકીય સવલતોનું નિર્માણ અને નવા બેન્કિંગ નિયમનોએ વૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું.1867માં રશિયા પાસેથી અલાસ્કાની ખરીદી ()એ દેશના મુખ્યભૂમિ વિસ્તરણને પૂર્ણ કર્યું.1890નો વુન્ડેડ ની હત્યાકાંડ () ઇન્ડિયન યુદ્ધો ()માં છેલ્લો મોટો સશસ્ત્ર સંઘર્ષ હતો. 1893માં, હવાઈના પ્રશાંત સામ્રાજ્ય ()ની મૂળ નિવાસી રાજાશાહી ()ને અમેરિકી નિવાસીઓના બળવાએ ઉથલાવી પાડી અને યુનાઇટેડ સ્ટેટ્સે 1898માં દ્વિપસમૂહને વિલીન કર્યું. એ જ વર્ષે સ્પેન-અમેરિકી યુદ્ધ ()માં વિજયે દર્શાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વસત્તા () છે અને પ્વેર્ટો રિકો, ગ્વામ અને ફિલિપાઇન્સ ()નું વિલીનીકરણ થયું.અડધી સદી પછી ફિલિપાઇન્સે આઝાદી મેળવી, જ્યારે પ્વેર્ટો રિકો અને ગ્વામ યુ.એસ. વિસ્તારો તરીકે રહ્યા.

બીજા વિશ્વયુદ્ધ ()ના પ્રારંભિક તબક્કામાં અસરકારકપણે તટસ્થ રહેલું યુનાઇટેડ સ્ટેટ્સ સપ્ટેમ્બર 1939માં નાઝી જર્મની ()ના પોલાન્ડ () પર આક્રમણ પછી જમીન ભાડાપટ્ટો કાર્યક્રમ () મારફતે માર્ચ 1941થી મિત્ર રાજ્યો ()ને લશ્કરી સામગ્રી () પૂરી પાડવા માંડ્યું હતું.7 ડીસેમ્બર, 1941એ જાપાનના પર્લ હાર્બર પરના આશ્ચર્યજનક હુમલા () પછી ધરી દેશો ()ની સામે મિત્ર રાજ્યો સાથે જોડાયું હતું.અમેરિકાના ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ અન્ય કોઈ પણ યુદ્ધ કરતા વધારે ખર્ચાળ પુરવાર થયું, પરંતુ તેણે મૂડી રોકાણ અને નોકરીઓ પૂરી પાડીને અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું હતું.મુખ્ય યુદ્ધરત દેશોમાં યુદ્ધને કારણે ગરીબ બનવાને બદલે અમેરિકા સમૃદ્ધ બનનાર, ખરેખર અત્યંત સમૃદ્દ બનનાર એક માત્ર દેશ બન્યો.બ્રેટન વુડ્સ () અને યાલ્ટા () ખાતે મળેલી મિત્ર રાજ્યોની પરીષદોએ આંતરરાષ્ટ્રીય સંગઠનોની નવી વ્યવસ્થાની રુપરેખા ઘડી કાઢી હતી, જેણે યુનાઇટેડ સ્ટેટ્સ () અને સોવિયેત યુનિયન ()ને વિશ્વ પ્રવાહોના કેન્દ્ર સ્થાને મુક્યા હતા.યુરોપમાં વિજય ()ની સાથે 1945માં સાનફ્રાન્સિસ્કો ()માં યોજાએલી આંતરરાષ્ટ્રીય પરીષદે () સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર () ઘડી કાઢ્યું, જે યુદ્ધ પછી સક્રિય બન્યું હતું.અણુ શસ્ત્રો વિકસાવનાર પ્રથમ દેશ ()અમેરિકાએ આ શસ્ત્રોનો ઉપયોગ ઓગસ્ટમાં જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકી () પર કર્યો હતો.2 સપ્ટેમ્બરે જાપાને શરણાગતિ () સ્વીકારતા યુદ્ધનો અંત આવ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન વચ્ચે શીત યુદ્ધ ()દરમિયાન સત્તા માટે સ્પર્ધા શરુ થઈ, જેણે નાટો () અને વોર્સો કરારો () દ્વારા યુરોપની લશ્કરી બાબતો પર પ્રભુત્વ જમાવ્યું હતું.યુનાઇટેડ સ્ટેટ્સે ઉદારવાદી લોકશાહી ()ને પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે સોવિયેત યુનિયને સામ્યવાદ અને કેન્દ્રીય આયોજિત અર્થતંત્ર ()ને પ્રોત્સાહન આપ્યું હતું. બંનેએ સરમુખત્યારશાહીને સમર્થન આપ્યું અને પરોક્ષ યુદ્ધ ()માં જોતરાયા હતા.1950-53ના કોરીયાના યુદ્ધ ()માં અમેરિકી દળો સામ્યવાદી ચીની () દળો સામે લડ્યા હતા.ગૃહની બિન-અમેરિકી પ્રવૃત્તિ સમિતિ ()એ શંકાસ્પદ ડાબેરી ભાગંફોડમાં શ્રેણીબદ્ધ તપાસો હાથ ધરી હતી, જ્યારે સેનેટર જોસેફ મેકકાર્થી () સામ્યવાદ-વિરોધી લાગણીના મુખ્ય પ્રવક્તા બન્યા.

વોટરગેટ કૌભાંડ ()ને પરીણામે 1974માં નિક્સન રાજીનામુ આપનારા પ્રથમ પ્રમુખ બન્યા હતા. ન્યાયમાં રુકાવટ અને સત્તાના દુરુપયોગ સહિતના આરોપો અંગે તેમની સામે મહાઅભિયોગ ()ની કાર્યવાહી થઈ નહીં. ઉપપ્રમુખ જેરાલ્ડ ફોર્ડ () તેમના અનુગામી () બન્યા હતા.1970ના અંતભાગમાં જિમી કાર્ટર ()નું વહીવટીતંત્ર સ્ટેગફ્લેશન () અને ઇરાન અપહ્રત કટોકટી ()થી ઘેરાયેલું રહ્યું.1980માં રોનાલ્ડ રીગન ()ની પ્રમુખ તરીકેની ચુંટણીએ અમેરિકી રાજનીતિમાં નોંધપાત્ર જમણેરી ઝુકાવ ()નો પ્રારંભ કર્યો હતો, જેનું પ્રતિબિંબ કરવેરા અને ખર્ચ કરવાની અગ્રતા ()માં મહત્વના ફેરફારોમાં પડ્યું.કેમના કાર્યકાળની બીજી મુદતમાં ઇરાન-કોન્ટ્રા કૌભાંડ () અને સોવિયેત યુનિયન સાથે નોંધપાત્ર રાજનૈતિક પ્રગતિ () બંને જોવા મળ્યા.પાછળથી સોવિયેત યુનિયનમાં ભંગાણ પડતા શીત યુદ્ધનો અંત આવ્યો

પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશ ()ના શાસનમાં યુએન-સંમત ખાડી યુદ્ધ ()માં અને બિલ ક્લિન્ટન ()ના શાસનમાં યુગોસ્લાવ યુદ્ધો ()માં યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશોએ ભજવેલી નેતૃત્વની ભૂમિકાએ મહાસત્તા તરીકેના અમેરિકાના સ્થાનને જાળવી રાખવામાં મદદ કરી હતીઆધૂનિક અમેરિકી ઇતિહાસમાં સૌથી લાંબુ આર્થિક વિસ્તરણ માર્ચ 1991થી માર્ચ 2001ના ગાળામાં થયું, જેમાં ક્લિન્ટનના વહીવટ અને ડોટ કોમ ફુગ્ગાનો સમાવેશ થાય છે ().એક દિવાની દાવો () અને સેક્સ કૌભાંડ ()ને પરીણામે ક્લિન્ટન સામે મહાઅભિયોગ કાર્યવાહી () થઈ, પરંતુ તેઓ સત્તા પર ચાલુ રહ્યા.અમેરિકાના ઇતિહાસમાં કાંટાની ટક્કર સમી 2000ની પ્રમુખપદની ચુંટણી ()નું નિરાકરણ યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય ()થી થયું અને જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશના પુત્ર જ્યોર્જ ડબ્લ્યુ. બુશ () પ્રમુખ બન્યા.

યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનું સૌથી જુનું હયાત સંઘરાજ્ય () છે.તે બંધારણીય પ્રજાસત્તાક () છે, જેમાં બુહમતી શાસન () કાયદા () દ્વારા રક્ષિત લઘુમતી હકો ()થી સૌમ્ય બનાવવામાં આવ્યું છે.તેનું માળખું મૂળભૂતપણે પ્રતિનિધિ લોકશાહી () તરીકે ઘડી કાઢવામાં આવ્યું છે, તેમ છતાં પ્રદેશોમાં વસતા યુ.એસ. નાગરિકોને સંઘરાજ્યના અધિકરીઓ માટે મતદાન કરવાથી દૂર રખાયા છે.સરકાર અમેરિકી બંધારણ દ્વારા વ્યાખ્યાયિત અંકુશો અને સંતુલનો ()ની વ્યવસ્થા દ્વારા નિયંત્રિત થાય છે, જે દેશન સર્વોચ્ચ કાનૂની દસ્તાવેજ તરીકે અમેરિકાના લોકો માટે એક સામાજિક કરાર () તરીકે કામ કરે છે.અમેરિકાની સંઘીય વ્યવસ્થા ()માં નાગરિકો સરકારના ત્રણ પ્રકારના સ્તરો ()હેઠળ આવે છે, સંઘ, રાજ્ય અને સ્થાનિક. સ્થાનિક સરકાર ()ની ફરજો સામાન્યપણે કાઉન્ટી () અને મ્યુનિસિપલ સરકારો વચ્ચે વહેંચાય છે.લગભગ તમામ કિસ્સાઓમાં વહીવટી અને વૈધાનિક અધિકારીઓ જિલ્લાવાર નાગરિકોના બહુમતી મત ()થી ચુંટાય છે.સંઘ સ્તરે પ્રમાણસરના પ્રતિનિધિત્વ ()ની જોગવાઈ નથી અને નીચલા સ્તરે તે અપવાદરુપ હોય છે.સંઘીય અને રાજ્યના અદાલતી અને કેબિનેટ () અધિકારીઓની નિમણૂંક વહીવટી પાંખ દ્વારા થાય છે અને તેને વિધાનસભા મંજુરી આપે છે, તેમ છતાં કેટલાર રાજ્યોમાં ન્યાયમૂર્તિઓ અને અધિકારીઓ લોકોના મતથી પણ ચુંટાય છે.

સંઘ સરકાર ત્રણ પાંખની બનેલી છેઃ

પ્રતિનિધિગૃહ 435 સભ્યો ધરાવે છે, દરેક સભ્ય બે વર્ષની મુદત માટે કોંગ્રેસની ચુટણી માટેના જિલ્લા ()નું પ્રતિનિધિત્વ કરે છે.ગૃહની બેઠકો દર દસ વર્ષે વસતીના આધારે રાજ્યો વચ્ચે ફાળવાય () થાય છે.2000ની વસતી ગણતરી () પ્રમાણે, સાત રાજ્યો ઓછામાં ઓછો એક પ્રતિનિધિ ધરાવે છે, જ્યારે સૌથી વધારે વસતી ધરાવતો કેલિફોર્નીયા 53 પ્રતિનિધિઓ ધરાવે છે.સેનેટના 100 સભ્યો છે, દરેક રાજ્ય બે સેનેટરો ધરાવે છે. તેમાં એક છ વર્ષની મુદત માટે એટ-લાર્જ () ચુંટાય છે, સેનેટની એકૃતૃતિયાંશ બેઠકોની દર બીજા વર્ષે ચુટણી થાય છે.રાષ્ટ્રપ્રમુખ ચાર વર્ષની મુદત સુધી કામ કરે છે અને બેથી વધારે વખત ચુંટાઈ શકતા નથી. ()રાષ્ટ્રપ્રમુખ સીધા મતથી ચુંટાતા નથી (), પરંતુ આડકતરા મતદારમંડળ ()ની વ્યવસ્થાથી ચુંટાય છે, જેમાં રાજ્યની વસતી પ્રમાણે મતો નક્કી થાય છે.યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય ન્યાયમૂર્તિ ()ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટ નવ સભ્યો ધરાવે છે, જેઓ જીવનભર કાર્યભાર સંભાળે છે.રાજ્ય સરકારોનું માળખું પણ લગભગ આ જ પ્રમાણે છે, જોકે, નેબ્રાસ્કા () વિશિષ્ટપણે એક-ગૃહીય () વિધાનસભા ધરાવે છે.દરેક રાજ્યના (વડા વહીવટદાર) ગવર્નર () સીધા ચુંટાય છે.

રાજ્ય અને સંઘ બંને સરકારોના તમામ કાયદા અને કાર્યવાહી સમીક્ષાને પાત્ર છે અને બધારણના ભંગ કરતા કોઈ પણ કાયદાને ન્યાયતંત્ર રદ કરી શકે છે.બંધારણનો મૂળ મુસદ્દો સંઘ સરકારના માળખાં અને જવાબદારીઓ પ્રસ્થાપિત કરે છે અને તેની દરેક રાજ્ય સાથેની જવાબદારીઓ નક્કી કરે છે.અનુચ્છેદ પ્રથમ () હેબીયસ કોર્પસ ()ની ગ્રેટ રિટના હકનું રક્ષણ કરે છે, અને અનુચ્છેદ ત્રણ () તમામ ફોજદારી ગુનાઓમાં જ્યુરી ટ્રાયલ માટેના હક ()ની ગેરન્ટી આપે છે.બંધારણમાં સુધારા () માટે ત્રણ-ચતુર્થાં રાજ્યોની બહાલીની જરૂર પડે છે.બંધારણમાં 27 વખત સુધારા થયા છે, હકોનો ખરડો () પ્રથમ દસ સુધારાથી બન્યો છે, જ્યારે ચૌદ સુધારા () અમેરિકીઓના વ્યક્તિગત હકોનો કેન્દ્રીય પાયો રચે છે.

યુનાઇટેડ સ્ટેટ્સે તેના મોટા ભાગના ઇતિહાસ દરમિયાન બે-પક્ષી વ્યવસ્થા હેઠળ કામગીરી બજાવી છે.તમામ સ્તરે ચુંટણી દ્વારા નક્કી થતા હોદ્દાઓ માટે રાજ્ય-સંચાલિત પ્રાથમિક ચુટણીઓ પાછળથી યોજાનારી સામાન્ય ચુટણીઓ માટે મુખ્ય પક્ષના નામ-નિર્દિષ્ટોને પસંદ કરે છે.1856ની સામાન્ય ચુટણી ()થી અત્યાર સુધી બે મુખ્ય પક્ષો ચુટણી લડ્યા છે, જેમાં ડેમોક્રેટિક પક્ષ અને રીપબ્લિકન પક્ષ ()ની સ્થાપના 1854માં થઈ હતી.આંતરવિગ્રહથી અત્યાર સુધીમાં ત્રીજા પક્ષનો એક માત્ર ઉમેદવારે રાષ્ટ્રપ્રમુખની ચુટણીમાં 20 ટકા જેટલા લોકપ્રય મત મેળવ્યા હતા. અને તે 1912માં પ્રોગ્રેસિવ પક્ષના થીયોડોર રુઝવેલ્ટ.

અમેરિકાની રાજકીય સંસ્કૃતિ ()માં રીપબ્લિકન પક્ષ કેન્દ્રથી જમણેરી કે રુઢીચુસ્ત () અને ડેમોક્રેટિક પક્ષ કેન્દ્રથી ડાબેરી અથવા ઉદારવાદી () ગણાય છે.ઉત્તરપૂર્વ () અને પશ્ચિમ કાંઠા ()ના રાજ્યો અને મહાન સરોવરો ()ના કેટલાક રાજ્યો વાદળી રાજ્યો () તરીકે ઓળખાય છે અને સરખામણીમાં ઉદારવાદી છે.દક્ષિણ ()ના લાલ રાજ્યો () અને મહાન મેદાનો () અને રોકી માઉન્ટેઇન્સ ()ના ઘણા રાજ્યો સરખામણીમાં રુઢીચુસ્ત છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ પચાસ રાજ્યોનું ફેડરલ યુનિયન () છે.મૂળ તેર રાજ્યો એ તેર સંસ્થાનો ()માંથી બન્યા છે, જેમણે બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો.બાકીના મોટા ભાગના રાજ્યો યુદ્ધ દ્વારા અથવા યુ.એસ. સરકારે કરેલી ખરીદીથી પ્રાપ્ત થયા છે. આમાં અપવાદરુપ છે, વેર્મોન્ટ (), ટેક્સાસ () અને હવાઈ. સંઘમા જોડાતા પહેલાં તેઓ દરેક સ્વાયત્ત પ્રજાસત્તાક હતા.બીજું અપવાદરુપ જુથ એ રાજ્યોનું છે, જેમને મૂળ તેર રાજ્યોના વિસ્તારમાંથી રચવામાં આવ્યા.દેશના પ્રારંભિક ઇતિહાસમાં ત્રણ રાજ્યો આ રીતે રચવામાં આવ્યા. વર્જિનીયા ()માંથી કેન્ટુકી (), નોર્થ કેરોલિના ()માંથી ટેનેસી () અને મેસેચુસેટ્સ ()માંથી મેઇન ().અમેરિકી આંતરવિગ્રહ () દરમિયાન વર્જિનીયામાંથી પશ્ચિમ વર્જિનીયા () છુટું પડ્યું.સૌથી નવું રાજ્ય હવાઈ 21 ઓગસ્ટ, 1959માં અસ્તિત્વમાં આવ્યું.રાજ્યોને સંઘમાંથી અલગ () પડવાનો અધિકાર નથી ().

રાજ્યો યુ.એસની જમીનનો વિશાળ ભાગ ધરાવે છે. દેશના બે અન્ય વિસ્તારો દેશના અંગભૂત ગણાય છે, તેઓ છે કોલમ્બીયા જિલ્લો. તે ફેડરલ જિલ્લો () છે અને પાટનગર વોશિંગ્ટન તેમાં આવેલું છે. પામાઇરા એટોલ () વસતી વગરનો, પરંતુ સંઘમાં સામેલ કરેલો () પ્રશાંત મહાસાગરમાં આવેલો વિસ્તાર છે.યુનાઇટેડ સ્ટેટ્સ દરિયાપારના પાંચ મોટા વિસ્તારો પણ ધરાવે છે. કેરિબીયનમાં પ્વેર્ટો રિકો () અને યુનાઇટેડ સ્ટેટ્સ વર્જિન ટાપુઓ () અને પ્રશાંતમાં અમેરિકી સમોઆ (), ગ્વામ () અને ઉત્તરીય મેરીયાના ટાપુઓ ().અમેરિકી સમોઆ સિવાયના વિસ્તારોમાં જન્મેલા લોકો યુ.એસ. નાગરિકત્વ () ધરાવે છે.

યુનાઇટેડ સ્ટેટસ વૈશ્વિક સ્તરે આર્થિક, રાજકીય અને લશ્કરી વગ ધરાવે છે.તે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ ()નું કાયમી સભ્ય છે અને ન્યૂ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય મથક () આવેલું છે. લગભગ તમામ દેશોની વોશિંગ્ટન ડીસીમાં એલચી કચેરીઓ () છે અને ઘણાના દેશભરમાં કોન્સ્યુલેટ્સ () છે.એ જ રીતે, લગભગ તમામ દેશોમાં અમેરિકાની એલચી કચેરીઓ () છે.જોકે, ક્યુબા (), ઇરાન (), ઉત્તર કોરીયા (), ભૂતાન (), સુદાન () અને રીપબ્લિક ઓફ ચાઇના () (તાઇવાન) યુનાઇટેડ સ્ટેટ્સ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા નથી.

યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ કિંગડમ () સાથે ખાસ સંબંધો () ધરાવે છે અને ઓસ્ટ્રેલીયા (), ન્યૂ ઝીલેન્ડ (), જાપાન (), ઇઝરાયેલ () તેમ જ નાટોના અન્ય સાથી સભ્યો સાથે મજબૂત સંબંધો ધરાવે છે.તે તેના પડોશીઓ સાથે ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ () દ્વારા અને કેનેડા () તેમ જ મેક્સિકો () સાથે ત્રિપક્ષીય ઉત્તર અમેરિકા મુક્ત વેપાર કરાર () જેવા મુક્ત વેપાર કરારો ()થી ગાઢપણે કામ કરે છે. 2005માં, યુનાઇટેડ સ્ટેટ્સે સત્તાવાર વિકાસ સહાય () પાછળ વિશ્વભરમાં સૌથી વધારે 27 અબજ ડોલર ખર્ચ્યા હતા, જોકે, કુલ રાષ્ટ્રીય આવક ()ના ભાગ તરીકે જોતાં યુ.એસ.નું પ્રદાન ફક્ત 0.22 ટકા છે, જે 22 દાતા દેશોમાં વીસમા ક્રમે છે. ખાનગી ફાઉન્ડેશનો, કોર્પોરેશનો અને શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓ જેવા બિન-સરકારી સ્રોતોએ 96 અબજ ડોલર દાન કર્યું હતું.123 અબજ $નું સંયુક્ત ટોટલ પણ વિશ્વમાં સૌથી વધારે છે અને જીએનઆઇની ટકાવારી તરીકે સાતમા ક્રમે છે.

રાષ્ટ્રપ્રમુખ દેશના લશ્કરી દળોના કમાન્ડર-ઇન-ચીફનો ખિતાબ ધરાવે છે અને તેના અગ્રણીઓ, સંરક્ષણ પ્રધાન () અને જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ ()ની નિમણૂંક કરે છે.યુનાઇટેડ સ્ટેટ્સનું સંરક્ષણ મંત્રાલય () લશ્કર (), નૌકાદળ (), મરીન કોર્પ્સ () અને હવાઈદળ () સહિતના લશ્કરી દળોનું સંચાલન કરે છે. કોસ્ટ ગાર્ડ ()નું શાંતિના સમયમાં હોમલેન્ડ સિક્યુરિટી મંત્રાલય () અને યુદ્ધના સમયમાં નૌકાદળ મંત્રાલય () સંચાલન કરે છે.2005માં, લશ્કરમાં 13.8 લાખ વ્યક્તિઓ સક્રિય ફરજ બજાવતા હતા, જેમાં અનામતદળો () અને નેશનલ ગાર્ડ () દરેકના કેટલાક હજાર લોકોને સામેલ કરતા કુલ સંખ્યા 23 લાખ સૈનિકો ()ની થાય.સંરક્ષણ મંત્રાલય આ ઉપરાંત લગભગ સાત લાખ નાગરિકોને કામે રાખે છે, જેમાં કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થતો નથી.લશ્કરી સેવા સ્વૈચ્છિક છે, જોકે, યુદ્ધના સમયમાં પસંદગીયુક્ત સેવા વ્યવસ્થા () દ્વારા ફરજિયાત લશ્કરી સેવા () લાગુ પાડી શકાય છે. વાયુદળના ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ અને એરીયલ રીફ્યુએલિંગ ટેન્કર્સના વિશાળ કાફલા, નૌકાદળના 11 એક્ટિવ એરક્રાફ્ટ કેરીયર્સ તેમ જ એટલાન્ટિક () અને પેસિફિક ફ્લીટ ()માં મરિન એક્સપિડિશનરી યુનિટ () દ્વારા અમેરિકી દળો ઝડપથી તૈનાત થઈ શકે છે.યુનાઇટેડ સ્ટેટ્સની બહાર એન્ટાર્કટિકા સિવાય () દરેક ખંડમાં 770 લશ્કરી થાણા અને ફેસિલિટીઝમાં લશ્કર તૈનાત () છે.આ વૈશ્વિક લશ્કરી હાજરીનો વ્યાપ જોઇને ઘણા વિદ્વાનો યુનાઇટેડ સ્ટેટ્સને લશ્કરી થાણાઓનું સામ્રાજ્ય જાળવતું હોવાનું વર્ણવવા પ્રેરાયા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ મૂડીવાદી () મિશ્રિત અર્થતંત્ર () ધરાવે છે, જે પુષ્કળ કુદરતી સંસાધનો (), સુ-વિકસિત આંતર-માળખું, અને ઊંચી ઉત્પાદકતા દ્વારા આગળ વધ્યું છે.આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ ()ના જણાવ્યા પ્રમાણે, અમેરિકાનો 14.3 ટ્રિલિયન $ જીડીપી બજાર વિનિમય દરોએ કુલ વિશ્વ પેદાશ ()ના 23 ટકા જેટલું છે અને સમતુલ્ય ખરીદશક્તિ () (પીપીપી)એ કુલ વિશ્વ પેદાશના લગભગ 21 ટકા છે.તે વિશ્વમાં સૌથી વધુ રાષ્ટ્રીય જીડીપી છે, જે 2007માં પીપીપીએ યુરોપિય સંઘ ()ના સંયુક્ત જીડીપી કરતા લગભગ 4 ટકા હતું. દેશ માથા દીઠ ન્યૂનતમ જીડીપી ()માં વિશ્વભરમાં સત્તરમાં સ્થાને અને પીપીપીએ માથાદીઠ આવકમાં છઠ્ઠુ સ્થાન () ધરાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ચીજવસ્તુઓનો સૌથી મોટો આયાતકાર અને ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જોકે તેની માથાદીઠ નિકાસ () સરખામણીમાં ઓછી છે.કેનડા, ચીન, મેક્સિકો, જાપાન અને જર્મની તેના ટોચના વેપારી ભાગીદાર દેશો છે.અગ્રણી નિકાસ ચીજ ઇલેક્ટ્રિકલ મશીનરી છે, જ્યારે વાહનો અગ્રણી આયાત છે.માત્ર છ વર્ષ સુધી ટકેલા વિસ્તરણ પછી અમેરિકી અર્થતંત્ર ડીસેમ્બર 2007થીમંદી ()માં સપડાયું છે.

ખાનગી ક્ષેત્ર () અર્થતંત્રનો મુખ્ય હિસ્સો રોકે છે, જ્યારે સરકાર જીડીપીના 12.4 ટકા માટે સક્રિયપણે જવાબદાર છે. અર્થતંત્ર ઔદ્યોગિકરણ પછીના તબક્કામાં () છે, જેમાં સેવા ક્ષેત્ર ()નો જીડીપીમાં 67.8 ટકા ફાળો છે. કુલ બિઝનેસ આવક જથ્થાબંધ અને છૂટક વેપારમાંથી આવે છે, જ્યારે ચોખ્ખી આવક નાણા અને વીમા ક્ષેત્રમાંથી થાય છે.મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર તરીકે રસાયણિક પેદાશો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ઔદ્યોગિક તાકાત બની રહ્યું છે.યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં ક્રુડ તેલનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે, તેમ જ તેનો સૌથી મોટો આયાતકાર પણ.તે દુનિયાનો પ્રથમ ક્રમનો વીજળી અને અણુ ઉર્જા પેદા કરનારો દેશ છે, તેમ જ લિક્વિડ નેચરલ ગેસ, સલ્ફર, ફોસ્ફેટ્સ અને સોલ્ટનો પણ.કૃષિ () જીડીપીમાં માત્ર એક જ ટકો હિસ્સો ધરાવતું હોવા છતાં યુનાઇટેડ સ્ટેટ્સ મકાઈ અને સોયાબિનમાં વિશ્વમાં ટોચનો ઉત્પાદક દેશ છે.ડોલર વોલ્યૂમના પ્રમાણમાં ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ () વિશ્વમાં સૌથી મોટું છે. કોકા-કોલા () અને મેકડોનાલ્ડ્સ () વિશ્વની બે સૌથી મોટી સ્વીકૃત બ્રાન્ડ છે.

યુનાઇટેડ સ્ટેટચ્સ સેન્સસ બ્યૂરો ()ના જણાવ્યા પ્રમાણે, 2007માં કરવેરા પહેલાનીમધ્યવર્તી ઘરેલુ આવક () $50,233 હતી.આ સરેરાશ મેરીલેન્ડ ()માં $68,080થી મિસિસિપી ()માં $36,338 હતી.સમતુલ્ય ખરીદશક્તિ () વિનિમય દરનો ઉપયોગ કરતા, સમગ્રપણે આ મધ્યવર્તી વિકસિત દેશો ()ના સૌથી સમૃદ્ધ જુથો જેટલી જ છે.વીસમી સદીના મધ્યભાગમાં તીવ્રપણે ઘટ્યા બાદ ગરીબી દરો () 1970ના આરંભકાળથી ઊંચા ગયા છે. દર વર્ષે 11-15 ટકા અમેરિકીઓ ગરીબી રેખા ()ની નીચે છે અને 25થી 75 વર્ષની વચ્ચેના 68.5 ટકા લોકો ઓછામાં ઓછું એક વર્ષ ગરીબીમાં પસાર કરે છે.2007માં, 3.73 કરોડ અમેરિકીઓ ગરીબીમાં જીવતા હતા. સાપેક્ષ ગરીબી () અને નિરપેક્ષ ગરીબી ()ને સમૃદ્ધ દેશોની સરેરાશ કરતા ઘટાડીને યુ.એસ. કલ્યાણ રાજ્ય વિકસિત દેશોમાં હવે સૌથી સાદગીભર્યું છે.મોટી વયના લોકોમાં ગરીબી ઘટાડવામાં અમેરિકી કલ્યાણ રાજ્યએ સારી કામગીરી બજાવી છે, તેમ છતાં યુવાનો સરખામણીમાં ઓછી મદદ મેળવે છે.21 ઔદ્યોગિક દેશોમાં બાળકોની સ્થિતિ અંગેના યુનિસેફ ()ના એક અભ્યાસે અમેરિકાને છેલ્લેથી બીજા ક્રમે મુક્યું હતું.

ઉત્પાદકતામાં મજબૂત વધારો, નીચી બેરોજગારી અને ફુગાવાનો નીચો દર છતાં 1980થી આવક લાભો અગાઉના દાયકાઓ કરતા ઓછા રહ્યા છે અને ઓછા વહેંચાયા છે અને આર્થિક અસલામતી વધી છે.1947થી 1979ની વચ્ચે વાસ્તવિક મધ્યવર્તી આવક () તમામ વર્ગો માટે 80 ટકા વધી છે અને સમૃદ્ધ અમેરિકીઓ કરતા ગરીબ અમેરિકીઓની આવકો ઝડપથી વધી છે.બેવડી કમાણી ધરાવતા ઘરો, સ્ત્રી-પુરુષ વચ્ચેની ઘટેલી અસમાનતા અને લાંબા કામના કલાકોને કારણે 1980થી તમામ વર્ગો માટે મધ્યવર્તી ઘરેલુ આવક () વધી છે, પરંતુ વૃદ્ધિ ધીમી રહી છે અને એકદમ ટોચ તરફ મજબૂતપણે ઝુકેલી છે. (જુઓ ગ્રાફ).પરીણામે, ટોચના 1 ટકાનો આવકમાં હિસ્સો 1980 પછી બમણા કરતા વધ્યો છે, જે 2005માં કુલ નોંધાયેલી આવકના 21.8 ટકા હતો. તેથી યુનાઇટેડ સ્ટેટ્સ વિકસિત દેશોમાં સૌથી વધારે આવક અસમાનતા ધરાવે છે.ટોચનો 1 ટકા વર્ગ તમામ સંઘીય વેરાના 27.6 ટકા ચુકવે છે, ટોચના 10 ટકા 54.7 ટકા ચુકવે છે.આવકની જેમ સંપત્તિ અત્યંત કેન્દ્રિત છે. પુખ્ત વસતીના સૌથી સમૃદ્ધ 10 ટકા દેશની ઘરેલુ સંપત્તિના 69.8 ટકા ધરાવે છે, જે વિકસિત દેશોમાં બીજા ક્રમનો સૌથી વધારે હિસ્સો છે.ટોચના 1 ટકા ચોખ્ખી સંપત્તિના 33.4 ટકા ધરાવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સનું ઉર્જા બજાર વર્ષે 29,000 ટેરાવોટ ()નું છે.ઉર્જાનો માથાદીઠ વપરાશ ()દર વર્ષે 7.8 ટન ક્રુડ તેલના સમતુલ્ય છે. તેની સરખાણીમાં જર્મનીમાં 4.2 ટન અને કેનેડામાં 8.3 ટન છે.2005માં 40 ટકા ઉર્જા પેટ્રોલીયમમાંથી, 23 ટકા કોલસામાંથી અને 22 ટકા કુદરતી વાયુમાંથી પ્રાપ્ત થઈબાકીની ઉર્જા અણુ શક્તિ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતો ()માંથી મેળવવામાં આવી.યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં સૌથી મોટુ પેટ્રોલીયમનું વપરાશકાર છે.દાયકાઓથી અન્ય વિકસિત દેશોની સરખામણીમાં અણુશક્તિએ મર્યાદિત ભૂમિકા ભજવી છે.2007માં, નવા અણુ મથકો માટે કેટલીક અરજીઓ દાખલ થઈ હતી.

ગેરકાયદેસર સ્થળાંતર કરીને ()અમરિકામાં વસેલા અંદાજે 1.12 કરોડ લોકો સહિત અમેરિકાના વસતી ગણતરી બ્યૂરોએ અંદાજેલી વસતી છેયુનાઇટેડ સ્ટેટ્સ ચીન અને ભારત પછી વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી વધારે વસતી ધરાવતું રાષ્ટ્ર છે.વસતી વૃદ્ધિ ()નો દર 0.89%, છે, તેની સરખામણીમાં યુરોપિય સંઘનો 0.16%. છે.દર 1,000એ 14.6 ટકાનો જન્મ દર () વિશ્વની સરેરાશ કરતા ઓછો છે અને અલ્બેનીયા () અને આયર્લેન્ડ ()ને બાદ કરતા યુરોપિય સંઘના કોઈ પણ દેશ કરતા વધારે છે.2007ના નાણાકીય વર્ષમાં 10.5 લાખ આધિવાસીઓને કાનૂની નિવાસ () આપવામાં આવ્યો હતો.બે દાયકા કરતા વધારે સમયથી મેક્સિકો નવા નિવાસીઓનો અગ્રણી સ્રોત છે, 1998થી ચીન, ભારત અને ફિલિપાઇન્સ દર વર્ષે નવા નિવાસીઓને મોકલનારા ટોચના ચાર દેશો રહ્યા છે.યુનાઇટેડ સ્ટેટ્સ એક માત્ર એવો ઔદ્યોગિક દેશ છે, જયાં મોટા પાયે વસતી વૃદ્ધિના અંદાજો મુકાયા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અત્યંત વૈવિધ્યપુર્ણ વસતી () ધરાવે છે. 10 લાખ કરતાવધારે સભ્યો ધરાવતા 31 વંશીય જૂથો () છે.શ્વેત અમેરિકીઓ () સૌથી મોટું વંશીય જૂથ () છે, ઉપરાંત જર્મન અમેરિકી (), આઇરિશ અમેરિકી () અને ઇંગ્લિશ અમેરિકી () દેશના ચાર મોટા વંશીય જૂથો પૈકીના ત્રણ છે.આફ્રિકી અમરિકી ()દેશની સૌથી મોટી વંશીય લઘુમતી () અને ત્રીજું સૌથી મોટું વંશીય જૂથ છે.એશિયાઇ અમેરિકી ()દેશની બીજા ક્રમની સૌથી મોટી વંશીય લઘુમતી છે. ચીની () અને ફિલિપિનો () બે સૌથી મોટા એશિયાઇ અમેરિકી વંશીય જૂથો છે.2007માં યુ.એસ.ની વસતીમાં 29 લાખ જેટલા અમેરિકી ઇન્ડિયનો () કે અલાસ્કાના મૂળવતની ()ઓ, 10 લાખથી વધારે હવાઈના વતની () અને 5 લાખ પ્રશાંત ટાપુ ()ના વંશના મળીને અંદાજે 45 લાખ છે.

હિસ્પેનિક અને લેટિનો અમેરિકીઓ ()ની(બંને શબ્દો સત્તાવાર રીતે એકબીજા માટે વાપરી શકાય તેવા છે) વસતીમાં વધારો એ વસતી ગણતરીની તરાહમાં થયેલો સૌથી મોટો ફેરફાર () છે.વસતી ગણતરી બ્યુરોએ 4.54 કરોડ હિસ્પેનિક મૂળના અમેરિકીઓને એક અલગ વંશીયતા () ધરાવે છે એમ ગણીને અલગ તારવ્યા છે. 64% of હિસ્પેનિક અમેરિકીઓf મેક્સિકન મૂળના ()છે.2000થી 2007 દરમિયાન દેશની હિસ્પેનિક વસતિમાં 27 ટકાનો વધારો થયો હતો, જ્યારે બિન-હિસ્પેનિક વસતિમાં માત્ર 3.6 ટકાનો જ વધારો થયો હતો.આમાંની મોટા ભાગની વૃદ્ધિ આધિવાસને આભારી છે. અમેરિકી વસતિનો 12.4 ટકા હિસ્સો વિદેશ-જન્મ ધરાવે છે, જેમાં 54 ટકા લોકો લેટિન અમેરિકા ()માં જન્મેલા છે.ફળદ્રુપતા પણ એક પરીબળ છે. સરેરાશ હિસ્પેનિક સ્ત્રી તેના જીવનકાળમાં ત્રણ બાળકોને જન્મ આપે છે.સરખામણીપાત્ર ફળદ્રુપતા દર બિન-હિસ્પેનિક અ-શ્વેત સ્ત્રી માટે 2.2 અને બિન-હિસ્પેનિક શ્વેત સ્ત્રી માટે 1.8 છે. (2.1ના પુરવણી દર () કરતા નીચે).લઘુમતીઓ () (વસતિ ગણતરી બ્યૂરોએ કરેલી વ્યાખ્યાપ્રમાણે, બિન-હિસ્પેનિક, બિન-બહુવંશીય ગોરાઓ ઉપરાંતના તમામ) વસતિના 34 ટકા છે, તેઓ 2042 સુધીમાં બહુમતી થવાનો અંદાજ છે.

લગભગ 79 ટકા અમેરિકીઓ શહેરી વિસ્તારો ()માં રહે છે. (વસતિ ગણતરી બ્યુરોની વ્યાખ્યા પ્રમાણે આવા વિસ્તારોમાં પરા ()ઓનો સમાવેશ થાય છે).આમાં અડધા લોકો 50,000થી વધારે વસતિ ધરાવતા શહેરોમાં રહે છે.2006માં ઇનકોર્પોરેટેડ સ્થળો ()એક લાખથી વધારે વસતિ ધરાવતા હતા, નવ શહેરો 10લાખથી વધારે વસતિ ધરાવતા હતા અને ચાર વૈશ્વિક શહેરો () વીસ લાખથઈ વધારે વસતિ ધરાવતા હતા. (ન્યૂ યોર્ક શહેર, લોસ એન્જેલસ (), શિકાગો, અનેહાઉસ્ટન ())દસ લખાથી વધાર વસતિ ધરાવતા પચાસ મેટ્રોપોલિટન વિસ્તારો () છે.પચાસ સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા મેટ્રો વિસ્તારોમાં 23 પશ્ચિમમાં અને 25 દક્ષિણમાં છે.એટલાન્ટા (), ડલાસ (), હાઉસ્ટન (), ફિનીક્સ (), અને રીવરસાઇડ ()ના મેટ્રો વિસ્તારો 2000થી 2006ની વચ્ચે 10 લાખ લોકોના ત્રણ-ચતુર્થાંશ કરતા વધારે વૃદ્ધિ પામ્યા હતા.

અંગ્રેજી () વાસ્તવિક રાષ્ટ્રીય ભાષા () છે.સંઘીય સ્તરે કોઈ સત્તાવાર ભાષા () નથી, તેમ છતાં કેટલાક કાયદાઓ, જેવા યુ.એ. નેચરલાઇઝેશન જરૂરિયાત () અંગ્રેજીને સ્વીકૃત ગણે છે.2005માં, લગભગ 21.6 કરોડ અથવા તો પાંચ વર્ષથી માંડીને મોટી વયના લોકો ઘરમાં માત્ર અંગ્રેજી બોલતા હતા.વસતિના 12 ટકા લોકો દ્વારા ઘરમાં બોલાતી સ્પેનિશ () બીજા ક્રમની સૌથી સામાન્ય ભાષા છે અને સૌથી વધારે શીખવાતી વિદેશી ભાષા છે.અંગ્રેજી ઓછામાં ઓછા 28 રાજ્યોની સત્તાવારા ભાષા હોવાથી તેને દેશની સત્તાવાર ભાષા બનાવવાની કેટલાક અમેરિકીઓ હિમાયત કરે છે.હવાઈમાં રાજ્યના કાયદાથી હવાઈ () અને અંગ્રેજી બંને સત્તાવાર ભાષાઓ છે. ન્યૂ મેક્સિકો ()એ અંગ્રેજી અને સ્પેનિશ બંનેના ઉપયોગ માટે જ્યારે લુઇસીયાના ()એ અગ્રેજી અને ફ્રેન્ચ માટે કાયદા ઘડ્યા છે, કેમ કે બંનેને કોઇ સત્તાવાર ભાષા નથી. કેલિફોર્નીયા () જેવા અન્ય રાજ્યો અદાલતના ફોર્મ્સ જેવા ચોક્કસ સરકારી દસ્તાવેજો સ્પેનિશમાં પ્રસિદ્ધ કરવા આદેશે છે.કેટલાક ઇન્સ્યુલર વિસ્તારો તેમની મૂળ દેશી ભાષાને અંગ્રેજીની સાથે સત્તાવાર સ્વીકૃતિ આપે છે. અમેરિકી સમોઆ અને ગ્વામે અનુક્રમે સમોઆઇ () અને ચમારો ()ને સ્વીકારી છે. ઉત્તરીય મેરીયાના ટાપુઓએ કેરોલિનીયાઇ () અને ચમારો ભાષાઓને સ્વીકારી છે. સ્પેનિ પ્વર્ટો રિકોની સત્તાવાર ભાષા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સત્તાવાર રીતે બિનસાંપ્રદાયિક દેશ () છે. અમેરિકી બંધારણનો પ્રથમ સુધારો () ધર્મના મુક્ત પાલન ()ની ખાત્રી આપે છે અને કોઈ પણ પ્રકારના ધાર્મિક શાસનની સ્થાપનાની મનાઈ ફરમાવે છે.2002ના એક અભ્યાસમાં 59 ટકા અમેરિકીઓએ જણાવ્યું હતું કે ધર્મ તેમના જીવનમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ ટકાવારી અન્ય કોઈ પણ સમૃદ્દ દેશ કરતા ઘણી ઊંચી છે.2007ના એક સરવે પ્રમાણે, 78.4 ટકા પુશ્ક લોકો પોતાને ખ્રિસ્તી () તરીકે ઓળખાવે છે. આ ટકાવારી 1990માં 86.4 હતી.પ્રોટેસ્ટન્ટ () સંપ્રદાયના લોકો 51.3 ટકા હતા, જ્યારે રોમન કેથોલિકવાદ () 23.9 ટકાએ સૌથી મોટી વ્યક્તિગત સંજ્ઞા છે.અભ્યાસ વસતિના 26.3 ટકા ગોરા ઇવેન્જેલિકલ્સ ()ને દેશનું સૌથી ધાર્મિક જૂથ ગણાવે છે, જ્યારે અન્ય અભ્યાસ તમામ વંશોના ઇવેન્જેલિકલ્સને 30-35 ટકા ગણાવે છે.2007માં વિવરણ હેઠળના કુલ બિન-ખ્રિસ્તી ધર્મો 4.7 ટકાહતા, જે 1990ના 3.3 ટકાથી વધ્યા હતા.અગ્રણી બિન-ખ્રિસ્તી પંથો યહુદી () (1.7%), બૌદ્ધ () (0.7%), ઇસ્લામ () (0.6%), હિન્દુ () (0.4%), અને ઐક્યવાદી સર્વહિતવાદ () (0.3%) છે.પોતાને નિરિશ્વરવાદી (), નાસ્તિક (), કે કોઈ પણ જાતનો ધર્મ નહીં () હોવાનું જણાવતા લોકો 1990માં 8.2 ટકાથી વધીને 2007માં 16.1 ટકા થયા હતા, જે સંખ્યા બ્રિટન (2005: 44%) અને સ્વીડન (2005: 85%) જેવા ઔદ્યોગિકરણ પછીના દેશોની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછી છે.

અમેરિકી જાહેર શિક્ષણ () રાજ્ય અને સ્થાનિક સરકારો દ્વારા સંચાલિત છે અને સંઘીય અનુદાનોના અંકુશો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સનું શિક્ષણ મંત્રાલય () તેનું નિયમન કરે છે.મોટા ભાગની શાળાઓમાં બાળકો છ કે સાત વર્ષની ઉંમરથી (સામાન્યપણે, કિંડરગાર્ટન () અથવા પ્રથમ કક્ષા ())માં) દાખલ થાય છે અને અઢાર વર્ષના થાય ત્યાં સુધી (સામાન્યપણે બારમી કક્ષા (), હાઇસ્કુલ ())ના અંત સુધી) તેઓ ભણે છે. કેટલાક રાજ્યો વિદ્યાર્થીઓને સોળ કે સત્તર વર્ષે શાળા છોડવાની છુટ આપે છે.લગભગ 12 ટકા બાળકો રુઢીચુસ્ત શાળાઓ () કે બિન-સંકુચિત ()કે ખાનગી શાળાઓમાં () દાખલ થાય છે.માત્ર બે ટકા બાળકો ધરે બેઠા ભણે () છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉચ્ચ શિક્ષણની ઘણી સ્પર્ધાત્મક જાહેર અને ખાનગી સંસ્થાઓ () તેમ જ ખુલ્લી પ્રવેશ નીતિઓ સાથેની સ્થાનિક સમુદાય કોલેજો () છે.25 અને તેથી વધારે વર્ષની ઉંમરના અમેરિકીઓના 84.6 ટકા હાઇસ્કુલ સુધી ભણે છે, 52.6 ટકા કોલેજમાં જાય છે, 27.2 ટકા સ્નાતકની ડીગ્રી () મેળવે છે અને 9.6 ટકા અનુ-સ્નાતક ડીગ્રીઓ મેળવે છે.મૂળભૂત સાક્ષરતા દર () અંદાજે 99 ટકા છે.સંયુક્ત રાષ્ટ્રોએ યુનાઇટેડ સ્ટેટ્સને 0.97નો શિક્ષણ આંક આપ્યો છે, જે તેને વિશ્વમાં 12મા સ્થાને મુકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં અપેક્ષિત આયુષ્ય () જન્મથી 77.8 વર્ષનું છે, જે પશ્ચિમ યુરોપમાં સમગ્ર આંકડા કરતા એક વર્ષ ઓછું છે અને નોર્વે, સ્વીટ્ઝર્લેન્ડ અને કેનેડા કરતા ત્રણથી ચાર વર્ષ ઓછું છે.છેલ્લા બે દાયકામાં અપેક્ષિત આયુષ્યમાં દેશનો ક્રમ વિશ્વમાં 11મા સ્થાનેથી 42મા સ્થાને પહોંચી ગયું છે.દર હજારે 6.37નો બાળ મરણ દર () યુનાઇટેડ સ્ટેટ્સને 221 દેશોમાં 42મા સ્થાને મુકે છે, જે પશ્ચિમ યુરોપના તમામ દેશો કરતા પાછળ છે.યુ.એસ.નો કેન્સરથી ઉગરી જવાનો દર વિશ્વમાં સૌથી ઊંચો છે.પુખ્ત વસતિનો અંદાજે એક-તૃતિયાંશ સ્થુળ () છે અને તે ઉપરાંતનો એક-તૃતિયાંશ વધારે વ ધરાવે છે, સ્થુળતા દર ઔદ્યોગિક દેશોમાં સૌથી ઊંચો છે અને છેલ્લા પચીસ વર્ષમાં બમણા કરતા વધ્યો છે.આરોગ્ય સુરક્ષા વ્યવસાયિકો સ્થુળતા સંબંધિત ટાઇપ ટુ ડાયાબીટીસ ()ને રોગચાળો () ગણાવે છે.દર હજારે 79.8નો યુ.એસ. સગીર સગર્ભાવસ્થા દર ફ્રાન્સ કરતા ચાર ગણો અને જર્મની કરતા પાંચ ગણો છે.ગર્ભપાત ()ને કાયદેસર ગણવાની માગ અત્યંત વિવાદાસ્પદ છે.ઘણા રાજ્યોએ તેની કાર્યવાહીને જાહેર ભંડોળ પૂરું પાડવા પર પ્રતિબંધ મુક્યો છે અને મોડેથી થતા ગર્ભપાતો પર અંકુશ લાદ્યો છે. સગીરો માટે માતા-પિતાનું જાહેરનામુ જરૂરી બનાવ્યું છે અને રાહ જોવાનો ગાળો ફરજિયાત બનાવ્યો છે.ગર્ભપાતનો દર ઘટી રહ્યો છે, ત્યારે દર હજાર જન્મે 241નો ગર્ભપાત દર અને 15થી 44 વર્ષની ઉંમરની દર હજાર સ્ત્રીઓએ 15નો ગર્ભપાત દર મોટા ભાગના પશ્ચિમી દેશો કરતા વધારે છે.

હાઉસ્ટન ()માં 

માથાદીઠ ખર્ચ અને જીડીપીની ટકાવારી બંને રીતે માપતાં યુ.એસ. આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા કોઈ પણ અન્ય દેશ કરતા વધારે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ()એ 2000માં યુ.એસ. આરોગ્ય સુરક્ષા વ્યવસ્થાને પ્રતિભાવ પાઠવવાની બાબતમાં પ્રથમ ક્રમે મુકી હતી, પરંતુ સમગ્ર કામગીરીની રીતે 37મા સ્થાને મુકી હતી.યુનાઇટેડ સ્ટેટ્સ તબીબી સંશોધનમાં અગ્રણી છે.2004માં, બિન-ઔદ્યોગિક ક્ષેત્રે જૈવતબીબી સંશોધન પાછળ યુરોપ કરતા ત્રણ ગણો માથાદીઠ ખર્ચ કર્યો.

અન્ય તમામ વિકસિત દેશોથી વિપરીત યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સુરક્ષા કવરેજ સાર્વત્રિક () નથી.2004માં, ખાનગી વીમા કંપનીઓએ વ્યક્તિગત આરોગ્ય ખર્ચના 36 ટકા ચુકવ્યા, ખાનગી રોકડ ચુકવણીઓ 15 ટકા થઈ, જ્યારે સંઘ, રાજ્ય અને સ્થાનિક સરકારોએ 44 ટકા ચુકવ્યા.2005માં, વસતિના 15.9 ટકા એટલે કે, 4.66 કરોડ અમેરિકીઓ વીમા કવચ વિનાના હતા, જે 2001 કરતા 54 લાખ વધારે હતા.આ વધારાનું મુખ્ય કારણ માલિક-પ્રાયોજિત આરોગ્ય વીમા સાથે સંકળાયલા અમેરિકીઓની ઘટેલી સંખ્યા છે.વીમા વિનાના અને અપૂરતો વીમા ધરાવતા અમેરિકીઓ (જેમની સંખ્યાના અંદાજો વ્યાપકપણે ભિન્ન છે), એક મોટો રાજકીય મુદ્દો છે.2006માં, મેસચૂસિટ્સ () સાર્વત્રિક આરોગ્ય વીમાને કાયદેસર બનાવનારું પ્રથમ રાજ્ય બન્યું.

યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદાનું પાલન પ્રાથમિકપણે સ્થાનિક પોલિસ અને શેરિફ ()ના વિભાગની જવાબદારી છે, જ્યારે રાજ્ય પોલિસ () વ્યાપક સેવાઓ પૂરી પાડે છે.ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન () (એફબીઆઈ) અને યુ.એસ. માર્શલ્સ સર્વિસ () જેવી સંઘીય એજન્સીઓની ખાસ ફરજો હોય છે.સંઘીય સ્તરે અને લગભગ તમામ રાજ્યોમાં સામાન્ય કાયદા () વ્યવસ્થાથી ન્યાયવિધિ ચાલે છે.રાજ્યોની અદાલતો મોટા ભાગની ફોજદારી કાર્યવાહી હાથ ધરે છે, જ્યારે સંઘીય અદાલતો () ચોક્કસ નિયુક્ત ગુનાઓ તેમ જ રાજ્ય વ્યવસ્થાઓ સામેની અપીલો () હાથ ધરે છે.

વિકસિત દેશો ()માં યુનાટેડ સ્ટેટ્સ હિંસક ગુનાઓમાં સરેરાશથી ઊંચુ સ્તર ધરાવે છે અને ખાસ કરીને બંદૂક હિંસા () અને હત્યાના ગુનાઓ () ઊંચા સ્તરે છે.2007માં દર એક લાખે 5.6 હત્યાઓ હતી, જે પડોશી દેશ કેનેડા કરતા ત્રણ ગણી હતી.યુ.એસ.માં હત્યાનો દર1991થી 1999ની વચ્ચે 42 ટકા ઘટ્યો હતો અને ત્યારથી લગભગ સ્થિર છે.બંદૂક માલિકી હકો () સતત ચાલતા રાજકીય વિવાદનો વિષય છે ().

યુનાઇટેડ સ્ટેટ્સ દુનિયામાં સૌથી ઊંચો દસ્તાવેજીકૃત જેલવાસ () દર અને કુલ જેલ વસતિ ધરાવે છે.2008ની શરુઆતમાં, 23 લાખ કરતા વધારે લોકો જેલમાં મોકલાયા હતા, જે આંકડો દર સો પુખ્તોએ એક કરતા વધારેનો હતો.હાલનો દર 19809ના આંકડા કરતા લગભગ સાત ગણો છે. ગોરા પુરુષો કરતા છ ગણા વધારે અને હિસ્પેનિક પુરુષો કરતા ત્રણ ગણા વધારે આફ્રિકી અમેરિકીઓ જેલમાં ધકેલાયા છે.2006માં, યુ.એસ. જેલવાસ દર પોલાન્ડ કરતા ત્રણ ગણો હતો. આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠન () (ઓઇસીડી)નું સભ્ય પોલાન્ડ યુ.એસ પછી બીજા ક્રમે છે.દેશમાં જેલવાસનો ઊંચો દર મહદઅશે સજા () અને ડ્રગ નીતિઓ ()ને કારણે છે.મૃત્યુ દંડ ()ની સજા મોટા ભાગના પશ્ચિમી દેશોમાં રદ થઈ ગઈ છે, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેને ચોક્કસ સંઘીય અને લશ્કરી ગુનાઓ માટે બહાલી મળી છે અને તે તેર રાજ્યોમાં અમલમાં છે.1976માં, જ્યારે યુ.એસ. સુપ્રીમ કોર્ટે ચાર વર્ષની માફી પછી મૃત્યુ દંડની સજા પાછી ચાલુ () કરી, ત્યારે 1,000 મૃત્યુદંડનો અમલ થયો હતો.મૃત્યુદંડની સંખ્યામાં ચીન, ઇરાન, પાકિસ્તાન (), ઇરાક અને સુદાન () પછીના ક્રમે આવતા અમેરિકાનો 2006ના વર્ષમાં વિશ્વભરમાં મૃત્યુદંડની સંખ્યામાં છઠ્ઠો ક્રમ હતો.1976માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, ડીસેમ્બર 2007માં ન્યૂ જર્સી () મૃત્યુ દંડ નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ બહુસાંસ્કૃતિક () રાષ્ટ્ર છે, જ્યાં વિવિઝ વંશીય જૂથો, પરંપરાઓ અને મૂલ્યોને સ્થાન છે.હવે બહુ થોડા પ્રમાણમાં અમરિકી મૂળ વતનીઓ () અને હવાઈ મૂળ વતનીઓ ()ને બાદ કરતા અમેરિકી વંશીયતા જેવું નથી. લગભગ બધા જ અમેરિકીઓ કે તેમના પૂર્વજો છેલ્લી પાંચ સદીઓમાં સ્થળાંતર કરીને આવેલા છે.મોટા ભાગના અમેરિકીઓની સંસ્કૃતિ, એટલે કે મુખ્ય પ્રવાહની અમેરિકી સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ () છે, જે મોટે ભાગે યુરોપિય આધિવાસઓની પરંપરાઓ () માથી આવી છે. તેમાં આફ્રિકાથી લવાયેલા ગુલામોની પરંપરાઓ () જેવા અન્ય સ્રોતોની અસરો ભળી છે.એશિયા () અને ખાસ કરીને લેટિન અમેરિકા ()માંથી થયેલા તાજેતરના સ્થાયી વસવાટ માટેના સ્થળાંતરોએ એક સાંસ્કૃતિક મિશ્રણમાં ઉમેરો કર્યો છે, જેને એકરુપ કરી દેનારા મેલ્ટિંગ પોટ () અને વૈવિધ્યપુર્ણ સલાડ બાઉલ () બંને તરીકે વર્ણવવામાં આવતા રહ્યા છે, જેમાં આધિવાસીઓ અને તેમના વારસદારો ચોક્કસ સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જાળવી રાખે છે.

ગીર્ટ હોફસ્ટીડ ()ના સાંસ્કૃતિક વિશ્લેષણ પ્રમાણે, અભ્યાસ હેઠળના કોઈ પણ દેશ કરતા યુનાઇટેડ સ્ટેટ્સ વ્યક્તિવાદ ()માં સૌથી વધારે ગુણ મેળવે છે.મુખ્યપ્રવાહની સંસ્કૃતિ માને છે કે યુનાઇટેડ સ્ટેટ્સ એક વર્ગવિહીન સમાજ ()છે,  પરંતુ વિદ્વાનો દેશના સામાજિક-કરણ (), ભાષા અને મૂલ્યને અસર કરતા સામાજિક વર્ગો વચ્ચે નોંધપાત્ર ફરકો આલગ તારવે છે.અમેરિકી મધ્યમ અને વ્યવસાયિક વર્ગે ()ઘણા સાંપ્રત સામાજિક પ્રવાહોમાં પહેલ કરી છે, જેવા કે આધૂનિક નારીવાદ (), પર્યાવરણવાદ (), અને બહુ-સંસ્કૃતિવાદ.અમેરિકીઓના સ્વ-આદર્શો, સામાજિક મંતવ્યો અને સાંસ્કૃતિક અપેક્ષાઓ અસામાન્યપણે ચુસ્ત ડીગ્રી પરત્વેના વળગણ સાથે સંબંધિત છે.સામાન્ય કે સરેરાશ (), કોઈ પણ પ્રકારની સામાજિક-આર્થિક સિદ્ધિઓને મહત્વની ગણવાના અમેરિકીઓના વલણને હકારાત્મક લક્ષણ ગણવામાં આવે છે.અમેરિકી સ્વપ્ન () અથવા તો અમેરિકીઓ ઊંચી સામાજિક ગતિશીલતા () ભોગવે છે, તેવો ખ્યાલ આધિવાસીઓને આકર્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમ છતાં કેટલાક વિશ્લેષકોને જણાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ પશ્ચિમ યુરોપ કે કનેડા કરતા ઓછી ગતિશીલતા ધરાવે છે.

સ્ત્રીઓ હવે ઘરની બહાર કામ કરે છે અને મોટા ભાગની સ્ત્રીઓ સ્નાતકની પદવીઓ () મેળવે છે.2005માં, 28 ટકા ઘરો ()બાળકો વિનાના વિવાહીત દંપતિઓના હતા, જે સૌથી સામાન્ય ગોઠવણ છે.સમ-લિંગી લગ્ન () એક વિવાદાસ્પદ મુદ્દો છે, કેટલાક રાજ્યોએ લગ્નના વિકલ્પે સિવિલ યુનિયન ()ને મંજુરી આપી છે.2003 અને 2008ની વચ્ચે મેસચુસેટ્સ (), કેલિફોર્નાયા (), અને કનેક્ટિકટ ()ની સુપ્રીમ કોર્ટોએ ઠરાવ્યું હતું કે સમ-લિંગી લગ્ન પરનો રાજ્યોનો પ્રતિબંધ ગેરકાનૂની છે.કેલિફોર્નીયાના ચુકાદાને નવેમ્બર, 2008માં મતદારોએ મંજુર કરેલા રાજ્ય બંધારણીય સુધારા () દ્વારા રદ કરવામાં આવ્યો. આ સુધારો લગ્નને પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જોકે, તેની કાયદેસર હાલમાં અદાલતમાં પડકારાઇ રહી છે.2004 અને 2008 વચ્ચે 13 અન્ય રાજ્યો ()ના મતદારોએ સમ-લિંગી લગ્ન પર આ જ પ્રકારના બંધારણીય પ્રતિબંધો મુક્યા.

દુનિયાનું સૌ પ્રથમ ચલચિત્રનું વેપારી ધોરણે પ્રદર્શન 1894માં ન્યૂ યોર્ક શહેરમાં થયું હતું, જેમાં થોમસ એડિસન ()ના કાઇનેટોસ્કોપ ()નો ઉપયોગ થયો હતો..પછીના વર્ષે એક પ્રોજેક્ટે ફિલ્મનું પણ ન્યૂ યોર્કમાં સ્ક્રીનિંગ થયું હતું અને પછીના દાયકાઓમાં યુનાઇટેડસ સ્ટેટ્સ બોલતી ફિલ્મો ()ના નિર્માણમાં મોખરે હતુ.વીસમી સદીના પ્રારંભથી યુ.એસ. ફિલમ ઉદ્યોગ મોટે ભાગે હોલીવુડ () અને કેલિફોર્નીયાનીમાં અને તેની આસપાસ રહ્યો છે.નિર્દેશક ડી. ડબ્લ્યુ. ગ્રિફિથે () ફિલ્મ ગ્રામર ()ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઓર્સન વેલ્સ ()ની સિટિઝન કેન () (1941) તમામ યુગની સૌથી મહાન ફિલ્મ તરીકે વારંવાર સંદર્ભંમાં લેવાય છે.અમેરિકાના પડદાના કલાકારો જહોન વેઇન () અને મેરિલીન મનરો () મહાન આદર્શરુપ ચરિત્રો બન્યા છે, જ્યારે નિર્માતા/ઉદ્યોગ સાહસિક વોલ્ટ ડીઝની () એનિમેટેડ ફિલ્મ () અને મુવીવેપાર () બંનેમાં અગ્રણી હતા.હોલીવુડના અગ્રણી સ્ટુડીયોઝે () ઇતિહાસમાં વેપારી રીતે સૌથી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેવી કે  (1977) અનેટાઇટેનિક () (1997) અને હોલીવુડની પ્રોડક્ટ્સ આજે વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં પ્રભુત્વ ભોગવે છે.

અમેરિકીઓ વિશ્વમાં ટેલિવિઝનના સૌથી મોટા દર્શકો છે અને તેમનો સરેરાશ જોવાનો સમય વધતો રહ્યો છે, જે 2006માં દિવસના પાંચ કલાક સુધી પહોંચ્યો હતો.ચાર મોટા પ્રસારણ નેટવર્ક્સ વ્યાપારી ધોરણે ચાલતા સ્વાયત્ત એકમો છે.મોટે ભાગે વેપારી ધોરણે ચાલતા રેડીયો કાર્યક્રમોને દિવસના માત્ર સરેરાશ અઢી કલાકથી વધુ સમયઅમેરિકીઓ સાંભળે છે, વેબ પોર્ટલ ()s અને વેબ સર્ચ એન્જિનો (), ઉપરાંત સૌથી લોકપ્રિય વેબસાઇટો છે માઇ સ્પેસ (), યુ ટ્યુબ (), ફેઇસબુક (), ઇબે (), અને વિકિપીડીયા ().

આફ્રિકી અમેરિકી સંગીત ()ની લયબદ્ધ અને તાલબ્ધ શૈલીઓએ અમેરિકી સંગીત ()ને વ્યાપકપણે પ્રભાવિત કર્યું છે અને તેને યુરોપિય પરંપરાથી અલગ પાડ્યું છે.બ્લુઝ () જેવા અને હવે જે જુના સમયના સંગીત ()તરીકે ઓળખાય છે તેવા લોક () રુઢિપ્રયોગોમાંથી તત્વો લઇને અને તેમનું રુપાંતર કરીને વૈશ્વિક દર્શકગણો માટેની લોકપ્રિય શૈલીઓ ()નું સર્જન કરવામાં આવ્યું.વીસમી સદીના પ્રારંભકાળમાં લુઇસ આર્મસ્ટ્રોંગ () અને ડ્યુક એલિંગ્ટન () જેવા સર્જકોએ જાઝ () વિકસાવ્યું હતું.1920 અને 1950ના અરસામાં કન્ટ્રી સંગીત (), રીધમ અને બ્લુઝ (), અને રોક એન્ડ રોલ ()નો ઉદ્ભવ થયો.1960માં લોક પુનરોદય ()માંથી બહાર આવેલા બોબ ડીલાન () અમેરિકાના સૌથી મહાન ગીતલેખકો પૈકીના એક બન્યા અને જેમ્સ બ્રાઉને () ફંક ()ને વિકસાવ્યું.મોટા ભાગના તાજેતરના અમેરિકી સર્જનોમાં હિપ હોપ () અને ઘરેલુ સંગીત ()નો સમાવેશ થાય છે.એવિસ પ્રેસ્લી (), માઇકલ જેક્સન (), અને મેડોના () જેવા અમેરિકી પોપ સ્ટારો વૈશ્વિક કક્ષાએ વિખ્યાત થયા છે.

બીટ પેઢી ()ના સૌથી શ્રેષ્ઠ સર્જકો પૈકીના એક 

રાલ્ફ વાલ્ડો એમર્સન () અને થોરોની આગેવાની હેઠળના ટ્રાન્સેનડેન્ટાલિસ્ટો ()એ અમેરિકાની પ્રથમ મોટી તત્વજ્ઞાનની ચળવળની સ્થાપના કરી હતી. ()આંતર વિગ્રહ પછી વહેવારવાદ ()ના વિકાસમાં ચાર્લ્સ પીયર્સ () અને ત્યાર બાદ વિલીયમ જેમ્સ () અનેજહોન ડેવી () મોખરે હતા.વીસમી સદીમાં ડબ્લ્યુ. વી. ક્વાઇન () અને રિચાર્ડ રોર્ટી ()ની કૃતિઓએ અમેરિકી શિક્ષાવર્તુળોમાં વિશ્લેષણાત્મક તત્વજ્ઞાન ()ની ચર્ચા આણી.એઇન રેન્ડ ()નો વસ્તુવાદ () મુખ્યપ્રવાહમાં લોકપ્રિય બન્યા.

દ્રશ્ય કલાઓમાં હડસન રીવર સ્કુલ () યુરોપના કુદરતવાદ ()નીપરંપરામાં 19મી સદીના મધ્યભાગમાં ચાલેલી ચળવળ હતી.1913માં, યુરોપિય આધૂનિકતાવાદી કલા () આર્મરી શો ()ના ન્યૂ યોર્ક શહેરમાં થયેલા પ્રદર્શને લોકોને આઘાત પહોંચાડ્યો હતો અને અમેરિકી કલા જગતમાં પરિવર્તન આણ્યું હતું.જ્યોર્જીયા ઓકીફ (), માર્સ્ડન હાર્ટલે () અને અન્યોએ નવી શૈલીઓના પ્રયોગો કર્યા અને અત્યંત ઊંચી વ્યક્તિનિષ્ઠ સંવેદનશીલતા ઉજાગરકરી.જેકસન પોલોક () અનેવિલેમ ડી કુનિંગ ()ના અમૂર્ત અભિવ્યક્તિવાદ () અને એન્ડી વારહોલ () અને રોય લિક્ટનસ્ટીન ()ની પોપ કલા () જેવી અગ્રણી કલાત્મક ચળવળો મોટે ભાગે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિકસી હતી. આધૂનિકતાવાદ અને ત્યાર બાદ અનુ-આધૂનિકતાવાદ ()ના જુવાળે ફ્રાન્ક લોઇડ રાઇટ (), ફિલિપ જહોનસન (), અને ફ્રાન્ક ગેરી () જેવા અમેરિકી સ્થપતિઓને પ્રસિદ્ધિ અપાવી.

અમેરિકી થીયેટરના સૌ પ્રથમ અગ્રણી પ્રાયોજકો પૈકીના એક હતા પી. ટી. બાર્નમ (), જેમણે 1841માં લોઅર મેનહટ્ટન ()માં એક મનોરંજન કોમ્પલેક્સ શરુ કર્યું હતું.1870ના અંતભાગમાં હેરીગન અને હાર્ટ ()ની ટીમે ન્યૂ યોર્કમાં લોકપ્રિય સંગીતબદ્ધ () કોમેડીઝની શ્રેણી રજુ કરી.વીસમી સદીમાં બ્રોડવે () પર આધૂનિક સંગીતબદ્ધ સ્વરુપ બહાર આવ્યું, ઇર્વિંગ બર્લિન (), કોલ પોર્ટર (), અને સ્ટીફન સોન્ધેમ () જેવા મ્યુઝિકલ થીયેટર કમ્પોઝર્સના ગીતો પોપ સ્ટાન્ડર્ડ () બન્યા.નાટ્ય લેખક યુજીન ઓનીલ () 1936માં સાહિત્યનું નોબેલ ઇનામ જીત્યા, અન્ય લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકારોમાં પુલિત્ઝર ઇનામ () વિજેતાઓટેનેસી વિલિયમ્સ (), એડવર્ડ એલ્બી (), અને ઓગસ્ટ વિલ્સન ()નો સમાવેશ થાય છે.

 કોમિક સ્ટ્રિપ () અને કોમિક બુક () બંને અખબારો અમેરિકાના સર્જન છે.પ્રશિષ્ટ કોમિક પુસ્તક સુપરમેન () અને સુપરહીરો () અમેરિકી આદર્શ બન્યા છે.

મુખ્યપ્રવાહની અમેરિકી રાંધણ કલા ()ઓ અન્ય પશ્ચિમી દેશો જેવી જ છે.ઘઉં () પ્રાથમિક ધાન્ય () છે. પરંપરાગત અમેરિકી રાંધણ કલામાં ટર્કી (), વ્હાઇટ-ટેલ્ડ ડીયર () હરણનું માંસ (), બટાકા (), શક્કરીયા (), મકાઈ (), કોળુ (), અને મેપલ સીરપ (), ઉપરાંત મૂળ વતનીઓ તેમ જ પ્રારંભિક યુરોપિય વસાહતીઓના દેશી ખોરાકના વિવધ તત્વોનો ઉપયોગ થાય છે.ધીમેથી રંધાતુ ભુંડનું માંસ, બીફ, શેકેલું માંસ (), ક્ેરબ કેક (), હટાકાની વેફર ()અને ચોકોલેટ ચિપ કુકીઝ () વિશિષ્ટપણે અમેરિકી શૈલીનો આહાર છે.આફ્રિકી ગુલામોએ વિકસાવેલું સાઉલ ફૂડ () દક્ષિણમાં તેમ જ બીજે ઠેકાણે વસતા આફ્રિકી અમેરિકીઓમાં લોકપ્રિય છે.સમન્વયકારી () રાંધણ કલા જેવી કે લુઇસીયાના ક્રીયોલ (), કેજન (), અને ટેક્સ-મેક્સ () પ્રાદેશિક મહત્વ ધરાવે છે.એપલ પાઇ (), ફ્રાઇડ ચિકન (), પિત્ઝા (), હેમબર્ગર () અનેહોટ ડોગ () જેવી લાક્ષણિક વાનગીઓ વિવિધ આધિવાસીઓની રાંધણકલામાંથી આવી છે.બુરિટો () અને ટેકો () અને પાસ્તા () જેવી મેક્સિકન વાનગીઓ તેમ જ ફ્રેન્ચ ફ્રાઇઝ () ઇટાલીયન સ્રોતમાંથી ફેરફાર કરીને અપનાવવામાં આવી અને વ્યાપકપણે ખવાય છે.અમેરિકીઓ સામાન્યપણે ચા કરતા વધારે કોફીને પસંદ કરે છે.ઓરેન્જ જ્યુસ અને દૂધ નાસ્તા સાથે લેવાતા પીણા તરીકે પ્રચલિત થયા તેના માટે મોટે ભાગે અમેરિકી ઉદ્યોગોનું માર્કેટિંગ જવાબદાર છે.1980 અને 1990ના અરસામાં અમેરિકીઓના આહારમાં કેલરીના પ્રમાણમાં 24 ટકા વધારો થયો. ફાસ્ટ ફૂડ ()ના આઉટલેટ્સ પર વાંરવાર જમવાની આદત, આરોગ્ય અધિકારીઓ જેને અમેરિકી સ્થુળતા રોગચાળો કહે છે, તેની સાથે સંકળાયેલી છે.અત્યંત મધુર હળવા પીણા () વ્યાપકપણે લોકપ્રિય છે, ખાંડવાળા હળવા પીણા અમેરિકીઓના સરેરાશ કેલરી વપરાશમાં 9 ટકા હિસ્સો ધરાવે છે.

મોટા ભાગની અમેરિકી રમતો યુરોપિય પ્રણાલીઓમાંથી ઉતરી આવી છે, તેમ છતાં વોલીબોલ (), સ્કેટબોર્ડિંગ (), સ્નોબોર્ડિંગ (), અને ચીયરલીડિંગ () અમેરિકાની મૌલિક રમતો છે.લક્રોસ ()અને સર્ફિંગ () અમેરકાના મૂળ વતનીઓ અને હવાઇના મૂળ વતનીઓની પ્રવૃત્તિઓમાંથી ઉતરી આવ્યા છે, જે પશ્ચિમી સંપર્ક પહેલાની રમતો છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં આઠ ઓલીમ્પિક રમતો () યોજાઈ છે. ()ઉનાળુ ઓલીમ્પિક રમતો ()માં યુનાઇટેડ સ્ટેટ્સે 2,301 ચંદ્રકો જીત્યા છે, જે કોઈ પણ દેશ કરતા વધારે છે અને શિયાળુ ઓલીમ્પિક રમતો ()માં બીજા ક્રમે 216 ચંદ્રકો મેળવ્યા છે.




#Article 117: સાબરકાંઠા જિલ્લો (142 words)


સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબરડેરી  દુધ ઉત્પાદક  ડેરી તરીકે જાણીતી  છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. ઇડરીયો ગઢ એ જિલ્લાની ઓળખ છે. ધાર્મિક પ્રસિધ્ધ ખેડબ્રહ્માનુ અંબાજી અને બ્રહ્માજી મંદીર છે. જિલ્લામાં ચિત્ર વિચિત્ર નો પ્રસિધ્ધ આદીવાસી સંસકૃતી ધરાવતો મેળો પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ભરાય છે. પ્રવાસન માટે કુદરતી સૌદર્ય ધરાવતુ પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ છે, જ્યાં સૈકાઓ જુના શિવ અને જૈન મંદીરો પણ આવેલા છે. રાજસ્થાન રાજ્યનો સરહદી જીલ્લો છે. મીટરગેજ રેલ્વે લાઇન હવે બ્રોડગેજમાં રુપાંતરીત કરાઇ રહી છે જે અમદાવાદ થી ઉદયપુર પસાર થતી રેલ્વે લાઇન પર હિંમતનગર મુખ્ય જંકશન છે.

જિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ ચોરસ કિમી છે.

જિલ્લાની સામાન્ય રુપરેખા:

મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, બાયડ અને મેઘરજ તાલુકાઓનો સમાવેશ અરવલ્લી જિલ્લામાં થયો છે.




#Article 118: ભરૂચ જિલ્લો (173 words)


ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે.

ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.

ભરૂચ જિલ્લો ઉત્તર અક્ષાંશ ર૧૦ રપ' ૪પ અને પૂર્વ રેખાંશ ૭ર૦ ૩૪' ૧૯ દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. ઉત્તરમાં ખેડા જિલ્લો અને વડોદરા જિલ્લો, પૂર્વમાં ધૂળે (પશ્ચિમ ખાનદેશ) જિલ્લો, પશ્ચિમે ખંભાતના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે સુરત જિલ્લાથી આ જિલ્લો ઘેરાયેલો છે. મહી નદી અને નર્મદા નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા દહેજ,  કાવી અને  ટંકારી નાની કક્ષાનાં બંદરો છે




#Article 119: ગાંધીનગર (209 words)


ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.

ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.




#Article 120: રોટલી (185 words)


રોટલી એ ભારતીય તથા અન્ય સંબંધીત પાકશાસ્ત્રોમાં એક મુખ્ય વાનગી છે.

ઘઉંને ઝીણું દળીને લોટ બનાવવામાં આવે છે. પછી ચાળીને  આ લોટમાં પ્રમાણસર પાણી અને મીઠું નાખીને તેનો ઢીલો લોટ બાંધવામાં આવે છે. રોટલી સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા મોણ (તેલ) પ્રમાણસર નાખવામાંં આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યા બાદ તેને આડણી(ઓરસિયો/ પાટલો/ચકલો પણ કહેવાય છે) ઉપર વેલણ વડે વણીને ગોળ આકાર આપવામાં આવે છે અને તેને લોઢી/તવી/તવા/તાવડી ઉપર શેકવામાં આવે છે. આમ રોટલી તૈયાર થાય છે, જેની ઉપર ઘી લગાડીને શાક સાથે પીરસવામાં આવે છે. રોટલી જો જાડી બનાવવામાં આવે તો તેને રોટલો કહેવાય છે. રોટલો બાજરીના લોટનો, જુવારના લોટનો અને મકાઈના લોટનો પણ બને છે.

રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફૂલકા, રૂમાલી, તંદુરી વગેરે. રોટલી જેમાં બે પડ હોય છે, તેને બેપડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને ભાખરી પણ કહે છે જે બનાવવા માટે મોણ(તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરી બનાવવા લોટ કઠણ બાંધવો પડે છે. આજકાલ તો લગ્ન પ્રસંગોમાં પણ નાની રોટી, ફૂલકા રોટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.

રોટલી પરથી જોડકણાં પણ બન્યાં છે. જેમ કે,




#Article 121: ઇસ્લામ (732 words)


ઇસ્લામ (અરબી: اسلام ) એક એકેશ્વરવાદી ધર્મ છે એ મુજબ એક માત્ર ઈશ્વર અલ્લાહ[1] છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દૂત (સંદેશવાહક) છે.આ ધર્મ અલ્લાહના પયગંબર અને નબી મુહંમદ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. અનુયાયીઓની બાબતે ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે (અર્થાત વિશ્વની વસ્તીના ૨૪.૧%), ઇસ્લામના અનુયાયી મુસ્લિમ કે મુસલમાન કહેવાય છે. મુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે જે પોતાના દૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે. મુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ કુરાન છે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસલમાનો માને છે. બીજા ધર્મગ્રંથોને સુન્નત કે હદીસ તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ-મ-ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.
મુસલમાનોમાં મુખ્યત્વે બે સંપ્રદાયો જોવા મળે છે.(૧) સુન્ની મુસલમાનો (૭૫-૯૦%) અને શિયા મુસલમાનો(૧૦-૨૫%).ઇન્ડોનેશિયા વિશ્વનની ૧૩% મુસ્લિમ વસ્તી સાથે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે.૨૩% મુસલમાનો મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં તથા ૩૧% મુસલમાનો દક્ષિણ એશિયા માં અને ૧૫% સબ-સહારાના આફ્રિકામાં વસે છે.કેટલાક મુસ્લિમ સમૂદાયો અમેરિકા,કોકેસસ,મધ્ય એશિયા,ચીન,યુરોપ,દક્ષિણ પૂર્વ એશિયાના ધરાતલ,ફિલીપાઈન્સ,અને રશિયામાં પણ વસવાટ કરે છે.

એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞાપાલન કરવું અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો. 

પૂર્ણતઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો, વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો((arkān al-Islām أركان الإسلام; also arkān al-dīn أركان الدين pillars of the religion) દરેક મુસલમાન માટે ફરજીયાત માનવામાં આવે છે. આ બાબતો પ્રસિદ્ધ હદીસ હદીસ એ જિબ્રિલ માં વર્ણવવામાં આવી છે. [9] [10] [11] [12]

સુન્ની ઇસ્લામ જૂથમાં 5 સ્તંભોને માનવામાં આવે છે જયારે શિયા ઇસ્લામ જુથમાં 6 સ્તંભો છે.

ઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત બાબતોમાં શ્રધા હોવી અનિવાર્ય છે:

૧. એકેશ્વરવાદ: મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.

૨. રિસાલત (ઈશદૂતત્વ): ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મુહમ્મદ  છે. 

૩. ધર્મ પુસ્તક: મુસલમાનો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ(બાઈબલ).

૪. ફરિશ્તા (અરબીમાં મલાઈકા): ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસથી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદાજુદા સમયે જુદીજુદી રીતે દેખાય છે.

૫. કયામત(પ્રલય)નો દિવસ: મુસલમાનોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.

૬. નસીબ: મુસલમાન હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના થતું નથી.

૭.બંદગી : ઇસ્લામમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે.

જ્ન્નત (સ્વર્ગ): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ તેની કૃપાથી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહે એવી બનાવી છે કે, માણસે દુનિયામાં એની કલ્પના પણ નહી કરી હોય.

દોઝખ (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામતના દિવસે અલ્લાહ નરકમાં નાખશે ,જ્યાં એવા એવા વિચિત્ર પ્રાણીઓ  હશે જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. નર્કની આગ અલ્લાહે એવી બનાવી છે કે એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે.

Pew Research Centre,April 2,2015,retrieved October 20,2018

p.34.ISBN 978-1-4381-2698-8.




#Article 122: ભારતનો રાષ્ટ્રધ્વજ (1304 words)


ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણેનો એટલે કે ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.

અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે.

ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે ત્રિરંગો તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જે પછીથી ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે,

ભગવો અથવા કેશરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને લીલો કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે.

બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ () નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.  

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. 

રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે.

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે.

રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.




#Article 123: મુહમ્મદ (2798 words)


મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) (અથવા ‍મહંમદ અથવા મુહંમદ) એ ઇસ્લામના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનો જન્‍મ ૧૨ રબી ઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્‍તાનનાં મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત અબ્દુલ્લાહનુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ મુત્તલિબની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત (પયગંબર) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સ .અ. વ.)' તરીકે ઓળખાયા. જેનો અર્થ 'અલ્લાહની દયા એમના પર થજો' થાય છે. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે ખૂબજ પ્રશન્સા પામેલ. કુરાનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનુ એક નામ અહમદ પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યું. આ ઉપરાંત રોઝા રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનું જણાવ્યુ. તેઓ ૬૩ વર્ષની વયે મૃત્યું પામ્યા હતા.

ઈબ્રાહીમના પુત્ર ઈસ્માઈલના કુટુંબમાં અદનાન નામી વંશજથી ચાલેલ પેઢીમાં તેમનો જન્મ થયો. વંશાવળી નીચે મુજબ છે.

પેઢીમાં અવતરનાર અંતિમ નબીના નૂરના કિરણો આપના કપાળેથી પ્રકાશ રેલાવતાં.બની ઈસ્રાઈલના વિદ્વાનો આ જોઈ આપની સામે ઝુકી જતા.આ જ નૂરે નુબુવ્વ્તને પામવા માટે રૂમના બાદશાહ હરકયુલિસે આપને કહેણ મોકલ્યું કે હું આપની દાનવીરતા અને ઉદારદિલીથી અત્યંત પ્રભાવિત થયો છું,મારી પાસે પધારો, હું મારી રાજકુમારી આપને પરણાવવા માંગું છું.વાસ્તવમાં આ બહાને તે નૂરે નુબુવ્વતને પોતાના ખાનદાનમાં ખેંચી લાવવા માંગતો હતો.પરંતુ હાશિમે ઈન્કાર કરી દીધો અને મદીનાના બની નજ્જાર ખાનદાનની બીબી સલમા નામી ખાતૂનથી નિકાહ કર્યા.

(૧) અબ્બાસ 

(ર)હમ્ઝહ  

(૩)અબૂ તાલિબ  

(૪)ઝુબૈર 

(પ) હારિસ  

(૬)હજ્લ  

(૭) મુકવ્વિમ  

(૮) ઝિરાર 

(૯) અબૂલહબ. 

(૧) સફિય્યહ 

(ર) ઉમ્મે હકીમ

(૩) આતિકહ 

(૪) ઉમયમહ 

(પ) અરવા 

(૬) બર્રહ.

પિતા અબ્દુલ્લાહ આપના જન્મ પૂર્વે જ મરણ પામ્યા.તેઓ દાદા અબ્દુલ મુત્તલિબના લાડકા અને વિષેશ કેળવણી પામેલ દીકરા હતા.

ઝમઝમનો કૂવો ખોદતી વેળા અબ્દુલ મુત્તલિબે મન્નત માની હતી કે જો પરવરદિગાર મને ૧૦ પુત્રો આપશે તો એમાંથી એકને હું અલ્લાહના નામ ઉપર વધેરીશ. સમય વીત્યો અને આપને ત્યાં દસ પુત્રો થયા. મન્નત પૂરી કરવા અબ્દુલ મુત્તલિબે ચીઠ્ઠીઓ ઉછાળી તો એમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું.

એક હાથમાં અબ્દુલ્લાહની આંગળી અને બીજા હાથમાં વધેરવાની છરી લઈ અબ્દુલ મુત્તલિબ વધસ્થળ તરફ આગળ વધે છે.લાડકા ભાઈની બહેનો આ જોઈ દ્રવી ઉઠે છે.એક બહેને કરગરીને કહયું કે પિતાજી ! ફરી એકવાર અબ્દુલ્લાહ અને દસ ઊંટો વચ્ચે ચીઠ્ઠી ઉછાળી જુઓ. (દસ ઉંટો તે વેળા એક માણસના ખૂનનો બદલો હતો)આ વેળા પણ ચીઠ્ઠીમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું.

અબ્દુલ મુત્તલિબ ૧૦-૧૦ ઊંટ વધારી ચીઠ્ઠીઓ નાંખતા રહયા.અંતે ૧૦૦ ઊંટો વેળા ચીઠ્ઠી ઊંટોના નામે નીકળી અને અબ્દુલ્લાહના બદલે ૧૦૦ ઊંટ વધેરવામાં આવ્યા.

બનૂ ઝુહરહ નામી ખાનદાનની એક કુળવાન ખાતૂન બીબી આમિનહ સાથે આપના નિકાહ થાય છે.માતા તરફની વંશાવળી નીચે મુજબ છે.મુહમ્મદ બિન આમિનહ બિન્તે વહબ બિન અબ્દે મનાફ બિન ઝુહરહ બિન કિલાબ બિન મુર્રહ.કિલાબ ઉપર બન્નેવ ખાનદાનો ભળી જાય છે.

અંતે ચાંદ પ્રગટે છે. અને અંધારૂ દૂર થવાની ઘડીઓ નજીક આવી પહોંચે છે. આગમનની છડી પોકારતા અનેક ચમત્કારો વિશ્વમાં ઘટવા માંડે છે.માતાને પ્રકાશમાં  શામના મહેલો દેખા દે છે.ઈરાની મહારાજા કિસ્રાનો મહેલ ધણધણી ઉઠે છે.અને મહેલના ૧૪ કાંગરાઓ (કળશ-ગુંબદ) ખરી પડે છે. તે જ સવારે દરબારમાં ખબર પહોંચે છે કે હઝાર વષ્ર્ાથી નિરંતર સળગતી અને પૂજાતી અગિયારમીની આગ અચાનક ઓલવાય જાય છે. સાવહ નામની એક મોટી નદીનું ખરખર વહેતું જળ અચાનક કયાં ઉતરી જાય છે કે નદીમાં નામ માત્ર પાણી દેખાતું નથી.

ફકત પચાસ પંચાવન દિવસ પહેલાંની જ વાત, અબરહા નામનો બાદશાહ હાથીઓનું લશ્કર લઈ અલ્લાહના ઘર કા'બાને તોડવા આવે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ તે સમયે કા'બાના મુતવલ્લી હતા.મકકા વાસીઓને સલાહ આપે છે કે અબરહાના શકિતશાળી લશ્કરના પ્રતિકારની આપણામાં હામ નથી, અને ઘર ખુદાનું છે.આપણે બહાર નીકળી જઈએ, અલ્લાહ જ એના ઘરની રક્ષાા કરશે.અને સાચે જ અલ્લાહે અબ્દુલ મુત્તલિબના શબ્દો સાચા કરી દેખાડયા.અલ્લાહનો પ્રકોપ અબરહાના લશ્કર ઉપર ઉતરે છે અને તે નાનકડા પક્ષાીઓની ચાંચમાંથી વિખેરાતી નાની નાની કાંકરીઓથી માયર્ો જાય છે.

રબીઉલ અવ્વલની ૧રમી તારીખ હતી. ઈસ્વી સન પ્રમાણે પ૭૧, ર૦ કે રર એપ્રિલના પરોઢિયે હજુ રાત પૂરી થઈ ન હતી અને દિવસ સંપુર્ણ ઉગ્યો ન હતો, એવા સમયે આપનો પવિત્ર જન્મ થાય છે.જાણે આપનું આગમન ઝુલ્મ-અત્યાચારની અંધારી રાત અને માનવજાતના કષ્ટોના કપરા દિવસો, બન્નેના ભવિષ્યને એક સાથે ઉજળું કરવા થાય છે.

આપના નિકાહ પચ્ચીસ (રપ) વર્ષ  બે મહીના, દસ દિવસની ઉમરે થયા, હઝરત ખદીજા (રદી.)ની ઉમર એ વખતે  ચાલીસ (૪૦) વર્ષની હતી.

રિવાયત છે કે હઝરત ખદીજાને ૧ર ઓકિયા સોનું મહેર આપી, ( ૧, ઓકિયા ૧૧૧ ગ્રામ, ૪૭ર મી. ગ્રામ).

વહી પહેલાં ૧પ વરસ  અને વહી પછી  હિજરતના પૂર્વે ત્રણ વષ્ર્ા સુધી તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે રહયા, એમની વફાત થઈ ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઉમર ૪૯ વરસ, આઠ મહીનાની હતી, તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના નિખાલસ સલાહકાર અને મદદગાર હતાં.

હઝરત ખદીજા રદિ.ની કુખે નુબુવ્વત પછી એક બાળક 'કાસિમ' પેદા થયા, જેમના નામ ઉપરથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કુન્નિયત 'અબુલકાસિમ' પડી હતી. અને બીજા પુત્ર અબ્દુલ્લાહ પેદા થયા, એમનું જ બીજું નામ તય્યિબ હતું. એમને જ તાહિર કહેતા હતા. અમુકના મત મુજબ તય્યિબ અને તાહિર અલગ છે.

અને પુત્રીઓ : ઝયનબ, રૂકય્યા, ઉમ્મે કુલ્ષૂમ અને ફાતિમહ.

મુહમ્મદ બિન ઇસ્હાક રહ.ની રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. અને પુત્રો બધા જ 'દુગ્ધાશી' એટલે કે દૂધપીવાની ઉમરે જ વફાત પામ્યા. સીરતકારોનું એક કથન એવું છે કે કાસિમ બે વરસની ઉમરે વફાત પામ્યા, એમના વિશે જ અમુકનું કહેવું છે કે સીધી સવારી પર સવાર થઈ શકે એટલી ઉમરે આપની વફાત થઈ. અલબત્ત પુત્રીઓએ ઇસ્લામનો ઝમાનો જોયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન પણ લાવી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુસરણ પણ કયુઁ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે હિજરત પણ ફરમાવી. અમુકનું કહેવું છે કે અબ્દુલ્લાહ સિવાયની બધી અવલાદ નુબુવ્વત પૂર્વેની છે.

સૌથી મોટા પુત્ર કાસિમ, પછી તય્યિબ અને ત્યાર બાદ તાહિર.

પુત્રીઓમાં સૌથી મોટાં ઝયનબ, પછી રૂકય્યા. અમુકના કથન મુજબ રૂકય્યા મોટાં પછી ઝયનબ. ત્યાર બાદ ફાતિમહ અને પછી ઉમ્મે કુલ્ષૂમ. એક કથન આ પણ છે કે ફાતિમહ સહુથી નાનાં છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ સઘળી અવલાદ હઝરત ખદીજા રદિ.ની કુખે મક્કા મુકર્રમામાં પેદા થઈ.

મદીનામાં એક સાહબઝાદા, ઇબ્રાહીમ, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ગુલામડી, મારિયહ કિબ્તીયહ રદિ.ના કુખે પેદા થયા અને મદીનામાં જ વફાત પામ્યા. સત્તર દિવસ એમની ઉમર હતી. એક કથન મુજબ સાત માસની વયે વફાત પામ્યા. એક કથન ૧૮ માસની વય હોવાનું પણ છે.

હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં.

રર લડાઈઓ મશ્હૂર છે.

હઝરત ઝૈદ બિન અરકમ (રદી.)થી રિવાયત છે, તેઓ ફરમાવે છે કે, મેં હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સંગાથે ૧૭ ગઝવહ કર્યા અને બે માં જોડાઈ શકયો નહીં.

ઇબ્ને ઇસ્હાક, અબૂ મઅશર અને મૂસા બિન ઉકબા વગેરેનું કથન છે કે, હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે રપ ગઝવહ કયર્ા, એક કથન ર૭ ગઝવહનું છે, એ ઉપરાંત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ દ્વારા સહાબાના નેતૃત્વમાં મોકલવામાં આવેલ નાની ટુકડીઓની સંખ્યા લગભગ પ૦ છે.

આ બધામાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે ૭ ગઝવહમાં જ લડાઈ લડયા છે, બદર, ઉહદ, ખન્દક, બનુકુરયઝહ, મુસ્તલક, ખૈબર અને તાઈફ. અમુક સીરતકારોના મત મુજબ વાદીયુલકુરા, ગાબહ અને બનૂ નઝીરમાં પણ આપ લડાઈ લડયા છે.

નોંધ : ઈસ્લામી પરિભાષા મુજબ જે લડાઇમાં મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સાહેબે પોતે ભાગ લીધો હોય એને ગઝવહ કહે છે. અને જેમાં ૫યગંબર સાહેબ ૫ોતે ગયા ન હોય એને સરિય્યહ કહે છે.v

ત્રેસઠ વરસની ઉમરે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. ઉમ્ર મુબારક વિશે બે કથનો બીજાં પણ છે. એક પાંસઠ વરસ અને બીજું સાંઈઠ વરસનું. પરંતુ ૬૩ વરસની રિવાયત જ સહી છે.

૧ર, રબીઉલ અવ્વલ, સોમવારના દિવસે ચાશ્તના સમયે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. અમુક રિવાયતોથી વફાતની તારીખ ર, રબીઉલ અવ્વલ માલૂમ પડે છે.

હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે, તમારા નબીએ અકરમ સોમવારના દિવસે પેદા થયા. સોમવારના દિવસે જ મક્કાથી હિજરત કરી, સોમવારના દિવસે જ મદીના શરીફમાં પ્રવેશ્યા અને સોમવારના દિવસ જ વફાત પામ્યા.

બુધવારની રાતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દફનાવવામાં આવ્યા. એક રિવાયત મંગળવારની રાત્રિની પણ છે.

મૃત્યુની બીમારી

૧ર દિવસ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બીમાર રહયા. અમુક ૧૪ દિવસ કહે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તાવ આવતો હતો. રિવાયતોમાં આવે છે કે إذا جاء نصر اللہ ઉતરવાના પછીથી જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીમારી શરૂ થઈ ગઈ હતી, કારણ કે આ સૂરત વફાતની જાણ કરવાના અર્થમાં જ હતી.

જુમેરાતના દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માથા મુબારક ઉપર તેલવાળો અમામહ બાંધીને હુજરા શરીફમાંથી મસ્જિદમાં પધાર્યા તો મુબારક ચહેરો પીળો પડી રહયો હતો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મિમ્બર ઉપર બેસીને હઝરત બિલાલ રદિ.ને બોલાવ્યા અને ફરમાવ્યું કે, એલાન કરી દો કે તમારા નબીની નસીહત સાંભળવા ભેગા થઈ જાઓ, કારણ કે આ છેલ્લી નસીહત છે. આ સાંભળતાં જ અબાલ - વૃદ્ઘ, સઘળા, જે સ્િથતિમાં હતા, મસ્જિદમાં ભેગા થઈ ગયા. લોકોને ન તો બારણા બંધ કરવાનું ભાન હતું, ન માલ - મતાની ફિકર. બધું ખુલ્લું મુકીને મસ્જિદમાં દોડી આવ્યા. એટલે સુધી કે પરદહનીશન, લાજવંતી કુંવારિકાઓ પણ પોતાના મહબૂબ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની છેલ્લી નસીહત સાંભળવા ઘરોમાંથી બહાર દોડી આવી. 

આવનારાઓથી મસ્જિદ ભરાય ગઈ. જગા ઓછી થઈ પડી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વારંવાર ફરમાવવું પડયું કે પાછળથી આવનારાઓ માટે કંઈક જગ્યા કરો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉભા થયા અને ઘણો જ ઉમદા, અર્થસભર ખુત્બો આપ્યો. અને પછી હજુરા શરીફમાં પરત સિધાવી ગયા. ત્યાર પછી દિવસે દિવસે બીમારી વધતી રહી, અને પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ ખુત્બો આપ્યો નથી.

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો સમય નÒક હતો, ત્યારે પાસે પાણીથી ભરેલો એક પ્યાલો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર એમાં હાથ નાખતા અને ચહેરા ઉપર ફેરવતા. અને આ દુઆ દોહરાવતા : ��اللہم اعنی علی سکرات الموت હે અલ્લાહ !મોતની સખ્તી ઉપર મારી મદદ ફરમાવ.

જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ તો લોકો હુજરા શરીફમાં ભેગા થઈ ગયા. પવિત્ર શરીરને એક સુંદર ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું. ફરિશ્તાઓએ શરીર ઢાંકી દીધું હતું. એમ પણ રિવાયતોમાં આવે છે.

અત્યંત ગમગીની

અમુક સહાબાએ ઘણા જ ગમ - સદમાની અસરમાં આવીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો ઇન્કાર કરી દીધો. હઝરત ઉમર રદિ. પણ એમાંના એક હતા. હઝરત ઉસ્માન રદિ. વગેરે ઘણા સહાબાનું બોલવાનું પણ સદમાના કારણે બંધ થઈ ગયું. બીજા દિવસ સુધી એમની ઝબાનથી કોઈ શબ્દ નીકળ્યો નહી. અમુક લોકો તો સદમાના લઈને બેસી જ ગયા. ઉઠવાની શકિત પણ એમનામાં ન રહી. હઝરત અલી રદિ.નો આ જ હાલ હતો.

આ ઘટના વેળા હઝરત અબ્બાસ રદિ. અને હઝરત અબૂબક્ર રદિ.થી વધારે દઢતા કોઈની ન હતી.

જયારે સહાબએ કિરામ રદિ.નો ગમ કંઈક ઓછો થયો અને ગુસલ વિશે વાત ચીત કરવા લાગ્યા તો હુજરા શરીફના દરવાજેથી અવાજ સંભળાયો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો પાક સાફ જ છે. એમને ગુસલ ન આપશો. ત્યાર પછી બીજી અવાજ સંભળાયી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપો. પહેલી અવાજ શયતાનની હતી, હું ખિઝર છું. ત્યાર પછી હઝરત ખિઝરે સહાબએ કિરામથી તઅઝિયત ફરમાવી અને કહયું કે, 

અલ્લાહ તઆલા પાસે જ દરેક મુસીબતમાં તસલ્લી છે અને દરેક જનારનો બદલો છે અને દરેક જતી રહેનાર વસ્તુનો અજ્ર છે. માટે અલ્લાહ તઆલા ઉપર જ ભરોસો કરો, એની ઝાતથી જ ઉમીદ રાખો. ખરી મુસીબતમાં તો એ માણસ છે જે સવાબથી મહરૂમ કરી દેવામાં આવે.

સહાબા રદિ.નો મત આ બાબતે અલગ અલગ હતો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પહેરેલાં કપડાંઓમાં જ ગુસલ આપવામાં આવે કે અન્ય મય્યિતોની જેમ કપડાં કાઢીને ગુસલ આપવામાં આવે ?

બધા આ અસમંજસમાં હતા, એ દરમિયાન દરેક ઉપર અલ્લાહ તઆલા તરફથી ઘેન - ઊંઘનો અસર છવાય ગયો, દરેક માણસ નિંદરના નશામાં ચાલ્યો ગયો, અને પછી અવાજ આવી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કપડાંઓ સાથે જ ગુસલ આપવામાં આવે. અવાજ સાંભળતા જ બધા ચોંકીને જાગૃત થઈ ગયા અને પછી કમીસ પહેરેલી સ્િથતિમાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપવામાં આવ્યું.

ગુસલ આપતી વેળા કોઈ અવયવને સહાબા ફેરવવા ચાહતા તો તે અવયવ પોતે જ ફરી જતો. હવાની લહેરખી જેવી પાતળી અવાજ કાનમાં સંભળાતી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે નરમાશથી કામ કરો, ગુસલ આપનારા એકલા તમે જ નથી, અન્યો પણ છે.

.હઝ. અલી બિન અબી તાલિબ રદિ. .હઝ. અબ્બાસ રદિ. .હઝ. ફઝલ બિન અબ્બાસ રદિ. .કુષ્ામ બિન અબ્બાસ રદિ. .ઉસામહ બિન ઝેદ રદિ. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ગુલામ .હઝ. શુકરાન રદિ..હઝ. ઓસ બિન ખવલી અન્સારી રદિ. પણ આ વેળા ઉપસ્િથત હતા. 

હઝરત અલી રદિ.એ પેટ ઉપર હાથ ફેરવ્યો, પણ પેટમાંથી કંઈ નીકળ્યું નહી. એટલે તેઓ બોલ્યા કે આપ તો Òવતં અને મૃત, દરેક સ્િથતિમાં પાક - સાફ જ રહયા.

ત્રણ સફેદ ચાદરોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કફન પહેરાવવામાં આવ્યું. યમનના એક શહેર સુહૂલની બનેલી આ ચાદરો હતી. કફનમાં કમીસ - અમામહ ન હતાં. ફકત સિલાઈ વગરની ત્રણ ચાદરો જ હતી. મુશ્કની ખુશ્બૂ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે વાપરવામાં આવી હતી. હઝરત અલી રદિ. એ એમાંથી થોડી બચાવી લીધી હતી, એમ કહીને કે મારા મરવા પછી એને વાપરવામાં આવે.

આપની જનાઝહની નમાઝ મુસલમાનોએ અલગ અલગ પઢી. કોઈએ ઇમામત કરાવી નથી. અમુકે એનું કારણ એ દશર્ાવ્યું છે કે આમ કરવાથી દરેકને આગવી નમાઝે જનાઝહની સઆદત મળે, કોઈની તાબેદારી - ઇમામતમાં પઢવી ન પડે. અમુકનું કહેવું છે આમ કરવા પાછળ નમાઝનો સમય લાંબો કરવાનો આશય હતો, જેથી બહારથી આવનારા લોકો નમાઝ અને દફન ક્રિયામાં શરીક થઈ શકે.

કબર શરીફમાં નીચે લાલ કામળી પાથરવામાં આવી. આ કામળી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વધુ પડતી ઓઢતા હતા. શુકરાન રદિ.એ આ ચાદર પાથરી. કબરમાં હઝ. અબ્બાસ રદિ. હઝ. અલી રદિ. હઝ. ફઝલ રદિ. કુષ્ામ રદિ. અને શુકરાન રદિ. ઉતયર્ા. એક રિવાયતમાં છે કે હઝ. અબ્દુર્રહમાન બિન અવફ રદિ. પણ કબરમાં ઉતર્યા.

અમુક રિવાયતોમાં છે કે સહાબએ કિરામ રદિ. વચ્ચે દફન કરવાની જગ્યા વિશે અલગ અલગ મંતવ્યો હતાં. અમુકનું કહેવું હતંુ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના નમાઝ પઢવાના સ્થળે દફન કરવામાં આવે. અમુક જન્નતુલ બકીઅમાં દફન કરવાનું કહેતા હતા. હઝ. અબૂબક્ર સિદ્દીક રદિ.એ ફરમાવ્યું કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા છે કે દરેક નબીને તેની વફાતના સ્થળે જ દફન કરવામાં આવ્યા છે. માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના સ્થળે જ આપને દફન કરવામાં આવે.

આ નિર્ણય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો બિસ્તર એ સ્થળેથી હટાવીને ત્યાં કબર ખોદવામાં આવી. અને કબર ઉપર નવ (૯) કાચી ઈંટો ઢાંકવામાં આવી.

કબર લહદ (બગલી) બનાવવામાં આવે કે નહી, એ બાબતે પણ મતભેદ હતો, એટલે ફેસલો કરવામાં આવ્યો કે, 

મદીના શરીફમાં બે માણસો કબર ખોદે છે.

(૧) હઝ. અબૂ તલ્હા રદિ. તેઓ લહદ (બગલી) કબર બનાવે છે.

(ર) હઝરત અબૂ ઉબૈદહ રદિ., તેઓ લહદ બનાવતા નથી.

આ બેમાંથી જે પહેલા આવે તે એમની રીત પ્રમાણેની કબર બનાવશે.

થોડી વારે હઝ. અબૂ તલ્હા રદિ. આવી ગયા, એટલે કબર શરીફમાં લહદ બનાવવામાં આવી.

કબરની જગ્યાએ હઝરત આઈશહ રદિ.નો હુજરહ (રૂમ) હતો.

સીરતની કિતાબોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ગાય - ભેંસ પાળી હોય એવો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત વીસ દુધાળી ઊંટણીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે હતી. આ ઊંટણીઓ જંગલમાં રાખવામાં આવતી હતી અને રાત્રે એમનું દૂધ દોહીને બે મશકોમાં ભરીને લાવવામાં આવતું હતું. અમુક ઊંટણીઓ ઘણું દૂધ આપતી હતી. જેમ કે, અલહન્નાઅ. અસ્સમરાઅ. અલઉરય્યિસ. અસ્સઅદિય્યહ. અલબુગૂમ. અલયુસયરહ. અલરય્યાઅ.

બુરદહ : આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક ઊંટણીનું નામ 'બુરદહ' હતું. ઝહહાક બિન સુફયાને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપી હતી. અને સૌથી વધુ દૂધ આપતી હતી. આ એક ઊંટણી બે ઉચ્ચપ્રકારની ઊંટણીઓ જેટલું દૂધ આપતી હતી.

મહરિય્યહ : એક ઊંટણીનું નામ મહરિય્યહ હતું. હઝરત સઅદ બિન ઉબાદહ રદિ.એ બનુઉકૈલના ઊંટોમાંથી પસંદ કરીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં ભેટ આપી હતી.

કસ્વાઅ (કપાયેલા કાનવાળી) : આ જ તે ઊંટણી છે, જે હઝરત અબૂબક્ર રદિ.એ બનૂકુશૈરથી ૮૦૦ દિરહમમાં ખરીદી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એના ઉપર સવાર થઈને જ હિજરત કરી હતી. ત્યારે એની ઉમર ચાર વરસ હતી. વહી ઉતરતી ત્યારે આ ઊંટણી સિવાય બીજી કોઈ પણ ઊંટણી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ભાર વેઠી શકતી ન હતી. એને અઝબાઅ અને જદઆઅ પણ કહેતા હતા. અમુક રિવાયતોથી માલૂમ પડે છે કે આ ત્રણ અલગ અલગ ઊંટણીઓના નામો છે.

આ કસ્વાઅ ઊંટણી દોડમાં પણ બધાથી આગળ રહેતી હતી. પણ એકવાર પાછળ રહી ગઈ તો એના પાછળ પડી જવાથી મુસલમાનોને ઘણો આઘાત લાગ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનોને સમજાવ્યા કે આ અલ્લાહ તઆલાનો ફેસલો છે, જે વસ્તુને તે બુલંદ કરે છે એને પરાસ્ત પણ કરે છે.

અમુકનું મંતવ્ય છે કે પાછળ રહી જનાર ઊંટણી 'અઝબાઅ' હતી. અને એ કસ્વાઅથી અલગ છે. અબૂઉબૈદ કહે છે કે એના કાનમાં કોઈ ખામી ન હતી. બલકે આ એનું નામ છે. જયારે અમુકનું કહેવું છે કે એના કાનમાં જન્મથી જ કાણું હતું, એટલા માટે એનું આવું નામ રાખવામાં આવ્યું.

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ૧૦૭ બકરીઓ હતી. જેમાંથી સાત દૂધ આપતી હતી. એમના નામ આ પ્રમાણે છે. અજવહ. ઝમઝમ. સુક્તયા. બરકહ.� વરશહ. અત્લાલ. અત્રાફ. હઝ. ઉમ્મે અયમન રદિ. આ બકરીઓ ચરાવતાં હતાં. એક બકરી ગયષ્ાહ નામની પણ હતી. જેનું દૂધ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે અલગ રાખવામાં  આવતું હતું. 

ઇતિહાસકાર અબૂસઅદનું વર્ણન છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક સફેદ મરઘો પણ હતો.

મુહમ્મદ(સ.અ.વ.) ના જીવનની એક ઝલક




#Article 124: ફ્રી સૉફ્ટવૅર (119 words)


ફ્રી સૉફ્ટવૅર અથવા મુક્ત સૉફ્ટવૅર એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે. સૉફ્ટવૅરનો અભ્યાસ અને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા સૉફ્ટવૅરની સ્ત્રોતનો સંપૂર્ણ હક્ક આપે છે. કોમ્પ્ટુર સૉફ્ટવૅર કે જેઓ પ્રકાશનાધિકર વડે આરક્ષિત છે, તે એવા કરાર હેઠળ આવે છે જ્યાં કર્તા વપરાશકર્તાને સ્વતંત્રતા આપે છે. કાયદાથી મુક્ત સૉફ્ટવૅર એ પબ્લિક ડોમેઇનમાં આવે છે. અન્ય કાયદાકીય પાસાંઓ જેવાંકે પેટન્ટ અને ડિજીટલ રાઇટ્સ મેનેજમેન્ટ વપરાશકર્તાની સ્વતંત્રતાને મર્યાદિત રાખી શકે છે અને સૉફ્ટવૅરને મુક્ત સૉફ્ટવૅર બનતા રોકે છે. ફ્રી સૉફ્ટવૅર એ સ્વયંસેવક કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ દ્વારા સહયોગથી અથવા કંપનીઓ વડે તેમના કાર્યક્ષેત્રમાં અથવા નફા પ્રેરિત કાર્યવિધિના ભાગ રૂપે બનાવવામાં આવે છે.




#Article 125: ચેન્નઈ (4238 words)


ચેન્નઈ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલાતમિલનાડુ રાજ્યની રાજધાની છે. આ ઉપરાંત ચેન્નઈમાં ચેન્નઈ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું મહાનગર છે.
ચેન્નઈ દેશના અન્ય ભાગો સાથે રેલ્વે માર્ગ દ્વારા, રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા તેમ જ વિમાન માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં જવા માટે અદ્યતન સુવિધાઓ મળી શકે છે.

ચેન્નઈ  (તમિળ:  ), નામે જાણીતું છે., ચેન્નઈ ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર છે, જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. બંગાળની ખાડીના કોરોમંડલ કાંઠેઆવેલા ચેન્નઈની વસ્તી 2009ની વસ્તીગણતરી મુજબ 8.85 મિલિયન(88 લાખ)જેટલી છે. ચેન્નઈ મહાનગર પાલિકા પણ છે. શહેરી વસ્તી અંદાજીત રીતે  80 લાખ જેટલી છે,જેના કારણે તે ભારતનું સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું શહેર છે. 

આ શહેર બ્રિટિશરો દ્વારા 17મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, જેને તેમણે એક મોટા શહેરી વિસ્તાર અને નૌકામથક તરીકે વિકસાવ્યું હતું. 20મી સદી સુધીમાં, તે મદ્રાસ પ્રાંતનું મહત્વનું વહીવટી કેન્દ્ર બની ગયું હતું. 

ચેન્નઈનું અર્થતંત્ર ઓટોમોબાઇલ, ટેકનોલોજી, હાર્ડવેર ઉત્પાદન અને હેલ્થકેર ઉદ્યોગમાં બહોળો ઔદ્યોગિક પાયો ધરાવે છે. ચેન્નઈ સોફ્ટવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને તેને સંલગ્ન સેવાઓ આઈટીઈએસ(ITES))ની નિકાસ કરતું ભારતનું બીજા નંબરનું શહેર છે. ભારતનો મોટાભાગનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ચેન્નઈની આસપાસ સ્થપાયો છે.  તમિલનાડુ રાજ્યની જીડીપી(GDP)માં ચેન્નઈનું પ્રદાન 39 ટકા છે. ભારતમાંથી થતી ઓટોમોટિવ નિકાસમાંથી 60 ટકા નિકાસ ચેન્નઈમાંથી થાય છે. ઘણી વખત તેને ભારતનું ડેટ્રોઈટ  ગણવામાં આવે છે.

ચેન્નઈમાં દેશના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમમાંના એક મદ્રાસ મ્યુઝીક સિઝનના કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં કલાકારો ભાગ લે છે. શહેરમાં નાટ્ય ક્રાર્યક્રમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉપરાંત ચેન્નઈમાં પ્રાચીન નૃત્યકળા ભારતનાટ્યમનું કેન્દ્ર પણ છે. તમિળફિલ્મ ઉદ્યોગ, જે મોટાભાગે કોલીવુડ  નામે ઓળખાય છે, તે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે. આ ઉદ્યોગનું કેન્દ્ર ચેન્નઈ છે. જેથી આ શહેરના સંગીતનો ફિલ્મમાં પડઘો પડે છે.

ચેન્નઈ  નામ ચેન્નાપટ્ટીનમ માંથી ટુંકાવવામાં આવ્યું છે, જેનું બ્રિટિશ હકુમત દ્વારા ઈ.સ. 1640માં ફોર્ટ સેંટ જયોર્જનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ પહેલા આ ભાગ ચંદ્રગીરીના રાજાના આધિપત્ય હેઠળ આવતો હતો. 

ચેન્નઈ  નામ અંગે બે કથાઓ પ્રચલીત છે. એક કથા મુજબ ચેન્નાપટ્ટીનમ  નામ કલાહસ્થી વંદવાસીના રાજા પદમનાયક વેલામાના વિજયનગર નાયક દામેર્લા ચેન્નાપ્પા નાયક પરથી આવ્યું છે. બ્રિટિશ હકુમતે ઈ. સ. 1639માં તેમની પાસેથી આ નગર હસ્તગત કરી લીધી હતું. ચેન્નઈ ના નામનો સત્તાવાર ઉપયોગ ઓગસ્ટ 1639માં કરાયેલા એક વેચાણ ખતમા મળી આવ્યો છે. આ વેચાણ ખત બ્રિટિશ એજન્ટ ફ્રાન્સિસ ડેનો હતો .  અન્ય એક વૃતાંત મુજબ, ચેન્નાપટ્ટીનમ  નામ ચેન્ના કેશ્વા પેરૂમલ મંદિરપરથી આવ્યું છે. તમિળમાં ચેન્ની  અર્થ થાય છે ચહેરો , અને મંદિરને શહેરનો ચહેરો માનવામાં આવે છે . 

શહેરનું ભૂતપૂર્વ નામ મદ્રાસ  ફોર્ટ સેંટ જ્યોર્જની ઉત્તરે આવેલા મદ્રાસપટ્ટીનમ નામ પરથી આવ્યું હતું. 
પરંતુ સંશોધકો વચ્ચે મદ્રાસપટ્ટીનમ  કેવી રીતે આવ્યું તેને લઈને થોડો વિવાદ છે.કેટલાક માને છે કે અહીં 16મી સદીમાં આવેલા પોર્ટુગીઝોએ એક ગામનું નામ માદ્રે દે દેઉસ  આપ્યું હતું . કેટલાક એવું માને છે કે આ ગામનું નામ જાણીતા મદેરિયોસ  પરિવાર (પાછલા વર્ષોમાં મદેરા  અથવા મદ્રા નામે જાણીતા) પોર્ટુગીઝ મુળના પરિવાર, જેમણે ચેન્નઈમાં મદ્રે દિ દેઉસ નું ચર્ચ સાન્થોમમાં 1575માં બંધાવ્યું હતું, તેમના પરથી આવ્યું છે.(આ ચર્ચને 1997માં ધ્વંશ કરી દેવામાં આવ્યું છે.) 

મદ્રાસ જેવું ટુંકુ નામ પોર્ટુગીઝ મુળનું હોવાનું મનાય છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે 1996માં ચેન્નઈ  નું નામ બદલ્યું. આ સમયે ઘણા ભારતીય શહેરોના નામ પણ બદલવામાં આવ્યા હતા. 

પહેલી સદીની આસપાસમાં ચેન્નઈની આસપાસનો વિસ્તાર વહિવટી, સૈન્ય અને આર્થિક રીતે મહત્વનો ભાગ ભજવતો હતો. આ વિસ્તાર પર દક્ષિણ ભારતના ઘણા રાજાઓએ રાજ કર્યું છે જેમાં પલ્લવ, ચેરા વંશ, ચોલા,  પાંડ્યા, અને વિજયનગરનો સમાવેશ થાય છે.  હાલમાં ચેન્નઈનો મહત્વનો ભાગ એવું મયલાપોર એક વખતે પલ્લવોનું મહત્વનું બંદર હતું.  1522માં પોર્ટુગીઝોઅહીં આવ્યા અને ખ્રિસ્તી ધર્મપ્રચારક સેંટ થોમસપરથી સાઉ ટોમે(São Tomé)  કહેવાતું બંદર બાંધ્યું. એવું માનવામાં આવતું હતું તેઓ ઈ. સ. 52 થી 70 વચ્ચે અહીં આવ્યા હતા. 1612માં ડચ લોકોએ શહેરની ઉત્તર બાજુ પુલિકેટનજીક પોતાનું થાણું બાધ્યું. 

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, મદ્રાસ જ ભારતનું એક માત્ર એવું શહેર હતું જેના પર સેન્ટ્રલ પાવર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 22 સપ્ટેમ્બર 1914ના રોજ જર્મન લાઈટ ક્રુઝરએ ઓઈલ ડિપોટ પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે હિંદ મહાસાગરમાં વહાણ વ્યવહારને અસર થઈ હતી.  1947માં ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ મદ્રાસ રાજ્યનું 1969માં નામ બદલીને તમિળનાડુ કર્યું હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરવા બદલ 1965માં વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાદ શહેર અને રાજ્યમાં રાજકીય ગતિશીલતામાં પરિવર્તન આવ્યું હતું.

ચેન્નઈ ભારતના દક્ષિણપુર્વ કિનારે તમિળનાડુ રાજ્યના ઉત્તરપુર્વ ભાગે સપાટ તટવર્તી ભુમિ જે પુર્વીય તટવર્તી ભુમિ તરીકે ઓળખાય છે તેના પર વસેલું છે.સરેરાશ ઉંચાઈ 6.7 મિટર (22 ફુટ) છે, અને સૌથી ઉંચો પોઈન્ટ 60 મિટર (200 ફુટ) છે. મરિના બીચ શહેરના દરિયાકાંઠે 12 કિલોમીટર સુધી પથરાયેલો છે. બે નદીઓ વાંકીચુંકી રીતે ચેન્નઈમાંથી વહે છે જેમાંની એક કોઉમ નદી (અથવા કુવમ ) કેન્દ્રમાં થઈને વહે છે જ્યારે અદ્યાર નદી શહેરના દક્ષિણ ભાગમાંથી વહે છે. જ્યારે ત્રીજી નદી કોર્ટલ્યાર એન્નારના દરિયામાં ભળતા પહેલા શહેરના ઉત્તર ભાગને સ્પર્શે છે. અદ્યાર અને કોઉમ નદીઓ ઔધોગિક કચરા અને સ્થાનિક અને વ્યવસાયીક સ્ત્રોતોના કચરાને કારણે ભારે પ્રદુષિત છે. રાજ્ય સરકારે સમયાંતરે કાદવ અને પ્રદુષણને અદ્યારનદીમાંથી દુર કરે છે, આ નદી કોઉમ નદી કરતા ઓછી પ્રદુષિત છે. 
અદ્યાર નદીનું મુખને રક્ષિત કરવામાં આવ્યું છે જ્યાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનું  કુદરતી નિવાસ્થાન છે. બકિંગહામ કેનાલ ચાર કીમી(3 માઈલ) લાંબી માનવસર્જિત કેનાલ કાંઠે સમાંતર ચાલે છે જે બે નદીઓને જોડે છે. પૂર્વ-પશ્ચિમના પ્રવાહ ઓટ્ટેરી નુલ્લાહઉત્તર ચેન્નઈમાથી વહે છે અને બકિંગહામ કેનાલને બેસિન બ્રિજ ખાતે મળે છે. . શહેરના પશ્ચિમ કિનારે વિવિધ કદના ઘણા બધા સરોવરો છે. 
ચેન્નઈને પીવાનું પાણી રેડ હીલ્સ, શોલાવરમ અને ચેમ્બારામબાક્કમ સરોવરમાંથી મળી રહે છે.   જો કે ભૂગર્ભ જળ હવે  જરાક ખારૂંબની રહ્યું છે.

ચેન્નઈની જમીનમોટાભાગે માટી, પોચા ખડક અને સેન્ડસ્ટોન)ની બનેલી છે. રેતાળ વિસ્તાર નદી અને દરિયા કિનારે છે જેમ કે તિરુવનમિયુર, અદ્યાર, કોટ્ટીવાક્કમ, સેન્થોમ, જયોર્જ ટાઉન, ટોન્ડીરપેટ અને ચેન્નઈના બાકીના દરિયાકાંઠો. અહીં વરસાદી પાણીજલદીથી નિતરીજમીનમાં પહોંચી જાય છે.  
શહેરના મોટા વિસ્તારોની નીચે માટી છે જેમ કે ટી. નગર, પશ્ચિમ મમબાલમ, અન્ના નગર, વિલ્લિવાક્કમ, પેરામબુર અને વિરુગામબાક્કમ જેવા વિસ્તારોમાં છે. પહાડના બનેલા વિસ્તારોમાં ગુઈન્ડી, પેરુનગુડી,વેલાચેરી, અદામ્બાક્કમ અને સાઈદાપેટના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. 

ચેન્નઈ ચાર ભાગોમાં વિભાજીત છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ. ઉત્તર ભાગ મોટાભાગે ઔધોગિક વિસ્તાર છે. કેન્દ્રીય ચેન્નઈ શહેરના વ્યાપારી કેન્દ્ર સમાન વિસ્તાર છે જેમાં વેપારના મહત્વના કેન્દ્રો જેમ કે પેરીઝ કોર્નરનો સમાવેશ થાય છે.  દક્ષિણ અને પશ્ચિમ ચેન્નઈ અગાઉ મોટાભાગે રહેવાસી વિસ્તારો હતો, પરંતુ આ વિસ્તારો હવે ઝડપી વેપારી વિસ્તારો બની રહ્યા છે.આ વિસ્તારમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ, નાણાકીય કંપનીઓ અને કોલ સેન્ટરનો સમાવેશ થાય છે. શહેર દક્ષિણમાં જુના મહાબલિપુરમ રોડ અને ગ્રાન્ડ સધર્ન ટ્રંક રોડ ( (જીએસટી રોડ)ની સાથે સાથે ઝડપી વિકસી રહ્યું છે જ્યારે પશ્ચિમમાં અમબાતુર, કોયામબેદુ અને શ્રીપેરુમબદુર બાજુ વિકસી રહ્યું છે., શહેરની હદમાં નેશનલ પાર્ક, અને ગુઈન્ડી નેશનલ પાર્ક, હોય તેવા વિશ્વના કેટલાક શહેરોમાં ચેન્નઈ સ્થાન ધરાવે છે. 

ચેન્નઈભૂમધ્યરેખા રેખા પર છે, જે મોસમી તાપમાનમાં તીવ્ર ફેરફારોને અટકાવે છે.વર્ષના મોટાભાગમાં શહેરનું વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય છે. 
વર્ષનો સૌથી ગરમ ભાગ મેના અંત ભાગમાં અને જુનની શરૂઆતમાં હોય છે જેને સ્થાનિકો  અગ્નિ નક્ષત્રમ  (અગ્નિ તારો) અથવા કાથિરી વેયઈલ , કહે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 38–42 °સી.જેટલું હોય છે. (100–107 °ફે). જ્યારે સૌથી ઠંડો મહિનો જાન્યુઆરી હોય છે, જે દરમિયાન તાપમાન 18–20 °સેલ્સીયસ જેટલું હોય છે. (64–68 °ફે). સૌથી ઓછું તાપમાન 15.8 °સી (60.44 °ફે) અને સૌથી ઉંચુ તાપમાન 45 °સી (113 °ફે) નોંધાયું હતું.  જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 1,300 મી.મી.(51 ઈંચ) જેટલો પડે છે. શહેરમાં વરસાદ મોટાભાગે ઉત્તર પુર્વના ચોમાસાંના પવનો લાવે છે જે સપ્ટેમ્બરના મધ્યથી ડિસેમ્બરના મધ્ય સુધી હોય છે. શહેરમાં કેટલીક વાર બંગાળની ખાડીમાંથી ઉદભવતા વાવાઝોડા પણ ત્રાટકે છે. સૌથી વધુ વરસાદ 2,570 મી.મી. (101 ઈંચ) 2005માં નોંધાયો હતો.  સૌથી વધુ વર્ચસ્વ ધરાવતા પવનો મે અને સપ્ટેમ્બરમાં દક્ષિણ અને પશ્ચિમમાંથી આવે છે, જ્યારે ઉત્તર પુર્વના પવનો બાકીના વર્ષ દરમિયાન વાય છે. 

શહેરનું સંચાલન ચેન્નઈ મહાનગરપાલિકાદ્વારા થાય છે.   1688માં મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી જે ભારતની સૌથી જુની મહાનગરપાલિકા છે. મહાનગરપાલિકામાં 155 કાઉન્સિલર(નગરસેવક) છે જેઓ 155 વોર્ડ નું પ્રતિનિધિત્વ કરે છે જેમને નાગરિકો સીધા ચુંટી કાઢે છે.  
બાદમાં નગરસેવકો મેયર અને નાયબ મેયરને ચુંટે છે જે છ જેટલી સ્ટેન્ડીંગ કમિટીઓની આગેવાની લે છે.  તમિળનાડુ રાજ્યનું ચેન્નઈ પાટનગર હોવાથી શહેરમાં કારોબારી અને  લેજિસ્લેટિવનું મુખ્યમથક સચિવાલયમાં છે જે ફોર્ટ સેંટ જયોર્જકેમ્પસમાં આવેલું છે, પરંતુ અન્ય ઈમારતો શહેરના વિવિધ વિભાગોમાં છે. મદ્રાસ હાઈકોર્ટ, જેનું ન્યાયિક કાર્યક્ષેત્ર સમગ્ર તમિળનાડુ અને પુડુચેરી સુધી લંબાવવામાં આવ્યું છે, જે રાજ્ય અને શહેરમાં સૌથી ઉચ્ચ ન્યાયિક સત્તા છે. ચેન્નઈમાં ત્રણ સંસદીય મતદારક્ષેત્રો છે —ઉત્તર ચેન્નઈ, મધ્ય ચેન્નઈ, અને દક્ષિણ ચેન્નઈ અને વિધાનસભા માટે 18  (ધારાસભ્યો)ને ચુંટે છે અને રાજ્યની વિધાનસભામાં મોકલે છે. 

મેટ્રોપોલિટન વિભાગ શહેરના ઉપનગરોને આવરી લે છે, જે કાંચિપૂરમ અને થીરુવલ્લુરજિલ્લાના કેટલાક ભાગો છે. મોટાભાગના ઉપનગરો નગરપાલિકાઓ દ્વારા સંચાલિત થાય છે, જ્યારે નાના નગરોનો વહીવટ પંચાયત દ્વારા કરવામાં આવે છે.  શહેરી વિસ્તાર 174 કીમી.² (67 માઈલ²), છે, જ્યારે મેટ્રોપોલિટન વિસ્તાર  1,189 કીમી² (458 માઈલ²)માં ફેલાયેલો છે.  ચેન્નઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરીટી (સીએમડીએ(CMDA))એ શહેરની આજુબાજુમાં સેટેલાઈટ ટાઉનશીપ બનાવવા માટેનો બીજો માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ સેટેલાઈટ ટાઉનશીપ દક્ષિણમાં મહાબલિપુરમ, દક્ષિણ-પશ્ચિમમાં ચેનગાલપટ્ટુ અને મરાઈમલાઈ નગરને અને પશ્ચિમમાં કાંચીપૂરમ શહેર, શ્રીપેરુમ્પુદુર, થીરૂવલ્લુરઅને અરાક્કોનમનો સમાવેશ થઈ જાય છે. 

બ્રુહદ ચેન્નઈ પોલીસ વિભાગ તમિળનાડુ પોલીસનો એક ભાગ છે, જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અમલ કરાવે છે.  શહેર પોલીસ દળની આગેવાની પોલીસ કમિશનર લે છે, જ્યારે બાકીના વહીવટીતંત્રનો અંકુશ તમિળનાડુ ગૃહ મંત્રાલય પાસે હોય છે. આ વિભાગમાં 36 પેટાવિભાગ છે જેમાં કુલ 121 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. શહેરના ટ્રાફિકનું સંચાલન ચેન્નઈ ટ્રાફિક પોલીસ(CCTP) દ્વારા થાય છે. જ્યારે મેટ્રોપોલિટન ઉપનગરોમાં પોલીસ વ્યવસ્થા ચેન્નઈ મેટ્રોપોલિટન પોલીસને આધિન હોય છે. અને જિલ્લાના બહારના ભાગોમાં કાંચીપૂરમ અને થિરૂવલ્લુર પોલીસ વિભાગ વ્યવસ્થા સંભાળ છે. 

ચેન્નઈમાં મહાનગરપાલિકા અને ઉપનગરોમાં નગરપાલિકાઓ નાગરિક સેવાઓ  પૂરી પાડે છે. શહેરનો કચરાનો નિકાલ એક ખાનગી કંપની નીલ મેટલ ફનાલિકા એન્વાયર્ન્મેન્ટ મેનેજમેન્ટ  દ્વારા તેમજ અન્ય વિભાગોમાં ચેન્નઈ મહાનગરપાલિકા દ્વારા થાય છે. પાણીની અને ગટર વ્યવસ્થા ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર એન્ડ સ્યૂઇજ બોર્ડ દ્વારા સંભાળવામાં આવે છે, જેને સીએમડબલ્યુએસએસબી(CMWSSB)  ના નામે ઓળખવામાં આવે છે, જ્યારે વીજળીનો પુરવઠો તમિળનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડ દ્વારા પુરો પાડવામાં આવે છે. શહેરની ટેલિફોન વ્યવસ્થા છ મોબાઈલ અને ચાર લેન્ડલાઈન કંપનીઓ સંભાળે છે, જે કંપનીઓ સીફી અને હાથવે સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. 

આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ ન હોવાથી વર્ષોથી ચેન્નઈ ચોમાસાના પાણીનો સંગ્રહકરે છે. શહેરની વસ્તીમાં વધારો થઈ રહ્યો હોવાથી પાણી પુરવઠાની અછતઅનુભવાઈ રહી છે. તેમજ ભૂગર્ભ જળ વધુ ઉંડે જઈ રહ્યું છે. પહેલા વિરાનમ સરોવર યોજના શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ નવો વિરાનમ પ્રોજેક્ટ જે સપ્ટેમ્બર 2004થી અમલમાં આવ્યો છે, તેને કારણે છેવાડાના સ્ત્રોત પરથી પાણી મેળવવાની આધારમાં ઘટાડો થયો છે. છેલ્લા વર્ષોમાં ભારે અને સતત ચોમાસાને અને અન્ના નગર રેઈન સેન્ટર ખાતે ચેન્નઈ મેટ્રોવોટર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ(RWH)કરવામાં આવે છે, તેના કારણે શહેરની પાણીની સમસ્યા થોડી હળવી થઈ છે. ઉપરાંત નવી યોજનાઓ જેવી કે તેલુગુ ગંગા યોજના દ્વારા આંધ્ર પ્રદેશનીની ક્રિષ્ણા નદીમાંથી પાણી લાવવાની યોજના છે, જેથી જળ સમસ્યા ઓછી થાય. ઉપરાંત દરિયાના પાણીને  ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા શહેરના પાણીના પુરવઠાને વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  

ચેન્નઈનું અર્થતંત્ર વિવિધ ઉદ્યોગો પર નભે છે, જેમ કે ઓટોમોબાઈ, સોફ્ટવેર સર્વિસ, હાર્ડવેર મેન્યુફેક્ચરીંગ, હેલ્થકેર અને નાણાકીય સેવાઓ. 2000 મુજબ શહેરની કુલ વ્યકિતગત આવક રૂ.  12,488.83 કરોડ છે, જે તમિળનાડુ રાજ્યની કુલ આવકના 10.9% ટકા જેટલી થવા જાય છે.  2001માં ચેન્નઈમાં કુલ માનવબળની સંખ્યા 15 લાખ હતી, જે તેની વસ્તીના 31.79% જેટલી થાય છે. 1991ની વસ્તીગણતરી મુજબ, શહેરનો મોટોભાગ વેપાર(25.65%), ઉત્પાદન(23.52%), પરિવહન (10.72%), બાંધકામ(6.3%) અને અન્ય સેવાઓ (31.8%) સંકળાયેલો છે.ચેન્નઈનો મેટ્રોપોલિટન વિસ્તાર તમિળનાડુની સેલ્સ ટેક્ષની આવકનો 75% હિસ્સો આપે છે. સીઆઈઆઈ(CII)મુજબ, 2025 સુધીમાં ચેન્નઈનો વિકાસ થશે અને $100 બિલિયન ડોલરનું અર્થતંત્ર હાલના અર્થતંત્ર કરતા 2.5 ઘણું બની જશે. 

શહેરમાં ભારતનો 30 ટકા ઓટોમોબાઈલ ઉદ્યોગ  અને 35 ટકા ઓટો કમ્પોન્નટ ઉદ્યોગ સ્થિત છે. મોટી ઓટોમોબાઈલ કંપનીઓ જેવી કે હ્યુન્ડાઈ, ફોર્ડ, બીએમડબલ્યુ(BMW), મિત્સુબિત્શી, કોમાત્સુ,ટીવીએસ જુથ (ટીવીએસ(TVS)), અશોક લેયલેન્ડ, નિસ્સાન-રિનોલ્ટ, ડાઈમલ્ર ટ્રક્સ, ટીઆઈ સાયકલ ઓફ ઈન્ડિયા, ટાફે(TAFE) ટ્રેકટર્સ, રોયલ એનફિલ્ડ, કેટર પીલર ઇન્ક, કપારો, મદ્રાસ રબર ફેકટરી (એમઆરએફ(MRF))અને મિશેલિનના ઉત્પાદન પ્લાન્ટ શહેરમાં છે.  અવાડીખાતે આવેલી હેવી વ્હિલ ફેક્ટરીમાં લશકરી વાહનો જેમાં  ભારતની મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન એમબીટી(Arjun MBT) નું ઉત્પાદન થાય છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં રેલવેના કોચ અને ભારતીય રેલવેને લગતા અન્ય ભાગોનું ઉત્પાદન થયા છે. આ પ્રકારના ઉદ્યોગોને લીધે ચેન્નઈને દક્ષિણ એશિયાનું ડેટ્રોઈટ કહેવામાં આવે છે.  અમ્બાતુર-પાડી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઘણા ટેક્ષટાઈલ ઉત્પાદક એકમો છે અને  એપરલ અને જુતા ઉત્પાદન માટે સેઝ (સેઝ) એકમો શહેરના દક્ષિણ ભાગમાં બનાવવામાં આવી રહ્યા છે. ચેન્નઈ દેશની ચામડાંની નિકાસમાં 50 ટકાથી વધુ હિસ્સાનું પ્રદાન કરે છે.

આ શહેર ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓના ઉત્પાદનનું કેન્દ્ર છે, જ્યાં ડેલ, નોકિયા, મોટોરોલા, સેંમસંગ, ફ્લેક્સોટ્રોનિક્સ અને ફોક્સકોન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રોનિક અને હાર્ડવેર મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે, જે મોટાભાગે શ્રીપેરુમ્બુદુર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ(SEZ))માં છે. ઘણી સોફ્ટવેર અને સોફ્ટવેર સેવાઓ પુરી પાડતી કંપનીઓએ તેમના ડેવલપમેન્ટ સેન્ટર ચેન્નઈમાં ઉભા કર્યા છે, જેઓ ભારતની સોફ્ટવેરની કુલ નિકાસમાં 14 ટકા હિસ્સો આપે છે. 2006-07 દરમિયાન ભારતની સોફ્ટવેર નિકાસ 144,214 કરોડ રૂપિયા હતી. જેના કારણે સોફ્ટવેર નિકાસ કરતું દેશનું બીજા નંબરનું શહેર હતું. તેના પહેલા બેંગલોરનો નંબર આવે છે. જાણીતી નાણાકીય સંસ્થાઓ જેમાં વિશ્વ બેંક, એચએસબીસી(HSBC), સીટી બેંકના બેક ઓફિસ કામગીરી શહેરમાં છે. ચેન્નઈમાં રાષ્ટ્રીય કક્ષાની ત્રણ મોટી બેંકોનું મુખ્ય મથક છે.  તેમજ ઘણી રાજ્ય કક્ષાની સહકારી, નાણાકીય અને વીમા કંપનીઓના મથકો ચેન્નઈમાં છે. ભારતની કેટલીક હેલ્થકેર શ્રેત્રની સંસ્થાઓ જેવી કે એપોલો હોસ્પિટલ (એશિયાની સૌથી મોટી હોસ્પિટલ શ્રેણી), શંકારા નેત્રાલય અને શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર શહેરમાં આવેલી છે, જે સમગ્ર વિશ્વમાંથી આવતા મેડિકલ ટુરીસ્ટ માટેની પસંદગીની સંસ્થાઓ છે.  ટેલિકોમ ક્ષેત્રની વિશાળ કંપની એરિક્શન અને અલ્કાટેલ-લુસેન્ટ, ફાર્માસ્યુટીકલની મોટી કંપની ફાઈઝર અને રસાયણ ક્ષેત્રની કંપની ડાઉ કેમિકલ્સ ચેન્નઈમાં સંશોધન અને વિકાસ સુવિધા ધરાવે છે. સિરૂસેરી ખાતે આવેલા ટીઆઈસીઈએલ(TICEL) બાયો ટેક પાર્ક અને ગોલ્ડન જ્યુબિલી બાયો ટેક પાર્કમાં  બાયોટેકનોલોજી કંપનીઓ અને લેબોરેટરીઓ સ્થિત છે.  ચેન્નઈમાં સંપુર્ણ કમ્પ્યુટર આધારિત સ્ટોક એક્સચેન્જ છે જેને મદ્રાસ સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. 

ભારતમાં સૌથી સારી આરોગ્યની સુવિધાઓ ધરાવતા શહેરોમાં ચેન્નઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચેન્નઈમાં એપોલો હોસ્પિટલ સ્થિત છે, જે એશિયાની સૌથી મોટી અને વિશ્વની સૌથી વિશાળ હોસ્પિટલ શ્રેણીઓમાંની એક છે. હેલ્થકેર ટુરીઝમમાં પોતાના પગ વધુ મજબૂત કરતા ચેન્નઈએ ભારતની હેલ્થ રાજધાનીનું સ્થાન મેળવી લીધું છે. હાલમાં વિદેશમાંથી 45% અને 30-40% ઘરેલું હેલ્થ ટુરીસ્ટ ચેન્નઈમાં આવે છે. 2006માં મેટ્રોપોલિટન શહેરમાં અંદાજીત 45 લાખ લોકો રહેતા હતા. 2001માં વસ્તી ગીચતા કીમી દીઠ 24,682 હતી (માઈલ દીઠ 63,926), જ્યારે મેટ્રોપોલીટન વિસ્તારમાં વસ્તી ગીચતા કિલોમીટર દીઠ 5,922 હતી (માઈલ દીઠ 15,337), જેના કારણે ચેન્નઈ વિશ્વના સૌથી ગીચ શહેરોમાંથી એક બન્યુ છે. લિંગ અનુપાત(સેક્સ રેશિયો) દર 1000 પુરુષોએ 951 મહિલાનો છે,  જે રાષ્ટ્રીય સરેરાશ 944 કરતા સહેજ વધારે છે.  સરેરાશ સાક્ષરતા દર 80.14% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 64.5% કરતા ઘણો વધારે છે. શહેરમાં ઝુંપડપટ્ટીમાં વસતા લોકોની દ્રષ્ટીએ ભારતનું ચોથા નંબરનું શહેર પણ ચેન્નઈ છે. 820,000 લોકો ( વિસ્તીના 18.6%) ઝુંપડપટ્ટીમાં રહે છે. જે ભારતની કુલ ઝુંપડપટ્ટીની વસ્તીના પાંચ ટકા છે. 2005માં, શહેરમાં ગુનાનો દર  100,000 લોકોએ, 313.3નો હતો જે દેશના મોટા શહેરોમાં નોંધાતા ગુનાના 6.2% જેટલો થાય છે.  2004થી શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે, જે 61.8% ટકાએ પહોંચ્યું છે.

ચેન્નઈમાં મોટીભાગની વસ્તી તમિળવાસીઓની છે. તમિળ ચેન્નઈમાં બોલાતી મુખ્ય ભાષા છે. અંગ્રેજી પણ શહેરમાં પ્રચલિત છે, તેમાં પણ વેપાર, શિશ્રણ અને ઉચ્ચ અધિકારીઓ અને વ્યાવસાયિકોમાં વધુ બોલાય છે. તેલુગુ અને મલયાલીસમુદાયો પણ શહેરમાં મોટી સંખ્યામાં વસે છે.  ચેન્નઈમાં તમિળનાડુ અને દેશના વિવિધ ભાગોમાંથી આવતા લોકોની પણ સારા પ્રમાણમાં વસ્તી છે. 2001 સુધીમાં, શહેરમાં 937,000 હિજરતીઓ હતા( વસ્તીના 21.57% ), જેમાંથી 74.5% તમિળનાડુ રાજ્યના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા, જ્યારે 23.8% લોકો ભારતના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા, અને 1.7% લોકો વિદેશથી આવીને અહીં સ્થાયી થયા છે. 

ચેન્નઈ ભારતનું સંગીત અને સાંસ્કૃતિક પાટનગર છે. શહેર તેના ક્લાસિકલ નૃત્ય અને હિન્દુ મંદિરો માટે પ્રખ્યાત છે. દર ડિસેમ્બર મહિના દરમિયાન ચેન્નઈમાં પાંચ અઠવાડિયાનો સંગીત કાર્યક્રમ  1927થી મદ્રાસ મ્યુઝીક એકેડેમીની શરૂઆતથી યોજવામાં આવે છે.  આ કાર્યક્રમમાં કેટલાય કલાકારો દ્વારા પરંપરાગત કર્ણાટકી સંગીતનું (કુચેરીસ ) આયોજન કરવામાં આવે છે.  જ્યારે દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા કળાના કાર્યક્રમનું નામ ચેન્નઈ સંગમમ છે, જેમા તમિળનાડુની વિવિધ કળા બતાવવામાં આવે છે. ચેન્નઈ ભારતનાટ્યમ માટે પણ પ્રખ્યાત છે, જે નૃત્યનો ઉદભવ તમિળનાડુમાં થયો હતો. ભારતનાટ્યમ માટે કલાક્ષેત્ર મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે, જે શહેરના દક્ષિણ ભાગે આવેલો દરિયાકાંઠો છે. ચેન્નઈમાં કેટલાય કોયર સ્થિત છે, જેઓ ક્રિસ્મસની સિઝન દરમિયાન શહેરના વિવિધ ભાગોમાં અંગ્રેજી અને તમિળમાં સમુહગાયનમાં ભાગ લે છે. મદ્રાસ મ્યુઝીકલ એસોસિયેશન(MMA) એ દેશનું સૌથી જુનું અને પ્રતિષ્ઠ કોયર છે અને તેના કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં યોજાય છે. 

ચેન્નઈમાં તમિળ સિનેમાં ઉદ્યોગનું કેન્દ્ર છે જેને કોદામ્બક્કમમાં આવેલા મોટા મુવી સ્ટુડીયોને કારણે કોલિવૂડ  ઓળખવામાં આવે છે. દર વર્ષે આ સિનેમા ઉદ્યોગ 150થી વધુ તમિળ ફિલ્મો બનાવે છે,  અને તેનું સંગીતનો શહેર પર ઘણો પ્રભાવ જોવા મળે છે. દેશના ફિલ્મ ઉદ્યોગના મોટા નામો પૈકી રજનીકાંત, કમલ હસન, મણિરત્ન અને એસ. શંકર ચેન્નઈમાં પોતાની કામગીરી કરે છે.  2009માં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે બે ઓસ્કાર એવોર્ડ જીતનાર સંગીતકાર એ. આર. રહેમાનેચેન્નઈને ઉંચાઈ પર પહોંચાડી દીધું છે.  ચેન્નઈ થિયેટરમાં તમિળ નાટકો, રાજકીય કટાક્ષો, કોમેડી, પ્રાચિન કથાઓ, અને ઐતિહાસિક કથા પર આધારિત નાટકો યોજાય છે. શહેરમાં અંગ્રેજી નાટકો પણ ભજવવામાં આવે છે. 

ચેન્નઈના ઉત્સવોમાં પોંગલ જાન્યુઆરીમાં પાંચ દિવસ ઉજવવામાં આવે છે, જે ચેન્નઈવાસીઓ માટે મહત્વનો ઉત્સવ છે. મોટાભાગના ધાર્મિક ઉત્સવો જેવા કે દિવાળી, ઈદ અને  નાતાલ ચેન્નઈમાં ઉજવવામાં આવે છે.   ચેન્નઈની રાંઘણકળામાં શાકાહારી અને માંસાહારી ભોજનનો સમાવેશ થાય છે. શહેરની ઘણી રેસ્ટોરન્ટ હળવું ભોજન અથવા ટીફીનસેવા પૂરી પાડી છે જેમાં ચોખામાંથી બનતી વાનગીઓ જેવી કે પોંગલ, ઢોંસા, ઈડલી અને વડાને ગરમ ફિલ્ટર કોફીસાથે પિરસવામાં આવે છે.  

ચેન્નઈ દક્ષિણ ભારત માટે મહત્વનો ગેટવે છે, તેમજ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેમા અન્ના ઈન્ટરનેશનલ ટર્મિનલ અને કામરાજ ડોમેસ્ટીક ટર્મિનલનો સમાવેશ થાય છે જે દેશનું ત્રીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.  શહેર દક્ષિણ એશિયા, દક્ષિણ પુર્વ એશિયા, પુર્વ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે 30થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેરિયરથી જોડાયેલું છે. ચેન્નઈ એરપોર્ટ દેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત કાર્ગો ટર્મિનલ છે. હાલના એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે અને અંદાજીત 2,000 કરોડના ખર્ચે શ્રીપેરૂમ્બુદુરખાતે નવું ગ્રીનફ્લિડ એરપોર્ટ બાંધવામાં આવી રહ્યું છે.  
શહેરમાં બે મોટા બંદરો છે, જેમાં ચેન્નઈ બંદર, કે જે સૌથી મોટું કુત્રિમ બંદર છે, અને એન્નોર બંદરનો સમાવેશ થાય છે. બંગાળની ખાડીમાં સૌથી મોટું બંદર ચેન્નઈ બંદર છે. તે જે ભારતનું બીજા નંબરનું કન્ટેનર હબ છે, જે ઓટોમોબાઈલ, મોટરસાયકલ અને અન્ય ઔદ્યોગિક કાર્ગોનું વહન કરે છે. એન્નોર બંદર પરથી કોલસાનું, કાચી ધાતું અને અન્ય બલ્ક તેમજ ખનીજોનું વહન થાય છે. જ્યારે નાના બારાં રોયાપુરમનો સ્થાનિક માછીમારો અને ટ્રોલરો ઉપયોગ કરે છે. 

ચેન્નઈ ભારત સાથે રોડ અને રેલવે દ્વારા સુવ્યવસ્થિત રીતે જોડાયેલું છે. પાંચ મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગમુંબઈ, કોલકત્તા, તિરૂચિરાપલ્લી (ત્રિચી), તિરુવલ્લુર અને પુડુચેરી (પોંન્ડીચેરી)સાથે જોડાયેલા છે. ચેન્નઈ મોફુસિલ બસ ટર્મનિસ  (CMBT),માંથી રાજ્યના વિવિધ ભાગોમાં બસ જાય છે. આ સ્ટેશન એશિયાનું સૌથી મોટું બસ સ્ટેશન છે. સાત સરકારી પરિવહન કોર્પોરેશનો શહેરો અને રાજ્યો વચ્ચે બસ સેવા ચલાવે છે. આંતરરાજ્ય અને આંતર શહેરની કેટલીય બસ સેવાઓ ચેન્નઈથી ઉપડે છે. 

ચેન્નઈ સધર્ન રેલવેનું વડું મથક છે. શહેરમાં બે મુખ્ય રેલવે મથકો છે. ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન શહેરનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પરથી મોટા શહેરોની ટ્રેનો મળે છે. આ શહેરોમાં મુંબઈ, કોલકત્તા, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, કોચી, કોઈમ્બતૂર, થીરૂવનંથપૂરમનો સમાવેશ થાય છે.  ચેન્નઈ ઈગ્મોર એ અન્ય સ્ટેશન છે, જ્યાંથી તમિળનાડુ રાજ્યના વિવિધ ભાગોમાં જતી વિવિધ ટ્રેનો મળી રહી છે.  

બસ, ટ્રેન અને ઓટો રીક્ષા શહેરના જાહેર પરિવહનના મુખ્ય સાધનો છે.  
ચેન્નઈ ઉપનગર રેલવે સ્ટેશન દેશના સૌથી જુના રેલવે નેટવર્કમાંનું એક છે, જેમાં ચાર બ્રોડગેજ રેલવે સેક્ટર છે જે શહેરના બે છેડા ચેન્નઈ સેન્ટ્રલ અને  ચેન્નઈ બીચ ને એકબીજા સાથે જોડે છે. આ ટર્મિનલ પરથી ચેન્નઈ સેન્ટ્રલ/ચેન્નઈ બીચ - આરાક્કોનામ - તીરુત્તાની, ચેન્નઈ સેન્ટ્રલ/ચેન્નઈ બીચ  – ગુમ્મિદિપોંડી - સુલુરપેટા અને ચેન્નઈ બીચ – તાંબારામ - ચેનગાલપાટુ - તીરૂમાલપૂર(કાંચીપૂરમ) જવા માટે નિયમિત રૂપમાં ટ્રેન મળી રહી છે. ચોથું ક્ષેત્ર માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (એમઆરટીએસ) છે, જે અન્ય રેલ નેટવર્કની સાથે ચેન્નાઇ બિચને વેલાચેરીથી જોડે છે. ભૂગર્ભમાં મેટ્રો ટ્રેન બનાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે.  

મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએમટીસી)શહેરમાં વ્યાપક રૂપે બસ સેવા પૂરી પાડે છે. જેમાં કુલ 3262 બસો 627 રૂટોને આવરી લે છે, જેના દ્વારા રોજના 50 લાખ લોકો અવર જવર કરે છે. 

વાન્સ, નું લોકપ્રિય નામ મેક્સી કેબ  'શેર' ઓટો રીક્ષા પરિવહનનું પ્રચલિત માધ્યમ છે, જે બસનો વિકલ્પ પૂરો પાડે છે. 
 મીટર ધરાવતી ટેક્ષી,ટુરીસ્ટ ટેક્ષી અને ઓટો રીક્ષા ભાડે મળે છે. ચેન્નઈનું પરિવહન માળખાનો વ્યાપ ઘણો વિશાળ છે, પરંતુ તેના વધુ ઉપયોગને કારણે ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યાઓ વધી રહી છે. સરકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગ્રેડ સેપરેટર અને ફ્લાયઓવર બાંધ્યા છે. સૌપ્રથમ ફ્લાયઓવર જેમીની ફ્લાયઓવર છે જે 1973માં પ્રખ્યાત રોડ અન્ના સલાઈખાતે બાંધવામાં આવ્યો હતો.

ચેન્નઈમાં અખબારનું પ્રકાશન કરવાની શરૂઆત 1785માં સાપ્તાહિક ધ મદ્રાસ કુરીયર  દ્વારા થઈ હતી. આ બાદ  1795માં ઘણા સાપ્તાહિકો જેવા કે  ધ મદ્રાસ ગેઝેટ  અને ધ ગવર્ન્મેન્ટ ગેઝેટ  શરૂ થયા હતા.   1836માં ધ સ્પેક્ટેટર નું પ્રકાશ કરવામાં આવ્યું, જે ભારતીય માલિકી ધરાવતું અંગ્રેજી ભાષાનું પ્રથમ અખબાર હતું. આ અખબાર  1853માં શહેરનું પ્રથમ દૈનિક અખબાર બન્યું હતું. પ્રથમ તમિળ અખબાર 1899માં સ્વદેશમિત્રન  શરૂ થયું હતું.  

ચેન્નઈમાંથી પ્રકાશિત થતા મુખ્ય અંગ્રેજી અખબારોમાં ધ હિન્દુ , ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ , ધ ડેક્કન ક્રોનિકલ  અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ચેન્નઈમાં અખબાર શરૂ કર્યું છે.  જ્યારં સાંધ્ય દૈનિકોમાં ધ ટ્રિનીટી મિરર  અને ધ ન્યુઝ ટુડે નો સમાવેશ થાય છે. 2004માં ધ હિન્દુ   શહેરનું સૌથી વધુ વંચાતું અંગ્રેજી અખબાર બન્યું હતું. હિન્દુનું તે વખતે દૈનિક વેચાણ 267,349 હતું. જ્યારે ચેન્નઈમાંથી પ્રસિદ્ધ થતા અન્ય વ્યાપાર દૈનિક અખબારોમાં ધ ઈકોનોમીક ટાઈમ્સ , ધ હિન્દુ બિઝનેશ લાઈન , બિઝનેશ સ્ટાન્ડર્ડ  અને ધ ફાયનાન્સિયલ એક્સપ્રેસ નો સમાવેશ થાય છે.    
મુખ્ય દૈનિક અખબારોમાં દિના થાનથી , દિનાકરન , દિના મની , દિના મલાર , તમિળ મુરાસુ , મક્કાલ કુરાલ  અને મલાઈ મલાર  અને અન્ય તેલુગુ દૈનિકોમાં ઈનાડુ, વાર્તા, આંધ્ર જ્યોતિ અને સાક્ષીનો સમાવેશ થાય છે. જ્યારે  સામૂહિક અખબારોમાં  ધ અન્નાનગર ટાઈમ્સ   અને ધ અધ્યાર ટાઈમ્સ  ચોક્કસ વિસ્તારો માટે પ્રસિદ્ધ થાય છે. ચેન્નઈમાંથી પ્રસિદ્ધ થતા સામાયિકોમાં આનંદા વિકટન , કુમુદમ , કલ્કી , કુંગુમાન , થુગ્લક,સ્વામી (તેલુગુ સામાયિક) , ફ્રન્ટલાઈન  અને સ્પોર્ટસ્ટાર નો સમાવેશ થાય છે. 

દુરદર્શન ચેન્નઈમાં બે ટરેસ્ટ્રિઅલ ટેલિવિઝન ચેનલ અને બે સેટેલાઈટ ટેલિવિઝન ચેનલ તેના 1974માં સ્થાપવામાં આવેલા ચેન્નઈ સેન્ટર પરથી ચલાવે છે.  ખાનગી સેટેલાઈટ ચેનલોમાં સન ટીવી,  રાજ ટીવી,ઝી તમિળ સ્ટાર વિજય, જયા ટીવી, મક્કલ ટીવી, વસંથ ટીવી અને કલાઈગર ટીવીનું ચેન્નઈમાંથી પ્રસારણ થાય છે. સન નેટવર્ક ભારતનું સૌથી મોટી બ્રોડકાસ્ટીંગ કંપનીઓમાંની એક છે, જેનું વડું મથક ચેન્નઈમાં છે. એસસીવી(SCV) અને હાથવે અહીંના મુખ્ય કેબલ ટીવી સર્વિસ કેબલ પ્રોવાઈડર છે, તો ડિરેક્ટ ટુ હોમ (ડીટીએસ(DTH)) સેવા અહીં ડીડી ડિરેક્ટ પ્લસ, ડિશ ટીવી, ટાટા સ્કાય, સન ડિરેક્ટ ડીટીએસ(DTH), રીલાયન્સ બીગ ટીવી અને ડિજિટલ ટીવી(એરટેલ-ભારતી) પુરી પાડે છે. ચેન્નઈ ભારતનું પ્રથમ એવું શહેર હતું, જેણે કેબલ ટીવી માટે કન્ડીશનલ એક્સેસ સિસ્ટમનો અમલ કર્યો હતો.  1930માં સ્થાપવામાં આવેલા રીપ્પોન બિલ્ડીંગ કોમ્પલેક્ષમાંથી રેડીયોનં પ્રસારણ શરૂ થયું હતું, જે બાદમાં 1938માં  ઓલ ઈન્ડિયા રેડીયો  ખાતે લઈ જવામાં આવ્યું હતું.  શહેરમાં બે એમએમ(AM) અને 10 એફએમ(FM) રેડિયો સ્ટેશન છે, જેનું અન્ના યુનિવર્સિટી, ઓલ ઈન્ડિયા રેડિયો અને અન્ય ખાનગી બ્રોડકાસ્ટરો દ્વારા પ્રસારણ કરવામાં આવે છે. 

ચેન્નઈની શાળાઓ મોટાભાગે તમિળનાડુ સરકાર અથવા ખાનગી સંચાલકો દ્વારા ચલાવવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ કેન્દ્ર સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે.  અહીં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી અથવા તમિળ હોય છે. મોટાભાગની શાળાઓ ધોરણ 10ની પરીક્ષાઓ આયોજીત કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  (CBSE) સાથે સંકળાયેલા તમિળનાડુ સ્ટેટ બોર્ડસાથે જોડાયેલી હોય છે. જ્યારે કેટલી શાળાઓ એન્ગલો ઈન્ડિય બોર્ડ  અથવા મોન્ટેસોરી પદ્ધતિની ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડ સાથે સંકળાયેલી હોય છે. શાળામાં ત્રણ વર્ષની ઉંમરે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં બે વર્ષ તેને બાલમંદિરમાં ભણાવવામાં આવે છે. ત્યારે બાદ પ્રાથમિક ધોરણમાં તે 10 વર્ષ ભણે છે અને બાદમાં તે માધ્યમિક શિક્ષણ મેળવે છે. આ બાદ વિદ્યાર્થીને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના બે વર્ષ વિજ્ઞાન અથવા વાણિજ્ય પ્રવાહમાં ભણવા પડે છે. આ બાદ જ તે વ્યવસાયિક અથવા સામાન્ય કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે.  શહેરમાં 1,389 શાળાઓ છે, જેમાંથી 731 પ્રાથમિક, 232 માધ્યમિક અને 426 ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે.  

ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઈઆઈટી મદ્રાસ(IIT Madras), ધ કોલેજ ઓફ એન્જિનિયરિંગની સ્થાપના 1794માં કરવામાં આવી હતી. મદ્રાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની સ્થાપના 1949માં કરવામાં આવી હતી, જે શહેરમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અભ્યાસ માટે જાણીતી છે.  મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજો અન્ના યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. મદ્રાસ મેડિકલ કોલેજ(MMC), સ્ટેન્લી મેડિકલ કોલેજ (SMC), કિપાઉક મેડિકલ કોલેજ અને શ્રી રામચંદ્ર મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (SRMC) શહેરની નોંધપાત્ર તબીબી કોલેજો છે. 

વિજ્ઞાન, આર્ટ અને વાણિજય પ્રવાહની કોલેજો યુનિવર્સિટી ઓફ મદ્રાસ સાથે જોડાયેલી હોય છે, આ યુનિવર્સિટી શહેરમાં ત્રણ કેમ્પસ ધરાવે છે. કેટલીક કોલેજો જેમ કે મદ્રાસ ક્રિસ્ટીયન કોલેજ, લોયલા કોલેજ અને ધ ન્યુ કોલેજ  સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાઓ છે. શહેરમાં સંશોધન સંસ્થાઓની સારી એવી હાજરી છે, જેમ કે સેન્ટ્રલ લેધર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CLRI), સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ  (CEERI) અને  ઈન્સ્ટીટ્યુટ ફોર ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ  (IFMR).કોન્નેમારા પબ્લિક લાયબ્રેરી ચાર નેશનલ ડિપોઝીટરી સેન્ટરમાંની એક છે, જ્યાં ભારતમાંથી પ્રસિદ્ધ થતા બધા જ અખબારો અને પુસ્તકોની એક નકલ મેળવવામાં આવે છે. તેને યુનેસ્કો (UNESCO) માહિતી કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 

ક્રિકેટ અહીંની સૌથી લોકપ્રિય રમત છે. એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (MAC), ચેપોક એ ભારતના સૌથી જુના સ્ટેડીયમો પૈકીનું એક છે. આઈઆઈટી (IIT) મદ્રાસ  કેમ્પસ માં આવેલું ચેમ્પ્લાસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો યોજે છે. આ ઉપરાંત 2011ના વિશ્વ કપ માટે એક આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ ચેન્નઈ નજીક બાંધવાનું આયોજન છે. શહેર તરફથી જાણીતા ક્રિકેટરોમાં ભૂતપૂર્વ ટેસ્ટ સુકાની એસ.વેંકટરાઘવન અને ક્રિસ શ્રીકાંત છે. ચેન્નઈમાં આવેલી ક્રિકેટ ઝડપી બોલિંગ એકેડેમી એમઆરએફ(MRF) પેસ ફાઉન્ડેશનના કોચમાં બોબ સિમ્પસન અને ડેનિસ લીલી  જેવાનો સમાવેશ થાય છે.  ચેન્નઈ ઈન્ડિયન પ્રિમિયર લીગની ક્રિકેટ ટીમ ચેન્નઈ સુપર કિંગસધરાવે છે.  ચેન્નઈ ઈન્ડિયન ક્રિકેટ લીગની ટીમ ચેન્નઈ સુપરસ્ટાર્સ પણ ધરાવે છે. 

મેયર રાધાક્રિષ્ણન સ્ટેડીયમને ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા તેની આધુનિક સવગડોને કારણે વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક સ્ટેડીયમ ગણાવ્યું છે. શહેર પ્રિમિયર હોકી લીગ (પીએચએલ(PHL))ની ચૈન્નાઈ વિરન્સ ટીમ ધરાવે છે. શહેરમાં હોકીની ઘણી ટુર્નામેન્ટો જેવી કે એશિયા કપ અને પૂરૂષો માટેની  ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થાય છે. 

ચેન્નઈએ ઘણા લોકપ્રિય ટેનિસ ખેલાડીઓ આપ્યા છે જેમ કે વિજય અમૃતરાજ અને રમેશ ક્રિષ્ણન તેમજ ચેન્નઈમાં એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP), ચેન્નઈ ઓપન, એટીપી(ATP) વર્લ્ડ ટૂર 250 સિરીઝનું આયોજન થાય છે, જે દેશની એકમાત્ર (ATP) ટુર્નામેન્ટ છે. 

ફૂટબોલ અને એથ્લેટીક સ્પર્ધાઓનું આયોજન જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમમાં થાય છે. અહીં વોલીબોલ, બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસની રમતો પણ રમાય છે. જ્યારે વોટર સ્પોર્ટસનું આયોજન વેલચેરી એક્વાટીક કોમ્પલેક્ષ ખાતે થાય છે. ચેન્નઈમાં 1995માં દક્ષિણ એશિયન ગેમ્સ (SAF Games)નું આયોજન થયું હતું. 

ચેન્નઈ આઝાદી બાદથી ઓટો રેસિંગમાં પણ આગવું સ્થાન ધરાવે છે. મોટર રેસિંગ ઈવેન્ટ માટે ઈરૂંગટ્ટુકોત્તાઈ ખાતે શ્રીપેરૂમ્બુદુર ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજન માટે કરવામાં આવે છે. ઘોડદોડ પણ ગુઈન્ડી રેસ કોર્સ ખાતે યોજાય છે, જ્યારે રોવિંગ સ્પર્ધા મદ્રાસ બોટ કલબખાતે થાય છે.  શહેરમાં 18 હોલ ધરાવતા બે ગોલ્ફના મેદાન છે. જેમાંકોસ્મોપોલિટન કલબ અને જીમખાના કલબનો સમાવેશ થાય છે, બન્નેની સ્થાપના 19મી સદીના અંતમાં થઈ હતી. ચેસની રમતનો વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદચેન્નઈમાં મોટો થયો છે. 

ચેન્નઈમાંથી અન્ય એથલેટ્સમાં શરથ કમલ  અને બે વખત કેરમ વિશ્વ વિજેતા મારીયા ઈરૂદયામનો સમાવેશ થાય છે. શહેરમાં રગ્બી યુનિયનની ટીમ છે જેને ચેન્નઈ ચિત્તાહના નામે ઓળખાય છે.  

ચેન્નઈમાં હાલમાં રહેલા કોન્સ્યુલટ, એમ્બેસી, અને રાજદુતાલયોની યાદી:

ચેન્નઈને વિશ્વના કેટલાક શહેરો સાથે ગાઢ સંબંધ છે.

 
 




#Article 126: રમેશ પારેખ (631 words)


રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું.

રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા પ્રિતની દુનિયા ચાંદની વાર્તાના સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. ૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. ૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ૧૯૬૨ સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૬૮માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ.
૧૯૮૮માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ૧૯૯૭માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. ૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

રમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી વધુ જાણીતા છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં (૧૯૭૦) ની પ્રશંસા થઇ હતી. ખડિંગ (૧૯૭૯) તેમનો બીજો કાવ્ય સંગ્રહ છે જેણે અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમના અન્ય કાવ્ય સંગ્રહો; ત્વ (૧૯૮૦), સનનન (૧૯૮૧), ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫), મીરાં સામે પાર (૧૯૮૬) અને વિતાન સુદ બીજ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ છ અક્ષરનું નામ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઇ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય (૧૯૯૫), છાતીમાં બારસાખ (૧૯૯૮‌), ચશ્માંના કાચ પર (૧૯૯૯) અને સ્વગતપર્વ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. કાલ સાચવજે પગલા (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે.

સ્તનપૂર્વક (૧૯૮૩) તેમનો વાર્તા સંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં સગપણ એક ઉખાણું (૧૯૯૨), સૂરજને પડછાયો હોય (૨૦૦૨) અને રમૂજી નાટક તરખાટનો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો હોંકારો આપો તો કહું (૧૯૯૪), ચાલો એકબીજાને ગમીએ (૨૦૦૧), સર્જકના શબ્દને સલામ (૨૦૦૨) છે. તેમણે ગિરા નદીને તીર (૧૯૮૯) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (૧૯૮૯) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું.

બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમના બાળ કવિતા સંગ્રહો હાઉક (૧૯૭૯), ચીં (૧૯૮૦), દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા (૧૯૮૮, સચિત્ર), ચપટી વગાડતા આવડી ગઇ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તા સંગ્રહો હફરફ લફરફ (૧૯૮૬), દે તાલ્લી (૧૯૭૯), ગોર અને ચોર (૧૯૮૦), કુવામા પાણીનું ઝાડ (૧૯૮૬) અને જંતર મંતર છુ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ જાદુઇ દીવો અને અજબ ગજબનો ખજાનો છે.

૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો.

૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો.

૧૯૭૨માં તેમના લગ્ન રસિલાબેન સાથે થયા હતા. તેમની પુત્રી નેહાનો જન્મ ૧૯૭૪માં અને પુત્ર નિરજનો જન્મ ૧૯૭૫માં થયો હતો.




#Article 127: પાલનપુર (1142 words)


પાલનપુર એ એક શહેર અને બનાસકાંઠા જિલ્લામાં આવેલ નગરપાલિકા છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે.

પાલનપુર પહેલાં પ્રહલાદન પાટણ કહેવાતું હોવાનું અને ચંદ્રાવતીના પરમાર વંશના ધારાવર્ષદેવ પરમારના ભાઇ પ્રહલાદનદેવ દ્વારા ઇ.સ. ૧૧૮૪ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેની સ્થાપના વિક્રમ સંવતની સ્થાપના (ઇસ પૂર્વે ૫૭)ના ૨૦૦ વર્ષ પૂર્વે થઇ હોવાનું પણ મનાય છે. ત્યારબાદ ચૌદમી સદીમાં પાલનપુર પાલનશી ચૌહાણ દ્વારા ફરી વસાવાયું અને હાલનું નામ મેળવ્યું. બીજી વાયકા મુજબ તે પાલ પરમાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના ભાઇ જગદેવે નજીકનું જગાણા ગામ સ્થાપ્યું હતું.

પાલનપુર સૌપ્રથમ પરમાર વંશના પ્રહલાદન નામના રાજપૂત દ્વારા સ્થાપવામાં આવ્યું એવું મનાય છે. પાલનપુરનો વિસ્તાર તેમને તેમના ભાઇ દ્વારા, કે જેઓ અત્યારના માઉન્ટ આબુના શાસક હતા, વડે ભેટ આપવામાં આવ્યો હતો. પાલનપુર આ કારણે પ્રહલાદનપુર તરીકે જાણીતું હતું. જૈન ઇતિહાસમાં પણ પાલનપુરને પ્રહલાદનપુર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. પાલનપુર પાછળથી બ્રિટિશ રાજનો ભાગ બન્યું.

એક સમયે આ શહેરની ફરતે મજબૂત કિલ્લે બંદી કરેલી હતી, તેને સાત દરવાજા હતા. આ દરવાજાઓમાં માત્ર મીરાં દરવાજો અત્યારે (હયાત) પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે. માત્ર આ દરવાજાઓ દ્વારા જ આવાગમન શક્ય હતું.

સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ નો જન્મ પાલનપુરમાં થયો હતો એવું મનાય છે.

અફઘાનોની લોહાની (હેતાણી અથવા બિહારી પઠાણ) જાતિના રજવાડાની પાલનપુર બેઠક (રાજધાની) હતી. તે રાજઘરાનાનો પૂર્વ ઇતિહાસ ઉપલબ્ધ નથી પણ, લગભગ ૧૬મી શતાબ્દી તેઓ ભારતમાં જ રહ્યાં છે. કહેવાય છે કે આ કુટુંબના મોભી મોગલ રાજા અકબરની અપર બહેનને પરણ્યા હતાં અને પાલનપુર તથા આસપાસનું ક્ષેત્ર દહેજમાં મેળવ્યું હતું. ઔરંગઝેબ પછીના અંધાધૂંધીના કાળમાં (૧૮મી શતાબ્દી) આ રજવાડું મહત્ત્વ પામ્યું. ત્યાર બાદ થોડાં જ સમયમાં તે રાજ્ય મરાઠાઓ દ્વારા સર કરી લેવાયું અને અન્ય પાડોશીની જેમ લોહાનીઓએ પણ ૧૮૧૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તાબેદાર રાજવટ નીતિ સ્વીકારી.

આ રજવાડાનું ક્ષેત્ર ૧૭૬૬ ચો.કિમી. (૬૮૨ ચો.માઈલ) અને ૧૯૦૧માં વસ્તી ૨,૨૨,૬૨૭ હતી. પાલનપુર નગરની વસ્તી તે સમયે માત્ર ૮,૦૦૦ હતી. દર વર્ષે રાજ્યની રૂ. ૫૦,૦૦૦ની આવક હતી અને તે વડોદરાના ગાયકવાડ રાજાને રૂ ૨૫૬૪નું સાલિયાણું ભરતું. રાજપીપળા માલવાની રેલ્વે લાઈન પર તે મહત્વનું સ્થાનક હતું અને ડીસાની બ્રિટીશ છાવણીનો સમાવેશ કરતું. ઘઉં, ચોખા અને શેરડી તેનો મુખ્ય પાક હતો. સાબરમતી નદીના નીરથી આ રાજ્યની ઉત્તર તરફ (આજનું જેસોર અભયારણ્ય) ગીચ જંગલ હતાં પણ દક્ષિણે અને પૂર્વે  ખડકાળ અને ખુલ્લા પ્રદેશ હતાં. અરવલ્લી પર્વતની કોર પર આવેલ હોવાથી તે રાજ્ય મહદ અંશે ખડકાળ હતું.

એક રાજનીતિ એજન્સીને પણ પાલનપુરે પોતાનું નામ આપ્યું હતું, જે આજના ગુજરાત અને રાજસ્થાનના સીમાકીય પ્રદેશના રજવાડાઓનું જૂથ હતું. તેમાં ૧૭ રજવાડાં હતાં જેઓ ૧૬,૫૫૮ ચો.કિમી (૬,૩૯૩ ચો માઈલ) વિસ્તારમાં પથરાયેલાં હતાં અને ૧૯૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે તેની વસ્તી ૪,૬૭,૨૮૧ હતી.

આ શહેર ફૂલોના બગીચાઓ માટે પણ પ્રખ્યાત હતું અને તેના અત્તરોની દેશ-વિદેશમાં ભારે માંગ રહેતી હતી.

પાલનપુર  પર આવેલું છે. તેની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ  છે. તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને અરવલ્લીની વચ્ચેના નીચાણવાળા વિસ્તારમાં વસેલું છે અને અરવલ્લી પર્વતમાળાની શરૂઆત પાલનપુર નજીકથી થાય છે.

દરિયાકિનારાથી દૂર આવેલું હોવાથી પાલનપુરનું વાતાવરણ વિષમ રહે છે. અહીંનો ઉનાળો ગરમ પવનો અને મહત્તમ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથેનો છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં તાપમાન લઘુત્તમ ૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે. વાર્ષિક વરસાદ ૫૧૩ મિમી જેટલો છે.

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી તે અન્ય શહેરો સાથે માર્ગ અને રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલ છે.

રાજપૂતાના-માળવા રેલમાર્ગનો ફાંટો પાલનપુરથી આબુ ઇ.સ. ૧૮૭૯માં, ડીસા-પાલનપુરને જોડતો રેલ્વે માર્ગ ૧૮૯૩માં અને ડીસા-કંડલા રેલ્વે માર્ગ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો.

પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન, જયપુર-અમદાવાદ લાઇન પર આવેલું છે, જે પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં આવે છે. તે ચેન્નાઇ, થિરૂઅનંતપુરમ, મૈસુર, બેંગ્લોર, પુને, મુંબઈ, જયપુર, જોધપુર, દિલ્હ, દહેરાદૂન, મુઝફ્ફરનગર, બરૈલી અને જમ્મુ સાથે સીધી લાઇનમાં જોડાયેલ છે. તે ગુજરાતમાં મોટાભાગના શહેરો સાથે જોડાયેલ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદરનો સમાવેશા થાય છે. પાલનપુર અને સામખીયાળી વચ્ચેની બ્રોડગેજ લાઇનનો પ્રસ્તાવ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આને કારણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ થશે.

બિયાવરને રાધનપુરથી જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪ ડીસા-પાલનપુર થઇને પસાર થાય છે, જે પાલી, શિરોહી અને આબુ રોડને પાલનપુર સાથે જોડે છે. રાજ્ય ધોરી માર્ગ SH ૭૧૨ અને SH ૧૩૨ પાલનપુર થઇને પસાર થાય છે પાલનપુરને નજીકના શહેરો સાથે જોડે છે. રાજ્યનો SH ૪૧ મહેસાણા અને અમદાવાદને જોડે છે.

સૌથી નજીકનું હવાઇ મથક ડીસા હવાઇ મથક છે, જે પાલનપુર રજવાડાં માટે બનાવવામાં આવેલું હતું. તે પાલનપુર થી ૨૬ કિમી દૂર આવેલું છે. નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઇ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, અમદાવાદ છે, જે પાલનપુર શહેરથી ૧૩૯ કિમી દૂર છે.

પાલનપુર શહેર અને પરાં વિસ્તારોની કુલ વસ્તી ૧,૪૧,૫૯૨ છે. આ વિસ્તાર પાલનપુર શહેર અને લક્ષ્મીપુરા પરાંનો સમાવેશ કરે છે.

૧૭૫૦માં (સંવત ૧૮૦૬)માં બહાદુર ખાને શહેરની ફરતે દિવાલ નગરકોટ બંધાવી હતી. તે ૩ માઇલ પરિઘ ધરાવતી હતી તેમજ સાત દરવાજાઓ સાથે ૧૭ થી ૨૦ ફીટ ઉંચી અને ૬ ફીટ પહોળી હતી. ખૂણાઓ પર શસ્ત્રો સાથેના ગોળાકાર મિનારાઓ હતા. આ દિવાલને સાત દરવાજાઓ, દિલ્હી દરવાજો, ગઠામણ દરવાજો, માલણ દરવાજો, વીરબાઇ દરવાજો, સલેમપુરા દરવાજો, સદરપુર અથવા શિમલા દરવાજો ‍(નવો દરવાજો) અને કમાલપુરા દરવાજો હતા. માત્ર મીરાં દરવાજો હજી સુધી હયાત છે.

શેર મહંમદ ખાને ૧૯૧૦માં રાજા જ્યોર્જ પાંચમાંના દિલ્હી દરબારમાં હાજરી આપી હતી અને તેમણે જ્યોર્જ પાંચમાંના નામ પરથી ૧૯૧૩માં ક્લબ બંધાવી. ૧૯૧૮માં તેમના પછીના શાસક તાલે મહંમદ ખાને રેલ્વે સ્ટેશનની નજીક કીર્તિ સ્તંભ બંધાવ્યો. જે ૨૨ મીટર ઊંચો છે. આ મિનારામાં તેમના પિતાની કિર્તી અને પાલનપુર અને તેમના વંશના ઈતિહાસનું વર્ણન છે. તેમણે ૧૯૨૨ થી ૧૯૩૬ની વચ્ચે બાલારામ પેલેસ પણ બંધાવ્યો અને પછી જોરાવર પેલેસ બંધાવ્યો (જે હાલમાં કોર્ટ તરીકે વપરાય છે). તેમણે જહાંનારા બાગ (હાલમાં શશિવન) બંધાવ્યો, જે તેમના ઓસ્ટ્રેલિયાના વેપારીની દિકરી સાથેના બીજાં લગ્નની ઉજવણીમાં બાંધવામાં આવ્યો હતો.

જૂના બજારો જેવાકે નાની બજાર, મોટી બજાર અને ઢાળવાસ છે. ચમન બાગ અને શશીવન શહેરમાં આવેલા મુખ્ય બગીચાઓ છે. જાલોરી શાસક મલિક મુઝાહિદ ખાને તેની રાણી માનબાઇ જાડેજાની યાદમાં ૧૬૨૮માં માનસરોવર બંધાવ્યું હતું.

જેસોર રીંછ અભયારણ્ય કે જે આળસુ રીંછ સહિત લુપ્ત થવાને આરે ઊભેલી અન્ય પ્રજાતિઓ જેમકે દીપડો, સુવર (જંગલી બોઅર), શાહૂડી (પોર્ક્યુપાઈન) આદિનું આશ્રય સ્થાન છે. તે ૧૮૦ ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે અને પાલનપુરથી ૪૫ કિમી દૂર છે.

પાલનપુરમાં ઘણાં હિંદુ અને જૈન મંદિરો છે.

સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ શિવને સમર્પિત પાતાળેશ્વર મંદિર બંધાવ્યું હતું. બીજા મંદિરોમાં લક્ષ્મણ ટેકરી મંદિર, મોટા રામજી મંદિર, અંબાજી માતા મંદિરનો સમાવેશ થાય છે.

મુખ્ય જૈન મંદિરોમાં મોટું દેરાસર અને નાનું દેરાસર છે. પલ્લવિયા પાર્શ્વનાથ મંદિર, જે મોટા દેરાસર તરીકે ઓળખાય છે, તે રાજા પ્રહલાદ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ દેરાસર પાર્શ્વનાથને સમર્પિત છે.

બાલારામ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર પાલનપુરથી ૨૦ કિમી દૂર આવેલું છે.અંબાજીનું પ્રખ્યાત મંદિર અહીંથી ૫૦ કિમી દૂર છે.

પાલનપુર હીરાના ઉધોગમાંના મોટાભાગના લોકોની જન્મભૂમિ પણ છે. ભારતની આધુનિક હીરા તરાશની ઉધોગની સ્થાપના પાલનપુરી જૈન કુટુંબોએ કરી, જેમણે ૧૯૦૯માં પોતાના ગામડાને ગરીબીમાંથી ઉગારવા આ ઉધોગ પસંદ કર્યો. અંતરીયાળ વિસ્તારમાં આવેલ હોવાથી પાછળથી તેમણે પોતાનો ધંધો મુંબઈ અને પછી સુરતમાં વિકસાવ્યો. તેમ છતાં આજે પણ તેઓ માતૃભૂમિ સાથે નજીકથી જોડાયેલા છે. આજે પણ ભારતીય હીરા ઉધોગ જે મોટે ભાગે આભૂષણો માટે હીરા તરાશે છે, તેમાં પાલનપુરી જૈનોની બહુમતી છે. ભારત અને એન્ટવર્પની મોટાભાગની હીરા ઉધોગની માલિકી પાલનપુર મૂળવતન ધરાવતાં લોકો પાસે છે.

પાલનપુરમાં અનેક નામી સાહિત્યકારો થઇ ગયા છે.

પાલનપુર શહેર પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં આશરે ૧૧૦ જેટલાં ગામોનો સમાવેશ થાય છે.




#Article 128: વલસાડ જિલ્લો (849 words)


વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે. 

વલસાડ જિલ્લાના છ તાલુકા છે. 

આ છ તાલુકાની કુલ વસ્તી સને ર૦૦રના સાલની વસ્તી ગણતરી મુજબ ૧૪,૧૦,૬૮૦ની છે. વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે.

અત્રેના જિલ્લાના વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે.

વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪) પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે.

૩૧૩૧ મી.મી.

આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ૬૦ કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલ છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલ છે.

ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓ પ્રવેશ્યા હતા. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ આતશ બહેરામ અને ફાયર ટેમ્પલ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે.

પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો ખેડ સત્યાગ્રહ અથવા ઘાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલી છે.

વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.

આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.

ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.

પૂર્વમાં સહ્યાદ્રિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્‍યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.

વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં સાંઇબાબા મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્‍યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ શાંતિનિકેતન સંકુલ, અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું સ્વામીનારાય મંદિર વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષ‍િ રહ્યા છે. જેનું મુખ્‍ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત સરકારના પ્રવાસન નિગમની હોટલ તોરણ રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે ભગવાન દત્તાત્રેયનું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તેમ જ કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહ્યાદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.

ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું  જિલ્લા વિજ્ઞાન સેન્ટર આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્‍યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે ભાવ ભાવેશ્વર ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્‍ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.




#Article 129: પાલીતાણા (529 words)


પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૫ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે.  ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે.

પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે.

પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં  હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું.

આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.

જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. મોટેભાગના જૈનો સમેત શિખર, માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૬૧૬ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનાવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે  પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં.

પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સંગ્રહસ્થાનો આવેલાં છે. શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન અને સ્થાપત્ય કલા ગૃહ. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.

પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. 

ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે.

ઇ.સ. ૨૦૧૪માં પાલિતાણા વિશ્વનું સૌપ્રથમ કાયદાકીય રીતે શાકાહારી શહેર બન્યું હતું. અહીં માંસ, માછલી કે ઇંડા વેચવા અથવા ખરીદવા પર તેમજ માછીમારી અને ખાદ્ય પદાર્થ તરીકે પ્રાણીઓનો ઉછેર કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી.

ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ, રાજકોટ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદ થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે, જે લગભગ ૫ કલાક્ની મજલ છે. અમદાવાદથી ૨૧૫ કિ. મી. પાલીતાણા છે. ટેક્સી પણ મળી શકે છે.




#Article 130: ઉનાવા (211 words)


ઉનાવા ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે, જે મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ છે જે મીરા દાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ-પાલનપુર ધોરીમાર્ગ પર મહેસાણાથી ઊંઝા તરફ ૧૯ કિ.મી. ના અંતરે મુખ્ય રસ્તા પર ઉનાવા આવેલું છે. ઉનાવાની સૌથી નજીકનું વેપારી મથક ઊંઝા છે જે ફક્ત ૫ કિ.મી.ના અંતરે જ આવેલુ છે. ઉનાવામાં ખેત ઉત્પાદન સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે હાલમાં અગત્યના તમાકુ બજાર તરીકે ઉભરી આવ્યું છે.

ઉનાવા એક વિશાળ ગામ છે, જેમાં કુલ ૨૭૪૯ પરિવારો રહે છે. ઉનાવા ગામની વસ્તી ૧૨૯૦૧ છે, જેમાંથી ૬૭૦૧ પુરુષો અને ૬૨૦૦ સ્ત્રીઓ છે.  ઉનાવા ગ્રામ વસ્તીમાં ૦-૬ વર્ષની વયના બાળકોની વસ્તી ૧૩૮૪ છે, જે ગામની કુલ વસ્તીના ૧૦.૭૩% જેટલી છે. ઉનાવા ગામનું સરેરાશ લિંગનું પ્રમાણ ૯૨૫ છે, જે ગુજરાત રાજ્યની સરેરાશ ૯૧૯ કરતાં ઊંચું છે. વસ્તી ગણતરી મુજબ ઉનાવા માટે બાળ જાતિ ગુણોત્તર ૭૭૨ છે, જે ગુજરાત સરેરાશ ૮૯૦ થી નીચો છે.

ગુજરાતની તુલનામાં ઉનાવા ગામની સાક્ષરતા દર વધારે છે. ૨૦૧૧માં, ઉનાવા ગામની સાક્ષરતા દર ગુજરાતની ૭૮.૦૩% ની તુલનાએ ૯૧.૬૬% હતી. ઉનાવામાં પુરુષની સાક્ષરતા ૯૫.૯૫% છે જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૮૭.૧૨% છે.

ભારત અને પંચાયતી રાજ કાયદા મુજબ, ઉનાવા ગામનું સંચાલન સરપંચ દ્વારા કરવામાં આવે છે, જે ગામના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે.




#Article 131: રાજકોટ (396 words)


રાજકોટ() એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭થી ગુજરાતનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.

રાજકોટ શહેરની સ્થાપના વિભોજી અજોજી જાડેજાએ કરી હતી. તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.

૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૪,૪૨,૯૭૫ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં મનહરપુર, માધાપર, આનંદપુર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો શમાવેશ થાય છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે.

રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.

મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે.

શહેરમાં આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે.




#Article 132: જામનગર જિલ્લો (233 words)


જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.

જિલ્લાના જોડિયા અને જામનગર તાલુકાઓ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે અને મોટી ભરતી દરમિયાન તેમાં પાણી ફરી વળતા હોય છે. લાલપુર તાલુકાનો મેદાની પ્રદેશ સરેરાશ ૭૫.૮૩ મીટર ઊંચાઇ ધરાવે છે. જોડિયા અને જામનગર તાલુકાઓ કાંપની જમીનો ધરાવે છે, જ્યારે ધ્રોલ અને કાલાવાડ તાલુકાઓમાં મધ્યમ કાળી જમીનો આવેલી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જામનગર જિલ્લાની વસ્તી ૨૧,૫૯,૧૩૦ હતી. જે નામિબિયાની વસ્તી જેટલી અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્ય જેટલી હતી. વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૧૨મો ક્રમ હતો. જિલ્લાની ગીચતા  છે. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં વસ્તી વધારાનો દર ૧૩.૩૮ ટકા હતો. જામનગરમાં જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૩૮ સ્ત્રીઓનું છે. ૨૦૦૧માં ૬૬.૪% ના સાક્ષરતા દરથી ૨૦૧૧માં સાક્ષરતા દર ૭૪.૪% થયો હતો.

ઇ.સ. ૧૯૦૧થી જિલ્લાની વસ્તીમાં સતત વધારો થતો રહ્યો છે.




#Article 133: તાપી નદી (250 words)


તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે, તેની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. નર્મદા અને મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.

તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇને મળે છે. ગુજરાતનું સુરત પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.

તાપી નદીનું ઉદ્‌ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે. જેનો અર્થ થાય છે 'તાપીનું મૂળ'. તાપીનું પ્રાચીન નામ તાપ્તી અને સુર્યપુત્રી છે.

થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫માં પાડવામાં આવ્યું છે.

તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે, જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.)માં આવેલો છે.

તાપીનો ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાસીમ, જલગાંવ, ધુળે, નંદુરબાર અને નાસિકમાં થઇને વહે છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર તથા ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાનાં ડુમ્મસ ખાતે ખંભાતના અખાતને મળે છે.

તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:




#Article 134: નર્મદા જિલ્લો (140 words)


નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે.

નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૪૯ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે. 

અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.

આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી ૫,૯૦,૩૭૯ વ્યક્તિઓની છે.૨૦૧૧માં વસ્તીના ૧૦.૪૪% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.

નર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે.

આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.




#Article 135: યાક (275 words)


ચમરી ગાય અથવા તો યાક એ લાંબા લાંબા વાળવાળું કાળા રંગનું ખૂંધ ધરાવતું ગાય કે બળદને મળતું આવતુ દૂધાળી જાતીનું પાલતું પ્રાણી છે. યાક તિબેટ, દક્ષિણ મધ્ય એશિયાના હિમાલયના ક્ષેત્ર તેમજ મંગોલિયામાં જોવા મળે છે. ભારતમાં હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતિ તથા કિન્નોર જિલ્લામાંં તથા જમ્મુ-કાશ્મીરના લડાખ ક્ષેત્રમાં આ પ્રાણી જોવા મળે છે. ગુજરાતીમાં યાક સુરાગાય ના નામે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં નર અને માદા યાક માટે યાક શબ્દનો જ પ્રયોગ થાય છે પણ જ્યાં આ પ્રાણી સૌથી વધુ જોવા મળે છે એટલે કે તિબેટની સ્થાનિક ભાષા તિબેટમાં યાક શબ્દ નર ના સંદર્ભમાં વપરાય છે જ્યારે માદાને ડ્રી અથવા નાક થી ઓળખાય છે. 

યાક મૂળ જંગલી પ્રાણી હતું, પણ એની ઉપયોગિતા ખ્યાલમાં લઇને મનુષ્યએ એને પાલતું બનાવ્યું. જંગલી યાકની ઊંચાઇ આશરે ૨ મીટર હોય છે જ્યારે પાળેલા યાકની ઊંચાઇ જંગલી યાક કરતાં લગભગ અડધી હોય છે. બંને વર્ગના યાકના શરીર પર લાંબા લાંબા વાળ હોય છે જે અતિશય ઠંડી સામે પણ એને રક્ષણ આપે છે. યાક બે પ્રકારના હોય છે - શીંગડાવાળા તથા શીંગડાવગરનાં. યાક ત્રણ રંગના જોવા મળે છે - કાળા, કાબરચીતરા અને ભૂરા. પાલતું યાક સફેદ રંગના પણ જોવા મળે છે.

યાકનું વજન આશરે ૧,૦૦૦ કિલો (૨,૨૦૦ પાઉન્ડ) હોય છે. ચારથી પાંચ યાક એક સમૂહમાં રહે છે. પણ નાની વયના યાક મોટા જૂથમાં રહે છે જેથી બચ્ચાંઓનું પરભક્ષીઓથી રક્ષણ કરી શકાય. યાક ૩,૨૦૦ મી (૧૦,૫૦૦ ફૂટ). યાકનું પ્રિય ખાધ્ય ઘાસ છે.

યાકને દૂધ, વાળ, માંસ, ગોબર અને શીંગડા માટે પાળવામાં આવે છે. યાક દરરોજ એક થી બે લિટર દૂધ આપે છે. યાકનું દૂધ ઘાટું હોય છે એમાં ૧૨ ટકા ચરબી હોય છે. યાકના દૂધમાંથી માખણ અને ચીઝ બનાવાય છે. તિબેટમાં યાકના દૂધમાંથી બનાવેલી ચીઝને છુરપી કહેવાય છે, જ્યારે મંગોલિયામાં એને બ્યાસલાગ કહેવાય છે.




#Article 136: વંદે માતરમ્ (685 words)


વંદે માતરમ એ ભારત દેશનું રાષ્ટ્રીય ગાન છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં વંદે માતરમ્ એક લોકપ્રિય સૂત્ર હતું.

વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશીત કર્યું હતું.

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે. 

કોંગ્રેસનાં કલકત્તા અધિવેશન (૧૮૯૬)માં, રવીન્દ્રનાથ ઠાકુરે એને લય બદ્ધ રીતે અને સંગીત સાથે ગાયું. અરવિંદે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂ માં ભાષાંતર કર્યું છે.

૧૯૩૭ માં આ ગીત ના ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નહેરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિમાં અબુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપવાનું કારણ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦નાં રોજ એક વક્તવ્ય રજૂ કર્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ વક્તવ્યમાં વંદે માતરમ્ ના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને તેને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં રજૂ કરેલાં વક્તવ્યનો એક ભાગ નીચે આપ્યો છે:

 
શબ્દો અને સંગીતની એ રચના જેને જન ગણ મનથી સંબોધિત કરવામાં આવે છે તે ભારતનું રાષ્ટ્રગીત છે, બદલાવના એવા વિશેષ અવસર આવવા પર સરકાર આધિકૃત કરે, અને વન્દે માતરમ્ ગાન, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, તેને જન ગણ મનની સમકક્ષ સન્માનિય પદ મળે. (હર્ષધ્વનિ) હું આશા કરું છું કે આ સદસ્યોને સંતુષ્ટ કરશે. (ભારતીય સંવિધાન પરિષદ, ખંડ દ્વાદશ:૨૪-૧-૧૯૫૦)
 

આ ગીત સર્વપ્રથમ ૧૮૮૨માં પ્રકાશિત થયું હતું. આ ગીતને સૌ પહેલાં ૭ સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજ કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ૨૦૦૫માં આના સો વર્ષ પૂરા થવાનાં ઉપલક્ષ માં ૧ વર્ષનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ ૭ સપ્ટેમ્બર એ સમાપ્ત થયો. આ સમાપનનું અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલયએ આ ગીત ને ૭ સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે નિશાળોમાં ગાવાની વાત કરી. પરંતુ, પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનું કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યું, એ સ્વેચ્છા પર નિર્ભર કરે છે

આનંદ મઠ ઉપન્યાસ પર અમુક વિવાદ છે અમુક લોકો તેને મુસલમાન વિરોધી માને છે. તેમનું કહેવું છે કે આમાં મુસલમાનોને વિદેશી અને દેશદ્રોહી બતાવવામાં આવ્યાં છે. વંદે માતરમ્ ગાવા પર પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતની પહેલી બે કડી, જે પ્રસાંગિક છે, તેમાં કોઈ પણ મુસલમાન વિરોધી વાત નથી અને ન કોઈ દેવી કે દુર્ગાની અરાધના કરી છે પણ આવા વિરોધ કરતાં લોકોનું કહેવું છે કે,

જોકે એવું નથી કે ભારતનાં બધાં મુસલમાનોને આ ગીત સામે વિરોધ છે કે બધાં હિંદુઓ એને ઉત્સાહથી ગાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલાં સંગીતકાર એ. આર. રહમાને કે જે પોતે એક મુસલમાન છે, 'વંદેમાતરમ્' ગીતને લઈ એક આલ્બમ તૈયાર કર્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું છે. બહુમતિ લોકોનું માનવું છે કે આ વિવાદ રાજનૈતિક વિવાદ છે. ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે ખ્રિસ્તી લોકો પણ મૂર્તિ પૂજન નથી કરતા પણ તેઓ દ્વારા આ વિષે કોઈ વિવાદ નથી.

શું કોઈને કોઈ ગીત ગાવા માટે મજબૂર કરી શકાય કે નહીં? આ પ્રશ્ન સર્વોચ્ચ અદાલત સમક્ષ Bijoe Emmanuel Vs. State of Kerala AIR 1987 SC 748 [૨] વાદમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ વાદમાં અમુક વિદ્યાર્થિઓ ને સ્કૂલમાંથી એટલા માટે કાઢી મુકવામાં આવ્યાં હતા કેમ કે તેમણે રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાની ના પાડી દીધી હતી. આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં રાષ્ટ્રગીતનાં સમયે તેના સમ્માનમાં ઊભા તો થતાં હતાં તેનું  સન્માન કરતાં હતાં પણ ગાતાં ન હતા. તેમને ગાવાનું કહેવામાં આવતાં માટે તેમણે ના પાડી હતી. સર્વોચ્ચ અદાલતે તેમની યાચિકા સ્વીકાર કરી અને તેમને સ્કૂલમાં પછા લેવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીતનું સન્માન કરે છે પણ તેને ગાતો નથી તો એનો મતલબ એમ નથી કે તે એનું અપમાન કરી રહ્યાં છે. તેને ન ગાવા પર ન તો દંડિત યા ન તો પ્રતાડિત કરી શકાય. વંદેમાતરમ રાષ્ટ્રગાન છે તેને જબરજસ્તી ગાવડાવવા માટે મજબૂર કરવામાં પણ આ જ કાયદો/નિયમ લાગશે.

  




#Article 137: અમરેલી જિલ્લો (289 words)


અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. અહીં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.

રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.

જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી.

આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:




#Article 138: તત્ત્વ (316 words)


રાસાયણિક તત્વ અથવા તત્વ એ શુદ્ધ રાસાયણિક પદાર્થ છે જેનો સંપૂર્ણ જથ્થો એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો હોય છે, અને દરેક પરમાણુના કેન્દ્રમાં સરખી સંખ્યામાં પ્રોટોન આવેલા હોય છે. આ પ્રોટોનની સખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. આ તત્વોનું સામાન્ય રાસાયણિક રીતો દ્વારા વધુ સાદા ઘટકોમાં વિભાજન કરી શકાતું નથી. કાર્બન, ઓક્સીજન, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, સોનું, પારો, સીસું, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે રાસાયણિક તત્વોના ઉદાહરણો છે. તત્વોનું વર્ગીકરણ આવર્ત કોષ્ટક રૂપે કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૧૮ તત્વો શોધાયા છે, જેમાંથી પરમાણુ ક્રમાંક ૧ થી પરમાણુ ક્રમાંક ૯૪ સુધીના તત્વો કુદરતી રીતે પૃથ્વી પર મળી આવે છે જ્યારે બાકીના ૨૪ તત્વો કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. કુલ ૮૦ તત્વો સ્થાયિત્વ ધરાવે છે, જ્યારે બાકીના બીજા - પરમાણુ ક્રમાંક ૪૩, ૬૧ તેમજ ૮૪થી આગળનાં - એમ કુલ ૩૮ તત્વો વિકિરણ-ઉત્સર્ગી ગુણધર્મો ધરાવે છે.

કોઈ પણ તત્વનું રાસાયણિક રીતોથી બે અથવા તેથી વધુ પદાર્થોમાં વિઘટન કરી શકાતું નથી. કોઈ પણ તત્વમાં નિશ્ચિત પ્રકારના પરમાણુઓ સિવાય બીજા પરમાણુઓ હોતા નથી. દા.ત., હાઈડ્રોજનમાં હાઈડ્રોજનના જ પરમાણુઓ હોય છે, અને એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમના જ પરમાણુઓ હોય છે. આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં ગોઠવાયેલાં તત્વોને તેમના ઈલેક્ટ્રોનિક બંધારણમે ધ્યાનમાં રાખીને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: (૧) s-વિભાગનાં તત્વો (૨) p-વિભાગનાં તત્વો (૩) d-વિભાગનાં તત્વો અને (૪) f-વિભાગનાં તત્વો.

s-વિભાગ અને p-વિભાગનાં તત્વોને પ્રતિનિધિ તત્વો અને નિષ્ક્રિય તત્ત્વોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે તત્વોની સૌથી બહારની શક્તિસપાટીના s અથવા p-કક્ષકો અપૂર્ણ હોય એટલે એ જેમનું ઈલેક્ટ્રોનિક બંધારણ ns1 થી ns2 np5 પૈકીનું કોઈ એક હોય તેમને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. આ તત્વો બીજા તત્વો પાસેથી ઈલેક્ટ્રોન મેળવીને, ગુમાવીને કે ભાગીદારી કરીને રાસાયણિક સંયોજન બનાવે છે. જે તત્વોના s અથવા p-કક્ષકો સંપૂર્ણપણે ભરાયેલા હોય છે તેમને નિષ્ક્રિય તત્વો કહે છે. આ તત્વો કોઈ પણ રાસાયણિક ક્રિયામાં ભાગ લેતાં નથી અને તેઓ આવર્ત કોષ્ટકના શૂન્ય સમૂહમાં આવેલાં હોય છે. આ તત્વોનું ઈલેક્ટ્રોનિક બંધારણ ns2 np6 પ્રકારનું હોય છે.

કોઈ પણ તત્વના પરમાણુમા આવેલ પ્રોટોન અને ન્યૂટ્રોનની કુલ સંખ્યાને તે તત્વનો પરમાણુભાર કહે છે.




#Article 139: બનાસકાંઠા જિલ્લો (121 words)


બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.

બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે. વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે. દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે. ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.




#Article 140: રામાયણ (1102 words)


રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી.

વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૬ કાંડોમાં વહેંચાયેલું છે:

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.

ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીઓને જ્યારે આ પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કોઈ કોઈનાં પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાનાં પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઈ. આ પછી તેઓ પોતાનાં પાપનાં પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.

એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાઈને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.

હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડામાં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એકની વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની ખુશી થઇ. 

આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?

આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા.

રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતી; જ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ - આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય - જેમ કે - ઉડવું, પર્વત કે શિલા ઉંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.

કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.

રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે.

વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો.

ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા.

લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ - બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. 

પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે - ખાસ કરીને કૈકેયીના પ્રસંગે - વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.

રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે - વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.

મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે.

મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે. 

તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ શ્રી રામ ચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે. 

વીસમી સદીમાં મોરારીબાપુ રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે.

૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. ધારાવાહિક બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી.

નીચેના પ્રસંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે કારણ કે તે મૂળ વાલ્મિકી રામાયણમાં નથી.




#Article 141: હિંદુ (505 words)


હિંદુ શબ્દ એવા વ્યક્તિની ઓળખ કરાવે છે કે જે ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્દભવેલાં વૈદિક ધર્મનાં તત્વજ્ઞાન, જીવનદ્રષ્ટી, ગ્રંથો તેમજ ધાર્મિક અને સાંસક્રુતિક જીવનશૈલીનો અનુયાયી હોય.

દુનિયામાં આશરે ૯૨ કરોડ હિંદુઓ વસે છે અને એમાંના ૮૯ કરોડ ભારતમાં છે જ્યારે બાકીનાં 3 કરોડ દુનિયાનાં અન્ય દેશોમાં વસે છે. દુનિયાની વસતીના ૧૩.૫% ભાગ સાથે હિંદુઓએ હિંદુ ધર્મને ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ બનાવ્યો છે. ભારત સિવાયનાં અન્ય દેશો કે જ્યાં મોટી ગણનામાં હિંદુઓ વસે છે તેમાં નેપાળ, બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેટ્સ, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ તથા દક્ષિણ આફ્રીકાનો સમાવેશ થાય છે.

હિંદુ શબ્દ સિંધુ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસલમાન, આરબ વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. સિંધૂને ગ્રીક, લેટીન અને બીજી યુરોપિયન ભાષામાં ઇન્ડસ તરીકે ઓળખવામાં આવી અને આથી જ ભારત દેશને યુરોપમાં ઇન્ડીયા તરીકે ઓળખવામાં આવ્યો. ભારતના પ્રાચીન લોકો તેમના ધર્મને સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ તરીકે ઓળખે છે. મુસ્લિમોના આક્રમણ બાદ હિંદુ શબ્દ વધુ પ્રચલિત બન્યો છે.

ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે: 

હિંદુ ધર્મની માન્યતાઓ, રૂઢિઓ તથા પરંપરાઓમાં રહેલી બહોળી વિવિધતાને કારણે હિંદુત્ત્વને ધાર્મિક, સાંસ્ક્રુતિક કે સામાજીક-રાજનૈતીક મંડળ તરીકે વર્ગીકૃત કરવામાં પણ અસમંજસ છે અને એટલેજ હિંદુને વર્ણવતી જગ માન્ય પરીભાષા પર એકમત મેળવવો કઠીન છે.

એક સર્વજ્ઞ મત એવો છે કે હિંદુ ધર્મમાં આટલી વિવિધતાઓ હોવા છતાં તેઓને સાથે બાંધતો એક સેતુ છે કે જેમાં સમાન ધારણાંઓ (જેમકે ધર્મ, મોક્ષ અને સંસાર), રિવાજો (જેમકે પુજા, ભક્તિ વગેરે) તથા સાંસ્ક્રુતિક પરંપરાઓ સમાયેલા છે. અને એટલે એક હિંદુ એવો વ્યક્તિ હોઈ શકે કે જે

ઈ.સ. ૧૯૯૫નો ચુકાદા આપતા પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે “હિંદુ કોને કેહવાય તથા હિંદુ ધર્મની બોહળી લાક્ષણિકતાઓ કઈ કહેવાય” એ પ્રશ્ન ઉપર મનન કરતી વખતે બાળ ગંગાધર તિલકે વર્ણવેલી હિંદુ ધર્મની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી હતી કે જેનાં પ્રમાણે: રસ્તા અલગ અલગ હોઈ શકે તે માન્યતાનો સ્વીકાર, અને એ સત્યને સમજવું કે પુજનીય દેવો ધણા છે, તેજ હિંદુ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે.જો કે પૂજનીય દેવો ઘણા છે અને એક જ છે, ઈશ્વર સાકાર છે અને નિરાકાર છે, ઈશ્વરના પ્રતિક તરીકે મૂર્તિ અને ઈશ્વર સર્વત્ર છે આવી બંને પ્રકારની માન્યતાનો સ્વીકાર થયેલો છે.

અમુક બુધ્ધિજીવીઓએ હિંદુને હિંદુ ધર્મથી અળગો કરી તેને ધર્મ અનુયાયીથી વધુ, એક અાગવી ઓળખ આપવાના પ્રયત્નો કર્યા છે કે જેમાં હિંદુ એક રાષ્ટ્રવાદી કે સામાજિક-રાજનૈતિક વર્ગનો સભ્ય હોય. વીર સાવરકરે તેમની વગદાર પત્રીકા - હિંદુત્વ: હિંદુ કોણ છે માં ભૌગોલીક એકતા તેમજ સહીયારી સંસ્ક્રુતિ તથા જાતિને હિંદુઓને ઓળખાવતા ગુણો કહ્યા છે; અને એટલે હિંદુ એક એવો વ્યક્તિ છે કે જે ભારતને પોતાની પિત્રુભુમી તથા પુજ્યભુમી અને પોતાના ધર્મનું જન્મસ્થાન માનતો હોય. હિંદુત્વના આ પ્રત્યયીકરણે છેલ્લા એક દશકમાં હિંદુ રાષ્ટ્રવાદમાં મુખ્ય ભુમીકા ભજવી છે.

જો કે, જેને આજના સમયમાં લોકો 'હિંદુ ધર્મ' એ નામથી ઓળખે છે તે ધર્મના કોઈપણ ધર્મગ્રંથમાં તે મુજબની માન્યતા ધરાવતો વર્ગ હિંદુ તરીકે ઓળખાશે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો તરીકે ઓળખાતા કોઈ પણ ગ્રંથોમાં હિંદુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી જેથી 'હિંદુ ધર્મ' જેવો શબ્દ પાછળથી લોકમુખે પ્રચલિત થયો હોવાનું વિદ્વાનો માને છે.




#Article 142: સિંધુ (101 words)


સિંધુ નદી ભારતીય ઉપખંડમાંની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી આ નદી જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે ભળી જાય છે. આ નદીની લંબાઇ આશરે ૩૨૦૦ કિ.મી. છે. તેનો વ્યાપ ૪,૫૦,૦૦૦ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. આ નદીમાં વાર્ષિક ૨૦૭ ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. દુનિયાની ટોચપર હિમનદીમાંથી નીકળતી આ નદી જંગલો, ખેતરોને પોષે છે અને દેશના પર્યાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે; આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે. સપ્તસિંધુમાં સિંધુના બીજા વીસ જેટલા ફાંટા પડે છે.




#Article 143: માન સરોવર (254 words)


માન સરોવર (તળાવ) આજના તિબેટમાં આવેલું છે અને ચીનના તાબામાં આવેલું છે. તે પીવાલાયક તાજા પાણીથી ભરેલું છે. આશરે લ્હાસાથી ૨૦૦૦ કિ.મી. દૂર છે. તેની પશ્ચિમે રક્ષાસ્થલ સરોવર અને ઉત્તરે કૈલાસ પર્વત આવેલ છે.

માન સરોવરના અક્ષાંસ-રેખાંશ: . 

સરોવર દરિયાની સામાન્ય સપાટીથી ૪૫૫૬ મી.ની ઉંચાઇ પર છે. તે દુનિયાનું સૌથી ઉંચુ પીવાલાયક તાજા પાણીનું સરોવર છે. આકારમાં સરોવર ગોળ છે. તેનો પરિઘ ૮૮ કિ.મી., ઊંડાઇ ૯૦ મી. અને ક્ષેત્રફળ ૩૨૦ ચો. કિ.મી. છે. શિયાળામાં તેનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં ઓગળે છે. સતલજ, બ્રહ્મપુત્રા, સિંધૂ અને કર્નાલી નદી સરોવરની આસપાસથી નીકળે છે.

કૈલાસ પર્વતની માફક, માન સરોવર એક પવિત્ર યાત્રાધામ છે. ભારત, તિબેટ અને બીજા પડોશી દેશોમાંથી ઘણા યાત્રાળુઓ દર વર્ષે અંહિ આવે છે. ખાસ કરીને ભારતમાંથી નિયમિત રીતે યાત્રાઓ ગોઠવાય છે જેમાં કૈલાસ-માનસરોવરની યાત્રા પ્રસિદ્ધ છે જે દર વર્ષે હોય છે. યાત્રાળુંઓ અંહિ આવીને સ્નાન કરે છે જે તેમના પાપ ધોવે છે તેવું મનાય છે.

હિંદુ માન્યતા મુજબ, સરોવરની ઉત્પતિ સૌપ્રથમ બ્રહ્માના મનમાં થઇ હતી, આથી તેને માનસ્+સરોવર = માનસરોવર કહેવામાં આવે છે. હિંદુ લોકો હંસ પક્ષીને ડાહ્યુ અને પવિત્ર માને છે અને માનસરોવર હંસ પક્ષીઓ માટે ઉનાળા દરમિયાન ઘર બની રહે છે. (હંસનું તાત્વિક મહત્વ પણ છે કે - હંસ..હંસ.. વારે વારે બોલવાથી સોહમ્ સોહમ્ બોલાય/સંભળાય છે, જે ઉપનિષદનો સંદેશ છે.) બૌદ્ધ લોકો તેને અનોતટા સરોવર તરીકે પણ ઓળખે છે જ્યાં માયા દેવીએ બુદ્ધને ગર્ભમાં ધારણ કરેલા. સરોવરના કિનારા પર થોડા આશ્રમો-બૌદ્ધિક મઠો પણ છે. ચ્યુ ગોમ્પા તરીકે ઓળખાતો એક મઠ ઘણો જાણીતો છે જે એક ઊભી ટેકરી પર બનાવેલ છે અને એવું લાગે કે જાણે પત્થરમાંથી જ કોતર્યો હોય. 




#Article 144: ચાણક્ય (716 words)


ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબજ શક્તિશાળી રાજ્ય ગણાતું. પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ચણક  તેના મંત્રી હતા (એક મત મુજબ ધનનંદના મંત્રી નુ નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા) પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણવા ગયેલા.

ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો.

એકવાર ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળેલુ. આથી તેણે ઘાસમાં મધ નાંખ્યું. કોઇએ જ્યારે પુછ્યું કે ઘાસને કાપવાને બદલે તેને મધ કેમ પાય છે, ત્યારે વિષ્ણુગુપ્તે કહ્યું કે મધ તેણે ઘાસના મૂળમાં નાંખેલું છે જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇ જશે અને ઘાસ કદી કોઇને વાગશે નહિ.

વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે પાકિસ્તાનમાં આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું.

અલક્ષેન્દ્ર (અલિકસુંદર) તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેનાની કૂચ કરતો ઈરાનને જીતી ભારત પર - અત્યારના અફઘાનિસ્તાન પર - ચડી આવતો હતો. તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રીક અને સ્વતંત્ર હતા અને એકબીજાના રાજ્ય પરત્વે અભિન્ન રહેતા. ચાણક્યએ તેમને કહ્યું કે એલેકઝાન્ડરની સામે લડાઇ કરવા તમે પર્વતેશ્વર (પોરસ) ને મદદ કરો. પરંતુ દરેક રાજયએ પોતાનો સ્વાર્થ અને નબળાઇ બતાવી. આંભી એલેકઝાન્ડરમાં ભળી ગયો અને પર્વતેશ્વર સામે લડાઇ કરવા તેની સાથે થયો. 

મગધ ત્યારે શક્તિશાળી રાજ્ય હોવાથી પોતાના વૈતક્તિક મતભેદો બાજુ પર રાખી, એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ ફરીથી પાટલીપુત્ર ગયા અને ધનનંદને એલેકઝાન્ડર સાથે લડવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ.

પાટલીપુત્ર છોડી તેઓ તક્ષશિલા જવા તૈયાર થયા. રસ્તામાં તેમણે બાળકોને રમતા જોયા જ્યા એક બાળક બીજા બધાનો રાજા બની તેમને ન્યાય આપતો હતો. બાળકની ન્યાયની સમજણ જોઇ ચાણક્યે તેને જ પાટલીપુત્રનો રાજા બનાવવા નિશ્ચય કર્યો અને તેને તેની માતા પાસેથી ખરીદી લીધો. તેણે માતાને સમજાવી કે તે તેના પુત્રને મહાન બનવાની શિક્ષા આપશે. આ પુત્ર એટલે ચંદ્રગુપ્ત અને તે મુરા દાસીનો પુત્ર હોવાથી તેને મૌર્ય કહેવાય છે.

તક્ષશિલામા આવી ચંદ્રગુપ્તને ભણવા મુકયો અને પોતે શિક્ષણ કાર્ય ચાલું રાખ્યું. તેમણે એલેક્ઝાન્ડરના સૈન્યમાં ભારતીય સૈન્યોની ઘણી અફવા ફેલાવી હતી; એલેક્ઝાન્ડરનું સૈન્ય લાંબા પ્રવાસથી થાકી ગયું હતું અને બધી અફવાથી તેમણે ભારતમાં આગળ યુદ્ધ ન કરવા બળવો કર્યો. એલેક્ઝાન્ડર પણ પોરસ સાથેના યુદ્ધમાં ઘવાયો હતો આથી તેણે નિ:સહાય પાછા ફરવાનું નક્કી કર્યુ અને સેલ્યુકસને તે પ્રાંત સોંપી પોતે ગ્રીક જવા સિંધુ અને સમુદ્ર માર્ગે પાછો ફર્યો. 

એલેક્ઝાન્ડરના પ્રસંગથી ચાણક્યને સમજાયું કે ભારતમાં એક શક્તિશાળી રાજ્ય હોવાની જરૂર છે જે તેની સંસ્કૃતિની રક્ષા કરી શકે. રાજાઓ તરફથી મદદ ના મળવાને કારણે તેમણે લોકજાગૃતિનું કામ કર્યુ. ચંદ્રગુપ્ત અને બીજા વિધ્યાર્થીઓની મદદ લઇ લોકોને ગ્રીક રાજકર્તા સામે ઉશ્કેર્યા. અને તેમણે નાના સૈન્યો બનાવ્યા. ગ્રીક લોકોને મારવાનું અને ગ્રીક રાજ્યના ભારતીય લોકોને નહી મારવાનું નક્કી કરી યુદ્ધો કર્યા જેથી બધા ભારતીયો એક થાય અને ગ્રીક લોકોને પોતાના જ ભારતીય સૈનિકોથી અવિશ્વાસ પેદા થાય. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્ત રાજા બન્યો અને પછી ચાણક્ય પોતાના મુખ્ય હેતુ માટે પાટલીપુત્ર ફરીથી ગયા.

પાટલીપુત્રમાં તેમણે નાલંદા વિદ્યાપીઠ ઊભી કરવા રાજાને વિનંતિ કરી. તેમને ખબર હતી કે ધનનંદ આવી વાતની ના પાડશે સાથે સાથે આવી જ કોઇ વાતથી પાટલીપુત્રની પ્રજા રાજા સામે બળવો કરશે. ચાણક્યનો પ્રસ્તાવ રાજાએ ઠુકરાવ્યો અને બધા જ મંત્રીઓ રાજા પ્રત્યે નારાજ થયા. આ જ દરમિયાન ચાણક્યના વિશ્વાસુ લોકોએ ધનનંદના પુત્રને, સેનાપતિને ફોડી લીધા. નગરમાં એક રાત્રી યુદ્ધ પણ થયું અને ચાણકયએ ચંદ્રગુપ્ત જે ગુપ્તવેશે નગરમાં આવેલો તેને રાજા બનાવ્યો અને ધનનંદને સવાર પહેલા જ રથમાં બેસાડી નગર બહાર મોકલી આપ્યો. ધનનંદના જ મહામંત્રી રાક્ષસને મહાઅમાત્ય તરીકે નિયુક્ત કર્યા.




#Article 145: શિવાજી (801 words)


છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.

ઇ.સ.પૂર્વે ૩૦૦- ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતું. ત્યાર પછી નાના-નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યુ. ઇ.સ. ૧૨૯૨માં અલાઉદ્દિન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી.

૧૪૫૩માં બાહમની રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતી ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું.

૧૬૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી - બિજાપુર, અહમદનગર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા. 

આ દરમિયાન દિલ્હીની સત્તા શાહજહાંના હાથમાં હતી.

શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી જીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.

પોતાના પૂર્વજોની જેમ, શહાજી પણ મુઘલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મુઘલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલુ. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બિજાપુર આદિલશાહ સાથે જોડાઇ ગયા હતા. આદિલશાહે તેમને 'સર લશ્કર' નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઇ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા.

શિવાજીના જન્મ સમય માટે ઘણા વાદવિવાદ છે. ૧૯ ફેબ્રુઆરી કે ૬ એપ્રિલ કે ૧૦ એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુણેથી ૬૦ કિ.મી. અને મુંબઇથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. ત્યાંના સ્થાનિક શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ 'શિવા' રાખ્યુ હતુ. જીજાબાઇને બીજા પુત્રો હતા પરંતુ, એક બીજા મોટા પુત્ર સિવાય કોઇ જીવ્યુ ન હતું.

શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતના તાબામાં કામ કરતા હતા. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેને ૧૬૩૬માં હરાવ્યા હતા. ના છુટકે તેમણે પુણેનો ત્યાગ કરવો પડ્યો હતો અને આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી.

શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. આ મંડળીમાં હતા - પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોંડાદેવ બધીજ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી. શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યુ હતુ કે આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે. આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યુ.

સુરત યુદ્ધ કે જે ૫ જાન્યુઆરી, ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજ અને ઇનાયત ખાન જે એક મુઘલ સુબેદાર હતો તેમની વચ્ચે સુરત શહેર, ગુજરાત નજીક થયું હતું. જેમાં મરાઠા સમ્રાટે પ્રમાણમાં નાના મુઘલ દળને હરાવ્યું. મરાઠા સમ્રાટ શિવાજીએ યુદ્ધ પછી સુરત શહેરમાં ઐતિહાસિક લુંટ ચલાવી હતી.

ઇનાયત ખાન આદિલ શાહ નો સુબેદાર હતો. તેને આદિલ શાહ ની માતા ને શિવાજીનું માથુ લાવવાનું વચન આપ્યુ હતુ. શિવાજી એ રાયેશ્વર મંદિર પર તોરના કિલ્લામા રહેલા તોરનાદેવીને મુક્ત કરવા ની પ્રતીજ્ઞા લીધી.શિવાજી એ બહુરુપી જોડે જઇ ને ઇનાયત ખાન ને મારીને તોરના કિલ્લામાં તોરનાદેવીના મંદિરમાં નવરાત્રિ મનાવી અને લોકોને ઇનાયત ખાનના અત્યાચારમાંથી મુક્ત કર્યા.

શિવાજીએ મુઘલ પ્રદેશો જીતવાનો પ્રયાસ કરતા ઔરંગઝેબે શિવાજીને કડક શિક્ષા કરવા શાઈસ્ત ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. શાઈસ્ત ખાને અહેમદનગરથી વિજયકૂચ કરી પૂનાનો કિલ્લો જીતી લીધો. પૂનામાં તેના રોકાણ સમય દરમિયાન શિવાજીએ લશ્કર સાથે હુમલો કરતા શાઈસ્ત ખાન બચીને દિલ્હી ભાગી ગયો. તેના પુત્રને લશ્કરે મારી નાંખ્યો.

આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા. મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, ગઢ આલા પણ સિંહ ગેલા (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું.

જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો.

ઇ.સ. ૧૬૭૭-૭૮ માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુંગભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું.




#Article 146: યુગ (234 words)


હિંદુ ધર્મ પ્રમાણે, યુગ () એ સમયનું એક માપ છે. યુગ ચાર છે - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ - જે દરેક તેના પછીના યુગ કરતા ૧/૪ ભાગનો સમય, ૪:૩:૨:૧ પ્રમાણમાં ધરાવે છે. આ ચારેય યુગ મળીને એક મહાયુગ ચક્ર પૂર્ણ કરે છે.

સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે. એક કલ્પના ચૌદ મન્વન્તર ગણવામા આવે છે. દરેક મન્વન્તરમા ૭૧ ચતુર્યુગીનો સમાવેશ થાય છે. જે પૈકી હાલમાં સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. આ મુજબ અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયાને ૧,૯૭,૨૯,૪૯,૧૧૭ વર્ષ થાય.

કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા.




#Article 147: સત્યયુગ (129 words)


ચાર પ્રસિદ્ધ યુગ માં સત્યયુગ અથવા કૃતયુગ પ્રથમ મનાય છે. પ્રાચીન વૈદિક ગ્રંથો સત્યયુગ, ત્રેત્રયુગા વગેરેના મહાકાવ્યમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ નથી હોવા છતાં, સ્મૃતિયો અને ખાસ કરીને પુરાણોમાં ચાર યુગનો વિસ્તૃત પ્રતિપાદન છે.

પુરાણોમાં સત્યયુગ સંબંધિત નીચેની વિગતો આપવામાં આવી છે -

આ યુગ માં જ્ઞાન, ધ્યાન અથવા તપ ના પ્રાધાન્ય હતા. પ્રત્યેક પ્રજા પુરુષાર્થસિદ્ધિ  કરી કૃતકૃત્ય થતા, એટલે જ આ કૃતયુગ કહેવાય છે. ધર્મ ચાર ઘણું(સૌથી સંપૂર્ણ) હતું. મનુના ધર્મશાસ્ત્ર આ યુગમાં એકમાત્ર વિશ્વસનીય ગ્રંથ છે. મહાભારત માં આ યુગ ના વિષય માં એ વિશિષ્ટ મત મળે છે કે કલિયુગ ના પછી કલ્કિ દ્વારા આ યુગ ની પુનઃ સ્થાપના થશે (વન પર્વ 191/1-14). વન પર્વ 149/11-125) માં આ યુગ ના ધર્મ નો વર્ણ દ્રષ્ટવ્ય છે. 

બ્રહ્મા નો એક દિવસ ૧૦,૦૦૦ ભાગો માં વેંચાયેલો હોય છે, જેને ચરણ કહેવાય છે:




#Article 148: ત્રેતાયુગ (316 words)


ત્રેતાયુગ હિન્દૂ માન્યતાઓ ના અનુસાર ચાર યુગો માં થી એક યુગ છે. ત્રેતા યુગ માનવકાલ ના દ્વિતીય યુગ ને કહેવાય છે. આ યુગ માં વિષ્ણુ ના પાંચમા, છઠ્ઠા અને સાતમાં અવતાર પ્રકટ થયા હતા. આ અવતાર વામન, પરશુરામ અને રામ હતા. એવી માન્યતા છે કે આ યુગ માં ૠષભ રૂપી ધર્મ ત્રણેય પાયા ઉપર ઉભો હતો. આનાથી પહેલા સત્યયુગ માં એ ચારેય પાયા ઉપર ઉભો હતો. એના પછી દ્વાપર યુગ માં એ બે પાયા પર અને આજ ના 
અનૈતિક યુગ માં, જેને કલિયુગ કહેવાય છે, ફક્ત એક પાયા પર જ ઉભો છે. આ કાલ રામ ના દેહાંત થી સમાપ્ત થાય છે. ત્રેતાયુગ 12,96,000 વર્ષ નો હતો. 
બ્રહ્મા નો એક દિવસ 10,000 ભાગો માં વેંચાયેલો હોય છે, જેને ચરણ કહેવાય છે: 

આ ચક્ર આવી જ રીતે ફરતું રહે છે, કે બ્રહ્મા ના એક દિવસ માં 1000 મહાયુગ થઈ જાય છે.

જ્યારે દ્વાપર યુગ માં ગંધમાદન પર્વત પર મહાબલી ભીમ સેન હનુમાનજી થી મળ્યા તો હનુમાનજી ને કહ્યું - કે હે પવન કુમાર તમે તો યુગો થી પૃથ્વી પર નિવાસ કરી રહ્યા છો 
તમે મહા જ્ઞાન ના ભંડાર છો બળ બુદ્ધિ માં પ્રવીણ છો કૃપયા તમે મારા ગુરુ બનીને મને શિષ્ય રૂપ માં સ્વીકાર કરીને મને જ્ઞાન ની ભિક્ષા આપો તો હનુમાનજી એ કહ્યું - હે ભીમ સેન 
સૌથી પહેલા સતયુગ આવ્યું જેમાં જે કામનાઓ મન માં આવતી હતી એ કૃત(પુરી) થઈ જતી હતી એટલે એને ક્રેતા યુગ(સત યુગ) કહેવાતું હતું એમાં ધર્મ ને ક્યારેય હાનિ નહોતી થતી એના પછી ત્રેતા યુગ આવ્યું આ યુગ માં લોકો કર્મ કરીને કર્મ-ફળ પ્રાપ્ત કરતા હતા, હે ભીમ સેન 
પછી દ્વાપર યુગ આવ્યું આ યુગ માં વેદો ના ૪ ભાગ થઈ ગયા અને લોકો સત ભ્રષ્ટ થઈ ગયા ધર્મ ના માર્ગ થી ભટકવા લાગ્યા છે અધર્મ વધવા લાગ્યું, 
પરંતુ હે ભીમ સેન હવે જે યુગ આવશે એ છે કલિયુગ આ યુગ માં ધર્મ ખતમ થઈ જશે મનુષ્ય ને એની ઈચ્છા ના અનુસાર ફળ નહીં મળે  ચારે દિશામાં અધર્મ નું સામ્રાજ્ય 
દેખાશે. 




#Article 149: દ્વાપરયુગ (121 words)


દ્વાપર યુગએ હિંદુ ધર્મ પ્રમાણે ચાર યુગોમાંનો ત્રીજો યુગ છે. આ યુગ ત્રેતાયુગ અને કલિયુગની વચ્ચે આવે છે. પુરાણો પ્રમાણે, આ યુગનો અંત જ્યારે કૃષ્ણ વૈકુંઠમાં પાછા ફર્યા ત્યારે થયો હતો. ભગવદ પુરાણ પ્રમાણે, દ્વાપર યુગનો સમય ૮,૬૪,૦૦૦ વર્ષોનો માનવામાં આવે છે. પરંતુ, આ વર્ષ એટલે પૃથ્વીને સૂર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મતો પ્રવર્તે છે.

દ્વાપર યુગ દરમિયાન ધર્મના બે જ સ્થંભો છે - અર્થ અને સત્ય. વિષ્ણુ પીળો રંગ ધારણ કરે છે અને વેદોને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા - ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ સમય ગાળા દરમિયાન બ્રાહ્મણોને બે અથવા ત્રણ વેદોનું જ્ઞાન હતું પણ તેમણે ભાગ્યે જ ચારેય વેદોનો સંપૂર્ણ અભ્યાસ કરેલો. આ વર્ગીકરણને કારણે વિવિધ વર્ણો અસ્તિત્વમાં આવ્યા.




#Article 150: જુનાગઢ જિલ્લો (207 words)


જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે.

પોરબંદર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લો એ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. 

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસ્તી ૨૭,૪૩,૦૮૨ છે જે જમૈકા દેશ અથવા યુ.એસ.એ.ના રાજ્ય ઉટાહ જેટલી છે. ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી જુનાગઢનો વસ્તીની દ્રષ્ટિએ ૧૪૨મો ક્રમ છે. જિલ્લાની વસ્તી ગીચતા ૩૧૦ વ્યક્તિ પ્રતિ ચો.કિમી. છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વધારો ૧૨.૦૧% રહ્યો હતો. જુનાગઢમાં જાતિ પ્રમાણ ૯૫૨ અને સાક્ષરતા ૭૬.૮૮% છે.

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી હતી. નવ રચિત જિલ્લામાં, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો.

જુનાગઢ જિલ્લામાં સામાન્‍ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હીરણ, મચ્‍છુન્‍દ્રી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્‍લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્‍યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્‍લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી.મી. છે.




#Article 151: ગિરનાર (4637 words)


ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનાકો પણ આવેલાં છે.

ગિરનાર પર્વત ડેક્કન ટ્રેપની રચના પછી સંવાદી અંતર્ભેદન દ્વારા રચાયેલ લેકોલીથ પ્રકારના ખડકોનો બનેલ છે. એ ગ્રેબ્રો, લેંપ્રોફાયર, ડાયોરાઈટ, રાહ્યોલાઈટ, લીંબરગાઈટ, સાયનાઈટ પ્રકારના ખડકો ધરાવે છે. અંતર્ભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના ભૂરસ બહાર આવી ઠરતા ઘનીભવન પામ્યો. ત્યારબાદ ક્રમશ: સ્વભેદન દ્વારા અત્યારના ખડકો રચાયા.

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.

આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?

અર્થાત: તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.

પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ (તા. ભેંસાણ) અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.

ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.

 
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે. 

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ  આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે. 

ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે.

ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જુનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૃદ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યુલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે.

ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે શિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળામાં સમગ્ર ભારતનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.

ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે. આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.

ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો. 
 

જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે. 

મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.

ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમ થી મહા વદ ચૌદશ  એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે.

આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભ મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે. 

ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે... જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.

ભારત વર્ષનાં ઇતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, ઝુલુસ, સરઘસ જેવા અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાતા હોય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલેકે અષાઢી બીજને દિવસે ઓરિસ્સાનાં પુરી, ગુજરાતનાં અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તેમજ ભાદરવા સુદ ચોથના દીવસે એટલેકે ગણેશ ચતુર્થી નાં દિવસે મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં તેમજ દેશનાં અન્ય શહેરોમાં પણ ભગવાન ગણેશની રથયાત્રાનીકળે છે. મહોરમ માસમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે. આવીજ રીતે ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.

આ સરઘસ શિવરાત્રિની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.

આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખૂબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે. 

શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે.

સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે.

ઘણાં વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો,  તેમજ  અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નાં ત્રણેય ટાઈમનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સુવામાટેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત જયાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભુલાય. જેમાં ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે.

આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જુનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. આમ આ મેળાનો લાભ લેવો તે જીદંગીનો એક લાહવો ગણાય છે. અને સામુહિક સાધુ-સંતોના દર્શનનો લાભ પણ મળે છે.

ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું  એક યાત્રાધામ એટલે ગિરનાર પર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમિનાથજી અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હદય હચમચી ઊઠયું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે. 

ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદિર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદિર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું  હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા'માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદિરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદિરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદિરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.

આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા'ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદિર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્ર્વનાથજીના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદિરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્ર્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે. આમ શ્રી નેમીનાથજીના દેરાસરો ગિરનાર પર્વત પર ખૂબજ જુનાં વખતથી આવેલા છે.

ભગવાન નેમિનાથની કલ્યાણક ભૂમી, અર્વાચીન મંદિર.

ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે. તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દુર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે ત્યાંની એક પ્રચલિત માન્યતા છેકે આ પથ્થર પરથી પડતુ મુકીને આપઘાત કરવાથી રાજપદ મળે છે. પણ અત્યારનાં સમયમાં આવુ બનતુ નથી. ભૈરવજપ પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે.

આમ ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.

આમ અંબાજી માતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે. 

અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદિર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો  છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ  જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખૂબજ થકાવનારો હોય છે. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.

ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે.

આ શિખરથી આગળ 'કાલકા ટુંક' આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.

ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ નવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે, ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર.

અશોકનો શિલાલેખ  જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઇતિહાસના અમુલ્ય વારસા સમ્રાટ અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે.

જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદિર આવેલું છે. 

આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન (સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી. વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલે કે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.

૨૫ ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસથી ગિરનાર પર્વત પર ઉડનખટોલા/રોપ-વેનું સંચાલન શરુ થયું છે. રોપ-વેમાં ભવનાથ તળેટીથી શરુ કરીને અંબાજી ટૂંક સુધી પ્રવાસ કરતા આઠ મિનિટનો સમય લાગે છે. તેનો ટીકીટના દર ૭૦૦ રૂ. રીટર્ન ટીકીટના અને ૪૦૦ રૂ એક તરફી પ્રવાસના રાખવામાં આવ્યા છે.

 




#Article 152: ભારતના ભાગલા (212 words)


ઇ. સ. ૧૯૪૭ માં જ્યારે બ્રિટિશ ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારતના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયા એ પાકિસ્તાન) અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયન (બાદમાં ભારત ગણરાજ્ય)ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે શ્રીલંકા) અને બર્મા (હવે મ્યાન્માર) ને પણ અલગ કરવામાં આવ્યું. પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી. નેપાલ અને ભૂતાન આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તનની રસમ ૧૪ ઓગસ્ટે કરાંચી શહેરમાં કરવામાં આવી, જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઇસ માઉંટબૈટન કરાંચી અને નવી દિલ્લી બન્ને જગ્યાની વિધીમાં ભાગ લઇ શકે. આથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતનો ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવે છે. 

ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસાની હોળીમાં આશરે ૫ લાખ લોકો માર્યા ગયા, અને આશરે ૧.૪૫ કરોડ શરણાર્થિઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશમાં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિન્દુ અને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા.




#Article 153: મુન્દ્રા (555 words)


મુન્દ્રા અથવા મુંદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું મુખ્ય મથક તેમ જ મહત્વનું નગર છે. જિલ્લાના મુખ્ય મથક ભૂજથી આશરે ૫૨ કિલોમીટરના અંતરે આવેલું મુન્દ્રા અરબ સાગરમાં આવેલા કચ્છના અખાત ખાતે આવેલું એક મહત્વનું બંદર (નગરથી ૧૩ કિમીના અંતરે) છે.

મુન્દ્રાની સ્થાપના ઈ.સ. ૧૬૩૨માં થઇ હતી. જેની સ્થાપના જેસર જાડેજા વંશના જામ રવાજીના સૌથી નાના પુત્ર હરધોળજીએ કરી હતી. તેમનાથી મોટા ભાાઈઓએ જેમાં મરગજીએ બરાયા, હોથીજીએ વિરાણીયા, અજાજીએ માડી અને કરણજીએ બોચડા ગામની સ્થાપના કરી. જે મુન્દ્રાની બાજુમાં આવેલું હતું. 
મુન્દ્રા શબ્દની ઉત્પત્તિ કચ્છી ભાષાના શબ્દ 'મોનધરો' ઉપરથી થઈ છે. મોનધરો શબ્દનું મૂળરૂપ 'મોહન ધ્રો' હતું. ઈ.સ. ૧૬૮૮માં કચ્છના રાવ ભોજરાજજીએ અહીં મોહનરાયજીનું મંદિર બંધાવ્યું ત્યારે અહીં ભૂખી નદી પાસે મીઠા પાણીનો એક ધરો વહેતો હતો. તેથી લોકો તેને મોહન ધ્રો કહેવા લાગ્યા. પછી કાળક્રમે 'મોહન ધ્રો' માંથી મોનધરો અને 'મોનધરો' માંથી મોંદરો શબ્દ અસ્તિત્વમાં આવ્યા. મોંદરો શબ્દમાંથી છેલ્લે મુંદરા શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જ્યારે આજે પણ લોકો તેને કચ્છી ભાષામાં 'મોનધરો' જ કહે છે.

જૂના મુન્દ્રાનો કિલ્લો તેનાથી ઈશાન દિશામાં ૨૭ કિમી દૂર આવેલા ભદ્રેસરના પ્રાચીન ખંડેરોના પથ્થરોનો ઉપયોગ કરી બાંધવામાં આવ્યો હતો. આ શહેર કચ્છ રાજ્ય સાથે જોડાયેલું હતું. ૧૭૨૮માં દેવકરણ શેઠ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ૧૭૫૫માં ગોડજી દ્વિતિયે તેમના પિતા સામેના બળવો કર્યો ત્યારે અહીં રહ્યા હતા. ઇ.સ. ૧૮૦૧માં ફતેહ મહંમદે મુન્દ્રા દોસલ વેણને આપ્યું હતું અને ૧૮૧૫માં તે રાવ ભારમલજી દ્વિતિય સામેના આક્રમણથી મહંમદ સોટા દ્વારા બચાવાયું હતું. ૧૮૧૮માં તેની વસતી ૧૨૦૦ વ્યક્તિઓની હતી અને વાર્ષિક આવક ૩૦૦૦ પાઉન્ડ (રૂપિયા ૩૦,૦૦૦) હતી. ૧૮૫૫માં ઘરોની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી. ૧૮૬૧માં તે સુંદર ગાલીચાઓ માટે જાણીતું હતું. ૧૮૭૯માં મુન્દ્રાનો વ્યાપાર કાઠિયાવાડ, ખંભાત, સુરત અને મુંબઈ સાથે થતો હતો જેમાં મુખ્યત્વે કપાસ, રાયડો, કઠોળ, ઊન અને કાપડનો સમાવેશ થયો હતો. મુખ્ય આયાતોમાં ધાતુઓ, લાકડાં, અનાજ, ખજૂર, કરિયાણું વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૭૨માં મુન્દ્રાની વસતી ૭,૯૫૨ હતી.

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી કચ્છ રાજ્ય ભારતમાં ભળી ગયું. ૧૯૫૬માં કચ્છ રાજ્ય મુંબઈ રાજ્ય સાથે વિલિન થયું અને ૧૯૬૦માં ભાષાવાર રાજ્યોની રચના પછી કચ્છ ગુજરાતમાં આવ્યું. મુન્દ્રા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવ્યુ

૧૯૯૪માં મુન્દ્રામાં મુન્દ્રા બંદરની જાહેરાત થઇ હતી. આ બંદર ઓક્ટોબર ૧૯૯૮માં કાર્યરત થયું. પછીના વર્ષોમાં બંદરની સાથે નગરનો પણ ઝડપી વિકાસ થયો. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ સમયે મુન્દ્રા જ કચ્છ જિલ્લાનું એવું નગર હતું જે અસર નહોતું પામ્યું. ધરતીકંપ પછી નવા ઉદ્યોગોના વિકાસ માટે કચ્છમાં કર રાહતો આપવામાં આવી જેથી આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ વધુ ઝડપી બન્યો.

૨૦૧૪માં મુન્દ્રા બંદર માલ-સામાન પરિવહનમાં કંડલાને આંબી ગયું અને ભારતનું સૌથી મોટું અંગત માલિકીનું બંદર બન્યું.

મુન્દ્રા મોટાભાગે સપાટ ભૂગોળ ધરાવે છે. આ વિસ્તારનું પાણી અત્યંત ખરાબ ગુણવત્તા ધરાવે છે અને તેમાં ફ્લોરાઇડનું પ્રમાણ અત્યંત વધુ છે.

મુન્દ્રા ભૂતકાળમાં મીઠું અને મસાલાના વેપાર માટે જાણીતું હતું અને હવે બાંધણી અને બાટીક પ્રિન્ટ કરેલા કાપડ માટે જાણીતું છે. જૂનું બંદર હવે લગભગ ઉપયોગમાં નથી અને નાની માછીમારી હોડીઓ ત્યાંથી અવાગમન કરે છે.

સ્થાનિક લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી, પશુપાલન અને છૂટક મજૂરી છે. મુન્દ્રામાં દાંતીવાડાની સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી સંચાલિત ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. ઘણાં લોકો વિવિધ કંપનીઓ, બંદર અને પાવર સ્ટેશનમાં કાર્યરત છે.

મુન્દ્રા બંદર ખાસ આર્થિક વિસ્તાર (સેઝ)ની સાથે અદાણીનું માલિકીનું અને સંચાલિત સૌથી મોટું બંદર છે.

મુન્દ્રાની નજીક બે તાપ વિદ્યુત મથકો આવેલા છે. મુન્દ્રા અલ્ટ્રા મેગા પાવર સ્ટેશન એ ટાટા પાવર દ્વારા અને મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન અદાણી પાવર દ્વારા સંચાલિત છે. આ બંને મથકો ૮,૬૦૦ મેગાવોટ કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરે છે. આ મથકોમાં વપરાતો કોલસો મુખ્યત્વે ઇંડોનેશિયાથી આયાત કરાય છે. તાપ વિદ્યુતમથકોનો પાણીનો સ્ત્રોત કચ્છના અખાતનું પાણી છે.




#Article 154: શ્રીમદ્ ભગવદ્ ગીતા (307 words)


શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.

ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે. 

ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર. આમ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો નીચે મુજબ છે.




#Article 155: મૌર્ય સામ્રાજ્ય (2446 words)


મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્યને જાય છે.

આ સામ્રાજ્ય પૂર્વમાં મગધ રાજ્યના ગંગા નદીના મેદાનો (આજના બિહાર અને બંગાળ) થી શરૂ થયું હતું. તેની રાજધાની પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ.પૂ. ૩૨૨માં આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેણે સિકંદરના આક્રમણ બાદ નાના રાજ્યોના પારસ્પરિક મતભેદોનો ફાયદો ઉઠાવી ખૂબ જ ઓછા સમયમાં પશ્ચિમ તરફ સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો. ઈ.સ.પૂ. ૩૧૬ સુધીમાં મૌર્ય વંશે પૂરા ઉત્તર-પશ્ચિમી ભારત પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચક્રવર્તી રાજા અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્ય તેના શિખર પર હતું. 

શિલાલેખએ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ વિશે અત્યંત પ્રામાણિક અને વિશ્વસનીય સ્ત્રોત છે. અશોકના શિલાલેખ એ ભારતના પ્રાચીનતમ તિથિયુક્ત આલેખ છે. ૧૮૩૭માં જેમ્સ પ્રિંસેપે આ અભિલેખોની બ્રાહ્મી લિપિના વાચન દ્વારા ઇતિહાસ સંબંધિત કડીઓ પૂરી પાડી છે. આ શિલાલેખોમાં શાસનની મહત્ત્વપૂર્ણ ઉદ્‌ઘોષણાઓ, વ્યાપાર, ધર્મ સંબંધિત બાબતો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મૌર્યોના ઇતિહાસ સંબંધી સાહિત્યિક સ્ત્રોતોને ધાર્મિક અને લૌકિક સાહિત્ય એમ બે ભાગમાં વહેંચી શકાય. ધાર્મિક સ્ત્રોતોમાં બૌદ્ધ અને જૈન ગ્રંથ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અશોકાવદાન તથા દિવ્યાવદાન નામના બૌદ્ધ ગ્રંથોમાં અશોકના વ્યક્તિત્ત્વના સંબંધમાં ઘણીબધી દંતકથાઓ મળી આવે છે. આ અવદાનોમાં બિંદુસારના શાસનકાળ દરમિયાન થયેલા તક્ષશિલા વિદ્રોહ અને તેના દમન માટે કરાયેલાં અશોકના સૈનિક અભિયાનો વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમાં અશોકના બૌદ્ધ ધર્મ અંગિકાર વિશે પણ માહિતી મળે છે. શ્રીલંકાના સ્ત્રોત દીપવંશ અને મહાવંશમાં શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચારમાં અશોકની ભૂમિકાનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. મંજૂશ્રીમૂલકલ્પ માં ઇ.સ.પૂ. સાતમી સદીથી લઈને ઇ.સ. આઠમી સદી સુધીના દીર્ઘકાલીન ઇતિહાસના મહત્ત્વપૂર્ણ તથ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં નંદો અને મૌર્યોના સંબંધમાં જાણકારી પ્રાપ્ત થાય છે. જૈન વિદ્વાન હેમચન્દ્ર દ્વારા લિખિત પરિશિષ્ઠપર્વણમાં ચંદ્રગુપ્ત મૌર્યના પ્રારંભિક જીવન, મગધ વિજય તથા શાસનકાળના અંતિમ દિવસોમાં જૈન ધર્મ અંગિકાર કરવાના સંદર્ભમાં ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુપુરાણમાં નંદવંશની ઉત્પત્તિ તથા ચાણક્ય અને ચંદ્રગુપ્ત દ્વારા તેમને સત્તાથી વિલગ કરવાનું વર્ણન છે.

મૌર્યોના ઇતિહાસ સંબંધિત લૌકિક સાહિત્યિક સ્ત્રોતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રોત ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર છે. ૧૫ ખંડો અને ૧૮૦ પ્રકરણોમાં વિભાજીત આ ગ્રંથમાં મૌર્ય શાસકોનો કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. અર્થશાસ્ત્રની રચનાના સમયગાળા માટે પણ વિવાદ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ચિન્ટરનીત્જ જૉલી, એચ.સી.રાય ચૌધરી તથા અન્ય ઇતિહાસકારો એવો તર્ક રજૂ કરે છે કે અર્થશાસ્ત્રએ એક પરવર્તી રચના છે તથા તેને મૌર્ય કાળની સ્ત્રોત સામગ્રી તરીકે સ્વીકાર કરી શકાય નહિ. જ્યારે આર.કે.મુખર્જી, કે. નિલકંઠ શાસ્ત્રી, કૃષ્ણા રાવ, રોમિલા થાપર તથા અન્ય વિદ્વાનોનું માનવું છે કે અર્થશાસ્ત્રએ મૂળ મૌર્યકાળની રચના છે તથા તેના લેખક ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી કે મુખ્ય સલાહકર્તા હતા. અર્થશાસ્ત્ર અને અશોકના શિલાલેખોમાં પ્રયોજાયેલી પ્રશાસનિક શબ્દાવલીની સમાનતાઓ એ સ્પષ્ટ કરે છે કે મૌર્ય શાસકો આ રચનાથી પરિચિત છે.

અન્ય સાહિત્યિક સ્ત્રોતોમાં ચોથી શતાબ્દીના વિશાખાદત્ત રચિત સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસમાં કૌટિલ્ય દ્વારા નંદવશને સત્તાચ્યુત કરવાનું વર્ણન છે. લૌકિક સાહિત્યિક સ્ત્રોતોમાં ૧૨મી શતાબ્દીમાં કલ્હણકૃત રાજતરંગિણી, સોમદેવકૃત કથાસરિતસાગર અને ક્ષેમચંદ્રકૃત બૃહત્‌કથા–મંજરી મુખ્ય છે.

સિકંદરના ભારત પરના આક્રમણના ફળ સ્વરૂપે ભારતમાં અનેક યુનાની યાત્રીઓનું આગમન થયું હતું. બહારની દુનિયાને ભારતનો વાસ્તવિક પરિચય કરાવામાં તેઓ પહેલાં હતા. સિકંદરના સૈન્ય અભિયાનોમાં સાથે રહેનારા લેખકો નિર્યાસક, ઓનેસીક્રીટ્સ અને એરિસ્ટોબુલ્સની કૃતિઓમાં ભારત સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત મૌર્ય દરબારમાં આવેલાં યુનાની રાજ્યના રાજદૂતોના ભારત સંબંધી દૃષ્ટિકોણ અને ભારતની સુક્ષ્મ અને વ્યાપક જાણકારી પણ એટલી જ મહત્ત્વની છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ફારસ તથા બેબિલોનના યુનાની શાસક સેલ્યુકસ નિકેટર દ્વારા મેગસ્થનીજને રાજદૂત તરીકે મોકલવામાં આવ્યો હતો. મેગસ્થનીજનું ભારત વિષયક વિવરણ ઈન્ડિકા સૌથી મહત્ત્વપૂર્ણ વિદેશી વૃતાંત છે. તેમાં મૌર્યકાળના ભારત વિશે સંકલન જોવા મળે છે. મૂળ કૃતિ (ઈન્ડીકા) અપ્રાપ્ય હોવાથી પરવર્તી યુનાની લેખકોના ઉદ્ધરણોથી તેના વિવરણો વિશે ભારત સંબંધિત જાણકારી મળે છે. મેગસ્થનીજ બાદ ડેઇમોક્સ બિંદુસારના દરબારમાં રાજદૂત તરીકે પાટલીપુત્રમાં લાંબો સમય સુધી રહ્યો હતો.આ ઉપરાંત અન્ય વિદેશી લેખકો સ્ટ્રેબો, ડિયોડોરસ, પ્લિની, એરિયન, પ્લૂટાર્ક, જસ્ટીન વગેરે મુખ્ય છે. ચીની યાત્રી ફાહિયાન અને હુએન-ત્સાંગના યાત્રા વિવરણ પણ મૌર્ય કાળના ઇતિહાસના અધ્યયન માટે પ્રાંસંગિક છે.

છેલ્લાં ૬૦ વર્ષોમાં ઉત્તર−પશ્ચિમ ભારત તથા ગંગાના મેદાનોમાં મૌર્ય કાળના અનેક સ્થળો પર પુરાત્તાત્વિક ઉત્ખનન કરવામાં આવ્યા છે. પટના નજીક કુમરાહાર તથા બુલન્દીબાગના ઉત્ખનનોમાં ચંદ્રગુપ્ત મૌર્યના ભવ્ય મહેલના અવશેષો મળી આવ્યા છે. કૌશામ્બી, રાજગૃહ, પાટલિપુત્ર, હસ્તિનાપુર, તક્ષશિલા વગેરે સ્થળોના ઉત્ખનનથી સમકાલીન ઇતિહાસના પુનર્નિમાણમાં બહુમૂલ્ય સહાયતા મળે છે.

પુરાતાત્વિક પ્રમાણની જેમ જ મૌર્ય કાળના સ્તૂપ, વિહાર તથા અશોકના સ્તંભોમાં શીર્ષ પર સ્થાપિત પશુ મૂર્તિઓના કલાત્મક અવશેષોથી ઇતિહાસ સંબંધી સમકાલીન માહિતી મળી આવે છે.

મૌર્ય સામ્રાજ્ય મૌદ્રિક અર્થવ્યવસ્થા પર આધારિત હતું. અર્થશાસ્ત્રમાં ચાંદીના પણ અને તેના ઉપ−વિભાજનો સહિત માનક મુદ્રાઓનો સ્વીકાર કર્યાનો ઉલ્લેખ છે. જ્યારે તાંબાના મશક તથા તેના ઉપ−વિભાજનોનો સાંકેતિક મુદ્રા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. મૌર્ય કાળના પ્રચલિત સિક્કાઓ પર મૌર્ય શાસકો કે તિથિનો ઉલ્લેખ જોવા મળતો નથી. મોટાભાગના સિક્કાઓ પર વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, પર્વત, પશુ-પક્ષી જેવા પ્રતિક ચિહ્નો જોવા મળે છે. મૌર્ય કાળના સ્થળોના ઉત્ખનનમાં પણ સમકાલીન સિક્કાઓ મળી આવ્યા છે. તક્ષશીલામાંથી મળી આવેલા સિક્કાઓનો ભંડાર મૌર્ય કાળની સમૃદ્ધિ દર્શાવે છે.

મૌર્ય સામ્રાજ્યનું પ્રશાસન સંઘીય અને એકતંત્રીય હતું. સત્તાની સર્વોચ્ચ શક્તિ રાજા પાસે હતી. આમ છતાં સુચારું શાસન વ્યવસ્થા માટે કેન્દ્રીય તેમજ પ્રાંતીય એમ પૃથક વ્યવસ્થા કરવામાં આવી હતી. 

મૌર્ય શાસનમાં સમ્રાટ સર્વોચ્ચ પદાધિકારી અને સેનાનાયક હતો. ઉપરાંત કાર્યપાલિકા, વ્યવસ્થાપિકા અને ન્યાયપાલિકાનો પ્રધાન હતો. સમ્રાટની સહાયતા માટે મંત્રીપરિષદ હતી. અશોકના છઠ્ઠા શિલાલેખ પરથી અનુમાન કરી શકાય કે, મંત્રીપરિષદના નિર્ણયો વિચારવિમર્શ બાદ બહુમતના આધારે કરવામાં આવતા હતા. મંત્રીઓનું મુખ્ય કાર્ય રાજાને સલાહ–પરામર્શ આપવાનું હતું. પરંતુ અંતિમ નિર્ણય રાજાને આધીન રહેતો. મંત્રીઓનો પ્રભાવ તેમની યોગ્યતા અને કર્મઠતા પર નિર્ભર હતો. અર્થશાસ્ત્ર અનુસાર સૌથી ઊંચા મંત્રીઓ માટે ‘તીર્થ’ શબ્દ પ્રયોજાતો હતો. આ તીર્થોમાં પ્રધાનમંત્રી, પુરોહિત, સેનાપતિ ,યુવરાજ, સમાહર્તા, સન્નિધાતા તથા પરિષદાધ્યક્ષ મુખ્ય હતા. તીર્થોને ૧૨૦૦૦ ‘પણ’ વાર્ષિક વેતન આપવામાં આવતું હતું. આ પ્રકારના તીર્થોની કુલ સંખ્યા ૧૮ હતી.

કેન્દ્રીય શાસનનો મહત્ત્વનો વિભાગ સેના હતી. યુનાની લેખકોના મતાનુસાર ચંદ્રગુપ્ત પાસે ૬૦,૦૦૦ પાયદળ, ૫૦,૦૦૦ અશ્વદળ, ૯૦૦૦ હાથી તથા ૪૦૦ રથોની એક સ્થાયી સેના હતી.

ચંદ્રગુપ્તના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યમાં અવંતિરાષ્ટ્ર, ઉત્તરાપથ, દક્ષિણાપથ અને મધ્ય દેશ એમ ચાર પ્રાંત હતા. અશોકના સમયમાં પાંચમા પ્રાંત કલિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રાંતોનું શાસન સમ્રાટ દ્વારા નિયુક્ત યુવરાજો દ્વારા કરવામાં આવતું હતું. અશોકના અભિલેખોમાં તેમને ‘કુમાર’ અથવા ‘આર્યપુત્ર’ કહેવામાં આવ્યા છે. કેન્દ્રીય શાસનની જેમ જ પ્રાંતીય શાસનમાં પણ મંત્રીપરિષદ હતી. રોમિલા થાપરના મત અનુસાર પ્રાંતીય મંત્રીપરિષદ કેન્દ્રીય પરિષદની સરખામણીમાં વધુ સ્વતંત્ર હતી.

મૌર્ય કાળમાં પ્રાંત જનપદોમાં વિભાજીત હતા. જેની ચાર શ્રેણીઓ હતી : સ્થાનીય, દ્રોણમુખ, ખારવટિક અને સંગ્રહણ. જનપદનો પ્રધાન અધિકારી  પ્રદેષ્ટા  કહેવાતો. જ્યારે સંગ્રહણનો પ્રમુખ અધિકારી  ગોપ  કહેવાતો. ગોપ ઉપર સ્થાનીય અને તેની ઉપર નગરાધ્યક્ષનું પદ હતું. ‘સ્થાનીય’ અંતર્ગત ૮૦૦ ગામ, ‘દ્રોણમુખ’ના અંતર્ગત ૪૦૦ ગામ, ‘ખારવટિક’ અંતર્ગત ૨૦૦ ગામ તથા ‘સંગ્રહણ’ને અંતર્ગત ૧૦૦ ગામો રહેતાં. 

મૌર્ય સામ્રાજ્યનો સૌથી નાનો એકમ ગામ હતું. ગામના પ્રમુખ પ્રશાસનિક પદાધિકારીને ગ્રામણી કહેવામાં આવતો. પ્રત્યેક ગામમાં ગામના વરિષ્ઠ વ્યક્તિઓની બનેલી એક ગામ પરિષદ રહેતી જે પ્રશાસનમાં સહાયક ભૂમિકા ભજવતી. 

મૌર્ય સામ્રાજ્યના નિભાવ-સંચાલન માટે ઘણા ધનની આવશ્યકતા રહેતી પરિણામે રાજસ્વ પ્રણાલીની રૂપરેખા ઘડાઈ હતી. જેનું વિસ્તારથી વિવરણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે.

રાજ્યની અર્થવ્યવસ્થા કૃષિ, પશુપાલન અને વેપાર-વાણિજ્ય પર આધારિત હતી. જે પૈકી કૃષિ એ મુખ્ય વ્યવસાય હતો. દક્ષિણ એશિયામાં પહેલી વાર રાજકીય એકતા અને સૈન્યસુરક્ષાના પરિણામે એક સર્વસામાન્ય આર્થિક પ્રણાલીને અનુમોદન મળ્યું. પરિણામે વેપાર−વાણિજ્ય અને કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો. આ પૂર્વેની સેંકડો રાજ્યો, નાનાં નાનાં સૈન્યદળો, શક્તિશાળી ક્ષેત્રીય પ્રમુખો અને આંતરિક યુદ્ધોની પરિસ્થિતિઓને કારણે કેન્દ્રીય પ્રશાસનને પ્રોત્સાહન મળ્યું. ચંદ્રગુપ્ત મૌર્યએ સમગ્ર ભારતમાં એક જ ચલણની શરૂઆત કરી. ક્ષેત્રીય રાજ્યપાલ, પ્રશાસક અને નાગરિક સેવાના એકસૂત્રી પ્રશાસન દ્વારા ખેડૂતો, વેપારીઓ તથા વ્યવસાયકર્તાઓને ન્યાય તથા સુરક્ષા પ્રદાન થઈ. 

મૌર્ય સામ્રાજ્યની આર્થિક સ્થિતિ ઘણા વર્ષો પછીના રોમન સામ્રાજ્યને અનુરૂપ હતી. બંનેના વ્યાપારિક સંબંધો વ્યાપક હતા. તથા બંનેની પ્રશાસનિક સંસ્થાઓમાં પણ સમાનતા હતી. રોમની સંગઠનાત્મક સંસ્થાઓ મોટેભાગે રાજ્ય સંચાલિત સાર્વજનિક પરિયોજનાઓ માટે ઉપયોગી હતી જ્યારે મૌર્ય સામ્રાજ્યમાં ઘણી વ્યક્તિગત વાણિજ્યિક સંસ્થાઓ હતી. 

મૌર્ય શાસનમાં રાજસ્વનો સૌથી મોટો હિસ્સો ભૂ−રાજસ્વનો રહેતો હતો. જમીનના મુખ્ય બે પ્રકાર હતા. રાજાની જમીન અને ખેડૂતોની જમીન. રાજકીય જમીન પર ગુલામો તથા કેદીઓ દ્વારા ખેતી કરવામાં આવતી હતી જેના વળતરરૂપે ગુલામો તથા કેદીઓને ભોજન તથા માસિક રોકડ વેતન આપવામાં આવતું હતું. આ પ્રકારની જમીન પરથી થતી આવકને સીતા કહેવામાં આવતી હતી. ખેડૂતોની જમીનથી મળતા કરને ભાગ કહેવામાં આવતો હતો. 

મેગસ્થનીજ, સ્ટ્રાબો, એરિયન વગેરે યૂનાની લેખકોના મતે બધી જ જમીન રાજ્યને હસ્તક હતી તથા તેના પર કૃષિ કામ કરનાર આવકનો  ભાગ રાજાને કર પેટે જમા કરાવતા. કૌટિલ્યના મતે જો બીજ, બળદ અને કૃષિ માટેના સાધનો ખેતી કામ કરનારના હોય તો તે ઉપજના  ભાગનો અધિકારી રહેતો. જો કૃષિ ઉપકરણ રાજ્ય દ્વારા આપવામાં આવ્યા હોય તો તેને  કે  ભાગ મળતો. અંગત માલિકીની જમીન પર ખેતી કામ કરનાર પાસેથી ઉપજનો  ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો હતો. નિયામક અધિકારી, સમાહર્તા, સ્થાનક અને ગોપ ગામ્ય ભૂમિ તથા સંપતિના આંકડાઓનો હિસાબ રાખતા. રાજ્યની જમીનનો વહીવટ સીતાધ્યક્ષ દ્વારા કરવામાં આવતો.

રાજ્યમાં સિંચાઈ વ્યવસ્થા સેતુબંધ તરીકે ઓળખાતી. જે અંતર્ગત તળાવ, કૂવા અને સરોવરો પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ−નિયંત્રણ કરવામાં આવતો. મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના સુદર્શન તળાવ પર બાંધવામાં આવેલો બંધ એ સેતુબંધનું ઉદાહરણ છે. સિંચાઈ માટે પણ કરવેરો આપવો પડતો હતો. જે ઉપજના  થી  ભાગ સુધીનો રહેતો. રાજ્ય ઉપરાંત નાગરિકો સ્વયં પણ તળાવ કે વાવ બનાવીને સિંચાઈની વ્યવસ્થા કરી શકતા હતા. તેમને શરુઆતમાં સિંચાઈ કરમાંથી મુક્તિ આપી પ્રોત્સાહિત કરાતા પરંતુ કેટલાક સમય બાદ તેમની પાસે પણ સિંચાઈ કર લેવામાં આવતો હતો.

મૌર્ય સામ્રાજ્યની વિશાળ એકસૂત્રીય શાસન વ્યવસ્થાના પરિણામે વ્યાપારને પ્રોત્સાહન મળ્યું. અશોકના સમયગાળા દરમિયાન મૌર્ય–ગ્રીક મૈત્રી સંધિના ફળસ્વરૂપ આંતરિક વ્યાપારની સાથે સાથે વિદેશી વ્યાપારને પણ ઉત્તેજન મળ્યું. ઉનના વસ્ત્રો, ઘોડા, ચામડું, મોતી, સુવર્ણ, હીરા, શંખ તથા બહુમૂલ્ય રત્નોનો વ્યાપાર મુખ્ય હતો. કૌશામ્બી, પાટલિપુત્ર, તક્ષશિલા, કાશી, ઉજ્જૈન તથા તોશલિ એ વ્યાપારના મુખ્ય કેન્દ્રો હતા. આ સમયગાળામાં વસ્ત્ર વ્યવસાય સૌથી મુખ્ય હતો. વિદેશી વ્યાપાર મુખ્યત્વે મિસ્ર, સીરિયા, યૂનાન, રોમ, હારસ, શ્રીલંકા, સુમાત્રા, જાવા અને બોર્નિયો જેવા પ્રદેશો સાથે થતો હતો. આ સમયમાં ધાતુ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ તથા કાષ્ઠ ઉદ્યોગ પ્રચલિત હતા.

મૌર્ય કાળ દરમિયાન વ્યાપારીઓ સંસ્થાધ્યક્ષની પરવાનગી વગર માલની આયાત-નિકાસ કે સંગ્રહ કરી શકતા નહોતા. માપ તોલનું દર ચાર મહિને રાજ્ય કર્મચારીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવતું હતું. ઓછું વજન તોલનારને દંડની જોગવાઈ હતી. લાભનો દર નિશ્ચિત હતો. સ્વદેશી વસ્તુઓ પર ૪% અને અન્ય દેશોમાંથી આયાત કરેલી વસ્તુઓ પર ૧૦% વેચાણકર લેવામાં આવતો હતો. મેગસ્થનીજના મત અનુસાર વેચાણકર ન ચૂકવનારને મૃત્ત્યુદંડની સજા કરવામાં આવતી હતી.

પૂર્વવર્તી ધર્મશાસ્ત્રોની જેમ જ વર્ણ વ્યવસ્થા એ મૌર્યકાળનો સામાજીક આધાર હતી. ધર્મશાસ્ત્રો પ્રમાણે કૌટિલ્યએ પણ ચાર વર્ણોના વ્યવસાય નિર્ધારિત કર્યા હતા. સમાજમાં બ્રાહ્મણોનું સ્થાન વિશિષ્ટ મનાતું હતું. તેઓ શિક્ષક તેમજ પુરોહિત હતા. ઉપરાંત સમાજનું બૌદ્ધિક અને ધાર્મિક નેતૃત્ત્વ પણ કરતા હતા. મેગસ્થનીજના વર્ણનોમાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞવિધિ કરાવાનો ઉલ્લેખ છે.

કૌટિલ્યની વર્ણ વ્યવસ્થા અનુસાર શુદ્રોને શિલ્પકલા અને સેવાવૃત્તિ ઉપરાંત વૈશ્યોના સહાયકના રૂપમાં અથવા સ્વતંત્ર રીતે કૃષિ, પશુપાલન અને વાણિજ્ય દ્વારા આજીવિકા ચલાવવાની અનુમતિ હતી. આ વ્યવસ્થાને પરિણામે શુદ્રોના આર્થિક સુધારાનો પ્રભાવ તેમની સામાજીક સ્થિતિ પર પણ પડતો હતો. અર્થશાસ્ત્ર અનુસાર શુદ્રોને આર્ય પણ કહેવામાં આવતા હતા અને તેમને મ્લેચ્છથી ભિન્ન માનવામાં આવતા હતા.

ચાર વર્ણો ઉપરાંત કૌટિલ્યએ વર્ણસંકર જાતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમની ઉત્પત્તિ વિભિન્ન વર્ણોના અનુલોમ–વિલોમ વિવાહ દ્વારા થઈ હોવાનું દર્શાવ્યું છે. આ વર્ણસંકર જાતિઓમાં અમ્બષ્ઠ, નિષાદ, પારશવ, રથકાર, ક્ષતા, વેદેહક, માગધ, સૂત, પુલ્લકસ, વેણ, ચાંડાલ,સ્વપાક વગેરેનો સમાવેશ થાય છે. કૌટિલ્યએ ચાંડાલ સિવાયની તમામ જાતિઓને શુદ્ર ગણી છે.આ સિવાય તંતુવાય (વણકર), રજક (ધોબી), દરજી, સોની, લુહાર વગેરે વ્યવસાય આધારિત વર્ગો, જાતિ સ્વરૂપે સમાજમાં સ્થાન ધરાવતા હતા.

જાતિપ્રથાની કેટલીક વિશેષતાઓનું વર્ણન મેગસ્થનીજના પુસ્તક ઈંડિકામાં જોવા મળે છે. મેગસ્થનીજના વર્ણન અનુસાર કોઈ પણ વ્યક્તિ જાતિ બહાર વિવાહ કરી શકતો ન હતો. એ જ રીતે વ્યવસાયમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યવસાયને અન્ય જાતિના વ્યવસાયમાં બદલી શકતો ન હતો. કેવળ બ્રાહ્મણોને જ એ વિશેષ અધિકાર પ્રાપ્ત હતો જેથી તેઓ આપાતકાલીન પરિસ્થિતિમાં ક્ષત્રિય તેમજ વૈશ્યનો વ્યવસાય અપનાવી શકતા હતા. ભારતીય ગ્રંથોથી ભિન્ન મેગસ્થનીજે ભારતીય સામાજીક વર્ગીકરણને સાત જાતિઓમાં વિભક્ત કર્યો છે. જેમાં દાર્શનિક, કિસાન, આહીર, કારીગર કે શિલ્પી, સૈનિક, નિરીક્ષક, સભાસદ તથા અન્ય શાસક વર્ગોનો સમાવેશ થાય છે. દાર્શનિકોને બ્રાહ્મણ અને શ્રમણ એમ બે શ્રેણીમાં વિભાજીત કરાયા છે. મેગસ્થનીજ દ્વારા મૌર્યકાલીન સમાજનું સપ્તવર્ગી ચિત્રણ ભારતીય વર્ણવ્યવસ્થાથી તદ્દન વિપરિત જણાય છે.

સ્ત્રીઓ પુનર્વિવાહ તથા રોજગાર કરી શકતી. આમ છતાં સ્ત્રીઓને બહાર જવાની અનુમતી નહોતી. તે પતિની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરી શકતી નહોતી. ઘરમાં જ રહીને જીવન પસાર કરતી સ્ત્રીઓને કૌટિલ્યએ ‘અનિષ્કાસિની’ તરીકે ઓળખાવી છે. અર્થસાસ્ત્રમાં સતીપ્રથા ચાલુ હોવાના કોઈ પુરાવા મળતા નથી. પરંતુ યુનાની લેખકોએ ઉત્તર-પશ્ચિમના સૈનિકોની સ્ત્રીઓનો સતી થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્યકાળમાં કેટલીક સ્ત્રીઓ ગણિકા અથવા વેશ્યા તરીકે પોતાનું જીવન પસાર કરતી હતી. વેશ્યાવૃત્તિ કરનારી સ્ત્રીઓ રુપાજીવા તરીકે ઓળખાતી. તેમના કાર્યોના નિરીક્ષણ ગણિકાધ્યક્ષ કરતા હતા. કેટલીક ગણિકાઓ ગુપ્તચર વિભાગમાં કાર્ય કરતી હતી.

નટ, નર્તક, ગાયક, વાદક, રસ્સી પર ચાલનારા તથા મદારીઓ પોતાની કલાનું પ્રદર્શન ગામ અને શહેરોમાં કરતા. સ્ત્રી અને પુરુષ કલાકાર બન્ને આ પ્રદર્શનોમાં ભાગ લેતા. પુરુષો રંગોપજીવી તથા સ્ત્રીઓ રંગોપજીવીની તરીકે ઓળખાતા.

મૌર્યકાળની સમાજ વ્યવસ્થામાં ગૃહસ્થ જીવન પરિત્યાગ કરવાની પ્રથા પર નિષેધ હતો. આ નિયમ અનુસાર કેવળ વૃદ્ધ વ્યક્તિ પોતાના આશ્રિતો માટે ભરણપોષણની પર્યાપ્ત વ્યવસ્થા કર્યા પછી જ તથા ધર્મસ્થળ પાસેથી અનુમતિ મેળવ્યા બાદ જ સંન્યાસ ગ્રહણ કરી શકતી.

સંયુક્ત પરિવાર પ્રથા પ્રચલિત હતી. કુમારિકા બાર વર્ષની આયુએ તથા કુમાર ૧૬ વર્ષની અવસ્થાએ વયસ્ક માનવામાં આવતા હતા. આ સમયમાં આઠ પ્રકારના વિવાહ પ્રચલિત હતા તે પૈકી ચાર જ પ્રકારના વિવાહ વિધિસંમત માનવામાં આવતા હતા.

હડપ્પા સભ્યતા બાદ ૧૫૦૦ વર્ષના ગાળા સુધી કલાના કોઈ ભૌતિક પૂરાવા પ્રાપ્ત થયા નથી. પરંતુ મેગસ્થનીજ, એરિયન, સ્ટ્રેબો તથા અન્ય વિદેશી લેખકો દ્વારા પાટલીપુત્ર નગરના પ્રાચીન સ્થળો તથા રાજમહેલોના વિવરણ અને વર્તમાન ઉત્ખનનોના પૂરાવાઓના આધારે મૌર્યકાળ દરમિયાન વાસ્તુકલા અને મૂર્તિકલાની પ્રવૃત્તિઓ જોવા મળે છે. ઈતિહાસકાર આનંદ કુમારસ્વામી મૌર્યકલાને દરબારી (રાજકીય) કલા અને લોકકલા એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

આ પ્રકારની કલામાં મૌર્યશાસકો દ્વારા નિર્માણ કરવામાં આવેલા રાજમહેલો તથા અશોકના શિલાલેખોનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્મિત રાજમહેલ ૧૪૦ ફૂટ લાંબો અને ૧૨૦ ફૂટ પહોળો હતો. વર્તમાન પટણાની નજીક બુલંદીબાગ અને કુમ્રહાર ગામ પાસેથી મળી આવેલા મહેલના અવશેષોમાં સભાખંડ અને પથ્થરના ૪૦ જેટલા કોતરકામ કરેલા કલાત્મક સ્તંભ મળી આવ્યાં છે. ફાહિયાને આ મહેલને દેવતાઓ દ્વારા નિર્મિત બતાવ્યો છે. અશોક દ્વારા નિર્મિત સ્તૂપ અને શિલાલેખોની કોતરણી, પોલીશ, પશુ આકૃતિઓ એ રાજકીય કલાનુ ઉત્તમ ઉદાહરણ છે.

આ પ્રકારની કલામાં મથુરા, પાટલિપુત્ર, વિદિશા, કલિંગ તથા પશ્ચિમ સુર્પારકમાંથી મળી આવેલી યક્ષ-યક્ષીણીની મુર્તિઓનો સમાવેશ થાય છે. આ મહાકાય મૂર્તિઓ ખુલ્લા આકાશ નીચે આવેલી છે. તેની ચમકદાર પોલીશ મૌર્યકાળની વિશેષતા છે. દીદારગંજ પટણાથી મળેલી આવેલી ચામરગ્રાહિણી યક્ષીણીની મૂર્તિ ૬ ફૂટ ૯ ઈંચ ઊંચી છે. પાટલિપુત્રના ભગ્નાવેશેષોમાં જૈન તિર્થંકરોની અનેક વિશાળ મૂર્તિઓ મળી આવેલી છે. જે પૈકીની એક મૂર્તિ કાર્યોત્સર્ગ મુદ્રામાં છે તથા તેની પોલીશ સંપૂર્ણ સુરક્ષિત છે. કુમ્રહાર પાસેથી મળેલી ખંડિત મૂર્તિના માથા પર પાઘડી, કાનના આભૂષણ કોતરેલા જોવા મળે છે. અન્ય કેટલીક મૂર્તિઓ પર હાર, કર્ણકુંડલ, ખભા તેમજ બાજુઓ પર અંગદ અને ઉત્તરીય વસ્ત્રો તેમજ ધોતી જોવા મળે છે.
 ઇ.સ.પૂ. દ્વિતીય શતાબ્દી
ચિત્ર:MauryaStatuettes.jpg|મૌર્ય યુગની પ્રતિમાઓ
ચિત્ર:Patna Yakshas.jpg|યક્ષ

અશોકના મૃત્યુ બાદ મૌર્ય સામ્રાજ્યના પતનનો આરંભ થયો હતો અને મૃત્યુના ૫૦ વર્ષના ગાળામાં જ સંપૂર્ણપણે પતન થઈ ગયું હતું. વિશાળ મૌર્ય સામ્રાજ્યના ત્ત્વરિત પતન માટે ઇતિહાસકારો પરસ્પર વિરોધી મત ધરાવે છે. 

અનેક વિદ્વાનોએ મૌર્ય સામ્રાજ્યના પતન માટે અશોકને જવાબદાર ઠેરવ્યો છે. હેમચંદ્ર રાયચૌધરીના મત અનુસાર અશોકની શાંતિવાદી નીતિઓ સામ્રાજ્યની શક્તિને ક્ષીણ કરવામાં જવાબદાર હતી. તેમના મતે, બિંદુસારના શાસનથી લઈને કલિંગના યુદ્ધ સુધીનો ભારતનો ઇતિહાસ દક્ષિણ બિહારના મગધના એક નાનકડા હિન્દુકુશ પર્વતથી લઈને તમિલ પ્રદેશની સીમાઓ સુધી ફેલાયેલા વિશાળ સામ્રાજ્યના વિસ્તારની કથા છે. પરંતુ કલિંગ યુદ્ધ બાદ મૌર્ય સામ્રાજ્ય દિશાહીન થઈને પતન તરફ ધકેલાઈ ગયું હતું. જોકે, ઇતિહાસકાર નિલકંઠ શાસ્ત્રી રાયચૌધરીની આ દલીલને તર્કસંગત માનતા નથી. શાસ્ત્રીના મતે કલિંગ યુદ્ધ બાદ અશોકે ફક્ત સામ્રાજ્યવાદી નીતિનો ત્યાગ કર્યો હતો. તેણે શાંતિપ્રિયતા અને યુદ્ધત્યાગની નિતિઓને સામ્રાજ્યની સીમાઓ સુધી મર્યાદિત રાખી હતી. યુદ્ધ બાદ સૈન્ય વિઘટનના કોઈ પૂરાવા મળતા નથી. એજ પ્રમાણે ધમ્મનીતિને અપનાવ્યા પછી પણ પ્રશાસનમાં કઠોર દંડ કે મૃત્યુદંડને સમાપ્ત કરવામાં આવ્યો નથી.




#Article 156: એઇડ્સ (7022 words)


AIDS (એઇડ્સ)નાં ટુંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ છે Acquired Immunodeficiency Syndrome અથવા Acquired Immune Deficiency Syndrome, જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ  તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક, માનવનાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર હુમલો કરતો  રોગ છે, જે  HIV (એચઆઇવી) વાયરસ જવાબદાર છે. આ HIV વાયરસનું અંગ્રેજી નામ Human Immunodeficiency Virus છે, જેને ગુજરાતીમાં માનવ રોગપ્રતિકાર ઉણપ વાયરસ તરીકે  ભાષાંતરિત કરી શકીએ.

આ રોગ ઉત્તરોત્તર શરીરની પ્રતિકાર શક્તિ ઘટાડે છે જેથી રોગગ્રસ્ત વ્યક્તિને ચેપ  લાગવાની અને ગાંઠ થવાની શક્યતા વધી જાય છે. એચઆઇવીનો ફેલાવો (પ્રસાર) શ્લેશ્મ સ્તર (mucous-membrane) કે રૂધિરપ્રવાહનાં રોગગ્રસ્ત શારિરિક સ્ત્રાવનાં સીધા સંપર્કમાં આવવાથી થાય છે. શ્લેશ્મ સ્તર એ શરીરનો એવો ભાગ છે, કે જે સપાટીને સતત ચીકણી રાખવાનું કાર્ય કરે છે, અહિં ગાલની અંદરની સપાટીનું શ્લેશ્મ સ્તર ખૂબ ભાગ ભજવે છે, જ્યારે શારિરિક સ્ત્રાવોમાં, રૂધિર, વીર્ય, યોનિમાર્ગનું પ્રવાહી, વીર્ય પૂર્વેનો સ્ત્રાવ અને ધાવણનો સમાવેશ થાય છે, નહિકે લાળ, થુંક, આંસુ, વિગેરે.  

આ પ્રકારના ટ્રાન્સમિશનમાં પીડા વિહીન (), યોનિમાર્ગ () અથવા ઓરલ () સેક્સ (), રક્ત ભ્રમણ (), ચેપ લાગેલું, ચામડી નીચે આપવાનું ઇન્જેક્શન (નો) (), ગર્ભાવસ્થા (), બાળકજન્મ () દરમિયાન માતા અને બાળક વચ્ચેના વિનીમય અથવા ધાવણ () અથવા ઉપરોક્તમાના કોઇ પણ અન્ય શરીરના પ્રવાહીના પ્રસરવાનો સમાવેશ થઇ શકે છે. 

એઇડ્ઝ હવે વિશ્વવ્યાપી () બન્યો છે.વિશ્વમાં 2007માં આશરે 33.2 અને એનબીએસપી મિલીયન લોકો આ રોગ સાથે જીવતા હતા અને 330,000 બાળકો સહિત આશર ૨.૧ અે એનબીએસપી લોકોનો મૃત્યુ થયા હતા. એક તૃતીયાંશથી વધુ મૃત્યુ પેટા સહારણ આફ્રિકા ()માં થયા હતા, જેના લીધે આર્થિક વૃદ્ધિ  ()મંદ પડી ગઇ હતી અને માનવ ધન () નાશ પામતુ હતું.  

જિનેટિક સંશોધન () દર્શાવે છે કે એચઆઇવીનો પશ્ચિમ મધ્ય આફ્રિકામાં ઓગણીસમી સદીના અંતમાં અથવા વીસમી સદીના પ્રારંભમાં ઉદભવ થયો હતો.એઇડ્ઝ અને તેની પાછળના કારણોને સૌપ્રથમ રોગ નિયંત્રણ અને અવરોધક અમેરિકન કેન્દ્ર () દ્વારા 1981માં ઓળખી કાઢવામાં આવ્યો હતો, એચઆઇવીને 1980ના પ્રારંભમાં ઓળખી કાઢવામાં આવ્યો હતો. 

એઇડ્ઝ અને એચઆઇવીની સારવાર રોગ થવાની ગતિ ધીમી પાડી શકે છે છતાં હાલમાં તેના ઉપચાર માટે કોઇ રસી નથીએન્ટિરિટ્રોવાયરલ () સારવાર મૃત્યુદર () અને એચઆઇવી ચેપની રોગીષ્ટ મનોવૃત્તિમાં ઘટાડો કરે છે પરંતુ આ દવાઓ ખર્ચાળ છે અને રોજબરોજ એન્ટિરિટ્રોવાયરલ, દવા ઉપચાર () કરવો તે દરેક દેશોમાં ઉપલબ્ધ નથી. એચઆઇવી ચેપની સારવારમાં મુશ્કેલી હોવાથી એઇડ્ઝ જેવા વ્યાપક રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ચેપ રોકવો તે અગત્યનો લક્ષ્યાંક છે, તેથી આરોગ્ય સંસ્થાઓ સલામત સેક્સ () અને સોયની આપલે કાર્યક્રમ ()ને આ વાયરસની વધવાની ગતિ ધીમી પાડવાના પ્રયત્નરૂપે પ્રોત્સાહન આપે છે.

સામાન્ય રીતે જે તે તંદુરસ્ત વ્યક્તિમાં સામાન્ય રીતે વિકસતા નથી  તેવી પ્રતિકાર વ્યવસ્થા  ()પરિણામ તે મુખ્યત્વે એઇડ્ઝના લક્ષણો છે. આ મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ બેક્ટેરીયા (), વાયરસ (),  ટોપ  () અને પરોપજીવી પ્રાણી કે વનસ્પતિ  ()જવાબદાર છે જેને સામાન્ય રીતે રસી વ્યવસ્થા દ્વારા નિયંત્રિત કરી શકાય છે જેને એચઆઇવી નુકસાન પહોંચાડે છે.

જે લોકો એઇડ્ઝ ધરાવતા હોય તેવા લોકોમાં તકવાદી ચેપ ધરાવતા હોય તેવા લોકોમાં તકવાદી ચેપ () સામાન્ય છે. એચઆઇવી મોટેભાગે દરેક ઇન્દ્રિયને અસર કરે છે.

એઇડ્ઝઃ ધરાવતા લોકોમાં વિવિધ કેન્સર જેમ કે કાપોસીસનું કેન્સર (), ગળાનું કેન્સર () અને જીવલેણ ચેપી રોગ  ()તરીકે જાણીતા પ્રતિકાર વ્યવસ્થાના કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. વધુમાં, એઇડ્ઝ ધરાવતા લોકોમાં પદ્ધતિસરના લક્ષણો વારંવાર જોવા મળે છે જેમ કે તાવ (), પરસેવો () (ખાસ કરીને રાત્રે), સોજા ચડવા, ઠંડી લાગવી, નબળાઇ અને વજન ઓછું થઇ જવું  () .એઇડ્ઝનો દર્દી જે ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવતો હોય તે ચેપ જ્યા દર્દી રહેતો હોય તે ભૌગોલિક વિસ્તારમાં વિકસે છે. 

ન્યૂમોસિસ્ટિસ જિરોવેસી ()  ન્યૂમોસિસ્ટિસ ન્યૂમોનિયા  ()(મૂળભૂત રીતે ન્યૂમોસિસ્ટિસ કેરીની ન્યૂમોનિયા તરીકે જાણીતો અને હજુ પણ પીસીપીના ટૂંકા નામે ઓળખાય છે જેના સ્થાને હવે પી ન્યૂમો સી સ્ટિસ પી ન્યૂમોનિયા આવે છે ભાગ્યે જ તંદુરસ્ત ગણાય છે ઇમ્યુનોકોમ્પીનન્ટ () લોકો, પરંતુ એચઆઇવી ધરાવતા વ્યક્તિગતોમાં સામાન્ય છે. તે ન્યૂમોસિસ્ટિસ જિરોવેસીને કારણે થાય છે ().

પશ્ચિમી દેશોમાં અસરકારક નિદાન, સારવાર અને નિયમિત ઉપચાર () થયો તે પહેલા તાત્કાલિક થતા મૃત્યુનું સૌપ્રથમ કારણ હતું.  વિકસતા દેશોમાં તપાસ થઇ ન હોય તેવા વ્યક્તિઓમાં હજુ પણ આ પ્રથમ સંકેત છે, જોકે રક્તના એમએલદીઠ 200 કણ કરતા ઓછા સીડી4 ન હોય તો સામાન્ય રીતે તે આકાર લેતો નથી.

એચઆઇવી સાથે સંકળાયેલા ચેપમાં ક્ષય રોગ () (ટીબી) વિશિષ્ટ છે કેમ કે તે શ્વસન ક્રિયા મારફતે ઇમ્યુનોકોમ્પીટન્ટ લોકોમાં પ્રસરી શકે છે, એક વખત ઓળખાઇ જાય તે પછી સરળતાથી સારવાર થઇ શકે છે, જે એચઆઇવીના પ્રાથમિક તબક્કામાં થઇ શકે છે અને ડ્રગ થેરાપી સાથે અવરોધાત્મક છે.  જોકે મલ્ટીડ્રગ પ્રતિકાર () સંભવતઃ ગંભીર સમસ્યા છે. 

સીધી નિરીક્ષીત થેરાપીના ઉપયોગ વડે  અને પશ્ચિમી દેશોમાં સુધરેલી પ્રેક્ટિસના લીધે આ પ્રકારેના બનાવોમાં ઘટાડો થયો હોવા છતાંયે જ્યાં એચઆઇવીના સૌથી વધુ કેસ હોય છે તેવા વિકસતા દેશોમાં આ લાગુ પડતું નથી.એચઆઇવી ચેપના પ્રાથમિક તબક્કામાં (સીડી4 કાઉન્ટ300 સેલ્સ એમએલ દીઠ), ટીબી સામાન્ય રીતે ફેફસાના રોગોમાં હોય છે. એચઆઇવી ચેપના પ્રાથમિક તબક્કામાં (સીડી4 કાઉન્ટ300 સેલ્સ એમએલ દીઠ), ટીબી સામાન્ય રીતે ફેફસાના રોગોમાં હોય છે.  લક્ષણો સામાન્ય રીતે બંધારણીય હોય છે અને કોઇ એક જ સ્થળે સ્થિર રહેતા નથી, જે ઘણી વખત ચરબીયુક્ત હાડકા (), હાડકા (), મૂત્રાશય અને  ગેસ્ટ્રોઇનટેસ્ટીનલ ટ્રેક્ટ (), લીવર (), રિજીયોનલઇન્દ્રિય સંકેત  ()અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે.  (),

ઇસોફાજિટીક્સ () એ ઇસોફાગુસ () ના અંત ભાગનો એક પ્રકારનો ઉભરો છે (અન્નનળી અથવા નળી પરનો સોજો પેટ ())ને અસર કરે છે.એચઆઇવીના ચેપવાળી વ્યક્તિઓને સામાન્ય રીતે ફૂંગલ (કેન્ડિડાયાસીસ  ())અથવા વાયરલ (હર્પસ સિમ્પ્લેક્સ1 () અથવા સાયટોમેગાલોવાયરસ  ()ચેપને લીધે થાય છે. ભાગ્યે જ તે માયકોબેક્ટેરીયા ()ને લીધે થઇ શકે છે.

એચઆઇવીમાં ન સમજાય તેવા દર્દો ઝાડા  ()ઘણા શક્ય કારણોસર થાય છે, જેમાં સામાન્ય બેક્ટેરીયલ સહિત (સલ્મોનેલ્લા (), શિગેલ્લા (), લિસ્ટેરીયા () અથવા કેમ્પીલોબેક્ટર  ())અને પ્રાણીજન્ય ચેપ અને અસામાન્ય તકવાદી ચેપ જેમ કે ક્રિપ્ટોસ્પોરીડિયોસીસ  (), માઇક્રોસ્પોરીડિયોસીસ  (), માયકોબેક્ટરીયમ એવીયમ  () કોમ્પ્લેક્સ (મેક)અને વાયરસો, એસ્ટ્રોવાયરસ (), એડેનોવાયરસ (), રોટાવાયરસ () અને સાયટોમેગાલોવાયરસ (), (બાદમાં કોલીટીસના કોર્સ તરીકે ()).

કેટલાક કિસ્સાઓમાં ઝાડાનું થવું એ કદાચ એચઆઇવીની દવા કરવા માટે ઉપયોગમા લેવાયેલી વિવિધ દવાની આડઅસર હોઇ શકે છે અથવા કદાચ એચઆઇવી ચેપને ખાસ કરીને પ્રાથમિક એચઆઇવી ચેપ દરિમયાન સામાન્ય રીતે સાથે હોઇ શકે છે.તે કદાચ એન્ટિબાયોટિક  ()કે જેનો ઉપયોગ ઝાડાને કારણે થયેલા બેક્ટેરીયાની સારવાર માટે વપરાઇ હોય તેના દ્વારા પણ હોઇ શકે છે ( ક્લોસ્ટ્રીડિયમ ડિફ્ફીસિલે માટે સમાન  ()). એચઆઇવીની પાછળની અવસ્થા માટે ઝાડા એ ઇનટેસ્ટીનલ ટ્રેક્ટ () કે પૌષ્ટિક તત્ત્વો ગ્રહણ કરે છે તેનું પ્રતિબિંબ પાડે છે અથવા એચઆઇવી સંબંધિત વેસ્ટીંગનું અગત્યનું ઘટક હોઇ શકે છે ()..  

એચઆઇવી ચેપ ઇન્દ્રિયો દ્વારા શંકાસ્પદ નર્વસ સિસ્ટમ અથવા સીધી જ માંદગીના પરિણામ સ્વરૂપે વિવિધ પ્રકારના ન્યૂરોસાયકિયાટ્રીક સિક્વેલા () તરફ દોરી જાય છે. 

ટોક્સોપ્લામોસીસ  () એ એવો રોગ છે એક જ સેલ પ્રાણીજન્ય બેક્ટેરીયા () તરીકે ઓળખાતા ટોક્સોપ્લાઝ્મા ગોન્ડી ને કારણે થાય છે; તે સામાન્ય રીતે મગજને ચેપ લગાડે છે જે ટેક્સોપ્લાઝ્મામાં પરિણમે છે એન્સેફાલિટીસ  (), પરંતુ તેના કારણે આંખ () અને સ્નાયુઓમાં પણ ચેપ લાગે છે અને રોગ માટે જવાબદાર બને છે. ક્રિપ્ટોકોક્કલ મેનિનજાઇટીસમેનિક્સ  ()નો ચેપ છે(મગજ સ્પાઇરલ કોર્ડ  ()ને ફંગ્સ દ્વારા આવરી લેતી અંતરછાલ ક્રિમ્પ્ટોકોક્કસ નિયોફોર્મન્સ () તેનાથી તાવ માથાનો દુખાવો  (), ફટિગ (), ચક્કર (), અને ઉલ્ટી () થાય છે. 
દર્દીઓ રોગ () અને મૂંઝવણનો વિકાસ કરી શકે છે; તેની સારવાર ન કરાવે તો તે મોતમાં પરિણમી શકે છે.

પ્રોગ્રેસીવ મલ્ટીફોકલ લ્યૂકોએન્સેફાલોપથી  () (પીએમએલ) એ ડેમીએલિનેટીંગ રોગ છે  (), જેમાં માયસેલીન ()નો ધીમે ધીમે નાશ થાય છે નર્વ સેલ્સના એક્સોન ()ના આવરી લેતો નિરોધ નર્વ ઇમપલ્સીસથી અલગ પડે છે. તે જેસી વાયરસ {/0)તરીકે ઓળખાતા વાયરસ ()થી થાય છે, જે કુલ વસતીના 70 ટકા જેટલી વસતીને ગુપ્તાંગ ()માં થાય છે, જે પ્રતિકાર વ્યવસ્થા અત્યંત નબળી પડી જતા રોગમાં પરિણમે છે, કેમ કે આખરે તો એઇડ્ઝના દર્દીનો કેસ છે.   તે અત્યંત ઝડપથી વિકસે છે, સામાન્ય રીતે નિદાન થયા બાદ એકાદ મહિનામાંજ મૃત્યુ થાય છે. 

એઇડ્ઝ ડેમેનશીયા કોમ્પ્લેક્સ  () (એડીસી)મેટાબોલીક છે એન્સેફાલોપથી  () જે એચઆઇવી ચેપથી અને એચઆઇવી ચેપવાળા મગજની પ્રતિકારકતા સક્રિયતા પ્રેરીત છે માક્રોફેજ () અને માઇક્રોગ્લીયા ().હોસ્ટ અને વાયરલ એમ બન્ને ઓરિજીનના ન્યૂરોટોક્સીન  ()વડે આ સેલ્સ સક્રિય રીતે એચઆઇવી દ્વારા ચેપી અને ખાનગી હોય છે. ચોક્કસ ન્યૂરોલોજિકલ વિકલાંગતા પ્રત્યક્ષ જ્ઞાન, વર્તણૂંક અને મોટોર અસાધારણતા પ્રેરીત હોય છે, જે એચઆઇવીના ચેપ બાદના અમુક વર્ષો બાદ થાય છે અને તે નીચા સીડી4 +  T સેલ સ્તર અને ઊંચા પ્લાઝ્મા લોડ્ઝ આધારિત હોય છે. 

સાતત્યતા 10 અને એનડેશ; પશ્ચિમી દેશોમાં પરંતુ ફક્ત 1 અને એનડેશ;ભારતમાં એચઆઇવી ચેપીના 2%

ભારતમાં એચઆઇવીના પેટાપ્રકારના કારણે શક્યતઃ આ ફરક છે. જે દર્દીઓમાં એડવાન્સ એચઆઇવી માંદગી હોય તેમાં ઘણીવાર એઇડ્ઝ સંબંધી ગ્રંથી જોવા મળે છે; ભારયુક્ત વર્તન () તેમજ તેની સાથે જોડાયેલા તણાવયુક્ત વર્તન ()ને બદલે તે વધુ પડતી સંવેદનશીલતા અને અજ્ઞાનતા અને ઓછી કુશળ ભાવના દર્શાવે છે.પાછળની સ્થિતિ સિવાય લાંબા ગાળા સુધી વધુ ભારયુક્ત જણાય છે.મલ્ટી ડ્રગ થેરાપીના આગમન સાથે આ પ્રકારના લક્ષણો ઓછા જોવા મળ્યા છે.

એચઆઇવી ચેપ ધરાવતા દર્દીઓમાં મોટેભાગે વિવિધ કેન્સર () એક સાથે જોવા મળે છે. આ મુખ્યત્વે ઓન્કોજેનિક  ()ડીએનએ વાયરસ (), ખાસ કરીને એપ્સસ્ટેઇન બારવાયરસ  () (ઇબીવી), કાપોસીના કેન્સર સંલગ્ન હર્પીસવાયરસ  () (કેએસએચવી), અને માનવી પેપિલ્લોમાવાયરસ  () (એચપીવી) સાથેના સહ ચેપને લીધે થાય છે.   

કાપોસીનું કેન્સર (કેએસ)એચઆઇવી ચેપ વાળા દર્દીઓમાં જોવા મળતું સર્વસામાન્ય ટ્યુમર છે.  1981મા જ્યારે યુવાન હોમોસેક્સ્યુઅલ વ્યક્તિમાં આ ટ્યુમરે દેખા દીધી હતી તે એઇડ્ઝ વ્યાપક રોગચાળાનો પ્રથમ સંકેત હતો. ગામાહર્પીસ ()ને કારણે થતા વાયરસને કાપોસીના કેન્સર સંલગ્ન હર્પીસ વાયરસ  () (કેએસએચવી)કહેવામાં આવે છે, તે ઘણીવાર ચામડી પર વાદળી નોડ્યૂલ  ()સાથે જોવા મળે છે, પરંતુ તે અન્ય ઇન્દ્રિયને અસર કરે છે જેમાં ખાસ કરીને મો (), ગેસ્ટ્રોઇનટેસ્ટીનલ ટ્રેક્ટ અને સ્નાયુઓનો સમાવેશ થાય છે. 

ઊંચી કક્ષાના બી સેલ  () લીમ્ફોમા ()જેમ કે બર્કિટના લીમ્ફોમા  (), બર્કિટના જેવા લીમ્ફોમા, ડીફ્યુઝ મોટા બી સેલ લીમ્ફોમા (ડીએલબીસીએલ), અને પ્રાયમરી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ લીમ્ફોમા () એચઆઇવી ચેપ લાગેલા દર્દીઓમાં વધુ વખત વારંવાર જોવા મળે છે. 
આ પ્રકારના કેન્સરો ઘણીવાર નબળો રોગ હોવાનો સંકેત કરે છે. કેટલાક કિસ્સાઓમાં આ લીમ્ફોમાસ એઇડ્ઝની વ્યાખ્યા આપે છે.એપ્સ્ટેઇન બાર વાયરસ  ()(ઇબીવી)અથવા કેએસએચવીને કારણે અસંખ્ય આ લીમ્ફોમામા પરિણમે છે. 

ગળાનું કેન્સર  () એચઆઇવી ચેપ ધરાવતી સ્ત્રીમાં હોય તો તેને એઇડ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. તે માનવ પેપિલોમાવાયરસ  ()(એચપીવી). ને કારણે થાય છે. 

ઉપરોક્ત દર્શાવેલા એઇડ્ઝની વ્યાખ્યા ધરાવતા ટ્યુમર ઉપરાંત, એચઆઇવી ચેપ વાળા દર્દીઓને અન્ય ચોક્કસ પ્રકારના ટ્યુમર જેમ કે હોડકિનનો રોગ  () અને પીડાવિહીન  () અને રેક્ટલ કેર્સિનોમા  () થવાનું વિસ્તરિત જોખમ રહેલું છે.જોકે ઘણા સામાન્ય ટ્યુમરના બનાવો જેમ કે છાતીનું કેન્સર  ()અથવા આંતરડાનું કેન્સર  (), એચઆઇવીનો ચેપવાળા દર્દીઓમાં વધતું નથી.વિસ્તારો કે જ્યાં એચએઆરઆરટી ()નો ઉપયોગ એઇડ્ઝની સારવાર માટે સતત કરવામાં આવતો હોય, ત્યારે અસંખ્ય એઇડ્ઝ સંબંધિત ભારે ચેપમાં ઘટાડો થયો છે, પરંતુ, તેજ સમયે જીવલેણ કેન્સર એકંદરે એચઆઇવી ચેપ ધરાવતા દર્દીઓના મૃત્યુ પાછળનું ભારે સામાન્ય કારણ તરીકે ઉભરી આવ્યું છે.

એઇડ્ઝના દર્દીઓ ઘણી વખત તકવાદી ચેપ વિકસાવે છે જે ખાસ કરીને નીચા સ્તરના તાવ () અને વજન ઓછું થવું જેવા અચોક્કસ લક્ષણો દર્શાવે છે.તેમાં ચેપ સાથે માયકોબેક્ટેરિયમ એવીયમ  ()ઇન્ટ્રાસેલ્યુલર અને સાયટોમેગાલોવાયરસ  ()(સીએમવી) છે. ઉપર વર્ણન કર્યું તેમ, સીએમવીને કારણે આંતરડામાં વધારો થાય છે અને સીએમવી રેટિનીસ  ()ને કારણે અંધાપો ()આવી શકે છે.

પેનિસીલીયોસીસ  () થાય છે તેનું કારણ પેનિસીલીયમ માર્નેફેઇ  () છે જે હવે ત્રીજુ વધુમાં વધુ થતો સામાન્ય ચેપ છે (એકસ્ટ્રાપલ્મોનરી ટ્યૂબરક્યુલોસીસ બાદ અને ક્રિપ્ટોકોક્કોસીસ  ())દક્ષિણ પૂર્વ એશિયાના રોગચાળાના વિસ્તારમાં એચઆઇવી પોઝીટીવ વ્યક્તિગતોમાં થાય છે.  ().

   

એઇડ્ઝ એ એચઆઇવી સાથે ચેપ ()માં થયેલો ભારે વધારો છે.એચઆઇવી એ રેટ્રોવાયરસ  ()છે જે મુખ્યત્વે માનવીના અગત્યના અંગોને ચેપ લગાડે છે પ્રતિકાર વ્યવસ્થા  ()જેમ કે સીડી4+ટી સેલ્સ  () (ટી સેલ ()નો પેટા જથ્થો), માક્રોફેજ ()અને ડેન્ડ્રીટિક સેલ (). તે સીધી રીતે અને આડકતરી રીતે સીડી4 + ટી સેલ્સનો નાશ કરે છે. 

એક વખત એચઆઇવી અસંખ્ય સીડી4  +  ટી સેલ્સને મારી નાખે છે જે આ સેલ કરતા રક્ત ()ની તુલનામાં માઇક્રોલિટરદીઠ () (એમએલ)સેલ કરતા ઓછા છે, સેલ્યુલર ઇમ્યુનીટી  ()જતી રહે છે.એક્યુટ () એચઆઇવી ચેપનો ક્લિનીકલ ગુપ્ત એચઆઇવી ચેપ સામે વખત જતા વિકાસ થાય છે અને પ્રારંભમાં સિમ્પ્ટોમેટિક () એચઆઇવી ચેપ અને પાછળથી એઇડ્ઝ, જેને સીડી4 + ટી સેલ્સ રક્તમાં રહેલા હોય તેને આધારે અને/અથવા ઉપર નોંધ્યા અનુસાર ચોક્કસ ચેપને આધારે ઓળખી કાઢવામાં આવે છે. 

એન્ટિરિટ્રોવાયરલ થેરાપી ()ની ગેરહાજરીમાં, મેડીયન () એચઆઇવી ચેપમાંથી એઇડ્ઝ  ()વિકસવાનો સમયગાળો નવથી દશ વર્ષનો છે, અને એઇડ્ઝ વિકસ્યા બાદ મેડીયનના અસ્તિત્વનો સમય ફક્ત 9.2 મહિનાઓનો છે.  જોકે વિવિધ વ્યક્તિઓમાં ક્લિનીકલ રોગ વિકાસનો દર અલગ અલગ બહુ મોટો છે, જેમ કે બે સપ્તાહથી લઇને 20 અને એનબીએસપી વર્ષ. 

વિકાસના દર પર ઘણા પરિબળો અસર કરે છે.  તેમાં એ પરિબળોનો સમાવેશ થાય છે, જે ચેપ લાગેલા વ્યક્તિની સામાન્ય પ્રતિકાર ગતિવિધિની જેમ એચઆઇવી સામે રક્ષણ કરવાની શરીરની ક્ષમતા પર આ પરિબળો અસર કરે છે. મોટી વયની વ્યક્તિ નબળી પ્રતિકાર વ્યવસ્થા ધરાવે છે અને તેથી નાની વયની વ્યક્તિઓની તુલનામાં તેમનામાં ઝડપથી રોગ પ્રસરવાનું મોટુ જોખમ રહેલું છે. 

નબળી આરોગ્ય સંભાળ  () અને પ્રવર્તમાન ચેપ જેમ કે ફેફસાનો ક્ષયરોગ ()  પણ રોગના ઝડપથી વિકાસ .અંગે લોકોમાં સંશય પેદા કરે છે. ચેપ લાગેલી વ્યક્તિનો જિનેટિક વારસો  () અગત્યનો ભાગ ભજવે છે અને કેટલીક વ્યક્તિઓ એચઆઇવીના ચોક્કસ સ્તર સુધી પ્રતિકાર શક્તિ  ()ધરાવતી હોય છે. આ પ્રકારની વ્યક્તિઓનું ઉદાહરણ હોમોઝીગૌસ  () સીસીઆર-Δ32 ()છે, જેમાં એચઆઇવીના ચોક્કસ સ્તર સુધીના તણાવ () સાથે ચેપ સુધી પ્રતિકાર બદલાય છે. એચઆઇવી જિનેટિકલી બદલાતી હોય છે અને વિવિધ તણાવ પર અસ્તિત્વ ધરાવે છે, જેના કારણે ક્લિનીકલ રોગ વિકાસમાં પરિણમે છે. 

જે તે વ્યક્તિના અન્ય સાથેના ગુદા, જનન અથવા મૌખિક મ્યુકોસ મેમ્બ્રેન ()ના સેક્સ્યુઅલ ગુપ્તતા વચ્ચેના સંપર્ક વડે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન થાય છે.  અરક્ષિત સેક્સ્યુઅલ કાર્ય અરક્ષિત ઇન્સર્ટિવ સેક્સ્યુઅલ કાર્ય કરતા વધુ જોખમી છે અને અરક્ષિત પીડીવીહીન જનન એ યોનિમાર્ગ જનન અથવા મૌખિક સેક્સ કરતા એચઆઇવી થવાનું જોખમ મોટું છે. 

જોકે ઓરલ સેક્સ પણ સંપૂર્ણ રીતે સલામત નથી, કેમ કે એચઆઇવી ઇન્સર્ટિવ અને રિસીપ્ટીવ ઓરલ સેક્સ એમ બન્ને રીતે આવી શકે છે. સેક્સ્યુઅલ હૂમલા  ()છી એચઆઇવી થવાનો મોટો ભય રહે છે કેમ કે કોન્ડોમ્સનો ભાગ્યેજ ઉપયોગ થાય છે અને યોનિમાર્ગમાં સતત શારીરિક ઇજા થાય છે, જે એચઆઇવી આવવાનો માર્ગ મુક્ત કરે છે.  

અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડચેપ ()(એસટીઆઇ)એચઆઇવી થવાનું અને ચેપ લાગવાના જોખમમાં વધારો કરે છે, કારણ કે  સામાન્ય એપિથેલીઅલ ()માટે કારણભૂત બને છે જેમાં ગુદામાં ચાંદી ()અને અસંખ્ય એચઆઇવી સંવેદનશીલ અથવા એચઆઇવી ચેપી સેલ્સ દ્વારા એશન અને /અથવા માઇક્રોઅલ્સરેશન થાય છે તેમજ વીર્યમાં અને યોનિમાર્ગની અંદર (લીમ્ફોસાઇટ () અને માક્રોફેજ () થાય છે. પેટા સહારન આફ્રિકાયુરોપ () અને ઉત્તર અમેરિકા ()ના વ્યાપક રોગચાળા પરના અભ્યાસો એવું સુચન કરે છે કે ગુદાની ચાંદીઓ જેમ કે સિફીલીસ () અને/અથવા ચેનક્રોઇડ (),એચઆઇવીનો ચેપ લાગવાના જોખમમાં ચારગણો વધારો કરે છે. તેમાં એસટીઆઇથી નોંધપાત્ર છતા જોખમમાં ઓછો વધારો થાય છે જેમ કે ગોનોરેહ (), ચ્લમાયડીયા () અનેટ્રિચોમોનીયાસીસ (), જેમાંથી અંતે તો લીમ્ફોસાયટ્સ અને માફેક્રોજીસની પ્રવર્તમાન સંખ્યામાં વધારો થાય છે. 

એચઆઇવીનું ટ્રાન્સમિશન ઇન્ડેક્સ કેસ ()ના ચેપ અને ચેપ નહી લાગેલા ભાગીદારની શંકાશીલતા પર નિર્ભર કરે છે. માંદગીના સમય દરમિયાન ચેપની માત્રામાં વધઘટ થઇ શકે ચે અને વ્યક્તિગતોમાં સતત હોતો નથી.  નિદાન નહી થયેલા પ્લાઝ્મા વાયરલ લોડ  ()સેમિનલ લિક્વીડ અથવા ગુપ્ત ગુદામાં ઓછા વાયરલ લોડનો સંકેત આપતો નથી. 

જોકે રક્તમાં એચઆઇવીના સ્તરમાં દર 10 ગણો વધારો એચઆઇવી ટ્રાન્સમિશનના 81 ટકાના વિસ્તરિત દર સાથે સંકળાયેલો છે.   હોર્મોન (શરીરમાંથી ઝરતો કૃત્રિમ પદાર્થ)ફેરફાર, યોનિમાર્ગ માઇક્રોબાયલ ઇકોલોજી અને સાયકોલોજી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થયેલા રોગોની ઉપલબ્ધિને કારણે એચઆઇવી ચેપ બાબતે સ્ત્રીઓ વધુ સંશયાત્મક હોય છે. 

જે લોકો એક ઇન્દ્રિયમાં એચઆઇવીનો ચેપ ધરાવતા હોય તેમને છેલ્લે સુધી તેમના જીવન દરમિયાન અન્ય દ્વારા પણ ચેપ લાગી શકે છે, વધુમાં વીરુલન્ટ () ઇન્દ્રિય ચેપ એક જ વારમાં લાગે તે અશક્ય છે. ચેપનો ઊંચો દર લાંબા ગાળાના વારંવારના સેક્સ્યુઅલ સંબંધોની પદ્ધતિ સાથે સંકળાયેલો છે. તેના દ્વારા અસંખ્ય લોકોમાં વાયરસ ઝડપથી ફેલાય છે અને ત રીતે અન્ય લોકોને પણ ચેપ લાગે છે. શ્રેણીબંધ મોનોગામી અથવા અમુક સમયના આકસ્મિક ચેપની પદ્ધતિ ચેપના ઓછા દર સાથે સંકળાયેલી છે. 

આફ્રિકામાં એચઆઇવી હેટેરોસેક્સ્યુઅલ સેક્સ મારફતે પ્રસરે છે, પરંતુ અનય સ્થળે ઓછો પ્રસરે છે. શિસ્ટોસોમીયાસીસ  (), કે જે આફ્રિકાના ભાગમાં 50 ટકા સ્ત્રીઓને અસર કરે છે અને યોનિમાર્ગની રેખાઓને નુકસાન કરે છે તેવી  એક એવી શક્યતાનું સંશોધન થઇ રહ્યું છે.

  આ ટ્રાન્સમિશન માર્ગ ખાસ કરીને ઇન્ટ્રાવેનોસ દવા  () વપરાશકારો, હેમોફિલીયાક્સ ()અને રક્ત તબદિલી  ()ના પ્રાપ્તિકર્તા અને રક્ત પેદાશોને લાગેવળગે છે.  સિરીંજ ()ની વહેચણી અને પુનઃવપરાશ એચઆઇવી ચેપ વાળા રક્ત સાથે ચેપ લગાડે છે, જે એચઆઇવીના ચેપમાટે મોટું જોખમ દર્શાવે છે. 

ઉત્તર અમેરિકા  (), ચીન, અને પૂર્વ યુરોપ  ()માં સોંયની વહેંચણી એક તૃતીયાંશ નવા એચઆઇવી ચેપનું કારણ બને છે. એચઆઇવી ચેપવાળી વ્યક્તિમાં ઉપયોગમાં લેવાયેલી સોયના એક વાર ભોંકાવાથી એચઆઇવીનો ચેપ લાગવાનું જોખમ આશરે 150માંથી એકમાં રહેલું છે. ( ઉપરોક્ત કોષ્ટક જુઓ  ())પોસ્ટ એક્સપોઝર પ્રોફીલેક્સીસ  () સાથે એન્ટી એચઆઇવી દવા વધુ આ જોખમમાં ઘટાડો કરે છે. 

જે લોકો ટાટુ () અને છૂંદણા  ()કરે છે અને કરાવે છે તે માર્ગે પણ લોકોને અસર થાય છે. સનાતન અગમચેતીઓ  ()સતત રીતે પેટા સહારન આફ્રિકા અને એશિયાના મોટા ભાગમાં એમ બન્નેમાં સતત અનુસરવામાં આવતી નથી, કેમ કે બન્નેમાં જાણકારી અને અપૂરતી તાલીમનો અભાવ હોય છે. 

ડબ્લ્યુએચઓ ()ના અંદાજ અનુસાર પેટા સહારન આફ્રિકામાં તમામ એચઆઇવી ચેપ ધરાવનારાના આશરે 2.5 ટકા લોકોને બિનસલામત આરોગ્ય ઇન્જેક્શનો મારફતે ટ્રાન્સમિટ થયેલો હોય છે. આના કારણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ()એ વિશ્વના રાષ્ટ્રોને એવી વિનંતિ કરી છે કે તેઓ આરોગ્ય કામદારો દ્વારા ટ્રાન્સમિટ થતા એચઆઇવીને રોકવા અગમચેતી લે. 

રક્ત તબદિલી  () પ્રાપ્તિકર્તામાં એચઆઇવી ટ્રાન્સમિટ થવાનું  જોખમ વિકસિત દેશોમાં અત્યંત ઓછું છે જ્યાં સુધરેલી દાતા પસંદગી અને એચઆઇવી સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવે છે.જોકે ડબ્લ્યુએચઓ ()ના અનુસાર, વિશ્વની વસતી કે પ્રતિકાર કરવાન શક્તિ ધરાવતી નથી તેઓ સલામત રક્ત મેળવી શકતા નથી અને વૈશ્વિક એચઆઇવી ચેપના 5%થી 10% લોકો ચેપયુક્ત રક્ત તબદિલી અને રક્ત પેદાશો વાળા હોય છે. 

માતામાંથી બાળકમાં વાયરસનું ટ્રાન્સમિશન ગર્ભમાં  ()ગર્ભાવસ્થાના છેલ્લા સપ્તાહો અને બાળકજન્મ દરમિયાન થાય છે.  સારવારની ગેરહાજરીમાં ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક વચ્ચેનો ટ્રાન્સમિશન દર, શ્રમ અને ડિલીવરી 25 ટકા છે. 

આમ છતાં જ્યારે માતા એન્ટિરિટ્રોવાયરલ થેરાપી લે અને ઉદરના ભાગ ()માંથી જન્મ આપે ત્યારે ટ્રાન્સમિશનનો દર ફક્ત 1% છે.   જન્મ સમયે માતાના વાયરલ લોડ દ્વારા ચેપનું જોખમ રહેલું છે, જેમ વાયરલ લોડ ઊંચો હોય તેમ ઊંચુ જોખમ રહેલું છે. છાતીનું ધાવણ ()પણ ટ્રાન્સમિશનનું ચાર ટકા જોખમ વધારે છે.  

એચઆઇવી/એઇડ્ઝની આસપાસ અસંખ્ય ખોટા ખ્યાલો ઊભા થયા છે. તેમાં ત્રણ સામાન્ય ખ્યાલો એ છે કે એઇડ્ઝ માત્ર મળવાથી થાય છે, કુંવારીકા સાથે એઇડ્ઝનો ઉકેલ લાવશે અને એચઆઇવી ફક્ત હોમોસેક્સ્યુઅલ માણસોને અને ડ્રગ લેનારાઓને જ થાય છે. અન્ય એક ખોટો ખ્યાલ એ છે કે તેજસ્વી માણસો સાથે પીડાવીહીન જનન એઇડ્ઝના ચેપમાં પરિણમે છે અને હોમોસેક્સ્યુઅલીટી અને એચઆઇવીની શાળાઓમાં મુક્ત ચર્ચા હોમોસેક્સ્યુઅલીટી અને એઇડ્ઝના દરમાં વધારો કરશે. 

એઇડ્ઝની પેથોસાયકોલોજી ગૂચવણભરી છે, કેમ કે તેમાં તમામ લક્ષણો (). આવી જાય છે. અંતે તો એચઆઇવીને કારણે સીડી4 + ટી હેલ્પર લીમ્ફોસાયટસમાં ઘટાડો થઇને એઇડ્ઝ થાય છે. તેના કારણે પ્રતિકાર વ્યવસ્થામાં નરમાઇ આવે છે અને તકવાદી ચેપ  ()ને આમંત્રણ આપે છે. પ્રતિકાર પ્રતિભાવ માટે ટી લીમ્ફોસાયટ્સ આવશ્યક છે અને તેમના વિના શરીર ચેપ સામે લડી શકતું નથી અથવા કેન્સર સેલને મારી શકતું નથી. સીડી4+ ટી સેલ ઘટાડાની પદ્ધતિ એક્યુટ અને ક્રોનિક તબક્કાઓમાં અલગ પડે છે. 

એક્યુટ તબક્કા દરમિયાન એચઆઇવી દ્વારા ઉત્પન્ન કરાયેલા સેલ લીસીસ અને સાયટોટોક્સીક ટી સેલ્સ () દ્વારા ચેપી સેલને મારવા તે સીડી4+ટી સેલ ઘટાડાને જવાબદાર છે. જોકે તેના માટે એપોપ્ટોસીસ () પણ એક પરિબળ હોઇ શકે છે. ક્રોનિક તબક્કા દરમિયાન નવા ટી સેલ ઉત્પન્ન કરવાની પ્રતિકાર વ્યવસ્થાની ક્ષમતાનું ધીમ ધીમે  ક્ષીણ થવાની સાથે સામાન્ય પ્રતિકાર એક્ટીવેશનના પરિણામો સીડી4 CD4+ટી સેલ ક્રમાંકમાં જવાબદાર હોવાનું દેખાય છે. 

જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય તેના અમુક વર્ષો પછી પણ એઇડ્ઝના પ્રતિકાર ઉણપના લક્ષણો દેખા ન દે, તો મોટા ભાગના સીડી4+ટી સેલનું નુકસાન ચેપના પ્રથમ સપ્તાહો દરમિયાન જ ખાસ કરીને ઇનટેસ્ટીનલ મ્યુકોસામાં થાય છે, જે શરીરમાં મળી આવેલા મોટા ભાગના લીમ્ફોસાયટ્સ સંભાળ લે છે. પસંદગીયુક્ત મ્યુકોસલ સીડી4 +ટી સેલનું નુકસાન એ છે કે મોટા ભાગના મ્યુકોસલ સીડી4 +ટી સેલ્સ સીસીઆર5 કોરસેપ્ટર દર્શાવે છે, જ્યાં બ્લડસ્ટ્રીમમાં રહેલો સીડી4 +ટી સેલ્સનો નાનો ભાગ તે પ્રમાણે કરે છે.

એચઆઇવી સીડી4+ સેલ્સનો એક્યુટ ચેપ હોય ત્યારે મેળવે છે અને નાશ કરે છે.  સંજોગોવશાત્  તીવ્ર પ્રતિકાર પ્રતિભાવ ચેપને નિયંત્રિત કરે છે અને ક્લિનીકલી ગુપ્ત કેસ તરફ આગળ ધપે છે.   જોકે, મ્યુકોસલ ટિસ્યુસમાં સીડી4 +ટી સેલ્સ જીવ માટે જોખમને પ્રારંભમાં રોકતા હોવા છતા ચેપ દરમિયાન ઘટતા રહે છે. 

સતત એચઆઇવી નકલ સામાન્ય પ્રતિકાર એક્ટીવેશનમાં પરિણમે છે, જે ક્રોનિક તબક્કા દરમિયાન સતત રહે છે. પ્રતિકાર એક્ટીવેશન કે જે વધેલા પ્રતિકાર સેલ્સના એક્ટીવેશન અને પ્રોઇન્ફ્લેમેટરી સાયટોકીન્સ ()ના છૂટા થવાથી પ્રતિબિંબીત થાય છે, તે વિવિધ એચઆઇવી જેન પ્રોડક્ટોની ગતિવિધિ અને એચઆઇવી નકલની આગળ ધપી રહેલી પ્રક્રિયાને પ્રતિકાર પ્રતિભાવનું પરિણામ છે.  તેનુ અન્ય એક કારણ એ છે કે રોગ ના એક્યુટ તબક્કા દરમિયાન મ્યુકોસલ સીડી4 +ટી સેલ્સના ઘટાડાને કારણે મ્યુકોસલ બેરિયરની પ્રતિકાર દેખરેખ વ્યવસ્થા તૂટી જાય છે. 

તેના કારણે ગટ્સ નોર્મલ ફ્લોરાની માઇક્રોબાયલ કોમ્પોનન્ટની પ્રતિકાર વ્યવસ્થા પદ્ધતિસર રીતે ખુલ્લી પડી જાય છે, જે તંદુરસ્ત વ્યક્તિમાં મ્યુકોસલ પ્રતિકાર વ્યવસ્થાને તપાસ હેઠળ રાખવામાં આવે છે. ટી સેલ્સનું એક્ટીવેશન અને તેમાં અનેકગણો વધારો થવો તે પ્રતિકાર એક્ટીવેશનમાંથી પરિણમે છે અને તે એચઆઇવી ચેપ માટે નવો લક્ષ્યાંક પૂરો પાડે છે. જોકે,  રક્તમાં સીડી4 +ટી સેલના ફક્ત 0.01-0.10% ચેપી હોવાથી સીડી4 +ટીસેલ્સના દેખીતા ઘટાડા માટે એચઆઇવી દ્વારા સીધી રીતે મારવામાં આવે છે તે જ જવાબદાર નથી. 

સીડી4 +ટી સેલના નુકસાનનું મોટું કારણ તેમની એપોપ્ટોસીસની વધુ પડતી શંકાનું પરિણામ હોય તેમ જણાય છે. જ્યારે પ્રતિકાર વ્યવસ્થા ચાલુ રહે છે. જતા રહ્યા હોય તેવા ટી સેલને સ્થાને નવા ટી સેલ્સ થાયમુસ () દ્વારા સતત ઉત્પન્ન કરવામાં આવતા હોવાથી એચઆઇવી દ્વારા તેની થાયમોસાયટ્સ ()ના સીધા ચેપ મારફતે થાયમુસની પુનઃપેદા કરવાની ક્ષમતા ધીમે ધીમે નાશ પામતી જાય છે.  અમુકવખતે એઇડ્ઝમાં પરિણમતા જતા રહેલા પ્રતિકાર પ્રતિભાવને પૂરતા પ્રમાણમાં જાળવી રાખવા માટે સીડી4 +ટીસેલ્સના ઓછામાં ઓછા ક્રમાંકો જરૂરી છે.  

કોઇ પણ માર્ગે પ્રવેશતો વાયરસ () મુખ્યત્વે નીચેના સેલ્સ પર અસર કરે છે

વાયરસ ()ની સાયટોપેથિક અસર () છે પરંતુ, તે કેવી રીતે કરે છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. છતા, તે આ સેલ્સમાં લાંબા ગાળા સુધી બિનકાર્યરત રહી શકે છે. સીડી4 – જીપી 120ના મેળાપીપણાને કારણે અસર કાલ્પનિક છે.

વિગતો માટે, જુઓઃ

એચઆઇવીનો ચેપ લાગ્યો હોય તેવી જે તે વ્યક્તિમાં એઇડ્ઝનું નિદાન ચોક્કસ સંકેતો અથવા લક્ષણો પર આધારિત છે. 5, જૂન, 1981થી એપિડેમીયોલોજીકલ ()દેખરેખ જેમ કે બેન્ગુઇ વ્યાખ્યા  ()અને 1994 વિસ્તરિત વિશ્વ આરોગ્ય સંસ્થા એઇડ્ઝ કેસ વ્યાખ્યા  ()માટે વિવિધ વ્યાખ્યાઓ વિકસાવવામાં આવી છે. જોકે આ વ્યવસ્થાઓ માટે દર્દીઓના ક્લિનીકલ તબક્કાઓનો વિચાર કરવામાં આવ્યો ન હતો કેમ કે તે ક્યાં તો સંવેદનશીલ નથી, અથવા તો ચોક્કસ નથી.  વિકસતા દેશોમાં વિશ્વ આરોગ્ય સંસ્થા  ()ક્લિનીકલ અને લેબોરેટરી ડેટાનો ઉપયોગ કરીને એચઆઇવી ચેપ અને રોગ માટે વ્યવસ્થા તૈયાર કરે છે અને તે વિકસિત દેશોમાં ઉપયોગમાં લેવાય છે, રોગ નિયંત્રણ કેન્દ્ર  () (સીડીસી) વર્ગીકરણ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

એઇડ્ઝની બે વ્યાખ્યાઓ છે, બન્ને રોગ નિયંત્રણ અને અવરોધ કેન્દ્ર  () (સીડીસી) દ્વારા આપવામાં આવી છે.એઇડ્ઝની સાથે સંકળાયેલા રોગોનો ઉપયોગ કરીને એઇડ્ઝનો ઉલ્લેખ એ જૂની વ્યાખ્યા છે, ઉદા. તરીકે, લીમ્ફાડેનોપથી (), જે રોગ બાદ મૂળભૂત વાયરસના નામે ઓળખાતા એચઆઇવીની શોધ કરે છે. 1993માં જે લોકોમાં રક્તથી સીડી4 + ટી સેલ કાઉન્ટ એમએલદીઠ 200થી નીચે હોય અથવા તમામ લીમ્ફોસાયટ ().ના 14 ટકા હોય તેવા એચઆઇવી પોઝીટીવ લોકોને સમાવી લેવા માટે સીડીસીએ એઇડ્ઝની પોતાની વ્યાખ્યાને વિસ્તૃત બનાવી હતી. વિકસિત દેશો ()માં નવા એઇડ્ઝના કેસોમાથી મોટા ભાગના ક્યાંતો આ વ્યાખ્યાનો ઉપયોગ કરે છે અથવા સીડીસીની 1993ની પહેલાની વ્યાખ્યાનો ઉપયોગ કરે છે.  સીડી4 + ટી સેલ કાઉન્ટ રક્તના એમએલદીઠ 200થી ઉપર ગયા હોવા છતા અથવા અન્ય એઇડ્ઝની વ્યાખ્યાવાળી માંદગીનો ઉપચાર કરાયો હોવા છતાં સારવાર બાદ એઇડ્ઝનું નિદાન હજુ પણ ઉભુ જ છે. 

ઘણા લોકોને પોતે એચઆઇવીનો ચેપ ધરાવે છે તેની જાણ હોતી નથી. આફ્રિકામાં સેક્સ્યુઅલી સક્રિય 1% કરતા ઓછી શહેરી વસતીનું પરીક્ષણ કરાયું હતું અને આ પ્રમાણ ગ્રામિણ વસતીમાં નીચુ છે. વધુમાં, ફક્ત 0.5 ટકા જ ગર્ભવતી સ્ત્રીઓ શહેરી આરોગ્ય સવલતોની મૂલાકાત લે છે જેમને સલાહ અપાય છે, પરીક્ષણ કરાય છે અથવા તેમના પરીક્ષણ પરિણામો લે છે. ફરીથી, આ પ્રમાણ ગ્રામિણ આરોગ્ય સવલતોમાં નીચુ છે. તેથી, રક્ત દાતા  ()અને રક્ત પ્રોડક્ટો જે દવામાં વપરાય. છે અને મેડિકલ સંશોધનોનું એચઆઇવી માટે સ્ક્રીનીંગ થાય છે. 

એચઆઇવી પરીક્ષણો સામાન્ય રીતે રક્ત ધરાવતી નસોમાં હાથ ધરવામાં આવે છે.  અસંખ્ય લેબોરેટરીઓ ચતુર્થ પેઢી સ્ક્રીનીંગ પરીક્ષણો વાપરે છે, જે એન્ટી એચઆઇવી એન્ટીબોડી (આઇજીજી અને આઇજીએમ) અને એચઆઇવી પી24 એન્ટિજેન શોધી કાઢે છે.દર્દીમાં એચઆઇવી એન્ટીબોડી અથવા એન્ટિજેન  મળી આવવા તે અગાઉ નેગેટીવ તરીકે ઓળખાતું હતું, જે એચઆઇવી ચેપનો પૂરાવો છે. જેમનું પ્રથમ નિદર્શન એચઆઇવી ચેપનો સંકેત આપે છે તેણે પરિણામી ખાતરી કરવા માટે બીજા રક્ત નમૂના પર ફરીથી પરીક્ષણ કરાવવું પડશે.  

વિન્ડો પિરીયડ  () (પ્રાથમિક ચેપ અને શોધી કરી શકાય તેવા ચેપની સામેના એન્ટિબોડીઝના વિકાસ વચ્ચેનો ગાળો)અલગ પડી શકે છે કેમ કે તે સેરોકન્વર્ટ () અને પોઝીટીવ પરીક્ષણ માટે 3 અનેએનડેશ, 6અનેએનબીએસપી મહિનાઓ લઇ શકે છે.પોલીમિયર્સ (એન્ઝીમ)ચેઇન રિયેક્શનનો ઉપયોગ કરીને વાયરસ ગ્રહણ કરતા (પીસીઆર ()) વિન્ડો પિરીયડ દરમિયાન શક્ય છે અને પૂરાવાઓ સુચવે છે કે ફોર્થ જનરેશન ઇઆઇએ સ્ક્રીનીંગ પરીક્ષણનો ઉપયોગ કરતી વખતે ઘણીવાર વહેલાસર ચેપ શોધી શકાય છે. 

પીસીઆર દ્વારા મેળવવામાં આવેલા પોઝીટીવ પરિણામોને એન્ટીબોડી પરીક્ષણો દ્વારા સમર્થન અપાયું છે.
એચઆઇવી પોઝીટીવ માતામાંથી જન્મેલા નિયોનેટ્સ ()માં ચેપ માટે એચઆઇવી પરીક્ષણના નિયમિત ઉપયોગનો કોઇ મતલબ નથી, કેમ કે બાળકના રક્તમાં મેટરનલ થી લઇને એચઆઇવીની હાજરી હોય છે.એચઆઇવી ચેપ ફક્ત પીસીઆર દ્વારા નિદાન થઇ શકે છે, તેમજ બાળકના લીમ્ફોસાયટ ()માં એચઆઇવી પ્રો વાયરલ ડીએનએનું પરીક્ષણ કરવામાં આવે છે.

એચઆઇવીના ત્રણ મુખ્ય ટ્રાન્સમિશન માર્ગોમાં સેક્સ્યુઅલ સંપર્ક (), ચેપ લાગેલા શરીરના પ્રવાહી અથવા ટિસ્યુનો સ્પર્શ, અને માતા દ્વારા ગર્ભ () અથવા બાળકમાં પેરિનેટલ () ગાળા દરમિયાન. ચેપ લાગેલા વ્યક્તિના સલીવા (), આંસુ (),અને પેશાબ () પરંતુ આ તમામ ગુપ્તતા દ્વારા ચેપના કોઇ કેસ રેકોર્ડ નથી અને ચેપનું જોખમ અવગણવા લાયક છે. 

મોટાભાગના એચઆઇવી ચેપ બિનસલામત સેક્સ  ()ભાગીદારો વચ્ચે બેવડા સંબંધો, જેમાંના એકને એચઆઇવી હોય છે તેમના દ્વારા મેળવવામાં આવ્યા છે. વિશ્વભરમાં એચઆઇવી ચેપનો પ્રાથમિક મોડ વિરુદ્ધની જાતિ ધરાવતા સભ્યો વચ્ચેના સેક્સ્યુઅલ સંપર્ક દ્વારા છે. 

સેક્સ્યુઅલ ક્રિયા દરમિયાન ફક્ત પુરુષ કે સ્ત્રી કોન્ડોમ () એચઆઇવીના ચેપ અને અન્ય એસટીડીની તકોમાં ઘટાડો કરે છે અને ગર્ભવતી  ()થવાની તકોમાં પણ ઘટાડો કરે છે. 

આજ સુધીનો સૌથી શ્રેષ્ઠ પૂરાવો એ સુચવે છે કે ખાસ પ્રકારના કોન્ડોમનો ઉપયોગ હેટેરોસેક્સ્યુઅલ () એચઆઇવી ટ્રાન્સમિશનનું લાંબા ગાળે 80 ટકા જેટલું જોખમ ઘટાડે છે, જોકે દરેક પ્રસંગોએ જો કોન્ડોમ વાપરવામાં આવે તો તેના ફાયદાઓ દેખીતી રીતે જ ઊંચા રહેવાની ધારણા છે. 

પુરુષના લેટેક્સ () કોન્ડોમ, જો તેલ આધારિત લ્યુબ્રિકન્ટ વિના વાપરવામાં આવે તો તે એચઆઇવીના સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન અને અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ ઘટાડવા માટેની અત્યંત અસરકારક ઉપલબ્ધ ટેકનોલોજી છે. ઉત્પાદકો એવી ભલામણ કરે છે કે તેલ આધારિત લ્યુબ્રિક્ન્ટો જેવા કે પેટ્રોલિયમ જેલી  (), માખણ, અનેલાર્ડ ()ને લેટેક્સ કોન્ડોમ્સ સાથે વાપરવા ન જોઇએ, કારણ કે લેટેક્સ (), કોન્ડોમની બનાવટ પોરોસ ()નો અંત લાવે છે.  જો જરૂર લાગતી હોય તો, ઉત્પાદકો પાણી ()આધારિત લ્યુબ્રિકન્ટો વાપરવાની ભલામણ કરે છે.

તેલ આધારિત લ્યુબ્રિકન્ટસનો ઉપયોગ પોલીયુરેથીન () કોન્ડોમ્સ. સાથે થઇ શકે છે.

સ્ત્રીના કોન્ડોમ  ()પુરુષના કોનડોનમો વિકલ્પ છેઅને તે પોલીયુરેથેન ()માંથી બનાવવામાં આવે છે, જે તેલ આધારિત લ્યુબ્રિકન્ટની હાજરીમાં ઉપયોગ કરવાની છૂટ આપે છે.

તે પુરુષના કોન્ડોમની તુલનામાં મોટા હોય છે અને સખત રીંગ આકારમાં ખુલે તેવા હોય છે અને તેને યોનિમાર્ગમાં દાખલ કરી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે. 

સ્ત્રીના કોન્ડોમમાં આંતરિક રીંગનો સમાવેશ થાય છે, જે કોન્ડોમને અંદરની બાજુએ વેજિનાઅને એનબીએસપી. અને એનડેશ: રાખે છે. સ્ત્રીના કોન્ડોમને અંદર નાખતા પહેલા રીંગને થોડી દબાવવી પડે છે. જોકે, હાલમાં સ્ત્રીના કોન્ડોમના ઉપલબ્ધિ ઘણી ઓછી છે અને તેનો ભાવ મોટા ભાગની સ્ત્રીઓને તેનાથી દૂર રાખે છે. 

પ્રાથમિક અભ્યાસ સુચવે છે કે, જ્યાં સ્ત્રીઓના કોન્ડોમ ઉપલબ્ધ છે, એકંદર રક્ષિત સેક્સ્યુઅલ ક્રિયા બિન સલામત સેક્સ્યુઅલ ક્રિયાની તુલનામાં વધુ હોય છે, જે તેમને અગત્યની અવરોધાત્મક વ્યૂહરચના બનાવે છે.

જ્યાં એક ભાગીદાર ચેપ ધરાવતો હોય તેવા દંપતિ પરના અભ્યાસો સુચવે છે કે કોન્ડોમના સતત વપરાશથી, ચેપ નહી લાગેલા ભાગીદારને એચઆઇવી ચેપનો દર વાર્ષિક 1%થી નીચે છે. અવરોધાત્મક વ્યૂહરચનાઓ વિકસિત દેશોમા અત્યંત જાણીતી છે, પરંતુ યુરોપ અને ઉત્તર અમેરિકામાં હાથ ધરાયેલા વ્યાપક રોગચાળાગ્રસ્ત અને વર્તણૂંક અભ્યાસો સુચવે છે કે યુવાન વ્યક્તિઓની નોંધપાત્ર લઘુમતી એચઆઇવી/એઇડ્ઝની જાણકારી હોવા છતાં ઊંચા જોખમવાળા વ્યવહારો ધરાવે છે, તેઓ એચઆઇવીનો ચેપ લાગવાના પોતાના જોખમને અવગણે છે. 

નિદર્શિત અંકુશિત અજમાયશે ()બતાવ્યું છે કે પુરુષ સુન્નત ()હેટેરોસેક્સ્યુઅલ વ્યક્તિઓમાં એચઆઇવીના ચેપનું જોખમ 60 ટકા સુધી ઘટાડે છે. 
એવી ધારણા રખાય છે કે આ પ્રક્રિયાને એચઆઇવીનો ચેપ ધરાવતા અસંખ્ય દેશોમાં સક્રિય રીતે આગળ વધારવામાં આવશે, જોકે આવું કરવાથી અસંખ્ય વ્વયહારુ, સાંસ્કૃતિક અને વર્તનને લગતા મુદ્દાઓનો સમાવેશ થશે.

કેટલાક નિષ્ણાતો એવો ભય સેવે છે કે સુન્નત કરાવેલા પુરુષોમાં નુકસાન થવાની નીચી ગણના વધુને વધુ સેક્સ્યુઅલ જોખમ લેવાની વર્તણૂંકમાં પરિણમી શકે છે, અને તેથી તેની અવરોધાત્મક અસરનું ખંડન કરે છે.જોકે એક નિદર્શિત અંકુશિત અજમાયશ એવો સંકેત આપે છે કે પુખ્ત પુરુષની સુન્નત વિસ્તરિત એચઆઇવી જોખમ વર્તણૂંક સાથે સંકળાયેલી ન હતી.

આરોગ્ય સંભાળ ક્ષેત્રેના કામદારો ચેપી રક્તના નુકસાનના જોખમને ઘટાડવા માટે અગમચેતી વાપરીને એચઆઇવી થવાનું જોખમ ઘટાડી શકે છે.  આ પ્રકારની અગમચેતીઓમાં વિવિધ ચીજો જેમ કે હાથના મોજા, માસ્ક, રક્ષણાત્મક આઇવેર અથવા શિલ્ડ અને ગાઉન્સ અથવા એપ્રોનનો સમાવેશ થાય છે, જે ચામડી પર થતા નુકસાન અથવા રક્ત દ્વારા ઉત્પન્ન કરાયેલા પેથોજેન્સમાં મ્યુકોસ મેમ્બ્રેનને રોકે છે. રક્ત અથવા શરીરના અન્ય પ્રવાહી મારફતે ચેપ લાગ્યા બાદ તાત્કાલિક અને સતત ચામડીને સાફ કરવાથી ચેપની તકો ઘટી શકે છે. અંતે, અણીદાર પદાર્થો જેમ કે સોય, સ્કેપલ્સ અને કાચનો સંભાળપૂર્વક નિકાલ કરવાથી ચેપી ચીજો સાથે નેડલસ્ટિક ઇજાઓ રોકી શકાય છે.  વિકસિત દેશોમાં એચઆઇવ ટ્રાન્સમિશનમાં ઇન્ટ્રાવેનસ દવાનો ઉપયોગ અગત્યનું પરિબળ હોવાથી ઇજા ઘટાડાની () વ્યૂહરચનાઓ જેવી કે સોય આપ-લે કાર્યક્રમો  ()નો દવાના દુરુપયોગથી થતા ચેપને ઘટાડવા માટે ઉપયોગ થાય છે. 

પ્રવર્તમાન ભલામણો એ સુચવે છે કે જ્યારે રિપ્લેસમેન્ટ ફીડીંગ સ્વીકાર્ય, શક્ય, વ્યાજબી, કાયમી અને સલામત છે તો તેવા કિસ્સામાં ચેપી માતાઓએ પોતાના બાળકને પોતાની છાતીના ધાવણથી દૂર રાખવું જોઇએ. જોકે, જો તેવુ હોય તો, જીવનના પ્રથમ મહિના દરમિયાન ફક્ત ધાતીનું ધાવણ આપવાની ભલામણ કરવામાં આવી છે અને શક્ય હોય ત્યાં સુધીમાં બંધ કરી દેવું જોઇએ.
એ યાદ રાખવું જોઇએ કે સ્ત્રી પોતાના નહી તેવા અન્ય બાળકોને છાતીનું ધાવણ કરાવી શકે છે;જુઓ વેટનર્સ ()

હાલમાં એવી કોઇ રસી () અથવા ઉપચાર એચઆઇવી () અથવા એઇડ્ઝનો નથી. રોકવા માટેની જાણીતી પદ્ધતિ વાયરસની જાણકારીને દૂર રાખવાની છે અથવા, જો તેમાં નિષ્ફળ જઇએ તો નુકસાન બાદનું પ્રોફીલેક્સીસ () (પીઇપી) તરીકે કહેવાતી ભારે નોંધપાત્ર નુકસાન બાદ. પીઇપીમાં ડોઝનો ચાર સપ્તાહનો ગાળો છે.  તેમાં આનંદ ન આપે તેવી આડઅસરો છે જેમાં ઝાડા (), બેચેની (), ચક્રકર ()અને થકાવટ ()નો સમાવેશ થાય છે.

એચઆઈવીની પ્રવર્તમાન સારવારમાં અત્યંત સક્રિય એન્ટિરેટ્રોવાયરલ થેરાપી  (), અથવા એચએએઆરટી.સામેલ છે. જ્યારે બાધક આધારિત એચએએઆરટી પ્રારંભમાં ઉપલબ્ધ બની ત્યારે 1996માં તેની રજૂઆતથી ચેપી વ્યક્તિઓને ભારે ફાયદાકારક રહી છે. પ્રવર્તમાન ઓપ્ટીમલ એચએએઆરટી વિકલ્પમાં ઓછામાં ઓછી બે પ્રકારની દવાઓને કે અથવા એન્ટિરેટ્રોવાયરલ () એજન્ટસના “વર્ગો” સમાવતા મિશ્રણ (અથવા “કોકટેઇલ્સ”નો સમાવેશ થાય છે. 
ખાસ પ્રકારના વૈદ્યકીય ઉપચારમાં બે ન્યુક્લિયોસાઇડ એનાલોગ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટસ બાધક () (એએઆરટીઆઇ અથવા એનઆરટીઆઇ) વત્તા ક્યાં તો પ્રોટીઝ બાધક () અથવા નોન ન્યુક્લિયોસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટસ બાધક () (એનએનઆરટીઆઇ)નો સમાવેશ થાય છે. બાળકોમાં એચઆઇવી રોગનનો વિકાસ પુખ્ત વયનાઓ કરતા વધુ ઝડપી હોવાથી અને લેબોરેટરી પરિબળો ખાસ કરીને નાના શિશુમાં  રોગના વિકાસ માટેના જોખમ અંગે ઓછી આગાહી કરતા હોવાથી, પુખ્ત વયનાઓની તુલનામાં બાળકો માટે સારવાર ભલામણ વધુ આક્રમક છે.  વિકસિત દેશોમાં જ્યાં એચએએઆરટી ઉપલબ્ધ છે, ત્યાં ડોકટરો વાયરલ લોડ ()નું મૂલ્યાંકન કરે છે, સીડી4માં ગતિમાં ઘટે છે અને ક્યારે સારવાર શરૂ કરવાની ભલામણ કરવી ત્યારે દર્દીઓ તૈયારી બતાવે છે.

એચએએઆરટીના સમાન લક્ષ્યાંકોમાં દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો, ગૂંચવણોમાં ઘટાડો, અને શોધી કઢાયેલી મર્યાદા હેઠળ એચઆઇવી વિરેમીયામાં ઘટાડાનો સમાવેશ થાય છે, પરંતુ તેનાથી એચઆઇવીના દર્દીનો ઉપચાર થતો નથી કે તેને પુનઃઆવતો રોકી શકાતો નથી, એક વખત સારવાર અટકાવી દેવામાં આવે ત્યારે એચઆઇવીના ઊંચા રક્ત સ્તરો ઘણીવાર એચએએઆરટી પ્રતિકાર બની જાય છે. 
વધુમાં એચએએઆરટીના ઉપયોગ વડે જે તે વ્યક્તિમાં એચઆઇવી નીકળી જાય તેમાં કદાચ તેના આયુષ્યથી પણ વધુ સમય લાગી શકે છે.  તેમ છતાં એચઆઇવીનો ચેપ ધરાવતા વ્યક્તિગતોએ તેમની એકંદર તદુરસ્તી અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો અનુભવ્યો છે, જે એચઆઇવી સાથે સંલગ્ન રોગિષ્ઠ મનોવૃત્તિ અને મૃત્યુદરના ઘટાડામાં પરિણમ્યો છે. એચએએઆરટીની ગેરહાજરીમાં એચઆઇવીમાંથી એઇડ્ઝ ચેપમાં વિકાસ મધ્યમ વયે ()એટલે કે નવથી દશ વર્ષની ઉંમરમાં થાય છે અને એઇડ્ઝના વિકાસ બાદ મધ્યમ ગાળાના અસ્તિત્વનો સમય ફક્ત 9.2 અને એનબીએસપી: મહિનાઓનો છે.એચએએઆરટી એ 4 અને 12 અને એનબીએસપી: વર્ષોની વચ્ચેનો અસ્તિત્વ સમય વધારવાનો વિચાર છે. 

કેટલાક દર્દીઓ, કે જે કુલ દર્દીઓના પચાસ ટકા હોય તેમના માટે એચએએઆરટી મેડિકેશન ઇનટોલરન્સ આડઅસરો, બિન અસરકારક એન્ટિરેટ્રોવાયરલ અગાઉથી થેરાપી અને એચઆઇવીની ડ્રગ પ્રતિકાર શક્તિ સાથેના ચેપને કારણે મહત્તમ પરિણામ કરતા ઓછું પરિણામ હાંસલ કરે છે. આ થેરાપીને વળગી નહી રહેવાના અને અસતત રાખવાના એ કારણો છે કે કેટલાક લોકોને એચએએઆરટીથી ફાયદો થયો નથી. વળગી નહી રહેવાના અને અસતત રાખવાના કારણો અલગગ પડી શકે છે.
મોટા ભાગના સાયકોસોશિયલ મુદ્દાઓમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રનો ઓછો લાભ ઉઠાવવો, અપૂરતી સામાજિક સવલતો, મનોવૈ જ્ઞાનિક રોગ અને દવાના દુરુપયોગનો સમાવેશ થાય છે. એચએએઆરટી ઉપચાર પણ જટિલ બની શકે છે અને તેથી તેને અનુસરવો મુશ્કેલ છે, કેમ કે અસંખ્ય દવાઓ સતત લેવાતી હોય છે. આડઅસરો પણ લોકોને એચએએઆરટીથી દૂર લઇ જાય છે, તેમાં લિપોડિસ્ટ્રોફી (), ડાયસ્લિપિડેમીયા (), ઝાડા (), ઇન્સ્યુલીન પ્રતિકાર ()નો સમાવેશ થાય છે, કાર્ડિયોવાસ્ક્યુલર () જોખમો અને જન્મજાત ઉણપ  ()માં વધારો થાય છે. એન્ટિરેટ્રોવાયરલ દવાઓ ખર્ચાળ છે, અને વિશ્વના મોટા ભાગના ચેપ લાગેલા લોકો ઉપચાર અથવા એચઆઇવી અને એઇડ્ઝની સારવાર કરાવી શકતા નથી. 

એવું કહેવાય છે કે ફક્ત રસી જ દેશવ્યાપી રોગચાળો અટકાવી શકે છે કેમ કે રસીનો શક્યતઃ ખર્ચ ઓછો આવશે, તેથી વિકસતા દેશો માટે પોસાય તેવી બનશે, અને તેમાં દૈનિક સારવારની જરૂરિયાત રહેશે નહી. જોકે, સંશોધનના આશરે 30 અને એનબીએસપી વર્ષો પછી પણ, એચઆઇવી રસી માટે મુશ્કેલ લક્ષ્યાંક રહ્યું છે.  

પ્રવર્તમાન સારવારમાં સુધારો લાવવાના સંશોધનમાં પ્રવર્તમાન દવાઓની આડઅસરો ઘટાડવી, દવાને વળગી રહેવામાં સુધારો કરવા માટે દવા ઉપચારને વધુ સરળ બનાવવો,અને ડ્રગ પ્રતિકાર જાળવી રાખવા માટે ઉપચારની શ્રેષ્ઠ શ્રેણી તૈયાર કરવાનો સમાવેશ થાય છે.  અસંખ્ય અભ્યાસો દર્શાવે છે કે એચઆઇવી ચેપ અથવા એઇડ્ઝ ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે તકવાદી ચેપને રોકવાના પગલાંઓ ફાયદાકારક બની શકે છે. હિપેટાઇટીસ ()ની વિરુદ્ધમાં રસીકરણ () જે દર્દીઓને આ વાયરસનો ચેપ નથી લાગ્યો અને જેમને ચેપ લાગવાનો ભય છે તેમના માટે એ અને બીને સલાહ આપવામાં આવી છે.ભારે રસીઓનું દબાણ અનુભવતા દર્દીઓને પણ ન્યૂમોસિસ્ટિસ જિરોવેસી ન્યૂમોનિયા () (પીસીપી) માટે પ્રોફીલેક્ટીક થેરાપી મેળવવાની સલાહ આપવામાં આવે છે અને અસંખ્ય દર્દીઓને પણ ટોક્સોપ્લાઝ્મોસીસ () અને ક્રિપ્ટોકોક્કસ () મેનિનજાઇટીસ () માટે પ્રોફીલેક્ટીક થેરાપીથી ફાયદો થઇ શકે છે.

સંશોધકોએ એબ્ઝીમ ()શોધી છે, જે પ્રોટીન જીપી 120 () સીડી4 બાઇન્ડીંગ સાઇટનો નાશ કરી શકે છે. 
આ પ્રોટીન દરેક પ્રકારના એચઆઇવી માટે સામાન્ય છે કેમ કે તે બી લીમ્ફોસાયટ્સ () અને પ્રતિકાર વ્યવસ્થાના પરિણમતા સમાધાન માટેનો જોડાણ પોઇન્ટ છે.   

બર્લિન (), જર્મની (),માં 42 વર્ષના લ્યૂકેમીયા () દર્દીને એક દાયકાથી પણ એચઆઇવીનો ચેપ લાગ્યો હતો અને તેની પર સેલ્સ સાથે અજમાયશીબોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ()  કરવામાં આવી રહી હતી, જેમાં અસામાન્ય કુદરતી વિવિધ સીસીઆર5 () સેલ સરફેસ રિસેપ્ટરનો સમાવેશ થતો હતો.    આ સીસીઆર5- Δ 32 () પ્રકારે એચઆઇવીના કેટલાક દબાણ સામે જે લોકો અમુક સેલ સાથે જન્મ્યા હોય તેમની પાસેથી કેટલાક સેલ બનાવવાનું બતાવ્યું હતું.. ટ્રાન્સપ્લાન્ટના આશરે બે વર્ષ બાદ અને દર્દીએ એન્ટિરેટ્રોવાયરલ દવા લેવાનુ બંધ કર્યા બાદ પણ દર્દીના રક્તમાં એચઆઇવી મળી આવ્યો ન હતો. 

વૈકલ્પિક દવાઓ ()ના વિવિધ સ્વરૂપોનો લક્ષણો અથવા રોગનો કોર્સ બદલવ માટે ઉપયોગ કરાયો છે. 
એક્યુપંક્ચર ()નો ઉપયોગ કેટલાંક લક્ષણો જેમ કે પેરિફેરલ ન્યુરોપથીને ડામી દેવા માટે કરાયો છે, પરંતુ તે એચઆઇવી ચેપનો ઉપચાર કરી શકતું નથી. વિવિધ નિદર્શિત ક્લિનીકલ ટ્રાયલો હર્બલ દવાઓનું પરીક્ષણ કરી રહી છે જે દર્શાવે છે કે રોગના વિકાસ પર આ હર્બસની કોઇ અસર થઇ નથી, પરંતુ તે કદાચ આડઅસર ઉત્પન્ન કરી શકે છે. 

કેટલાક ડેટા એવું દર્શાવે છે કે મલ્ટીવિટામીન () અને ખનિજ સપ્લીમેન્ટસ પુખ્ત વ્યક્તિઓમાં એચઆઇવી રોગના વિકાસમાં ઘટાડો કરી શકે છે, જોકે તે સારા પૌષ્ટિક દરજ્જા સાથે લોકોમાં મૃત્યુદર ઘટાડી શકે છે કે કેમ તેના કોઇ આખરી પૂરાવાઓ નથી. . વિટામીનએ  () સપ્લીમેન્ટેશન જો બાળકોમાં હોય તો તેનો શક્યતઃકેટલોક ફાયદો છે.  સેલેનિયમ ()ના દૈનિક ડોઝ સીડી4 કાઉન્ટમાં સુધારાની સાથે એચઆઇવી વાયરલ બોજ ઘટાડી શકે છે.  સેલેનિયમનો ઉપયોગ સ્ટાન્ડર્ડ એન્ટિવાયરલ સારવારોમાં સંલગ્ન થેરાપી તરીકે ઉપયોગ થઇ શકે છે, પરંતુ તે મૃત્યુદર અને રોગિષ્ઠતામાં ઘટાડો કરી શકે નહી. 

પ્રવર્તમાન અભ્યાસો દર્શાવે છે કે વેકલ્પિક દવા થેરાપી મૃત્યુદર અને રોગની રોગિષ્ઠતા પર ઓછી અસર ધરાવે છે, પરંતુ જો કોઇ વ્યક્તિને એઇડ્ઝ થયો હોય તો તેના જીવનની ગુણવત્તામાં સુધારો લાવી શકે છે. આ થેરાપીઓનો મનોવૈજ્ઞાનિક ઉપયોગ અત્યંત અગત્યનો ઉપયોગ છે. 

અભ્યાસ અનુસાર, સારવાર વિના એચઆઇવીના ચેપ બાદ ચોખ્ખું કેન્દ્રિય અસ્તિત્વ સમય  9થી 11 વર્ષનો હોવાનું મનાય છે, એચઆઇવીના પેટાપ્રકાર,  પર નિર્ભર રહેતા, અને જ્યાં સારવાર ઉપલબ્ધ નથી તદેવા મર્યાદિત સ્ત્રોત સેટ્ટીંગમાં એઇડ્ઝનું નિદાન થયા બાદ કેન્દ્રિય અસ્તિત્વ દર 6થી 19 મહિનાઓ વચ્ચેનો મનાય છે.  એવા વિસ્તારો કે જેમાં તે બહોળી રીતે ઉપલબ્ધ છે, ત્યાં એચએએઆરટી () નો એચઆઇવી ચેપ અને એઇડ્ઝ માટે અસરકારક થેરાપી તરીકેનો વિકાસ આ રોગથી થથા મૃ્ત્યુદરમાં 80 ટકાનો ઘટાડો કરે છે, અને તદ્દન નવું જ નિદાન થયું હોય કેવા એચઆઇવી ચેપ વાળી વ્યક્તિ માટે આશરે 20 વર્ષ સુધીના જીવનનો આશાવાદ વધારે છે.

નવી સારવારોનો સતત વિકાસ થતો જાય છે અને એચઆઇવી સતત વિકસતો () હોવાથી તેની સારવારની પ્રતિકારમાં અસ્તિત્વના સમયગાળામાં સતત ફેરફાર થવાની શક્યતાનો અંદાજ છે.  એન્ટિરેટ્રોવાયરલ થેરાપી વિના, એક વર્ષમાં જ મૃત્યુ થાય છે.   મોટા ભાગના દર્દીઓ તકવાદી ચેપથી અથવા મલીગનેન્સીસ () થી મૃત્યુ પામે છે, જે પ્રતિકાર વ્યવસ્થાની પ્રગતિકારક નિષ્ફળતા સાથે સંલગ્ન છે.લોકોની વચ્ચે ક્લિનીકલ રોગ વિકાસનો દર અલગ અલગ છે અને તેની પર ઘણા પરિબળો જેમ કે અસંખ્ય લાગણીઓ અને પ્રતિકાર ગતિવિધિ આરોગ્ય સંભાળ અને એકબીજા સાથે જોડાયેલા ચેપ, તેમજ કોઇ ચોક્કસ પ્રકારનો વાયરસ તેમાં સામેલ હોય તો તેની ની અસર થાય છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

 

એઇડ્ઝનો રોગચાળાને અલગ અલગ પેટાપ્રકારના વિવિધ ચેપી રોગ તરીકે પણ જોઇ શકાય; તેના ફેલાવા પાછળ મોટું પરિબળ માતાથી બાળક તરફ અને ધાવણ દ્વારા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન અને વર્ટિકલ ટ્રાન્સમિશન છે.  એઇડ્ઝનો રોગચાળાને અલગ અલગ પેટાપ્રકારના વિવિધ ચેપી રોગ તરીકે પણ જોઇ શકાય; તેના ફેલાવા પાછળ મોટું પરિબળ માતાથી બાળક તરફ અને ધાવણ દ્વારા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન અને વર્ટિકલ ટ્રાન્સમિશન છે. 
વૈશ્વિક સ્તરે, 2007માં એચઆઇવી સાથે અંદાજિત 33.2 અને એનબીએસપી;મિલીયન લોકો જીવતા હતા, જેમાં 2.5 અને એનબીએસપી;મિલીયન બાળકોનો સમાવેશ થાય છે. 2007માં અંદાજિત 2.5 મિલીયન (રેન્જ 1.8-4.1 અને એનબીએસપી;મિલીયન)લોકોને નવો ચેપ લાગ્યો હતો, જેમાં 420,000 બાળકોનો સમાવેશ થાય છે.

પેટા સહારન આફ્રિકા ()ભારે ચેપ લાગેલા પ્રદેશથી દૂર છે. 2007માં અંદાજિત 68% ટકા લોકો એઇડ્ઝ સાથે જીવતા હતા અને 76% લોકોના એઇડ્ઝના કારણે મોત થયા હતા. નવા ચેપ સાથે 1.7 અને એનબીએસપી; મિલીયન એચઆઇવી સાથે જીવતા લોકોની સંખ્યા 22.5 અને એનબીએસપી; મિલીયન થઇ  હતી અને 11.4 અને એનબીએસપી;મિલીયન એઇડ્ઝથી પીડાતા અનાથો આ પ્રદેશમાં હતા.  અન્ય પ્રદેશોની તુલનામાં મોટા ભાગના લોકો 2007માં પેટા સહારન પ્રદેશમાં જીવતા હતા, જેમાં  61% જેટલી સ્ત્રીઓ હતી. પુખ્ત વયની વ્યક્તિઓમાં 2007માં અસ્તિત્વ () 5.0%નું હોવાનો અંદાજ છે અને આ પ્રદેશમાં થયેલા મૃત્યુ પાછળ એઇડ્ઝ જ સૌથી મોટું કારણ રહ્યું હતું. દક્ષિણ આફ્રિકા  () વિશ્વમાં સૌથી વધુ એચઆઇવીની વસ્તી ધરાવે છે, અને ત્યાર બાદ નાઇજિરીયા ()અને ભારતનો ક્રમ આવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા  ()2007માં બીજા ક્રમના સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશો હતા, જેમાં 18 ટકા જેટલા લોકો એઇડ્ઝ સાથે જીવતા હોવાનો અને એઇડ્ઝને કારણે 300,000 લોકોનો મૃત્યુ થયા હોવાનો અંદાજ છે. ભારતમાં અંદાજિત 2.5 અને એનબીએસપી;મિલીયન ચેપ હોવાનો અને પુખ્ય વયના લોકોમાં 0.36 ટકાનું અસ્તિત્વ હોવાનો અંદાજ છે. આયુષ્ય ધારણા () સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં નાટ્યાત્મક રીતે ઘટી છે; ઉદા. તરીકે 2006માં બોટ્સવાના ()માં 65થી ઘટીને 35 વર્ષ સુધીની થઇ હોવાનો અંદાજ છે.

જ્યારે યુ.એસ. ()મળી આવ્યું ત્યારે 5 જૂન, 1981માં સૌપ્રથમ વાર એઇડ્ઝ નોંધાયો હતો.પ્રારંભમાં રોગ નિયંત્રણ અને અવરોધક કેન્દ્ર  () (સીડીસી)પાસે આ રોગનું કોઇ સત્તાવાર નામ ન હતું, તેમજ ઘણી વાર તેની સાથે સંકળાયેલા રોગના લક્ષણો અનુસાર ઉલ્લેખ થતો હતો, ઉદા. તરીકે, લીમ્ફાડેનોપથી (), રોગ કે જેને એચઆઇવીની શોધ કરનારાઓએ તેને વાયરસનું નામ આપ્યું હતું. તેઓએ કાપોસીના કેન્સર અને તકવાદી ચેપનો ઉપયોગ કર્યો હતો, તે નામથી 1981માં ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. બહોળી રીતે ગ્રીડ શબ્દનો અર્થ થાય છે ગે રિલેટેડ ઇમ્યુન ડેફિશિયન્સી (), તેને સ્વીકારવામાં આવી હતી.  સીડીસી નામની શોધમાં અને ચેપ લાગેલા સમુદાય તરફ દ્રષ્ટિપાત કરતા “4 એચ રોગો” ઓળખી કાઢ્યા છે, જેમાં હૈતી (), હોમોસેક્સ્યુઅલ (), હેમોફિલીયાક્સ () અને હેરોઇન  ()યૂઝર્સનો સમાવેશ થાય છે. જોકે, એઇડ્ઝ હોમોસેક્સ્યુઅલ () કોમ્યુનિટી,  સુધી જ મર્યાદિત નથી તેવું પ્રસ્થાપિત થયા બાદ પરિભાષા ગ્રીડ ગેરમાર્ગે દોરતો શબ્દ સાબિત થયો હતો અન જુલાઇ 1982માં યોજાયેલી એક બેઠકમાં એઇડ્ઝને રજૂ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 1982 સુધીમાં સીડીસીએ એઇડ્ઝ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું અને તે માંદગીને  યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી હતી.

વધુ વિવાદાસ્પદ થિયરી કે જે ઓપીવી એઇડ્ઝ અટકળ () ના નામે જાણીતી છે, તે સુચવે છે કે એઇડ્ઝ રોગચાળો આશરે 1950ના અંતમાં બેલ્જીયન કોન્ગો ()માં હિલેરી કોપ્રોવ્સ્કી ()ના પોલીયોમેલિટીઝ () રસી ()માં સંશોધન દ્વારા શરૂ થયો હતો.
વૈજ્ઞાનિક સ્વીકૃત્તિ  ()અનુસાર, આ સ્થિતિને ઉપલબ્ધ પૂરાવાઓનો ટેકો નથી. 

તાજેતરના અભ્યાસો સુચવે છે કે એચઆઇવી સંભવતઃ આફ્રિકાથી () ખસીને રૈતી ()સુધી અને ત્યાર બાદ અમેરિકામાં 1969ની આસપાસ પ્રવેશ્યો હોવો જોઇએ. 

એઇડ્ઝનું કલંક વિશ્વભરમાં રહેલું વિવિધ રીતે રહેલું છે, જેમાં સમાજ બહિષ્કાર (), અસ્વીકાર (), ભેદભાવ ()અને એચઆઇવીનો ચેપ લાગેલી વ્યક્તિનો બહિષ્કાર; પૂર્વ સંમતિ () વિના એચઆઇવીનું પરીક્ષણ અથવા ગુપ્તતા ()નુ રક્ષણ; એચઆઇવીનો ચેપ લાગેલી વ્યક્તિ સામે તોફાન; અને એચઆઇવી વાળી વ્યક્તિનો ક્વોરન્ટાઇન ().કલંક સાથે સંકળાયેલા તોફાન અથવા તોફાનનો ભય ઘણા લોકોને એચઆઇવીનું પરીક્ષણ કરાવતા, પોતાના પરિણામ માટે પાછા વળતા, અથવા સારવાર લેતા રોકે છે, પરિણામે લાંબી માંદગી મૃત્યુમાં પરિણમે છે અને એચઆઇવીનો સતત ફેલાવો થાય છે. 

એઇડ્ઝના કલંકને વધુમાં નીચે જણાવેલી ત્રણ કક્ષામાં વહેંચવામાં આવ્યું છે.

ઘણીવાર, એઇડ્ઝનું કલંક એક અથવા વધુ અન્ય કલંકો સાથે દર્શાવવામાં આવતું હોય છે, ખાસ કરીને જે લોકો હોમોસેક્સ્યુઅલીટી (), બાઇસેક્સ્યુઅલીટી (), સંમિશ્ર (), વેશ્યાગારી (),અને ઇન્ટ્રાવેનોસ ડ્રગ વપરાશવાળા હોય છે. ().

અસંખ્ય વિકસિત દેશો  ()માં, એઇડ્ઝ અને હોમોસેક્સ્યુઅલીટી અથવા બાઇસેક્સ્યુલીટી વચ્ચે જોડાણ હોય છે અને આ જોડાણ સેક્સ્યુઅલ પ્રત્યેની ધૃણા જેમ કે એન્ટી હોમોસેક્સ્યુઅલ () વર્તણૂંક સાથે ઊંચા પ્રમાણમાં સહસંબંધ ધરાવે છે. તદુપરાંત બિનચેપી પુરુષો વચ્ચેના સેક્સ સહિત એઇડ્ઝ અને દરેક પુરુષો વચ્ચે જોડાણ-પુરુષ સેક્સ્યુઅલ વર્તણૂંક જોવામાં આવી છે. 

એચઆઇવી અને એઇડ્ઝ આર્થિક વૃદ્ધિ  ()ને માનવ ધન ()ની ઉપલબ્ધિ ઘટાડીને અસર કરે છે.  
વિકસિત દેશોમાં આરોગ્ય સંભાળ અને દવાઓ ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય ન્યૂટ્રીશન () વિના મોટી સંખ્યામાં લોકો એઇડ્ઝના શિકાર બને છે. તેઓ ફક્ત કામ જ નહી કરી શકે એટલું જ નહી, તેમને નોંધપાત્ર તબીબી સંભાળની પણ જરૂર પડશે. એવી આગાહી છે કે આ બાબત નોંધપાત્ર વસતી ધરાવતા દેશોમાં અર્થતંત્ર અને સમાજના ભંગાણનું શક્યતઃ કારણ બનશે. ભારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાએ ઘણા અનાથો ()ને તેમનાથી મોટા દાદાદાદી ()ની સંભાળથી દૂર કરી દીધા છે.  

આ પ્રદેશમાં વધેલો મૃત્યુદર નાની કુશળ વસતી () અને શ્રમ દળ ()માં પરિણમશે. આ નાનું શ્રમ દળ () મોટે ભાગે યુવાન વ્યક્તિઓ સમાવતું હશે, ઓછી જાણકારી અને કામના અનુભવ () સાથે ઓછી ઉત્પાદકતામાં પરિણમશે. પરિવારના માંદા સભ્યોની સંભાળ રાખવા માટે કામદારોની છૂટીમાં વધારો અથવા માંદગીની રજા ()ને કારણે નીચી ઉત્પાદકતા પ્રાપ્ત થશે. વધેલો મૃત્યુદર આવક નુકસાન () અને માબાપના મૃત્યુને કારણે માનવધન પેદા કરતી પદ્ધતિને અને લોકોમાં રોકાણ ()ને નબળી બનાવશે. ખાસ કરીને યુવાનોને મારી નાખવાથી એઇડ્ઝ ગંભીરપણે કર (), સક્ષમ વસતીને નબળી બનાવે છે, તેના કારણે જાહેર ખર્ચ () માટે ઉપલબ્ધ સ્ત્રોતો જેમ કે એઇડ્ઝ સાથે સંબંધિત નથી તેવી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ રાજ્યના ધિરાણ પર દબાણ વધારે છે અને અર્થતંત્રની વૃદ્ધિને ધીમી પાડે છે. 
આ બાબત કર પાયાની ધીમી વૃદ્ધિમાં પરિણમે છે, તેની અસરરૂપે માંદાઓની સારવાર, તાલીમ(માંદા કામદારોને સ્થાને બીજા), માંદગીનું વેતન અને એઇડ્ઝ અનાથોની સંભાળનું ખર્ચ વધતું હોય તો તેની પર અંકુશ મૂકશે. જો પુખ્ત મૃત્યુદર આ અનાથોની સંભાળ પરિવારની જવાબદારી અને દોષ સરકારને આપે તો આ ખાસ કરીને સાચુ છે.  

નિવાસીના સ્તરને અનુસલક્ષીને, આવક નુકસાન અને નિવાસી દ્વારા આરોગ્ય સંભાળ પાછળ ખર્ચવામાં આવેલા વધુ નાણા એમ બન્નેમાં એઇડ્ઝ પરિણમે છે.   આની આવક અસર ખર્ચ ઘટાડા તેમજ શિક્ષણથી દૂર પુરક અસર અને આરોગ્ય અને અંત્યવિધી પાછળના ખર્ચમાં પરિણમે છે.  કોટે ડીઆઇવોઇર ()નો અભ્યાસ દર્શાવે છે કે એચઆઇવી/એઇડ્ઝના દર્દીઓ સાથે રહેતા નિવાસી, અન્ય નિવાસીની તુલનામાં તબીબી ખર્ચ પાછળ બમણો ખર્ચ કરે છે. 

ચળવળકર્તાઓનું નાનું જૂથ એચઆઇવી અને એઇડ્ઝ  વચ્ચેના જોડાણ બાબતે, એચઆઇવીની હાજરી,  અથવા પ્રવર્તમાન સારવાર પદ્ધતિની માન્યતા અંગે પ્રશ્ન પૂછે છે. (ડ્રગ થેરાપી એઇડ્ઝના મૃત્યુનું કારણ છે તેવો દાવો કરતા પણ)  જોકે આ દાવાઓની ચકાસણી કરવામાં આવી છે અને તેનો સતતપણે વૈજ્ઞાનિક સમુદાય (),દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હોવા છતાયે તેઓએ ઇન્ટરનેટ () દ્વારા પ્રસિદ્ધ કર્યું હતું અને તેની નોંધપાત્ર રાજકીય અસર પ઼ડી હતી.  દક્ષિણ આફ્રિકા ()માં ભૂતપૂર્વ પ્રમુખ થાબો મેબેકી ()એ એઇડ્ઝ અપનાવવાની ના પાડી હતી જે એઇડ્ઝ રોગચાળા બાબતે બિનઅસરકારક સરકારી પ્રતિભાવમાં પરિણમી હતી, તેની પર હજ્જારો લોકોના એઇડ્ઝને કારણે મૃત્યુ થયા હોવાનો દોષ છે. 

હોમોસેક્સ્યુઅલ વ્યક્તિઓ ()ની પેટા સંસ્કૃત્તિ જે ભાગીદારો એચઆઇવી પોઝીટીવ હોય અને સ્વૈચ્છિક રીતે તેમની સાથેના જનન બાબતે અસુરક્ષિત હોય તેમના દ્વારા એચઆઇવી ચેપને સક્રિય રીતે અનુસરવાની ઇચ્છા રાખે છે. ગાળ ()ના અર્થમાં જે લોકો ચેપની ઇચ્છા રાખે છે તેમને બગચેઝર () કહેવાય છે અને જે લોકો તેમને ચેપ લગાડે છે તેમને ભેટઆપનાર  ()કહેવામાં આવે છે. આ ઘટના બેરબેકીંગ ()થી અલગ પડવી જોઇએ, જે એચઆઇવી ચેપની સક્રિય ઇચ્છા વિના બિનસુરક્ષિત જનન માટેની પસંદગી છે. 

ખરેખર આચરણની માત્રા મોટેભાગે અજાણ રહે છે. આ પેટાસંસ્કૃત્તિના એક ભાગરૂપે જે લોકો પોતાની જાતને ઓળખતા નથી, તેઓ ખરેખર એચઆઇવી ફેલાવવાનો ઇરાદો ધરાવતા હોય છે. કેટલાક બગચેઝર ઇન્ટરનેટ દ્વારા ભેટઆપનાર સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે.અન્ય બગચેઝર બગ પાર્ટીઓ અને વાતચીતની પાર્ટીઓ સેક્સ પાર્ટીઓનું આયોજન અને ભાગ લે છે, જેમા એચઆઇવી પોઝીટીવી અને નેગેટિવ વ્યક્તિઓ બિનસુરક્ષિત સેક્સમાં એચઆઇવી હાંસલ કરવાની આશા સાથે સામેલ હોય છે (“ભેટ મેળવવા માટે”) 




#Article 157: પાટણ જિલ્લો (221 words)


પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.

પાટણ જિલ્લાની સ્થાપના ર ઓક્ટોબર ૧૯૯૭ ના કરવામાં આવી હતી. આ જિલ્લો મહેસાણા જિલ્લાના સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ જોડીને બનાવવામાં આવ્યો હતો.

સ્થાપના સમયે પાટણ જિલ્લામાં સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને સુઇગામ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના પાટણ અને સમી તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બનાવવામાં આવ્યા. આની સાથે જ અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પાટણ જિલ્લાની વસ્તી ૧૩,૪૩,૭૩૪ વ્યક્તિઓની છે, જે સ્વાઝીલેન્ડ દેશ અથવા અમેરિકાના મેઇની રાજયની વસ્તી બરાબર છે. વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનો  ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૩૫૯મો ક્રમ આવે છે. જિલ્લાની વસ્તી ગીચતા  છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૧૩.૫૩% રહ્યો હતો. પાટણનો સાક્ષરતા દર ૭૩.૭૪% છે.

૨૦૦૧ના વર્ષમાં જિલ્લાના ૧૧,૮૨,૭૦૯ વ્યક્તિઓમાંથી ૨૦.૧૬% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.




#Article 158: ખેડા જિલ્લો (180 words)


ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.

૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ ચાર તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડીઆદ તાલુકો અને પેટલાદ તાલુકો. જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા.

૨૦મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩નો બોરસદ સત્યાગ્રહ, અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.

વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું છે.

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી ૨૨,૯૯,૮૮૫ વ્યક્તિઓની હતી. વસતી મુજબ જિલ્લો ભારતમાં ૧૯૭મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસતી ગીચતા  છે. વસતી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૨.૮૧% રહ્યો હતો. ખેડા જિલ્લામાં સાક્ષરતાનો દર ૮૪.૩૧% છે.




#Article 159: ડાંગ જિલ્લો (122 words)


ડાંગ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જેનું મુખ્યમથક આહવા છે.

જિલ્લાનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે.

આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતુ છે.

ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ નીચે પ્રમાણે છે:

ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા.




#Article 160: સુરેન્દ્રનગર જિલ્લો (469 words)


સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. આ જિલ્લાની પડોશમાં કચ્છ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જિલ્લાઓ આવેલા છે. જિલ્લો ખેતી અને ઔધોગિક દૃષ્ટિએ મહત્વનો જિલ્લો છે. અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, આ ઉપરાંત અનેક નામી કલાકારો અને સાહિત્યકારો આ જિલ્લાની ધરતી પર જન્મ્યા છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે.

સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૦૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૨.૧૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે મોરબી, ઉત્તરે પાટણ મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે બોટાદ અને રાજકોટ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસ્તી ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૭,૫૫,૮૭૩ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.

મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૯૫,૦૭૬ હેકટર પૈકીના કુલ ૧,૫૭,૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમીન છે. આ જિલ્લાની મહદ્અંશે જમીન સમતલ અને ગોરાડું છે. આ જિલ્લાનો મુખ્ય પાક કપાસ છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ, મરચા વગેરે પાકો થાય છે.

ઇ.સ. ૧૯૯૭ની ગણતરી મુજબ કુલ ૨,૭૧,૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલાદનાં છે. તેમજ ભેંસો - ૧,૬૫,૧૯૭, ઘેંટાં ૯૯,૫૭૨, બકરાં ૧૬,૪૪૫૮, ગધેડા ૨,૦૯૫, ઊંટ ૪૪૬ એ રીતનું પશુધન છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ડેરી નીચે કુલ ૧૭૮ દૂધ મંડળીઓ ઊભી કરી સમગ્ર જિલ્લામાંથી દૂધ સુરેન્દ્રનગર શહેર ખાતે મુખ્ય ડેરી ખાતે લાવવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ મળી આવે છે.

આ ઉપરાંત પી.ટી.સી., ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિકલ, બી.એડ. કૉલેજ પણ જિલ્લામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ ૭ નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ ૫ વિધાનસભા મત વિસ્તાર આવેલ છે અને એક લોકસભા મત વિસ્તાર છે.

કવિ દલપતરામ, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ પંચોળી, કુમારપાળ દેસાઈ, કુન્દનિકા કાપડિયા, જયંત કોઠારી, લાભશંકર ઠાકર, ભાનુભાઈ શુક્લ, મીનપિયાસી, પ્રજારામ રાવળ, લાભશંકર રાવળ શાયર, અમૃત ત્રિવેદી રફિક, દિલીપ રાણપુરા, દેવશંકર મહેતા, રમેશ આચાર્ય, એસ.એસ.રાહી, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, બકુલ દવે, ગિરીશ ભટ્ટ વગેરે ખ્યાતનામ સાહિત્યકારો સુરેન્દ્રનગર સાથે જોડાયેલાં છે

બાબુભાઈ રાણપુરા, બચુભાઈ ગઢવી, વશરામભાઈ પરમાર, શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઢવી, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, મનુભાઈ ગઢવી, હેમુ ગઢવી, પુંજલભાઈ રબારી, સુરેશ રાવળ, ભીખાલાલ મોજીદડવાળા, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ, વાઘજી રબારી વગેરે સુરેન્દ્રનગરના લોક-સાહિત્યકાર છે.

વાઇલ્ડ-લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા, દેહરાદુન ખાતેના પ્રાધ્યાપક યાદવેંદ્રદેવ વી. ઝાલા અને અભિનેત્રી ડીમ્પલ કાપડીયા, ગાયક કલાકારો પંકજ ઉધાસ અને મનહર ઉધાસ, સંજય ગઢવી વગેરે સુરેન્દ્રનગર સાથે સંબંધીત વ્યક્તિઓ છે. તસવીરકાર ઝવેરીલાલ મહેતા પણ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની છે. ઉ૫રાંત ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો. સામ પિત્રોડા હળવદના ટિકર ગામના વતની છે.




#Article 161: સંસ્કૃત ભાષા (367 words)


સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાણીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ (વિચરતી જાતિ)ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.

સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ મૂળભુત રૂપે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી ભાષા છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિ માં લિપ્યાંતરણ માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST અને ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છે.

આ સ્વરો સંસ્કૃત માટે આપવામાં આવ્યા છે. હિન્દીમાં એમનો ઉચ્ચાર થોડો અલગ થાય છે.

સંસ્કૃત માં ઐ બે સ્વરો નું જોડકું હોય છે અને ગુજરાતી ભાષીઓ માટે તે અ-ઇ એ રીતે બોલાય છે. આ રીતેજ ઔ ને અ-ઉ એ રીતે બોલાય છે.

એ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃત માં નીચેના વર્ણાક્ષરોને પણ સ્વર માનવામાં આવે છે:

જ્યારે કોઈ સ્વરનો ઉપયોગ ન હોય ત્યારે ત્યાં 'અ' માનવામાં આવે છે. સ્વરના ન હોવાને હલન્ત અથવા વિરામથી દર્શાવવામાં આવે છે. જેમ કે ક્‌ ખ્‌ ગ્‌ ઘ્‌.

સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ છે. અહીં એ સ્પષ્ટતા કરવી ઘટે કે ગુજરાતી, હીન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ ભલે અધરૂ રહ્યું છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓના ઘણાખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દ-રૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. મહદંશે શબ્દ-રૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. એટલે એમ કહી શકાય કે સંકૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે.

સંસ્કૃતનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે, જે હિન્દુ ધર્મના આદિ પુસ્તક વેદની ભાષા છે. વૈદિક સંસ્કૃત અને પ્રશિશ્ટ સંસ્કૃત વચ્ચે ઘણુ અંતર છે.  મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાધ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માને છે. રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.




#Article 162: શ્રી રામ ચરિત માનસ (348 words)


શ્રી રામ ચરિત માનસ અવધી ભાષા માં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદી માં રચાયેલ એક મહાકાવ્ય છે. શ્રી રામચરિત માનસ નું ભારતીય સંસ્કૃતિ માં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારત માં રામાયણ ના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.

હિંદૂ સમાજના મોટા ભાગને રામચરિતમાનસ પર અત્યંત આસ્થા છે અને આને હિંદુઓ નો પવિત્ર ગ્રંથ માનવામા આવે છે.

રામચરિત માનસ ૧૫મી શતાબ્દી ના કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. જેમ કે તુલસીદાસ એ રામચરિત માનસ ના બાલકાણ્ડ મા સ્વયં લખ્યુ છે કે એમણે રામચરિત માનસ ની રચના નો આરંભ અયોધ્યા માં વિક્રમ સંવત્ ૧૬૩૧ (ઇ.સ. ૧૫૭૪)ની રામનવમી ના દિવસે કર્યો હતો. ગીતાપ્રેસ ગોરખપુર ના શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર અનુસાર રામચરિતમાનસ લખવામાં તુલસીદાસ ને ૨ વર્ષ ૭ મહિના ૨૬ દિવસ નો સમય લાગ્યો હતો. તેમણે આ રચના સંવત્ ૧૬૩૩ (ઇ.સ. ૧૫૭૬)ના માર્ગશીર્ષ શુક્લપક્ષ ના રામવિવાહ ના દિવસે પૂરી કરી હતી. આ મહાકાવ્ય ની ભાષા અવધી એ હિંદી ની એક શાખા છે. રામચરિતમાનસ ને હિંદી સાહિત્ય ની એક મહાન કૃતિ મનાય છે.રામચરિતમાનસ ને સામાન્ય રીતે તુલસી રામાયણ કે તુલસી કૃત રામાયણ પણ કહેવાય છે.

શ્રી રામ ચરિત માનસ માં શ્રી રામ ને ભગવાન વિષ્ણુ ન અવતાર ના રૂપ માં દર્શાવ્યા છે જ્યારે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણ મા શ્રી રામ ને એક માનવ ના રૂપમાં દેખાડ્યા છે. તુલસી ના પ્રભુ રામ સર્વશક્તિમાન હોવા છતાં મર્યાદા પુરુષોત્તમ છે. શરદ નવરાત્રિ માં આના સુન્દર કાણ્ડનુ પઠન પુરા નવ દિવસ થાય છે.
રામ ચરિત માનસ એ  માનવ માત્ર માટે જિવન જીવવાની સંજિવની છે. કેમકે રામ ચરિત માનસ મા પુજ્ય પાદ ગોસ્વામી તુલસીદાસજી એ પ્રથમ શબ્દ વર્ણ લખ્યો અને રામ ચરિત માનસ નો અંતિમ શબ્દ માનવ છે, માટે સમગ્ર રામ ચરિત માનસ એ દરેક વર્ણ ના, જાતિના, સમ્પ્રદાયના, ધર્મના, માનવ માટે છે. 
ખરા અર્થ મા રામ ચરિત માનસ એ વિશ્વના દરેક માનવ માટે નુ મહાકાવ્ય છે.

રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ, અરણયકાણ્ડ, કિષ્કિન્ધાકાણ્ડ, સુન્દરકાણ્ડ, લંકાકાણ્ડ અને ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારો ( વિશેષ કરીને અનુપ્રાસ અલંકાર) નો ખૂબ જ સુંદર પ્રયોગ કરેલ છે.




#Article 163: તુલસીદાસ (1125 words)


તુલસીદાસ કે ગોસ્વામી તુલસીદાસજી ભારતના જાણીતા સંત હતા. તેઓ રામચરિત માનસની રચના અને દોહાઓ માટે જાણીતા છે.

ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીક ચિત્રકૂટ જિલ્લામા રાજાપુર નામે એક ગામ છે, તે ગામમાં આત્મારામ દૂબે નામનાં એક પ્રતિષ્ઠિત સરયૂપારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમની ધર્મપત્નીનું નામ હુલસી હતુ. વિક્રમ સંવત ૧૫૫૪ની શ્રાવણ શુકલ સપ્તમીના દિવસે અભુક્ત મૂલ નક્ષત્રમાં આ ભાગ્યવાન દંપતિને ત્યા તુલસીદાસજીનો જન્મ થયો હતો.

એેક તરફ ભગવાન શંકરની પ્રેરણા હતી. રામશૈલ પર રહેવાવાળા શ્રી અનન્તાનન્દજીના પ્રિય શિષ્ય શ્રી નરહર્યાનન્દજીએ આ બાળકને શોધી કાઢ્યો અને તેનુ નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઇ ગયા અને ત્યા સંવત્‌ ૧૫૬૧ માઘ શુકલ પંચમીને શુક્રવારે તેનો યજ્ઞોપવીત-સંસ્કાર કર્યો. વગર શીખવાડ્યે જ બાળક રામબોલાએ ગાયત્રી-મંત્ર ઉચ્ચારણ કર્યો. આ જોઈ સહુ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી નરહરી સ્વામીએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરી રામબોલાને રામમંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહી તેને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધી ઘણી પ્રખર હતી. એક વાર ગુરુમુખથી જે સાંભળી લેતા હતા, તેમને તે કંઠસ્થ થઈ જતું હતું. ત્યાંથી થોડા દિવસો પછી ગુરુ-શિષ્ય બન્ને શૂકરક્ષેત્ર (સોરો) પહોઁચ્યા. ત્યાં શ્રી નરહરીજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. થોડા દિવસ પછી તેઓ કાશી ચાલ્યા આવ્યા. કાશીમાં શેષસનાતનજી પાસે રહી તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ-વેદાંગનું અધ્યન કર્યુ. અહીઁ તેમની લોકવાસના જાગૃત‌ થઈ અને પોતાના વિદ્યાગુરુ પાસેથી આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમી પાછા ફર્યા. ત્યાં આવી તેમણે જોયું તો તેમનો પરિવાર સર્વ નષ્ટ થઈ ચુક્યો હતો. તેમણે વિધિપૂર્વક પોતાના માતા-પિતાનું શ્રાધ કર્યું અને ત્યાં રહી લોકોને ભગવાન‌ રામની કથા સંભળાવવા લાગ્યાઁ.

સંવત ૧૫૮૩ જેઠ સુદ ૧૩ના ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા રત્નાવલી સાથે તેમનો વિવાહ થયો અને તે સુખપૂર્વક પોતાની નવવિવાહિતા સાથે રહેવા લાગ્યા. એક વાર તેમની પત્ની ભાઈ સાથે પોતાના પિયરે ચાલી ગઈ. પાછળ-પાછળ તુલસીદાસજી પણ ત્યાં જઈ પહોઁચ્યા. તેમની પત્નીએ આ ઉપર તેમને ખૂબ ધિક્કાર્યા અને કહ્યુ કે 'મારા આ હાડ઼-માંસના શરીરમાં જેટલી તમારી આસક્તી છે તેનાથી અડધી પણ જો ભગવાનમાં થઈ હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત'. તુલસીદાસજીને આ શબ્દો લાગી આવ્યા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રયાગ પહોંચ્યા. ત્યાં તેમણે ગૃહસ્થવેશનો પરિત્યાગ કરી સાધુવેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા કાશી પહોઁચ્યા. માનસરોવર પાસે તેમને કાકભુશુણ્ડિના દર્શન થયા.

કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યુઁ, જેણે તેમને હનુમાનજી નું સરનામુ આપ્યું. હનુમાન‌જી ને મળી તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજી ના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાન‌જીએ કહ્યું, 'તને ચિત્રકૂટમાઁ રઘુનાથજી દર્શન આપશે'  આથી તુલસીદાસજી ચિત્રકૂટ તરફ નીકળી પડ્યાઁ.

ચિત્રકૂટ પહોંચી રામઘાટપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યાં હતા. માર્ગમાં તેમને શ્રીરામના દર્શન થયાં. તેમણે જોયુંતો બે ખૂબ જ સુંદર રાજકુમાર ઘોડા પર સવાર થઈ ધનુષ-બાણ લઈ જઇ રહ્યાં છે. તુલસીદાસજી તેમને જોઈ મુગ્ધ થઈ ગયાં, પરંતુ તેમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાન‌જી એ આવીને તેમને બધો ભેદ સમજાવ્યો ત્યારે તેઓ ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાન‌જીએ તેમને સાંત્વન આપ્યું અને કહ્યું પ્રાતઃકાલ ફરી દર્શન થશે.

સંવત ૧૬૦૭ની મૌની અમાસના બુધવારે  તેમની સામે ભગવાન‌ શ્રીરામ પુનઃ પ્રકટ થયાં. તેમણે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું-બાબા! અમને ચન્દન આપો. હનુમાનજીએ વિચાર્યું, કદાચ તેઓ આ વખતે પણ તે ભુલ ન ખાઈ જાય, માટે તેમણે પોપટનું રૂપ ધારણ કરી આ દોહો કહ્યો-:
ચિત્રકૂટકે ઘાટ પર ભયિ સંતન કી ભીર. તુલસીદાસ ચંદન ઘિસેં તિલક કરે રઘુબીર.

તુલસીદાસજી તે અદ્ભુત છબી નિહાળી શરીરનું ભાન ભૂલી ગયાં. ભગવા‌ને પોતાના હાથથી ચંદન લઈ પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયાં.

સંવત ૧૬૨૮માં તેઓ હનુમાન‌જીની આજ્ઞાથી અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. તે  દિવસોમાં પ્રયાગમાં મહા માસનો મેળો ભરાયો હતો. ત્યાં થોડાં દિવસો તેઓ રોકાઈ ગયા. પર્વના છઃ દિવસો પછી એક વટવૃક્ષ નીચે તેમને ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયાં. ત્યાં તે સમયે તેજ કથા થઈ રહી હતી. જે તેમણે સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ પાસે સાંભળી હતી.  ત્યાંહતી તેઓ કાશી ચાલ્યાં આવ્યાં અને ત્યાં પ્રહ્લાદઘાટ પર એક બ્રાહ્મણ ના ઘરે નિવાસ કર્યો. ત્યાં તેમની અંદર કવિત્વશક્તિની  સ્ફુરણા થઈ અને તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યાં. પરંતુ દિવસે તેઓ જેટલી પદ્ય રચતાં, રાત્રે તે બધી લુપ્ત થઈ જતી. આ ઘટના રોજ ઘટતી. આઠમા દિવસે તુલસીદાસજીએ સ્વપ્ન આવ્યં. ભગવાન‌ શંકરે તેમને આદેશ આપ્યોના તુ તારી પોતાની ભાષામાં કાવ્ય રચના કર. તુલસીદાસજીની ઊંઘ ઊડી ગઈ. તેઓ ઉઠી બેસી ગયાં. તે સમયે ભગવાન‌ શિવ અને પાર્વતી તેમની સામે પ્રકટ થયાં. તુલસીદાસજીએ તેમને સાષ્ટાઙ્ગ પ્રણામ કર્યાં. શિવજીએ કહ્યું- 'તમે અયોધ્યામાં જઈ રહો અને હિંદીમાં કાવ્ય-રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફલવંતી થશે.' આટલું કહી ગૌરીશંકર અંતર્ધ્યાન થઈ ગયાં. તુલસીદાસજી એ તેમની આજ્ઞા શિરોધાર્ય કરી કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા.

સંવત્‌ ૧૬૩૧ પ્રારંભ થયો.  તે દિવસે રામનવમીના દિને પ્રાયઃ એવોજ યોગ હતો જેવો ત્રેતાયુગમાં રામજન્મના દિવસે હતો. તે દિવસે પ્રાતઃકાલે શ્રીતુલસીદાસજીએ શ્રીરામચરિતમાનસની રચનાનો પ્રારંભ કર્યો. બે વર્ષ, સાત મહીના, છવ્વીસ દિવસોમાં ગ્રન્થની સમાપ્તિ થઈ. સંવત્ ૧૬૩૩ ના માગસર સુદપક્ષમાં રામવિવાહના દિવસે સાતે કાંડ પૂર્ણ થઈ ગયાં.
આના પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં  તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણા ને શ્રીરામચરિતમાનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રીવિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેના પર લખેલું મળ્યું - 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' અને નીચે ભગવાન શંકર ની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોએ 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' નો અવાજ પણ કાનેથી સાંભળ્યો.
અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ દળ બનાવી તુલસીદાસજીની નિન્દા કરવા લાગ્યા અને તે પુસ્તકને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે બે ચોર મોકલ્યા. ચોરોએ જઈ જોયુંતો તુલસીદાસજીની ઝુંપડીની આસપાસ બે વીર ધનુષ્યબાણ લઈ પહરો દઈ રહ્યા છે. તેઓ ખૂબ જ સુંદર શ્યામ અને ગૌર વર્ણના  હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. તેમણે તેજ સમયથી ચોરી કરવી છોડી દીધી અને ભજનમાં લાગી ગયા. તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને  કષ્ટ થયું જાણી ઝુંપડીનો બધો સામાન લુંટાવી દીધો, પુસ્તક પોતાના મિત્ર ટોડરમલ પાસે રખાવી દીધાં. ત્યાર પછી તેમણે એક બીજી પ્રતિ લખી. તેના જ આધાર પર બીજી પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવી. પુસ્તકનો  પ્રચાર દિવસે દિવસે વધવા લાગ્યો.
અહીં પંડિતોંએ અન્ય કોઈ ઉપાય ન જોતાં શ્રીમધુસૂદન સરસ્વતીજીને  તે પુસ્તક દેખાડવાની પ્રેરણા આપી. શ્રીમધુસૂદન સરસ્વતીજીએ તેને જોઈ ખૂબ પ્રસન્નતા પ્રકટ કરી અને તે પર આ સમ્મતિ લખી આપી:
આનન્દકાનને હ્યાસ્મિઞ્જઙ્ગમસ્તુલસીતરુઃ. કવિતામન્જરી ભાતિ રામભ્રમરભૂષિતા.
'આ કાશીરૂપી આનન્દવનમાં તુલસીદાસ ચાલતો-ફરતો તુલસીનો છોડ છે. તેની કવિતારૂપી મંજરી ખૂબ જ સુંદર છે, જેના પર શ્રીરામરૂપી ભમરો સદા મઁડરાયા કરે છે.'
પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય વધુ વિચારવામાં આવ્યો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઊપર વેદ, તેની નીચે શાસ્ત્ર, શાસ્ત્રો ની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિતમાનસ રાખી દેવામાં આવ્યું. પ્રાતઃકાલ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું કે શ્રીરામચરિતમાનસ વેદોની ઊપર રખાઈ ગયું છે. હવે તો પંડિત લોકો ખૂબ લજ્જિત થયાં. તેમણે તુલસીદાસજીની ક્ષમા માઁગી અને ભક્તિપૂર્વક તેમનું ચરણોદક લીધું.

તુલસીદાસજી હવે અસીઘાટ પર રહવા લાગ્યાં. રાત્રે એક દિવસ કલિયુગ મૂર્તરૂપ ધારણકરી તેમની પાસે આવ્યો અને તેમને ત્રાસ દેવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાન‌જીનું ધ્યાન કર્યું. હુનુમાન‌જીએ તેમને વિનય ના પદ રચવા કહ્યું; આથી ગોસ્વામીજીએ વિનય-પત્રિકા લખી અને ભગવાન‌ના ચરણોંમાં તેને સમર્પિત કરી દીધી. શ્રીરામે તે પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા
સંવત ૧૬૮૦ના શ્રાવણ વદ તૃતીયા શનિવારે ગોસ્વામીજીએ રામ-રામ કહતા પોતાનું શરીર પરિત્યાગ કર્યું.

આ ઉપરાંત રામસતસઈ, સંકટમોચન, હનુમાન બાહુક, રામનામ મણિ, કોષ મંજૂષા, રામશલાકા, વગેરે ગ્રંથો પણ પ્રસિદ્ધ છે.




#Article 164: સાબરમતી નદી (249 words)


સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેનું ઉદ્‌ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને ખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે જ્યારે વાંકળ, હરણાવ, હાથમતી, ખારી અને વાત્રક તેના ડાબા કાંઠાની શાખાઓ છે.

અમદાવાદ અને ગાંધીનગર અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧માં ગુજરાતના સુલતાન અહમદશાહને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઈ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.

ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીએ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.

ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને હાથમતી, મેશ્વો, માઝુમ, ખારી, શેઢી, વાત્રક એમ કુલ સાત નદીઓનો સંગમ થાય છે. ત્યાં દર વર્ષે કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જે ગધેડાઓની લે-વેચ માટે પણ પ્રસિદ્ધ છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.

સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:

સાબરમતી નદી પર તેના ઉદ્‌ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે અને અમદાવાદથી ૧૬૫ કિમી દૂર મહેસાણા જિલ્લામાં ધરોઇ ગામમાં ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધનો સ્‍ત્રાવક્ષેત્ર ૫,૪૭૫ ચો.કિ.મી. છે અને તેનાથી ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે. આ બંધનું બાંધકામ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું. બંધનો સ્ત્રાવક્ષેત્રમાંથી ૨,૬૪૦ ચો.કિમી ગુજરાત રાજ્યને ભાગે આવે છે.




#Article 165: વાદળ (206 words)


વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફના કણોનો સમુહ છે. વૈજ્ઞાનીક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૌજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. શરૂઆતના કણ કે ટીપાંના કદ અત્યંત સુક્ષ્મ હોય છે. સાનુકુળ પરિસ્થિતીમાં હવામાં મૌજુદ બાષ્પ આવા ટીપાંઓ પર ઠંડી પડી તેનું કદ વધારી શકે છે. તે ઉપરાંત બે ટીપાંઓના એકબીજામાં વિલિનીકરણથી પણ તેમનું કદ વધી શકે છે. જ્યારે ટીપાંઓનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપે વરસે છે. 

વાતાવરણમાં સંવંહન (convection)ની પ્રક્રિયા દરમ્યાન રૂના ઢગ જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં થરની જેમ છવાઈ જતાં વાદળાં સ્ટ્રેસ્સ તરીકે અને બહુ ઉંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળ સિરસ તરીકે ઓળખાય છે. 

મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે મેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં મિથેન, એમોનિયા અને સલ્ફ્યુરીક એસિડના વાદળ બને છે.




#Article 166: પોરબંદર (332 words)


પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે.

પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: પોરઇ, સ્થાનિક માતાજીનુ નામ અને બંદર એટલે કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છે આ શહેરને 'સુદામાપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા.

પોરબંદરનું ભૌગોલીક સ્થાન  છે. અને સમુદ્રથી ઊંચાઇ ૦ મીટર છે.

પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬મીથી ૧૪મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે. પોરબંદર હડપ્પન સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે.

અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને મહારાજા રાણાસાહેબનો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને 'શાંતિનું મંદિર' બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે.

ફીશરીઝ અને માછલાની નિકાસ પોરબંદરના મુખ્ય રોજગાર છે. જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે. અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાસકારો છે.

ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર પોરબંદરની વસ્તી ૧,૫૨,૭૬૦ હતી જેમાં પુરૂષો ૭૮,૦૯૭ અને મહિલાઓ ૭૩,૬૭૩ હતી. શિક્ષણનો દર ૮૫.૭૬% હતો. પુરૂષ શૈક્ષણીકતા ૯૦.૬૮% અને સ્ત્રી શૈક્ષણીકતા ૮૦.૫૭% હતી.

પોરબંદર મેટ્રોપોલિટન વિસ્તારોમાં છાંયા, ખાપટ, પોરબંદર અને ઝાવર (આંશિક‌)નો સમાવેશ થાય છે.




#Article 167: રાણી લક્ષ્મીબાઈ (404 words)


રાણી લક્ષ્મીબાઈ (૧૯ નવેમ્બર ૧૮૨૮ - ૧૮ જૂન ૧૮૫૮) ઝાંસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા.

તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ  મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુ ને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષા ની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.

લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા - ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિ ના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.

ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ, જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દીધુ અને એક સ્વયંસેવક સેનાને સંગઠન કરવાનું પ્રારંભ કર્યુ. આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.

૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેરને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.




#Article 168: ઝાંસી (528 words)


ઝાંસી/ઝાઁસી (હિન્દી:झाँसी/झांसी) ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક પ્રમુખ શહેર છે જે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલું છે. ઝાંસી શહેર રેલ્વે અને સડક-માર્ગનું એક મહત્વનું કેન્દ્ર છે. આ શહેર ઝાંસી જિલ્લો અને ઝાંસી પ્રાંત નું પ્રશાસન કેન્દ્ર પણ છે. ઝાંસી શહેર પત્થરથી બનેલા કિલ્લાની ચારે તરફ ફેલાયલું છે. આ કિલ્લો શહેરની મધ્યમાં આવેલ એક પહાડ પર આવેલો છે. 

૯મી સદીમાં, ઝાંસીનું રાજ્ય ખજુરાહોના રાજપૂત ચન્દેલા વંશના રાજાઓના શાસનમાં આવ્યું. કૃત્રિમ જળાશય અને પહાડી ક્ષેત્રમાંનું વાસ્તુશિલ્પિય ખંડેર કદાચ તે કાળનુ હોઇ શકે. ચન્દેલા વંશના પછી તેમના સેવક ખન્ગારે આ ક્ષેત્રનો કાર્યભાર સંભાળ્યો. કરાર નો કિલ્લો આ જ વંશના રાજાઓએ બનાવ્યો હતો.

૧૪મી સદીની આજુબાજુ બુન્દેલા લોકોએ વિંધ્યાચળ ક્ષેત્રની નીચે મેદાની ક્ષેત્રમાં આવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે આખા મેદાની ક્ષેત્રમાં ફેલાઇ ગયા, જેને આજે બુન્દેલખંડના નામથી ઓળખવામાં આવે છે. ઝાંસીના કિલ્લાનું નિર્માણ ઓર્છાના રાજા વીરસિહ દેવ દ્વારા કરવામાં આવ્યુ હતું. લોકકથા એવી છે કે રાજા વીરસિંહે દૂરથી પહાડી પર છાયા જોઇ જેને બુંદેલી ભાષામાં ઝાઈ સી બોલાતું, જે શબ્દના અપભ્રંશથી શહરનું નામ ઝાંસી પડયુ.

૧૭મી સદીમાં મુઘલ સામ્રાજ્યના રાજાઓના બુન્દેલા ક્ષેત્રમાં વારંવારં આક્રમણોના કારણે બુન્દેલા રાજા છત્રસાળે સન ૧૭૩૨માં મરાઠા સામ્રાજ્ય પાસે મદદ માંગી. મરાઠાઓ મદદ માટે આગળ આવ્યા. સન ૧૭૩૪માં રાજા છત્રસાળના મૃત્યુ પછી બુન્દેલ ક્ષેત્રનો એક તૃત્યાંશ હિસ્સો મરાઠાને આપવામાં આવ્યો. મરાઠાઓએ શહેરનો વિકાસ કર્યો અને તે માટે ઓરછા થી લોકોને લાવીને વસાવવામાં આવ્યા.

સન્ ૧૮૦૬માં, મરાઠા શક્તિ નબળી પડ્યા પછી બ્રિટીશ રાજ અને મરાઠા પેશવાની વચ્ચે સંધી થઇ જેમાં મરાઠાઓએ બ્રિટીશ સામ્રાજ્યનું પ્રભુત્વ સ્વીકારી લીધું. સન ૧૮૧૭માં પેશવાએ પૂનામાં બુન્દેલખંડ ક્ષેત્રનો બધો અધિકાર બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધો. સન ૧૮૫૭માં ઝાંસીના રાજા ગંગાધર રાવનું મૃત્યુ થયું. તરત જ ગવર્નર જનરલે ઝાંસીને પૂરી રીતે પોતાના અધિકારમાં લઇ લીધું. રાજા ગંગાધર રાવની વિધવા રાણી લક્ષ્મીબાઈએ આ વાતનો વિરોધ કર્યો અને કહ્યુ કે રાજા ગંગાધર રાવના દત્તક પુત્રને રાજ્યનો ઉત્તરાધિકારી માનવામાં આવે, પરંતુ અંગ્રેજોએ આ માનવાનો ઇનકાર કરી દીધો. આ જ પરિસ્તિથિમાં ઝાંસીમાં સન ૧૮૫૭નો સંગ્રામ થયો જે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ માટે પાયારૂપ સાબિત થયો. જૂન ૧૮૫૭માં ૧૨મી પાયદળ સેનાના સૈનિકોએ ઝાંસીના કિલ્લા પર કબજો કરી લીધો અને કિલ્લામાં હાજર અંગ્રેજ અફસરોને મારી નાંખ્યા. અંગ્રેજ રાજ્ય સાથેની લડાઇ દરમિયાન રાણી લક્ષ્મીબાઈએ પોતે સેનાનું સંચાલાન કર્યુ. નવેમ્બર ૧૮૫૮માં ઝાંસીને અંગ્રેજ રાજ્યમાં ફરીથી ભેળવવામાં આવ્યું અને ઝાંસીનો અધિકાર ગ્વાલિયરના રાજાને સોંપવામાં આવ્યો. સન ૧૮૮૬માં ઝાંસીને યૂનાઇટેડ પ્રોવિન્સમાં જોડવામાં આવ્યું જે સ્વતંત્રતા પછી ઉત્તર પ્રદેશ બન્યું.

ઝાંસી શહેર બુન્દેલખંડ ક્ષેત્ર માં અધ્યયનનું એક મોખરાનું કેન્દ્ર છે. વિદ્યાલય અને અધ્યયન કેન્દ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે. બુન્દેલખંડ વિશ્વવિધ્યાલય જેની સ્થાપના સને ૧૯૭૫માં કરવામાં આવી હતી, વિજ્ઞાન, કલા અને વ્યવસાયિક શિક્ષાની પદવી આપે છે. ઝાંસી શહેર અને આસપાસના અધિકતર વિધ્યાલય બુન્દેલખંડ વિશ્વવિધ્યાલય સંલગ્ન છે. બુન્દેલખંડ અભિયાન્ત્રિકી અને તકનિકી સંસ્થાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત તકનિકી સંસ્થાન છે જે ઉત્તર પ્રદેશ તકનિકી વિશ્વવિધ્યાલય સાથે સંલગ્ન છે. રાણી લક્ષ્મીબાઈ ચિકિત્સા સંસ્થાન ચિકિત્સા વિજ્ઞાનમાં પદવી પ્રદાન કરે છે. ઝાંસીમાં આયુર્વેદિક અધ્યન સન્સ્થાન પણ છે જે પ્રાચીન ભારતીય ચિકિત્સા વિજ્ઞાન આયુર્વેદનું શિક્ષણ આપે છે. ઉચ્ચ શિક્ષા સિવાય ઝાંસીમાં અનેક પ્રાથમિક શાળાઓ પણ છે. આ શાળાઓ સરકાર તથા ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે. વિદ્યાલયોમાં શિક્ષણનું માધ્યમ હિંદી તથા અંગ્રેજી ભાષા છે. શાળાઓ ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ અથવાતો કેન્દ્રિય માધ્યમિક શિક્ષા પરિષદ સાથે સંલગ્ન છે. ઝાંસીમાં પુરુષ સાક્ષરતા પ્રમાણ ૮૦% મહિલા સાક્ષરતા પ્રમાણ ૫૧% છે, તથા કુલ સાક્ષરતા પ્રમાણ ૬૬% છે.




#Article 169: સ્વાધ્યાય પરિવાર (160 words)


સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે. સ્વાધ્યાય પરિવાર આજે ૩૫ જેટલા દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું છે.
 
સ્વાધ્યાય પરિવાર એ એક દૈવી પરિવાર છે. જેમાં વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો ,મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ , વિડિઓ કેન્દ્રો ,યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે.સ્વાધ્યાય પરિવાર નો આધાર શ્રીમદ ભગવદગીતા છે.જેના ઉપર સમગ્ર કાર્ય ઊભેલું છે.

સ્વાધ્યાય પરિવાર માં પૈસા ને સ્થાન નથી, તેમાં કોઈ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા નથી કે દાન લેવામાં આવતું નથી.તેમાં વિવિધ પ્રયોગો થકી જેવા કે હીરા મંદિર, યોગેશ્વર કૃષિ , મત્સ્યગંધા, જરી મંદિર, ગુપ્ત દાન થકી મળેલી મહાલક્ષ્મી ને વિવિધ કેન્દ્રો તથા કાર્યક્રમો ના ખર્ચ માં વાપરવામાં આવે છે.તેમજ વધેલી લક્ષ્મી ને સામાજિક કાર્યો માં વાપરવામાં આવે છે.




#Article 170: રામ (257 words)


રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં.

રામનાં બાળપણની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એકાદર્શ પત્ની તરિકે તેમની સાથે ગયા તથા રામનો બીજા નંબરનો ભાઈ લક્ષ્મણ પન તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયો.

વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, બાલી, સુગ્રિવ, વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકિ મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસી દાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.




#Article 171: ગૌતમ બુદ્ધ (649 words)


સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે નેપાળમાં છે, થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.

એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.

૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .

સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.

મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો.  હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી.

હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.

સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને  વિપશ્યના ના અભ્યાસ દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા.

બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. 

પરણ્યા હતાં .ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો -  સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો.

ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક હિંદુઓ બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર માને છે. તો અહમદિયા મુસલમાન બુદ્ધને પયગંબર અને બહાઈ પંથના લોકો ભગવાનનું રૂપ માને છે. શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને લાઓ ત્સેના અવતાર માનતા હતા.

'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે..
ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે.




#Article 172: આદિ શંકરાચાર્ય (947 words)


શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.આદી શંક્રાચાર્યનો સમય ઈ. સ. પુર્વ 509 થી ઇ. સ. પુર્વ 477 હતો.અત્યારે જે ઈ. સ. 7 અને 8મી સદીનો જે સમય આપવામા આવે છે તે અભીનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધીપતી હતા.આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર અનેક ગ્રંથ લાખાણા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા, અને તેમના પરમ મીત્ર  અને શીષ્ય હતા ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આંદી શંક્રાચાર્ય સાથે વીતાવ્યુ હતુ..તેમને આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર બૃહ્ત શંકરવીજય નામનો ગ્રંથ લખેલ. તે પ્રમાણે આદી શંક્રાચાર્યનો જન્મ 

तिष्ये प्रयात्य नलसेवधि बाणनेत्रे |

ये नंदने दिनमणा वुदगढ़वभाजी |

राधे दिते रुडुविनिर्गतमन्गलग्ने |

स्याहूतवान सिवगुरुहू सच श्रंकरेति ||

અર્થ;- કળીયુગ( ઇ. સ.પુર્વ 3102થી ચાલુ) ના નંદન સવંતસર 2593મા વર્ષમાં, રવીવાર, વૈશાખ શુકલ પાચમ, પુનરવશુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શીવગુરૂના પત્ની આર્યઅંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો. તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509(3102 - 2593=509)મા થયો  હતો. દ્વારકાપીઠ,ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠ ના મંઠાધીપતીના વંશાવળી પ્રમાણે પણ  આદી શંક્રાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509માં થયો હતો.. નેપાલરાજા વંશાવલી પ્રમાણે નેપાલના 18માં રાજા વ્રીશહાદેવ વર્મા(ઈ. સ. પુર્વ 547-486)  હતા.રાજા વ્રીશહાદેવ વર્માના સમયમાં આદી શંક્રાચાર્ય નેપાલમાં હતા, એનો એવો અર્થ થાય છે કે આદી શંકરાચાર્ય ઇ. સ.પુર્વ 5મી સદીમાં થાયા તે સાચુ છે. જીનવીજય નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ  ઇ. સ. પુર્વ 5મી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા, તે પણ આદી શંકરાચાર્યનો સમય ઇ. સ. પુર્વ. 5મી સદીમાં બતાવે છે.  વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજીના ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.

ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રાવિડ બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદ્ગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.

ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવ, વસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.

ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યોતે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.

શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.

સાધારણ જનતા માટે બૌદ્ધ માઘ્યમિકોનો શૂન્યવાદ, વિજ્ઞાનવાદીઓનું આલય વિજ્ઞાન અને રામાનુજ તથા ભતૃર્પ્રપંચનો બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત અન્ય વિચારધારાનો અને શાંકરવેદાન્તમાં કોઇ ભેદ ના જણાતો હોય, પરંતુ અસાધારણ અઘ્યાત્મ પ્રેમી સુજ્ઞ સાધકો માટે શંકરની વિચારણા અસંદિગ્ધ અને સ્પષ્ટતાપૂર્ણ રીતે આ બધાથી ભિન્ન છે, એ સુવિદિત છે.

શાંકરવેદાન્તના પ્રાણાધાર સમી સંન્યાસ દીક્ષાનું મહત્ત્વ પણ જાણવું આવશ્યક છે. સૌ પ્રથમ સંન્યાસી (સંયમી સાધુ) એ વિવિધ આઘ્યાત્મિક કેન્દ્રોનું ભ્રમણ કરવું જૉઇએ, જેથી અઘ્યાત્મવિધાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત થાય. જુદાં-જુદાં ક્ષેત્રોમાં તીર્થાટન થવાથી જુદા-જુદા પાણી (ઉદક) પીવાનું થાય છે, આથી આવા સંન્યાસીઓ ‘બહુદક’ કહેવાય છે. ત્યારબાદ સંયમીએ કોઇ મઠમાં, ગૃહમાં કે ઓરડામાં અથવા અરણ્યમાં રહીને બાહ્ય અનુભવોથી જાણેલા આત્મા વિષયક સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સાધના કરવી જૉઇએ.

હવે, સંન્યાસી તૃતીય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થાય છે, જયાં સકળ સાધનાના સારરૂપ, સર્વ મંત્રના હાર્દરૂપ ઓમ્કાર (ૐ) ના નાદની સાધના કરવામાં આવે છે. આ જપ અને મંત્ર અંતત: ઘ્યાનમાં પરિણમે છે અને આ સંન્યાસી ઘ્યાનસ્થ થઇ જાય છે, જેને ‘હંસ’ કહેવામાં આવે છે. જયારે સંયમી આ કક્ષાએ પહોંચે છે ત્યારે, તે વેદાન્તગ્રંથોને સમજવા માટે પૂર્ણત: પરિપકવ બની ગયો હોય છે અને તેથી ‘પરમહંસ’ બની જાય છે.

યોગનાં સર્વ રૂપો અને સાધનાના પ્રભાવથી સુવ્યવસ્થિત થયેલો આવો સાધુ માત્ર વેદાન્તગ્રંથોનું અઘ્યયન કરવારૂપી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને આવા નિવૃત્ત પરમહંસ અંતે જીવન્મુકત જ્ઞાની બની રહે છે. સંન્યાસના આ ચતુર્વિધ ચરણોને વિવિદિષા સંન્યાસ કહે છે, જયારે વિદ્વત સંન્યાસ પણ હોય છે, જે માત્ર જ્ઞાનનિષ્ઠા માટે ધાર કરવામાં આવે છે અને અવધૂત મુકત રીતે અનંત જીવનમાં રમણ કરે છે.

આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે :

શંકરાચાર્યએ વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું , જેની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી.

કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.

આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ -૫ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. એક પુસ્તક યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય -લેખક ઇન્દ્રવદન બી. રાવલ દ્વારા લખાયેલ છે. ગુજરાતી ભાષામાં શંકરાચાર્ય વિશેનું આ જૂઝ એવું લખાયેલ પુસ્તક છે. લેખક પોતે સંસ્કૃતના અધ્યાપક હતા. (જન્મ : ૨૪-૦૯-૧૯૩૭ અવસાન : ૧૭-૧૧-૨૦૧૭) વેરાવળની સોમનાથ કોલેજમાં ૪૦ વર્ષ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. આ પુસ્તક યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય સંસ્કૃત ભાષાના વિદ્યાર્થી,અધ્યાપક માટે તો વાચવા લાયક છે, પરંતુ જે ગુજરાતી વાચકોને સંસ્કૃત નથી આવડતું તેને પણ આ પુસ્તક વાંચવું ગમે તેવું છે. આ પુસ્તક વાચવાની ઈચ્છા ધરાવનાર મો. ૯૮૭૯૯૬૭૦૧૫ પર સંપર્ક કરી શકે છે.




#Article 173: કાલિદાસ (285 words)


કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં મેઘદૂતમ્, ઋતુસંહારમ્, કુમારસંભવમ્ અને રઘુવંશમ્ એ ચાર મહાકાવ્યો છે અને અભિજ્ઞાન શાકુંતલમ્, વિક્રમોર્વશીયમ્ તથા માલવિકાગ્નિમિત્રમ્ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લીથી ઇસ. ૫મી સદી વચ્ચે થઈ ગયા. 

કાલિદાસ દેખાવે સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા, પરંતુ કહેવાય છે કે પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસનાં લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તો તેણી તેની સાથે વિવાહ કરશે. જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા તો અપમાનથી દુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે મુઠ્ઠી બતાવી તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલેને અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે. વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઈ ગયા ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અભણ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહી. કાલિદાસે સાચા દિલથી કાળકા માતાની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા.




#Article 174: આર્યભટ્ટ (1999 words)


આર્યભટ્ટ  ()એ પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. આર્યભટીય (આશરે ઈ.સ. ૪૯૯- ૨૩ વર્ષની ઉંમરે) અને આર્ય-સિદ્ધાંત એ તેમની સૌથી વધારે જાણીતી કૃતિઓ છે.

આર્યભટીયમાં સ્પષ્ટપણે આર્યભટ્ટના જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં તેમના જન્મસ્થળનો મુદ્દો વિદ્વાનોમાં મત-મતાંતરનો વિષય રહ્યો છે. કેટલાક માને છે કે તેઓ અશ્માકા  તરીકે ઓળખાતા નર્મદા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં જન્મ્યા હતા અને અશ્માકાને તેઓ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિતના મધ્યભારતના વિસ્તાર તરીકે ઓળખાવે છે, જો કે બુદ્ધવાદના પ્રારંભિક વર્ણનો અશ્માકા વધારે દક્ષિણમાં હોવાનું જણાવે છે અને આ વર્ણનો મુજબ અશ્માકા એ દક્ષિણાપીઠ  અથવા દખ્ખણના વિસ્તાર છે, જ્યારે કે અન્ય કેટલાક લિખિત વર્ણનો અનુસાર અશ્માકાએ એલેક્ઝાન્ડર સાથે લડાઈ કરી હતી, આ વર્ણનો તેને વધારે ઉત્તરમાં મૂકે છે.

તાજેતરના અભ્યાસ મુજબ આર્યભટ્ટ ચામ્રવટ્ટમ (10N51, 75E45) કેરળના હતા.અભ્યાસનો દાવો છે કે અશ્માકા એ સ્રવણબેલગોલાથી ઘેરાયેલુ જૈન રાષ્ટ્ર હતું અને પત્થરના સ્તંભોથી ઘેરાયેલા દેશને અશ્માકા નામ આપ્યુ હતું.ચામ્રવટ્ટમ એ જૈન રાજ્યનો ભાગ હતો તેવું બ્રહ્મપુત્રા નદીના પરથી પ્રતિપાદિત થાય છે, કારણ કે જૈન પુરાણોમાં આવતા રાજા ભારતના નામ પરથી તેનું નામ પડ્યુ હતું. યુગની વાત કરતી વખતે આર્યભટ્ટ પણ ભારતનો સંદર્ભ આપે છે - રાજા ભારતના સમયની વાત દાસગિતિકાની પાંચમી પંક્તિમાં આવે છે.તે દિવસોમાં કુસુમપુરામાં પ્રખ્યાત વિશ્વવિદ્યાલય હતું અને ત્યાં આવીને જૈનો આર્યભટ્ટના પ્રભાવને જાણી શકતા અને આમ આર્યભટ્ટની કૃતિઓ કુસુમપુરા સુધી પહોંચી હતી અને ત્યાં તેમને પ્રતિષ્ઠા અપાવી હતી.

આર્યભટ્ટ ગણિત અને ખગોળવિજ્ઞાનના અનેક સમીકરણોના સર્જક છે, આમાંથી કેટલાક અપ્રાપ્ય છે. તેમની મુખ્ય રચનાઓમાંથી ગણિત અને ખગોળવિજ્ઞાનના સંગ્રહ આર્યભટીયમ્ ના પુષ્કળ સંદર્ભો ભારતીય ગાણિતિક સાહિત્યમાં આપવામાં આવે છે અને તે આધુનિક સમયમાં પણ ટકી રહ્યું છે. આર્યભટીયના ગાણિતિક વિભાગમાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિને આવરી લેવામાં આવ્યા છે. તેમાં અપૂર્ણાંક, વર્ગની ગણતરીઓ, અનંત સંખ્યાઓની ગણતરી અને સાઈનના કોષ્ટકનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ખગોળશાસ્ત્ર માં પણ તેમનું મહત્વનું યોગદાન છે.

આંકડાની સ્થાન-મૂલક પદ્ધતિ સૌ પ્રથમ ત્રીજી સદીમાં બખશાલિ હસ્તપ્રતમાં જોવા મળી હતી અને તેમની રચનાઓમાં સ્પષ્ટપણે આ પદ્ધતિ અમલમાં હોવાનું જોવા મળે છે. ; તેઓએ નિશ્ચિતપણે પ્રતીકનો ઉપયોગ નથી કર્યો, પરંતુ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જ્યોર્જસ ઈફ્રાની દલીલ છે કે આર્યભટ્ટની સ્થાન-મૂલક પદ્ધતિમાં શૂન્યના જ્ઞાનનો ઉલ્લેખ છે, કારણકે દસની ગણતરી માટે મૂલ્યવિહિન પ્લેસ હોલ્ડરનો ઉપયોગ કરાયો છે.

આમ છતાં, આર્યભટ્ટે બ્રાહ્મી આંકડાઓનો ઉપયોગ નથી કર્યો; વૈદિક કાળની સંસ્કૃત પરંપરાને જાળવી રાખતા તેમણે આંકડાઓ નોંધવા માટે અક્ષરોનો ઉપયોગ કર્યો છે, સ્મૃતિ સંવર્ધક કલામાં જથ્થાવાચક અભિવ્યક્તિ (સાઈન જેવા કોષ્ટક) સ્વરૂપ.

પાઈ ()ના સંભવિત મૂલ્ય માટે આર્યભટ્ટે કામ કર્યું હતું અને કદાચ તેઓ એવા તારણ પર આવ્યા હતા કે  અતાર્કિક છે. આર્યભટ્ટીયમના બીજા ભાગમાં ( 10), તેઓ લખે છે: 

   
 

 ચારને 100માં ઉમેરો, આઠ દ્વારા ગુણાકાર કરો અને પછી 62,000 ઉમેરો. આ રીતે 20,000નો વ્યાસ ધરાવતા વર્તુળનું પરિઘ જાણી શકાય છે. 

તેઓ કહે છે કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર ((4+100)×8+62000)/20000 = 3.1416 છે, જે પાંચ અર્થવાહક આંકડાઓની સામે ચોક્કસ છે.
આર્યભટ્ટે આસન્ન  (નજીક જતું) શબ્દનો ઉપયોગ કર્યો હતો, છેલ્લા શબ્દની બરાબર પહેલા જ આવતુ અને જણાવ્યું હતું કે આ નજીકનું છે, પરંતુ તેનું મૂલ્ય અનંત (અથવા અતાર્કિક) છે. જો આ સાચુ હોય તો તેને અત્યંત અદ્યતન અંતઃદ્રષ્ટિ કહી શકાય, કારણ કે પાઈના મૂલ્યની અતાર્કિકતા અંગે યુરોપને તો છેક 1761માં જાણ થઈ હતી અને તેને સાબિત કરી હતી લામ્બર્ટે). આર્યભટીય(Aryabhatiya)નો અરેબિકમાં અનુવાદ થયા બાદ (ca. 820 CE) અલ-ખ્વારિઝ્મિના બીજગણિત પરના પુસ્તકમાં નજીકના મૂલ્યનો ઉલ્લેખ કરાયો હતો.

ગણિતપદ 6માં આર્યભટ્ટે ત્રિકોણનો વિસ્તાર આપતા જણાવ્યું છે

જેનો અનુવાદ થાય છે: ત્રિકોણ માટે, લંબનું પરિણામ અને તેની અડધી બાજુ એટલે વિસ્તાર. આર્યભટ્ટે તેમની રચના અર્ધ-જ્યા  દ્વારા સાઈન ની ચર્ચા કરી છે. તેનો સીધો અર્થ થાય છે અર્ધ-ચાપકર્ણ. સરળતા ખાતર લોકોએ તેને જ્યા  કહેવા માંડ્યું.અરબી લેખકોએ જ્યારે તેમની રચનાનું સંસ્કૃતમાંથી અરબીમાં ભાષાંતર કર્યું ત્યારે તેઓ આને જિબા (ઉચ્ચારોની સમાનતાથી પ્રેરાઈને) કહેતા. આમ છતાં, અરબી લખાણોમાં  સ્વરને દૂર કરવામાં નથી આવ્યા અને તેનું ટૂંકાક્ષર  jb  થયું. બાદમાં લેખકોને જ્યારે ખબર પડી કે jb  એ જિબા નું ટૂંકાક્ષર છે, તેમણે ફરી પાછો તેના બદલે જિબા નો ઉપયોગ શરૂ કર્યો, જેનો અર્થ થાય છે ખાડી અથવા અખાત (અરબીમાં જિબા  એ તકનીકી શબ્દ હોવા ઉપરાંત તેનો મતલબ થાય છે અર્થ વગરનો શબ્દ). પાછળથી 12મી સદીમાં ઘેરાર્ડો ઓફ ક્રેમોનાએ આ લખાણોનું અરબીમાંથી લેટિનમાં ભાષાંતર કર્યું ત્યારે  તેમણે અરબીના જિઆબ ના બદલે તેના લેટિન અર્થ સાઈનસ નો ઉપયોગ કર્યો (જેનો અર્થ પણ ખાડી અથવા અખાત થાય છે). ત્યાર બાદ અંગ્રેજીમાં  સાઈનસ નું સાઈન  થઈ ગયું. 

ડાયોફેન્ટાઈન સમીકરણ તરીકે જાણીતા બનેલા અને ax + b = cy જેવા સમીકરણોનો ઉકેલ મેળવવાના હેતુથી પ્રાચીન સમયથી ભારતીય ગણિતશાસ્ત્રીઓને સમજવા માટે ભારે કુતુહલ દેખાયું છે.અહીંયા આર્યભટીય (Aryabhatiya)પરના ભાસ્કરના ભાષ્યનું ઉદાહરણ છે:

દા.ત N = 8x+5 = 9y+4 = 7z+1. Nનું લઘુતમ મૂલ્ય 85 હોવાનું તારણ જાણવા મળે છે.સામાન્ય રીતે ડાયોફેન્ટાઈન સમીકરણો નામચીન મુશ્કેલી બની શકે છે. પ્રાચીન વૈદિક લખાણ સુલબા સૂત્રમાં આવા સમીકરણોની ગહન ચર્ચા થઈ હતી, જેના વધારે પ્રાચીન અંશો 800 સદી પૂર્વેના હોઈ શકે છે. આવી મુશ્કેલીઓ ઉકેલવાની આર્યભટ્ટની પદ્ધતિ   (कुट्टक) પદ્ધતિ કહેવાય છે. કુટ્ટકઅર્થ થાય છે ભૂક્કો કરી નાખવો એટલે કે નાના કટકાઓમાં તોડવું. આ પદ્ધતિમાં પાસાના મૂળ ઘટકને નાના આંકડામાં લખવા માટે ગણતરીની પ્રવાહી પદ્ધતિનો સમાવેશ થાય છે. આજે આ ગણતરીઓ, ભાસ્કરે CE 621માં વર્ણન કર્યુ હતું તે મુજબ, ડાયોફેન્ટાઈન સમીકરણો ઉકેલવા માટેની આદર્શ પદ્ધતિ છે. અને તેને સામાન્ય રીતે આર્યભટ્ટ ગણતરી નિયમ કહેવામાં આવે છે.. ડાયોફેન્ટાઈન સમીકરણો એ સંકેત લેખ વિજ્ઞાનમાં રસપ્રદ વિષય છે અને RSA સંમેલન, 2006માં કુટ્ટક  પદ્ધતિ અને  સુલ્વાસૂત્રોની શરૂઆતની રચનાઓ મુખ્ય કેન્દ્ર બની હતી.

આર્યભટીય માં(Aryabhatiya) આર્યભટ્ટે વર્ગ અને ઘનની ગણતરીઓ માટે શ્રેણીબદ્ધ ઉત્કૃષ્ટ પરિણામ આપ્યા છે:#cite note-11|[11]

અને

ખગોળશાસ્ત્રની આર્યભટ્ટની પદ્ધતિ ઔડઆયક પદ્ધતિ  તરીકે ઓળખાતી હતી (દિવસની ગણતરી ઉદયથી કરાય છે, પરોઢ લંકા ખાતે, વિષુવવૃત્ત). ખગોળશાસ્ત્ર અંગેના તેમના પાછળના કેટલાક લખાણો કે જેમાં સ્પષ્ટપણે સેકન્ડ માળખાનો પ્રસ્તાવ છે (અર્ધ-રાત્રિકા , મધ્યરાત્રિ), તે અપ્રાપ્ય છે, પરંતુ અંશતઃ બ્રહ્મગુપ્તના ખંડઅખઅદ્યાકા (khanDakhAdyaka)માં થયેલી ચર્ચામાંથી પુનઃનિર્માણ કરી શકાય છે. કેટલાક લખાણોમાં સ્વર્ગની ગતિને પૃથ્વીના પરિભ્રમણ માટે કારણભૂત ગણવામાં આવી હોય તેવું જણાય છે.

પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોવાનું આર્યભટ્ટ માનતા હોય તેવું લાગે છે. લંકાનો  ઉલ્લેખ કરતાં તેમના વિધાનમાં આ અંગે સૂચન છે કે જેમાં પૃથ્વીના પરિભ્રમણના કારણે સર્જાતિ ગતિ સંદર્ભે તારાઓ ગતિ કરતા હોવાનો ઉલ્લેખ છે: 

પરંતુ ત્યાર બાદની પંક્તિમાં તારાઓ તથા ગ્રહોની ગતિને વાસ્તવિક ગતિ તરીકે વર્ણવવામાં આવી છે: “તેમના ઉગવા અને આથમવાનું કારણ અવકાશનું વર્તુળ અને પવન દ્વારા પશ્ચિમમાં લંકા તરફ ગતિ કરતાં ગ્રહો છે”. લંકા (lit. શ્રીલંકા) અહીંયા વિષુવવૃત્ત પરનો સંદર્ભ છે અને તેને અવકાશીય ગણતરીઓ માટે સૂર્ય-તારાની સ્થિતિની સમાનમાં ઉલ્લેખ છે. આર્યભટ્ટે સૌરમંડળનું ભૂકેન્દ્રીય સ્વરૂપ વર્ણવ્યું છે, કે જેમાં સૂર્ય અને તારા બંને ભ્રમણકક્ષા મુજબ ગતિ કરે છે અને આ ભ્રમણ પૃથ્વીની ફરતે થાય છે. આ નમૂનાનો મુદ્દો પૈતામહાસિદ્ધાંતા માં (ca. CE 425) પણ જોવા મળે છે- ગ્રહોની દરેક ગતિનું સંચાલન બે ભ્રમણકક્ષા દ્વારા નક્કી થાય છે, નાની મંદા (ધીમી) ભ્રમણકક્ષા અને મોટી શિઘ્ર  (ઝડપી) ભ્રમણકક્ષા છે.
 પૃથ્વીથી અંતરની દ્રષ્ટિએ ગ્રહોનો ક્રમ આ મુજબ છે: ચંદ્ર, બુધ, શુક્ર, સૂર્ય, મંગળ, ગુરુ, શનિ, અને તારામંડળો. 

ગ્રહોની સ્થિતિ અને સમયગાળાની ગણતરી કરવા માટે તેમની ભ્રમણકક્ષાનો સંદર્ભ લેવાયો હતો, બુધ અને શુક્રના કિસ્સામાં તેઓ પૃથ્વીની ફરતે એટલી જ ઝડપે ફરે છે જેટલી ઝડપ સૂર્યની હોય છે અને મંગળ, ગુરુ તથા શનિ એક નિશ્ચિત ગતિએ પૃથ્વીની આસપાસ ફરતા હોય છે અને દરેક ગ્રહની ગતિ રાશિચક્રને દર્શાવે છે.ખગોળશાસ્ત્રના મોટાભાગના ઇતિહાસકારો આ બંને ભ્રમણકક્ષાઓના સ્વરૂપના તત્વોને પૂર્વ-ટોલેમિક ગ્રીક ખગોળશાત્રનું પ્રતિનિધિત્વ કરતાં ગણાવે છે.  આર્યભટ્ટના મોડેલમાં અન્ય ઘટક છે, સિઘરોક્કા , સૂર્યના સંબંધમાં મૂળ ગ્રહ સમય, જેને કેટલાક ઇતિહાસકારો પાયાનું સૂર્યકેન્દ્રીય મોડેલ કહે છે.

તેઓ જણાવે છે કે ચંદ્ર અને ગ્રહો સૂર્યના પરાવર્તિત પ્રકાશથી ચમકે છે.તત્કાલિન સમયની માન્યતા મુજબ રાહુ અને કેતુ ગ્રહોને ગળી જતા હોવાની માન્યતા હતી, પરંતુ આ માન્યતાના બદલે તેઓ ઉદય અને અસ્તના કારણે  પૃથ્વી પર પડતા પડછાયા સંદર્ભે ગ્રહણોને સમજાવે છે. આમ ચંદ્ર જ્યારે પૃથ્વીના પડછાયામાં પ્રવેશે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે(પંક્તિ ગોલ.37), અને તેઓ પૃથ્વીના પડછાયાના કદ તથા વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરે છે (પંક્તિઓ ગોલ.38-48), અને ત્યારબાદ તેઓ ગ્રહણમાં આવતા ભાગ અને તેના કદ અંગે ગણતરી રજૂ કરે છે. ત્યાર બાદના ભારતીય ખગોળશાસ્ત્રીઓએ આ ગણતરીઓમાં ઉમેરો કર્યો છે, પરંતુ તેમાં આર્યભટ્ટની પદ્ધતિ પાયારૂપે રહી છે.ગણતરીઓનું કોષ્ટક એટલું બધુ સચોટ હતું કે 18મી સદીના વિજ્ઞાની ગિલ્લૌમ લે જેન્ટિલે, પોન્ડિચરીની મુલાકાત દરમિયાન નોંધ્યું હતું કે 1765-08-30ના રોજ ચંદ્રગ્રહણના સમયની ગણતરીઓ માત્ર 41 સેકન્ડ ટૂંકી પડી હતી જ્યારે કે તેમનું કોષ્ટક (ટોબિઆસ મેયર દ્વારા, 1752) 68 સેકન્ડ લાંબું હતું. 

આર્યભટ્ટની ગણતરી મુજબ પૃથ્વીનો પરિઘ 39,968.0582 કિલોમીટર છે, જે 40,075.0167 કિલોમીટરના વાસ્તવિક મૂલ્ય કરતાં માત્ર 0.2% ઓછો છે. ગ્રીક ગણિતશાસ્ત્રી, ઈરેટોસ્થેનસની ગણતરીઓ કરતાં આ નજદીકી નોંધપાત્ર પ્રગતિ હતી (c. 200 BCE), આધુનિક એકમ મુજબ તેમની ચોક્કસ ગણતરી અપ્રાપ્ય છે પરંતુ તેમના અંદાજમાં અંદાજિત 5-10%ની ભૂલ હતી.

સમયના આધુનિક એકમ સંદર્ભે આર્યભટ્ટની ગણતરીઓ જોઈએ તો ભ્રમણસમય (સ્થિર તારાઓ સંદર્ભે પૃથ્વીનું ચક્કર-ભ્રમણ) 23 કલાક 56 મિનિટ અને 4.1 સેકન્ડ છે; આધુનિક મૂલ્ય 23:56:4.091 છે. આ જ રીતે {0ભ્રમણ વર્ષ{/0}ના મૂલ્યની લંબાઈ 365 દિવસ 6 કલાક 12 મિનિટ 30 સેકન્ડ છે અને સમગ્ર વર્ષની લંબાઈ જોઈએ તો તેમાં 3 મિનિટ 20 સેકન્ડની ભૂલ છે. ભ્રમણના આધારે સમયની ગણતરીનો ખ્યાલ તે સમયની મોટાભાગની ખગોળશાસ્ત્રીય પદ્ધતિઓમાં જાણીતો હતો, પરંતુ તત્કાલીન સમયની ગણતરીઓમાં આ ગણતરી સૌથી વધારે સચોટ હતી.

આર્યભટ્ટે દાવો કર્યો હતો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ગ્રહોની ભ્રમણકક્ષાના મોડેલના કેટલાક ઘટકો એ જ ઝડપે ફરતા હતા જે ઝડપે ગ્રહ સૂર્યની આસપાસ ફરતો હતો. આમ એવું કહી શકાય કે આર્યભટ્ટની ગણતરીઓ સૂર્યકેન્દ્રીય મોડેલના પાયા પર આધારિત હતી, કે જેમાં ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે. આ સૂર્યકેન્દ્રીય અર્થઘટનની વિસ્તૃતત ચર્ચા એક સમીક્ષામાં છે, કે જે બી. એલ. વાન ડેર વીર્ડેનના પુસ્તકમાં દર્શાવ્યા મુજબ, ગ્રહો અંગેના ભારતીય સિદ્ધાંત અંગે સંપૂર્ણ ગેરસમજ, [કે જે] આર્યભટ્ટના વર્ણનના તમામ શબ્દો કરતાં તદ્દન વિપરિત છે., આમ છતાં કેટલાક માને છે કે પોતાનું મોડેલ સૂર્યકેન્દ્રીય સિદ્ધાંતનો પાયો છે તેવી વાતથી આર્યભટ્ટ પોતે અજાણ હતા. કેટલાક દાવા એવા પણ થયા છે કે તેમણે ગ્રહનો માર્ગ લંબગોળ ગણ્યો હતો, જો કે આ અંગેના પ્રથમદર્શી પુરાવા જોવા મળતા નથી. આમ છતાં સામોસના એરિસ્ટાર્ચુસ (3જી સદી ઈસ.પૂર્વે) અને ક્યારેક પોન્યુસના હેરાક્લિડ્સ  (4થી સદી ઈસ.પૂર્વે)ને સામાન્ય રીતે સૂર્યકેન્દ્રીય સિદ્ધાંતનું શ્રેય આપવામાં આવે છે,  ગ્રીક ખગોળશાસ્ત્રની આવૃત્તિ પ્રાચીન ભારતમાં જાણીતી હતી, પૌલિસા સિદ્ધાંત  (સંભવતઃ એલેક્ઝાન્ડ્રિયાના પૌલ દ્વારા) અને સૂર્યકેન્દ્રિત સિદ્ધાંત વચ્ચે કોઈ સામ્યતા નથી. 

ભારતીય ખગોળશાસ્ત્રની પરંપરામાં આર્યભટ્ટની રચનાઓની ઊંડી અસર છે તથા અનુવાદ દ્વારા અનેક પડોશી રાષ્ટ્રોની સંસ્કૃતિને પણ પ્રભાવિત કરી છે. ઈસ્લામિક સુવર્ણ યુગ (ca. 820) દરમિયાન અરેબિક અનુવાદ, નિશ્ચિતપણે પ્રભાવશાળી હતો. આના કેટલાક પરિણામો અલ-ખ્વારિઝ્મિ દ્વારા ટાંકવામાં આવ્યા છે અને  10મી સદીના અરબી વિદ્વાન અલ-બિરુનિએ તેમનો સંદર્ભ આપ્યો છે, જે જણાવે છે કે આર્યભટ્ટના અનુયાયીઓ માનતા હતા કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. 

સાઈન (જ્યા )ની તેમની વ્યાખ્યાઓ, આ જ રીતે (કોજ્યા ), વર્સાઈન (ઉકરામજ્યા), અને ઈનવર્સ સાઈન (ઓટ્કરમજ્યા )એ ત્રિકોણમિતિના જન્મને પ્રભાવિત કર્યો હતો. તે સૌથી પહેલી વ્યક્તિ હતી કે જેણે સાઈનની વર્સાઈન (1 - cosx) કોષ્ટકની સમજ આપી હોય, 4 દશાંશસ્થળોની ચોકસાઈ માટે 3.75°ના અંતર મુજબ 0° થી 90°ની ગણતરી છે.

હકીકતમાં આધુનિક નામો સાઈન  and કોસાઈન  એ આર્યભટ્ટે શોધેલા જ્યા  અને કોજ્યા  શબ્દોનું ખોટું અર્થઘટન છે. અરેબિકમાં તેમની નકલ જિબા  અને કોજિબા  તરીકે કરવામાં આવી. એરેબિક ભૂમિતિના લખાણોનો લેટિનમાં અનુવાદ કરતી વખતે ક્રેમોનાના ગેરાર્ડે/0} ખોટું અર્થઘટન કર્યું; તેઓ જિબા શબ્દને અરબી શબ્દ જૈબ  સમજ્યા, જેનો અર્થ થાય છે કપડામાં લપેટાયેલું, એલ. સાઈનર  (c.1150)#cite note-22|[22].

આર્યભટ્ટની ખગોળશાસ્ત્રીય ગણતરીની પદ્ધતિઓ પણ અત્યંત પ્રભાવશાળી હતી. ઈસ્લામિક જગતમાં ત્રિકોણમિતિના કોષ્ટકોની સાથે તેનો પણ બહોળો ઉપયોગ થવા માંડ્યો, અને ઘણાં એરેબિક ખગોળશાસ્ત્રીય કોષ્ટકો (ઝિજો) ઉકેલવા તેનો ઉપયોગ થતો હતો. વિશેષ રીતે અરેબિક સ્પેન વિજ્ઞાની અલ-ઝરકાલી (11મી સદી)ની રચનાઓંનો અનુવાદ લેટિનમાં ટોલેન્ડોના કોષ્ટક (12મી સદી) તરીકે થયો હતો અને ખગોળશાસ્ત્રની સૌથી વધારે ચોક્કસ પદ્ધતિ તરીકે યુરોપમાં તેનો સદીઓ સુધી ઉપયોગ થતો હતો. આર્યભટ્ટ અને તેમના અનુયાયીઓએ કરેલી મહિનાઓની ગણતરીઓનો ભારતમાં વાસ્તવિક જીવનમાં પણ ઉપયોગ થતો આવ્યો છે, ખાસ કરીને પંચાંગ નક્કી કરવા, અથવા હિન્દુ કેલેન્ડર (તિથિ) જોવા ઉપયોગ થાય છે. આ બંને વસ્તુઓ ઈસ્લામિક જગતમાં પણ પ્રવેશી હતી અને જલાલિ કેલેન્ડર1073નો ખયાલ આપનાર ઓમર ખયામ સહિતના ખગોળવિજ્ઞાનીના જૂથ માટે તેણે પાયાનું કામ કર્યું હતું, જેની આવૃત્તિનો (1925માં સુધારો કરાયો હતો) આજે ઈરાન અને અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે ઉપયોગ થાય છે.  વાસ્તવિક સૂર્ય સંક્રમણના આધારે જલાલિ કેલેન્ડર તેની તારીખ નક્કી કરે છે, જેવી રીતે આર્યભટ્ટ (અગાઉના સિદ્ધાંત કેલેન્ડરો)માં થતું હતું. આ પદ્ધતિના કેલેન્ડર માટે તારીખોની ગણતરી કરવા ગ્રહોની ગતિનો અભ્યાસ જરૂરી છે. તારીખની ગણતરી કરવી અઘરી હોવા છતાં જ્યોર્જિયન કેલેન્ડરની સરખામણીએ જલાલિ કેલેન્ડરમાં પ્રાસંગિક ભૂલો ઓછી હતી.

ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ચંદ્ર પરના ખાડા આર્યભટનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.ખગોળશાસ્ત્ર, નક્ષત્ર ભૌતિક રાસાયણિક શાસ્ત્ર અને વાતાવરણ વિજ્ઞાનમાં સંશોધન માટે નૈનિતાલ, ભારત, પાસે સ્થપાયેલ સંસ્થાનું નામ આર્યભટ્ટ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓબસર્વેશનલ સાયન્સીસ (ARIES) રાખવામાં આવ્યું છે. સ્કૂલો વચ્ચેની આર્યભટ્ટ ગણિત સ્પર્ધાનું નામ પણ તેમના પરથી રખાયું છે. બેસિલ્લસ આર્યભટ , ISROના વિજ્ઞાનીઓ દ્વારા 2009માં શોધાયેલ બેક્ટેરિયાના એક પ્રકારનું નામ તેમના પર રાખવામાં આવ્યું છે.




#Article 175: અશોક (592 words)


અશોક (રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.

તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોકગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઈ શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.

અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.

અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુદ્ધ કળામાં પ્રવિણ હતો.

અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશિલાનો પ્રાંતપાલ હતો. તક્ષશિલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશિલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવામાં આવ્યો હતો.

અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને દેશનિકાલ આપ્યો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.

આ દરમ્યાન ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોકને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી 'દેવી'નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે લગ્ન કરી લીધાં.

થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.

કલિંગનુ યુદ્ધ અશોકના જીવનપરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારથી તેનું મન દુઃખ અને વેદનાથી ભરાઈ ગયું અને પછીથી ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેણે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાયો.

 
કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બૌદ્ધ ધર્મનો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેણે શિકાર તથા પશુહત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું. 

તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.

અશોકે લગભગ ૪૦ વર્ષ સુધી શાસન કર્યું. તેનું અવસાન ઇ.પૂ. ૨૩૨માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશનું શાસન લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.

મગધ અને ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઘણી જગ્યાએથી અશોકના કાળના ઘણા અવશેષ મળી આવ્યા છે. પટણા (પાટલીપુત્ર) પાસે કુમ્હરારમાં પણ તે સમયના અવશેષ મળ્યા છે. લુમ્બિનીમાં અશોકના સ્તંભ જોવા મળે છે. કર્ણાટક અને દેશના બીજા ઘણા ભાગમાં અશોકના શીલાલેખ જોવા મળે છે. 

ગુજરાતમાં જુનાગઢ પાસે ગીરનાર પર્વત પરનો અશોકનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.




#Article 176: અકબર (1145 words)


અકબર, જલાલુદ્દીન મોહમ્મદ અકબર (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી  વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત  કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર  પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.

અકબરના દાદા બાબર ઇ.સ. ૧૫૨૭માં અફઘાનિસ્તાનથી પોતાના સૈન્ય સાથે હિન્દુસ્તાન પહોંચ્યા અને રાણા સંગ્રામસિંહને હરાવીને આગ્રાની ગાદી કબજે કરીને હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી. તેણે પોતાની આત્મકથા તુઝુ-કે-બાબરી લખી જે ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

ઇ.સ. ૧૫૪૦માં કનોજના યુદ્ધમાં શેરશાહ સુરી સામે હુમાયુનો પરાજય થયો અને આ સાથે જ હુમાયુના ૧૫ વર્ષ સુધીના રખડપટ્ટી અને કઠણાઈભર્યા જીવનની શરુઆત થઇ. આ દરમ્યાન ૧૫૪૧માં સિંધના અમરકોટ ગામ પાસે તે તેની બેગમ હમીદાબાનુ ને મળ્યો અને ઇ.સ.૧૫૪૧માં તેણે હમીદાબાનુ સાથે લગ્ન કર્યા.

ત્યારબાદ ૧૫૪૧માં તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ બદરૂદીન રાખવામાં આવ્યું પરંતુ હુમાયુએ પુત્રનું નામ બદલીને જલાલુદીન મોહમ્મદ રાખ્યું ત્યારબાદ હુમાયુ પર હુમલો થતાં જીવ બચાવવા તે પોતાની બેગમ સાથે ઈરાન ભાગી ગયો અને જલાલુદ્દીનને પોતાના કાકાઓના સંરક્ષણમાં રહેવું પડયું. પહેલા થોડાં દિવસો તે કંદહારમાં અને ત્યાર પછી કાબુલમાં રહ્યો અને ૧૫૪૫થી કાબુલમાં હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધો બહુ સારા ના હોવાથી જલાલુદ્દીનની સ્થિતી કેદી કરતાં થોડીક જ સારી હતી તેમ છતાં સૌ તેની સાથે સારો વ્યવહાર કરતા અને તેને કંઈક વધુ પ્રમાણમાં લાડ પણ લડાવતા.

જયારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા કમરાનએ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો. અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયુએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્ધાનો મુલ્લા ઈસામુદ્દીન ઈબ્રાહિમ, મૌલાના અબુલ કાદિર, મિર અબ્દુલ લતિફ વગેરેની નિમણુક કરી.પરંતુ અકબરને અભ્યાસ કરતા ધોડેસવારી, તલવારબાજી,ખેલકુદ વગેરેમા વધારે રસ હોવાથી તે વધારે ભણી શક્યો નહીં   અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિમાં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું. 

પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. પિતા હુમાયૂંનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં ૨૬મી જાન્યુઆરી ૧૫૫૬ના રોજ આકસ્મિક અવસાન થયું.તે સમયે અકબર વઝીર બૈરમખાન સાથે પંજાબના ગુરુદાસપુરના કાલનૌર ગામે ગયો હતો;આથી બૈરમખાને ત્યાજ અકબર નો રાજ્યાભિષેક કર્યો જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે મુગલ રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને હેમુના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.

રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી. તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતાના ત્યારબાદ કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.ત્યારબાદ ઇ.સ.૧૫૫૬માં અકબરની સરદારી નીચે હેમુના  સૈન્ય  સામેના પાણીપતના દ્વિતીય યુદ્ધમાં હેમુનો  પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ. આ પછીના ચાર વર્ષ બૈરામખાં ના  તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય. આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ, પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા. તેથી સુન્ની અમિરો તથા અધિકારીઓ નારાજ થયા. વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને અકબરની અવગણના  કરતાં અકબરે બૈરમ ખાનને મક્કા  હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધૂરા હાથમાં  લીધી. માર્ગમાં બૈરમખાને અકબર સામે કરેલા બળવામાં તેનો  પરાજય થયો પરંતુ બૈરામખાંની ભુતકાળની મુઘલ સલ્તનત પ્રત્યેની વફાદારી અને સેવાઓ ને  ધ્યાનમાં રાખીને અક્બરે તેને ક્ષમા આપી. મક્કાની યાત્રા માટે આગળ જતા પાટણ મુકામે એક જુના શત્રુના હાથે બૈરામખાનની હત્યા થઈ. અકબરે તેના કુટુંબને દિલ્હી બોલાવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.અકબરે તેની પત્ની સલીમાં સાથે લગ્ન કર્યા અને તેના પુત્ર ને મોટો થતાં પોતાના દરબારમાં ઉચ્ચ હોદ્દો પણ આપ્યો બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામાં  આવે છે. કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી. અકબરે મંત્રી તરીકે પોતાના  ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા એવા શમ્સુદ્દીનની નિમણૂક  કરતા માહમ આદનખાને શમસુદ્દીનની હત્યા કરી નાખી. આથી અકબરે આદનખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકાવીને મારી નાખાવ્યો. આથી તેના આઘાતમાં માહામ આંંગા અવસાન પામતા અકબર સર્વોપરી શાસક બન્યો.

અન્ય મધ્યયુગીન શાસકોની  જેમ અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતો. અને તેને પોતાનુ રાજ્ય ઉત્તરે અફઘાનિસ્તાન કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પશ્ચિમે ગુજરાતની પુર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી. અકબરનાં મોટાભાગના યુદ્ધો ખુબજ ઝડપી તથા આક્રમક હોવા છતા મટાભાગે ઉદારતાનો અંશ હતો.અકબરે ૧૫૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે માળવા, જબલપુર પાસેનુ ગોંદવાના, રણથંભેર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, બંગાળ, કાબુલ, કાશ્મિર, સિંઘ, કટ્દહાર, અહમદનગર જીતી લીધા  ગોંડવાનામાં  વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી. અકબરે ફક્ત૯ દિવસમાં ૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફ્રશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. આનાથી મુઘલ સમ્રાજ્યને બંદરનો લાભ મળતા તેના વ્યાપાર-વાણિજ્યનો વિકાસ થયો.ઉત્તર અને મધ્ય ભારત ઉપર પોતાનો ઝંડો લેહરાવ્યા બાદ અકબરે પોતાનું ધ્યાન રાજપુતાના જીતવા પર  કેન્દ્રિત કર્યું તેણે અજમેર અને નાગોર તો પહેલાથી જ જીતી લીધા હતા આમ ઈ.સ.1561માં અકબરે રાજપુતાના જીતવાની સફરનો પ્રારંભ કર્યો મોટાભાગના રાજપૂત રાજાઓએ તેની આણ નો સ્વીકાર કર્યો આંબેરના રાજા ભારમલે પોતાની પુત્રી જોધા ના અકબર સાથે લગ્ન કર્યા અને આ સાથે અકબરે હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખ્યો આમ છતાં મેવાડના મહારાણા ઉદયસિંઘે તેની આણ માનવાનો ઇન્કાર કરી દીધો આથી રાજપુતાના પર  સંપૂર્ણ આધિપત્ય જમાવવા અકબરે ઇ.સ 1567માં ચિતૌડગઢ પર હુમલો કરીંને ચિતૌડ જીતી લીધું  અને મહારાણા ઉદયસિંહ ને મેવાડની ઘાટીઓમાં છુપાઈને આશરો લેવો પડ્યો આમ છતાં ઉદયસિંહના મહાન પુત્ર પ્રતાપે તેની સામે શરણાગતી સ્વીકારી નહીં અને ચિતૌડથી દૂર પર્વતો અને તળાવો ની વચ્ચે સુંદર જગ્યામાં એક નવું નગર વસાવ્યું જેનું નામ પોતાનાં પિતાના નામ પરથી ઉદયપુરરાખ્યું સમગ્ર રાજપૂતાનામાં માત્ર મેવાડ જ એકમાત્ર સ્વતંત્ર રાજ્ય રહ્યું આથી ઈ.સ. 1576માં અકબરે ફરીથી ઉદયપુર પર ચડાઈ કરી હલ્દીઘાટી ના મેદાનમાં મહારાણા પ્રતાપે અકબરનો વીરતાપૂર્વક સામનો કર્યો પરંતુ અકબરની વિશાળ સેના સામે તેઓ ટકી શક્યા નહીં  આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડયો કર્નલ ટોડે હલ્દીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે.[૧]

અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ. પરંતુ ત્યારબાદ અકબરના પોતાની સેનાની પદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને અંત:પુરમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને અહમદનગર જીતી લીધું અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખુબ મજબુત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવીને કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવી થી અસિરગઢનો કિલ્લો જિત્યો.[૧]

અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા તેનો વિકાસ કરવા વિશાળ બહુમતી ધારાવતી રાજપુત-હિંદુ પ્રત્યે ઉદાર નિતિ અપનાવવી જરુરી હતી; આથી અકબરે રાજપુતો સાથે લગ્ન સબંધો બાંધ્યા, રાજ્યમાં ઉંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્ય્ર ધાર્મિક સહિષ્ણણુતાની નિતિ અપનાવી. આને પરિણામે અકબરને રાજપુતોની સેવા પ્રાપ્ત થઈ.

૧) ધાર્મિક સુધારાઓ

૩) સામાજિક સુધારાઓ

૪) શિક્ષણિક સુધારાઓ

૫) અકબરના સમયમાં સ્થાપત્યો

૬) સંગીત

અકબરનુ મૃત્યુ ફતેપુર સીકરી ખાતે ૨૭ ઓક્ટોબર ૧૬૦૫ ના રોજ અથવા તેની આસપાસ થયુ હતુ. તેને સિંકદરા, આગ્રા ખાતેના મકબરામાં દફનાવાયો હતો.




#Article 177: સ્વામી વિવેકાનંદ (5867 words)


સ્વામી વિવેકાનંદ  (બંગાળી: স্বামী বিবেকানন্দ, શામી બિબેકાનંદો) (૧૨ જાન્યુઆરી, ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત  ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ  મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને  તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓ અમેરિકાના ભાઈઓ તથા બહેનો સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ  યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં  વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

ચિત્ર:Bhuvaneshwari-Devi-1841-1911.jpg|thumb|right|ભુવનેશ્વરી દેવી (૧૮૪૧-૧૯૧૧). મારા જ્ઞાનના વિકાસ માટે હું મારી માતાનો ઋણી છું.[૨૨]—વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું.  તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.

તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.

નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત  અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો.  તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.

નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું,  તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો. તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો. જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.

નરેન્દ્રનાથે સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે  વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.

તેમના પ્રોફેસરોના કહેવા મુજબ વિદ્યાર્થી તરીકે નરેન્દ્રનાથ મેઘાવી હતા. તેઓ સને ૧૮૮૧-૮૪ દરમિયાન સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા. તેના આચાર્ય ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા. હું દુનિયા ફર્યો છુ પરંતુ જર્મન યુનિવર્સિટિઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ મને તેના જેવો પ્રતિભાસંપન્ન અને સંભાવના વાળો યુવક જોવા મળ્યો નથી તેમને શ્રુતિધર  કહેવામાં આવતા, એક એવી વ્યક્તિ જેની યાદશક્તિ વિલક્ષણ હોય, જાણવા મળ્યા મુજબ નરેન્દ્રનાથ સાથે ચર્ચા  થયા બાદ ડૉ. મહેન્દ્રલાલ સરકારે કહ્યુ હતું કે , આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં કદી વિચાર્યુ પણ નહોતું!

બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી.  તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો.  તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.

કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. નરેન્દ્ર હર્બર્ટ સ્પેંસરના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત થયા હતા તથા સ્પેંસરના શિક્ષણ પરના પુસ્તકનો પોતાના પ્રકાશક ગુરુદાસ ચટ્ટોપાધ્યાયમાટે બંગાળીમાં અનુવાદ પણ કર્યો હતો. નરેન્દ્રએ થોડો સમય માટે સ્પેંસર સાથે પત્રવ્યવ્હાર પણ કર્યો હતો. તેમના પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસની સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પવિત્ર ધર્મગ્રંથોથી અને બંગાળી રચનાઓથી પણ સુપેરે પરિચિત હતા.

સાહિત્યના એક વર્ગમાં તેમણે આચાર્ય હેસ્ટીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ધ એક્સકર્ઝન (The Excursion) ,અને તેના પ્રકૃતિ-ગુઢવાદ પર પ્રવચન કરતા  સાંભળ્યા હતા ત્યારે રામકૃષ્ણ સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો.  કવિતામાં આવતા સમાધી  શબ્દને સમજાવતી વખતે હેસ્ટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દનો સાચો અર્થ સમજવા માંગતા હોય તો તેમણે દક્ષિણેશ્વરના રામકૃષ્ણને મળવું જોઇએ. આનાથી નરેન્દ્રનાથ સહિતના અમુક વિદ્યાર્થીઓ રામકૃષ્ણને મળવા પ્રેરાયા.

નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત  તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. આ મુલાકાત વિષે નરેન્દ્રનાથે કહ્યુ હતું કે તેઓ [રામ્કૃષ્ણ] માત્ર એક સાધારણ માનવી જેવા દેખાતા હતા, તેમનામાં નોંધ પાત્ર કંઇ જણાતુ નહોતું.તેઓ સાવ સામન્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. મેં વિચાર્યું, શું આ માણસ મહાન શિક્ષક હોઈ શકે?'  હું તેમની નજીક ગયો અને તેમને એ સવાલ પૂછ્યો, જે સવાલ હું મારી સમગ્ર જિંદગી દરમિયાન અન્યોને પૂછતો રહ્યો હતો. 

'શું તમે ઇશ્વરમાં માનો છો, ગુરુદેવ?' 'હા,' તેમણે જવાબ આપ્યો.

 
એમનાથી હું એજ વખતે અભિભૂત થઈ ગયો. […] હું તેમની પાસે જવા લાગ્યો, રોજેરોજ. અને મેં વાસ્તવમાં જોયું કે ધર્મ ખરેખર આપી શકાય છે.એક સ્પર્શ, એક નજર, તમારું સમગ્ર જીવન બદલી નાંખે છે.

પ્રારંભમાં નરેન્દ્રએ રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો, તેમ છતાં તેઓ  તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા.  શરૂઆતમાં તેમને રામકૃષ્ણના ઉદ્રેકો અને વિચારો ‘‘કલ્પનાના ગુબ્બારા’’,  ‘‘માત્ર ભ્રામકતા’’ જેવા જ લાગ્યા હતા.. બ્રહ્મો સમાજના સભ્ય તરીકે, તેમણે મૂર્તિ પૂજા અને બહુઇશ્વરવાદ અને રામકૃષ્ણની કાલી માતાની ભક્તિ સામે બળવો કર્યો હતો. તેમણે નિરપેક્ષતા સાથેના અદ્વેત વેદાંતવાદ ની એકાત્મતાને પણ નકારી કાઢી હતી અને મોટેભાગે તે વિચારની મજાક ઉડાવતા હતા.

નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. કંઈ પણ સ્વીકારતા પહેલાં તેનું સર્વાંગી પરીક્ષણ કરવું એ નરેન્દ્રનો સ્વભાવ રહ્યો હતો. તેમણે રામકૃષ્ણની પરીક્ષા લીધી અને રામકૃષ્ણએ પણ ક્યારેય નરેન્દ્રને તર્ક ત્યજવાનું કહ્યું નહોતું. તેમણે નરેન્દ્રની તમામ દલીલો અને પરીક્ષણોનો ધીરજપુર્વક સામનો કર્યો. ‘‘સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો,’’ એ તેમનો જવાબ હતો.  રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા અને સ્વીકાર હ્રદય-પુર્વકનો અને એક અનુયાયીની સંપુર્ણ શરણાગતિ સાથે હતો. 

વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે.  એવું નોંધાયું છે કે જ્યારે વિવેકાનંદેઅવતાર , અંગેના રામકૃષ્ણના દાવા સામે શંકા ઉઠાવી ત્યારે તેમણે એવું કહ્યું હોવાનું મનાય છે કે, ‘‘એ જે રામ હતા, એ જે કૃષ્ણ હતા, હવે તે પોતે રામકૃષ્ણના શરીરમાં છે.’’  અંતિમ દિવસોમાં રામકૃષ્ણએ વિવેકાનંદને મઠના અન્ય અનુયાયીઓની સંભાળ લેવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેમને વિવેકાનંદને તેમના નેતા તરીકે સ્વીકારવા જણાવ્યું હતું.  રામકૃષ્ણની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ હતી અને તેઓ કોસીપોરના ગાર્ડન હાઉસમાં ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬એ વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા. તેમના અનુયાયીના જણાવ્યા પ્રમાણે, તેમણે મહાસમાધિ લીધી હતી.

ગુરુના મૃત્યુ પછી મઠવાસીઓએ વિવેકાનંદના નેતૃત્વમાં ગૃહસ્થ અનુયાયીઓની નાણાકીય મદદથી ગંગા નદીના કાંઠે બારાનગર ખાતે એક અર્ધ ખંડેર મકાનમાં એક સમાજની રચના કરી. તે અનુયાયીઓનો પ્રથમ મઠ બન્યો. આ અનુયાયીઓ રામકૃષ્ણના પંથના પ્રથમ અનુયાયીઓ બન્યા.

બારાનગોરના જીર્ણ મકાનની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કે રામકૃષ્ણનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે કોસીપોર ઘાટની નજીક આ મકાન હતું અને તેનું ભાડું પણ ઓછું હતું. નરેન્દ્ર અને મઠના અન્ય સભ્યો તેમનો સમય ધ્યાન ધરવામાં, વિવિધ તત્વચિંતનો અંગે તેમજ રામકૃષ્ણ, શંકરાચાર્ય, રામાનુજ અને જીસસ ક્રાઇસ્ટ સહિતના આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશો અંગે ચર્ચા કરવામાં વીતાવતા હતા.  મઠના પ્રારંભિક દિવસોને નરેન્દ્ર યાદ કરતા કહેતા, ‘‘બારાનાગોર મઠ ખાતે અમે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરતા.  વહેલી સવારે 3.00 કલાકે અમે ઉઠી જતા હતા અને જપ   અને ધ્યાનમાં ડુબી જતા હતા. એ દિવસોમાં વિતરાગની કેવી તીવ્ર વૃત્તિ અમારામાં હતી!  દુનિયા અસ્તિત્વ ધરાવે છે કે નહીં એનો પણ વિચાર અમને આવતો નહોતો.’’  .’’ ૧૮૮૭ના પ્રારંભિક સમયમાં નરેન્દ્ર અને અન્ય આઠ અનુયાયીઓએ મઠની ઔપચારિક પ્રતિજ્ઞાઓ લીધી. નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું.

૧૮૮૮માં વિવેકાનંદે મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા. ‘‘કોઈ પણ નિશ્ચિત ઘર વિનાના, સંબંધો વિનાના, સ્વતંત્ર અને અજાણ્યાની પેઠે’’ ભ્રમણ કરતા સાધુનું હિન્દુ ધાર્મિક જીવન એટલે પરિવ્રાજક.  તેમનો એકમાત્ર અસબાબ હતો કમંડલ , કાયા અને તેમના બે પ્રિય પુસ્તકો—ભગવદ્ ગીતા  અને ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ . નરેન્દ્રનાથે ભારતના ચારે ખૂણામાં 5 વર્ષ સુધી પ્રવાસ કર્યો, શિક્ષણના મુખ્ય કેન્દ્રોની મુલાકાત લીધી,  વિવિધ ધાર્મિક પરંપરાઓ અને સામાજિક જીવનની વિવિધ તરાહો સાથે પોતાની જાતને પલોટી. તેમણે લોકોના દુઃખ અને ગરીબી માટે સહાનુભૂતિ કેળવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ કર્યો.  મુખ્યત્વેભિક્ષા કે ભીખ પર નભતા નરેન્દ્રનાથે મોટાભાગનો પ્રવાસ પગે ચાલીને અને પ્રવાસ દરમિયાન તેમને મળતા ચાહકોએ આણેલી રેલ્વે ટિકીટો પર કર્યો.આ પ્રવાસો દરમિયાન તેમણે વિદ્વાનો, દિવાનો, રાજાઓ અને જીવનના તમામ ક્ષેત્રોના લોકો—હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, અછુતો , સરકારી અધિકારીઓ - સાથે ઘરોબો કેળવ્યો અને તેમની સાથે રહ્યા. 

૧૮૮૮માં તેમણે વારાણસીથી તેમના પ્રવાસની શરૂઆત કરી.વારાણસીમાં તેઓ પંડિત અને બંગાળી લેખક  ભુદેવ મુખોપાધ્યાય  તેમજ શિવ મંદિરમાં રહેતા વિખ્યાત સંત ત્રેલંગ સ્વામી ને મળ્યા,અહીં, તેઓ જાણીતા સંસ્કૃત વિદ્વાન બાબુ પ્રમદાદાસમિત્રાને મળ્યા, હિન્દુ શાસ્ત્રોના અર્થઘટન માટે તેમની સલાહ માગતા અસંખ્ય પત્રો વિવેકાનંદે લખ્યા હતા.
વારાણસી પછી તેમણે અયોધ્યા, લખનૌ, આગ્રા, વૃંદાવન, હાથરસ અને ઋષિકેશની મુલાકાત લીધી. હાથરસ ખાતે તેઓ શરદચંદ્ર ગુપ્તાને મળ્યા, એક સ્ટેશન માસ્ટર, જેઓ પાછળથી સ્વામીના સૌ પ્રથમ શિષ્યોમાંના એક બન્યા અને સદાનંદ   નામ ધારણ કર્યું. . ૧૮૮૮-૧૮૯૦ દરમિયાન તેમણે વૈદ્યનાથ, અલ્હાબાદની મુલાકાત લીધી. અલ્હાબાદથી તેમણે ગાઝીપુરની મુલાકાત લીધી, જ્યાં તેઓ પવહારી બાબાને  મળ્યા, જેઓ એક અદ્વેત વેદાંત  સન્યાસી હતા અને મોટા ભાગનો સમય ધ્યાનમાં વીતાવતા હતા.  ૧૮૮૮-૧૮૯૦માં તેઓ બારાનાગોર મઠ માં  કેટલોક સમય પાછા ફરતા રહ્યા, કેમ કે તેમની તબિયત કથળતી હતી અને મઠ ને  મદદ કરનારા, રામકૃષ્ણના અનુયાયીઓ બલરામ બોઝ અને સુરેશચંદ્ર મિત્રા મૃત્યુ પામ્યા હતા, તેથી મઠ માટે નાણાકીય વ્યવસ્થા પણ કરવાની હતી. 

જુલાઈ, ૧૮૯૦માં તેમના સખા સાધુ સ્વામી અખંડાનંદની સાથે તેમણે પરીવ્રાજક તરીકેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પશ્ચિમની તેમની મુલાકાત પછી જ તેઓ મઠ માં  પાછા ફર્યા. તેમણે નૈનિતાલ, અલમોડા, શ્રી નગર, દહેરાદૂન, ઋષિકેશ, હરિદ્વાર અને હિમાલયની મુલાકાત લીધી.  આ પ્રવાસ દરમિયાન તેમને વ્યાપકતા અને સૂક્ષ્મતાનો  સાક્ષાત્કાર થયો. પાછળથી પશ્ચિમમાં તેમણે આપેલા જ્ઞાન યોગ  પરના ભાષણ, ‘બ્રહ્માંડ —  અને   તેનું પ્રતિબિંબ પડ્યું હોવાનું જણાય છે. આ પ્રવાસો દરમિયાન તેઓ તેમના સખા સાધુઓ —સ્વામી બ્રહ્માનંદ, શારદાનંદ, તુરીયાનંદ, અખંડાનંદ, અદ્વેતાનંદને મળ્યા. તેઓ થોડા સમય માટે મેરઠમાં રહ્યા, જ્યાં તેઓ તેમનો સમય ધ્યાન, પ્રાર્થના અને શાસ્ત્રોના અભ્યાસમાં વીતાવતા હતા. જાન્યુઆરી ૧૮૯૧ના અંતમાં, સ્વામી તેમના સખા સાધુઓને છોડીને એકલા દિલ્હી ગયા.

ધન છે 
દિલ્હીમાં, ઐતિહાસિક સ્થળોની મુલાકાત પછી તેઓ રાજપુતાનાની ઐતિહાસિક ભૂમિ અલવર ગયા. પાછળથી તેમણે જયપુરનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે પણિનીના અષ્ટાધ્યાયીનો સંસ્કૃતના એક વિદ્વાનની મદદથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અજમેરની મુલાકાત લીધી, જ્યાં તેમણે અકબરના મહેલ અને વિખ્યાત  દરગાહની મુલાકાત લીધી અને માઉન્ટ આબુ ગયા. અહીં તેઓ  ખેત્રીના મહારાજ અજિતસિંહને મળ્યા, જેઓ તેમના પ્રખર ભક્ત અને ટેકેદાર બન્યા. તેમને ખેત્રીની  મુલાકાત લેવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે રાજા સાથે ચર્ચાઓ કરી. ખેત્રીમાં તેઓ પંડિત નારાયણદાસની સંગતમાં રહ્યા અને પણિનીના સૂત્રો પરના મહાભાષ્ય નો  અભ્યાસ કર્યો. ખેત્રીમાં અઢી વર્ષ વીતાવ્યા પછી ઓક્ટોબર ૧૮૯૧ના અંતભાગમાં તેઓ  રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા.

પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી.  અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો.  લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. જ્યારે તેઓ પરિવ્રાજક તરીકે ભ્રમણ કરતાં લીંબડી આવ્યાં હતા ત્યારે ત્યાંના ઠાકોર સાહેબે સ્વામીજીને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત સ્વામી વિવેકાનંદે સૌ પ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી.. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા, વડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાન પંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું..

પાછળથી તેમણે  મહાબલેશ્વરનો  પ્રવાસ કર્યો અને પછી પૂણે ગયા.પૂણેથી તેઓ જુન ૧૮૯૨ની આસપાસ ખંડવા અને ઇન્દોર ગયા. કાઠિયાવાડમાં તેમણે વિશ્વના ધર્મોની સંસદ અંગે સાંભળ્યું હતું અને તેમના અનુયાયીઓએ તેમને સંસદમાં હાજરી આપવા વિનંતી કરી હતી. તેઓ ખંડવાથી મુંબઈ જવા નીકળ્યા અને જુલાઈ ૧૮૯૨માં ત્યાં પહોંચ્યા. પૂણે જતી ટ્રેનમાં તેઓ બાલ ગંગાધર ટિળકને મળ્યા. પૂણેમાં થોડા દિવસો ટિળક સાથે રહ્યા પછી સ્વામી ઓક્ટોબર ૧૮૯૨માં બેલગામ ગયા. બેલગામ ખાતે તેઓ પ્રો. જી. એસ. ભાતે અને સબ-ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિપદ મિત્રાના મહેમાન બન્યા. બેલગામથી તેમણે ગોવામાં પંજીમ અને માર્ગગોવાની  મુલાકાત લીધી. જ્યાં લેટિનભાષાનું દુર્લભ ધાર્મિક સાહિત્ય હસ્તપ્રતો અને મુદ્રિત સર્જનોમાં સચવાયું છે તેવી ગોવાની અધ્યાત્મવિદ્યાની સૌથી જુની  કોન્વેન્ટ કોલેજ રેચોલ સેમિનરીમાં તેમણે ત્રણ દિવસ ગાળ્યા. અહીં તેમણે ખ્રિસ્તી ધર્મી મહત્વની અધ્યાત્મિક કૃતિઓનો અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે.  માર્મગોવાથી સ્વામી ટ્રેનમાં ધારવાર ગયા અને ત્યાંથી સીધા મૈસુર રાજ્યમાં આવેલા બેંગ્લોર ગયા.

બેંગ્લોરમાં સ્વામીએ મૈસુર રાજયના દિવાન સર કે. શૈષાદ્રી ઐયર  સાથે ઘરોબો કેળવ્યો અને પાછળથી તેઓ મૈસુરના મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડીયારના મહેમાન તરીકે મહેલમાં રોકાયા.  સ્વામીના અભ્યાસ અંગે સર શેષાદ્રીએ એવું કહ્યું હોવાનું નોંધાયું છે કે, ‘‘એક ચુંબકીય વ્યક્તિત્વ અને એક દૈવી તાકાત, જે તેમના દેશના ઇતિહાસ પર પોતાની છાપ છોડી જવા નિર્માયા હતા.’’ મહારાજાએ સ્વામીને કોચીનના દિવાન પર ભલામણપત્ર લખી આપ્યો અને તેમને રેલ્વેની ટિકીટ આપી.

બેંગ્લોરથી તેમણે ત્રિશુર, કોડુંગલુર, એર્નાકુલમની મુલાકાત લીધી. એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને  મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો  પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા.  કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક  તરીકે જાણીતો થયો.  કન્યાકુમારી ખાતે વિવેકાનંદને ‘‘એક ભારતનો વિચાર’’ આવ્યો હોવાનું કહેવાય છે.  તેમણે લખ્યું, 

કન્યાકુમારીથી તેમણે મદુરાઈની  મુલાકાત લીધી, જ્યાં તેઓ રામનદના રાજા ભાસ્કર સેતુપતિને મળ્યા, જેમના માટે તેમની પાસે ઓળખાણપત્ર હતો. રાજા સ્વામીના અનુયાયી બન્યા અને તેમને શિકાગો ખાતે ધર્મોની સંસદમાં જવાની વિનંતી કરી.મદુરાઈથી તેમણે રામેશ્વરમ, પોંડિચેરીની  મુલાકાત લીધી અને તેઓ મદ્રાસ ગયા અને અહીં તેઓ તેમના સૌથી પ્રખર અનુયાયીઓને મળ્યા, જેવા કે અલસિંગા પેરુમલ, જી. જી. નરસિંહાચારી. આ અનુયાયીઓએ અમેરિકા ખાતે સ્વામીના પ્રવાસ માટે ભંડોળ એકઠું કરવામાં અને પાછળથી મદ્રાસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.મદ્રાસથી તેમણે હૈદરાબાદનો પ્રવાસ કર્યો. મદ્રાસના તેમના ભક્તો, મૈસુર, રામનદ, ખેત્રીના રાજાઓ, દિવાનો અને અન્ય અનુયાયીઓ એકઠા કરેલા ભંડોળની મદદથી વિવેકાનંદ ૩૧મી મે, ૧૮૯૩એ મુંબઈથી ખેત્રીના મહારાજાએ સૂચવેલું વિવેકાનંદ  નામ ધારણ કરીને શિકાગો જવા નીકળ્યા.

અમેરિકાનો એમનો પ્રવાસ ચીન, જાપાન, કેનેડા થઇને પૂરો થયો અને તેઓ જુલાઈ ૧૮૯૩માં શિકાગો આવ્યા.  પરંતુ, એ જાણીને તેમને નિરાશા થઈ કે  અધિકૃત  સંગઠનની સત્તાવાર ઓળખાણ વિના કોઇ પણ વ્યક્તિને પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવશે નહીં. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જહોન હેનરી રાઇટના સંપર્કમાં આવ્યા.  હાર્વર્ડ ખાતે તેમને બોલવાનું આમંત્રણ આપ્યા પછી જ્યારે રાઇટે જાણ્યું કે તેમની પાસે સંસદમાં બોલવા માટેનું સત્તાવાર ઓળખપત્ર નથી, ત્યારે રાઇટે એવું કહ્યું હોવાનું નોંધાયું કે, ‘‘તમારી પાસે ઓળખપત્ર માગવું એટલે સ્વર્ગમાં પ્રકાશવા માટેનો પોતાનો અધિકાર જણાવવાનું સૂર્યને પૂછવા બરોબર છે.’’ રાઇટે ત્યાર બાદ પ્રતિનિધિઓનો ચાર્જ સંભાળતા અધ્યક્ષને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, ‘‘અહીં એક એવો માણસ છે, જે આપણા તમામ વિદ્વાન પ્રોફેસરો ભેગા થાય તો પણ તેમનાથી વધારે વિદ્વાન છે.’’પ્રોફેસર પર વિવેકાનંદ પોતે લખે છે, ધર્મ સંસદમાં જવા માટેની જરૂરિયાત તેમણે મને સમજાવી, તેઓ માનતા હતા કે આનાથી દેશને ઓળખ મળશે.

૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી. શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું  , અમેરિકાના ભાઈઓ અને બહેનો! સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ.  સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે. અને તેમણે આ સંદર્ભે ભગવદ્ ગીતા ના બે ફકરા ટાંક્યા—જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે! અને જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે. ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.

સંસદના પ્રમુખ ડો. બેરોસે જણાવ્યું, તમામ ધર્મની માતા ભારતનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદ દ્વારા થયુ હતું, ભગવા-સાધુ કે જેમણે તેમના શ્રોતાઓ પર સૌથી વધારે પ્રભાવ છોડ્યો હતો. સમૂહ-માધ્યમોમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા અને સમૂહ માધ્યમોએ તેમને ભારતના ઝંઝાવાતી સાધુ તરીકે ઓળખાવ્યા. ન્યૂ યોર્ક ક્રિટિકે  લખ્યું, તેઓ દૈવી અધિકારવાળા વક્તા છે અને પીળા તથા ભગવા પૃષ્ઠભૂમાં તેમનો મજબૂત તથા તેજસ્વી ચહેરો પેલા અમૂલ્ય શબ્દો તથા તેમણે આપેલા સમૃદ્ધ અને તાલબદ્ધ વક્તવ્ય કરતાં જરા પણ ઓછો નહોતો. ન્યૂ યોર્ક હેરાલ્ડે  લખ્યું, ધર્મ સંસદમાં વિવેકાનંદ નિઃશંકપણે સૌથી મહાન વ્યક્તિત્વ છે.તેમને સાંભળ્યા પછી આપણને લાગે છે કે તેમના સુસંસ્કૃત દેશમાં  મિશનરીઓ મોકલવાની પ્રવૃત્તિ એ આપણી મૂર્ખામી છે. અમેરિકાના અખબરાઓ સ્વામી વિવેકાનંદ વિશે નોંધ્યુ કે તેઓ ધર્મ સંસદની સૌથી મહાન વ્યક્તિ હતા અને સંસદમાં સૌથી વધારે પ્રભાવ ધરાવનાર તથા સૌથી વધારે લોકપ્રિય પુરુષ હતા.

હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મને લગતા વિષયો પર તેઓ સંસદમાં અનેક વાર બોલ્યા. ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સંસદનું સમાપન થયું. સંસદમાં તેમના તમામ વક્તવ્યોનો વિષય એક જ હતો — વૈશ્વિકતા અને ધાર્મિક સહનશીલતા પર ભાર.

સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોના ધી આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે યોજાયેલી ધર્મ સંસદ પછી પૂર્વીય અને મધ્ય યુનાઈટેડ સ્ટેટ્સમાં વક્તવ્યો આપવામાં વિવેકાનંદે આખા બે વર્ષ જેટલો સમય લીધો જેમાં તેઓ મુખ્યત્વે શિકાગો, ડેટ્રોઈટ, બોસ્ટન અને ન્યૂ યોર્કમાં દેખાતા.સતત બોલવાના કારણે ૧૮૯૫ની વસંત સુધીમાં તેઓ થાકી ગયા અને તબિયત બગડવા માંડી. વક્તવ્ય પ્રવાસ રદ કર્યા પછી સ્વામીએ વેદાંત અને યોગ પર મફતમાં ખાનગી વર્ગ શરૂ કર્યા. જૂન ૧૮૯૫માં બે મહિના માટે થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક ખાતેના ડઝન જેટલા અનુયાયીઓ માટે તેમણે ખાનગી વ્યાખ્યાન રાખ્યા. અમેરિકાની પ્રથમ મુલાકાત દરમિયાનની સૌથી વધુ સુખદ પળ તરીકે વિવેકાનંદે આ સમયને ઓળખાવ્યો. બાદમાં તેમણે  વેદાંત સોસાયટી ઓફ ન્યૂ યોર્ક(Vedanta Society of New York)ની સ્થાપના કરી. 

અમેરિકાની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે ૧૮૯૫ અને ૧૮૯૬માં બે વખત ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. તેમના વ્યાખ્યાન ત્યાં સફળ રહ્યા. અહીંયા તેઓ આઈરિશ  મહિલા કુ. માર્ગારેટ નોબલને મળ્યા, કે જે પાછળથી સિસ્ટર નિવેદિતા બન્યા. મે ૧૮૯૬માં બીજી મુલાકાત દરમિયાન સ્વામી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના વિદ્વાન તરીકે પ્રખ્યાત મેક્સ મૂલરને મળ્યા કે જેમણે પશ્ચિમમાં રામકૃષ્ણની પ્રથમ જીવનકથા લખી હતી. ઈંગ્લેન્ડમાંથી તેમણે અન્ય યુરોપીયન દેશોની પણ મુલાકાત લીધી. જર્મનીમાં તેઓ ભારતીય સંસ્કૃતિના અન્ય પ્રખ્યાત વિદ્વાન પૌલ ડેઉસ્સેનને મળ્યા.

તેમને બે શૈક્ષણિક પ્રસ્તાવ પણ મળ્યા, હાવર્ડ યુનિવર્સિટી ખાતે પૂર્વીય તત્વજ્ઞાનના વડા અને કોલંબિયા યુનિવર્સિટી ખાતે પણ આ જ પ્રકારનો હોદ્દો. જોકે બંને પ્રસ્તાવનો તેમણે અસ્વીકાર કર્યો, કારણ કે સાધુ તો ચલતા ભલાના ન્યાયે તેઓ આ પ્રકારના કામ માટે કોઈ એક સ્થળે સ્થાયી થઈ શકે તેમ નહોતા.

અનેક નિષ્ઠાવાન શિષ્યોને તેમણે આકર્ષ્યા. તેમના અન્ય અનુયાયીઓમાં જોસેફાઈન મેકલીઓડ, કુય મુલર, કુ. નોબલ, ઈ.ટી. સ્ટર્ડી, કેપ્ટન અને શ્રીમતી સેવિઅર હતા કે જેમણે અદ્વૈત આશ્રમ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જે.જે.ગુડવિન હતા કે જેઓ તેમના સ્ટેનોગ્રાફર બન્યા હતા અને તેમના ઉપદેશો તથા વક્તવ્યો નોંધ્યા હતા. હેલ પરિવાર અમેરિકામાં તેમના સૌથી ઉત્સાહી યજમાનોમાંનો એક બન્યો. તેમના શિષ્યા— ફ્રેન્ચ મહિલા મેડમ લૂઈસ સ્વામી અભયાનંદ બન્યા અને શ્રી. લીઓન લેન્ડસબર્ગ સ્વામી ક્રિપાનંદ બન્યા. બ્રહ્મચર્યમાં તેમણે અન્ય અનેક અનુયાયીઓ કર્યા.

સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી—વિલિયમ જેમ્સ, જોસિઆહ રોયસ, સી. સી. એવરેટ્ટ, હાવર્ડ સ્કૂલ ઓફ ડિવાઈનિટીના ડીન, રોબર્ટ જી. ઈંગરસોલ, નિકોલા ટેસ્લા, લોર્ડ કેલ્વિન, અને પ્રોફેસર હર્મન લુડવિગ ફર્નિનાન્ડ વોન હેલમ્હોલ્ટ્ઝ. તેમની ચર્ચાઓ દ્વારા આકર્ષાયેલ અન્ય હસ્તીઓ હેરિએટ મોનરો અને એલ્લા વ્હીલર વિલ્કોક્સ હતી —બે જાણીતા અમેરિકન કવિઓ, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ જેમ્સ; બ્રુકલીન એથિકલ એસોસિએશનના પ્રમુખ ડો. લેવિસ જી. જેન્સ; ઓલે બુલના પત્ની સારા સી. બુલ, નોર્વેઈયન વાયોલિન વાદક; સારાહ બેર્નહાર્ડ્ટ, ફ્રેન્ચ અભિનેત્રિ અને મેડમ એમ્મા કેલ્વ, ફ્રેન્ચ ઓપેરા ગાયિકા.

પશ્ચિમમાંથી તેઓ પોતાના ભારતીય કાર્યોને પણ ગતિમાં લાવ્યા. અનુયાયીઓ તથા સાધુ ભાઈઓએને સલાહ આપવા અને નાણા મોકલવા માટે વિવેકાનંદે ભારતમાં પત્રોનો પ્રવાહ મોકલ્યો. આ દિવસોમાં પશ્ચિમમાંથી આવેલા તેમના પત્રોએ સામાજિક સેવા માટેનો અભિયાનનો હેતુ સ્થાપિત કર્યો. ભારતમાં રહેલા પોતાને શિષ્યોને કંઈક મોટું કરવા તેઓ સતત પ્રેરણા આપતા. તેઓને લખેલા પત્રોમાં તેમના કેટલાક સૌથી વધારે આકરા શબ્દો પણ હતા. આવા એક પત્રમાં તેમણે સ્વામી અખંડઆનંદને લખ્યુ હતું, ખેતરી શહેરના ગરીબ અને નબળા વર્ગના લોકોના ઘરે-ઘરે ફરો અને તેમને ધર્મ શીખવાડો. તેમને ભૂગોળ અને આવા અન્ય વિષયો પર મૌખિક પાઠ પણ આપો. રજવાડી થાળીઓ આરોગવાથી અને નિષ્ક્રિય બેસી રહેવાથી કોઈ સારુ કામ નહિ થાય અને કહેતા રામકૃષ્ણ, હે પ્રભુ!—તમે જ્યાં સુધી ગરીબોનું કંઈ સારુ નહિ કરો
વેદાંત શીખવવા માટે ૧૮૯૫માં મદ્રાસમાં બ્રહ્મવાદિન  નામે ઓળખાતુ નિયતકાલિક શરૂ થયુ ત્યાર બાદ ક્રાઈસ્ટનું અનુકરણ ના પ્રથમ છ પ્રકરણનો વિવેકાનંદ દ્વારા થયલો અનુવાદબ્રહ્મવાદિન  (૧૮૮૯)માં પ્રકાશિત થયો.

૧૬ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ વિવેકાનંદ ઈંગ્લેન્ડ છોડીને ભારત આવવા નીકળ્યા અને તેમની સાથે અનુયાયીઓમાં કેપ્ટન અને શ્રીમતી સેવિઅર,અને જે.જે.ગુડવિન હતા. રસ્તામાં તેમણે ફ્રાંસ, ઈટાલીની મુલાકાત લીધી, લીઓ નાર્ડો ડા વિન્સીના ધી લાસ્ટ સપર  જોયા અને ૩૦ ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ  નેપલ્સના બંદરેથી ભારત આવવા વહાણમાં બેઠા. પાછળથી કુ. મુલર અને સિસ્ટર નિવેદતા તેમની પાછળ ભારત આવ્યા. સિસ્ટર નિવેદતાએ ભારતીય મહિલાઓના શિક્ષણમાં અને ભારતના સ્વાતંત્ર્યના સંઘર્ષમાં બાકીનું જીવન સમર્પિત કરી દીધું.

વિવેકાનંદ ૧૫ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ કોલંબો આવ્યા અને તેમનું ભવ્ય સ્વાગત થયું. અહીંયા તેમણે પૂર્વમાં પ્રથમ જાહેર વક્તવ્ય આપ્યુ ,  . ત્યાંથી કોલકાતા સુધીનો તેમનો પ્રવાસ એક વિજયી કૂચ હતી. તેમણે કોંલંબો થી પામબણ, રામેશ્વરમ, રામનાદ, મદુરાઈ,કુમ્બાકોણમ અને મદ્રાસની મુસાફરી કરી અને પ્રવચનો આપ્યા. લોક અને રાજાઓએ ઉમળકાભેરનું સ્વાગત કર્યું.તે પામબણ ખાતેના સમારંભમાં રામનાદના રાજા જાતે સ્વામીનો સામાન ઉંચકીને લઈ ગયા હતા. મદ્રાસના રસ્તામાં અનેક સ્થળોએ એવું બન્યુ હતું કે ટ્રેન ના ઉભી રહેતી હોય તેવા સ્થળોએ લોકો ટ્રેનની આડા આવી જતા હતા અને સ્વામીને સાંભળ્યા પછી જ ટ્રેનને જવા દેતા હતા. મદ્રાસથી તેમણે કલકત્તાની મુસાફરી શરૂ કરી અને  અલમોરા સુધી પ્રવચનો ચાલુ રાખ્યા. આ પ્રવચનો  (Lectures from Colombo to Almora) તરીકે પ્રકાશિત થયા છે. આ પ્રવચનોમાં આધ્યાત્મિક વિચારધારાની સાથે ભારોભાર રાષ્ટ્રવાદ હોવાનું માનવામાં આવે છે. તેમના વક્તવ્યોની ઊંડી અસર ભારતીય નેતાઓ પર થતી હતી, જેમાં મહાત્મા ગાંધી, બિપિન ચંદ્ર પાલ અને બાલગંગાધર તિલકનો પણ સમાવેશ થાય છે.

૧ મે ૧૮૯૭ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે રામકૃષ્ણ મઠ—ધર્મના પ્રચાર માટેની સંસ્થા અને રામકૃષ્ણ મિશન—વિશેષ સેવા માટેની સંસ્થા. શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી અને રાહત કાર્યો દ્વારા જનસમૂહને મદદ કરવાની સંગઠિત સામાજિક-ધાર્મિક અભિયાનની આ શરૂઆત હતી. રામકૃષ્ણ મિશનના આદર્શો   આધારિત છે. તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈ, એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો અને અદ્વૈત આશ્રમ  તરીકે ઓળખાતો બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલમોરા પાસે  અને બાદમાં ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો. બે સામયિકો શરૂ કરવામાં આવ્યા, પ્રબુદ્ધ ભારત  અંગ્રેજીમાં અને ઉદબોધન  બંગાળીમાં. આ જ વર્ષે દુકાળ રાહત કાર્ય સ્વામી અખંડઆનંદ દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ કરાયુ. 

વિવેકાનંદે સર જમશેદજી તાતાને સંશોધન અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી જ્યારે તેઓ એક સાથે યોકોહામાથી શિકાગો સુધી સાથે હતા અને આ ૧૮૯૩માં સ્વામીની પશ્ચિમની પ્રથમ મુલાકાત હતી. આ સમયે સ્વામીને તાતાએ મોકલેલો પત્ર મળ્યો હતો, જેમાં તેમણે તાતાએ સ્થાપેલ  રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ(Research Institute of Science)નું નેતૃત્વ સંભાળવા વિનંતી કરી હતી. પરંતુ ધાર્મિક હિતો સાથે અનુકૂળ નહિ હોવાનું જણાવી સ્વામી વિવેકાનંદે આ પ્રસ્તાવનો અસ્વીકાર્ય કર્યો.

હિંદુ ધર્મની જડ માન્યતાઓના બદલે નવા અર્થઘટનનું પ્રતિનિધિત્વ કરનારઆર્ય સમાજ (Arya Samaj) અને સંકુચિત હિંદુ ધર્મને માનતા સનાતનવાદી ઓ વચ્ચે સંવાદિતા સ્થાપવા તેમણે પાછળથી પાકિસ્તાનમાં પંજાબની મુલાકાત લીધી. રાવલપિંડી ખાતે તેમણે આર્યસમાજવાદીઓ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય મૂળમાંથી દૂર કરવાની પદ્ધતિઓ સૂચવી. તે સમયના ગણિતના તેજસ્વી પ્રોફેસર તિર્થ રામ ગોસ્વામી કે જેમણે પાછળથી સ્વામી રામતીર્થ તરીકે સન્યાસ લીધો તેમની સાથેનું પ્રેરણાદાયી જોડાણ અને ભારત તથા અમેરિકામાં વેદાંત નોઅને પ્રખ્યાત પ્રવચનો માટે લાહોર યાદગાર છે. તેમણે દિલ્હી અને ખેતરી સહિત અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી અને જાન્યુઆરી ૧૮૯૬માં કલકત્તા પાછા ફર્યા. ત્યાર બાદ મઠ ની કામગીરીને વ્યવસ્થિત બનાવવામાં અને શિષ્યોને તાલીમ આપવામાં તેમણે કેટલાક મહિના પસાર કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રખ્યાત આરતી ગીતની રચના કરી, એક ભક્તના ઘરે રામકૃષ્ણના મંદિરને પવિત્ર બનાવવાના કાર્યક્રમ દરમિયાન ખંડના ભવ બંધના ની રચના કરી.

કથળતા સ્વાસ્થ્યની વચ્ચે જૂન ૧૮૯૯માં તેઓ ફરી એક વાર પશ્ચિમ જવા નીકળ્યા. તેમની સાથે સિસ્ટર નિવેદિતા, સ્વામી તુરિયાનંદ જોડાયા. ઈંગ્લેન્ડમાં તેમણે થોડો સમય પસાર કર્યો અને અમેરિકા ગયા. આ મુલાકાત દરમિયાન તેમણે સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક ખાતે વેદાંત સોસાયટીની સ્થાપના કરી. અમેરિકન ભક્તની ૧૬૦ એકરની ઉદાર ભેટ દ્વારા તેમણે કેલિફોર્નિયા ખાતે  શાંતિ આશ્રમ ની પણ સ્થાપના કરી. બાદમાં તેમણે ૧૯૦૦માં પેરિસની ધર્મ સભામાં હાજરી આપી. લિંગ ની પૂજા અને ગીતા ની અધિકૃતતા સંદર્ભે આપેલા વક્તવ્યો વિવેકાનંદે દર્શાવેલી વિદ્વત્તા માટે યાદગાર છે. પેરિસથી તેમણે બ્રિટ્ટેની, વિયેના, કોન્સ્ટેન્ટિનોપોલ, એથેન્સ અને ઈજિપ્તની ટૂંકી મુલાકાતો લીધી. આ સમયગાળા દરમિયાન મોટા ભાગે તેઓ પ્રખ્યાત વિચારક જુલ્સ બોઈસના મહેમાન હતા. તેમણે ઓક્ટોબર ૨૪, ૧૯૦૦ના રોજ પેરિસ છોડ્યુ અને ડિસેમ્બર ૯, ૧૯૦૦માં બેલુર મઠ આવ્યા.

વિવેકાનંદે કેટલાક દિવસો અદ્વૈત આશ્રમ, માયાવતી ખાતે અને બાદમાં   બેલુર મઠમાં વિતાવ્યા. ત્યારથી માંડીને છેવટ સુધી તેઓ બેલુર મઠમાં રોકાયા અને રામકૃષ્ણ મિશન તથા મઠની ઈંગ્લેન્ડ અને અમેરિકાની કામગીરી વિશે માર્ગદર્શન આપતા રહ્યા. આ વર્ષો દરમિયાન હજારો મુલાકાતીઓ તેમને મળવા આવતા, જેમાં ગ્વાલિયરના મહારાજા અને ડિસેમ્બર ૧૯૦૧માં, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (Indian National congress)ના લોકમાન્ય ટિળક જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થતો હતો. ડિસેમ્બર ૧૯૦૧માં જાપાને તેમને ધર્મ સંમેલનમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યુ, પરંતુ કથળતા આરોગ્યના પગલે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહિ. આખરી દિવસોમાં તેમણે બોધગયા અને વારાણસીની યાત્રા કરી.

તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા. અવસાનના થોડા દિવસ પૂર્વે તેઓ ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના ત્રણ દિવસ પહેલા તેમણે અંતિમક્રિયાનું સ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઉભુ છે. તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યુ હતું કે તેઓ ચાળીસ વર્ષ સુધી નહિ જીવે.

અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલક વિદ્યાર્થીઓને  શુકગ્લ યજુર્વેદ  ભણાવ્યો હતો. તેઓ ભાઈ-વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી.
જુલાઈ ૪, ૧૯૦૨ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ  હતી. બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યુ હતું કે સ્વામીના મોઢા પાસે નસકોરોમાં અને આંખોમાં થોડુ લોહી તેમણે જોયુ હતું. ડોક્ટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ કારણ તેઓ શોધી શક્યા નહોતા.તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ  લીધી ત્યારે બ્રહ્મરંધ્ર — મસ્તિષ્કના મુગટના બાકોરોમાં નિશ્ચિતપણે કાણુ પાડવામાં આવ્યુ હતુ.  ચાળીસ વર્ષ કરતાં વધારે નહિ જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી.

વિવેકાનંદ જાણીતા વિચારક હતા. અદ્વૈતવાદ વિચાર એ માત્ર તત્વજ્ઞાનમાં આગળ વધવાનું પ્રતિક માત્ર નથી, પરંતુ તે કઈ રીતે સામાજિક અને એટલે સુધી કે રાજકીય અસરો ધરાવે છે તે દર્શાવવું એ તેમના સૌથી વધારે મહત્વના યોગદાનમાંથી એક હતું. વિવેકાનંદના જણાવ્યા મુજબ રામકૃષ્ણ પાસેથી તેમણે મેળવેલ મહત્વનો ઉપદેશ જીવ એ શિવ છે હતો.(દરેક વ્યક્તિમાં ઈશ્વર વસે છે). આ તેમનો મંત્ર બની ગયો હતો અને તેમણે દરિદ્રનારાયણની સેવા  - (ગરીબ) મનુષ્યોની સેવા દ્વારા ઈશ્વર સેવાનો વિચાર સૌ પ્રથમ રજૂ કર્યો હતો.જો દરેક પદાર્થમાં રહેતા બ્રાહ્મણ વચ્ચે ખરેખર ઐક્ય હોય તો પછી ક્યા આધાર પર આપણે પોતાની જાતને વધારે સારી કે ખરાબ કહી શકીએ કે પછી અન્ય લોકો કરતાં બહેતર કે ખરાબ ગણી શકીએ?  - આ પ્રશ્ન તેઓ વારંવાર પોતાની જાતને પૂછતા. આખરે તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ ભિન્નતા એકાકારના પ્રકાશમાં અનઅસ્તિત્વ સાથે ભળી જાય છે અને એક સાધક મોક્ષમાં આનો અનુભવ કરે છે. ત્યાર બાદ જે ઉદભવે છે તે આ ઐક્યથી અજાણ રહેલા દરેક જીવ માટેની કરુણા અને તેમને મદદ કરવાની દ્રઢતા છે.

સ્વામી વિવેકાનંદ વેદાંતની એવી વિચારધારામાં માનતા હતા કે જ્યાં સુધી આપણામાંથી તમામ મુક્ત ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાચા અર્થમાં મુક્ત થઈ શકે નહિ. એટલે સુધી કે વ્યક્તિગત મુક્તિની ઈચ્છા પણ છોડવી જોઈએ અને અન્ય લોકોની મુક્તિ માટે થાક્યા વગર કામ કરવું તે સાચા જ્ઞાનીની નિશાની છે. તેમણે આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) (પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ માટે)ના સિદ્ધાંત પર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

આમ છતાં વિવેકાનંદે ધર્મ અને સરકારને ચુસ્તપણે અલગ રાખવાની તરફેણ કરી છે, જે ફ્રીમેસન હોવાના કારણે ફ્રીમેસનરીમાં જોવા મળેલો સિદ્ધાંત છે. ધાર્મિક માન્યતાના કારણે સામાજિક રીતી-રિવાજો ભૂતકાળમાં બનેલા હોવા છતાં, ધર્મ, વારસા જેવી બાબતોમાં ધર્મએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહિ. આદર્શ સમાજમાં બ્રાહ્મણ જ્ઞાન, ક્ષત્રિય સંસ્કૃતિ, વૈશ્ય કાર્યક્ષમતા અને શૂદ્ર સમતાના લક્ષણોનું મિશ્રણ હોવું જોઈએ. કોઈ પણ એકનું પ્રભુત્વ સમાજને વિવિધ પ્રકારની અસમતુલા તરફ લઈ જાય છે. આદર્શ સમાજની રચના માટે ધર્મ કે અન્ય કોઈ પણ દબાણનો ઉપયોગ થવો જોઈએ તેવું વિવેકાનંદને લાગતુ નહોતુ, કારણ કે યોગ્ય સંજોગોમાં વ્યક્તિગત પરિવર્તનથી આ ઘટના કુદરતી બનશે તેવું તે માનતા હતા.

હિંદુ ધર્મગ્રંથોના બે વર્ગ શ્રુતિ  અને સ્મૃતિઓ વચ્ચે વિવેકાનંદ ચુસ્ત ભેદરેખા બાંધી હતી. શ્રુતિનો અર્થ થાય છે વેદો, જેમાં શાશ્વત અને વૈશ્વિક સ્તરે લાગુ પડતા આધ્યાત્મિક સત્યોનો સમાવેશ થાય છે. બીજી બાજુ સ્મૃતિઓ ધર્મ અનુસાર શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે અંગે છે અને તે સમાજને લાગુ પડે છે તથા સમયાંતરે તેમાં ફેરફારને અવકાશ છે. વિવેકાનંદ માનતા હતા કે આધુનિક સમય માટે પ્રવર્તમાન સ્મૃતિઓમાં ફેરફાર થવો જોઈએ. જોકે શ્રુતિઓ નિશ્ચિતપણે શાશ્વત છે -  તેનું માત્ર પુનઃઅર્થઘટન થઈ શકે છે.

વિવેકાનંદે તેમના અનુયાયીઓને પવિત્ર, અ-સ્વાર્થી રહેવા અને શ્રદ્ધારાખવા સલાહ આપી હતી. તેમણે બ્રહ્મચર્ય (અપરિણિત અવસ્થા)ની તરફેણ કરી હતી. બાળપણના મિત્ર પ્રિયા નાથ સિંહા સાથેની એક વાતચીતમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક શક્તિઓ, વક્તૃત્વકળાનું શ્રેય બ્રહ્મચર્યના પાલનને આપ્યુ છે.

વિવેકાનંદે પરામનો વિજ્ઞાન(પેરાસાયકોલોજી), જ્યોતિષના ઉભરતા વિસ્તારોની તરફેણ કરી નહોતી (તેમના એક વક્તવ્યમાં આનો દાખલો જોઈ શકાય છે વ્યક્તિ પોતાના ભાગ્યનો નિર્માતા , સંપૂર્ણ રચના, વોલ્યુમ ૮, વ્યાખ્યાનો અને વર્ગ સાથેની વાતચીતની નોંધો ) તેઓ કહે છે કે ઉત્સુકતાનું આ સ્વરૂપ આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરતું નથી, પરંતુ હકીકતે તેમાં બાધક બને છે.

૨૦મી સદીના ભારતના ઘણા નેતાઓ અને તત્વચિંતકોએ વિવેકાનંદની અસરનો સ્વીકાર કર્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ એક વખત નોંધ્યુ હતું કે વિવેકાનંદે હિન્દુ ધર્મને બચાવ્યો અને ભારતને બચાવ્યુ. સુભાષચંદ્ર બોઝના જણાવ્યા અનુસાર વિવેકાનંદ આધુનિક ભારતના ઘડવૈયા છે અને મોહનદાસ ગાંધી માટે વિવેકાનંદના પ્રભાવથી તેમના દેશપ્રેમમાં હજારગણી વૃદ્ધિ થઈ હતી. ૧૨મી જાન્યુઆરીએ તેમની યાદમાં તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ સૌથી ઉત્તમ શ્રદ્ધાંજલિ હતી કારણ કે સ્વામી વિવેકાનંદના મોટાભાગના લખાણો ભારતીય યુવાઓ વિશે હતા અને તેમાં આધુનિક વિશ્વમાં સંપૂર્ણપણે જોડાઈને ભારતના પ્રાચીન મૂલ્યોને કઈ રીતે જાળવી રાખવા તે અંગે સૂચન હતા.

સ્વામી વિવેકાનંદે ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વ્યાપક પ્રેરણા આપી હોવાનું સ્વીકારાયુ છે. તેમના લખાણોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની આખી પેઢીને પ્રેરણા આપી હતી, જેમાં  ઔરબિંદો ઘોષ અને બાઘા જતિનનો પણ સમાવેશ થતો હતો. વિવેકાનંદ આત્યંતિક બળવાખારોના ભાઈ હતા, ભૂપેન્દ્રનાથ દત્તા. ભારતની સ્વાતંત્ર્ય ચળવળની સૌથી જાણીતી વ્યક્તિઓમાંના એક સુભાષચંદ્ર  બોઝે કહ્યું હતુ,

ઔરોબિંદો ઘોષે વિવેકાનંદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક ગણાવ્યા હતા.

ફ્રેન્ચ નોબેલ વિજેતા, રોમેઈન રોલેન્ડ લખે છે, તેમના શબ્દો મહાન સંગીત છે, શબ્દસમૂહો બીથોવન જેવા છે, પ્રેરણાદાયી કાવ્યો હેન્ડલ કોરસની માર્ચ જેવા છે. ત્રીસ વર્ષનું અંતર હોવા છતાં પુસ્તકોના પાનામાં છૂટાછવાયા પથરાયેલા તેમના વક્તવ્યોને ઝીલતી વખતે હું રોમાંચિત થઈ જઉં છું અને મારું શરીર જાણે કે વીજળીના આંચકા અનુભવે છે.  મહાનાયકના હોઠમાંથી સળગતા શબ્દો નીકળતા હશે ત્યારે કેટલા આંચકા, કેટલા બધા ઈંગિતો ઉત્પન્ન થતા હશે!' 

વિવેકાનંદે જમશેદજી તાતાને  ભારતની શ્રેષ્ઠતમ સંસ્થાઓ પૈકીની એક ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ(Indian Institute of Science)ની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી. વિદેશમાં મેક્સ મૂલર સાથે તેમના થોડાક સંવાદો હતા. સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ વૈદિક તત્વજ્ઞાનના ઉપદેશથી પ્રભાવિત થનાર લોકોમાં નિકોલા તેસ્લા પણ હતા.

બ્રિટિશ સંસ્થાનવાદી વહીવટકર્તાઓ અને ખ્રિસ્તિ મિશનરીઓએ હિન્દુઓને જ્ઞાતિના બંધનમાં ઝકડાયેલ, મૂર્તિ પૂજામાં માનતા જડ લોકો તરીકે ચીતર્યા હતા, પરંતુ પશ્ચિમના શ્રોતાઓ સમક્ષ આ તમામ ભ્રમને તોડીને ભારતના પ્રાચીન શિક્ષણને તેના શુદ્ધતમ સ્વરૂપમાં રજૂ કરીને સ્વામી વિવેકાનંદે હિન્દુઓમાં ગૌરવની લાગણી પુનઃસ્થાપિત કરી હતી.હકીકતમાં પશ્ચિમમાં તેમના શરૂઆતના પદાર્પણથી ભારતના ધાર્મિક શિક્ષકો માટે વિશ્વમાં પોતાની છાપ મૂકવાનો અને સાથે જ પશ્ચિમિ જગતમાં હિન્દુઓ તથા તેમની ધાર્મિક પરંપરાઓના સન્માનપૂર્વક પ્રવેશનો માર્ગ સરળ બન્યો હતો.

ભારતીય યુવાઓ પર સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉંડો પ્રભાવ રહ્યો છે. ઘણી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ આગળ આવીને આધ્યાત્મિક વિચારોની ચર્ચા માટે અને આવા ઉચ્ચ આદર્શોના આચરણ માટે સંગઠનો સ્થાપ્યા હતા. આમાંની ઘણી સંસ્થાઓએ વિવેકાનંદ સ્ટડી સર્કલ(Vivekananda Study Circle) નામ રાખ્યુ હતું. આવુ એક ગ્રૂપ IIT મદ્રાસ ખાતે અસ્તિત્વમાં છે અને તે  તરીકે જાણીતુ છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉપદેશો સમગ્ર વિશ્વમાં પ્રસર્યા છે અને વિશ્વની સંસ્થાઓમાં તેનું આચરણ પણ થાય છે.

મહાત્મા ગાંધીએ જણાવ્યુ હતું, સ્વામી વિવેકાનંદને લખાણોને કોઈ પણ વ્યક્તિના કોઈપણ જાતના પરિચયની જરૂર નથી. તેઓ પોતાની અપ્રતિરોધક અપીલ ધરાવે છે. બેલુર મઠ ખાતે ગાંધીજીને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેમનું સમગ્ર જીવન એ સ્વામી વિવેકાનંદના વિચારોને આચરણમાં મૂકવાના પ્રયત્ન છે.  વિવેકાનંદના મૃત્યુ બાદ ઘણા વર્ષો પછી નોબેલ વિજેતા કવિ રવિન્દ્રનાથ ટાગોરે જણાવ્યુ હતું, તમારે ભારતને જાણવુ હોય તો વિવેકાનંદનો અભ્યાસ કરો. તેમનામાં દરેક વસ્તુ સકારાત્મક(સર્જનાત્મક) છે અને કશું જ નકારાત્મક નથી.

તેમના પુસ્તક રાજ યોગ માં વિવેકાનંદે, અલૌકિક અંગેના પરંપરાગત વિચારોને તથા રાજયોગથી ‘અન્યના વિચારો વાંચવાની’, ‘પ્રકૃતિની તમામ શક્તિઓને નિયંત્રણમાં રાખવાની‘, ગુઢ શક્તિ મળે છે',  'સર્વજ્ઞ જેવા બની જવાય છે', 'શ્વાસ લીધા વગર જીવી શકાય છે', 'અન્યના શરીરને અંકુશમાં રાખી શકાય છે' હવામાં ઉડી શકાય છે વગેરે જેવા વિચારોને ચકાસ્યા છે. તેમણે કુંડલિનિ અને આધ્યાત્મિક ઊર્જા કેન્દ્રો જેવા પરંપરાગત પૂર્વીય આધ્યાત્મિક ખયાલોની સમજ આપી છે. આમ છતાં વિવેકાનંદ સાશંક વલણ દાખવે છે અને આ જ પુસ્તકમાં જણાવે છે:

પુસ્તકના પરિચયમાં વધુમાં જણાવે છે કે વ્યક્તિએ પોતાની જાતે જ અમલમાં મૂકીને ખાતરી કરવી જોઈએ અને આંધળો વિશ્વાસ ન રાખવો જોઈએ. 

આઈનસ્ટાઈન (૧૯૦૫) પહેલા વિવેકાનંદે (૧૮૯૫) ઈથર સિદ્ધાંત ફગાવી દેતા જણાવ્યુ હતું કે તે અવકાશની સમજ પણ આપી શકતો નથી. 

ધર્મોની વિશ્વ સંસદ (1893)માં વંચાયેલા આ સંશોધનમાં વિવેકાનંદે ભૌતિકવિજ્ઞાનના તે સમયના આખરી ધ્યેય તરફ પણ ઈશારો કર્યો હતો અને દોરીના સિદ્ધાંત જેવા સિદ્ધાંતોથી તે માટે પ્રયત્ન કર્યો હતો.

સાંખ્ય તત્વજ્ઞાન પરનું વિવેકાનંદનું વક્તવ્ય સાંભળીને મહાન ઈલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાને તેની વિશ્વ ઉત્પત્તિમાં તથા  કલ્પ (ચક્ર), પ્રાણ અને આકાશ જેવી માન્યતાઓમાં ઘણો રસ પડ્યો હતો. વેદાં આધારિત અભિપ્રાયના કારણે તેઓ એવું વિચારતા થયા હતા કે પદાર્થ એ ઊર્જાની અભિવ્યક્તિ છે.  સ્વામી વિવેકાનંદનું વેદાંત પરનું પ્રવચન સાંભળ્યા પછી ટેસ્લા પણ એવા તારણ પર આવ્યા હતા કે વિશ્વ ઉત્પત્તિના કોયડાને ઉકેલવા માટે આધુનિક વિજ્ઞાન સાંખ્ય તત્વજ્ઞાનની મદદ લઈ શકે છે અને તેઓ એવું સાબિત કરી શક્યા હતા કે વસ્તુને ઘટાડીને તેને ગણિતિય સંભવિત ઊર્જા બનાવી શકાય છે.

વિવેકાનંદ દાર્શનિક રચનાઓનું શરીર છોડીને ગયા છે (જુઓ વિવેકાનંદની સંપૂર્ણ રચનાઓ) વૈદિક વિદ્વાન ફ્રેન્ક પાર્લાટોએ જેને, તત્વજ્ઞાનમાં પ્રકાશિત થયેલ સૌથી મહાન સંક્ષિપ્ત રચના કહી છે. યોગ (રાજ યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ) પરના તેમના પુસ્તકો (સમગ્ર વિશ્વમાં આપેલા વક્તવ્યોમાં સંકલિત કરાયેલ) અત્યંત અસરકારક છે અને યોગની હિંદુ પદ્ધતિઓમાં રસ ધરાવનાર માટે આજે પણ પાયારૂપ ગણાય છે. તેમના પત્રો સાહિત્યિક અને આધ્યાત્મિક રીતે અત્યંત મૂલ્યવાન છે. તેમની પ્રિય રચના   સહિત ઘણા ગીતોની રચના કરી હોવાના કારણે તેઓ અત્યંત સારા ગાયક અને કવિ ગણાય છે.  ઉપદેશ માટે તેઓ રમૂજનો ઉપયોગ કરતા અને તેઓ ઉત્તમ રસોઈયા પણ હતા. તેમની ભાષાનો પ્રવાહ અસ્ખલિત છે. તેમના પોતાના બંગાળી લખાણો એ હકીકતનો પુરાવો છે કે તેઓ માનતા હતા કે - બોલાયેલા કે લખાયેલા શબ્દો વસ્તુને સમજવામાં સરળ બનાવે તેવા હોવા જોઈએ અને તેમાં લેખક કે વક્તાના જ્ઞાનનું પ્રદર્શન હોવુ જોઈએ નહિ.




#Article 178: સુભાષચંદ્ર બોઝ (2063 words)


સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દનું સુત્ર ભારતનું  રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ  કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો  હતો.

પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.

બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુષુપ્ત દેશભક્તિ જાગૃત કરી.

મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનો ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતો. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી.

૧૯૨૧માં  ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં  સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

તેમના સાર્વજનિક જીવનમાં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.

૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટને મારવા માંગતા હતાં. તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારીને મારી નાખ્યા. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોરથી રડ્યા. તેમણે ગોપીનાથનું શબ મંગાવી તેમના અંતિમસંસ્કાર કર્યા. આથી અંગ્રેજ સરકારે એવો નિષ્કર્ષ કાઢ્યો કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારીઓ સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓનું સ્ફૂર્તિસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમારની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યા.

૫ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ, દેશબંધુ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન  પામ્યા. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.

મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવાથી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યા જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શક્શે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતિ એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું  કારાગૃહમાં મૃત્યુ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યા. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.

૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતા. ત્યારે તેમને કોલકાતાના મહાપૌર(મેયર) તરીકે ચૂંટી લેવામાં આવ્યા. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.

૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રાખવામાં આવ્યા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.

૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.

યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખવાની સાથે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તેઓ ઇટલીના નેતા મુસોલિનીને મળ્યા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુંં વચન આપ્યું. આયરલેંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.

જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુંં. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.

ત્યારબાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજીના નેતૃત્વની બહુ ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયા, ત્યારે સુભાષબાબુએ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.

વિઠ્ઠલભાઈ પટેલે પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયતનો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં  મુકદમો ચલાવ્યો. આ મુકદમો જીતી, સરદાર વલ્લભભાઈ પટેલે તે સંપત્તિ, ગાંધીજીના હરિજન સેવા કાર્યને ભેંટ આપી દીધી.

૧૯૩૪માં સુભાષબાબુને તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યા. રસ્તામાં કરાંચીમાં જ તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકારે તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધા.

આ અધિવેશનમાંં સુભાષબાબુનુંં અધ્યક્ષીય ભાષણ બહુ જ   પ્રભાવી રહ્યુંં. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તિએ કદાચ જ આટલુંં પ્રભાવી ભાષણ કયારેય કર્યુંં હશે. 

પોતાના અધ્યક્ષપદના કાર્યકાળમાંં સુભાષબાબુએ યોજના આયોગની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબુએ બેંગલોરમાંં મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યાની અધ્યક્ષતામાંં એક વિજ્ઞાન પરિષદ પણ યોજી હતી.

૧૯૩૭માંં જાપાને ચીન પર આક્રમણ કર્યુંં ત્યારે સુભાષબાબુની અધ્યક્ષતામાંં કાંગ્રેસે ચીની લોકોની સહાયતા માટે, ડૉ.દ્વારકાનાથ કોટણીસના નેતૃત્વમાંં વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો. આગળ જઈને જ્યારે સુભાષબાબુએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ માટે જાપાનનો સહયોગ લીધો, ત્યારે ઘણા લોકો તેમને જાપાનને આધીન અને ફૅસિસ્ટ કહેવા લાગ્યા. પણ આ ઘટનાથી એ સાબિત થાય છે કે સુભાષબાબુ ન તો જાપાનને આધીન હતા, કે ન તો ફૅસિસ્ટ વિચારધારાથી સહમત હતા.

૧૯૩૮માં ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજીને સુભાષબાબુની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધનાંં વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા. 
  
૧૯૩૯માંં જ્યારે નવા કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબુ એવુ ઇચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ અધ્યક્ષ બને, જે આ મામલામાં કોઈના દબાણ સામે ઝૂકે નહીં. એવી કોઈ બીજી વ્યક્તિ સામે ન આવતા, સુભાષબાબુએ પોતે કોંગ્રેસ અધ્યક્ષ બનવાનુંં વિચાર્યુંં. પણ ગાંંધીજી હવે તેમને અધ્યક્ષપદેથી હટાવવા માંગતા હતા. ગાંંધીજીએ અધ્યક્ષપદ માટે પટ્ટાભી સિતારમૈય્યાને પસંદ કર્યા. કવિવર્ય રવિન્દ્રનાથ ટાગોરજીએ ગાંંધીજીને પત્ર લખી સુભાષબાબુને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબુને ફરીથી અધ્યક્ષના રૂપમાં જોવા ઇચ્છતા હતા. પણ ગાંંધીજીએ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈપણ પ્રકારનુંં સમાધાન ન થતા, ઘણા વરસો પછી, કાંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ.

બધા એમ માનતા હતા કે મહાત્મા ગાંંધીએ પટ્ટાભી સિતારમૈય્યાને સાથ આપ્યો છે, માટે તેઓ ચૂંટણી સરળતાથી જીતી જશે. પણ, સુભાષબાબુને ચૂંટણીમાં ૧૫૮૦ મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યાને ૧૩૭૭ મત મળ્યા. ગાંંધીજીનો વિરોધ હોવા છતાંં સુભાષબાબુ ૨૦૩ મતોથી આ ચૂંટણી જીતી ગયા.

પણ ચૂંટણીથી પણ સમાધાન ન થયુંં. ગાંંધીજીએ પટ્ટાભી સિતારમૈય્યાની હારને પોતાની હાર કહી. તેમણે પોતાના સાથીઓને કહી દીધુંં કે જો તેઓ સુભાષબાબુના કાર્યપધ્ધતિથી સહમત નથી, તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારબાદ કાંગ્રેસ કાર્યકારિણીના ૧૪માંથી ૧૨ સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહ્યા અને એકલા શરદબાબુ સુભાષબાબુની પડખે ઊભા રહ્યા.

૧૯૩૯નું વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરામાંં થયું. આ અધિવેશનના સમયે સુભાષબાબુ તીવ્ર તાવથી એટલા બીમાર પડી ગયા હતા, કે એમને સ્ટ્રેચર પર સુવડાવીને અધિવેશનમાં લાવવા પડ્યા. ગાંંધીજી આ અધિવેશનમાં હાજર ન રહ્યા. ગાંંધીજીના સાથીઓએ સુભાષબાબુને બિલકુલ સહકાર ન આપ્યો.

અધિવેશન પછી સુભાષબાબુએ સમાધાન માટે બહુ જ કોશિશ કરી. પરંતુ ગાંંધીજી અને એમના સાથીઓએ એમની એકપણ વાત ન માની. પરિસ્થિતિ એવી બની ગઈ કે સુભાષબાબુ કંઈ કામ જ ન કરી શક્યા. છેવટે કંટાળીને ૨૯ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ સુભાષબાબુએ કાંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.

દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે તીવ્ર કરવા માટે, જનજાગૃતી શરૂ કરી. એટલા માટે અંગ્રેજ સરકારે સુભાષબાબુ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કેદ કરી લીધા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષબાબુ જેલમા નિષ્ક્રિય થવા નહોતા માંગતા. સરકારે એમને છોડી દેવા મજબૂર કરવા માટે સુભાષબાબુએ જેલમાંં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. ત્યારે સરકારે એમને જેલમાંંથી તો છોડી દીધા, પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી કે સુભાષબાબુ યુદ્ધ દરમિયાન છુટા થાય. એટલા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકેદ કરીને રાખ્યા.

નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેઓ ૫ઠાણનો વેશ ધારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરે તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફ્રન્ટિયર મેલ પકડીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. મિયા અકબર શહાએ તેઓની મુલાકાત કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. પહાડોમાં પગપાળા ચાલતા તેમણે આ સફર પૂર્ણ કરી.

કાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં રહયા. ત્યાં તેઓએ રૂસી દૂતાવાસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ નાકામિયાબ થયા, તેથી તેઓએ જર્મન અને ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, જેમાં તેઓ ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. જર્મન અને ઇટાલિયન દૂતાવાસે તેમની મદદ કરી. આખરે ઓર્લાંંદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

બર્લિનમાં સુભાષબાબુ સર્વપ્રથમ રિબેન ટ્રોપ જેવા જર્મનીના  અન્ય નેતાઓને મળ્યા. એમણે જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિઓની સ્થાપના કરી. એ જ વખતે સુભાષબાબુ, નેતાજી નામથી જાણીતા થયા. જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબુના  સારા મિત્ર બની ગયા.

આખરે ૨૯ માર્ચ, ૧૯૪૨ના દિવસે, સુભાષબાબુ જર્મનીના  સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા. પણ હિટલરને  ભારતના વિષયમાં વિશેષ રૂચી ન હતી. એમણે સુભાષબાબુને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું.

ઘણા વર્ષો પહેલા હિટલરે માઈન કામ્ફ નામક પોતાનું  આત્મચરિત્ર લખ્યું હતું. આ  કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી. આ વિષય પર સુભાષબાબુએ હિટલર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. હિટલરે પોતાના કાર્ય પર માફી માંંગી અને માઈન કામ્ફની આવનારી આવૃત્તીમાંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું.

અંતે, સુભાષબાબુને ખબર પડી કે હિટલર અને જર્મની પાસેથી એમને કંઈ વધુ નહીં મળે. આથી ૮ માર્ચ, ૧૯૪૩ ના દિવસે, જર્મનીના કીલ બંદરમાં, તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે, એક જર્મન સબમરીનમાં બેસીને, પૂર્વ એશિયાની તરફ નીકળી ગયા. આ જર્મન સબમરીન એમને હિંદ મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી. ત્યાં તેઓ બંને ખુંખાર સમુદ્રમાં તરીને  જાપાની સબમરીન સુધી પહુંચી ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં, કોઈ પણ બે દેશની નૌસેનાઓની સબમરીનો દ્વારા, નાગરિકો-લોકોની આ એકમાત્ર અદલા બદલી થઈ હતી. આ જાપાની સબમરીન એમને ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી.

પૂર્વ એશિયા પહોંંચીને સુભાષબાબુએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસ પાસેથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સંભાળ્યું. સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબુને સોંંપી દીધું.

જાપાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ, નેતાજીના  વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને, એમને સહકાર્ય કરવાનું  આશ્વાસન આપ્યું. ઘણા દિવસો પછી, નેતાજીએ  જાપાનની સંસદ ડાયટની સામે ભાષણ દીધું.

આજ઼ાદ હિન્દ ફૌજમાં  જાપાની સેનાએ  અંગ્રેજોંની  ફૌજ દ્વારા પકડી પડેલા ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કરી લીધા . આજ઼ાદ હિન્દ ફ઼ૌજમાં  ઔરતો માટે  ઝાઁસી કી રાની રેજિમેંટ પણ  બનાવવામાં આવી .

પૂર્વ એશિયામાં  નેતાજીએ  અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને  આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના  આવાહનમાં  સંદેશ દીધો તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ ).

દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે  આજ઼ાદ હિન્દ ફૌજએ  જાપાની સેનાના  સહયોગથી  ભારત પર આક્રમણ કર્યું .પોતાની  ફૌજને પ્રેરિત કરવા માટે  નેતાજીએ  ચલો દિલ્લી નો  નારો દીધો . બંને  ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને  નિકોબાર દ્વીપ જીતી લીધા . આ  દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના  અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ  દ્વીપોંનું  શહીદ ઔર સ્વરાજ દ્વીપ  એમ  નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું અને બંને ફૌજોને પાછળ હટવું પડ્યું .

જયારે આજ઼ાદ હિન્દ ફૌજ પાછળ હતી રહી હતી , ત્યારે  જાપાની સેનાએ નેતાજીને ભાગી જવાની વ્યસ્થા કરી આપી . પરંતુ નેતાજીએ  ઝાઁસી કી રાની રેજિમેંટની છોકરીઓની સાથે  સૈકડો મિલ ચાલતા જવાનું પસંદ કર્યું .આ રીતે  નેતાજીએ સાચા  નેતૃત્વને  એક આદર્શ જ બનાવીને રાખ્યું .

દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.

૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .




#Article 179: સીતા (485 words)


જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે. વેદમાં સીતા કૃષિની દેવી મનાઈ છે. ‘સીતા’ શબ્દનો અર્થ થાય, હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી. વાલ્મીકિ રામાયણ તેમ જ બીજી પાછળની રામકથાઓ પ્રમાણે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ આ રીતે જાનકી ‘અયોનિજા’ કહેવાયાં.

સીતાનાં પૂર્વજન્મનું નામ વેદવતી હતું. દેવી ભાગવતમાં કહ્યું છે કે, રાજા કુશઘ્વજની પત્ની માલવતીથી લક્ષ્મીનાં અંશરૂપે પુત્રી જન્મી અને જન્મતાં જ તે વેદમંત્રો ઉરચારવા લાગી. તેથી તેનું નામ પાડયું વેદવતી. એકવાર વનમાં તપ કરતી વેદવતી ઉપર રાવણ મોહિત થયો. વેદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો ને પોતે યોગની અગ્નિમાં વિલીન થયાં. આ વેદવતી જ બીજા જન્મમાં જનકનંદિની જાનકી રૂપે પ્રખ્યાત બન્યાં, ને એના નિમિત્તે રાવણનો સંહાર થયો. માતા સીતાના ઉજજવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ ‘પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિ પરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રતની કસોટી થાય છે. સીતાના ચરિત્રમાં નારી-સુલભ વૃત્તિઓ પણ જણાય છે. સુવર્ણમૃગ પ્રસંગમાં નારીસહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે. રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં કયાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં ‘અતિથિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા, શીલ, સમર્પણ અને સહન શીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારીજીવનનો આદર્શ સીતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે.

સીતાના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે, સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો. ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. પાછળથી લખાયેલાં રામાયણો જેવો કે અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, અઘ્યાત્મ રામાયણ વગેરેમાં તો સ્પષ્ટ રીતે જાનકી માતાની આદ્યશકિત કે દેવી શકિત રૂપે પ્રતિષ્ઠા થઈ છે. આનંદ રામાયણમાં સીતાના અનેક જન્મો અને સ્વરૂપો બતાવ્યાં છે. વિશ્વંભર નામના ઉપનિષદમાં ‘ૐ નમ: સીતારામાભ્યામ્’ એ મંત્રનો મહિમા બતાવ્યો છે. શુક સંહિતામાં વળી જણાવ્યું છે કે રાધા એ જ સીતા છે અને કૃષ્ણ એ જ રામ છે. એમાં વર્ણન છે કે રાધા અને કૃષ્ણ રામના શરીરમાં પ્રવેશી ગયાં તે રામ પરબ્રહ્મ છે. રામ અને કૃષ્ણ કે સીતા અને રાધામાં વાસ્તવમાં કોઈ ભેદ નથી. એવી ધાર્મિક એકતાની ભાવના આમાંથી પ્રગટે છે.

ભગવાન રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદા, પ્રેમલક્ષણા ભકિતનો પ્રભાવ સીતા-રામની ભકિત ઉપર પડયો અને એના પરિણામે સત્તરની સદીમાં ‘રામરસિક સંપ્રદાય’ અસ્તિત્ત્વમાં આવ્યો. આ સંપ્રદાયને જાનકી વલ્લભ સંપ્રદાય, જાનકી સંપ્રદાય, જેવાં બીજાં નામ પણ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ-સીતા સાથે રાસલીલા કરે એ માની શકાય તેવું નથી. છતાં એ પણ હકીકત છે કે ઉત્તર ભારતમાં ઘણે સ્થળે રાસબિહારી કે લીલાવિહારી રામનાં અને રાસેશ્વરી સીતામાં કેટલાંક સ્થાનકો ઉભાં થયાં છે. આ સંપ્રદાયના ‘આનંદ રામાયણ’ ભુશુંડિ રામાયણ જેવા ઘણાં ગ્રંથો પણ લખાયા છે.




#Article 180: અક્ષાંશ-રેખાંશ (178 words)


ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.




#Article 181: રાજધાની (245 words)


રાજકીય વહીવટી એકમના મુખ્ય મથક ને રાજધાની કે પાટનગર કહે છે. માનવ ઇતિહાસ માં જ્યારથી રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી કોઇ ને કોઇ સ્વરૂપમાં રાજધાની અસ્તિત્વમાં રહી છે. રાજાશાહી ના સમયમાં, રાજા જે નગર માંથી પોતાના રાજ્યનું સંચાલન કરતો હોય, તેને રાજધાની નો દરજ્જો આપવામાં આવે છે.

સ્વાભાવીક રીતે આ વહીવટી હોદ્દાના એકલાના કારણેજ રાજધાની નું ખાસ મહત્વ રહે છે. આજ કારણસર ઘણી વાર રાજધાની અન્ય ક્ષેત્રોમાં પણ મુખ્ય સ્થાન પ્રાપ્ત કરે છે, જેમકે સૌથી સમૃદ્ધ શહેર, સાંસ્કૃતિક કેન્દ્ર, સૌથી વધુ વસ્તી વાળું મહાનગર, વગેરે. 

ભારતના ઇતિહાસ માં ઘણા શહેરો રાજધાની તરીકે આગળ આવ્યાં છે. પૌરાણીક કાળ માં હસ્તિનાપુર એ ભરતરાજા ના સામ્રાજ્યની રાજધાની હતું. નંદ તથા ગુપ્ત વંશ દર્મ્યાન મગધ રાજ્યની રાજધાની પાટલિપુત્ર(આજનું પટના) ભારતનું એક અત્યંત મહત્વનું શહેર હતું. ત્યાર પછી મુસલમાન અને મુઘલ રાજ્ય દર્મ્યાન હસ્તિનાપુર ના સ્થાનેજ બનેલું નવું નગર દિલ્હી આગળ આવ્યું, કે જે આજે ભારતની રાજધાની છે.

દિલ્હી ભારતની રાજધાની છે.દિલ્હીમા વસ્તિ ૧.૮૯ કરોડ લોકોની છે.તેનો કૂલ વિસ્તાર એરિયા પ્રમાણે ૧૪૮૪ ચોરસ કિલોમીટર છે.ભારતમા દિલ્હી બિજા નમ્બરનુ સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. ભારતમાં મુંબઇ બાદ દિલ્હી બીજા ક્રમના સૌથી ધનાઢ્ય શહેર છે, જેમાં કુલ ૪૫૦ અબજ ડોલરની સંપત્તિ છે અને ૧૮ અબજોપતિઓ અને ૨૩,૦૦૦ કરોડપતિઓનું ઘર છે.

શબ્દ કેપિટલ લેટિન કૅપુટ પરથી આવ્યો છે, જેનો અર્થ હેડ છે. કેટલાક ઇંગ્લીશ બોલતા રાજ્યોમાં, નીચલા ઉપવિભાગોમાં કાઉન્ટી કાઉન્ટી, કાઉન્ટી સીટ અને બરો સીટનો ઉપયોગ પણ થાય છે. એકીકૃત રાજ્યોમાં, પેટાત્મક રાજધાનીઓને સામાન્ય રીતે વહીવટી કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક શબ્દ હેડટાઉન છે. રાજધાની ઘણીવાર તેના ઘટકનું સૌથી મોટું શહેર છે.




#Article 182: રાજા રવિ વર્મા (608 words)


રાજા રવિ વર્મા (૨૯ એપ્રિલ ૧૮૪૮ – ૨ ઓક્ટોબર ૧૯૦૬) એ મલયાલી મૂળના પ્રખ્યાત ચિત્રકાર અને કલાકાર હતા. તેમના ચિત્રોમાં જોવા મળતો વિશાળ સામાજીક પરિપેક્ષ અને સૌદર્યબોધના કારણે તેઓ ભારતીય ચિત્રકલા જગતના ઇતિહાસમાં મહાન ચિત્રકાર તરીકે ઓળખ પામ્યાં છે. તેમની ચિત્રકારી શુદ્ધ ભારતીય સંવેદના અને યુરોપની કળાના સંમિશ્રણના ઉદાહરણ રૂપે જોવામાં આવે છે. પરંપરા અને ભારતીય કલાના સૌદર્યબોધની સાથોસાથ જ તેઓ યુરોપીયન તત્વબોધ તકનીક્ની પ્રયુક્તિ કરવામાં સફળ રહ્યાં. પોતાના ચિત્રોના શિલામુદ્રણ (લિથોગ્રાફ) સામાન્ય જનતાને પરવડે તેવી કિમતે ઉપલબ્ધ કરાવાના કારણે તેઓ લોકમાનસમાં એક ચિત્રકાર, પ્રભાવશાળી વ્યક્તિ અને સાર્વજનિક હસ્તી તરીકે સ્થાન જમાવવામાં સફળ રહ્યાં. ખાસ કરીને પુરાણો, રામાયણ – મહાભારત જેવા મહાકાવ્યોના પ્રસંગો અને દેવી દેવતાઓના ચિત્રોને સમગ્ર ભારતમાં અગાધ આવકાર મળ્યો. 

તેમનો જન્મ ત્રાવણકોર રજવાડાં (હાલ કેરળ)ના કિલિમનૂર ખાતે થયો હતો. તેમના પિતા એઝુમાવિલ નિલકંઠન ભટ્ટાત્રિપદ સંસ્કૃત અને આયુર્વેદના પંડિત હતા અને તેમની માતા ઉમયામ્બા થમ્પૂરાટ્ટી કવયિત્રી અને લેખિકા હતા. તેમણે લખેલ પુસ્તક પાર્વતી સ્વયંવર એ તેમના મૃત્યુ બાદ રવિ વર્માએ પ્રકાશિત કરાવેલુ. તેમને એક બહેન મંગળાબાઇ અને બે ભાઇઓ ગોદા વર્મા (જ. ૧૮૫૪) અને રાજા વર્મા (જ. ૧૮૬૦) હતા. તે પૈકી રાજા વર્મા પણ ચિત્રકાર હતા અને તેમણે રવિ વર્માની સાથે જ પોતાનુ જીવન વ્યતિત કર્યુ. યુવાન વયે જ ત્રાવણકોરના મહારાજા ઐલયમ થીરુનાલનો આશ્રય મળતાં તેમની ઔપચારિક તાલીમની શરુઆત થઈ. તેમણે ચિત્રકારીના બુનિયાદી પાઠ મદૂરાઈથી શિખ્યા. બાદમાં પાણી રંગોની ચિત્રકારી રામાસ્વામી નાયડુ પાસેથી અને તૈલચિત્રોની કલા ડચ છાયાચિત્રકાર થીઓડોર જેન્સોન પાસેથી શિખ્યાં. 

વર્ષ ૧૮૬૬ માં, ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન ત્રાવણકોર રજવાડાના મવેલિક્કર રાજ ઘરાનામાં ભગીરથી નામની ૧૨ વર્ષની કન્યા સાથે થયા. ભગીરથીનુ મૂળ નામ પૂરુરુટ્ટતી નાલ ભગિરથી બાઈ હતું. તે તેમણી ત્રણ બહેનોમાં સૌથી નાના હતાં. તેમની મોટી બે બહેનોને ૧૮૫૭ ની સાલમાં ત્રાવણકોર રાજઘરાનામાં દત્તક આપવમાં આવી હતી. એ બન્ને બહેનો અટ્ટીંગલની રાણીઓ તરીકે ઓળખાતી હતી. આ જ કારણોસર રાજા રવિ વર્માના ત્રાવણકોર રાજ્ય સાથેના સંબંધો વધુ ગાઢ હતા. રવિ વર્મા ને પાંચ સંતાનો હતા જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થતો હતો. તેમનો સૌથી જ્યેષ્ઠ પુત્ર કેરાલા વર્મા (જ. ૧૮૭૬) ખૂબ જ આધ્યાત્મિક વૃતિવાળો હતો. તેણે જીવનપર્યંત લગ્ન ન કર્યા અને ૧૯૧૨ માં ઈશ્વરની શોધ માટે ગૃહત્યાગ કર્યો. નાનો પુત્ર રામા વર્મા (જ, ૧૮૭૯)એ તેના પિતાના વારસાને સંભાળ્યો અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી શિક્ષણ મેળવ્યું. તેમની જ્યેષ્ઠ પુત્રી ઐલયમ નાલ મહાપ્રભા રવિ વર્માના બે ચિત્રોમાં જોવા મળે છે.

ત્રાવણકોરના દિવાન ટી. માધવ રાવની સલાહથી ૧૮૯૪માં રવિ વર્માએ એક લિથોગ્રાફિક પ્રિંટીંગ પ્રેસ ઘાટકોપર, મુબંઈ ખાતે શરૂ કર્યો. જે ૧૮૯૯માં મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે સ્થળાંતરીત કરાયો હતો. આ પ્રેસ દ્વારા રામાયણ, મહાભારત અને પુરાણના પ્રસંગો અને દેવી દેવતાના ચિત્રો છાપવામાં આવ્યાં. આ ચિત્રો ૧૯૦૬ ની સાલમાં રવિ વર્માના નિધન બાદ પણ વર્ષો સુધી હજારોની સંખ્યામાં છપાતા રહ્યાં. રાજા રવિ વર્મા પ્રેસએ તે સમયનો ભારતનો સૌથી મોટો પ્રેસ હતો. આ પ્રેસનુ વહિવટી સંચાલન રવિ વર્માના ભાઇ રાજા વર્માના હસ્તક હતું પણ તેમના વહિવટમાં પ્રેસને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવુ પડ્યું. ૧૮૯૯માં પ્રેસે નાદારી નોંધાવી અને ૧૯૦૧માં આ પ્રેસ, જર્મનીના એક ટેકનીશિયનને વેચી દેવામાં આવ્યો. શરુઆતમાં આ ટેકનિશીયન દ્વારા પણ રવિ વર્માના ચિત્રોનુ વેચાણ ચાલુ રાખ્યું. સમય જતાં તેણે એક કલાકારને ભાડે રાખ્યો. પાછળથી સ્રેડીન્જરે આ પ્રેસનો વિસ્તાર કર્યો અને તેનો વાણિજ્યીક અને વિજ્ઞાપન છાપવામાં ઉપયોગ કર્યો. ૧૯૭૨માં આગને કારણે આ પ્રેસને નુકસાન થયું ત્યાં સુધી આ પ્રેસ કાર્યરત રહ્યો. આગમાં રવિ વર્માના ઘણા બધા અસલી લિથોગ્રાફિક ચિત્રો નાશ પામ્યાં.

બ્રિટીશ વહિવટદાર એડાગર થર્સ્ટનનો રવિ વર્મા અને તેમના ભાઇની કારકિર્દી ઘડવામાં વિશેષ ફાળો રહ્યો છે. ૧૮૭૩માં વિએના ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શિનીમાં એવોર્ડ જીત્યાં બાદ તેમની કલાને વૈશ્વિક સ્તરે અનુમોદન મળ્યું. ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શિનીમાં બે સુવર્ણ પદક મેળવ્યાં. ચિત્ર પ્રેરણા મેળવવા તેઓ સમગ્ર ભારતમાં ફર્યા. મહાભારતના પાત્રો પૈકી દુશ્યંત – શકુંતલા અને નળ – દમયંતિના ચિત્રો એ એમને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી. તેમના ઘણા ખ્યાતનામ ચિત્રો વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહાયેલાં છે. અન્ય કેટલાંક ચિત્રો મૈસૂર અને ત્રાવણકોરના મહેલમાં સચવાયેલાં છે.




#Article 183: કરમસદ (197 words)


કરમસદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા આણંદ તાલુકામાં આવેલું એક શહેર છે. ભારતના સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા પ્રસિદ્ધ રાજનેતા સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદના વતની હતા. તેઓ નવાધરામા રહેતા હતા. તેમનુ ઘર જોવાલાયક સ્થળ છે.

કરમસદની જન્મ તારીખ અથવા કરમસદ અસ્તિત્વમાં આવ્યા ત્યારે બરાબર જાણી શકાયું નથી, પરંતુ કુમારપાળના સમયમાં એટલે કે ઇ.સ. ૧૧૫૫માં, ગામમાં મુખ્યત્વે કોળી અને અન્ય પછાત જાતિના લોકોનો સમાવેશ થતો હતો. આ સમુદાયમાં યોગ્ય કૃષિ કુશળતાનો અભાવ છે. આને કારણે, જો તક મળે તો તેઓ લૂંટ, ચોરી અથવા નોકરો તરીકે કામ કરતા હતા. ઇ.સ. ૧૨૧૧ માં મૂળ હિલોડનો (અડાલજ નજીકનું એક શહેર) અજા પટેલ અહીં આવ્યો અને અહીં સ્થાયી થયો. તેની કુશળતાને કારણે, કૃષિ ઉત્પાદનમાં વધારો થયો અને ગામ સમૃદ્ધ થયું.

ભારતીય સ્વતંત્રતા ચળવળના ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઇ પટેલ કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઇ પટેલનું ઘર પણ હતું, જે એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ ભાઈઓ તેમના બે મોટા ભાઇઓ અને એક નાના ભાઈ અને બહેન સાથે રહેતા હતા, અને માતા-પિતા ઝવેરભાઇ અને લાડબા પટેલ તેના પરિવારના ખેતરોની બાજુમાં કાદવ-ઈંટવાળા મકાનમાં રહેતા હતા. આ ઘર પટેલના સ્મારક તરીકે આજદિન સુધી સચવાયું છે.




#Article 184: લોખંડ (630 words)


લોખંડ એક રાસાયણિક તત્વ છે જેનું ચિહ્ન Fe (લૅટિન: Ferum - ફેરમ્) છે.તેની ક્રમાંક ૨૬ છે. લોખંડ એ નરમ, ચળકતી ધાતુ છે. અવકાશ માં તારાઓના નિર્માણ ચક્રમાં લોખંડ અને નિકલ એ બે ધાતુઓ અંતિમ ભાગમાં બને છે, અને તે આ પ્રક્રિયા દ્વારા બનતું સૌથી ભારે તત્વ છે. આ કારણે તે પૃથ્વી પર, તેમજ અવકાશી પદાર્થોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લોખંડ એક મજબુત ધાતુ છે, આથી તેનો ઔદ્યોગિક ક્ષેત્રે, ઓજારો તથા હથિયારો બનાવવામાં ભરપૂર ઉપયોગ થાય છે. આ રીતે માનવ ઇતિહાસ ઘડવામાં લોખંડનો મહત્વનો ફાળો રહેલો છે.

  
આયર્ન સૌથી વ્યાપક રીતે તમામ ધાતુઓના વપરાય છે, વિશ્વભરમાં ધાતુ ઉત્પાદનમાં 95% હિસ્સો ધરાવે છે. તેના નીચા ખર્ચ અને વધુ મજબૂત તેને મશીનરી અને મશીન ટૂલ્સ, ઓટોમોબાઇલ્સ, તો મહત્વના ખુબ જ જરુરી બાંધકામ જેમ કે એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં અનિવાર્ય માળખાકીય ઘટકો બનાવવા મોટા જહાજો, અને ઇમારતો માટે વપરાય છે. શુદ્ધ લોહ તદ્દન સોફ્ટ છે, તે એકદમ સામાન્ય રીતે સ્ટીલ સ્વરૂપમાં જ વપરાય છે.

વ્યાપારીક રીતે ઉપલબ્ધ લોહ શુદ્ધતા અને ઉમેરણોની ઉપલબ્ધિ પર આધારિત વર્ગીકૃત કરવામાં આવે છે. પિગ આયર્ન 3.5-4.5% કાર્બન અને જેમ કે અશ્શુદ્ધિઓ (જેમ કે સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસ વિગેરે) વિવિધ માત્રામાં ધરાવે છે. કાચું લોખંડ વેચાઉ ઉત્પાદન નથી પરંતુ બીડ(કાસ્ટ આયર્ન-Cast iron) અને લૌહ અયસ્ક કે લોખંડ, સ્ટીલના ઉત્પાદન માટેનુ એક મધ્યવર્તી પગલું(સ્વરૂપ) છે. બીડ(કાસ્ટ આયર્ન) એ 2-4% કાર્બન, 1-6% સિલિકોન, અને થોડી માત્રામાં મેંગેનીઝધરાવે છે.

અશુદ્ધિઓ(જેવી કે સલ્ફર અને ફોસ્ફરસ) પિગ આયર્નમા હાજર છે કે ગુણધર્મો પર નકારાત્મક અસર કરે છે તેમને એક સ્વીકૃત સ્તર સુધી ઘટાડી દેવામાં આવી છે. તેઓનુ ગલન બિંદુ 1420-1470 કેલ્વિન(K) છે, જે તેના બે મુખ્ય ઘટકો ક્યાં કરતાં ઓછુ છે અને તેને કાર્બન અને લોહ મળીને જ્યારે ગરમ કરે  છે ત્યારે ઓગાળી શકાય અને લોહ ઉત્પાદન કરી શકાય છે. કાર્બન સ્વરુપ પર આધારિત તેના યાંત્રિક ગુણધર્મોમા મોટો ફેરફાર તેમને મિશ્રધાતુ(alloy-એલોય) માં લઈ જાય છે.

In gray iron the carbon exists free as fine flakes of graphite, and also renders the material brittle due to the stress-raising nature of the sharp edged flakes of graphite. A newer variant of gray iron, referred to as ductile iron is specially treated with trace amounts of magnesium to alter the shape of graphite to spheroids, or nodules, vastly increasing the toughness and strength of the material.

Wrought iron contains less than 0.25% carbon.[52] It is a tough, malleable product, but not as fusible as pig iron. If honed to an edge, it loses it quickly. Wrought iron is characterized by the presence of fine fibers of slag entrapped in the metal. Wrought iron is more corrosion resistant than steel. It has been almost completely replaced by mild steel for traditional wrought iron products and blacksmithing.

Mild steel corrodes more readily than wrought iron, but is cheaper and more widely available. Carbon steel contains 2.0% carbon or less,[53] with small amounts of manganese, sulfur, phosphorus, and silicon. Alloy steels contain varying amounts of carbon as well as other metals, such as chromium, vanadium, molybdenum, nickel, tungsten, etc. Their alloy content raises their cost, and so they are usually only employed for specialist uses. One common alloy steel, though, is stainless steel. Recent developments in ferrous metallurgy have produced a growing range of microalloyed steels, also termed 'HSLA' or high-strength, low alloy steels, containing tiny additions to produce high strengths and often spectacular toughness at minimal cost.

 
Photon mass attenuation coefficient for iron.Apart from traditional applications, iron is also used for protection from ionizing radiation. Although it is lighter than another traditional protection material, lead, it is much stronger mechanically. The attenuation of radiation as a function of energy is shown in the graph.

The main disadvantage of iron and steel is that pure iron, and most of its alloys, suffer badly from rust if not protected in some way. Painting, galvanization, passivation, plastic coating and bluing are all used to protect iron from rust by excluding water and oxygen 

﻿




#Article 185: ચાંદી (168 words)


ચાંદી એ એક તત્વ છે જેની સંજ્ઞા Ag અને અણુ ક્રમાંક ૪૭ (લૅટિન: Argentum - આર્જેન્ટમ) છે. આ એક મૃદુ, સફેદ, ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. ચાંદી એ વિદ્યુત અને ઉષ્મા બંને નું સૌથી સુવાહક તત્વ છે. ચાંદી પ્રકૃતિમાં તેના શુદ્ધ સ્વરૂપે અને સોનાની ખનિજમાં મિશ્ર ધાતુ તરીકે મળી આવે છે જેમકે આર્જેન્ટાઈટ અને ક્લોરાર્ગીરાઈટ. મોટા ભાગની ચાંદી તાંબુ સોનું, સીસું અને જસત આદિના શુદ્ધિકરણ સમયે આડ પેદાશ તરીકે મળે છે.
આજે ચાંદી વિદ્યુત સંપર્કો, વિદ્યુત વાહકો,  આરીસા બનાવવા અને રાસાયણિક પ્રક્રીયામાં ઉદ્દીપક તરીકેવપરાય છે. તેના સંયોજનોઇ ફોટોગ્રાફેક ફીલ્મમાં અને સીલ્વર નાઈટ્રેટ જેવા સંયોજનો જીવાણુ નાશક તરીકે થાય છે. જીવાણુ નાશક તરીકેના ચાંદીના વૈદકીય ઉપયોગ નું સ્થાન હવે એન્ટીબાયોટિક્સે લીધું છે પન આ તત્વોના વૈદકીય ઉપયોગ પર સંશોધન ચાલુ છે.. ઘણા લાંબા સમયથી કિમતી ધાતુ તરીકે જાણીતી રહી છે અને તેનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણા તથા વાસણો બનાવવામાં થતો આવ્યો છે.આજ થી ઘણા વષો પહેલા ભારત મા ચાંદી ના સિક્કા નુ ચલણ હતુ,ચાંદી ના દાગીના ભારત મા મુખ્યત્વે ૫૦ થી ૮૫ ટચ ના દાગીના નુ ચલણ છે,

﻿




#Article 186: સોનું (110 words)


સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: Aurum - ઑરમ્ ). સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.

આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.

આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી.

﻿




#Article 187: ગાય (199 words)


ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે. જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અને લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.

પરશુરામ જે વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે, તે પોતાનાં શત્રુ તરીકે સહસ્રાર્જુનને ગણાવતા હતા. કારણ કે સહસ્રાર્જુને કામધેનું ગાયનું અપહરણ કર્યુ હતું.

આમ તો ગાય દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અને હવામાન અનુસાર તે અલગ અલગ રંગ, આકાર અને દેખાવમાં જોવા મળે છે. ભારતમાં જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.

ગીર ગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે. ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.




#Article 188: સૌરાષ્ટ્ર (358 words)


સૌરાષ્ટ્ર (અથવા સોરઠ કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો અખાત આવેલાં છે.

સૌરાષ્ટ્રમાં ગુજરાતના નીચેના જિલ્લા તેમજ વિસ્તારોનો સમાવેશ થાય છે:

ઐતહાસિક રીતે દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના દીવ જિલ્લાનો પણ સૌરાષ્ટ્રમાં સમાવેશ થતો હતો.

સુરાષ્ટ્રા જે પાછળ થી અપભ્રંશ થઈ સૌરાષ્ટ્ર થયું તેના નામ પાછળનો મતલબ - શ્રેષ્ઠ ધરા છે. મહાભારતમાં, પeનીનીની ગણપથામાં, રુદ્રદમન, સ્કંદગુપ્ત અને વલ્લભી કાળના ઘણાં તામ્રપટમાં પણ તેના મબલક પાક ઉપજાવવાના ગુણ વાળી ધરતી ને કારણે સુરાષ્ટ્રા તરીકે ઉલ્લેખ છે.

આ સિવાય વિદેશી નોંધમાં, ઇજિપ્તીયન ગણિતશાસ્ત્રી, ભૂગોળવેત્તા ટોલેમી (ઇ. સ. ૧૫૦) તથા ગ્રીક હસ્તપ્રત પેરિપ્લસમાં (ઇ. સ. ૨૧૦) સુરસ્ત્રેન / સુરસ્ટ્રેણ તરીકે કાઠીયાવાડ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

લાંબા સમયના અવકાશ સુધી સોરઠ નામ માત્ર એક સિમિત વિસ્તાર અને પછીથી મુસ્લિમ શાસિત જૂનાગઢ રાજ્યને અપાયું હતું. બ્રિટિશ રાજનાં સમયમાં જૂનાગઢ અને તેની આસપાસનાં રજવાડાંઓની દેખરેખ Western India States Agency (WISA) હેઠળ હતી. ૧૯૪૭માં, જૂનાગઢનાં મુસ્લિમ શાસકે આ વિસ્તારને પાકિસ્તાનમાં ભેળવવા તૈયારી કરી હતી. પરંતુ પ્રજાએ વિરોધ કરી આરઝી હકૂમત સ્થાપી અને શાસકે કરાચી ભાગી જવું પડ્યું. અંતે આ વિસ્તાર ભારતમાં ભળ્યો. 

સૌરાષ્ટ્ર સંત અને શૂરાઓની ભૂમિ મનાય છે. કેટલાયે પ્રસિદ્ધ સંત અને અધ્યાત્મિક મહાપુરુષોની આ જન્મભૂમિ, કર્મભૂમિ છે. 

૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું એકીકરણ કરી ને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ત્યારે તેને ’યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ’ તરીકે ઓળખાવાયું. નવેમ્બર ૧૯૪૮માં તેનું ’સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે નવું નામકરણ થયું. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્થાનિક રજવાડાં અને સુબાઓ (જે કુલ મળીને ૨૨૨ હતા)ને સહમત કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી. જો કે, ભાવનગર/ગોહિલવાડ રાજ્યના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું વિશાળ રાજ્ય સામેથી સરદાર પટેલને ભારતીય સંઘમાં ભેળવવા માટે અર્પણ કર્યું, અને આમ ભાવનગર ભારતીય સંઘમાં ભળનાર પ્રથમ રાજ્ય બન્યું.

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ઉચ્છરંગરાય ઢેબર (૧૯૦૫-૧૯૭૭) સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેઓ પછીથી ૧૯૫૫ થી ૧૯૫૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસના પ્રમુખ બનેલા. તે પછી ૧૯ ડિસેમ્બર ૧૯૫૪માં રસિકલાલ પરીખે આ પદ સંભાળેલું.

૧ નવેમ્બર ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારીત ભાગલા પડ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોની રચના થઈ. પૂર્વ સોરઠ કે જૂનાગઢ રજવાડા સહીતનો સૌરાષ્ટ્ર વિભાગ હાલ ગુજરાત રાજ્યનો જ એક ભાગ છે.




#Article 189: બાલી (173 words)


બાલી ઇંડોનેશિયાનો એક દ્વીપ પ્રાન્ત છે. આ જાવાની પૂર્વ માં સ્થિત છે. લોમ્બોક બાલીની પૂર્વમાં દ્વીપ છે. અહીંના બ્રાહ્મી લેખ ૨૦૦ ઈપૂ થી પણ જુના છે. બાલીદ્વીપનું નામ પણ ખૂબ જૂનું છે.

૧૫૦૦ ઈ થી પહલાં ઇંડોનેશિયામાં મજાપહિત હિંદુ સામ્રાજ્ય સ્થાપિત હતું. જ્યારે આ સામ્રાજ્યનું પતન થયું અને મુસલમાન સુલતાનોંએ સત્તા લઈ લીધી ત્યારે જાવા અને અન્ય દ્વીપોંના અભિજાત-વર્ગીય લોકો બાલી ભાગી આવ્યાં. અહીં હિન્દુ ધર્મનું પતન નથી થયું. બાલી ૧૦૦ વર્ષ પહલા સુધી સ્વતન્ત્ર રહ્યું પણ અન્તમાં ડચ લોકોએ આને પરાસ્ત કરી લીધું. અહીની જનતાનો બહુમત (૯૦ ટકા) હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે. આ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થાન છે જેની કલા, સંગીત, નૃત્ય અને મન્દિર મનમોહક છે.

અહીંની રાજધાની દેનપસાર નગર છે. ઉબુદ મધ્ય બાલીમાં નગર છે. આ દ્વીપ કલા અને સંસ્કૃતિનું પ્રધાન સ્થાન છે.

કૂટા દક્ષિણ બાલીમાં નગર છે. અહીં ૨૦૦૨માં ઇસલામી આતંકવાદિયોં એ બોમ્બ વિસ્ફોટ કર્યો જેમાં ૨૦૨ વ્યક્તિ માર્યા ગયા.

જિમ્બરન બાલીમં માછીમારો નું ગામ અને હવે પર્યટન સ્થળ છે.

દ્વીપ ના ઉત્તરી કિનારા પર સિંહરાજ નગર સ્થાપિત છે. અગુંગ પર્વત અને જ્વાળામુખી બતુર પર્વત બે ઊંચા શિખર છે.




#Article 190: પટના (1905 words)


પટના પૂર્વ ભારતમાં આવેલાં રાજ્ય બિહારની રાજધાની છે. પટનાનું પ્રાચીન નામ પાટિલપુત્ર હતું. પટના વિશ્વનાં એવા થોડા શહેરોમાંનું એક છે જે ચિર કાળથી આબાદ રહ્યું છે. મેગૅસ્થનીઝ (ઇ.પૂ. ૩૫0-૨૯0)એ પોતાના ભારત ભ્રમણ પશ્ચાત લખેલા પુસ્તક ઇંડિકામાં પલિબોથ્રા (પાટલિપુત્ર - આધુનિક પટના) નગરનો ઉલ્લેખ કર્યો છે જે ગંગા અને અરેન્નોવાસ (સોનભદ્ર-હિરણ્યવાહ)ના પ્રવાહ સંગમ પર વસ્યું હતું. તે પુસ્તકના આંકડાના હિસાબે પટના ૯ માઈલ (૧૪.૫ કિ.મી.)લાંબુ તથા ૧.૭૫ માઈલ (૨.૮ કિ.મી.) પહોળું હતું. આધુનિક પટના શહેર [ગંગાના દક્ષિણી કિનારાથી તે બિંદુ પર સ્થિત છે જ્યાં ગંગા, ઘાઘરા, શોણ અને ગંડક નદીઓને મળે છે . અહીં પવિત્ર ગંગાનું સ્વરુપ નદીનું ન લાગતાં સાગર જેવું લાગે છે - અથાગ, ભયંકર અને અનંત.

લગભગ ૧૨,૦૦,૦૦૦ની વસ્તી ધરાવતું આ શહેર લગભગ ૧૫ કિ.મી. લાંબુ અને ૫-૭ કિ.મી. પહોળુ છે. બૌદ્ધ અને જૈન તીર્થસ્થળ વૈશાલી, રાજગીર(રાજગૃહી), નાલંદા, બોધગયા અને પાવાપુરી પટનાની આજુબાજુમાં આવેલા છે. પટના શીખો માટે પણ પવિત્ર સ્થળ છે કેમકે ૧૦મા તથા અંતિમ શિખ ગુરુ ગુરૂ ગોવિંદ સિંહ અહીં જન્મ્યા હતા. આસપાસના ભગ્નાવશેષ પટનાનાં ઐતિહાસિક ગૌરવને પ્રદર્શિત કરે છે.

ઐતિહાસિક અને પ્રશાસનિક મહત્તા સિવાય, નગર ચિકિત્સા અને શિક્ષાનું પણ કેન્દ્ર છે . દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, કેન્દ્ર સરકારની ઉપેક્ષા અને રાજ્ય સરકારની તમના પ્રત્યેની ઉદાસિનતાએ શૈક્ષણિક સંસ્થાનો, જે ઘણા જૂના અને દેશના શીર્ષસ્થ રહ્યાં છે, તેમની હાલત પાછલા એક દાયકામાં ચિંતાજનક કરી દીધી છે. કિલ્લેબંધ શહેરનો જૂનો વિસ્તાર, જેને પટના સિટીના નામ થી ઓળખવામાં આવે છે તે એક પ્રમુખ વાણિજ્યિક કેન્દ્ર છે. પટના નામ પટન (એક હિંદુ દેવી ) પરથી આવ્યું છે . એક અન્ય મત અનુસાર આ નામ સંસ્કૃતના પત્તનથી આવ્યું છે જેનો અર્થ 'તટીય બંદર' થાય છે. શહેર પાછલી બે સહસ્ત્રાબ્દિઓમાં ઘણા નામ પામી ચુક્યું છે - પાટલિગ્રામ, પાટલિપુત્ર, પુષ્પપુર, કુસુમપુર, અજીમાબાદ અને પટના .

લોકકથાઓ અનુસાર રાજા પત્રકને પટનાના જનક કહેવાય છે, જેણે પોતાની રાણી પાટલિ માટે જાદૂથી આ નગરનું નિર્માણ કર્યું. આ કારણે નગરનું નામ પાટલિગ્રામ પડ્યું. પાટલિપુત્ર નામ પણ આ જ કારણે પડ્યું.

પુરાતાત્વિક સંશોધનો પ્રમાણે પટનાનો ઇતિહાસ ૪૯૦ ઈસ પૂર્વથી શરુ થાય છે જ્યારે શિશુનાગ વંશના શાસક અજાતશત્રુએ પોતાની રાજધાની રાજગૃહથી બદલી અહીં સ્થાપિત કરી, કેમ કે વૈશાલીના લિચ્છવિઓ સાથેનાં સંઘર્ષમાં પાટલિપુત્ર, રાજગૃહ કરતાં વધુ સારા રણનીતિક સ્થાન પર આવેલું હતું. એણે ગંગાના કિનારે આ સ્થાન કરી પોતાનો કિલ્લો સ્થાપ્રો. આ સમયથી આ નગરનો લગાતાર ઇતિહાસ રહ્યો છે - આ ગૌરવ દુનિયાના બહુ ઓછા નગરોને મળ્યું હશે. ભગવાન ગૌતમ બુદ્ધ પોતાના આખરી દિવસોમાં અહીંથી પસાર થયા હતા. એમણે ભવિષ્યવાણી કરી હતી કે નગરનું ભવિષ્ય ઉજ્જવળ હશે, પણ ક્યારેક પૂર, આગ કે અંદરો-અંદરનાં સંઘર્ષના કારણે તે બરબાદ થઇ જશે.

મૌર્ય સામ્રાજ્યના ઉત્કર્ષ પછી પાટલિપુત્ર સત્તાનું કેન્દ્ર બની ગયું. ચન્દ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય બંગાળની ખાડીથી અફઘાનિસ્તાન સુધી ફેલાયું હતું. શરૂઆતનું પાટલિપુત્ર લાકડાં વડે બન્યું હતું પણ સમ્રાટ અશોકે નગરને શિલા-પથ્થરોની રચનામાં ઢાળી દીધું. ચીનના ફાહિયાને, કે જેણે સન્ ૩૯૯ થી ૪૧૪ સુધી ભારત યાત્રા કરી, પોતાના યાત્રા-વૃતાંતમાં અહીંના શૈલ સ્થાપત્યોનું જીવંત વર્ણન કર્યું હતું. મેગાસ્થનીઝ, કે જે એક યુનાની ઇતિહાસકાર અને ચન્દ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક રાજદૂતના નાતે આવ્યા હતા, તેમણે પાટલિપુત્ર નગરનું પ્રથમ લિખિત વિવરણ આપ્યું . જ્ઞાનની શોધમાં પછી કેટલાય ચીની યાત્રી અહીં આવ્યા અને એમણે પણ આ નગર વિશે, પોતાના યાત્રા-વૃતાંતોમાં લખ્યું છે.

આ પછી નગર પર ઘણા રાજવંશોનું રાજ રહ્યું. આ રાજાઓએ અહીંથી જ ભારતીય ઉપમહાદ્વીપ પર શાસન કર્યું . ગુપ્ત વંશનાં શાસનકાળને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. પણ આ પછી નગરને એવું ગૌરવ કદી મળ્યું નહી જે મૌર્ય વંશના સમયમાં પ્રાપ્ય હતું. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી પટનાનું ભવિષ્ય ઘણું અનિશ્ચિત રહ્યું. ૧૨મી સદીમાં બખ઼્તિયાર ખિલજીએ બિહાર પર પોતાનું આધિપત્ય જમાવ્યું અને ઘણાં ધાર્મિક સ્થાનોને ધ્વસ્ત કરી નાખ્યાં જેથી કરીને પટના, દેશનું સાંસ્કૃતિક અને રાજનૈતિક કેન્દ્ર રહ્યું નહી.

મોગલકાળમાં દિલ્હીના સત્તાધીશોએ અહીં પોતાનું નિયંત્રણ બનાવી રાખ્યું. આ સમયમાં સૌથી ઉત્કૃષ્ઠ સમય ત્યારે આવ્યો જ્યારે શેરશાહ સૂરીએ નગરને પુનર્જીવિત કરવાની કોશિશ કરી. એણે ગંગાના તીરે એક કિલ્લો બનાવવાનું વિચાર્યું. એણે બનાવેલ કોઈ દુર્ગ તો હાલમાં નથી, પરંતુ અફઘાન શૈલીમાં બનાવેલ એક મસ્જિદ અત્યારે પણ જોવા મળે છે. મોગલ બાદશાહ અકબર ઇ.સ. ૧૫૭૪માં અફઘાન સરગના દાઉદ ખાનને કચડી નાખવા પટના આવ્યો. અકબરના મંત્રી તેમજ આઇને અકબરીના લેખક અબુલ ફઝલે આ જગ્યાને કાગળ, પત્થર તથા કાચનાં સંપન્ન ઔદ્યોગિક કેન્દ્રના રૂપમાં વર્ણવી છે. પટના રાઇસના નામથી યુરોપમાં પ્રસિદ્ધ ચોખાની વિભિન્ન જાતોની ગુણવત્તાનો ઉલ્લેખ પણ આ વિવરણોમાં મળે છે. મોગલ બાદશાહ ઔરંગઝેબે પોતાના પ્રિય પૌત્ર મુહમ્મદ અઝીમના અનુરોધ પર ૧૭૦૪માં, શહેરનું નામ અજીમાબાદ કરી દીધું . અઝીમ આ સમયે પટનાનો સૂબેદાર હતો. પણ આ કાળખંડમાં, નામ સિવાય પટનામાં કંઇ વિશેષ બદલાવ થયો નહી.

મોગલ સામ્રાજ્યના પતનની સાથે જ પટના બંગાળના નવાબોને શાસનાધીન થઇ ગયું. તેમણે આ ક્ષેત્ર પર ભારે કર લાદ્યો, પરંતુ પટણાને વાણિજ્યિક કેન્દ્ર બની રહેવાની છૂટ આપી. ૧૭મી સદીમાં પટના આંતર્રાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્ર બની ગયું. અંગ્રેજોએ ૧૬૨૦માં અહીં રેશમ તથા કેલિકો (સફેદ કાપડ)ના વેપાર માટે કારખાનાં ખોલ્યાં. ઝડપથી આ સૉલ્ટ પીટર (પોટેશિયમ નાઇટ્રેટ)ના વેપારનું કેન્દ્ર બની ગયું જેના કારણે ફ્રેંચ અને ડચ લોકો સાથે સ્પર્ધા વધી ગઇ.

બક્સરના નિર્ણાયક યુદ્ધ પછી નગર ઇસ્ટ ઇંડિયા કંપનીનાં નેજા હેઠળ ચાલી ગયું અને વાણિજ્યનું કેન્દ્ર બની રહ્યું. ઇ.સ. ૧૯૧૨માં બંગાળના વિભાજન પછી, પટના, ઓરિસ્સા તથા બિહારની રાજધાની બન્યું. આઈ એફ મુન્નિંગે પટનાના ભવનોનું નિર્માણ શરૂ કર્યું - સંગ્રહાલય, ઉચ્ચ ન્યાયાલય વિધાનસભા ભવન વગેરેના નિર્માણનું શ્રેય એમને જ આપવું રહ્યું. અમુક લોકોનું કહેવું છે કે પટનાનાં નવા મકાનોના નિર્માણમાં પ્રાપ્ત થયેલી આવડત દિલ્લીના શાસનિક ક્ષેત્રના નિર્માણમાં ખૂબ કામ આવી.

૧૯૩૫માં ઓરિસ્સાને બિહારથી અલગ કરી એક રાજ્ય બનાવી દેવામાં આવ્યું . પટના જુના રાજ્યની રાજધાની બની રહ્યું . ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં શહેરે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી . ગળીની ખેતી માટે જે ચમ્પારણનું આંદોલન તથા ૧૯૪૨નું ભારત છોડો આંદોલન થયું એત્માં અહીંથી ઉલ્લેખનીય નામો છે. આઝાદી પછી પણ પટના બિહારની રાજધાની તરિકે બરકરાર રહ્યું . ઇ.સ. ૨૦૦૦માં ઝારખંડ રાજ્ય બન્યા પછી હજી સુધી આ બિહારની રાજધાની છે.

પટના ગંગાના દક્ષિણી તટ પર સ્થિત છે જે શહેર સાથે એક લાંબી તટ રેખા બનાવે છે. પટનાનો પૂર્વથી પશ્ચિમ એમ પટામાં લંબાયેલું છે. શહેર ત્રણ તરફથી ગંગા, શોણ નદી અને પુનપુન નદીઓથી ઘેરાયેલું છે. ઉત્તરમાં ગંગા ને સામે પાર ગંડક નદી પણ ગંગામાં આવી મળે છે. મહાત્મા ગાંધી પુલ કે જે પટનાથી હાજીપુરને જોડવા માટે ગંગા નદી પર બાંધવામાં આવ્યો છે તે દુનિયાનો સૌથી લાંબો, એક જ નદી પર બનેલ, સડક પુલ છે. આની લંબાઈ ૫૮00 મીટર એટલે કે ૫.૮ કિ.મી. છે.

બિહારના અન્ય ભાગોની જેમ પટનામાં પણ ઉનાળામાં તાપમાન ઊંચુ રહે છે. ગ્રીષ્મ ઋતુમાં સૂરજનો સીધો તાપ તથા ઉષ્ણ તરંગોંને કારણે ગરમી અસહ્ય થઈ જાય છે. જોકે દેશના અન્ય મેદાની ભાગો (જેમકે દિલ્લી)ની સરખામણિઇએ ઓછું હોય છે. ચાર મોટી નદીઓની નજીક હોવાથી શહેરમાં ભેજનું પ્રમાણ આખું વર્ષ અધિક રહે છે. ઉનાળો એપ્રિલમાં શરૂ થઈ જૂન-જુલાઈ મહીનામાં પોતાના ચરમ પર હોય છે જ્યારે તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચી જાય છે. જુલાઈમાં ચોમાસૂ ઝાપટાંથી રાહત પહોંચે છે અને વર્ષા ઋતુના શ્રીગણેશ થાય છે. નવેમ્બરથી શીયાળાનો આરંભ થાય છે જે ફેબ્રુઆરી સુધી ચાલે છે. ફેબ્રુઆરીમાં વસંતનું આગમન થાય છે તથા માર્ચમાં આના અવસાન સાથે જ ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે.

પટનાની વસ્તિ ૧૨,૮૫,૪૭૦ (૨૦૦૧ વસ્તિ ગણતરી મુજબ) છે કે જે ૧૯૯૧માં ૯,૧૭,૨૪૩ હતી. વસ્તીની ગીચતા ૧૧૩૨ વ્યક્તિ પ્રતિ ચો.કિ.મી. છે. સ્ત્રી/પુરૂષ પ્રમાણ છે - ૮૩૯ સ્ત્રી પ્રતિ ૧,૦૦૦ પુરૂષ. સાક્ષરતાનો દર ૬૨.૯%, સ્ત્રી સાક્ષરતા ૫0.૮% છે.
પટનામાં અપરાધનો દર અપેક્ષાકૃત ઓછો છે . મુખ્ય જેલ બેઉરમાં છે. પટનામાં ઘણી ભાષાઓ તથા બોલીઓ બોલાય છે. હિન્દી રાજ્યની સરકારી ભાષા છે. અંગ્રેજીનો પણ ઉપયોગ થાય છે. મગધી અહીંની સ્થાનીક ભાષા છે. અન્ય ભાષાઓ, કે જે બિહારના અન્ય ભાગોમાંથી આવેલા લોકોની માતૃભાષા છે, તેમાં અંગિકા, ભોજપુરી અને મૈથિલી મુખ્ય છે. અન્ય ભાષાઓંમાં બાંગ્લા અને ઉડ઼િયાનું નામ લઈ શકાય છે. પટનાના મેમણને પાટની મેમણ કહે છે અને એમની ભાષા મેમણી ભાષાનું એક સ્વરૂપ છે.

પટનાનું મુખ્ય જનજીવન અંગ તથા મિથિલા પ્રદેશોથી ઘણું પ્રભાવિત છે. આ સંસ્કૃતિ બંગાળને મળતી આવે છે.

સ્ત્રીઓનું પરિવારમાં સન્માન થાય છે તથા પારિવારિક નિર્ણયોંમાં એમની વાત પણ સાંભળવામાં આવે છે. છતાં સ્ત્રીઓ હજી સુધી ઘરના કમાઊ સદસ્યોંમાં નથી પણ તેમની દશા ઉત્તર ભારત કે અન્ય ક્ષેત્રોની સરખામણીએ સારી છે. ક્યાંક ક્યાંક સ્ત્રીઓનું શોષણ પણ થાય છે.

અધિકતર વિવાહ માતા-પિતા દ્વારા જ નિર્ધારિત-નિર્દેશાનુસાર થતાં હોય છે. વિવાદમાં સંતાનની ઇચ્છાની માન્યતા પરિવાર પર નિર્ભર કરે છે. વિવાહને પવિત્ર માનવામાં આવે છે . લગ્ન ઉત્સવની જેમ મનાવવામાં આવે છે અને આ દરમ્યાન સંસ્કૃતિક કાર્યક્રમોંની ભરમાર રહે છે. વાસ્તવમાં જો અમુક પર્વોં ને છોડી દઈએ તો લગ્નના અવસર પર જ કલાની સર્વોત્તમ ઝાંખી મળી શકે છે. આ અવસર પર ખર્ચ અને ભોજનની અધિકતા રહે છે. દહેજનું ચલન હજી સુધી ઘણાં પરિવારોમા છે.

દીવાળી, દુર્ગાપૂજા, હોળી, ઈદ, ક્રિસમસ આદિ લોકપ્રિયતમ પર્વો માં છે .

દશહરા (દશેરા)માં સાંસ્કૃતિક કાર્યક્રમોની લાંબી પણ ક્ષીણ પરંપરા છે. આ પરંપરાની શરુઆત વર્ષ ૧૯૪૪માં મધ્ય પટનાના ગોવિંદ મિત્રા રોડ મુહલ્લેથી થઈ. ધુરંધર સંગીતજ્ઞોંની સાથે-સાથે મોટા કવ્વાલ અને મુકેશ તથા તલત મહમૂદ જેવા ગાયક પણ આની સાથે જોડાયેલા હતાં.
૧૯૫૦ થી ૧૯૮૦ સુધી તો એમ જ લાગી રહ્યું હતું કે દેશના સર્વોત્કૃષ્ટ સંગીતકારોનું તીર્થ બની ગયું છે પટના. ડીવી પલુસ્કર, ઓમકાર નાથ ઠાકુર, ભીમસેન જોશી, અલી અકબર ખાન, નિખિલ બૅનર્જી, વિનાયક રાવ પટવર્ધન, પંડિત જસરાજ, કુમાર ગંધર્વ, બીજી જોગ, અહમદ જાન થિરકવા, બિરજૂ મહારાજ, સિતારા દેવી, કિશન મહારાજ, ગુદઈ મહારાજ, બિસ્મિલ્લા ખાન, હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા ... ઘણી લાંબી સૂચી છે . પંડિત રવિશંકર અને ઉસ્તાદ અમીર ખાન ને બાદ કરતા બાકી લગભગ દરેક નામી સંગીતજ્ઞો પટનાના દશેરા સંગીત સમારંભની શોભા બની ચુક્યા હતાં.
૬0 વર્ષ પહેલાં પટનાના દશેરા અને સંગીતનો જે સંબંધ સૂત્ર કાયમ થયો હતો તે ૮૦ના દશકમાં આવી તૂટી ગયો. તે પરંપરાને ફરીથી જોડવાનો એક તથાકથિત સરકારી પ્રયાસ વર્ષ ૨00૬ના દશેરાના મોકા પર કરવામાં આવ્યો પણ અસફળ રહ્યો.

લોકોનું મુખ્ય ભોજન ભાત-દાળ-રોટી-તરકારી(શાક)-અચાર(અથાણું) છે. સરસવનું તેલ પારંપરિક રૂપથી ભોજન તૈયાર કરવામાં વપરાય છે. ખિચડી, જે ચોખા તથા દાળ સાથે અમુક મસાલાને મેળવી બનાવવામાં આવે છે, તે ઘણી લોકપ્રિય છે. ખિચડી, મોટેભાગે શનિવારે, દહી, પાપડ, ઘી, અચાર તથા ચોખા (ભાત નહી તે નામની વાનગી) સાથે પીરસાય છે.

પટના કેન્દ્રીય બિહારના મિષ્ટાન્નો તથા પકવાનો માટે પણ પ્રસિદ્ધ છે. આમાં ખાજા, મોતીચૂરના લાડુ, કાલા જામુન, કેસરિયા પેંડા, પરવળની મિઠાઈ, ખુબીની લાઈ અને ચના મર્કીનું નામ લઈ શકાય છે. આ પકવાનો પટનાની આજુબાજુનામ્ વિસ્તારોનાં નામ સાથે (કે જે તેમનાં ઉદ્ગમ સ્થાન છે) પ્રખ્યાત છે, જેમકે સિલાવનાં ખાજા, મનેરના લાડુ, વિક્રમના કાલા જામુન, ગયાના કેસરિયા પેડા, બખ્તિયારપુરની ખુબીની લાઈ, ના ચના મર્કી, બિહિયાની પૂરી વિગેરે ઉલ્લેખનીય છે. હલવાઈઓના વંશજ, પટનાના નગરીય ક્ષેત્રમાં મોટી સંખ્યામાં વસી ગયા આ કારણે અહીં નગરમાં જ સારા પકવાન તથા મિઠાઈઓ ઉપલબ્ધ થઈ જાય છે. બંગાળી મિઠાઈઓ જે હંમેશા ચાશણીમાં ડૂબી રહે છે, તેથી અવળાં અહીં ના પકવાન મોટેભાગે સૂકા હોય છે.

આ સિવાય નીચેના પકવાનોનું ચલણ પણ ઘણું છે -

માંસાહારી વાનગીઓ પણ લોકપ્રિય છે. માછલી ઘણી લોકપ્રિય છે, અને મુગ઼લ વાનગીઓ પણ પટનામાં જોઈ શકાય છે. હાલમાં કૉન્ટિનેન્ટલ ખાણાને પણ લોકો પસંદ કરવા લાગ્યાં છે. ઘણી જાતના રોલ, જે ન્યૂયૉર્કમાં પણ ઉપલબ્ધ છે, તેનું મૂળ પટના જ છે. ભારતનં ભાગલા સમયે ઘણાં મુસ્લિમ પરિવાર પાકિસ્તાન ચાલ્યાં ગયા અને ત્યાર બાદ અમેરિકા. પોતાની સાથે-સાથે તેઓ અહીંની સંસ્કૃતિ પણ લઈ ગયા. તે ઘણા શાકાહારી તથા માંસાહારી રોલ બિહારી નામથી ન્યૂયાર્કમાં વેચે છે.

ભારતીય રેલ દ્વારા પટના દેશના અન્ય સૌ મહત્વપૂર્ણ શહેરો સાથે જોડાયેલું છે. પટનાથી જવાવાળા રેલવે માર્ગ છે- પટના-મોકામા, પટના-મુગલસરાઈ તથા પટના-ગયા. પટના પૂર્વ રેલવેના મુખ્ય માર્ગ પર સ્થિત છે. પટનામાં એક રાષ્ટ્રીય હવાઈ પટ્ટી (રનવે) પણ છે જેનું નામ લોકનાયક જયપ્રકાશ નારાયણ હવાઈ અડ્ડા રાખવામાં આવ્યું છે. અહીંથી દિલ્લી, રાંચી, કોલકાતા, મુંબઈ તથા અમુક અન્ય શહેરો માટે નિયમિત સેવા ઉપલબ્ધ છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ ક્રમાંક ૩૧, શહેરની પાસેથી પસાર થાય છે. પટનાથી બિહારના અન્ય શહેરો પણ સડક માર્ગે જોડાયેલાં છે. બિહારના દરેક તથા ઝારખંડના અમુક શહેરો માટે નિયમિત બસ-સેવા ઉપલબ્ધ છે.

ગંગા નદીનો પ્રયોગ વાહનવ્યવહાર માટે હાલ સુધી થતો હતો આની ઉપર પુલ બની જવાથી તેનું પરિવહન માટે મહત્વ નથી રહ્યું. સ્થાનીય પરિવહન બસ સેવા અમુક વિસ્તારો માટે ઉપલબ્ધ છે પણ નગરની મુખ્ય પરિવહન સેવા ઑટોરિક્શા છે (જેને ટેમ્પો પણ કહેવાય છે).

પ્રાચીન કાળમાં વ્યાપારનું કેન્દ્ર રહેલ આ શહેરમાં હવે નિકાસ કરવા લાયક ઓછાં ઉત્પાદન જ બને છે, જોકે બિહારના અન્ય ભાગોમાં પટનાના પૂર્વી જૂના ભાગ (પટના સિટી)માં નિર્મિત માલની માંગ હોવાથી અમુક ઉદ્યોગ ધંધા ફલી ફૂલી રહ્યાં છે .

પટનામાં નિમ્નલિખિત જોવાલાયક સ્થળો છે,




#Article 191: કૃષ્ણ વિવર (464 words)


ચિત્ર:Black Hole Milkyway.jpg|thumb|right|329px| ક્રુષ્ણ વિવર 
કૃષ્ણ વિવર અથવા કાળું કાણું (અંગ્રેજી: Black Hole, Blackhole) એક એવો સૈદ્ધાંતિક વિસ્તાર છે જેની પાસે એટલું શક્તિશાળી ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર છે કે જો કોઇ જાતનું દ્રવ્ય અથવા કિરણોત્સર્ગ (પ્રકાશના કિરણો સહિત) એના કેન્દ્રથી અમુક અંતરથી નજીક આવે તો એ એના ખેંચાણથી છૂટી શકે નહિ. જેમ પ્રકાશના કિરણો પણ છૂટી ના શકે તેમ આવી વસ્તુઓ કાળી લાગે અને તેથી એનું નામ કાળું કાણું (Blackhole) અપાયું.

જ્યારે એક એટલાં શક્તિશાળી ગુરુત્વાકર્ષણની એવી વસ્તુ જેમાંથી પ્રકાશના કિરણો ના છૂટી શકે તેનો વિચાર અઢારમી શતાબ્દીમાં પ્રસ્તાવાયો, અત્યારે કાળાં કાણાંઓ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ઇ.સ. ૧૯૧૬માં વિકસાયેલી સાપેક્ષવાદ પ્રમાણે સમજવામાં આવે છે.

કૃષ્ણ વિવર  અથવા કાળું કાણું અન્તરિક્ષ એ ભાગ છે જ્યાં ગુરૂત્વાકર્ષણ એટલું પ્રબળ હોય છે કે અંદરથી કશુંજ બહાર આવી શકતું નથી. વિઘ્યુતચુંબકિય તરંગ (જેમકે, પ્રકાશ) પણ બહાર આવી શકતા નથી. તેની હાજરી ફક્ત તેના અન્ય પદાર્થો સાથેની પ્રતિક્રિયા વડે જ જાણી શકાય છે.

જ્યારે કોઇ મોટા તારાનું તમામ બળતણ ખલાસ થઇ જાય, ત્યારે તેમાં એક જબરદસ્ત વિસ્ફોટ થાય છે, જેને સૂપરનોવા કહેવાય છે. વિસ્ફોટ પછી જે પદાર્થ વધે છે, તે ધીરે ધીરે કેન્દ્ર તરફ એકઠ્ઠો થઇ અને ખુબ જ ભારે ઘનતા વાળા પીંડનું સ્વરૂપ લે છે, જેને ન્યુટ્રોન સ્ટાર કહે છે. જો ન્યુટ્રોન સ્ટારની ઘનતા અને કદ અનહદ વધારે હોય, તો ગુરૂત્વાકર્ષણના દબાણને કારણે તે કેન્દ્ર તરફ વધુ ને વધુ ભિંસાતા છેવટે કૃષ્ણ વિવરનું સ્વરૂપ ધારણ કરી લેશે અને દેખાતો બંધ થઇ જશે. કેટલીક વખત ન્યુટ્રોન તારો ૧ સેકન્ડમાં ૫૦૦ થી ૬૦૦ વખત પોતાની ધરી પર ફરે છે.

જરૂર કરતા ઓછું દળ ધરાવતો આપણો સૂર્ય કદી કૃષ્ણ વિવર બની શકે નહીં. સુપરનોવાની ઘટના પછી ફક્ત એ જ તારાઓ ન્યૂટ્રોન સ્ટાર તરીકે કાયમી સ્થાયી અવસ્થામાં રહી શકે છે જેમનું દળ સૂર્યના દળના ત્રણ ગણા કરતા ઓછું હોય. જો તારાનું દળ આ મર્યાદા કરતા વધી જવા પામે તો સુપરનોવાની ઘટના પછી રચાતો ન્યૂટ્રોન સ્ટાર સંકોચનની પ્રક્રિયા ચાલું રાખશેે અને અંતે કૃષ્ણ વિવર બની જશે. આ સિદ્ધાંત વૈજ્ઞાનિક સુબ્રમણ્યમ ચંદ્રશેખરે આપ્યો હતો જે 'ચંદ્રશેખર લિમિટ' નામે જાણાીતો છે.

આ કૃષ્ણ વિવર (બ્લેક હોલ)નું કદ એક નાના કણ જેટલુ હોય છે છતાં, તેનુ દળ (વજન) ઓછામાં ઓછું એક લઘુગ્રહ જેટલું તો હોય જ છે. તે એવુ પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો હોય છે કે પ્રકાશનું કિરણ તો શું પણ વિકિરણ પણ તેની પકડમાંથી છટકતું નથી. તેને માટે બ્લેક હોલનો પલાયનવેગ (એસ્કેપ વેલોસિટી) કારણભુત છે.
પલાયનવેગ રોકેટના દ્રષ્ટાંત દ્વારા સમજી શકાય છે. રોકેટ આકશમાં ઊચુ જાય ત્યારે તેણે અમુક નિર્ધારિત વેગે ઊડવુ પડે છે. જો એ પ્રમાણે ન થાય તો જમીન ઉપર પટકાઈ પડે. આ નિશ્ચિત વેગને પલાયનવેગ કહેવામાં આવે છે. પૃથ્વી માટે આ પલાયનવેગ એક સેકન્ડે ૩૪૦૦ કિમી જેટલો હોય છે. ન્યુટ્રોન તારાનો પલાયનવેગ એક સેકન્ડે ૧૯૨૩૬૦ કિમી જેટલો હોય છે. પ્રકાશના કિરણો એક સેકન્ડમાં ૨૯૯૭૯૨ કિમી જેટલી ગતી ધરાવે છે, પણ બ્લેક હોલનો પલાયનવેગ તો ૩૦૦૦૦૦(ત્રણ લાખ) કિમી કરતા પણ વધારે હોય છે. પરિણામે પ્રકાશના કિરણો પણ તેની પકડમાંથી છટકી શકતા નથી અને અદ્રશ્ય બની રહે છે.




#Article 192: આલ્બર્ટ આઇન્સ્ટાઇન (5117 words)


આલ્બર્ટ આઈન્સ્ટાઈનજર્મન ():;અંગ્રેજી ():(14 માર્ચ 1879 તથા - 18 એપ્રિલ 1955) જર્મની ()માં જન્મેલા પદાર્થ વિજ્ઞાની () હતા.તેઓ સાપેક્ષવાદ ()ખાસ કરીને સામૂહિક ઊર્જાની સમાનતા ()ના સિદ્ધાંત માટે જાણીતા છે, જે ઈ=એમસી2ના ગુણાંકમાં વ્યક્ત કરવામાં આવે છે.આઈન્સ્ટાઈનને તેમના પદાર્થ વિજ્ઞાન અને ખાસ કરીને ફોટોઈલેક્ટ્રીક અસર ()ના કાયદાના સંશોધન માટે 1921માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક ()મળ્યું હતું. 

આઈન્સ્ટાઈને સૈદ્ધાંતિક પદાર્થ વિજ્ઞાન ()ના ક્ષેત્રમાં આપેલા અનેક ફાળામાં સાપેક્ષવાદની વિશેષ થીયરી ()નો સમાવેશ થાય છે, જે યંત્રશાસ્ત્ર ()ને ઈલેક્ટ્રોમેગ્નેટિઝમ () સાથે જોડે છે તથા તેમની સાપેક્ષવાદની તેમની સામાન્ય થીયરી ()નો આશય સાપેક્ષવાદના સિદ્ધાંત ()ને સમાન ન હોય તેવા સિદ્ધાંત સુધી લંબાવવાનો અને ગુરુત્વાકર્ષણ ()ની નવી થીયરી આપવાનો હતો. તેમની અન્ય નોંધપાત્ર કામગીરીમાં સાપેક્ષવાદી બ્રહ્માંડ (), સૂક્ષ્મ પગલાં (), પ્રકાશનું પરાવર્તન (), આંકડાશાસ્ત્રના મિકેનિક્સ ()ની સામાન્ય સમસ્યાઓ () તથા જથ્થાની થીયરી ()માં તેનો અમલ, પરમાણુ ()ની હિલચાલ અંગે બ્રાઉન () થીયરીની સમજ, પરમાણુનું પરિવર્તન (), સંભાવનાઓ (), એકમાર્ગી ગેસ ()ના જથ્થાની થીયરી, નીચા રેડિયેશન () સાથે પ્રકાશ ()માં રહેલી ઉષ્ણતા ()ની માત્રા, ઘટ્ટતા (જેને પગલે ફોટોન () થીયરીનો આધાર રચાયો), સ્ટિમ્યુલેટેડ ઈમિશન () સહિત વિકિરણની થીયરી, સર્વગ્રાહી ફિલ્ડ થીયરી ()નો વિચાર તથા ફિઝિક્સના ભૌમિતિકરણનો સમાવેશ થાય છે. 

આઈન્સ્ટાઈને 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો () તથા 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. 1999માં ટાઈમ () સામયિકે તેમને પર્સન ઑફ ધ સેન્ચ્યુરી () જાહેર કર્યા હતા. અત્યંત વિશાળ અર્થ અને સંદર્ભમાં આઈન્સ્ટાઈન નામ જીનિયસ ()નું સમાનાર્થી થઈ ગયું છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન જર્મન સામ્રાજ્યના વુટ્ટમબર્ગનું કિંગડમમાં ઉલ્મ ખાતે એક યહુદી પરિવારમાં 14 માર્ચ 1879ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા હર્મન આઈન્સ્ટાઈન એક સેલ્સમેન અને એન્જિનિયર હતા. તેમનાં માતાનું નામ પોલીન કોચ હતું.1880માં તેમનો પરિવાર સ્થળાંતર કરી મ્યુનિચ ગયો જ્યાં તેમના પિતા અને તેમના કાકાએ એલ્કટ્રોટેકનીશ ફેબ્રિક જે. આઈન્સ્ટાઈન એન્ડ કુ. નામની કંપની સ્થાપી. આ કંપની ડાયરેક્ટ કરન્ટ પર આધારિત ઈલેક્ટ્રીકલ સાધનો બનાવતી હતી. તેમના કાકા જેકબ હેરમાન નો પણ વિધ્યુત ઉપકરણ નો ધન્ધો હતો.

આઈન્સ્ટાઈન પરિવાર યહુદી ધર્મ પાળતો નહોતો, અને આલ્બર્ટે કેથોલિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. આઈન્સ્ટાઈનને પ્રારંભમાં ભાષાની મુશ્કેલી પડતી છતાં પ્રાથમિક શાળામાં તેઓ સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતા.

તેમનો પરિવાર ઈટાલી સ્થળાંતર કરી ગયો તે પહેલાં 1893માં (14 વર્ષની ઉંમરે) આલ્બર્ટ આઈન્સ્ટાઈને પૂરતું શિક્ષણ લઈ લીધું હતું.
આઈન્સ્ટાઈન પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને નાનકડું હોકાયંત્ર બતાવ્યું હતું. આઈન્સ્ટાઈનને સમજાયું કે અગાઉ જેને ખાલી હોવાનું માનતા તે ખાલી જગ્યામાં કંઈક તો હશે, ત્યાં હલનચલન કરતો કાંટો હતો અને પાછળથી તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે એ અનુભવે તેમના મનમાં ઊંડી અને કાયમી છાપ છોડી હતી.તેમની માતાના આગ્રહથી તેમણે છ વર્ષની ઉંમરે વાયોલિન શીખવાનું શરુ કર્યું, અને તેમને નહિ ગમતું હોવા છતાં અને શીખવાનું છોડી દીધું હોવા છતાં પાછળથી તેમને વોલ્ફગેન્ગ એમેન્ડયુસ મોઝાર્ટ વાયોલિન સોનાટામાં ખૂબ આનંદ આવતો. થોડા મોટા થયા પછી આઈન્સ્ટાઈને મોડલ શારીરિક તથા યાંત્રિક સાધનો બનાવવાનું શરુ કર્યું અને ગણિતમાં તેમની પ્રતિભા સ્પષ્ટ દેખાવા લાગી. 

કિશોરાવસ્થાના પ્રારંભે આઈન્સ્ટાઈન લ્યુટપોલ્ડ જીમ્નેસિયમ () જતા.તેમના પિતા આઈન્સ્ટાઈનને ઈલેક્ટ્રીકલ એન્જિનિયર () બનાવવા માગતા હતા પરંતુ આઈન્સ્ટાઈન સત્તાવાળાઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા અને શાળાકીય શિક્ષણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.પછીથી તેમણે લખ્યું હતું કે ગોખવાની શિક્ષણ પદ્ધતિ ()ને કારણે શીખવાની પ્રક્રિયા અને રચનાત્મક વિચારો ખોવાઈ ગયા છે.

હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરવા આઈન્સ્ટાઈન મ્યુનિચમાં રહી ગયા, પરંતુ 1895ની વસંત ઋતુમાં તેઓ પરિવાર સાથે રહેવા પાવિઆ ગયા, આ માટ તેમણે સ્કૂલમાં ડોક્ટરી પ્રમાણપત્ર આપ્યું હતું. 

સ્કૂલનું શિક્ષણ પૂરું કરવાને બદલે આઈન્સ્ટાઈને સ્વિટ્ઝરલેન્ડ ()ના ઝુરિચ ()માં ઈડીગ્નોશી પોલિટેકનિક સ્કૂલ (પાછળથી ઈડીગ્નોશી ટેકનિક હાઈસ્કૂલ - ઈટીએચ) ()માં સીધી અરજી કરવાનો નિર્ણય લીધો. સ્કૂલનું પ્રમાણપત્ર નહિ હોવાને કારણે તેમણે એન્ટ્રસ પરીક્ષા આપવી પડી. એ પરીક્ષામાં ગણિત અને ફિઝિક્સમાં નોંધપાત્ર માર્ક મેળવવા છતાં તે પાસ ન થઈ શક્યા.આઈન્સ્ટાઈને લખ્યું કે એ જ વર્ષે, 16 વર્ષની ઉંમરે તેમણે તેમનો પ્રખ્યાત વૈચારિક પ્રયોગ () કર્યો, જેમાં લાઈટના બીમની બાજુમાં ટ્રાવેલિંગની કલ્પના કરવામાં આવી હતી. 

આઈન્સ્ટાઈન પરિવારે આલ્બર્ટને માધ્યમિક શિક્ષણ પૂરું કરવા સ્વિટ્ઝરલેન્ડના આરાઉ () મોકલ્યા.પ્રોફેસર જોસ્ટ વિન્ટેલરના પરિવાર સાથેના રોકાણ દરમિયાન તેઓ એ પરિવારની દીકરી મારિઆના પ્રેમમાં પડ્યા. (આલ્બર્ટનાં બહેન માજા () એ પછીથી પોલ વિન્ટેલર સાથે લગ્ન કર્યા.)આરાઉમાં આઈન્સ્ટાઈન મેક્સવેલની () ઈલેક્ટ્રોમેગ્નેટિક થીયરી () ભણ્યા. તેઓ 17 વર્ષની ઉંમરે સ્નાતક થયા અને લશ્કરી સેવા ()માં જવાનું ટાળવા માટે તેમના પિતાની મંજૂરીથી જર્મન કિંગડમ વૃટ્ટમબર્ગના નાગરિકત્વનો () ત્યાગ કર્યો અને છેવટે 1896માં ઝુરિચમાં પોલિટેકનિક ખાતે ગણિત અને ફિઝિક્સમાં એડમિશન લીધું. મારિઆ વિન્ટેલર શિક્ષિકાની નોકરી માટે સ્વિટ્ઝરલેન્ડના ઓલ્સબર્ગ ()માં ગયાં. 

એ જ વર્ષે, આઈન્સ્ટાઈનનાં ભાવિ પત્ની મિલેવા મેરિક () પણ ગણિત અને ફિઝિક્સ ભણવા પોલિટેકનિકમાં દાખલ થયાં. એ જૂથમાં તેઓ એકલા મહિલા હતાં. ત્યારપછીના થોડા વર્ષમાં આઈન્સ્ટાઈન અને મેરિકની મિત્રતા રોમાન્સમાં પરિણમી.1900ની સાલમાં ગણિત અને ફિઝિક્સમાં ડિપ્લોમા સાથે આઈન્સ્ટાઈન સ્નાતક થયા, જ્યારે મેરિક તેમની છેલ્લી પરીક્ષામાં પાસ થયાં નહિ. એ જ વર્ષે આઈન્સ્ટાઈનના મિત્ર મિશેલ બેસો ()એ તેમને અર્ન્સ્ટ મેક () ના સંશોધનની માહિતી આપી.ત્યારપછીના વર્ષે આઈન્સ્ટાઈને પ્રતિષ્ઠિત એનાલેન ડેર ફિઝિક ()માં કેલિઆરી ફોર્સિસ () ઓફ એ સ્ટ્રો ઉપર એક પેપર પ્રકાશિત કર્યું. 21 ફેબ્રુઆરી 1901ના રોજ તેમને સ્વીસ નાગરિકત્વ () મળ્યું, જે તેમણે કદી પાછું આપ્યું નહિ.

સ્નાતક થયા પછી આઈન્સ્ટાઈનને શિક્ષક તરીકે નોકરી મળી નહીં.લગભગ બે વર્ષ સુધી તપાસ કર્યા પછી તેમના એક ભૂતપૂર્વ સહાધ્યાયીના પિતાએ તેમને બર્ન ()માં ફેડરલ ઓફિસ ફોર ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (), પેટન્ચ ઓફિસ ખાતે આસિસ્ટન્ટ નિરીક્ષક () તરીકે નોકરી મેળવવામાં મદદ કરી. તેમની જવાબદારી ઈલેક્ટ્રોમેગ્નેટિક સાધનો માટેની પેટન્ટ અરજી ()ઓની ચકાસણી કરવાની હતી.આઈન્સ્ટાઈને પ્રમોશન માટેની પરીક્ષા પાસ કરી લીધી હોવા છતાં તેઓ મશીન ટેકનોલોજીની સંપૂર્ણ જાણકારી મેળવે ત્યાં સુધી 1903માં તેમની સ્વીસ પેટન્ટ ઓફિસની પોસ્ટ કાયમી કરવામાં આવી.

બર્નમાં જે મિત્રો થયા તેમની સાથે આઈન્સ્ટાઈને વિજ્ઞાન અને ફિલોસોફીના વિષયોની ચર્ચા કરવા સાપ્તાહિક ચર્ચા ક્લબની રચના કરી, જેને મજાકમાં ધ ઓલિમ્પિયા એકેડમી () નામ આપવામાં આવ્યું હતું. તેમના વાચનમાં પોઈનકેર (), મેક (), તથા હુમ () નો સમાવેશ થતો હતો જેમણે આઈન્સ્ટાઈનના વૈજ્ઞાનિક અને ફિલોસોફિકલ દ્રષ્ટિકોણને પ્રભાવિત કર્યો હતો. 

આ ગાળા દરમિયાન આઈન્સ્ટાઈનને ફિઝિક્સના સમુદાય સાથે કોઈ સીધો અંગત સંબંધ નહોતો.પેટન્ટ ઓફિસ ખાતે તેમનું મોટાભાગનું કામ ઈલેક્ટ્રીકલ સિગ્નલ્સનું ટ્રાન્સમિશન તથા સમયના ઈલેક્ટ્રીકલ-મિકેનિકલ સિંક્રોનાઈઝેશનને લગતા પ્રશ્નો સંબંધીત હતું, આ બંને ટેકનિકલ સમસ્યાઓ વૈચારિક પ્રક્રિયા ()માં રહસ્યમય રીતે જોવા મળતી, જેને પગલે આઈન્સ્ટાઈને પ્રકાશના લક્ષણ તથા અવકાશ અને સમય વચ્ચેના મૂળભૂત જોડાણ અંગે આત્યંતિક તારણો કાઢ્યા.

આઈન્સ્ટાઈન અને મિલેવા મેરિક ()ને એક દીકરી હતી જેને તેઓ લિસેરલ () કહેતા. તેનો જન્મ 1902ના પ્રારંભિક મહિનાઓમાં સંભવત: નોવી સેડ () ખાતે થયો હતો. 1903 પછી તેણીનું ભાવિ અનિશ્ચિત છે. 

આઈન્સ્ટાઈને 6 જાન્યુઆરી 1903ના રોજ મિલેવા સાથે લગ્ન કર્યા, જોકે આ લગ્ન સામે તેમની માતાનો વિરોધ હતો, તેમને સર્બ નાગરિકો પ્રત્યે પૂર્વગ્રહ હતો અને માનતાં કે મેરિક મોટી ઉંમરની અને શારીરિક રીતે અશક્ત લાગતી તે સમયે તેમનો સંબંધ અંગત અને બૌદ્ધિક ભાગીદારીનો હતો.તેમને લખેલા પત્રમાં આઈન્સ્ટાઈને મેરિકને મને સમાંતર વ્યક્તિ અને હું છું એટલી જ મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઓળખાવ્યાં હતાં. મેરિકે આઈન્સ્ટાઈનની કામગીરી ઉપર પ્રભાવ પાડ્યો હતો કે નહિ તે બાબતે ચર્ચા થઈ રહી છે, જોકે, મોટાભાગના ઇતિહાસકારોને નથી લાગતું કે મેરિકે કોઈ મોટો સહયોગ આપ્યો હોય. 14 મે 1904ના રોજ આલ્બર્ટ અને મિલેવાના પ્રથમ પુત્ર હેન્સ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ()નો જન્મ સ્વિટ્ઝરલેન્ડ ()ના બર્ન ()માં થયો. તેમનો બીજા પુત્ર એડવર્ડ ()નો જન્મ ઝુરિચ ()માં 28 જુલાઈ 1910ના રોજ થયો હતો. 

આલ્બર્ટ અને મેરિક પાંચ વર્ષ અલગ રહ્યાં પછી તેમની વચ્ચે 14 ફેબ્રુઆરી 1919ના રોજ છૂટાછેડા થયા.તે વર્ષની 2 જૂને આઈન્સ્ટાઈને એલ્સા લોવેન્થલ () (ની આઈન્સ્ટાઈન), સાથે લગ્ન કર્યા, જેણે આઈન્સ્ટાઈનની માંદગી દરમિયાન તેમની સારવાર કરી એલ્સા આલ્બર્ટની માતૃપક્ષે ફર્સ્ટ કઝીન અને પિતૃપક્ષે સેકન્ડ કઝીન () હતી. એ બંનેએ સાથે મળીને એલ્સાના પ્રથમ લગ્નથી થયેલી દીકરીઓ મોર્ગોટ તથા ઈલ્સેનો ઉછેર કર્યો.જોકે તેમને બંનેને કોઈ બાળકો થયાં નહિ.

આજે તો તમામ પેપર ઘણી મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે, અને તેથી 1905ને આઈન્સ્ટાઈનના શ્રેષ્ઠ વર્ષ () તરીકે ઓળખવામાં આવે છે.જોકે, તે સમયે મોટાભાગના ભૌતિક વિજ્ઞાનીઓએ તેના મહત્વની નોંધ નહોતી લીધી, અને જે લોકોએ તેની નોંધ લીધે તેમણે એ સિદ્ધાંતને સીધીસીધો ફગાવી દીધો હતો.આ પૈકી કેટલાક સંશોધન, જેમ કે થીયરી ઑફ લાઈટ ક્વોન્ટા, વર્ષો સુધી વિવાદાસ્પદ રહ્યા.

ઘણા સ્થળાંતર પછી મિલેવાએ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ()ના થોડા સમય પહેલાં જ બાળકો સાથે ઝુરિચમાં કાયમી નિવાસસ્થાન કર્યું. આઈન્સ્ટાઈન બર્લિન ()માં એકલા જ રહ્યા જ્યાં તેઓ પ્રુસિઅન એકેડમી ઑફ સાયન્સિસ ()ના સભ્ય બન્યા.પોતાના નવા હોદ્દાની વ્યવસ્થાના ભાગરુપે, તેઓ હમ્બોલ્ડટ યુનિવર્સિટી ઑફ બર્લિન () ખાતે પણ પ્રોફેસર બન્યા, જોકે તેમાં એક વિશેષ જોગવાઈ હતી જેથી તેઓ શિક્ષણકાર્યની ફરજોમાંથી મોટાભાગે મુક્ત રહી શકે.1914 થી 1932 દરમિયાન તેઓ કેઈસર વિલ્હેમ ઈન્સ્ટિટ્યૂટ ફૉર ફિઝિક્સ ()ના ડિરેક્ટર પણ રહ્યા.

પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન સેન્ટ્રલ પાવર્સ ()ના વિજ્ઞાનીઓનાં ભાષણો અને લખાણો રાષ્ટ્રીય સલામતી ()ના કારણોસર માત્ર સેન્ટ્રલ પાવર્સ એકેડેમિક્સને જ ઉપલબ્ધ થતાં.આઈન્સ્ટાઈનના કેટલાક સંશોધક લખાણો ઓસ્ટ્રીઅન પૌલ એર્નફેસ્ટ () તથા નેધરલેન્ડ્સના ભૌતિક વિજ્ઞાનીઓ, ખાસ કરીને 1902ના નોબેલ પારિતોષિક વિજેતા હેન્ડ્રીક લોરેન્ટ () અને લિડેન યુનિવર્સિટી ()ના વિલેમ ડે સિટ્ટર () મારફત યુનાઈટેડ કિંગ્ડમ (બ્રિટન) અને અમેરિકા પહોંચ્યા હતા.વિશ્વયુદ્ધ પૂરું થયા પછી આઈન્સ્ટાઈને લિડેન યુનિવર્સિટી સાથેનું તેમનું જોડાણ ચાલુ રાખ્યું, અસાધારણ પ્રોફેસર () તરીકેનો કોન્ટ્રેક્ટ સ્વીકારર્યો, 1920 અને 1930 વચ્ચે લેક્ચર આપવા માટે નિયમિત હોલેન્ડ જતા.

આઈન્સ્ટાઈને 1911માં પ્રોગથી જે પડકાર ફેંક્યો હતો તે દિશામાં કામગીરી કરવાનું અવકાશ વિજ્ઞાનીઓએ 1917માં શરુ કર્યું.અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત માઉન્ટ વિલ્સન ઓબ્ઝર્વેટરી ()એ સોલર સ્પેક્ટ્રોસ્કોપિક () સમીક્ષા પ્રકાશિત કરી હતી જેમાં કોઈ ગુરુત્વાકર્ષણ રેડશીફ્ટ જણાઈ નહોતી. 1918માં કેલિફોર્નિયાની જ લિક ઓબ્ઝર્વેટરી ()એ જાહેર કર્યું કે તેઓ પણ આઈન્સ્ટાઈનની ધારણાઓને નકારી કાઢે છે. જોકે તેમનાં તારણો પ્રકાશિત થયા નહોતા.

જોકે, મે 1919માં બ્રિટિશ અવકાશ વિજ્ઞાની આર્થર સ્ટેનલી એડિંગ્ટન ()ના નેતૃત્વ હેઠળની ટીમે ઉત્તરીય બ્રાઝિલ ()ના સોબરલ () તથા પ્રિન્સિપી ()માં સૂર્ય ગ્રહણની ફોટોગ્રાફી વખતે સૂર્ય દ્વારા સ્ટારલાઈટના ગ્રેવિટેશનલ ડીફ્લેકશન () અંગેની આઈન્સ્ટાઈનની ધારણાને અનુમોદન આપ્યું.7 નવેમ્બર 1919ના રોજ અગ્રણી બ્રિટિશ અખબાર ધ ટાઈમ્સે () મોટા મથાળે સમાચાર પ્રકાશિત કર્યા જેમાં લખ્યું હતું, વિજ્ઞાન અને એનબીએસપીમાં ક્રાંતિ - બ્રહ્માંડ અને એનબીએસપીની નવી થીયરી – ન્યુટનના સિદ્ધાંતો ફગાવી દેવાયા.એક મુલાકાતમાં નોબેલ વિજેતા મેક્સ બોર્ને () જનરલ રિલેટિવિટીને કુદરત અંગે માનવીય વિચારની સૌથી મહાન કામગીરી ગણાવી, જ્યારે અન્ય નોબેલ વિજેતા પૌલ ડિરેક ()ને એમ કહેતા ટાંકવામાં આવ્યા કે, આ અત્યાર સુધી થયેલી કદાચ સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ છે.

બસ ત્યાર પછી આંતરરાષ્ટ્રીય માધ્યમોએ આઈન્સ્ટાઈનને વૈશ્વિક પ્રસિદ્ધિ આપી.થોડા વર્ષો પછી એવા દાવા થયા કે એડિંગ્ટન એક્સપિડિશન દરમિયાન લેવામાં આવેલા ચોક્કસ ફોટોગ્રાફ્સની ચકાસણી પરથી જણાય છે કે તે બાબતે પ્રાયોગિક અનિશ્ચિતતા છે જેની અસર હોવાનો એડિંગ્ટને દાવો કર્યો છે અને 1962ના -બ્રિટિશ એક્સપિડિશને તારણ કાઢ્યું કે એ પદ્ધતિ વિશ્વાસપાત્ર નહોતી, પરંતુ ત્યારબાદ વધુ ચોકસાઈપૂર્વકના નિરીક્ષણો બાદ સૂર્ય ગ્રહણ દરમિયાન પ્રકાશના પરાવર્તનની ધારણાને સમર્થન મળ્યું.

નવા આવેલા આઈન્સ્ટાઈનની પ્રસિદ્ધિ વૈજ્ઞાનિક સમુદાયમાં, ખાસ કરીને જર્મન ભૌતિક વિજ્ઞાનીઓને પસંદ નહોતી, અને તેમણે તો પછીથી ડેશ્યુ ફિઝિક () (જર્મન ફિઝિક્સ) ચળવળ પણ શરુ કરી હતી.

થીઓરેટિકલ ફિઝિક્સમાં આપેલી સેવાઓ, અને ખાસ કરીને ફોટોઈલેક્ટ્રીક અસરના સિદ્ધાંતની શોધ બદલ આઈન્સ્ટાઈનને 1922માં 1921નું ફિઝિક્સનું નોબેલ પારિતોષિક () આપવામાં આવ્યું.તેમાં તેમના 1905ના ફોટોઈલેક્ટ્રીક અસર અંગેના પેપર ‘ઓન એ હ્યુરિસ્ટિક વ્યૂપોઈન્ટ કન્સર્નિંગ ધ પ્રોડક્શન એન્ડ ટ્રાન્સફોર્મેશન ઑફ લાઈટ’નો ઉલ્લેખ હતો, જેને તે સમયના પ્રાયોગિક પુરાવા દ્વારા યોગ્ય રીતે ટેકો આપવામાં આવ્યો હતો. પારિતોષિક એનાયત કરવાના ભાષણનો પ્રારંભ આ રીતે થયો હતો, ‘તેમની રિલેટિવિટીની થીયરી જેના ઉપર ફિલોસોફિકલ વર્તુળો મોટાપાયે ચર્ચા થઈ હતી અને, તેની એસ્ટ્રોફિઝિકલ અસરો વિશે ચર્ચાઓ થઈ હતી તેને હાલના સમયમાં ગંભીરતાપૂર્વક ચકાસવામાં આવી રહી છે.’

ઘણા લાંબા સમય સુધી એવા અહેવાલો પ્રકાશિત થતા રહ્યા હતા કે આઈન્સ્ટાઈને 1919માં તેમના છૂટાછેડાની શરતના ભાગરુપે નોબેલ પુરસ્કારના નાણાં તેમનાં પ્રથમ પત્ની મિલેવા મેરિક ()ને આપી દીધા હતા.જોકે, 2006 માં પ્રકાશિત થયેલા અંગત પત્રવ્યવહાર પરથી સ્પષ્ટ થયું કે તેમણે નાણાં મિલેવાને નહોતા આપ્યા.તેમણે મોટાભાગની રકમનું અમેરિકામાં રોકાણ કર્યું હતું, પરંતુ તેમાંની ઘણીખરી રકમ મંદીમાં ધોવાઈ ગઈ હતી.

આઈન્સ્ટાઈને 2 એપ્રિલ 1921ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક શહેર ()ની સૌપ્રથમ વખત મુલાકાત લીધી.તમને વૈજ્ઞાનિક આઈડિયા ક્યાંથી મળે છે તેવું પૂછવામાં આવ્યું ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું હતું કે પોતે માને છે કે વૈજ્ઞાનિક કામગીરી શારીરિક વાસ્તવિક્તાના નિરીક્ષણથી તથા કંઈક કિંમતી શોધવાની તૈયારીના આધારે થાય છે જેમાં પ્રત્યેક ઉદાહરણમાં એપ્લાય થતા ખુલાસાનો સમાવેશ થાય છે અને એકબીજા પ્રત્યેનો વિરોધાભાસ ટાળવાનો હોય છે.તેમણે દૃશ્યમાન પરિણામો સાથે પણ થીયરીની ભલામણ કરી.

આઈન્સ્ટાઈનના જનરલ રિલેટિવિટી અંગેના સંશોધનમાં પ્રાથમિક તબક્કે તેમની ગુરુત્વાકર્ષણની થીયરીને જનરલાઈઝ કરવાના પ્રયાસો હતા જેથી મૂળભૂત લૉઝ ઑફ ફિઝિક્સ (), ખાસ કરીને ગ્રેવિટેશન અને ઈલેક્ટ્રોમેગ્નેટિઝમને એક કરી શકાય અને સરળ બનાવી શકાય.1950માં, સાયન્ટિફિક અમેરિકન () સામયિકમાં ‘ઑન ધ જનરલાઈઝ્ડ થીયરી ઑફ ગ્રેવિટેશન’ શીર્ષક હેઠળના લેખમાં યુનિફાઈડ ફિલ્ડ થીયરી ()ની સમજ આપી હતી .થીયોરેટિકલ ફિઝિક્સમાં તેમની કામગીરીના વખાણ થતા હતા છતાં આઈન્સ્ટાઈન ધીમેધીમે તેમના સંશોધનમાં એકલા પડી રહ્યા હતા અને તેમના પ્રયાસો છેવટે અસફળ રહ્યા હતા.ફન્ડામેન્ટલ ફોર્સિસના યુનિફિકેશન માટેના પ્રયાસો દરમિયાન ફિઝિક્સમાં કેટલાક મુખ્ય પ્રવાહના ડેવલપમેન્ટની તેમણે ઉપેક્ષા કરી, જેમાં સૌથી નોંધપાત્ર હતું સ્ટ્રોંગ () એન્ડ વીક ન્યુક્લીયર ફોર્સ (), જે તેમના મૃત્યુ પછી પણ ઘણા વર્ષો સુધી સારી રીતે સમજાયા નહિ, અને છેવટે મુખ્યપ્રવાહના થીયોરેટિકલ ફિઝિક્સે યુનિફિકેશન અંગેના આઈન્સ્ટાઈનના અભિગમની વ્યાપક પણે ઉપેક્ષા કરી.લૉઝ ઑફ ધ ફિઝિક્સને એક જ મોડલમાં એક કરવાના સ્વપ્નને હાલ ચાલી રહેલી ગ્રાન્ડ યુનિફિકેશન થીયરી () ચળવળ દ્વારા સાકાર કરવામાં આવી રહ્યું છે.

આઈન્સ્ટાઈને ઈર્વિન સ્કોર્ડિંગર ()ને મેક્સ પ્લેન્ક ()ના વ્યક્તિગત પરમાણુ ()ને બદલે ગેસ () માટે ઊર્જાના સ્તર ()ના વિચારનો અમલ કરવા સૂચવ્યું, અને સ્કોર્ડિંગરે બોલ્ટઝમેન ડિસ્ટ્રીબ્યુશન () નો ઉપયોગ તેમના પેપરમાં કર્યો જેના દ્વારા થર્મોડાઈનેમિક () ના સેમીક્લાસિકલ ()નાં તત્વોમાંથી આદર્શ ગેસ () મળી શકે. સ્કોર્ડિંગરે આઈન્સ્ટાઈનને તેમનું નામ સહ-લેખક તરીકે ઉમેરવા વિનંતી કરી, પરંતુ આઈન્સ્ટાઈને નિમંત્રણ નકાર્યું.

આઇન્સ્ટાઇન જેને ક્વોન્ટમ થીયરીનું પ્રકૃતિનું અધૂરું વર્ણન સમજે છે તેનાથી તેમને ક્યારેય સંતોષ થયો નહોતો, અને 1935માં તેમણે બોરિસ પોડોલ્સ્કી ()અનેનાથન રોઝન () ના સહયોગમાં આ મુદ્દાની ચકાસણી કરી હતી અને એમ નોંધ્યું હતું કે આ થીયરીમાં બિન સ્થાનિક ()ક્રિયા-પ્રતિક્રિયાની જરૂર છે, આ ઇપીઆર વિરોધાભાસ ()તરીકે જાણીતું છે.જ્યારથી ઇપીઆર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેનું જે પરિણામ મળ્યું હતું તેણે ક્વોન્ટમ થીયરીની આગાહીઓનું સમર્થન કર્યું હતું.,

વૈજ્ઞાનિક ડીટર્મિનિઝમ () ના વિચાર બાબતે આઈન્સ્ટાઈન બોહર સાથે સંમત નહોતા.આ કારણોસર જ આઈન્સ્ટાઈન-બોહર વચ્ચે થયેલી ચર્ચા () ફક્ત તત્વજ્ઞાનને લગતા પ્રવચનો બની ગઇ હતી.

વૈજ્ઞાનિક સંકલ્પવાદના પ્રશ્ને સૈધ્ધાંતિક સંકલ્પવાદ () અંગે આઇન્સ્ટાઇનનું ક્યાં સ્થાન છે તે પ્રશ્નને અને તે ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે કે નહીં તે બાબતને વધુ વેગ મળ્યો1929માં આઇન્સ્ટાઇને રબ્બી હર્બટ એસ. ગોલ્ડસ્ટેઇન ()ને કહ્યું હતું કે હું જે પોતાના ભાવિની અને માનવવજાતના કામકાજની ચિંતા કરતો હોય એવા ભગવાનમાં નહીં, પરંતુ સ્પિનોઝાના એ ભગવાન ()માં શ્રદ્ધા ધરાવું છું જે વિશ્વની કાયદેસરની સંવાદિતામાં જ પોતાની જાતને જાહેર કરે છે.1950માં એમ. બર્કોવિટ્ઝને લખેલા પત્રમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે ભગવાન અંગે મારો અભિપ્રાય અજ્ઞેયવાદી () જેવો છે હું માનુ છું કે જીવનના કલ્યાણ અને વિકાસ માટે નૈતિક સિદ્ધાંતોના પ્રાથમિક મહત્વની આબેહૂબ જાગૃતિને કાયદા આપનારના વિચારની કોઇ જરૂર નથી, અને ખાસ કરીને એવો કાયદા આપનાર જે સજા અને બદલો આપવાના સિદ્ધાંત ઉપર કામ કરતો હોય.આઇન્સ્ટાઇને એમ પણ કહ્યું હતું કે મેં વારંવાર કહ્યું છે કે મારા અભિપ્રાય મુજબ તો વ્યક્તિગત ભગવાનનો જે વિચાર છે તે ખરેખર બાળબુદ્ધિ જેવો છે.તમે મને અજ્ઞેયવાદી કહી શકો છો, પરંતુ હું એવા નાસ્તિક વ્યક્તિના લડાયક જુસ્સો કોઇને આપી શકું નહીં જેની લાગણીઓની તિવ્રતા ખાસ કરીને યુવાનીમાં પ્રાપ્ત થયેલી કટ્ટર ધાર્મિક માનયતાઓ અને ધાર્મિક ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયાસોમાંથી ટપકતી હોય. લોવેસ્ટેઇન-વર્ધેઇમ-ફ્રૂડેઇનબર્ગ ના રાજકુમાર હ્યુબર્ટસ () સાથે થયેલી વાતચીતમાં તેમણે એમપણ કહ્યું હોવાનું સમજાય છે કે મારા મર્યાદીત માનવ દિમાગની મદદથી જેને હું સમજી શક્યો છું તે બ્રહ્માંડની આ પ્રકારની સંવાદીતાને જોતા તો એમ પણ કહી શકાય કે હજું પણ એવા લોકો છે જેઓ કહે છે કે ભગવાન છે જ નહીં.જો કે મને ગુસ્સો એ વાતનો આવે છે કે તેઓ મને આ પ્રકારના અભિપ્રાયો માટે ટાંકે છે. પોતે જૂડો-ક્રિશ્ચિયન ભગવાનની પૂજા કરે છે એવો દાવો કરનારા લોકોને આપેલા પત્ર દ્વારા આપેલા પ્રતિભાવમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે મારી ધાર્મિક માન્યતા વિશે તમે જે કાંઇ વાંચ્યું છે તે અલબત્ત જૂઠાણું છે, અને આ એક એવું જૂઠાણું છે જે પદ્ધતિસર વારંવાર પુનરાવર્તન પામી રહ્યું છે.હું વ્યક્તિગત ભગવાન ()માં માનતો નથી અને મેં તે અંગે ક્યારેય ઇન્કાર કર્યો નથી ઉલટાનું મેં તો તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.જેને ધાર્મિક કહી શકાય એવું કાંઇક મારામાં પડ્યું છે તો તે અવશ્ય વૈશ્વિક માળખાની અમર્યાદ પ્રશંસા છે, ખાસ કરીને જ્યાં સુધી આપણું વિજ્ઞાન ઘટસ્ફોટ કરે ત્યાં સુધી.  વિશ્વ મારી નજરે નામના પોતાના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે પોતાના સૌથી વધુ પ્રાથમિક સ્વરુપમાં આપણને ઉપલબ્ધ શઇ શકે એવું સૌંદર્યનું, અત્યંત ગૂઢ કારણની અભિવ્યક્તિનું અને જેમાં આપણે ઉંડાં ઉતરી શકીએ નહીં એવી બાબતના અસ્તિત્વનું જ્ઞાન એ એવું જ્ઞાન છે, એવી લાગણીઓ છે જે સાચા ધાર્મિક વર્તનની રચના કરે છે, અને આ રીતે જોતાં હું ઉંડાણપૂર્વકનો ધાર્મિક માનવી છું. 

આઇન્સ્ટાઇન માનવતાવાદી () પણ હતા અને નૈતિક સંસ્કૃતિને () ટેકો આપનારા પણ હતા.તેમણે ન્યૂયોર્કની () પ્રથમ માનવતાવાદી સોસાયટીના સલાહકાર બોર્ડમાં પણ સેવા આપી હતી.ન્યૂયોર્કની સોસાયટી ફોર એથિકલ કલ્ચર માટે તેમણે નોંધ્યું હતું કે નૈતિક સંસ્કૃતિનો વિચારધાર્મિક આદર્શવાદમાં સૌથી વધુ મૂલ્યવાન શું છે તે અંગેના તેમના અંગત વિચારને મૂર્ત-સ્વરુપ આપે છે.તેમણે અવલોકન વ્યક્ત કર્યું હતું કે નૈતિક સંસ્કૃતિ વિના માનવતા માટે કોઇ મુક્તિ નથી.

આઇન્સ્ટાઇને 1940ની સાલમાંપ્રકૃતિ () વિષયમાં વિજ્ઞાન અને ધર્મશીર્ષક ધરાવતા દસ્તાવેજો પ્રકાશીત કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ધાર્મિક રીતે જે વ્યક્તિએ આત્મસાક્ષાત્કાર કર્યો છે તે પોતાની સર્વોચ્ચ ક્ષમતાઓનો ઉપયોગ કરીને પોતાની સ્વાર્થી ઇચ્છાઓથી મુક્ત બન્યો હોય છે અને તે અગાઉથી જ પોતાના એ ચોક્કસ વિચારો, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓથી યુક્ત બનેલો હોય છે કે જેની સાથે તે પોતાના સર્વશ્રેષ્ઠ મૂલ્યો અને એનબીએસપીથી જોડાયેલો હોય છે જેમાં તે એવી પણ ચિંતા કરતો નથી કે આ બધી બાબતોને ઇશ્વરની સાથે જોડવા તેણે કોઇ પ્રયાસ કર્યો છે કે નહીં, કેમ કે જો તેમ ન હોય તો બુદ્ધ ()અને સ્પિનોઝા () જેવા આત્મસ્થોને ધાર્મિક ગુરુઓ પણ ગણી શકાય નહીં.તદઅનુસાર ધાર્મિક વ્યક્તિ એવી ચુસ્ત ધાર્મિક શ્રદ્ધા અને માન્યતા ધરાવતો હોય છે કે તાર્કીક પાયા અને એનબીએસપી માટે અસક્ષમ અને બિનજરૂરી એવા પોતાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પદાર્થો અને લક્ષ્યાંકોના મહત્વ માટે તેને કોઇ શંકા નથી. આ દૃષ્ટિએ જોવા જઇએ તો આ તમામ મૂલ્યો અને લક્ષ્યાંકો પ્રત્યે સંપૂર્ણ અને સ્પષ્ટપણે જાગૃત થવા અને તેના પ્રભાવને સતત મજબૂત કરવા માનવજાત માટે ધર્મ સદીઓથી એક પ્રયાસ બન્યો છે તેમણે એવી દલીલ કરી હતી કે એક મહાન ભૂલમાંથી જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સઘર્ષનો જન્મ થયો છે.જો કે તેમ છતાં પણ ધર્મ અને વિજ્ઞાનના ક્ષેત્ર પોતપોતાની રીતે એકબીજાથી તદ્દન અલગ છે, તે ઉપરાંત બંને વચ્ચે પરસ્પર એક મજબૂત સંબંધ અને સ્વાવલંબન અને એનબીએસપી છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો અને એનબીએસપી છે, જો કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના કાયદેસરના સંઘર્ષનું ક્યારેય અસ્તિત્વ હોઇ શકે નહીં.આઇન્સ્ટાઇનની દૃષ્ટિએ પ્રાકૃતિક ઘટનાઓ માટે માનવી કે ઇશ્વર એમ બંને પૈકી કોઇનો પણ નિયમ ક્યારેય પણ એકમાત્ર જવાબદાર હશે નહીં.આ બાબતને સુનિશ્ચિત કરવા માટે એમ કહી શકાય કે કુદરતી ઘટનાઓમાં વ્યક્તિગત ઇશ્વરીય હસ્તક્ષેપના સિદ્ધાંતને વિજ્ઞાને ક્યારેય નકારી કાઢ્યો નથી કેમ કે માનવી હંમેશા એવા સ્થાનમાં જ આશ્રય લેતો હોય છે કે જ્યાં હજુ સુધી વૈજ્ઞાનિક જ્ઞાન પહોંચી શક્યું નથી. 

એરિક ગુટકિંડને લખેલા પત્રમાં આઇન્સ્ટાઇને લખ્યું હતું કેઃ

છેલ્લાં થોડાં દિવસો દરમ્યાન મેં તમારા પુસ્તકમાંથી ઘણુ બધું વાંચ્યુ અને આ પુસ્તક મોકલાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ પુસ્તકમાંથી મને સૌથી વધુ જે બાબત અસર કરી ગઇ તે એવી છે કે જીવન અને માનવજાત પ્રત્યેના વાસ્તવિક અભિગમ અને વર્તનની બાબતમાં આપણી વચ્ચે ઘણું બધું સામ્ય રહેલું છે.

...મારા માટે ઇશ્વર શબ્દ માનવીની નબળાઇઓ અને પેદાશોની અભિવ્યક્તિથી વિશેષ કાંઇ જ નથી, બાઇબલ એ અનેક સારી બાબતોનો સંગ્રહ ધરાવતું પુસ્તક છે તેમ છતાં હજું તે પ્રાચીન દંતકથાઓ જ છે જે ફક્ત બાળકોના દિમાગમાં જ ઉતરી શકે એવી છે.આ બાબત મારામાં કેટલું સુક્ષ્મ પરિવર્તન કરી શકશે તે અંગે કોઇ અર્થઘટન કરીશ નહીં. આ અર્થઘટનો તેના મૂળ સ્વરુપ અને પ્રકાર અનુસાર અનેકઘણા છે અને તેઓને અસલ વિષયવસ્તુ સાથે કોઇ લેવાદેવા હોતી નથી.મારા મતાનુસાર તો અન્ય ધર્મોની જેમ યહૂદી ધર્મ પણ મૂર્ખ અંધ માન્યતાઓનું મૂર્તમંત સ્વરુપ જ છે.અને જે લોકોમાંથી હું આવું છું અને જેઓની વિચારધારા સાથે હું ઉંડાણપૂર્વક સંકળાયેલો છું એવા યહુદી લોકો પણ મારા માટે અન્ય પ્રજાની તુલનાએ વધુ કોઇ ગુણવત્તા ધરાવતા નથી.જેમ જેમ મારો અનુભવ વધતો ગયો છે તેમ તેમ હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તેઓ પણ ખરાબ બદીઓની સામે સત્તાની ઊણપ દ્વારા સંરક્ષિત હોવા છતાં અન્ય માનવીય સમુદાયો કરતા સહેજપણ સારા નથી.તે સિવાય તેઓ માટે હું અન્ય કાંઇ કહી શકું નહીં.

સામાન્યતઃ મને જાણીને ઘણું દુખ થાય છે કે તમે એક વિશેષ સ્થાન ધરાવો છો અને માણસ તરીકે બાહ્ય અને યહૂદી તરીકે આંતરિક એમ ગૌરવની બે દિવાલો વડે તેનો બચાવ કરવાનો પ્રયાસ કરો છો.એક માણસ તરીકે તમે કાર્યકારણમાંથી છુટકારો મેળવવાનો દાવો કરો છો અને યહૂદી તરીકે તમે એકેશ્વરવાદનો વિશેષાધિકાર ભોગવો છો.જો કે મર્યાદીત કાર્યકારણ વધુ લાંબો સમય માટે કાર્યકારણ રહી શકતું નથી કેમ કે આપણા સર્વશ્રેષ્ઠ સ્પિનોઝાએ તમામ પ્રકારની ખણખોદ કરી છે અને ઘણુ કરીને તેમ કરનાર તે પ્રથમ હશે.અને વિવિધ ધર્મોના જડ અર્થઘટનો સૈદ્ધાંતિક રીતે ઇજારાશાહીથી ક્યારેય નાબૂદ થયા નથી.આ પ્રકારની દિવાલોથી તો આપણે ફક્ત કેટલાક પ્રકારની જાત સાથેની છેતરામણી જ મેળવી શકીએ જો કે આપણા નૈતિક પ્રયાસોને તેનાથી ક્યારેય બળ કે વેગ મળ્યો નથી.
ઉલ્ટાનું

હવે આપણા બૌદ્ધિક ચુકાદાઓ અંગે મેં આપણા મતભેદો જાહેર કરી દીધા છે તેમ છતાં હું એ બાબતે હજુ પણ સ્પષ્ટ છું કે માનવ વર્તન જેવી જરૂરી બાબતોમાં આપણે એકબીજાથી ઘણા નજદીક છીએ.આપણને ફક્ત આપણા બૌદ્ધિક વિચારો જ અને ફ્રોઇડની ભાષામાં કહીએ તો તર્કસંગતતા જ એકબીજાથી છૂટા પાડે છેતેથી જ મારું માનવું છે કે જો આપણે કોઇ નક્કર બાબત વિશે વાત કરીશું તો જરૂર એકબીજાને સમજી શકીશું.મૈત્રીપૂર્ણ આભાર અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ સાથે.

તમારો, એ. આઇન્સ્ટાઇન

આઇન્સ્ટાઇને અગાઉ જ્યારે ટાઇમ મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેણે ઇશ્વરદત્ત પ્રકૃતિને માનવી સમજી શકતો નથી એવી માન્યતાને ચકાસી હતી. તે સાથે તેમણે સમજાવ્યું હતું કે,

હું નાસ્તિક નથી. હું એવું પણ માનતો નથી કે હું મારી જાતને સર્વેશ્વરવાદી કહી શકું.જે કાંઇ તકલીફ કે સમસ્યા છે તે એટલી વિશાળ છે કે આપણું મર્યાદિત દિમાગ સમજી શકે તેમ નથી.આપણે એવા બાળકની સ્થિતમાં છીએ જે અનેક ભાષાઓના પુસ્તકોથી ભરપુર એવા પુસ્તકાલયમાં પ્રવેશી રહ્યો છે.તે બાળક એટલું તો જાણે જ છએ કે કોઇકે તો આ પુસ્તકો લખ્યા જ હશે.જો કે તે જાણતો નથી કે કેવી રીતે પુસ્તકો લખાયા હશે.જે ભાષાઓમાં પુસ્તકો લખાયા છે તે પણ તે સમજી શકતો નથી.પુસ્તકો જે રહસ્યમય ક્રમમાં ગોઠવાયા છે તેના પ્રત્યે પણ બાળકને શંકા થાય છે, જો કે તે શું છે તેની તેને કાંઇ ગતાગમ પડતી નથી.મને તો એમ લાગે છે કે સૌથી વધુ બુધ્ધિશાળી મનુષ્ય પણ ઇશ્વર પ્રત્યે આ પ્રકારનું જ વર્તન ધરાવે છે.આપણે જોઇ શકીએ છીએ કે બ્રહ્માંડની ગોઠવણી ખુબ જ સુંદર રીતે થઇ છે અને તે કેટલાંક નિયમોનું પાલન કરી રહ્યું છે, પરંતુ આપણે તો તેના નિમયોને ભાગ્યેજ સમજી શકીએ છીએ.

સતત વધતી જતી લોકોની માંગ, વિવિધ દેશોમાં રાજકીય, માનવીય અને શૈક્ષણિક પ્રોજેક્ટોમાં તેમની હિસ્સેદારી અને વિશ્વભરના વિદ્વાનો અને રાજકીય મહારથીઓ સાથેના તેમના થોડા પરિચયના કારણે તે કામ કરવા માટે અતિ આવશ્યક એવું રચનાત્મક એકાંત બહુ ઓછું મેળવી શક્યા હતા.તેમની કીર્તિ અને મેધાવી પ્રતિભાના કારણે તેમને અનેકવાર સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર કે ગણીત જેવા વિષયની સાથે કાંઇ લેવાદેવા ન હોય એવી બાબતો અંગે પણ પોતાના નિષ્કર્ષ કે ચુકાદા આપવા પડ્યા હતા.તે કાયર નહોતા, અને તેમની આસપાસના વિશ્વથી પણ તે સજાગ હતા, અને તેમની સજાગતામાં એવી કોઇ ભ્રમણા નહોતી કે રાજકારણની ઉપેક્ષા કરીશું તો વિશ્વની ઘટનાઓ ફિક્કી પડી જશે.તેમની આંખે ઉડીને વળગે એવા દરજ્જાના કારણે તે તદ્દન છૂટથી બોલી શકતા હતા અને લખી પણ શકતા હતા, અને જ્યારે આત્માની થિયરીમાં માનનારા લોકો ભૂગર્ભમાં () ઉતરી જતા કે પછી આંતરિક સંઘર્ષના ભયથી પોતાની અંદર ચાલી રહેલી ગડમથલ કેટલા અંશે વિકાસ પામી છે તે અંગે તે લોકો જ્યારે શંકા કરતા ત્યારે તો તે અત્યંત ઉશ્કેરણીજનક પણ બોલતા હતા.આઇન્સ્ટાઇને નાઝી () ચળવળના ઉદયનો વિરોધ કર્યો હતો અને ઇઝરાયલ રાષ્ટ્ર ()ની ખળભળાટ મચાવી દેનારી રચનામાં તેમણે મવાળવાદી બનવાનો પ્રયાસ કર્યો હતો અને સામ્રાજ્યવાદ વિરોધી રાજકારણ અને અમેરિકામાં ચાલતી નાગરિક અધિકાર ચળવળને પ્રોત્સાહન અને ટેકો આપ્યો હતો.તેમણે 1927માં બ્રસેલ્સ ()માં યોજાયેલી સામ્રાજ્યવાદ વિરોધી લીગ () ઓફ કોંગ્રેસમાં પણ ભાગ લીધો હતો.

આઇન્સ્ટાઇન એવા સમાજવાદી ઝાયોનિસ્ટ () હતા જેમણે પેલેસ્ટાઇન અંગેના બ્રિટિશ આદેશ ()માં યહૂદી રાષ્ટ્રીય માતૃભૂમિની રચનાને ટેકો આપ્યો હતો.1931માં મેકમિલન કંપનીએ ઝાયોનિઝમ : પ્રોફેસર આલ્બર્ટ આઇન્સ્ટાઇન નું પ્રકાશન કર્યું.  કેરીડો () એમ્સ્ટર્ડેમ () પબ્લિશીંગ હાઉસે 1933ની સાલમાં મેઇન વેલ્ટબિલ્ડ શીર્ષક ધરાવતા પુસ્તકમાં આઇન્સ્ટાઇનના 11 નિબંધોનો સંગ્રહ કર્યો હતો, આ પુસ્તકનો વિશ્વ મારી નજરે એ શીર્ષક સાથે અંગ્રેજીમાં અનુવાદ પણ થયો હતો. આઇન્સ્ટાઇનની પ્રસ્તાવના જર્મનીના યહૂદીઓની વિગતો ધરાવતા દસ્તાવેજો પ્રત્યે સમર્પિત હતી.
જર્મનીના ઉદય પામી રહેલા લશ્કરવાદના પરિપ્રેક્ષ્યમાં આઇન્સ્ટાઇને શાંતિ માટે પ્રવચનો આપ્યા હતા અને અનેક લખાણો પણ લખ્યા હતા.

પેલેસ્ટાઇનના સ્વતંત્ર આરબ રાષ્ટ્ર અને યહૂદી રાષ્ટ્ર એમ બે ભાગમાં ભાગલા પાડી તેના ઉપર બ્રિટનનું નિરીક્ષણ રહેશે એવા બ્રિટનના પેલેસ્ટાઇન અંગેના આદેશ ()ની દરખાસ્ત સામે આઇન્સ્ટાઇને જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો.ઝાયોનવાદ પ્રત્યે આપણું ઋણ એ વિષય પર 1938માં આપેલા પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે જૂડાઇઝમના મૂળ સ્વરુપ પ્રત્યે મારી જે જાગૃતિ છે તે સરહદો, સૈન્ય અને સત્તાનું પરિમાણ ધરાવતા અને ગમે તેટલું ઉદાર હોય તો પણ એવા યહૂદી રાષ્ટ્રના વિચારનો વિરોધ કરે છે. આપણી અંદર જે સંકુચિત રાષ્ટ્રવાદ જન્મ લેશે તેનાથી જૂડાઇઝમને કેટલું નુકસાન થશે તે અંગે મને શંકા છે, કેમ કે યહૂદી રાષ્ટ્ર વિના પણ સંકુચિત રાષ્ચ્રવાદની સામે લડાઇ આપવી જ પડી છે.જો બાહ્ય જરૂરિયાતો આપણને આ બોજ ઉપાડવાની ફરજ જ પાડતી હોય તો પછી આપણે ધૈર્ય અને યુક્તિઓ વડે તેને સહન કરવી જોઇએ.
ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ()ને 1947માં લખેલા પત્રમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે પેલેસ્ટાઇનમાં યહૂદીઓ માટે રાષ્ટ્રીય વતનની સ્થાપના કરવા બેલ્ફોરના જાહેરનામામાં () જે દરખાસ્ત કરવામાં આવી છે તેનાથી ન્યાય અને ઇતિહાસના સંતુલનનો ઉકેલ આવી ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રો ()એ આદેશનું વિભાજન કર્યુ અને ઇઝરાયલ () સહીતના કેટલાક નવા દેશોનું સીમાંકન કર્યું હતું અને તે સાથે જ યુદ્ધ () ભડકી ઉઠ્યું હતું.1948માં ન્યૂયોર્ક ટાઇમ્સને () મળેલા પત્રોના લેખકો પૈકી આઇન્સ્ટાઇન પણ હતા જેમાં તેમણે ડેર યાસીનના નરસંહાર () બદલ મેનાકેમ બેગીન ()ની હેરટ () (ફ્રીડમ) પાર્ટીની આકરી ઝાટકણી કાઢી હતી.

આઇન્સ્ટાઇને જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટી ()ના બોર્ડ ઓફ ગવર્નર્સમાં પણ સેવા આપી હતી.1950માં આઇન્સ્ટાઇને કરેલા પોતાના વસીયતનામામાં પોતાના તમામ લખાણોના સાહિત્યના અધિકારો હિબ્રુ યુનિવર્સિટીને આપેલા છે જ્યાં આજે પણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન આર્કાઇવ્ઝમાં તેમના દસ્તાવેજો સાચવી રાખવામાં આવ્યા છે.

તેમણે લખ્યું હતું કે ઇઝરાયલ રાષ્ટ્ર તરફથી મને કરવામાં આવેલી ઓફર બદલ હું ગદગદીત થઇ ગયો છું અને આ ઓફરનો હું સ્વીકાર કરી શકતો નથી તે બદલ મને દુખ પણ થયું છે અને શરમ પણ આવે છે.

આઇન્સ્ટાઇને પ્રિન્સ્ટનમાં ઘર ખરીદ્યું હતું ( જ્યાં 1936માં એલ્સાનું અવસાન થયું હતું) અને 1955માં તેમનું નિધન થયું ત્યાં સુધી તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીનો અતૂટ હિસ્સો બની રહ્યા હતા.1930 અને દ્વિતિય વિશ્વયુદ્ધ દરમ્યાન આઇન્સાટાઇને એક સોગંદનામું () લખ્યું હતું જેમાં તેમણે રાજકીય અત્યાચાર અને દમનમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરનારા યુરોપના વિશાળ સંખ્યાના યહૂદીઓ માટે વિઝા () આપવાની અમેરિકાને ભલામણ કરી હતી.તેમણે ઝાયોનિસ્ટ સંગઠન માટે ભંડોળ ઉભું કર્યું હતું અને 1933માં આંતરરાષ્ટ્રીય બચાવ સમિતિ ()ની રચનાનું શ્રેય પણ તેમના ફાળે જાય છે.

દરમ્યાન જર્મનીના જર્મન લેક્સીકન ખાતેના યહૂદી ફિજિક્સ () જૂડીસ ફિજિક નામે વિખ્યાત બનેલા આઇન્સ્ટાઇનના વર્કને નેસ્તનાબૂદ કરી નાંખવાના અભિયાનનું નેતૃત્વ નોબેલ પારિતોષિક વિજેતા ફિલિપ લિનાર્ડ () અને જોહાનિસ સ્ટાર્કે (). લીધું હતુ.ડ્યુઇસ ફિજિક ()ના કાર્યકરોએ આઇન્સ્ટાઇનને નીમ્ન કક્ષાના દર્શાવતા ચોપાનિયાં અને પુસ્તકોનું વિતરણ કર્યું અને તેમની થિયરી ભણાવતા શિક્ષકોને બ્લેકલિસ્ટ ()માં મૂકવામાં આવ્યા હતા જેમાં નોબેલ પારિતોષિક વિજેતા વર્નર હેઇઝનબર્ગ (), કે જેમણે બોહર અને આઇન્સ્ટાઇન સાથે કોન્ટમ થિયરીની ચર્ચા કરી હતી, નો પણ સમાવેશ થતો હતો. ફિલિપ્સ લિનાર્ડે દાવો કર્યો હતો કે સામુહિક-ઊર્જા સમતુલ્ય () ફોર્મ્યુલાને આર્યન () સર્જન  બનાવવા બદલ તેનું શ્રેય ફ્રેડરિક હેઝનોર્હલ ()ને ફાળે જવું જોઇએ. 
આઇન્સ્ટાઇન વિરોધી સંગઠનની રચના થઇ અને આઇન્સ્ટાઇનની હત્યાનું કાવતરું રચનારા માણસને ફક્ત છ ડોલરનો દંડ કરવામાં આવ્યો.

આઇન્સ્ટાઇન 1940માં અમેરિકાના નાગરિક બન્યા અને શેષજીવન ત્યાં જ વિતાવ્યું હતું, જો કે તેમણે પોતાનું સ્વિસ નાગરિકત્વ જાળવી રાખ્યું હતું.

અમેરિકાના યુરોપિયન એન્ટિ-સેમિટીઝમના અનેક નિરાશ્રીત વૈજ્ઞાનિકો સહિતના સંખ્યાબંધ વૈજ્ઞાનિકોએ નવા જ શોધાયેલા ન્યુક્લિયર ફિસન ()ના સિદ્ધાંત આધારિત જર્મન વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવાઇ રહેલ અણુ બોંબ ()ના જોખમો ઓળખી કાઢ્યા હતા.પોતાના કાર્યમાં અમેરિકાની સરકારનો રસ જગાવવામાં નિષ્ફળ રહેલા હંગેરીના વસાહતી લિયો ઝીલાર્ડે () 1939માં અમેરિકાના પ્રમુખ ફ્રેંકલિન રુઝવેલ્ટ ()ને પત્ર લખવામાં આઇન્સ્ટાઇની સાથે કામ કર્યું હતું, આઇન્સ્ટાઇને આ પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને અમેરિકાને પણ આ પ્રકારનું શસ્ત્ર બનાવવાનો અનુરોધ કર્યો હતો.ઓગસ્ટ 1939માં રુઝવેલ્ટને આઇન્સ્ટાઇન-ઝીલાર્ડ પત્ર () મળ્યો અને લશ્કરી હેતુ  માટે ફિસન ઉપર ગુપ્ત સંસોધન કરવાની સત્તા આપી.

જો કે લિનસ પૌલિંગ ()ના જણાવ્યા મુજબ પાછળથી આઇન્સ્ટાઇને પત્ર લખવા બદલ રુઝવેલ્ટ સમક્ષ કેદ વ્યક્ત કર્યો હતો.1947માં આઇન્સ્ટાઇને  ધ એટલાન્ટિક મન્થલી () માટે એક લેખ લખ્યો હતો જેમાં એવી દલીલ કરી હતી કે અમેરિકાએ પરમાણુ ઇઝારાશાહી આગળ વધારવા માટે પ્રયાસો કરવા જોઇે નહીં, તેના બદલે તેણે પ્રતિરોધના એકમાત્ર હેતુસર યુનાઇટેડ નેશન્સ () ને પરમાણુ શસ્ત્રોથી સજ્જ કરવું જોઇએ.

નાઝીવાદના ઉદય સામે કામ કરતા કરતા આઇન્સ્ટાઇન જ્યારે વિખ્યાત બન્યા ત્યારે તેમણે પશ્ચિમ જગત અને સોવિયેત બ્લોક ()ની મદદ માંગી હતી અને તેઓ સાથે કામના સંબંધો વિકસાવ્યા હતા.દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ અગાઉના સાથીરાષ્ટ્રો આંતરાષ્ટ્રીય ખ્યાતી પામેલા લોકો માટે અંત્યંત ગંભીર મુદ્દો બની ગયા હતા.આ મુદ્દાને વધુ ગંભીર બનાવતા આઇન્સ્ટાઇને મેકાર્થિઝમ ()ના પ્રથમ દિવસે જ એક જ વિશ્વ સરકાર () વિશે લખ્યું હતું એવા સમયે તેમણે લખ્યું હતું કે હું નથી જાણતો કે ત્રીજું વિશ્વયુદ્ધ કેવી રીતે લડાશે, પરંતુ એટલું જરૂર કહું છું કે ચોથું વિશ્વયુદ્ધ પથરાઓ થી લડાશેહશે.1949માં મંથલી રીવ્યૂએ () સમાજવાદ શા માટે? શીર્ષક હેઠળ લેખ પ્રકાશિત કર્યો.આલ્બર્ટ આઇન્સ્ટાઇને તમામ દુષણોના સ્ત્રોત તરીકે અંધેર મૂડીવાદી () સમાજને ગણાવ્યો હતો જેના ઉપર વિજય મેળવવાની જરૂરિયાત દર્શાવી હતી કેમ કે તેમની નજરે તે સમાજ માનવીય વિકાસનો વિનાશક તબક્કો હતો.આલ્બર્ટ સ્વીટઝર () અને બર્ટાન્ડ રસેલ () સાથે ભેગા મળીને આઇન્સ્ટાઇને પરમાણુ પરીક્ષણો અને ભવિષ્યના બોંબને અટકાવી દેવા લોબિંગ કર્યું હતું.પોતાના મૃત્યુંના થોડા દિવસો પહેલાં જ આઇન્સ્ટાઇને રસેલ-આઇન્સ્ટાઇન જાહેરાનામા () ઉપર હસ્તાક્ષર કર્યા હતા જેના થકી બાદમાં વિજ્ઞાન અને વૈશ્વિક બાબતો. ઉપર પગવાસ () ખાતે પરિષદ યોજાઇ હતી.

આઇન્સ્ટાઇન કેટલાંક માનવ અધિકારો () જૂથના સભ્ય હતા, જેમાં એનએએસીપી () ના પ્રિન્સટન ચેપ્ટરનો પણ સમાવેશ થતો હતો. જ્યારે વયોવૃદ્ધ ડબલ્યુ. ઇ. ડ્યું. બોઇસ ()ની સામે સામ્યવાદી જાસૂસ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે આઇન્સ્ટાઇન સાક્ષી બન્યા હતા અને બાદમાં આ કેસ થોડા સમયમાં જ કાઢી નાંખવામાં આવ્યો હતો.મનસ્વી હિંસાખોરી પ્રથાનો અંત લાવવા અમેરિકન જંગ ()નું જેમની સાથે સહ-નેતૃત્વ કર્યું હતું તે કાર્યકર પૌલ રોબ્સન () સાથે આઇન્સ્ટાઇનની મિત્રતા વીસ વર્ષ ચાલી હતી.

આઇન્સ્ટાઇનના જર્મની તથા ઝાયોનવાદ સાથેના સંપર્કો, તેમના સમાજવાદી આદર્શો તથા કેટલાક સામ્યવાદી નેતાઓ સાથેના તેમના સંપર્કોને ધ્યાનમાં લઇને યુ.એસ.ની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને () આઇન્સ્ટાઇન માટે એક ફાઇલ બનાવી હતી જે વધીને 1,427 પાનાંની થઇ હતી.એફબીઆઇને મોટાભાગના દસ્તાવેજો તો દેશના ચિતિંત નાગરિકો તરફથી મળ્યા હતા, જેમાં કેટલાક લોકોએ તેમના ઇમિગ્રેશન સામે વાંધો ઉઠાવ્યો હતો જ્યારે કેટલાક લોકોએ તેમનું રક્ષણ કરવા એફબીઆઇને વિનંતી કરી હતી.

આઇન્સ્ટાઇન ઘણા લાંબા સમયથી શાકાહારવાદ ()ના વિચાર પ્રત્યેસહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ 1954ના આરંભે જ તેમણે શાકાહારી ભોજનનો આકરો નિયમ અપનાવ્યો હતો.

અંતિમક્રિયા પહેલા પ્રિન્સ્ટેન હોસ્પિટલના પેથોલોજિસ્ટ થોમસ સ્ટોલ્ઝ હાર્વીએ () એવી આશા સાથે આઈન્સ્ટાઈનનું બ્રેઈન () સાચવવા માટે કાઢી લીધું કે આઈન્સ્ટાઈન આટલા બધા બુદ્ધિશાળી કેવી રીતે હતા તે શોધવામાં ભવિષ્યના ન્યૂરોસાયન્સને મદદ મળશે.

મુસાફરી દરમિયાન આઈન્સ્ટાઈન દરરોજ પત્ની એલ્સા તેમજ દત્તક દીકરીઓ મોર્ગોટ તથા ઈસેને પત્રો લખતા અને આ પત્રો પછીથી હિબ્રુ યુનિવર્સિટી ()ને વારસામાં આપવામાં આવ્યા. માર્ગોટ આઈન્સ્ટાઈને એ અંગત પત્રો પ્રજાને જોવા મળે તેની પરવાનગી આપી, પરંતુ એટલી વિનંતી કરી કે તેમના મૃત્યુના 20 વર્ષ પછી જ એ પત્રો જાહેર કરવા. (તેઓ 1986માં મૃત્યુ પામ્યાં)હિબ્રુ યુનિવર્સિટીની આલ્બર્ટ આઈન્સ્ટાઈન આર્કાઈવ્સનાં બાર્બરા વોલ્ફે બીબીસી ()ને કહ્યું હતું કે 1912 થી 1955 વચ્ચે થયેલા અંગત પત્રવ્યવહારના આશરે 3,500 પાનાં છે.

અમેરિકાની નેશનલ એકેડમી ઑફ સાયન્સિસ () દ્વારા આલ્બર્ટ આઈન્સ્ટાઈન મેમોરિયલ (), ની રચના કરવામાં આવી અને રોબર્ટ બર્કસ () દ્વારા બ્રોન્ઝ અને માર્બલમાંથી પ્રતિમા બનાવડાવીને વોશિંગ્ટન ડી.સી ()માં તેના કેમ્પસ ખાતે 1979માં સમર્પિત કરવામાં આવી. આ સ્થળ નેશનલ મોલ ()ની નજીક છે. 

આઈન્સ્ટાઈને તેમની તસવીર ()ના ઉપયોગથી મળનાર રોયલ્ટી () જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટી ()ને વસિયતમાં લખી આપી. રોજર રિચમેન એજન્સી (), ના અનુગામી કોરબીસે () હિબ્રુ યુનિવર્સીટી માટે તેમના નામ તથા તે સાથે સંકળાયેલી પ્રતિમાઓનો એક એજન્ટ () તરીકે ઉપયોગ કરવાનું લાયસંસ () આપ્યું હતું.

તેમના મેમોરિયલોની આંશિક યાદીઃ

દ્વિતિય વિશ્વયુદ્ધ પહેલાંના સમય દરમિયાન આઇન્સ્ટાઇન અમેરિકામાં એટલી હદે લોકપ્રિય હતા કે લોકો તેમને રસ્તા ઉપર રોકી લેતાં હતા અને તેમને તે થિયરી સમજાવવાની વિનંતી કરતા હતા.છેવટે તેમણે વધતા જતાં પ્રશ્નોનો ઉકેલ શોધી કાઢ્યો હતો.તેમને પ્રશ્ન પૂછનારને તે ફક્ત એટલું જ કહેતાં મને માફ કરો, હું દિલગીર છુંહંમેશા મને લોકો પ્રોફેસર આઇન્સ્ટાઇન સમજી લેવાની ભૂલ કરે છે.

આઇ્સ્ટાઇન અનેક નવલકથાઓ, ફિલ્મો, અને નાટકો માટે એક વિષય અથવા તો પ્રેરણા બની રહ્યા હતા.પાગલ વૈજ્ઞાનિક () અને ચસકેલા દિમાગના પ્રોફેસર ()ની પ્રતિકૃતિ માટે આઇન્સ્ટાઇન અદ્દલ મોડેલ હતા, તેમનો અભિવ્યક્ત ચહેરો અને તેમની તદ્દન અલગ પ્રકારની હેરસ્ટાઇલની વ્યાપક નકલ અને અતિશયોક્તિ થઇ હતી.ટાઇમ () મેગેઝિનના ફ્રેડરિક ગોલ્ડને એમ લક્યું હતું કે આઇન્સ્ટાઇન એટલે એક કાર્ટૂનિસ્ટનું સાકાર થયેલું સ્વપ્ન.

મહાન બુદ્ધિસાળી લોકો સાથેના આઇન્સ્ટાઇનના સંબંધો અને જોડાણોના કારણે આઇન્સ્ટાઇન નામ મેધાવી પ્રતિભાસંપન્ન વ્યક્તિનો પર્યાય બની ગયો હતો, જે અવારનવાર નાઇસ જોબ, આઇન્સ્ટાઇન! જેવા કટાક્ષયુક્ત () વાક્યોમાં વપરાતો હતો.

આ લેખમાં આઇન્સ્ટાઇનના નિમ્નદર્શીત પુસ્તકોનો સંદર્ભ છે.તેમના પ્રકાશનોની વધુ સંપૂર્ણ યાદી આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વૈજ્ઞાનિક પ્રકાશનોની યાદીમાંથી મળી શકશે. ()




#Article 193: ભ્રષ્ટાચાર (136 words)


કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી અને અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી.

ટ્રાન્સપરન્સી.ઓર્ગના ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ક્રમાંક ૮૧મો આવે છે. ભારત જેવા જ બીજા ભ્રષ્ટ દેશોમાં રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.

વૈશ્વિક રેકિંગમાં સોમાલિયા સૌથી નીચલા ૧૮૦માં ક્રમ પર છે.

ભારતના પડોશી દેશોમાં ભૂતાન એકમાત્ર દેશ છે, જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. તે ૬૮ મૂલ્યાંકન સાથે ૨૫માં ક્રમ પર છે.




#Article 194: સિદ્ધરાજ જયસિંહ (2803 words)


જયસિંહ સોલંકી ચોથા અને સહુથી વિખ્યાત સોલંકી રાજવી હતાંં. તેમણે ઇ.સ. ૧૦૯૬થી ઇ.સ. ૧૧૪૩ સુધી ગુજરાત પર શાસન કર્યું. તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ 'સિદ્ધરાજ'થી વધુ ખ્યાતનામ છે. તેમનો રાજ્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. મુસ્લિમ આક્રમકો સામે ગુજરાતનું પતન થયું તે પહેલાનું આ છેલ્લું હિન્દુ સામ્રાજ્ય હતું.

સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ખુબ જ વિશાળ હતું. તેમાં વર્તમાન ગુજરાતના બધાજ વિસ્તારો જેવાં કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો તો સમાવેશ થતો જ હતો. આ ઉપરાંત તેમનાં રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં છેક સાંભાર રાજ્ય કે સપાદપક્ષ રાજ્ય સુધી (આજનું અજમેર) અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થતો હતો. પશ્ચિમમાં કચ્છથી લઇને છેક બુંદેલખંડ સુધી તેમનાં રાજ્યની હદ હતી. આધુનિક, મેવાડ, મારવાડ, માળવા અને સાંભાર સુધીના વિસ્તારો તેના રાજ્યનો ભાગ હતાં. જયસિંહ એક ઉત્તમ યોદ્ધાની સાથે કુશળ રાજવી, પ્રજાપ્રિય નેતાં અને કળા સાહિત્યના પારખુ હતાં. તેમનાં સમય દરમિયાન ગુજરાતની કીર્તિ અને સમૃદ્ધિ શિખર પર હતી.

જયસિંહના જન્મ વિશે જુદાંજુદાં ઇતિહાસકારો જુદાંજુદાં અનુમાનો કરે છે. કેટલાક ઇતિહાસકારોના મતે જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. પણ ઐતિહાસિક દસ્તાવેજો મુજબ પાલનપુરની સ્થાપના સિદ્ધરાજના અવસાન બાદ થઇ હતી. આથી આ માન્યતાનો કોઇ ઐતિહાસિક આધાર નથી. ઘણું કરીને તેમનો જન્મ પાટણના રાજમહેલમાં જ થયો હશે, તેમ લાગે છે. એ સમયે પાટણ સોલંકીઓની રાજધાની હતી.

સિદ્ધરાજના જન્મ સમયે સોલંકી રાજવંશ ઘણાં કપરાં સમયથી પસાર થઇ રહ્યો હતો. આંતરિક વિખવાદોને કારણે સોલંકીઓની સત્તા નબળી પડી હતી. મહમંદ ગઝનીએ સોમનાથ લૂંટીને ગુજરાતના અભિમાનને ધક્કો પહોંચાડ્યો હતો. સોલંકીઓના મોટાભાગના સામંતો સ્વતંત્ર થઇ ગયા હતાં. રાજ્યની સરહદો સંકોચાઇ ગઇ હતી. માળવાના હુમલા સામે તેમના પિતા કર્ણદેવની સજ્જડ હાર થઇ હતી અને ભારે ખંડણી ચૂકવવી પડી હતી. તેમણે સ્વતંત્ર રાજાનું પદ પણ ગુમાવી માળવાના સામંત કે ખંડીયા રાજા તરીકે ચાલુ રહ્યાં હતાં. આમ, સિદ્ધરાજના જન્મ સમયે સોલંકીઓ પાસે બહુ ઓછી સત્તા અને રાજ્ય હાથમાં રહ્યું હતું.

સિદ્ધરાજ ફક્ત ૧૩ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા કર્ણદેવનું અવસાન થયું. તેઓ બાળવયે ગાદી પર આવ્યાં. તેમની સગીર અવસ્થા દરમિયાન તેમની માતા મીનળદેવીએ રાજમાતા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

ઇ.સ. ૧૦૯૬માં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વિક્રમ સંવત ૧૧૨૦ના પોષ વદ તીજના રોજ શનિવારે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યારોહણના શરૂઆતના વર્ષોમાં તેમણે સોલંકી રાજપરિવારની વચ્ચે ચાલતા વિખવાદનો અંત લાવવામાં અને પોતાના હરિફોને દૂર કરવામાં ઘણી મહેનત કરી. જયસિંહના દાદા ભીમદેવની બે પત્નીઓ હતી. બહુલાદેવી (ચૌલાદેવી) અને ઉદયમતી. અમુક માન્યતા મુજબ ચૌલાદેવી કે બકુલાદેવીનો સોમનાથ મંદિરમાં દેવદાસી હતાં. આથી જ તેમનો પુત્ર રાજગાદી માટે અયોગ્ય ઠેરતાં હતાં. જોકે આ માન્યતાને કોઇ ઐતિહાસિક આધાર નથી અને કર્ણદેવના રાજ્યાભિષેકને યોગ્ય ઠેરવવા માટે પાછળથી આ વાર્તા જોડી દેવામાં આવી હોય, તેમ બની શકે. બકુલાદેવીનો પુત્ર ક્ષેમપાળ જ્યેષ્ઠ હોવા છતાં, ઉદયમતીના પુત્ર કર્ણદેવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી બન્ને શાખાઓ વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલુ હતી. જયસિંહે પોતાના કાકા દેવપ્રસાદ અને તેમના પુત્ર ત્રિભુવનપાળને હંફાવીને પોતાનું સ્થાન મજબૂત કર્યું. દેવપ્રસાદ અને ત્રિભુવનપાળ બન્નેનું અવસાન રહસ્યમય સંજોગોમાં થયેલ હોવાનું મનાય છે.

પોતાનાં પરિવાર ઉપરાંત સિદ્ધરાજના દાદી ઉદયમતિનાં પિયરિયાં પણ પાટણમાં ઘણું વર્ચસ્વ ધરાવતાં હતાં. જયસિંહે તેમને પણ દૂર કર્યા. પોતાની બાળ અવસ્થા દરમિયાન રાજ્યોનો કારભાર મંત્રીઓના હસ્તગત હતો. આ મંત્રીઓના હાથમાંથી સત્તાને હસ્તગત કરવાનું કાર્ય કપરું હતું. પણ જયસિંહ તેમાં સફળ થયાં હોય તેમ લાગે છે. ઇ.સ ૧૧૦૪ સુધી છેક ખંભાત સુધી તેમની સત્તા પ્રસરેલી દેખાતી હતી. આ સમય દરમિયાન જયસિંહે પોતાને સોલંકીવંશના નિર્વિવાદીત રાજવી તરીકે પોતાનાં પરિવાર, મંત્રીઓ અને પ્રજામાં પોતાને સ્થાપિત કર્યા હતાં.

ઇ.સ. ૧૧૦૮-૦૯ની આસપાસ તેમણે માળવાના સામંતપદને ફગાવીને પોતાને ગુજરાતના સાર્વભૌમ રાજવી જાહેર કર્યાં. તેમણે પોતાના માટે 'મહારાજાધિરાજ પરમેશ્વર'નું બિરુદ જાહેર કર્યું. આમ તેમણે ગુજરાતમાં પોતાની સર્વોચ્ચ સત્તા સ્થાપીત કરી. આ સમય દરમિયાન તેમણે દખ્ખણના કોઇ રાજવીને પરાજીત કરીને 'ત્રિભુવનગંડ'નું બિરુદ પણ સ્વીકાર્યું. તેમનાં રાજ્યની શરૂઆતની લડાઇઓ તેમના રાજ્યને સ્થાપીત કરવાની સાથે અન્ય રાજવીઓ પર ધાક જમાવાના હેતુની લાગે છે. સિદ્ધરાજ જયસિંહે તેનાં જીવનકાળ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, રાજપૂતાના, મેવાડ, મારવાડ, અજમેર તથા મધ્યભારત સુધી પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું.

સમકાલીન રાજ્ય : ચુડાસમા

પ્રતિહારોના સમયમાં સોલંકીઓના પૂર્વજો ચૌલુક્યો સૌરાષ્ટ્રના સૂબા હતાં. પણ અમુક કારણો સર તેમણે ત્યાંથી ગુજરાત તરફ પલાયન કરવું પડ્યું હતું. ચૌલુક્યો બાદ સૌરાષ્ટ્રમાં ચુડાસમા રાજાઓ  સત્તા પર આવ્યાં. મૂળરાજે ચુડાસમા રાજા રા ગ્રહરિપૂને હરાવીને તેને પોતાનો ખંડીયો રાજા બનાવ્યો હતો. ત્યાર પછીના ચુડાસમા રાજાઓએ પાટણની સર્વોચ્ચ સત્તાને સ્વીકારીને તેમના ખંડીયા રાજા તરીકે ચાલુ રહ્યાં. પણ સોલંકી સત્તા નબળી પડવાની સાથે જ તેમણે માથું ઉચક્યું હતું. જયસિંહે સર્વપ્રથમ પોતાના ઘરના દુશ્મને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેમણે છેક જૂનાગઢ સુધી અનેક કિલ્લાની હાર ઉભી કરી, આમાં સહુથી મોટો કિલ્લો વઢવાણનો હતો.

ઇ.સ. ૧૧૧૪માં તેણે સૌરાષ્ટ્ર પર હુમલો કરી તેનાં રાજા રા'ખેંગાર ને હરાવ્યો. અને તેને કેદમાં નાખ્યો. તેણે સૌરાષ્ટ્રમાં ચુડાસમા વંશ નો અંત લાવીને ત્યાં પોતાના સામંત તરીકે જૈન મંત્રી સજ્જનને નીમ્યો. આમ જીતાયેલ પ્રદેશમાં જૂનાં રાજાને સામંત તરીકે ચાલુ રાખવાની પરંપરા તેણે બંધ કરી. સૌરાષ્ટ્રના વિજયને યાદગાર બનાવવા માટે તેણે 'સિહસંવત'નો પણ પ્રારંભ કર્યો.

તેના જૂનાગઢ વિજય અંગે ઘણી દંતકથાઓ છે. એક કથા મુજબ જયસિંહે જૂનાગઢના રાજા રા' નવધણને નળકાંઠા નજીક પાંચાળમાં ઘેર્યો અને પોતાને નમન કરાવ્યું. આ અપમાનનો બદલો લેવાં નવધણે પ્રતિજ્ઞા કરી. જોકે તેને તે પૂરી ન કરી શક્યો. મૃત્યુ સમયે તેણે પોતાના ચારે પુત્રોને બોલાવ્યાં અને જે પુત્ર આ પ્રતિજ્ઞા પૂરી કરવાનું વચન આપે, તેને જૂનાગઢની ગાદી સોંપવાનું કહ્યું. સહુથી નાના પુત્ર રા'ખેંગારે આ પ્રતિજ્ઞા પૂરી કરવા તત્પરતા દાખવી. આથી રાજગાદી તેને મળી. 

જયસિંહ માળવાની ચડાઇ પર ગયા હતાં, ત્યારે ખેંગારે પાટણ પર હુમલો કરીને પાટણનો દરવાજો ભાંગ્યો. આ ઉપરાંત જયસિંહની વાગ્દત્તા રાણકદેવીને પણ પોતાની સાથે જૂનાગઢ લઇ ગયો અને તેની સાથે લગ્ન કર્યા. જયસિંહ માટે આ અપમાન અસહ્ય હતું. તેણે જૂનાગઢ પર હુમલો કર્યો. ખેંગારના ભણીયાએ ખેંગારને દગો દીધો. જયસિંહનું સૈન્ય મધરાતે કિલ્લામાં પ્રવેશ્યું અને જૂનાગઢ જીતી લીધુ. આ યુદ્ધમાં ખેંગાર અને તેના બન્ને પુત્રો હણાયા. જયસિંહે રાણકદેવી સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો જે રાણકે નકારી નાખ્યો. રાણકદેવી વઢવાણ પાસે સતી થઇ. 

જોકે આ ફક્ત દંતકથા જ છે અને તેનું કોઇ ઔતિહાસિક પ્રમાણ નથી. ઐતિહાસિક પુરાવા મુજબ ખેંગાર આ યુદ્ધમાં કેદી પકડાયો અને જયસિંહે તેને પદભ્રષ્ટ કર્યો. આ ઉપરાંત જયસિંહને રાણકદેવી નામની વાગ્દતા હતી તેવો કોઇ સ્થાને ઉલ્લેખ નથી.

સિદ્ધરાજને લોકચાહના મેળવવામાં સહુથી વધુ જો કોઇ વિજયે મદદ કરી હોય તો તે છે, બર્બરક અથવા બાબરા ભૂત પર વિજય. ગુજરાતના ઉત્તરપૂર્વના આદિવાસી પટ્ટામાં વિવિધ આદિવાસી પ્રજા વસતી હતી, જેમને બર્બર કહેવામાં આવતા હતાં. આ જાતિનો નાયક રાજા બર્બરક ત્યાંની આસપાસની પ્રજા માટે ભયરૂપ થઇ પડ્યો હતો. તે મંદિરો તોડતો, તિર્થસ્થાનો અભડાવતો અને ઉપાસકોને રંજાડતો. જયસિંહે તેની સાથે યુદ્ધ કર્યું. ખુબ જ તુમુલ સંગ્રામ થયો. યુદ્ધમાં જયસિંહની તલવાર ભાંગી ગઇ. આથી તેણે બર્બરક સાથે મલ્લયુદ્ધ આરંભયું. બર્બરક શરીરમાં જયસિંહ કરતા ઘણો વિશાળ હતો. સ્થાનિકપ્રજા તો તેને રાક્ષસ જ માનતી હતી. જયસિંહે બર્બરકને પોતાના હાથમાં ભીંસી નાખ્યો અને બર્બરક બેભાન થઇ ગયો. જયસિંહ તેને મારી નાખવા ઇચ્છતા હતાં, પરંતુ બર્બરકની પત્ની પિંગલિકાએ જયસિંહ પાસે તેની પ્રાણયાચના કરી. આથી જયસિંહે તેને જીવનદાન આપ્યું અને ત્યારથી બર્બરક જયસિંહનો સેવક થઇને રહ્યો. જયસિંહે 'બર્બરજજિષ્ણુ'નો ઇલ્કાબ સ્વીકાર્યો.

આ વિજયે લોકોના મનમાં જયસિંહને એક અદભૂત શક્તિઓના સ્વામી તરીકે સ્થાપી દીધો. બર્બરકના પરાજય અંગે અનેક દંતકથાઓ રચાઇ છે. આ દંતકથામાં બર્બરકને ગુઢ અને મેલી વિધ્યાના સ્વામી તરીકે ચીતર્યો છે, અને જયસિંહ તેને મંત્રબળથી વશ કરીને પોતાનો સેવક બનાવી લે છે. આ વધી લોકવાર્તાએ જયસિંહની આસપાસ એક ગુઢવર્તુળ ઉભું કર્યું, જેનો ફાયદો જયસિંહને થયો. વિક્રમ-વેતાળની જેમ લોકો બર્બરક-જયસિંહની જોડીને જોવાં લાગ્યાં. આથી જયસિંહની છાપ વિક્રમાદિત્યની જેમ એક પરદુઃખભંજક અને સિદ્ધ રાજવી તરીકેની પડી. જયસિંહે પણ પોતાની રાજસ્તા દ્રઢ કરવા માટે આ લોકમાન્યતાને ઉત્તેજન આપ્યું, એટલુંજ નહીં, તેનાં પ્રતિભાવરૂપે 'સિદ્ધરાજ'નું ઉપનામ સ્વીકાર્યું. ગૂઢ શક્તિઓના સિદ્ધ રાજવી તરીકે ઉભી થયેલી છાપ આજે પણ બળવત્તર છે. જયસિંહ લોકોમાં આજે પણ સિદ્ધરાજ તરીકે જ વધુ પ્રખ્યાત છે.

અત્યારના ગુજરાત હેઠળ રહેલા બધા વિસ્તારો જીતી લીધા બાદ જયસિંહે અન્ય રાજવીઓ તરફ નજર ફેરવી. આસપાસના ગુર્જર રાજવીઓને હરાવીને ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇ.સ. ૧૧૨૩ પહેલાં તેણે ગ્વાલીયરનો વિસ્તાર રાજ્યમાં ભેળવી દીધો. ઇ.સ. ૧૧૨૭ પહેલાં અત્યારના કોટા સુધીનો વિસ્તાર તેના તાબામાં હતો. નડ્ડુલ સાથે પાટણની વંશપરંપરાગત દુશ્મની હતી. સિદ્ધરાજે નડ્ડુલના રાજા અશ્વરાજ કે આશ્વાકને હરાવીને પોતાનો સામંત બનાવ્યો. મારવાડના રાજાને હરાવીને તેના રાજાને પણ પોતાનો સામંત બનાવ્યો. આ ઉપરાંત જયસિંહે શાકંભરી અને જોધપુર રાજ્યમામ આવેલ કિરાડું જીત્યા હતાં. તેણે કોઇ સિંધૂરાજને પણ હરાવ્યો હતો. સપાદલક્ષના રાજા અજયરાજ પણ સિદ્ધરાજને તાબે થયો. અહીંના રાજવી અર્ણોરાજ કે આનકને વશ કરીને સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવીને તેની સાથે પરણાવી હતી. દક્ષિણમાં 'પરમર્દીદેવ'નું બિરુંદ ધારણ કરનાર વિક્રમાદિત્ય છઠ્ઠાને પણ તેણે હરાવ્યો. આમ, સિદ્ધરાજે અનેક નાના રાજવીઓને પરાજીત કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું.

પાટણ અને અવંતી વચ્ચે વર્ષોથી લડાઇઓ ચાલુ હતી. સિદ્ધરાજ પહેલાનાં મોટાભાગના સોલંકી રાજવીઓ માળવાના સામંત હતાં. સિદ્ધરાજે શાસનની શરૂઆતના વર્ષોમાં આ સામંતપદ ફગાવી દીધુ હતું. તેણે પોતાના કટ્ટર શત્રૄને મહાત કરવા ખુબ જ લાંબી તૈયારી કરી. આશરે ત્રીસ વર્ષની તૈયારી બાદ તેણે માળવા પર હુમલો કર્યો. ઇ.સ. ૧૧૩૬માં તેણે આ વિજય મેળવ્યો. તે વખતે માળવાની ગાદી પર યશોવર્મા રાજ્ય કરતો હતો. સિદ્ધરાજને આ યુદ્ધમાં નડ્ડુલના રાજા, શાકંભરીના ચાહમાન રાજવી અને ભીલ સેનાનો સાથ મળ્યો. તેણે ઉજ્જૈનીનો ઘેરો ઘાલ્યો અને તેને જીતી લીધું. યશોવર્મા ભાગીને ધારા નગર તરફ ભાગી ગયો. સિદ્ધરાજે તેની પૂંઠ પકડી અને તેને ધારાનગરમાં ઘેર્યો. હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રયમાં આ વિજયને આ મુજબ વર્ણવ્યો છે. 'ચટક પક્ષીનો શત્રૂ શ્યેન જેમ ચટાકનાં બચ્ચાંને ઝાલે તે રીતે, નર્તકની પેઠે યુદ્ધમાં તલવારને નચાવનાર આ ચાલુક્ય વીર, જેને શરીરે રોમાંચ થતો હતો તેમણે રણક્ષેત્ર છોડી ધારામાં પેસી ગયેલા માલવપતિને જોતજોતામાં પકડી પાડ્યો.

યશઃપટહ નામના હાથી પર બેસીને સિદ્ધરાજે ધારાનગર પર હુમલાની આગેવાની કરી. કિલ્લાના દરવાજા તોડતી વખતે આ હાથી મૃત્યુ પામ્યો. સિદ્ધરાજે આ હાથીના સ્મરણાર્થે વડસર ગામામાં એક ગણેશમંદિર બંધાવ્યું.  દંતકથામુજબ જ્યારે ધારાનગરી પર હુમલો ચાલુ હતું ત્યારે એક ચારણે બૂમ પાડીને કહ્યું કે 'હે કર્ણપુત્ર! કપાળૅ ટીલાવાળાં (સિદ્ધરાજના જૈનમંત્રીઓ) તમારી સેનાને દોરશે એનાથી ધારાનગર નહીં જીતાય. માટે જેસલ (જયસિંહ)ને આવવા દો. જમ આવવાની હામ ભીડશે તો તેને પણ એ એકલાં પહોંચી વળશે.'

સિદ્ધરાજે માળવા જીતીને તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. તેનો ઇરાદો માલવપતિ યશોવર્માને મારવાનો હતો. પણ તેમ કરતાં તેને પોતાના મંત્રી મૂંજાલે રોક્યો. આથી તેણે યશોવર્માને કેદમાં નાખ્યો. જીત્યાપછી પાટણમાં તેનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે તેણે કેદી તરીકે યશોવર્માને હાથી પર બેસાડ્યો હતો. યશોવર્માને પદભ્રષ્ટ કરી ત્યાં મંત્રી મહાદેવને દંડનાયક નીમવામાં આવ્યો. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના વિજયનો વર્ણન કરતા દ્રયાશ્રયમાં કહે છે કે, વિજેતા જયસિંહે જીતેલા કેટલાક રાજાઓને પંખીની પેઠે લાકડાના પીંજરામાં પૂર્યા. કેટલાકને ગળે બળદની પેઠે લોઢાની સાંકળ નાખી; કેટલાકને પગે ઘોડાની પેઠે બેડીઓ પહેરાવી.' 'પરાજીત માલવપતિને બંધનમાં નાખવામાં આવ્યાં. તે સમયે મેવાડ માળવાને આધિન હતું. માળવાવિજયની સાથે મેવાડ પણ સિદ્ધરાજના સામ્રાજ્યનો અંગ બન્યું.

સિદ્ધરાજ જયસિંહનો સમય ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. જયસિંહે અનેક મંદિરો, મહાલયો, જળાશયો વગેરે બંધાવ્યાં. સતત યુદ્ધમાં મગ્ન રહેવા છતાં ગુજરાતનાં વેપાર અને વાણિજ્ય તેનાં સર્વોચ્ચ શિખરે હતાં. સિદ્ધરાજ વિદ્વાનો અને કળાકારોનો આશ્રયદાતા હતો. સમગ્ર ભારતમાંથી વિવિધ વિદ્વાનો તેના દરબારમાં આવતા હતાં. તેનો દરબાર અનેક વિષયો પરના વાદવિવાદ અને ચર્ચા માટે પ્રખ્યાત હતો. મૂળરાજે બંધાવેલ સિદ્ધપુરના રુદ્રમાળને તેણે સમારીને ફરીથી બંધાવ્યો.

સિદ્ધરાજના પૂર્વજ દુર્લભરાજે પાટણ પાસે એક નાનું જળાશય બનાવ્યું હતું. સિદ્ધરાજે તેની પુનઃરચના કરી તેને સહસ્ત્રલિંગ એમ નામ આપ્યું. આ જળાશય અત્યંત ભવ્ય હતું. સિદ્ધરાજે આખા સરસ્વતી નદીના પ્રવાહને તેમાં વાળો હતો. એ ફક્ત સરોવર ન હતું, પણ બાંધકામની વિશાળ રચના હતી. વૈજ્ઞાનિક રીતે યોજનાપૂર્વક બાંધેલા તેના સરોવર અને નહેરોમાં થઇને આવતું પાણી  કલામય રીતે રચાયેલા નાનાનાના ટાપુઓ પર બંધાયેલાં દેવાલયો અને ક્રીડાંગણોની આસપાસ વહેતું આગળ ચાલ્યું જતું હતું. તેની આસપાસ સહસ્ત્ર શિવાલયોની કટિમેખલા હતી અને પ્રત્યેક શિવાલય વિશાળ હતું. તેના કાંઠા પર બ્રાહ્મણોના યજ્ઞકાર્યો માટે સત્રશાળાઓ, એકસો આઠ દેવીમંદિરો, વિષ્ણુના દશાવતારનું એક મંદિર અને વિદ્યાર્થીઓ અને તેમને ભણાવનાર અધ્યાપકોને રહેવા માટેના વિશાળ મઠો હતાં. 

અણહિલવાડ પાટણ સિદ્ધરાજની રાજધાની હતી. સિદ્ધરાજના સમયમાં આ નગરી ભારતવર્ષની ઇર્ષાનું કેન્દ્ર બની હતી. પાટણ સમૃદ્ધિ, કળા અને સાહિત્યનું એક અગત્યનું કેન્દ્ર બન્યું હતું. પાટણ દેવાલયોની નગરી હતી. તેના દેવાલયોના શિખરો 'સૂર્યના રથની ગતિને પણ સ્ખલિત કરે' તેટલા ઉંચા હતાં. પાટણની ફરતે કોટ હતો. જેની આસપાસ ખાઇ હતી. આ ખાઇમાં સરસ્વતી નદી દ્વારા પાણિ પૂરું પાડવામાં આવતું. ખાઇ ખણી વિશાળ હતી અને તેને નૌકા દ્વારા જ પાર કરી શકાય તેમ હતું. પાટણની સમૃદ્ધિ કલ્પનાતીત હતી. તેનાં વેપારવાણિજ્ય અને આંતરાષ્ટ્રીય અગત્યતા ધરાવતાં ખંભાતના બંદર દ્વારા ખેડાતું વહાણવટું દ્રષ્ટાંતરૂપ બની ગયા હતાં. ત્યાંના શ્રીમંતોના મહાલયની ફરતાં પુષ્પોથી લચેલાં ઉદ્યાનો હતાં. નગરનાં નરનારીઓ સંસ્કારી હતાં. સ્ત્રીઓ સુંદર, મધુર સ્વરવાળી, મિષ્ટભાષિણી અને કલાકુશળ હતી. લોકો ઉદાર, અતિથિપ્રિય, શૂરા અને સાહસિક હતાં. 

સિદ્ધરાજે પાટણને વિદ્યાનું ધામ બનાવ્યું હતું. ભિન્નમાળ, કનોજ અને ઉજ્જૈનીના વિદ્વાનો પાટણ આવીને વસ્યાં હતાં. સરસ્વતીનદીને કાંઠે વિદ્યાભ્યાસ માટે મોટા મોટા મઠો બાંધેલા હતાં. વિવિધ દર્શનોના આશરે ૯૬ સંપ્રદાયો પાટણમાં હળીમળીને રહેતા હતાં. જયસિંહની હાજરીમાં શાસ્ત્રાર્થ માટે અનેક વાદસભાઓ થતી. આ ચાર પંડિતો એક વાદસભામાં સહાયકો તરીકે ઉપસ્થિત રહેવાનો ઉલ્લેખ ઃએ.: તર્ક - 'મહાભારત' અને 'પરાશરસ્મૃતિ'માં પારંગત એક મહર્ષિ; ઉત્સાહ નામનો એક કાશ્મીરી વૈયાકરણ; સાગર - એક પ્રકાંડ પંડિત અને રામ - જેઓ તર્ક તથા વાદવિવાદમાં નિપુણ હતાં. 

ધારાના પતન પતઈ પરમાર રાજાઓના ગુરૂ ભાવ બૃહસ્પતિને સિદ્ધરાજે ગુજરાત આવીને વસવાનું આમંત્રણ આપ્યું. તેઓ મૂળ વારાણસી નગરીના હતાં અને પાશુપત સંપ્રદાય દિક્ષા લીધેલ હતી. આ સંપ્રદાયનું મુખ્ય દેવાલય સોમનાથ મંદિર હતું. આ મંદિરનો વહીવટ સિદ્ધરાજે તેમને સોંપી દીધો. સિદ્ધરાજ મિત્રો જીતવામાં કુશળ હતાં.

ધારાનગરીના પતન પછી સિદ્ધરાજ મહારાજ ભોજનો ગ્રંથભંડાર લઇને આવ્યાં હતાં. ગુજરાતીના વ્યાકરણના નિયમો માટે તેમણે આચાર્ય હેમદંદ્રને ગ્રંથ લખવાની પ્રેરણા કરી. તેમની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે ગુજરાતી વ્યાકરણનો પ્રથમ ગ્રંથ 'શબ્દાનુશાસન' રચ્યો, જે સિદ્ધરાજ અને હેમચંદ્રના સંયુક્ત નામથી 'સિદ્ધહેમશબ્દાનુશાસન' તરીકે ઓળખાય છે. દંતકથા મુજબ સિદ્ધરાજે આ ગ્રંથની રચના બાદ પોતાના અંગત હાથી પર આ ગ્રંથની સવારી કાઢી હતી. પોતાની પાલખીમાં આ ગ્રંથ મૂક્યો હતો અને પોતે શોભાયાત્રાની સાથે પગપાળાં ચાલ્યા હતાં. ગ્રંથ પર સફેદ છત્ર ઢોળવામાં આવ્યું. બે સ્ત્રીઓ તેને ચમ્મર ઢાળતી હતી. આમ સન્માનપૂર્વક ગ્રંથને કોશાગારમાં રાખવામાં આવ્યો. 

સિદ્ધરાજ પોતે શૈવધર્મી હતો. પણ અન્ય ધર્મ પ્રત્યે પણ તેણે સમભાવ દાખવ્યો છે. તેના દરબારના ધણાં આગળ પડતા વ્યક્તિઓ અન્ય ધર્મના, મુખ્યત્વે જૈનધર્મિ હતાં. જોકે સિદ્ધરાજે કોઇ પણ ધર્મને રાજકારણમાં દખલ લેવા દીધી ન હતી. શરૂઆતમાં સિદ્ધરાજને સત્તા મજબૂત કરવા માટે તેનાં જૈનમંત્રીઓ અને જૈનધર્મના આગેવાનોએ આગળપડતો ભાગ ભજવ્યો હતો. પણ સિદ્ધરાજે કદી કોઇ ધર્મ સાથે પક્ષપાત દાખવ્યો ન હતો. તેણે જૈનો પર મૂકવામાં આવેલા અનેક પ્રતિબંધો નાબુદ કર્યા. 

મુસ્લિમો પ્રત્યે પણ તેણે સમભાવ દાખવ્યો છે. તેના સમયમાં ખંભાતમાં કેટલાક હિન્દુ અને જૈનધર્મના લોકોએ મુસ્લિમો પર હુમલો કર્યો હતો અને તેમની મસ્જિદ તોડી નાખી હતી. આ રમખાણમાં એંસી વ્યક્તિ માર્યા ગયા હતાં. મુસલમાનોના ઇમામ ખતીબઅલી પાટણ ગયાં અને પોતાની ફરિયાદ એક કવિતાના સ્વરૂપમાં રજૂ કરી. સિદ્ધરાજે તેમની ફરિયાદની નોંધ લઇને ગુપ્તવેશે ખંભાત આવી જાતતપાસ હાથ ધરી. તેમની ફરિયાદ સાચી જણાતા તેણે દોષિતોને દંડ કર્યો તેમ જ મસ્જિદ બનાવવા માટે એક લાખ બલોતરા (સ્થાનિક સિકકા) આપ્યાં.  આ બાબત એટલે વધુ મહત્વની બને છે કારણ કે સિદ્ધરાજના દાદા ભીમદેવ પહેલાના સમયમાં મુસ્લિમ આક્રંતાઓએ સિદ્ધરાજના પરિવારના આરાધ્યદેવ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેને ભાંગ્યું હતું. આમ છતાં તેણે દાખવેલી ઉદારતા તેની ધર્મસહિષ્ણુતા અને ન્યાયપ્રિયતાની સાખ પૂરે છે.

મીનળદેવી સિદ્ધરાજના પિતા કર્ણદેવની પટરાણી હતી. કર્ણદેવની અન્ય પત્નીઓ વિશે કોઇ ઉલ્લેખ નથી. આથી માની લેવાય છે કે મીનળદેવી કર્ણદેવની એકમાત્ર પત્ની કે પુત્રવતી પત્ની હશે. મીનળદેવી દક્ષિણના કોઇ ચૌલુક્ય સામંતનાં પુત્રી હતાં. તેઓ અત્યંત મેધાવી અને રાજનીતિના કુશળ હતાં. સિદ્ધરાજની બાલ્યાવસ્થામાં રાજમાતા તરીકે તેમણે કારભાર ચલાવ્યો હતો. જયસિંહ અને મીનળદેવી વચ્ચે ખુબ જ આત્મીય સંબંધ હતાં. મીનળદેવી સિદ્ધરાજના મુખ્ય સલાહકાર અને પ્રેરણામૂર્તિ હતાં. કેટલાકના મતે મીનળદેવીએ પોતાની રાજનૈતિક મહત્વકાંશા સિદ્ધરાજના દ્વારા સંપૂર્ણ કરી હતી. સિદ્ધરાજના દરેક અગત્યના નિર્ણયમાં મીનળદેવીની સંમતિ રહેતી.

મીનળદેવીની છાપ એક પરગજું અને પ્રજાવત્સલ રાજમાતા તરીકેની હતી. જાણીતી કથામુજબ એક વાર મીનળદેવી સોમનાથની જાત્રાએ જાય છે. રસ્તામાં તેમને કેટલાક ગરીબ યાત્રાળુઓ મળે છે, જેઓ પૈસા ન હોવાને કારણે સોમનાથનો યાત્રાવેરો ભરી શકતાં નથી અને દર્શન કર્યા વગર રોતાં કકળાતા પાછા ફરે છે. મીનળદેવીનું હ્રદય દ્રવી ઉઠે છે અને તેઓ પણ સોમનાથની યાત્રા કર્યા વગર પાછા ફરે છે. તેઓ જયસિંહને જણાવે છે કે જ્યાં સુધી રાજ્યની ગરીબ પ્રજા સોમનાથના દર્શન ન કરી શકે ત્યાં સુધી તેઓ અન્નજળનો ત્યાગ કરે છે. સિદ્ધરાજને આ વાતની ખબર પડતા તાત્કાલીક અસરથી સોમનાથનો યાત્રાવેરો નાબુદ કરે છે. આ લોકહીતના પગલાંને કારણે બન્નેની પ્રજામાં લોકપ્રિયતા વધે છે. મીનળદેવી સિદ્ધરાજની યશગાથાને પોતાની નજર સમક્ષ જોવે છે. સિદ્ધરાજના માળવા વિજય બાદ ખુબજ પાકટ વયે ઇ.સ. ૧૧૩૫માં તેમનું અવસાન થયું હતું.

સોલંકી સત્તને દ્રઢ કરવામાં તેનાં મંત્રીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વળી, સિદ્ધરાજની બાળાવસ્થા દરમિયાન રાજ્યવહીવટ તેના મંત્રીઓને હસ્તગત હતો. આથી સિદ્ધરાજે સત્તા પોતાના હાથમાં કેન્દ્રીત કરવા ઘણી મહેનત કરવી પડી છે. તેનો સહુ પ્રથમ મંત્રી હતો સાન્તુ, જેણે મીનળદેવીને રાજ્ય ચલાવવામાં દદ કરી હતી. સાન્તુએ માલવપતિ સાથે સંધી કરીને પાટણને બચાવ્યું હતું. જોકે સિદ્ધરાજ સાથે સમય જતાં તેના સંબંધો બગડ્યાં. સિદ્ધરાજ જયસિંહે સત્તા પોતાના હાથમાં લેતાં જ સાન્તુ નારાજ થઇને માલવપતો સાથે ભળવા નીકળી ગયો. પાછળાથી જયસિંહે તેમની માફી માંગી તેને પરત બોલાવ્યોં. પણ રસ્તામાં ઉદયપુર નજીક ઇ.સ. ૧૧૨૩માં તેનું અવસાન થયું. કેટલાક લોકોના મતે આ મૃત્યુ કુદરતી ન હતું અને જયસિંહે તેને મારી નંખાવ્યો હોય તેમ માને છે.

સિદ્ધરાજ જયસિંહના અન્ય મંત્રીઓમાં મુંજાલ મહેતાનો સમાવેશ થાય છે. તેને મહાઅમાત્યનું પદ મળ્યું હતું. માળવાવિજય પછી મુંજાલે જ જયસિંહને માલવપતિ યશોવર્માની હત્યા કરતાં રોક્યાં હતાં. 

સાન્તુ પછી આસુક કે આશ્વક ઇ.સ. ૧૧૨૩માં મંત્રી બન્યો. તેના બાદ ગાગીલ મંત્રી બન્યો. એક વિશેષ નામ છે દાદકનું જે ઇ.સ. ૧૧૩૬ અને ઇ.સ. ૧૧૩૮માં મંત્રી બન્યો. તેણે જયસિંહને દરેક મહત્વના યુદ્ધમાં સાથ આપ્યો. આ ઉપરાંત અંબાપ્રસાદ અને કાક વગેરે તેના બ્રાહ્મણમંત્રીઓ હતાં. ખંભાતના સૂબા ઉદયન મહેતા તેમની જૈનધર્મ પ્રત્યેના પક્ષપાતને કારણે સિદ્ધરાજના રોષની અવગણનાનો ભોગ બન્યાં હતાં.

જયસિંહ અપુત્ર હતો. તેની એક જ પુત્રી હતી, કાંચનદેવી કે જેનો વિવાહ અજમેરના ચાહમાન રાજવી સાથે થયો હતો. કાંચનદેવીના પુત્ર સોમેશ્વરને સિદ્ધરાજે પોતાના પુત્રવત પાટણમાં રાખ્યો હતો. પાછલી અવસ્થામાં પુત્ર ન હોવાને કારણે સિદ્ધરાજને અત્યંત વસવસો હતો. તેણે અનેક દાન, તીર્થ, યજ્ઞ વગેરે કર્યા, પણ તેને પુત્ર ન મળ્યો. પોતાના પરિવારના હરિફ શાખાના કુમારપાળને તે વારસદાર બનતાં રોકવા ઇચ્છતો હતો. આથી કુમારપાળને તેણે દેશનિકાલ કર્યો હતો. જોકે સિદ્ધરાજનાં મૃત્યુબાદ ઉભા થયેલાં ઝંઝાવટમાં કુમારપાળ સિદ્ધરાજ પછી ગાદીએ આવ્યો. ઇ.સ. ૧૧૪૩માં વિક્રમસંવત ૧૧૯૯ના કાર્તિક સુદ બીજના રોજ સિદ્ધરાજનું અવસાન થયું.

પાછળની અમુક દંતકથાઓમાં સિદ્ધરાજની ઘણી નીંદા કરવામાં આવી છે. જસમા ઓડણની ગરબી જેવી રચનાઓમાં તેને કામી અને જુલમગાર દાખવ્યો છે તેમજ રાણકદેવીના કિસ્સામાં તેની ઘણી ટીકાઓ થઇ છે.




#Article 195: ગઢડા (139 words)


ગઢડા ગુજરાતનાં બોટાદ જિલ્લાનું નગર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે.

વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ-બોટાદ ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડાથી રેલ્વેલાઇન નજીકમાં નીંગાળા અને ઢસામાં છે.

ભગવાન સ્વામિનારાયણે અહિં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તીર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું.

આ મંદિરમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. જે મકાનો ઉતરાદા બારના ઓરડા તથા દક્ષીના બારના ઓરડા તરિકે ઓળખાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તે અક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે.

 




#Article 196: મૂડીવાદ (192 words)


મૂડીવાદ સામન્યત: તે આર્થિક પ્રણાલી અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. આને ક્યારેક વ્યક્તિગત માલિકી કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં વ્યક્તિગતનો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી સિવાય ખાનગી સ્તર પર માલિકી વાળા કોઈ પણ આર્થિક તંત્રને મૂડીવાદી તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી (મૂડીવાદી) તંત્ર નફા માટે ચલાવવામાં આવે છે, જેમાં રોકાણ, વિતરણ, આવક, ઉત્પાદન મૂલ્ય, બજાર મૂલ્ય, વિગેરેનું નિર્ધારણ મુક્ત બજારમાં પ્રતિસ્પર્ધા દ્વારા નિર્ધારિત થાય છે.

મૂડીવાદનો સિદ્દાંત સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ ના ફળસ્વરૂપ કાર્લ માર્ક્સ ના સિદ્ધાંતની વ્યાખ્યાના સંદર્ભમાં આવ્યો. ૧૯મી સદીમાં અમુક જર્મન સિદ્ધાંતકારોએ આ અવધારણાને વિકસિત કરવો શુરુ કર્યો જે કાર્લ માર્ક્સના મૂડી અને વ્યાજના સિદ્ધાંતથી હટીને હતો. વીસમી સદીના આરંભમાં મેક્સ વેબરે આ અવધારણાને એક સકારાત્મક રીતે સે વ્યાખ્યાયિત કરી. શીત યુદ્ધ દરમ્યાન મૂડીવાદની અવધારણાને લઈ ખૂબ વિવાદ ચાલ્યો.

મૂડીવાદી આર્થિક તંત્રને યુરોપમાં સંસ્થાગત ઢાંચાનું રૂપ સોળમી સદીમાં મળવું શરૂ થયું. જોકે મૂડીવાદી પ્રણાલીના પ્રમાણ પ્રાચીન સભ્યતાઓમાં પણ મળે છે પરંતુ આધુનિક યુરોપમાં વધુ પડતી અર્થવ્યસ્થાઓ સામંતવાદી વ્યવસ્થાના ક્ષરણ પછી હવે મૂડીવાદી થઈ ચુકી છે.




#Article 197: સત્યજીત રે (3625 words)


સત્યજીત રાય (બંગાળી:  શૉત્તોજિત્ રાય્) (૨ મે ૧૯૨૧–૨૩ એપ્રિલ ૧૯૯૨) એક ભારતીય ફિલ્મ નિર્દેશક હતા, જેમને ૨૦મી સદીના શ્રે‍ષ્ઠ ફ઼િલ્મ નિર્દેશકોમાં ગણવામાં આવે છે. એમનો જન્મ કોલકાતા (ત્યારે કલકત્તા)માં કલા અને સાહિત્યની દુનિયામાં જાણીતા એક    બંગાળી પરિવારમાં થયો હતો. એમણે  પ્રેસિડેંસી કૉલેજ, કોલકાતા અને વિશ્વ-ભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. એમણે પોતાની કારર્કિદીની શરુઆત વ્યાપારી કલાકાર ચિત્રકાર તરીકે જ કરી હતી. તેઓફ્રાન્સના ફિલ્મ નિર્દેશક જ઼ાઁ રન્વારને મળ્યા પછી અને લંડનમાં ઇટાલિયન ફિલ્મ લાદ્રી દી બિસિક્લેત્તે (Ladri di biciclette, સાઇકલ ચોર) જોયા પછી ફિલ્મ નિર્દેશન બાજુ ખેંચાયા. 

રાયે પોતાના જીવન માં ૩૬ ફિલ્મો નુ નિર્દેશન કર્યુ, જેમા ફ઼ીચર ફ઼િલ્મો, વૃત્ત ચિત્ર અને લઘુ ફ઼િલ્મો પણછે.એમની પહેલી ફ઼િલ્મ પથેર પાંચાલી (પથેર પાઁચાલી, રસ્તા નુ ગીત) ને કાન ફ઼િલ્મોત્સવ મા મળેલ “સર્વોત્તમ માનવીય પ્રલેખ” પુરસ્કાર ને ગણીને કુલ અગિયાર અન્તરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા.૤ આ ફ઼િલ્મ અપરાજિતો (અપરાજિત) અને અપુર સંસાર (અપુર સંસાર, અપુ નો સંસાર) મળીને  અપુ ત્રયી પ્રસિદ્ધ થયેલ છે.૤ રાય ફ઼િલ્મ નિર્માણ ને સંબંધી કેટલાય કામો જાતે કરાતા હતા — પટકથા , અભિનેતા ની શોધ, પાર્શ્વ સંગીત લખાણ, ચલચિત્રણ, કલા નિર્દેશન, સંપાદન અને પ્રચાર સામગ્રી ની રચના કરવી૤. ફ઼િલ્મો બનાવવા ઉપરોક્ત તેઅો વાર્તાકાર, પ્રકાશક, ચિત્રકાર અને ફ઼િલ્મ સમીક્ષક   પણ હતા.૤ રાય ને એમના જીવનકાળ દરમિયાન ઘણા પુરસ્કાર મળ્યા, જેમાઅકાદમી પુરસ્કાર અને ભારત રત્ન  નો સમાવેશ થાય છે.૤

સત્યજિત રાય કે વંશ કી કમ સે કમ દસ પીઢ઼િયોં પહલે તક કી જાનકારી મૌજૂદ હૈ૤ ઇનકે દાદા ઉપેન્દ્રકિશોર રાય ચૌધરી લેખક, ચિત્રકાર, દાર્શનિક, પ્રકાશક ઔર અપેશેવર ખગોલશાસ્ત્રી થે૤ યે સાથ હી બ્રાહ્મ સમાજ કે નેતા ભી થે૤ ઉપેન્દ્રકિશોર કે બેટે સુકુમાર રાય ને લકીર સે હટકર બાંગ્લા મેં બેતુકી કવિતા લિખી૤ યે યોગ્ય ચિત્રકાર ઔર આલોચક ભી થે૤ સત્યજિત રાય સુકુમાર ઔર સુપ્રભા રાય કે બેટે થે૤ ઇનકા જન્મ કોલકાતા મેં હુઆ૤ જબ સત્યજિત કેવલ તીન વર્ષ કે થે તો ઇનકે પિતા ચલ બસે૤ ઇનકે પરિવાર કો સુપ્રભા કી મામૂલી તન્ખ઼્વાહ પર ગુજ઼ારા કરના પડ઼ા૤ રાય ને કોલકાતા કે પ્રેસિડેન્સી કાલેજ સે અર્થશાસ્ત્ર પઢ઼ા, લેકિન ઇનકી રુચિ હમેશા લલિત કલાઓં મેં હી રહી૤ 1940 મેં ઇનકી માતા ને આગ્રહ કિયા કિ યે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા સ્થાપિત વિશ્વ-ભારતી વિશ્વવિદ્યાલય મેં આગે પઢ઼ેં૤ રાય કો કોલકાતા કા માહૌલ પસન્દ થા ઔર શાન્તિનિકેતન કે બુદ્ધિજીવી જગત સે યે ખાસ પ્રભાવિત નહીં થે૤ માતા કે આગ્રહ ઔર ઠાકુર કે પ્રતિ ઇનકે આદર ભાવ કી વજહ સે અંતતઃ ઇન્હોંને વિશ્વ-ભારતી જાને કા નિશ્ચય કિયા૤ શાન્તિનિકેતન મેં રાય પૂર્વી કલા સે બહુત પ્રભાવિત હુએ૤ બાદ મેં ઇન્હોંને સ્વીકાર કિયા કિ પ્રસિદ્ધ ચિત્રકાર નન્દલાલ બોસ ઔર બિનોદ બિહારી મુખર્જી સે ઇન્હોંને બહુત કુછ સીખા૤ મુખર્જી કે જીવન પર ઇન્હોંને બાદ મેં એક વૃત્તચિત્ર ભી બનાયા૤ અજન્તા, એલોરા ઔર એલિફેંટા કી ગુફાઓં કો દેખને કે બાદ યે ભારતીય કલા કે પ્રશંસક બન ગએ૤

રાય ને દો નએ ફૉન્ટ ભી બનાએ — “રાય રોમન” ઔર “રાય બિજ઼ાર”૤ રાય રોમન કો 1970 મેં એક અન્તરરાષ્ટ્રીય પ્રતિયોગિતા મેં પુરસ્કાર મિલા૤ કોલકાતા મેં રાય એક કુશલ ચિત્રકાર માને જાતે થે૤ રાય અપની પુસ્તકોં કે ચિત્ર ઔર મુખપૃષ્ઠ ખુદ હી બનાતે થે ઔર ફ઼િલ્મોં કે લિએ પ્રચાર સામગ્રી કી રચના ભી ખુદ હી કરતે થે૤

ફ઼િલ્મોં મેં મિલી સફલતા સે રાય કા પારિવારિક જીવન મેં અધિક પરિવર્તન નહીં આયા૤ વે અપની માઁ ઔર પરિવાર કે અન્ય સદસ્યોં કે સાથ હી એક કિરાએ કે મકાન મેં રહતે રહે૤ 1960 કે દશક મેં રાય ને જાપાન કી યાત્રા કી ઔર વહાઁ જાને-માને ફિલ્મ નિર્દેશક અકીરા કુરોસાવા સે મિલે૤ ભારત મેં ભી વે અક્સર શહર કે ભાગમ-ભાગ વાલે માહૌલ સે બચને કે લિએ દાર્જીલિંગ યા પુરી જૈસી જગહોં પર જાકર એકાન્ત મેં કથાનક પૂરે કરતે થે૤

રાય ને નિશ્ચય કર રખા થા કિ ઉનકી પહલી ફ઼િલ્મ બાંગ્લા સાહિત્ય કી પ્રસિદ્ધ બિલ્ડુંગ્સરોમાન પથેર પાંચાલી પર આધારિત હોગી, જિસે બિભુતિભૂષણ બંદ્યોપાધ્યાય ને 1928 મેં લિખા થા૤ ઇસ અર્ધ-આત્મકથાત્મક ઉપન્યાસ મેં એક બંગાલી ગાંવ કે લડ઼કે અપુ કે બડ઼ે હોને કી કહાની હૈ૤ રાય ને લંદન સે ભારત લૌટતે હુએ સમુદ્રયાત્રા કે દૌરાન ઇસ ફ઼િલ્મ કી રૂપરેખા તૈયાર કી૤ ભારત પહુઁચને પર રાય ને એક કર્મીદલ એકત્રિત કિયા જિસમેં કૈમરામૈન સુબ્રત મિત્ર ઔર કલા નિર્દેશક બંસી ચન્દ્રગુપ્તા કે અલાવા કિસી કો ફ઼િલ્મોં કા અનુભવ નહીં થા૤ અભિનેતા ભી લગભગ સભી ગૈરપેશેવર થે૤ ફ઼િલ્મ કા છાયાંકન 1952 મેં શુરુ હુઆ૤ રાય ને અપની જમાપૂંજી ઇસ ફ઼િલ્મ મેં લગા દી, ઇસ આશા મેં કિ પહલે કુછ શૉટ લેને પર કહીં સે પૈસા મિલ જાએગા, લેકિન ઐસા નહીં હુઆ૤ પથેર પાંચાલી કા છાયાંકન તીન વર્ષ કે લમ્બે સમય મેં હુઆ — જબ ભી રાય યા નિર્માણ પ્રબંધક અનિલ ચૌધરી કહીં સે પૈસોં કા જુગાડ઼ કર પાતે થે, તભી છાયાંકન હો પાતા થા૤ રાય ને ઐસે સ્રોતોં સે ધન લેને સે મના કર દિયા જો કથાનક મેં પરિવર્તન કરાના ચાહતે થે યા ફ઼િલ્મ નિર્માતા કા નિરીક્ષણ કરના ચાહતે થે૤ 1955 મેં પશ્ચિમ બંગાલ સરકાર ને ફ઼િલ્મ કે લિએ કુછ ઋણ દિયા જિસસે આખિરકાર ફ઼િલ્મ પૂરી હુઈ૤ સરકાર ને ભી ફ઼િલ્મ મેં કુછ બદલાવ કરાને ચાહે (વે ચાહતે થે કિ અપુ ઔર ઉસકા પરિવાર એક “વિકાસ પરિયોજના” મેં શામિલ હોં ઔર ફ઼િલ્મ સુખાન્ત હો) લેકિન સત્યજિત રાય ને ઇસપર કોઈ ધ્યાન નહીં દિયા૤ 

પથેર પાંચાલી 1955 મેં પ્રદર્શિત હુઈ ઔર બહુત લોકપ્રિય રહી૤ ભારત ઔર અન્ય દેશોં મેં ભી યહ લમ્બે સમય તક સિનેમા મેં લગી રહી૤ ભારત કે આલોચકોં ને ઇસે બહુત સરાહા૤ દ ટાઇમ્સ ઑફ઼ ઇંડિયા ને લિખા — “ઇસકી કિસી ઔર ભારતીય સિનેમા સે તુલના કરના નિરર્થક હૈ૤ [...] પથેર પાંચાલી તો શુદ્ધ સિનેમા હૈ૤” અમરીકા મેં લિંડસી એંડરસન ને ફ઼િલ્મ કે બારે મેં બહુત અચ્છી સમીક્ષા લિખી૤ લેકિન સભી આલોચક ફ઼િલ્મ કે બારે મેં ઇતને ઉત્સાહિત નહીં થે૤ ફ઼્રાંસ્વા ત્રૂફ઼ો ને કહા — “ગંવારોં કો હાથ સે ખાના ખાતે હુએ દિખાને વાલી ફ઼િલ્મ મુઝે નહીં દેખની૤” ન્યૂ યૉર્ક ટાઇમ્સ કે પ્રભાવશાલી આલોચક બૉજ઼્લી ક્રાઉથર ને ભી પથેર પાંચાલી કે બારે મેં બહુત બુરી સમીક્ષા લિખી૤ ઇસકે બાવજૂદ યહ ફ઼િલ્મ અમરીકા મેં બહુત સમય તક ચલી૤ 

રાય કી અગલી ફ઼િલ્મ અપરાજિતો કી સફલતા કે બાદ ઇનકા અન્તરરાષ્ટ્રીય કૈરિયર પૂરે જોર-શોર સે શુરુ હો ગયા૤ ઇસ ફ઼િલ્મ મેં એક નવયુવક (અપુ) ઔર ઉસકી માઁ કી આકાંક્ષાઓં કે બીચ અક્સર હોને વાલે ખિંચાવ કો દિખાયા ગયા હૈ૤ મૃણાલ સેન ઔર ઋત્વિક ઘટક સહિત કઈ આલોચક ઇસે પહલી ફ઼િલ્મ સે બેહતર માનતે હૈં૤ અપરાજિતો કો વેનિસ ફ઼િલ્મોત્સવ મેં સ્વર્ણ સિંહ (Golden Lion) સે પુરસ્કૃત કિયા ગયા૤ અપુ ત્રયી પૂરી કરને સે પહલે રાય ને દો ઔર ફ઼િલ્મેં બનાઈં — હાસ્યપ્રદ પારશ પત્થર ઔર જંમીદારોં કે પતન પર આધારિત જલસાઘર૤ જલસાઘર કો ઇનકી સબસે મહત્ત્વપૂર્ણ કૃતિયોં મેં ગિના જાતા હૈ૤

અપરાજિતો બનાતે હુએ રાય ને ત્રયી બનાને કા વિચાર નહીં કિયા થા, લેકિન વેનિસ મેં ઉઠે એક પ્રશ્ન કે બાદ ઉન્હેં યહ વિચાર અચ્છા લગા૤ ઇસ શૃંખલા કી અન્તિમ કડ઼ી અપુર સંસાર 1959 મેં બની૤ રાય ને ઇસ ફ઼િલ્મ મેં દો નએ અભિનેતાઓં, સૌમિત્ર ચટર્જી ઔર શર્મિલા ટૈગોર, કો મૌકા દિયા૤ ઇસ ફ઼િલ્મ મેં અપુ કોલકાતા કે એક સાધારણ મકાન મેં ગરીબી મેં રહતા હૈ ઔર અપર્ણા કે સાથ વિવાહ કર લેતા હૈ, જિસકે બાદ ઇન્હેં કઈ કઠિનાઇયોં કા સામના કરના પડ઼તા હૈ૤ પિછલી દો ફ઼િલ્મોં કી તરહ હી કુછ આલોચક ઇસે ત્રયી કી સબસે બઢ઼િયા ફ઼િલ્મ માનતે હૈં (રાબિન વુડ ઔર અપર્ણા સેન)૤ જબ એક બંગાલી આલોચક ને અપુર સંસાર કી કઠોર આલોચના કી તો રાય ને ઇસકે પ્રત્યુત્તર મેં એક લમ્બા લેખ લિખા૤

ઇસ અવધિ મેં રાય ને કઈ વિષયોં પર ફ઼િલ્મેં બનાઈં, જિનમેં શામિલ હૈં, બ્રિટિશ કાલ પર આધારિત દેવી (દેબી), રવીન્દ્રનાથ ઠાકુર પર એક વૃત્તચિત્ર, હાસ્યપ્રદ ફ઼િલ્મ મહાપુરુષ (મહાપુરુષ) ઔર મૌલિક કથાનક પર આધારિત ઇનકી પહલી ફ઼િલ્મ કંચનજંઘા (કાઞ્ચનજઙ્ઘા)૤ ઇસી દૌરાન ઇન્હોને કઈ ઐસી ફ઼િલ્મેં બનાઈં, જિન્હેં સાથ મિલાકર ભારતીય સિનેમા મેં સ્ત્રિયોં કા સબસે ગહરા ચિત્રાંકન માના જાતા હૈ૤

અપુર સંસાર કે બાદ રાય કી પહલી ફ઼િલ્મ થી દેવી, જિસમેં ઇન્હોંને હિંદુ સમાજ મેં અંધવિશ્વાસ કે વિષય કો ટટોલા હૈ૤ શર્મિલા ટૈગોર ને ઇસ ફ઼િલ્મ કે મુખ્ય પાત્ર દયામયી કી ભૂમિકા નિભાઈ, જિસે ઉસકે સસુર કાલી કા અવતાર માનતે હૈં૤ રાય કો ચિન્તા થી કિ ઇસ ફ઼િલ્મ કો સેંસર બોર્ડ સે શાયદ સ્વીકૃતિ નહીં મિલે, યા ઉન્હે કુછ દૃશ્ય કાટને પડ઼ેં, લેકિન ઐસા નહીં હુઆ૤ 1961 મેં પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ કે આગ્રહ પર રાય ને ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર કી જન્મ શતાબ્દી કે અવસર પર ઉનકે જીવન પર એક વૃત્તચિત્ર બનાયા૤ ઠાકુર કે જીવન કા ફ઼િલ્માંકન બહુત કમ હી હુઆ થા, ઇસલિએ રાય કો મુખ્યતઃ સ્થિર ચિત્રોં કા પ્રયોગ કરના પડ઼ા, જિસમેં ઉનકે અનુસાર તીન ફ઼ીચર ફ઼િલ્મોં જિતના પરિશ્રમ હુઆ૤ ઇસી સાલ મેં રાય ને સુભાષ મુખોપાધ્યાય ઔર અન્ય લેખકોં કે સાથ મિલકર બચ્ચોં કી પત્રિકા સન્દેશ કો પુનર્જીવિત કિયા૤ ઇસ પત્રિકા કી શુરુઆત ઇનકે દાદા ને શુરુ કી થી ઔર બહુત સમય સે રાય ઇસકે લિએ ધન જમા કરતે આ રહે થે૤ સન્દેશ કા બાંગ્લા મેં દોતરફા મતલબ હૈ — એક ખ઼બર ઔર દૂસરા મિઠાઈ૤ પત્રિકા કો ઇસી મૂલ વિચાર પર બનાયા ગયા — શિક્ષા કે સાથ-સાથ મનોરંજન૤ રાય શીઘ્ર હી ખ઼ુદ પત્રિકા મેં ચિત્ર બનાને લગે ઔર બચ્ચોં કે લિયે કહાનિયાઁ ઔર નિબન્ધ લિખને લગે૤ આને વાલે વર્ષોં મેં લેખન ઇનકી જીવિકા કા પ્રમુખ સાધન બન ગયા૤

ચારુલતા કે બાદ કે કાલ મેં રાય ને વિવિધ વિષયોં પર આધારિત ફ઼િલ્મેં બનાઈં, જિનમેં શામિલ હૈં, કલ્પનાકથાએઁ, વિજ્ઞાનકથાએઁ, ગુપ્તચર કથાએઁ ઔર ઐતિહાસિક નાટક૤ રાય ને ફ઼િલ્મોં મેં નયી તકનીકોં પર પ્રયોગ કરના ઔર ભારત કે સમકાલીન વિષયોં પર ધ્યાન દેના શુરુ કિયા૤ ઇસ કાલ કી પહલી મુખ્ય ફ઼િલ્મ થી નાયક (નાય઼ક), જિસમેં એક ફ઼િલ્મ અભિનેતા (ઉત્તમ કુમાર) રેલ મેં સફર કરતે હુએ એક મહિલા પત્રકાર (શર્મિલા ટૈગોર) સે મિલતા હૈ૤ 24 ઘણ્ટે કી ઘટનાઓં પર આધારિત ઇસ ફ઼િલ્મ મેં ઇસ પ્રસિદ્ધ અભિનેતા કે મનોવિજ્ઞાન કા અન્વેષણ કિયા ગયા હૈ૤ બર્લિન મેં ઇસ ફ઼િલ્મ કો આલોચક પુરસ્કાર મિલા, લેકિન અન્ય પ્રતિક્રિયાએઁ અધિક ઉત્સાહપૂર્ણ નહીં રહીં૤

ઇસકે બાદ રાય ને સમસામયિક બંગાલી વાસ્તવિકતા પર ધ્યાન દેના શુરુ કિયા૤ બંગાલ મેં ઉસ સમય નક્સલવાદી ક્રાંતિ જોર પકડ઼ રહી થી૤ ઐસે સમય મેં નવયુવકોં કી માનસિકતા કો લેકર ઇન્હોંને કલકત્તા ત્રયી કે નામ સે જાને વાલી તીન ફ઼િલ્મેં બનાઈં — પ્રતિદ્વંદ્વી (પ્રતિદ્બન્દ્બી) (1970), સીમાબદ્ધ (સીમાબદ્ધ) (1971) ઔર જનઅરણ્ય (જનઅરણ્ય) (1975)૤ ઇન તીનોં ફ઼િલ્મોં કી કલ્પના અલગ-અલગ હુઈ લેકિન ઇનકે વિષય સાથ મિલાકર એક ત્રયી કા રૂપ લેતે હૈં૤ પ્રતિદ્વંદ્વી એક આદર્શવાદી નવયુવક કી કહાની હૈ જો સમાજ સે મોહ-ભંગ હોને પર ભી અપને આદર્શ નહીં ત્યાગતા હૈ૤ ઇસમેં રાય ને કથા-વર્ણન કી એક નયી શૈલી અપનાઈ, જિસમેં ઇન્હોંને નેગેટિવ મેં દૃશ્ય, સ્વપ્ન દૃશ્ય ઔર આકસ્મિક ફ઼્લૈશ-બૈક કા ઉપયોગ કિયા૤ જનઅરણ્ય ફ઼િલ્મ મેં એક નવયુવક કી કહાની હૈ જો જીવિકા કમાને કે લિએ ભ્રષ્ટ રાહોં પર ચલને લગતા હૈ૤ સીમાબદ્ધ મેં એક સફલ યુવક અધિક ધન કમાને કે લિએ અપની નૈતિકતા છોડ઼ દેતા હૈ૤ રાય ને 1970 કે દશક મેં અપની દો લોકપ્રિય કહાનિયોં — સોનાર કેલ્લા (સોનાર કેલ્લા, સ્વર્ણ કિલા) ઔર જૉય બાબા ફેલુનાથ (જય઼ બાબા ફેલુનાથ) — કા ફ઼િલ્માંકન કિયા૤ દોનોં ફ઼િલ્મેં બચ્ચોં ઔર બડ઼ોં દોનોં મેં બહુત લોકપ્રિય રહીં૤

રાય ને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પર ભી એક ફ઼િલ્મ બનાને કી સોચી, લેકિન બાદ મેં યહ વિચાર ત્યાગ દિયા ક્યોંકિ ઉન્હેં રાજનીતિ સે અધિક શરણાર્થિયોં કે પલાયન ઔર હાલત કો સમઝને મેં અધિક રુચિ થી૤ 1977 મેં રાય ને મુંશી પ્રેમચન્દ કી કહાની પર આધારિત શતરંજ કે ખિલાડ઼ી ફ઼િલ્મ બનાઈ૤ યહ ઉર્દૂ ભાષા કી ફ઼િલ્મ 1857 કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે એક વર્ષ પહલે અવધ રાજ્ય મેં લખનઊ શહર મેં કેન્દ્રિત હૈ૤ ઇસમેં ભારત કે ગુલામ બનને કે કારણોં પર પ્રકાશ ડાલા ગયા હૈ૤ ઇસમેં બૉલીવુડ કે બહુત સે સિતારોં ને કામ કિયા, જિનમેં પ્રમુખ હૈં — સંજીવ કુમાર, સઈદ જાફ઼રી, અમજદ ખ઼ાન, શબાના આજ઼મી, વિક્ટર બૈનર્જી ઔર રિચર્જ એટનબરો૤ 1980 મેં રાય ને ગુપી ગાઇન બાઘા બાઇન કી કહાની કો આગે બઢ઼ાતે હુએ હીરક રાજ નામક ફ઼િલ્મ બનાઈ જિસમેં હીરે કે રાજા કા રાજ્ય ઇંદિરા ગાંધી કે આપાતકાલ કે દૌરાન કે ભારત કી ઓર ઇંગિત કરતા હૈ૤ ઇસ કાલ કી દો અન્ય ફ઼િલ્મેં થી — લઘુ ફ઼િલ્મ પિકૂર ડાયરી (પિકૂ કી દૈનન્દિની) યા પિકુ ઔર ઘંટે-ભર લમ્બી હિન્દી ફ઼િલ્મ સદ્ગતિ૤

રાય બહુત સમય સે ઠાકુર કે ઉપન્યાસ ઘરે બાઇરે પર આધારિત ફ઼િલ્મ બનાને કી સોચ રહે થે૤ બીમારી કી વજહ સે ઇસમેં કુછ ભાગ ઉત્કૃષ્ટ નહીં હૈં, લેકિન ફ઼િલ્મ કો સરાહના બહુત મિલી૤ 1987 મેં ઉન્હોંને અપને પિતા સુકુમાર રાય કે જીવન પર એક વૃત્તચિત્ર બનાયા૤ 

રાય કી આખિરી તીન ફ઼િલ્મેં ઉનકી બીમારી કે કારણ મુખ્યતઃ આન્તરિક સ્થાનોં મેં શૂટ હુઈં ઔર ઇસ કારણ સે એક વિશિષ્ટ શૈલી કા અનુસરણ કરતી હૈં૤ ઇનમેં સંવાદ અધિક હૈ ઔર ઇન્હેં રાય કી બાકી ફ઼િલ્મોં સે નિમ્ન શ્રેણી મેં રખા જાતા હૈ૤ ઇનમેં સે પહલી, ગણશત્રુ (ગણશત્રુ), હેનરિક ઇબસન કે પ્રખ્યાત નાટક એન એનિમી ઑફ઼ દ પીપલ પર આધારિત હૈ, ઔર ઇન તીનોં મેં સે સબસે કમજોર માની જાતી હૈ૤ 1990 કી ફ઼િલ્મ શાખા પ્રશાખા (શાખા પ્રશાખા) મેં રાય ને અપની પુરાની ગુણવત્તા કુછ વાપિસ પ્રાપ્ત કી૤ ઇસમેં એક બૂઢ઼ે આદમી કી કહાની હૈ, જિસને અપના પૂરા જીવન ઈમાનદારી સે બિતાયા હોતા હૈ, લેકિન અપને તીન બેટોં કે ભ્રષ્ટ આચરણ કા પતા લગને પર ઉસે કેવલ અપને ચૌથે, માનસિક રૂપ સે બીમાર, બેટે કી સંગત રાસ આતી હૈ૤ રાય કી અંતિમ ફ઼િલ્મ આગન્તુક (આગન્તુક) કા માહૌલ હલ્કા હૈ લેકિન વિષય બહુત ગૂઢ઼ હૈ૤ ઇસમેં એક ભૂલા-બિસરા મામા અપની ભાંજી સે અચાનક મિલને આ પહુઁચતા હૈ, તો ઉસકે આને કે વાસ્તવિક કારણ પર શંકા કી જાને લગતી હૈ૤

સત્યજિત રાય માનતે થે કિ કથાનક લિખના નિર્દેશન કા અભિન્ન અંગ હૈ૤ યહ એક કારણ હૈ જિસકી વજહ સે ઉન્હોંને પ્રારંભ મેં બાંગ્લા કે અતિરિક્ત કિસી ભી ભાષા મેં ફ઼િલ્મ નહીં બનાઈ૤ અન્ય ભાષાઓં મેં બની ઇનકી દોનોં ફ઼િલ્મોં કે લિએ ઇન્હોંને પહલે અંગ્રેજી મેં કથાનક લિખા, જિસે ઇનકે પર્યવેક્ષણ મેં અનુવાદકોં ને હિન્દી યા ઉર્દૂ મેં ભાષાંતરિત કિયા૤ રાય કે કલા નિર્દેશક બંસી ચન્દ્રગુપ્તા કી દૃષ્ટિ ભી રાય કી તરહ હી પૈની થી૤ શુરુઆતી ફ઼િલ્મોં પર ઇનકા પ્રભાવ ઇતના મહત્ત્વપૂર્ણ થા કિ રાય કથાનક પહલે અંગ્રેજી મેં લિખતે થે તાકિ બાંગ્લા ન જાનને વાલે ચન્દ્રગુપ્તા ઉસે સમઝ સકેં૤ શુરુઆતી ફ઼િલ્મોં કે છાયાંકન મેં સુબ્રત મિત્ર કા કાર્ય બહુત સરાહા જાતા હૈ, ઔર આલોચક માનતે હૈં કિ અનબન હોને કે બાદ જબ મિત્ર ચલે ગએ તો રાય કી ફ઼િલ્મોં કે ચિત્રાંકન કા સ્તર ઘટ ગયા૤ રાય ને મિત્ર કી બહુત પ્રશંસા કી, લેકિન રાય ઇતની એકાગ્રતા સે ફિલ્મેં બનાતે થે કિ ચારુલતા કે બાદ સે રાય કૈમરા ખુદ હી ચલાને લગે, જિસકે કારણ મિત્ર ને 1966 સે રાય કે લિએ કામ કરના બંદ કર દિયા૤ મિત્ર ને બાઉંસ-પ્રકાશ કા સર્વપ્રથમ પ્રયોગ કિયા જિસમેં વે પ્રકાશ કો કપડ઼ે પર સે ઉછાલ કર વાસ્તવિક પ્રતીત હોને વાલા પ્રકાશ રચ લેતે થે૤ રાય ને અપને કો ફ઼્રાંસીસી નવ તરંગ કે જ઼ાઁ-લુક ગૉડાર ઔર ફ઼્રાંસ્વા ત્રૂફ઼ો કા ભી ઋણી માનતે થે, જિનકે નએ તકનીકી ઔર સિનેમા પ્રયોગોં કા ઉપયોગ રાય ને અપની ફ઼િલ્મોં મેં કિયા૤ 

હાલાંકિ દુલાલ દત્તા રાય કે નિયમિત ફ઼િલ્મ સંપાદક થે, રાય અક્સર સંપાદન કે નિર્ણય ખુદ હી લેતે થે, ઔર દત્તા બાકી કામ કરતે થે૤ વાસ્તવ મેં આર્થિક કારણોં સે ઔર રાય કે કુશલ નિયોજન સે સંપાદન અક્સર કૈમરે પર હી હો જાતા થા૤ શુરુ મેં રાય ને અપની ફ઼િલ્મોં કે સંગીત કે લિએ લિએ રવિ શંકર, વિલાયત ખ઼ાઁ ઔર અલી અક઼બર ખ઼ાઁ જૈસે ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞોં કે સાથ કામ કિયા, લેકિન રાય કો લગને લગા કિ ઇન સંગીતજ્ઞોં કો ફ઼િલ્મ સે અધિક સંગીત કી સાધના મેં અધિક રુચિ હૈ૤ સાથ હી રાય કો પાશ્ચાત્ય સંગીત કા ભી જ્ઞાન થા જિસકા પ્રયોગ વહ ફ઼િલ્મોં મેં કરના ચાહતે થે૤ ઇન કારણોં સે તીન કન્યા (તિન કન્યા) કે બાદ સે ફ઼િલ્મોં કા સંગીત ભી રાય ખુદ હી રચને લગે૤ રાય ને વિભિન્ન પૃષ્ઠભૂમિ વાલે અભિનેતાઓં કે સાથ કામ કિયા, જિનમેં સે કુછ વિખ્યાત સિતારે થે, તો કુછ ને કભી ફ઼િલ્મ દેખી તક નહીં થી૤ રાય કો બચ્ચોં કે અભિનય કે નિર્દેશન કે લિએ બહુત સરાહા ગયા હૈ, વિશેષત: અપુ એવં દુર્ગા (પાથેર પાંચાલી), રતન (પોસ્ટમાસ્ટર) ઔર મુકુલ (સોનાર કેલ્લા)૤ અભિનેતા કે કૌશલ ઔર અનુભવ કે અનુસાર રાય કા નિર્દેશન કભી ન કે બરાબર હોતા થા (આગન્તુક મેં ઉત્પલ દત્ત) તો કભી વે અભિનેતાઓં કો કઠપુતલિયોં કી તરહ પ્રયોગ કરતે થે (અપર્ણા કી ભૂમિકા મેં શર્મિલા ટૈગોર)૤

રાય કી કૃતિયોં કો માનવતા ઔર સમષ્ટિ સે ઓત-પ્રોત કહા ગયા હૈ૤ ઇનમેં બાહરી સરલતા કે પીછે અક્સર ગહરી જટિલતા છિપી હોતી હૈ૤ ઇનકી કૃતિયોં કો અન્યાન્ય શબ્દોં મેં સરાહા ગયા હૈ૤ અકિરા કુરોસાવા ને કહા, “રાય કા સિનેમા ન દેખના ઇસ જગત મેં સૂર્ય યા ચન્દ્રમા કો દેખે બિના રહને કે સમાન હૈ૤” આલોચકોં ને ઇનકી કૃતિયોં કો અન્ય કઈ કલાકારોં સે તુલના કી હૈ — અંટોન ચેખ઼ફ઼, જ઼ાઁ રન્વાર, વિટ્ટોરિયો દે સિકા, હૉવાર્ડ હૉક્સ, મોત્સાર્ત, યહાઁ તક કિ શેક્સપિયર કે સમતુલ્ય પાયા ગયા હૈ૤ નાઇપૉલ ને શતરંજ કે ખિલાડ઼ી કે એક દૃશ્ય કી તુલના શેક્સપિયર કે નાટકોં સે કી હૈ – “કેવલ તીન સૌ શબ્દ બોલે ગએ, લેકિન ઇતને મેં હી અદ્ભુત ઘટનાએઁ હો ગઈં!” જિન આલોચકોં કો રાય કી ફ઼િલ્મેં સુરુચિપૂર્ણ નહીં લગતીં, વે ભી માનતે હૈં કિ રાય એક સમ્પૂર્ણ સંસ્કૃતિ કી છવિ ફ઼િલ્મ પર ઉતારને મેં અદ્વિતીય થે૤

રાય કી આલોચના મુખ્યતઃ ઇનકી ફ઼િલ્મોં કી ગતિ કો લેકર કી જાતી હૈ૤ આલોચક કહતે હૈં કિ યે એક “રાજસી ઘોંઘે” કી ગતિ સે ચલતી હૈં૤ રાય ને ખુદ માના કિ વે ઇસ ગતિ કે બારે મેં કુછ નહીં કર સકતે, લેકિન કુરોસાવા ને ઇનકા પક્ષ લેતે હુએ કહા, “ઇન્હેં ધીમા નહીં કહા જા સકતા૤ યે તો વિશાલ નદી કી તરહ શાન્તિ સે બહતી હૈં૤” ઇસકે અતિરિક્ત કુછ આલોચક ઇનકી માનવતા કો સાદા ઔર ઇનકે કાર્યોં કો આધુનિકતા-વિરોધી માનતે હૈં ઔર કહતે હૈં કિ ઇનકી ફ઼િલ્મોં મેં અભિવ્યક્તિ કી નઈ શૈલિયાઁ નહીં નજ઼ર આતી હૈં૤ વે કહતે હૈં કિ રાય “માન લેતે હૈં કિ દર્શક ઐસી ફ઼િલ્મ મેં રુચિ રખેંગે જો કેવલ ચરિત્રોં પર કેન્દ્રિત રહતી હૈ, બજાએ ઐસી ફ઼િલ્મ કે જો ઉનકે જીવન મેં નએ મોડ઼ લાતી હૈ૤”

રાય કી આલોચના સમાજવાદી વિચારધારાઓં કે રાજનેતાઓં ને ભી કી હૈ૤ ઇનકે અનુસાર રાય પિછડ઼ે સમુદાયોં કે લોગોં કે ઉત્થાન કે લિએ પ્રતિબદ્ધ નહીં થે, બલ્કિ અપની ફ઼િલ્મોં મેં ગરીબી કા સૌન્દર્યીકરણ કરતે થે૤ યે અપની કહાનિયોં મેં દ્વન્દ્વ ઔર સંઘર્ષ કો સુલઝાને કે તરીકે ભી નહીં સુઝાતે થે૤ 1960 કે દશક મેં રાય ઔર મૃણાલ સેન કે બીચ એક સાર્વજનિક બહસ હુઈ૤ મૃણાલ સેન સ્પષ્ટ રૂપ સે માર્ક્સવાદી થે ઔર ઉનકે અનુસાર રાય ને ઉત્તમ કુમાર જૈસે પ્રસિદ્ધ અભિનેતા કે સાથ ફ઼િલ્મ બનાકર અપને આદર્શોં કે સાથ સમઝૌતા કિયા૤ રાય ને પલટકર જવાબ દિયા કિ સેન અપની ફ઼િલ્મોં મેં કેવલ બંગાલી મધ્યમ વર્ગ કો હી નિશાના બનાતે હૈં ક્યોંકિ ઇસ વર્ગ કી આલોચના કરના આસાન હૈ૤ 1980 મેં સાંસદ એવં અભિનેત્રી નરગિસ ને રાય કી ખુલકર આલોચના કી કિ યે “ગરીબી કી નિર્યાત” કર રહે હૈં, ઔર ઇનસે માઁગ કી કિ યે આધુનિક ભારત કો દર્શાતી હુઈ ફ઼િલ્મેં બનાએઁ૤

રાયે બાંગ્લા ભાષા ના બાળસાહિત્યમાં બે લોકપ્રિય પાત્રોની રચના કરી— ગુપ્તચર ફેલુદા (ફેલુદા) અને વૈજ્ઞાનિક પ્રોફ઼ેસર શંકુ૤એમણે ઘણી લઘુવાર્તાઓ પણ લખી, જે બાર-બાર વાર્તાઓનાં સંગ્રહમાં પ્રકાશિત થઈ હતી, અને એમના નામોમાં હંમેશા બાર(૧૨)ને સંબંધિત શબ્દોની રમત રહેતી૤ ઉદાહરણ તરીકે એકેર પિઠે દુઇ (એકેર પિઠે દુઇ, એકની ઉપર બે)૤ રાયને ઉખાણાં અને બહુઅર્થી શબ્દોની રમતો પ્રત્યે બહુ લગાવ હતો૤ એ એમની વાર્તાઓમાં પણ જોઈ શકાય છે – ફેલુદા ને ઘણીવાર પૂરી વાતને ઊંડાણપૂર્વક સમજવા માટે ઉખાણાં ઉકેલવા પડે છે૤ શેરલોક હોમ્સ અને ડૉક્ટર વૉટસન ની જેમ ફેલુદાની કથાઓનું વર્ણન એનો પિતરાઈ ભાઈ તોપસે કરે છે૤ પ્રોફેસર શંકુ ની વિજ્ઞાનકથાઓ એક રોજનિશી(ડાયરી) ના સ્વરૂપમાં છે,જે શંકુના અચાનક ગાયબ થઈ ગયા પછી મળે છે૤ રાયે આ વાર્તાઓમાં અજ્ઞાત અને રોમાંચક તત્વોને ઊંડાણપૂર્વક તપાસ્યા છે, જે એમની ફિલ્મોમાં નથી જોવા મળતું૤ એમની લગભગ બધી વાર્તાઓ હિન્દી,અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે૤ 

રાયની લગભગ દરેક વાર્તા પણ બાંગ્લા ભાષામાં સાહિત્યિક પત્રિકા એકશાન (એકશાન) માં પ્રકાશિત થઈ ચૂકી છે૤ રાયે 1982 માં આત્મકથા લખી જખન છોટો છિલમ (જ્યારે હું નાનો હતો)૤ એના સિવાય એમણે ફિલ્મોના વિષય પર પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં મુખ્યત્વે છે આવર ફ઼િલ્મ્સ, દેયર ફ઼િલ્મ્સ (Our Films, Their Films, આપણી ફિલ્મો,તેમની ફિલ્મો)૤ 1976 માં પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં રાય દ્વારા લખાયેલાં વિવેચનોનો સંગ્રહ છે૤ એના પહેલા ભાગમાં ભારતીય સિનેમા નું વિવરણ છે, અને બીજો ભાગ હૉલીવુડ પર કેન્દ્રિત છે૤ રાયે ચાર્લી ચૈપલિન અને અકીરા કુરોસાવા જેવા નિર્દેશકોં અને ઇતાલવી નવયથાર્થવાદ જેવા વિષયોં પર વિશેષ ધ્યાન આપ્યું છે૤ 1976 માં જ એમણે બીજું એક પુસ્તક પ્રકાશિત કર્યું — વિષય ચલચિત્ર (બિષય઼ ચલચ્ચિત્ર) જેમાં સિનેમાના વિવિધ પાસાઓ પર એમના ચિંતનનું સંક્ષિપ્ત વર્ણન છે૤ આના સિવાય એમનં બીજું એક પુસ્તક એકેઈ બોલે શૂટિંગ (એકેઇ બલે શુટિં) (1979) અને ફિલ્મો પરનો અન્ય એક નિબંધ પણ પ્રકાશિત થયો છે૤

રાયે નિરર્થક કવિતાઓનું એક સંકલન તોડ઼ાય બાઁધા ઘોડ઼ાર ડિમ (તોડ઼ાય઼ બાઁધા ઘોડ઼ાર ડિમ, ઘોડાનાં ઈંડાઓનું ગુચ્છ) પણ લખ્યું છે,જેમાં લુઇસ કૈરલ ની કવિતા જૈબરવૉકી નો અનુવાદ પણ સામેલ છે૤ એમણે બાંગ્લામાં મુલ્લા નસરુદ્દીન ની વાર્તાઓનો સંગ્રહ પણ પ્રકાશિત કર્યો૤

રાય કો જીવન મેં અનેકોં પુરસ્કાર ઔર સમ્માન મિલે૤ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલય ને ઇન્હેં સમ્માનદાયક ડૉક્ટરેટ કી ઉપાધિયાઁ પ્રદાન કી૤ ચાર્લી ચૈપલિન કે બાદ યે ઇસ સમ્માન કો પાને વાલે પહલે ફ઼િલ્મ નિર્દેશક થે૤ ઇન્હેં 1985 મેં દાદાસાહબ ફાલ્કે પુરસ્કાર ઔર 1987 મેં ફ્રાંસ કે લીજન ઑફ઼ ઑનર પુરસ્કાર સે સમ્માનિત કિયા ગયા૤ મૃત્યુ સે કુછ સમય પહલે ઇન્હેં સમ્માનદાયક અકાદમી પુરસ્કાર ઔર ભારત કા સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન પ્રદાન કિયે ગએ૤ મરણોપરાંત સૈન ફ઼્રૈંસિસ્કો અન્તરરાષ્ટ્રીય ફ઼િલ્મોત્સવ મેં ઇન્હેં નિર્દેશન મેં જીવન-પર્યન્ત ઉપલબ્ધિ-સ્વરૂપ અકિરા કુરોસાવા પુરસ્કાર મિલા જિસે ઇનકી ઓર સે શર્મિલા ટૈગોર ને ગ્રહણ કિયા૤

સત્યજિત રાય ભારત ઔર વિશ્વભર કે બંગાલી સમુદાય કે લિએ એક સાંસ્કૃતિક પ્રતીક હૈં૤ બંગાલી સિનેમા પર રાય ને અમિટ છાપ છોડ઼ી હૈ૤ બહુત સે બાંગ્લા નિર્દેશક ઇનકે કાર્ય સે પ્રેરિત હુએ હૈં — અપર્ણા સેન, ઋતુપર્ણ ઘોષ, ગૌતમ ઘોષ, તારિક઼ મસૂદ ઔર તન્વીર મુકમ્મલ૤ ભારતીય સિનેમા પર ઇનકે પ્રભાવ કો હર શૈલી કે નિર્દેશક માનતે હૈં, જિનમેં બુદ્ધદેવ દાસગુપ્તા, મૃણાલ સેન ઔર અદૂર ગોપાલકૃષ્ણન્ શામિલ હૈં૤ ભારત કે બાહર ભી માર્ટિન સોર્સીસી, જેમ્સ આઇવરી, અબ્બાસ કિયારોસ્તામી ઔર એલિયા કાજ઼ાન જૈસે નિર્દેશક ભી ઇનકી શૈલી સે પ્રભાવિત હુએ હૈં૤ ઇરા સૈક્સ કી ફ઼િલ્મ ફ઼ૉર્ટી શેડ્સ ઑફ઼ બ્લુ (Forty Sheds of Blue, ચાલીસ તરહ કે નીલે રંગ) બહુત કુછ ચારુલતા પર આધારિત થી૤ રાય કી કૃતિયોં કે હવાલે અન્ય કઈ ફ઼િલ્મોં મેં મિલતે હૈં, જૈસે સેક્રેડ ઈવિલ (Sacred Evil, પાવન દુષ્ટતા), દીપા મહતા કી તત્વ ત્રયી ઔર જ઼ાઁ-લુક ગૉડાર કી કઈ કૃતિયાઁ૤

અમરીકન કાર્ટૂન ધારાવાહિક દ સિમ્પ્સન્સ મેં અપુ નહસપીમાપેતિલોન કે ચરિત્ર કા નામ રાય કે સમ્માન મેં રખા ગયા થા૤ રાય ઔર માધવી મુખર્જી પહલે ભારતીય ફ઼િલ્મ વ્યક્તિત્વ થે જિનકી તસ્વીર કિસી વિદેશી ડાકટિકટ (ડોમિનિકા દેશ) પર છપી૤ કઈ સાહિત્યિક કૃતિયોં મેં રાય કી ફ઼િલ્મોં કા હવાલા દિયા ગયા હૈ — સૉલ બેલો કા ઉપન્યાસ હર્જ઼ોગ ઔર જે. એમ. કોટજ઼ી કા યૂથ (યૌવન)૤ સલમાન રશદી કે બાલ-ઉપન્યાસ હારુન એંડ દ સી ઑફ઼ સ્ટોરીજ઼ (Harun and the Sea of Stories, હારુન ઔર કહાનિયોં કા સાગર) મેં દો મછલિયોં કા નામ “ગુપી” ઔર “બાઘા” હૈ૤

 




#Total Article count: 196
#Total Word count: 198357